પ્રેમ અશક્યને શક્ય બનાવે છે – અવંતિકા ગુણવંત
[‘અખંડ આનંદ’ માર્ચ-2009માંથી સાભાર. આપ અવંતિકાબેનનો (અમદાવાદ) આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 79 26612505.]
આત્રેયી રોજ એની મમ્મી સુચિત્રાને મળવા આવે છે. પહેલાં તો અઠવાડિયે એક વાર આવતી હતી પણ હમણાં હમણાંથી એનું આવવાનું વધી પડ્યું છે, લગભગ રોજ આવે છે. એક જ શહેરમાં રહેતી દીકરી માને મળવા આવે એમાં નવાઈ નથી, એ મળવા ના આવે તો નવાઈ; પણ સુચિત્રા મૂંઝાય છે કે દીકરી આવે તો છે પણ કેમ કંઈ બોલતી નથી ? મા-દીકરીનો સંબંધ એવો આત્મીય ગણાય છે કે કશું કહ્યા વિના ઘણું બધું કહેવાય જાય છે અને સમજાઈ જાય છે. દીકરીને જોઈને સુચિત્રાને એટલું સમજાય છે કે દીકરી બેચેન છે, કોઈ અજંપો એને પીડી રહ્યો છે. એ મને કહે નહીં તો શી રીતે આવશે એની સમસ્યાનો ઉકેલ ? શી રીતે દૂર થશે એની બેચેની, અજંપો ?
સુચિત્રા દીકરીની બાજુમાં બેસીને એને પંપાળે છે, એની ઉદાસ મુખમુદ્રા અને નિસ્તેજ આંખો જોઈને ચિંતામાં ડૂબી જાય છે. એને થાય છે દીકરી કંઈ બોલે, એની મૂંઝવણ વિશે કંઈ કહે પણ દીકરી કંઈ કહેતી નથી. છેવટે સુચિત્રાએ સ્નિગ્ધ સૂરે પૂછ્યું : ‘દીકરી, કંઈ તો બોલ. કોણે તને દુભાવી કે તું આટલી બેચેન બની ગઈ છે ?’
‘મમ્મી, બહારની કોઈ વ્યક્તિએ મને દુભાવી નથી. હું મારા કારણે જ દુ:ખી છું.’ આટલું કહીને આત્રેયી થોડી વાર અટકી અને પછી બોલી, ‘મેં ઝંખ્યું હતું એ મને અરૂપમાં દેખાયું, એટલે તો અરૂપ સાથે હું જોડાઈ. ત્યારે મારી જાતને હું નસીબદાર માનતી હતી પણ…. પણ હવે મને અરૂપના સંગે કોઈ સુખ નથી લાગતું.’
‘કંઈ સમજાય તેવું બોલ.’ ઉચાટભર્યા સૂરે સુચિત્રા બોલી.
‘મમ્મી, હવે મારા જીવનમાં મને ખાલીપો અનુભવાય છે, બધે સૂનકાર વરતાય છે, જાણે લગ્ન કરીને મેં કંઈ મેળવ્યું નથી. હું આખી જિંદગી હારી ગઈ, મેં બધું ગુમાવી દીધું હોય એવું લાગ્યા કરે છે. ત્યારે મને લાગતું હતું કે મારું સ્વપ્નું સાકાર થયું. હું મુગ્ધાવસ્થામાં પ્રવેશી ત્યારથી મારા મનમાં એક સ્વપ્નું રચાતું ગયું હતું કે હું લખલૂટ સંપત્તિની સ્વામિની બનીશ, હું દુનિયાના દેશોની સફર ખેડીશ. દેશ દેશની કલાત્મક વસ્તુઓ – ખાસ તો એન્ટીક પીસ ખરીદીને મારું ઘર સજાવીશ. મારા ઘરમાં અલગ એક લાઈબ્રેરી હશે જ્યાં પુસ્તકો જ પુસ્તકો હશે, ત્યાં દીવાલ પર સુંદર પેઈન્ટિંગ હશે. મારી જિંદગીમાં કોઈ અભાવ નહીં હોય, અછત નહીં હોય. મમ્મી, અરૂપ સાથે લગ્ન મને વૈભવી જિંદગી મળી, હું ધારું એટલા પૈસા ખરચી શકું છું છતાં હું સુખી નથી. મમ્મી, હું સુખી નથી. મને સંતોષ નથી…’
સુચિત્રા ઠરેલ અને પરિપક્વ હતી. એ દીકરીની સાથે લાગણીમાં ઘસડાઈ નથી જતી પણ સ્વસ્થ અવાજે કહે છે : ‘આત્રેયી, સદીઓથી દરેકે દરેક માણસ સુખ શોધે છે. પણ કેટલાકને સુખ મળે છે અને સંતોષથી જીવે છે જ્યારે કેટલાક સુખ માટે વલખાં મારે છે પણ સુખી નથી થતા. જિંદગીભર તેઓ તડપ્યા જ કરે છે. દીકરી, વ્યક્તિએ વ્યક્તિએ સુખની વ્યાખ્યા અલગ હોય છે. માનસશાસ્ત્રીઓ કહે છે કે માણસનું મન વિચિત્ર છે. જે વસ્તુ એ ઝંખતો હોય અને એને એ મળે પછી એનું એને આકર્ષણ નથી રહેતું. ના મિલે સોના – મિલે તો મિટ્ટી.’
