એ ફૂલ ના તોડશો, પ્લીઝ – નીના સંઘવી

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

હમણાંથી હરેનભાઈએ સવારની ચા બેડરૂમના વરંડામાં પીવાની રાખી હતી. સાંભળ્યું’તું કે સામેનો, નવો બંધાયેલો બંગલો, કલ્યાણી ઈન્ડસ્ટ્રીઝના માલિકનો હતો. બંગલા પછી તેમાં આગળ ને આજુબાજુ અદ્દભુત બગીચો બનાવ્યો હતો. ઘરનાં માજી તથા માળી રોજ કલાકો ત્યાં કામ કરતાં. મખમલી ઘાસની બિછાત, રંગ, કદ ને ઊંચાઈ પ્રમાણે ફૂલક્યારીઓ અને છોડવાઓની છટવણી, સુઘડતા અને કલાત્મકતા અત્યંત આકર્ષક હતાં. આ નજારો, રંગ, આકાર, સુવાસનું રોજિંદું નવલ પર્વ, વહેલી સવારના કુમળા તડકામાં માણવું હરેનભાઈને ગમવા લાગ્યું. ધીમે ધીમે એ વળગણ બન્યું. સવારની ચા પીતાં એ ખુશનુમા માહોલ માણી રહેતા. અને હા, વરંડાને હવે તે ‘દીવાને-ખાસ’ કહેતા.

રોજ વહેલી સવારે માજી પૂજાપા માટે ફૂલો ચૂંટતાં, ત્યારે હરેનભાઈનો થોડો ગરાસ, લૂંટાઈ જતો. આજે એક ઘેરી રતુંબડી ઝાંયવાળું અતિ સુંદર ફૂલોનું ઝૂમખું લહેરાતું હતું. હરેનભાઈ ક્યાંય સુધી એ શોભા પરથી નજર ન જ હટાવી શક્યા. માજી ફૂલો ચૂંટવા આવ્યાં. જેવાં પેલા ઝૂમખા નજીક આવ્યાં કે હરેનભાઈ ચા પીતા પીતા ઊભા થઈ ગયા. માજીની નજર તેમના પર પડી. હરેનભાઈએ માથું ધુણાવીને આંગળીને ઈશારે મનાઈ કરી. જાણે કહેતા હોય કે, ‘માજી, પ્લીઝ આ ફૂલ ના તોડશો.’ માજી હસી પડતાં. હાથ ઊંચો કરી ધરપત આપી, પેલો ગુચ્છો છોડીને આગળ વધ્યાં. હરેનભાઈ ‘હા….આ….શ’ કરતા પાછા ખુરશીમાં ગોઠવાયા. આ હતી એમની પહેલી ઓળખાણ. પોતે ઉગાડેલાં ફૂલોમાં કોઈ આટલી દિલચસ્પી લે, એ અણધારી પ્રશંસા જ થઈ ને ? માજી કેમ ન પોરસાય ? હવેથી ફૂલો ચૂંટતાં પહેલાં માજી આંખને ખૂણેથી હરેનભાઈની હાજરી નોંધતાં, તો વળી હરેનભાઈની નજર પણ છાપું ઊંચું નીચું કરીને માજીની પ્રવૃત્તિ પર ક્યાં નહોતી મંડરાતી ? આ સંતાકૂકડી પછી માજી હવે હરેનભાઈની ગાડી ઑફિસે જવા નીકળે પછી જ ફૂલો ચૂંટતાં. ભગવાનને પૂજા માટે થોડી રાહ જોવી પડે એટલું જ ને ? પછી તો પરિચય વધતો ગયો ને બંને કુટુંબો વચ્ચે અવરજવર વધી. શિક્ષણ, સંસ્કાર, સફળતાનો સમન્વય બંને ઘરોમાં હતો. ઘરોબો બંધાતાં જરાય વાર ન લાગી.
વધુ આગળ વાંચો »