‘તો મમ્મી, શું હું ચંચળ છું ? અસ્થિર મગજની છું ? મારે શું જોઈએ છે એ બાબતે હું સ્પષ્ટ નથી ? શું હું મારી જાતને સમજી શકી નથી ?’
‘આત્રેયી, તું ખોટી રીતે ઉશ્કેરાઈના જા, હું કહું છું એ શાંતિથી સાંભળ. તું તારા મનને સમજી શકી નથી એવું કશું નથી કહેતી. યુવાનીમાં દરેકનાં સ્વપ્નાં તારા જેવાં જ હોય, લખલૂટ સંપત્તિ, વૈભવી સુંવાળી જિંદગીનાં જ અરમાન હોય અને જે માત્ર સપાટી પર જીવતું હોય એને મોજશોખ ભરી સીધી સરળ જિંદગીથી સંતોષ થઈ જાય છે. પણ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે માત્ર ભૌતિક સાધન-સંપત્તિથી એમનું હૈયું નથી ભરાતું. હા, થોડીક ક્ષણો માટે એ ભોગવિલાસની સામગ્રી એમને સુખ આપી શકે છે, પણ પછી એ વસ્તુઓ તુચ્છ લાગવા માંડે છે. મન ઉત્સાહહીન અને સુસ્ત બની જાય છે. તેમને થાય છે, મેળવવા જેવું એમને મળ્યું નથી.’
‘મમ્મી, હવે તો મને ડર લાગવા માંડ્યો છે કે મારી આ ઉદાસીનતા અમારા દામ્પત્યજીવનમાં તિરાડ ના પાડે. હું મનોમન કોચવાયા કરતી હોઉં, ભીતરમાં કોઈ અભાવથી પીડાયા કરતી હોઉં તો હું પૂરી પ્રફુલ્લિત ના હોઉં, અને અરૂપના સંગે પણ ખીલી ના ઊઠું તો અરૂપને પૂર્ણ સુખનો અનુભવ ના થાય, એનેય મારી ઉદાસીનતા ખટકે, એનેય કંઈક ખૂટતું લાગે તો એના માટે હું જ ગુનેગાર ગણાઉં ને ? મારી આ મનોદશા એ સરળ સ્નેહાળ માણસને ખૂંચે તો ખરી જ ને ! મમ્મી, પણ મારા સ્વપ્ન પુરુષ સાથે એનો મેળ નથી ખાતો. મેં ધારણા રાખી હતી કે એને મારી જેમ સાહિત્ય, સંગીત અને કલામાં રુચિ હશે, પણ એને એ વિષયોમાં રસ નથી. મેં એનામાં જે જોવાની અપેક્ષા રાખી હતી એ સંતોષાઈ નથી. એ આખું ઘર સપાટી પર જીવનારું છે. એનાં મમ્મી, પપ્પા, એની બહેન ઋતા સાવ ફલેટ છે. સ્વભાવે તેઓ સારા છે. મળતાવડા છે, કોઈનું બૂરું કરે નહીં કે ઈચ્છે નહીં, સદાચારી છે. પણ અહીં ટાગોર કે નરસિંહ મહેતા અને મીરાંબાઈનાં ગીતોની વાતો નથી થતી. માઈકલએન્જેલો કે રેમ્બ્રોના નામ એમણે સાંભળ્યાં નથી. એમનામાં સૌંદર્યદષ્ટિ નથી, માધુર્ય નથી, રંગ નથી, ત્યાં સાહસભર્યા પુરુષાર્થની વાતો થતી નથી. ક્યાંક પ્રવાસે જઈએ તો પ્રકૃતિના સૌંદર્યની વાત કરવાના બદલે કઈ હોટલમાં કેવી સગવડો છે ને શું ચાર્જ છે ને ત્યાં ખાવાનું કેવું છે એની વાતો થાય છે. રોજ સાંજ પડે બધાં ભેગાં મળીને લીવિંગરૂમમાં બેઠાં હોઈએ ત્યારે કોઈ બૌદ્ધિક વિષયની ચર્ચા તો કદી થતી નથી. થાય છે કારનાં લેટેસ્ટ મૉડલની વાતો, અને ફૅશનોની વાતોથી આગળ તેઓ વધતાં નથી. એમની માનસિક ક્ષિતિજો વિસ્તરી નથી. એમની પાસેથી આપણને માહિતી મળી શકે પણ જ્ઞાન કે ડહાપણની વાત ના મળી શકે. તેથી એમની વાતોમાં મને રસ નથી પડતો. તેમની વાતો મને ક્ષુલ્લક લાગે છે. તેમની પાસે મબલક પૈસો છે. એ પૈસો ધાર્મિક પૂજાવિધિ અને અનુષ્ઠાનોમાં વપરાય છે પણ સાચો ધર્મ કોને કહેવાય એનો કદી તેઓ વિચાર નથી કરતાં. સાચી આધ્યાત્મિકતાનો એમને પરિચય નથી. એમની વિચારસરણીમાં હું ના જોડાઈ શકું. તેઓ કૂપમંડૂક છે. હા, તેઓ મારી પર હેત રાખે છે. મને કોઈ રોકટોક નથી કરતા. કોઈ વાતે મારી પર દબાણ નથી લાવતા, છતાંય મને એમની સાથે રહેવામાં કંટાળો આવે છે.