વાંચન વૈવિધ્ય – સંકલિત

[1] લેખકનો ધર્મ – રવીન્દ્રનાથ ઠાકુર

મારા દેશ માટે શું કલ્યાણકર છે, એ વિશે મારા દેશજનો ને મારી વચ્ચે મતભેદ થવાનો પૂરો સંભવ છે. પણ લેખકે તો, પોતાના દેશનું કલ્યાણ શામાં રહેલું છે એનો જ વિચાર કરવો જોઈએ, નહિ કે હું શું કરું તો દેશ મને સારો કહેશે એનો. જો મારો દેશ મને વહાલો ન હોત, તો મારા વાચકોની પ્રીતિ સંપાદન કરવી એ મારે માટે ખૂબ સહેલું થઈ જાત. પણ લેખકનો સર્વોચ્ચ ધર્મ પોતાની વાર્તાને સર્વાંગસુંદર બનાવવા ઉપર જ લક્ષ રાખવાનો છે. તેણે વાચકોની વાહવાહની પરવા કરવાની નથી. જો મારી વાર્તા સાચે જ વાર્તા હશે, તો મારી માન્યતાઓ ગમેતેવી હશે તોયે એનો ફેલાવો થવાનો જ. (‘અરધી સદીની વાચનયાત્રા’માંથી સાભાર.)

[2] અંદરનો બાળક – રમણલાલ સોની

બાળમંદિરમાં મારી કહેલી વાર્તાઓને બાળકો પોતાની મેળે ભજવતાં, ત્યારે મેં જોયું કે વાર્તામાંના સંવાદો મેં જેવા કહેલા તેવા જ બાળકો પણ બોલતાં હતાં. એમાંથી મને પ્રતીતિ થઈ કે ભાષા-શિક્ષણ માટે વાર્તાનું માધ્યમ કેટલું જોરદાર છે. વાર્તા છીછરા મનોરંજનના સ્તરે ઊતરી જાય, તેમાં કેવું જોખમ છે એનો મને ખ્યાલ આવ્યો. વાર્તા દ્વારા કહેવા ધાર્યું હોય કાંઈક, ને બાળકો ગ્રહણ કરે કાંઈક બીજું જ, એવું પણ જોયું. આ બધાને પરિણામે એક વાત મનમાં નિશ્ચિત થઈ કે વાર્તામાં બાળકને ભાષાજ્ઞાન આપવા ઉપરાંત મૂલ્યોનું જ્ઞાન આપવાની પણ અદ્દભુત શક્તિ છે અને એ શક્તિની કોઈ કાળે ઉપેક્ષા કરવી બાળસાહિત્યના લેખકને પાલવે નહિ. આમ બાળ સાહિત્ય એ બાળકના સમસ્ત અંત:શરીરમાં પ્રવેશવાની વિદ્યા છે, પણ અઘરી વિદ્યા છે. કવિશ્રી ઉમાશંકર જોશી સાચું જ કહે છે કે, ‘એક મોટી નવલકથા જેટલી સહેલાઈથી લખી શકાય, એટલી સહેલાઈથી બાળકો માટે એક ઉત્તમ વાર્તા લખી શકાતી નથી.’

બાલવાર્તાની શોધમાં ફરતાં ફરતાં હું બીજા દેશોના લોકસાહિત્યમાં પ્રવેશ્યો. વિશ્વના વિદ્વાનો ભારતને વાર્તાનું પિયર માને છે. ભારતમાંથી ‘પંચતંત્ર’ની વાર્તાઓ જે રીતે સફર કરતી કરતી વિશ્વમાં વિસ્તરી છે, એ એક અદ્દભુત રોમાંચક કથા છે. દરિયો ખેડનારાઓ, કાફલાઓ લઈને હજારો ગાઉની ધરતીની ખેપ કરનારાઓ પોતાની સાથે કેવળ ધનમાલ જ નહીં, વાર્તા-સમૃદ્ધિ અને વાર્તાસંસ્કૃતિ યે લઈ જતા, તેનું આદાનપ્રદાન કરતા. મનથી સાગરખેડુ, રણખેડુ, પહાડખેડુ બનીને મેં દેશવિદેશની યાત્રાઓ કરી, અને એમાં જે મહામૂલાં રત્નો મને મળ્યાં, તે મેં મારી અક્કલ પ્રમાણે સમારી, સુધારી, પહેલ પાડીને, વાન અને વાઘા બદલવા પડે તો બદલીને, ગુજરાતી બાળકોની આગળ રજૂ કર્યાં. આ રીતે સાઠ-સિત્તેર જેટલા દેશોની વાર્તાઓ હું બાળકો માટે લખી શક્યો છું.
વધુ આગળ વાંચો »

અધ્યાત્મ એટલે શું ? – હરેશ ધોળકિયા

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]

ભારતીય માનસમાં કેટલાક શબ્દો સાંસ્કૃતિક માહોલના કારણે ઘૂસી જ ગયા છે એમ કહેવું અયોગ્ય નહીં થાય. ત્યાગ, મોક્ષ, માયા, ભવસાગર, ધર્મ, અધ્યાત્મ, ધ્યાન વગેરે ! નાનકડાં બાળકને પણ આ શબ્દોનો ઉપયોગ કરતાં જોઈ શકાશે. (થોડા વખત પહેલાં એક ‘બાલ શિબિર’માં દસ વર્ષનાં થોડાં બાળકોને ‘શિબિરમાં શા માટે આવ્યાં છો’ એમ પૂછતાં જવાબ મળેલા કે ‘મોક્ષ મેળવવા’, ‘ભવસાગર તરવા’ કે ‘માયાથી મુક્ત થવા’ !!) પ્રૌઢો તો જેમ સરળતાથી ગાળો બોલી શકે છે તેટલી જ સરળતાથી આ સાંસ્કૃતિક શબ્દો બોલે છે. અર્થ સમજે છે કે નહીં તે સંશોધનનો મુદ્દો છે.

થોડા સમય પહેલાં એક શિબિરમાં પરિચય-વિધિ ચાલતી હતી. તેમાં એક વ્યક્તિએ પરિચયમાં પોતે ‘આધ્યાત્મિક થવાનો પ્રયત્ન કરે છે’ તેવું કહ્યું. તેને આધ્યાત્મિક હોવું એટલે શું-એમ પૂછ્યું, તો યોગ અને પ્રાણાયામમાં ઊંડા ઉતરવું, ગુરુ ભક્તિ કરવી, શાસ્ત્રો વાંચવાં કે સંસ્કૃતિ માટે કામ કરવું વગેરે વિવિધ જવાબો આપ્યા. બીજો પ્રશ્ન પૂછ્યો કે આધ્યાત્મિક થવાના કોઈ અનુભવો છે ? તેના જવાબમાં તે મૂંઝાયા અને જવાબ ન આપી શક્યા. એટલે પ્રતિપ્રશ્ન કર્યો કે તે દિવસના અંતે કેવા વિચારો કરે અથવા તો લાગણીઓ અનુભવે છે ? તો જવાબ આપ્યો કે સમાજ તરફ નજર કરતાં તે મોટા ભાગે હતાશા અનુભવે છે. છાપાં-ટીવી જોતાં કે વાંચતાં ગુસ્સો અનુભવે છે. પોતાનાં ભવિષ્યનો વિચાર કરતાં તો ચિંતા જ અનુભવે છે. ક્યારેક તો તાણ પણ અનુભવે છે અને ઊંઘ પણ નથી આવતી.