મેં તો કેવાં કેવાં સ્વપ્નાં જોયાં હતાં. પણ અહીં તો સાવ શુષ્ક જિંદગી છે. જિંદગીનાં વિવિધ સ્વરૂપો અને માનવમનનાં ઊંડાણ અને ગતિવિધિ જાણવાની એમને જિજ્ઞાસા નથી. એમની માનસિકતા અને જીવનશૈલીમાં કોઈ સુધારો નથી થયો. બાપદાદા વખતના રીતરિવાજ ચાલ્યા કરે છે. એમાં કોઈ નવીનતા કે તાજગી ઉમેરાતાં નથી. તેઓ મને કોઈ ત્રાસ કે પીડા આપતા નથી છતાં ત્યાંના વાતાવરણથી હું થાકી જાઉં છું, ત્યાં હું ગૂંગળાઉં છું, પળેપળે મરતી જાઉં છું. મારા ઠેકાણે બીજી કોઈ યુવતી હોત તો એ આટલો વૈભવ અને આવા સાલસ સાસરિયાં મેળવીને ધન્યતા અનુભવત. જ્યારે મારા માટે જિંદગી એક બોજ બની ગઈ છે. મને ત્યાં ગમતું નથી. મને થાય છે પસંદગી કરવામાં મેં ભૂલ કરી છે. ઉતાવળ કરી છે.’
‘તું બે ત્રણ વાર મળી હતી અને તારી મેળે તેં નિર્ણય કર્યો હતો…..’ સુચિત્રા બોલી.
‘ત્યારે મેં એમની બાહ્ય જીવનશૈલી જોઈ, એમની સંપત્તિ જોઈ અને મને થયું અહીં હું મનમાની રીતે જીવી શકીશ. સ્વભાવ ઋજુ અને સરળ છે તેથી કોઈ વિખવાદ નહીં થાય. જીવન સુસંવાદી અને હર્યુંભર્યું હશે. ત્યારે મને ખ્યાલ જ ના આવ્યો કે હું જે ધારણા બાંધું છું એ પ્રમાણે ના પણ હોય.’
‘બેટા, આવો ચિરકાળનો સંબંધ ધારણા અને અનુમાન પર ના બંધાય. ધારણા ખોટી પણ ઠરે.’
‘ત્યારે તેં મને કેમ ચેતવી નહિ કે પસંદગીમાં ઉતાવળ ના કર…’ આત્રેયીએ પૂછ્યું.
‘બેટા, જિંદગીમાં ક્યાંય પસંદગી છે ખરી ? લગ્નમાં પસંદગી છે એવો લોકો ભ્રમ સેવે છે. તેઓ માને છે અમે જીવનસાથીની પસંદગી કરી, પણ ત્યાંય તમે ગમે તેટલું વિચારી, ગણતરી કરીને નિર્ણય કરો તોય ઘણું બધું આપણા હાથમાં નથી, અનુમાન સાચા નથી ઠરતાં. માટે શ્રેષ્ઠ માર્ગ કે પસંદગી જ ના કરવી. અમારા જમાનામાં બધું ઈશ્વરના હાથમાં છોડી દેવાતું હતું. ખરી રીતે તો ‘પસંદગી ના કરવાની’ પસંદગી કરીને જે પાત્ર મળે એની સાથે અનુકૂલન સાધવું જોઈએ.’ માની વાત સાંભળીને આત્રેયી છેડાઈ પડી :
‘જા, જા હવે… જિંદગીનો મહત્વનો નિર્ણય એમ ના કરાય. આ જમાનામાં તો તું કહે છે તે રીત સાવ જુનવાણી, મૂરખામીભરી ગણાય. આંખ મીંચીને કોઈ અજાણ્યાની સાથે જીવન ના જોડાય.’
‘અરે એમાં તો ખરો રોમાન્સ છે. આંખ મીંચીને કોઈ અજાણ્યાના હાથમાં મૂકી દેવો અને ભવિષ્યના અગોચર પ્રદેશમાં ઊડવું.’ આવું કહીને હસતાં હસતાં સુચિત્રાએ દીકરીને નિરાશામાંથી બહાર કાઢી, અને હળવાશથી મૂડમાં લાવી દીધી પછી બોલી, ‘આત્રેયી, કોઈ એક સ્વપ્નું લઈને તેં નવજીવનનો પ્રારંભ કર્યો પણ તને વાસ્તવનો અનુભવ કંઈક જુદો થયો. તારી અપેક્ષા મુજબ જીવન આકાર નથી લેતું એમાં આટલું નિરાશ શું થવાનું ? તારી ઉદાસીનતા, નિરાશા ખંખેરી નાખ. તારે તારી જીવનદષ્ટિ બદલવાની જરૂર છે. જીવન જીવવાની એક કલા છે, તે એક ખાસ નજર અને કૌશલ માગી લે છે. તને જે મળ્યું છે તેનો જરાય વસવસો કર્યા વિના વાસ્તવિકતાનો સંપૂર્ણ મનથી સ્વીકાર કર. તું સાત્વિક, જીવનલક્ષી પ્રેરણાત્મક સાહિત્ય વાંચ એટલે તારી દુર્બળતા જતી રહેશે. તારું મન દઢ બનશે. જીવનમાં ઊભો થયેલો પડકાર તને ગભરાવી નહીં મૂકે, અને તું એક વાત યાદ રાખ કે માણસનું મન પરિવર્તનશીલ છે. માણસને ખબર ના પડે તેમ એ બદલાતો રહે છે. એને જેવો સંગ મળે તેવો એ બને છે. અરૂપને તારા પર પ્રેમ છે. તેથી ધીરે ધીરે તારી પસંદ એની પસંદ બની જશે. એ તારી રીતે વિચારતો થઈ જશે. બેટા, પ્રેમમાં અગાધ તાકાત હોય છે. માટે તું ધીરજ રાખ, સમતા રાખ, સંયમ રાખ અને આશાવાદી બન.
બે વ્યક્તિ બે મટીને એક થવાનો પડકાર ઝીલે એ બહુ મોટું સાહસ છે, માર્ગમાં નાનીમોટી સમસ્યાઓ તો આવે જ. નિર્ભેળ, નર્યું સુખ જીવનમાં કોઈ નસીબદારને જ મળે, જીવનમાં ધાર્યા પ્રમાણે ના થાય ત્યારે ગભરાવાનું નહીં કે ખોટી શંકા,કુશંકા નહિ કરવાની. પ્રેમમાં શ્રદ્ધા રાખવાની. પ્રેમ નહીં ધારેલા ચમત્કાર સર્જે છે. દામ્પત્યજીવનની સફળતા માટે પતિ-પત્ની બેઉએ મથવાનું છે. લગ્ન આપમેળે સ્વયંભૂ સફળ નથી નીવડતાં, એને સફળ બનાવવા સભાન પ્રયત્ન કરવો પડે છે. એ ગુડ મેરેજ મસ્ટ બી ક્રિએટેડ ડેઈલી. અને તું યાદ રાખ, દરેક માણસનું મન અકળ હોય છે. કઈ ઘડીએ કઈ લાગણી અનુભવશે એ કહી શકાતું નથી. ક્યારેક આશા-અપેક્ષા મુજબ સામેથી પ્રત્યુત્તર ના મળે તોય કોઈ નકારાત્મક વિચાર નહિ કરવાનો, પતિ-પત્ની વચ્ચેની આત્મીયતાનો લય ખોરવાવો ના જોઈએ. બેટા, લગ્ન કર્યા પછી આદર્શ પતિ ના શોધાય. પતિનાં પારખાં ના લેવાય પણ પ્રેમ કરાય. સ્નેહ, સહિષ્ણુતા, ઉદારતા, સંબંધ ટકાવી રાખવાની ખેવના, સમય પારખવાની સૂઝ, ક્યારે બોલવું, ક્યારે મૂંગા રહેવું એની સમજ, નમ્રતા અને ખાસ તો જિંદગીને અખિલાઈપૂર્વક જોવાની પરિપક્વતા પતિપત્ની બેઉમાં હોવાં જોઈએ. તો જ લગ્ન સફળ થાય. પતિપત્ની માટે અન્યોન્યમાં ખામી શોધવી સહેલું છે પણ એમ કરવામાં જીવનમાંથી ઘણી બાદબાકી થઈ જાય છે. અને યાદ રાખ કે કોઈ પણ લગ્ન પરફેક્ટ નથી હોતાં. થોડી ચિંતનશીલતા દાખવવાની, થોડી બાંધછોડ કરવાની અને પ્રિયજનની ભીતર ડોકિયું કરવાનું. તો એને સમજી શકાશે અને શાંત, ગહન પ્રેમની અનુભૂતિ થશે. બેટા, તારું જીવન સુખભર્યું બનાવવાનું તારા હાથમાં છે.’