જવાબ આપનાર પ્રૌઢ વ્યક્તિ હતા. સંસારનો ઘણો જ અનુભવ હતો. ડાહ્યા હતા. અનેક આધ્યાત્મિક શિબિરોમાં નિયમિત જતા હતા. મોરારી બાપુથી શ્રી શ્રી રવિશંકર અને વિપશ્યનામાં પણ જઈ આવ્યા હતા. તેમના આ જવાબ હતા ! એટલે જ, ડર લાગવા છતાં, કહેવું પડે છે કે આ સાંસ્કૃતિક શબ્દો મગજમાં ઘૂસી ગયા છે. પડ્યા પડ્યા અંદર સડે છે. પચતા નથી. એસીડિક થઈ જાય છે. માટે જ ‘આધ્યાત્મિક’ થયેલાના ‘આવા’ જવાબો આવે છે.
વધુ આગળ વાંચો »

પંખીલોક – ગુણવંત વ્યાસ

[કેટલાક લેખો ઊંડું ચિંતન-મનન માંગી લે છે. તેનો મર્મ જલ્દીથી પકડી શકાય એવો હોતો નથી. કંઈક એવા પ્રકારનો આ ‘પંખીલોક’ નિબંધ છે. માનવીની આભને પામવાની અદમ્ય ઈચ્છા, એ પછી એને પ્રગટતી પાંખો, મનુષ્યની સૃષ્ટિ કરતાં પંખીઓની સૃષ્ટિમાં થતું વિચરણ, ત્યાંનું સ્પર્ધામુક્ત સહજ વાતાવરણ – આ બધું જ લેખક કલ્પનાની પાંખે વિચરણ કરતાં કરતાં આપણને જાણે નજરોનજર બતાવી દે છે. આમ તો દરેક વ્યક્તિને ઈશ્વરે કોઈને કોઈ સ્વરૂપે પાંખ આપેલી છે. પરંતુ ભૌતિકતાની દોડમાં એના પીંછા ખરતાં જાય છે. અંતે માણસ ધરતી પર પટકાય છે. આંખો ખોલીને જુએ છે તો એને એક વાતનો સંતોષ મળે છે કે મારા બાળકમાં તો હજી એક પીછું સચવાયેલું છે. પ્રસ્તુત છે આ ‘પંખીલોક’ની અનોખી યાત્રા, ‘તાદર્થ્ય’ સામાયિક ઑગસ્ટ-2009માંથી સાભાર. – તંત્રી.]

આપણું થોડું એવું ખરું ! સૂતાં હોઈએ ને કોઈ ઓચિંતું જગાડે એટલે ફફડી જવાય. સ્વપ્નનાં આકાશમાં ટહેલતા હોઈએ ને કોઈનો સંભળાતો અવાજ ગોફણના ઘા જેવો લાગે. આકાશેથી સીધા ધરતી પર આવ્યાની પીડા લોહીઝાણ થયાની વેદનાનો અનુભવા કરાવે. આથી જ બંદા બધાથી આઘા રહે. દા’ડે ઝાડને છાંયે તો રાતે ખેતરને ખોળે જ વિસામો ખોળે. મોટેભાગે પાંદડાંનો મર્મર ધ્વનિ કાં પંખીઓનાં કલરવતાં ગાન જ તંદ્રાવસ્થાને તોડે. ઘરના આ બધું જાણે. આથી જ મને ઊઠાડવા માટેનો એકમાત્ર આધાર અવનિ બની રહે. મને જગાડવાની જરૂર પડે ત્યારે અવનિ નામનું આયુધ મારા પર અજમાવે. મારા માટે એ કુસુમાયુધ બની રહે. નાના-રાતા પગ માંડી આવતી અવનિ મારા કાને કાલું-ઘેલું ટહુકે. બે હાથોની પાંખો પ્રસારી મારી આંખોને મીંચે. મારા કાનોને ખીંચે. મને પંખીલોકમાંથી અવનિલોકમાં આવવું ગમવા લાગે. નિદ્રા અને તંદ્રાવસ્થા વચ્ચેની જાગૃતિ વચ્ચે ઝૂલતી અવનિ મને હરિયાળું ખેતર હોવાનો ભાસ જન્માવે. ક્યારેક એ લહેરાતું સરવર લાગે તો ક્યારેક વરસતી વાદળીનો વરતારો જગાવે. ક્યારેક એ કૂજતું કોકિલવન બની રહે તો ક્યારેક એ કુસુમવન બની ખીલે. મારામાં વનરાવન રચી દે એની હાજરી ! અવનિ જાણે નાનકું નિર્દોષ પંખીડું. મારામાં માળો રચાય ને હું અંદરથી છલકાવા લાગું, બહારથી કોળવા લાગું. અવનિને ઊંચકી હવામાં ઉછાળું. ઊડતી આવીને એ ખભે બેસે. જાણે કોઈ પંખી બેઠું. હું મલકી ઊઠું.

આજની જ વાત કરું. રોંઢે એ આવી રોનક રેલાવી ગઈ. કશા જ પગરવ વિના, એની હાજરીનો અહેસાસ પણ ન થાય એ રીતે, ચુપકીદીથી એ આવી. એક સુંવાળો મુલાયમ સ્પર્શ મને થતો લાગ્યો. સપનાથીયે મીઠી અનુભૂતિ જગાવતો એ મૃદુ સ્પર્શ આહલાદકપણાના રોમાંચકારી અનુભવ સરીખો હતો. બેઘડી તો થયું કે અવનિ જ છે કે કોઈ પંખીડું પડખે આપી પાંખ ફેલાવી બેઠું છે ? સ્વપ્ન હોય તો સારું, ને સત્ય હોય તો એથી યે અધિક સારું ! થયું, આંખો ખોલીને જોઈ લઉં ? પણ મને ના પાડી. અવઢવ સુખાનુભૂતિને ઝાઝું આયુષ્ય બક્ષતી હોય છે. પંખી વિશેનો ભ્રમ હોય ને ભાંગી જાય તો ? એથી અવઢવ સારી ! પણ ઈચ્છા સળવળીને ફરી બેઠી થઈ ને આંખો ખૂલી ગઈ. સામે જ પંખિણી સમી હળવીફૂલ જેવી મંદ-મંદ હસતી અવનિ ! મને જાગૃત થતો જોતાં જ એ ખડખડાટ હસતી, ઢગલો થઈ ઢળી પડી મારા પર. જાણે થોડા ટહુકા વેરાયા !
વધુ આગળ વાંચો »

સંબંધોમાં સ્નેહ – અવંતિકા ગુણવંત

[‘એક દૂજે કે લિએ’ પુસ્તકમાંથી સાભાર.]

[1] સ્નેહની પરખ જ નથી ?

કુળ, કુટુંબ, અભ્યાસ અને બાહ્ય દેખાવ જોઈને ઉદિત અને વૈભવીએ એકબીજાને પસંદ કર્યા. બેઉ કુટુંબને સંતોષ થયો કે સંતાનોએ યોગ્ય પસંદગી કરી. હવે વિવાહ વખતે આપવાની સાડી પસંદ કરવા ઉદિતની મમ્મી વીણાબેને વૈભવીને ફોન કર્યો. વૈભવી મળી નહીં પણ વૈભવીના બદલે એની મમ્મી રમુબેને વીણાબેનને કહ્યું, ‘તમારી પસંદગીની સાડી ખરીદીને આપો. તમારા તરફથી અપાતી પ્રથમ શુકનની સાડી સાથે તમારા આશીર્વાદ અને પસંદગી ભળેલાં હોવાં જોઈએ. વૈભવીને તમારી પસંદગી ગમશે.’