માની સ્નેહભરી વાતો સાંભળીને આત્રેયી ચિંતામુક્ત થઈ. એના હૃદયમન પરથી મોટો બોજો હટી ગયો. ફરી એક વાર એના જીવનમાં આશા ઉમંગ જાગ્યાં. હવે અરૂપના સંગે એ ઉદાસ નથી થઈ જતી પણ આવતી કાલ એની જ હશે એવા ભરોસે એ ખુશખુશાલ રહે છે.








બ્રિલીયન્ટ લેખ..
ખુબ સુંદર અને પ્રેરણાદાયી. લગ્ન અને પ્રેમના ભ્રામક ખ્યાલનો છેદ ઉડાવી દે તેવી વારતા.
એક્દમ સાચી વાત. આદર્શ લગ્ન કે આદર્શ જીવનસાથી, એ બધી કલ્પનાઓ સાકાર કરવા માટે થોડી બાંધછોડ, ઉદારતા અને પ્રેમની જરુર હોય છે. No one is perfect in the world (including ourself) and accepting the partner wholly is expression of love and basis of happy marriage.
Avntikaben has shown perfect way to daughter in this story.mother should be like this only who guides her daughter -what is true way of life!!!! thanks auther.
Avantika ben Rocks as always !!
Gr8 article !!
One Other thing I have Noticed that Avantika ben’s Story has
always innovative and Morden NAME like “Atrayei” or “Arup” etc..
Please Avantika ben Article sathe side ma Namavali pan taiyar karta jav..
so we can have Good creative NAme.. !!
મને લાગ છે આત્રેયીને બહુ જ અપેક્ષાઓ છે અને એમ પણ કે લોકો એના જેવા હોય (વિચારોમા) જે શક્ય નથી.
“લખલૂટ સંપત્તિની સ્વામિની બનીશ, હું દુનિયાના દેશોની સફર ખેડીશ. દેશ દેશની કલાત્મક વસ્તુઓ – ખાસ તો એન્ટીક પીસ ખરીદીને મારું ઘર સજાવીશ.”
“અહીં તો સાવ શુષ્ક જિંદગી છે. જિંદગીનાં વિવિધ સ્વરૂપો અને માનવમનનાં ઊંડાણ અને ગતિવિધિ જાણવાની એમને જિજ્ઞાસા નથી. એમની માનસિકતા અને જીવનશૈલીમાં કોઈ સુધારો નથી થયો.”
આ વાંચીને મને એમ લાગે છે કે આત્રેયી માત્ર ફરિયાદ કરે છે.
લેખ સરસ છે. આ વાર્તામા માનુ પાત્ર “માનવમનનાં ઊંડાણ” ને સમજે છે અને આત્રેયી કદાચ વાતો જ કરે છે?
ખુબ જ સરસ ક્રૃતી……જીવન ની સાચી હકિકત કહી દીધી……….
નિરાશા ખંખેરી પ્રેરણાનું સિંચન કરતી વાર્તા.
very good story.
એ ગુડ મેરેજ મસ્ટ બી ક્રિએટેડ ડેઈલી….
વેલ સેઇડ……
લેખ ખુબ સરસ લાગ્યો.
કાશ સુચિત્રા જેવી માતા અત્યારના સમયની દરેક યુવા પરણિતાઓને મળે તો ઘણા પુરૂષોનું જીવન ધન્ય થઈ જાય.
લગ્ન એટલે બાંધ-છોડ! પછી ભલે એ પ્રેમ-લગ્ન હોય કે ગોઠવાયેલ!
લેવા કરતાં આપવાની ભાવના કેળવવી રહી.. સામા પાત્રનો ગમો-અણગમો બન્નેએ સમજવો જરૂરી બને છે.