રમુબેને એવી મીઠાશથી આવું કહ્યું કે વીણાબેન ખુશ થઈ ગયાં. ઉદિતે આ સાંભળ્યું તો એય ખુશ થયો. એ સાંજે વૈભવીને મળ્યો ત્યારે કહે, ‘તારી મમ્મીએ જે કહ્યું એથી મારી મમ્મીને એટલું સારું લાગ્યું કે વડીલોની લાગણીને તમારે ત્યાં કેટલું માન અપાય છે !’ ઉદિતના મનમાં હતું કે વૈભવી પણ મીઠી મધઝરતી પ્રેમાળ ભાષામાં એવું જ કંઈ બોલશે. પરંતુ વૈભવી તો ફટ દઈને બોલી, ‘એમને સારું જ લાગે ને એમને સસ્તી સાડી ખરીદવી હોય તો ખરીદી શકે, હું હોઉં ને મોંઘી પસંદ કરું તો પ્રોબ્લેમ થઈ જાય, ખોટો ખર્ચો થઈ જાય. મારી મમ્મીએ તમારી સ્થિતિ સમજીને આવું કહ્યું હતું.’

ઉદિતને જનોઈવઢ ઘા પડ્યો. ઓહ, વૈભવી ને એનાં મમ્મી આટલાં અભિમાની છે ! હેતપ્રેમ પારખતાં એમને આવડતું જ નથી. મારી મમ્મીએ તો લેટેસ્ટ ફૅશનની સાડી વિશે કેટલી જાણકારી મેળવી હતી ! પપ્પાને હરખભેર કહ્યું હતું, ‘તમે મને વધારે પૈસા આપજો, વૈભવીને હું એને મનગમતી સાડી અપાવવાની છું, ભલે એ ગમે તેટલી મોંઘી હોય. ત્યારે પપ્પા બોલ્યા હતા ‘હા, આપણે અત્યારે અપાવવાની છે પછી તો ઉદિત અપાવશે. ઉદિત સારું કમાય છે, એના બધા શોખ પૂરા કરશે. પછી તો આપણને વૈભવીને અપાવવાનો ચાન્સ જ નહીં મળે.’ પપ્પાના અવાજમાં કેટલી હોંશ હતી. મારાં મમ્મી-પપ્પાની લાગણીની આમને તો કંઈ પડી જ નથી. આવું વર્તન ને સ્વભાવ મારા ઘરમાં ન ચાલે. આ તો ડગલે ને પગલે અપમાન કરશે અને ઉદિતે વાત ત્યાં જ અટકાવી દીધી. ઉદિત અને વૈભવીનો સંબંધ બંધાયા પહેલાં જ તૂટી ગયો.
વધુ આગળ વાંચો »

પાંદડે પાંદડે રેખા – સં. મહેશ દવે

[‘પાંદડે પાંદડે રેખા’ પુસ્તકમાંથી સાભાર.]

[1] મનમળે તે મૈત્રી

મહાભારત વિશે કહેવાયું છે કે તેમાં સર્વ સંબંધોનો સમાવેશ થયો છે, ‘જે અહીં નથી તે બીજે ક્યાંય નથી.’ પૂર્વજો-વંશજો, પિતા-પુત્ર, માતા-પુત્રો, પતિ-પત્ની, ભાઈ-ભાંડરાંઓના અનેક પ્રકારના સંબંધો મહાભારતમાં નિરૂપાયા છે. મહાભારત મૈત્રી-સંબંધોનાં ત્રણ દષ્ટાંત નિરૂપે છે : કૃષ્ણ અને સુદામા, કૃષ્ણ અને અર્જુન તથા દુર્યોધન અને કર્ણ. કૃષ્ણ-સુદામાની મૈત્રી બાળપણની છે. એક અકિંચન બ્રાહ્મણ છે, બીજો ઐશ્વર્યવાન રાજવી છે. વર્ષો પછી મિત્રો મળે છે. તરત એકતાનતા સધાય છે. મિત્રને કૃષ્ણ ન્યાલ કરે છે, પણ ઉઘાડા દેખાડાથી નહીં. ડાબા હાથને ખબર ન પડે એમ જમણા હાથથી.