થોડી ચિંતનશીલતા દાખવવાની, થોડી બાંધછોડ કરવાની અને પ્રિયજનની ભીતર ડોકિયું કરવાનું.
પણ ક્યારેક એ ઘણુ જ અઘરૂં હોય છે. અને કેટલાંય અજાણ્યા બે જણની માફક પુરી જિંદગી જીવી જાય છે.
ખુબ સુન્દર ,
કિરન ત્ક્કર્
ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયી લેખ……….
આજે જ્યારે નવી પેઢીમાં સહનશીલતા,સહીષ્ણુતા ઓછી થઈ છે,ત્યારે સુંદર માર્ગદર્શન વાર્તાના માધ્યમથી પુરુ પાડતો લેખ…..
લગ્ન આપમેળે સ્વયંભૂ સફળ નથી નીવડતાં, એને સફળ બનાવવા સભાન પ્રયત્ન કરવો પડે છે.
સીમા
જ્યા વહુ પાસેથી ગ્રીનકા્ડૅ અને ઘર માટે વહુના બાપ પાસે down payment પડાવવાની જ વાત હોય, કદરના નામે શુન્ય હોય અને દરેક બાબતમા સાસુ-સસરાને વાન્ધા પા્ડવાની કુટેવ હોય તો પ્રેમ કે સમજ્ણ પણ કામ લાગતા નથી. અહન્કાર માણસને ભુલની કબુલાત કરવા નથી દેતો. બન્ને પાસા વધતા-ઓછા હોય તો ચાલે. કોઇ પાસુ શુન્ય હોય તો વાત અઘરી બની જાય.
Veena ben you are 100% right.
Very nice lekh all mother should give this advise to daughter to newly wed or going to wed.
Thanks Avantika ben
This is avery nice,inspirational & innovative story. Life & mirrage is a compromise.If one want to live happily has
to spent his/her life accordind to circumtences & situation.There is nothing wrong in to see dreams.But the
mother quite right in her advise about marriage life.Thanx for this lovely story.
લગ્ન એટલે એક કદમ તમે બઢાવો એક કદમ અમે બઢાવીએ. Thing usally fall in place sooner or latter once to follow this સુઋ.
સાચી સમજણ કેટલું સુંદર પરીણામ લાવી શકે છે!
Love is the only law of life.
આ વાત અવંતિકાબહેને કેટલી સુંદર રીતે સમજાવી છે. આ લેખ જરૂર વિચ્છેદ થતાં ઘણાં બધા લગ્નને બચાવી શકશે. પરણેલા અને પરણનારા, બધા માટે અવંતિકાબહેને કેટલી સુંદર ભેટ મોકલી છે. અવંતિકાબહેનનો આભાર.
અવંતિકાબેનના લેખોમાં એક ખાસ વિશેષતા એ હોય છે કે મુખ્ય પાત્ર ઓછા-વત્તા ધોરણે માનસિક સંતુલનથી વંચિત હોય છે. અને વાર્તામાં આગળ વધતાં ગાંડા-ઘેલા કામો કરે છે કે પછી એવા સવાલો પૂછે છે.
અહીં આત્રેયી ઉદાસ અને ગમગીન બને છે, કારણકે એના સાસરિયા ભેગા થાય ત્યારે નરસિંહ મહેતા કે મીરાબાઈના ગીતોની ચર્ચા નથી કરતા, કે ટુર પર જાય ત્યારે નદી અને પહાડોની વાતો નથી કરતા. આમ વિચારવાથી તેને એમ પણ લાગે છે કે એ અસ્થિર મગજની થઈ ગઈ છે.
Ref: “‘તો મમ્મી, શું હું ચંચળ છું ? અસ્થિર મગજની છું ? મારે શું જોઈએ છે એ બાબતે હું સ્પષ્ટ નથી ?”
અવંતિકાબેને હાસ્ય અને નાટકીયતાનું મિશ્રણ કરી ને સારો Dramedy લેખ લખ્યો છે.
Anyway, સુચિત્રાબેનની લગ્ન વિષેની સલાહનુ આલેખન સરસ કર્યુ છે.
Good one. Its like a story from every daughter.
to me,
પ્રેમ નઈ પન પૈઈસો અશક્ય ને શક્ય બનવે છે. It is very hard to find true love, now days people get marry for either greencard or to get ones’ money.
I do not agree.
You are staying in USA, either of you and your partner has married each other because of the reason given by you?
At least it is not happening always in INDIA.
Do not forget, the money can buy the materialistic things, but cannot buy the emotion and love.
May be (I presume) if you have the bitter experience you cannot measure every one with the same scale.
Excellent story as usual Avantikaben.
Lot to learn and understand from this story.