કૃષ્ણ અને અર્જુનનો મિત્ર-સંબંધ જુદા પ્રકારનો છે. યુવાવયે જન્મેલી સગાં-સંબંધી વચ્ચેની એ મૈત્રી છે. કૃષ્ણ અવતાર હોવા છતાં અર્જુનને સરખેસરખો ગણી સલાહ-માર્ગદર્શન આપે છે. હંમેશાં અણીને વખતે મદદે પહોંચી જાય છે. અર્જુનની ઈચ્છા પૂરી કરવા મોટા ભાઈના વિરોધ છતાં ચતુરાઈથી બહેન સુભદ્રાને અર્જુન સાથે ભગાડી મૂકે છે. સખા અર્જુનનો વિષાદ કૃષ્ણ દૂર કરે છે, તેની પડખે છતાં અલિપ્ત રહી દાર્શનિકની જેમ માર્ગદર્શન અને સહાય કરે છે. કર્ણ અને દુર્યોધનની મૈત્રી વળી જુદી છે. દુર્યોધનની જરૂરતમાંથી એ ઊભી થાય છે, પણ પછી પરસ્પર આદર-સ્નેહમાં એ મૈત્રી રૂપાંતર પામે છે. પાંડવપુત્રને માત કરવા દુર્યોધન કર્ણને મિત્ર બનાવે છે. બંને ગાઢ મિત્રો બને છે ને તરત સ્વાર્થ ઓગળી જાય છે. ગુરુ દ્રોણ, સલાહકાર મામા કે આદરણીય ભીષ્મપિતામહ, સર્વને અવગણી દુર્યોધન મિત્ર કર્ણમાં ભરોસો મૂકે છે, તેને મહત્વ આપે છે. કુંતીપુત્ર બનવાની, જ્યેષ્ઠ પાંડવ થવાની અને પતિ તરીકે દ્રૌપદીને ભોગવવાની અપાયેલી લાલચ તરછોડી મિત્ર તરીકે કર્ણ દુર્યોધન સાથે ઊભો રહે છે.
વધુ આગળ વાંચો »

ફાફડા અને જલેબી – સંકલિત

[1] ફાફડા

સામગ્રી :
fafda500 ગ્રામ ચણાનો લોટ
100 ગ્રામ અડદનો લોટ
અજમો, હિંગ, તેલ
મરચું, મીઠું, ખાવાનો સોડા.

રીત:
સૌપ્રથમ અડદનો અને ચણાનો લોટ ભેગો કરીને જોઈતા પ્રમાણમાં મોણ નાખવું. તેમાં અજમો, હિંગ, મીઠું અને ખાવાનો સોડા ઉમેરવો. ત્યારબાદ તેને મસળીને પરોઠા જેવો કઠણ લોટ બાંધવો. હવે પાટલી પર તેલ લગાડીને ભાખરી કરતાં મોટા કદનો લુઓ લેવો. તેને પાટલી પર મૂકી હાથ વળે ચોળીને લાંબો ખેંચવો. આ રીતે તૈયાર થતા ફાફડાના દરેક પડને ગરમ તેલમાં તળો. ફાફડા ફૂલીને ઉપર આવે એટલે તેને ઉતારી લો. ગરમ ફાફડા પર મસાલો તેમજ મરચું ભભરાવી શકાય. જલેબી અને કઢી સાથે તે સ્વાદિષ્ટ લાગે છે.
વધુ આગળ વાંચો »

બાળકાવ્યો – સંકલિત

[1] ઉનાળાનો તડકો – ડૉ. આઈ. કે. વીજળીવાળા

ઉનાળાનો કેવો તડકો,
જાણે ધોળો-ધોળો ભડકો !

શેરી રસ્તા ખાલીખમ, ને
પહોળી પહોળી લાગે સડકો.

બપોરના સૌ ઘરમાં બંધ,
લૂ લાગવાનો સૌને ફડકો.

પાણી છાંટો ઘરમાં બારે,
માથે ઠંડા પોતાં ખડકો !

લીંબુ-શરબત છાશ પીઓ સૌ,
કેરી રસનો લો સબડકો !

વાદળ લાવે, વરસાદ લાવે,
તેથી ગમતો અમને તડકો !
. વધુ આગળ વાંચો »

Page 1 of 712345...Last »