“માણસનું મન વિચિત્ર છે. જે વસ્તુ એ ઝંખતો હોય અને એને એ મળે પછી એનું એને આકર્ષણ નથી રહેતું. ના મિલે સોના – મિલે તો મિટ્ટી.” – This is very true. Desires never end…
Enjoyed reading this beautiful conversation between a mother and a daughter.
And I agree with one of the comments mentioned above that all the names of the characters are also very nice.
Good job Avantikaben.
We will be happy to read your further publication too.
Thank you.
લગ્ન એ માત્ર પોતાની આશા, અરમાનો ને સંતોષવાની કોઇ ચાવી નથી… સમજણનુ સંયોજન એ હદ નુ હોય છે કે ‘હુ’ ગળી જઈને ‘અમે’ બની જાય છે જેમા અરમાનો પણ સંયુક્ત હોય અને એના પુરા થવાના સંતોષનો ઓડકાર પણ સહીયારો નીકળે તે જ સાર્થકતા છે અને અન્ય કશા મા નહી માત્ર અને માત્ર અગાધ પ્રેમ માજ આ સંતોષ પામવા-પમાડવાની તાકાત છે.
એક શ્રેષ્ઠ વાર્તા.
ખુબ સરસ લેખ
very very nice
very very nice
સંસારરથનાં બે પૈડાં સાથે રહે તો જીવન મહેંકી ઉઠે.
એકબીજાનું સુખદુઃખ સમજે તો જીવન ધન્ય બને.
બીચારો 16 કલાક જોબ કરીને થાક્યો પાક્યો ઘેર આવે અને સામા પક્ષે રતિભર દરકાર ના હોય ત્યારે?
બીચારી આખો ભાર ખેંચતી હોય અને બાપુ આરામથી એશ કરતા હોય ત્યારે?
જીવન ત્રાસદાયક બને અને રંગીન સ્વપનાં, બિહાંમણાં બને.
જીવન વેરવિખેર થાય.
કૌટુંબિક ભાવના જરુરી છે, પારકાં પોતાનાં કરવાં પડે—ત્યારે જીવન સ્વર્ગ બને.
અવન્તિકાબેન ખૂબજ સુંદર અને સમજદારી પૂર્ણ અંગુલિ નિર્દેશન.
અભિનંદન અને આભાર.
very nice story. I hope every daughter get this understand before they step into marriage. thanks avantikaben
ખુબ જ સુંદર,પ્રેરણાદાયી અને સરળભાષી લેખ!!!!!!!!૧
વાંચવાની મઝા આવી.
આજે દરેક માણ્સ પોતાનો જ વિચાર કરે છે. આપણા સમાજમા જોઈન્ટ ફેમિલિતો તુટતા જાય છે, ડીવોંસનુ પ્રમાણ પણ વધતુ જાય છે. ત્યારે આવી વાતો સમાજમાં બહુ જરુરી છે. નવી પેઢીમાં સહનશીલતા,સહીષ્ણુતા ઓછી થઈ છે,ત્યારે સુંદર માર્ગદર્શન વાર્તાના માધ્યમથી પુરુ પાડતો લેખ….. બહુ સરસ વાત છે.
લગ્ન આપમેળે સ્વયંભૂ સફળ નથી નીવડતાં, એને સફળ બનાવવા સભાન પ્રયત્ન કરવો પડે છે. એકદમ સાચી વાત છે. અવંતિકાબેન નાની વાત કેટલી સહાજીકતા કહે છે.
અવંતિકાબેનની વાત વાંચી કાયમ મન શાંત થાય. -”થોડી ચિંતનશીલતા દાખવવાની, થોડી બાંધછોડ કરવાની અને પ્રિયજનની ભીતર ડોકિયું કરવાનું. તો એને સમજી શકાશે અને શાંત, ગહન પ્રેમની અનુભૂતિ થશે. જીવન સુખભર્યું બનાવવાનું પોતાના હાથમાં છે.’
લગ્ન કર્યા પછી આદર્શ પતિ ના શોધાય. પતિનાં પારખાં ના લેવાય પણ પ્રેમ કરાય. સ્નેહ, સહિષ્ણુતા, ઉદારતા, સંબંધ ટકાવી રાખવાની ખેવના, સમય પારખવાની સૂઝ, ક્યારે બોલવું, ક્યારે મૂંગા રહેવું એની સમજ, નમ્રતા અને ખાસ તો જિંદગીને અખિલાઈપૂર્વક જોવાની પરિપક્વતા પતિપત્ની બેઉમાં હોવાં જોઈએ. તો જ લગ્ન સફળ થાય. પતિપત્ની માટે અન્યોન્યમાં ખામી શોધવી સહેલું છે પણ એમ કરવામાં જીવનમાંથી ઘણી બાદબાકી થઈ જાય છે.સાચી વાત છે કોઈ પણ લગ્ન પરફેક્ટ નથી હોતાં. ”
મુગેશભાઈનો ખુબ જ આભાર.
બહુજ સરસ લેખ
Excellent story as usual Avantikaben.
thanks avantikaben.
We will be happy to read your further publication too.
Enjoyed reading this beautiful conversation between a mother and a daughter.
લગ્ન અને પ્રેમના ભ્રામક ખ્યાલનો છેદ ઉડાવી દે તેવી વાત છે.
અભિનંદન અને આભાર.
કોઈક પુસ્તકમાં વાંચ્યુ હતુ, when you touch, don’t take.
એવી જ રીતે પ્રેમ માટે કહી શકાય, when you love, don’t take.
અને વધુ વિસ્તૃત રીતે વિચારીએ તો, when you live, don’t take.
મનનો માણિગર શોધવો એટલે શ્રેષ્ઠ વ્યક્તિની શોધ એવુ નહીં, પરંતુ સામાન્ય માણસ જોડે શ્રેષ્ઠ સંબંધ વિકસાવવો.
ખૂબ જ સરસ લેખ,
નયન
wow…its amazing.
It’s a wonderful story. My interests are almost the same as આત્રેયી. After 8 years of dating each other, after marriage same thing happens to each other it’s just you need someone to tell you the truth of life. I loved this story. People can change, if they wish, without knowing. Even I don’t like all my changes but I need to change coz I knew my friend/partner/husband loves me a lot and I can’t imagine my life without him.
ITS WONDERFULL STORY AND SAYS WHAT IS THE LIFE. LIFE IS ONE KIND OF ADJUSTMENT WITHOUT ADJUSTMENT YOU CAN’T LEAVE HAPPILY
i agree with veena dave as well
i think story is not that strong because she said she wants money and all, avantikaben put the story of struggled women and doing all for her in laws and they are not keeping her happy.
then what she should do.
to get good in laws is i thnik dream.
Avantikaben,
How will you write this story if Aatreyi was a son? Would love to read that…
You always rock…
Ashish Dave
Sunnyvale, California
There is a major inconsistency in the story. Ayetri begins her conversation with “‘મેં ઝંખ્યું હતું એ મને અરૂપમાં દેખાયું, એટલે તો અરૂપ સાથે હું જોડાઈ. ત્યારે મારી જાતને હું નસીબદાર માનતી હતી પણ…. પણ હવે મને અરૂપના સંગે કોઈ સુખ નથી લાગતું.” Her dreams were, “હું મુગ્ધાવસ્થામાં પ્રવેશી ત્યારથી મારા મનમાં એક સ્વપ્નું રચાતું ગયું હતું કે હું લખલૂટ સંપત્તિની સ્વામિની બનીશ” After the marriage she is disappointed because “એ આખું ઘર સપાટી પર જીવનારું છે.”
So the questions are: Did she change in hurry after the wedding? If she did, what was the cause of the epiphany? How did a wise mother raise such a wavering daughter? Was there any communication between them before the marriage?
The author writes well, but the chracters are not rational. Mother’s ideas are great, but some of them are conflicting.
You should not select – and by selecting this option you should try to be happy. – This is a great philosophy. (Well said by Suchitraben). It is general philosophy also that when you expect, you will be દુઃખી.
But still Aatrayei is right at her place. It is difficult to implement all the times.
Nice story. Thoughts are very touchy, true and practicle.
there is contracdiction between what Atreyi wanted to have and what she wanting now, but the good part of the story is her mother’s advice how she can make her marriage a success.
really a nice story from the angle of good part, i miss my mother as she is no more.
It is a good story but it could have been built up much strong.
સરસ લેખ…
અતિ સુંદર લેખ
સમજવા જેવો અને લોકોને પણ સમજાવા જેવો લેખ છે.
wow! article.
બેટા, તારું જીવન સુખભર્યું બનાવવાનું તારા હાથમાં છે.’
100% agree.
I am completely agree with title of your article. ‘Prem Ashkya ne pan shakya banave chhe’..પ્રેમ ની અગાધ શક્તિઓ નો કોઈ માપદંડ કાઢી શકે નહિ
જો આત્રેયી પોતાના પ્રેમ પર વિશ્વાસ રાખીને ધીરજ થી આગળ વધશે તો અરૂપ ને એ ચોક્કસ બદલી શકશે ….પણ સાથે સાથે અરૂપ ની પણ સાચી લગતી વાતો ને સ્વીકારવા માટે તેણે ખુલા મન સાથે તૈયાર રેહવું પડશે ….
Regards
Dev Hindocha