પુષ્પગુચ્છ – સંકલિત
[1] ચારિત્ર્યનું ઘડતર – અશોક પટેલ
‘બાળકને સલાહ, ઉપદેશ કે શિખામણથી કશું શીખવી શકાય નહિ, તે શીખે છે માત્ર તમારા ચારિત્ર્યથી’ આ બાબતને લગતી એક પ્રસંગકથા છે. એક દંપતિ પોતાના ત્રણ બાળકો સાથે પ્રવાસ કરી રહ્યા હતા. એક જગ્યાએ તેઓ પ્લેટફોર્મ પર પહોંચ્યા ને તરત જ ટ્રેન આવી ગઈ, ટીકીટ લેવાનો સમય ન રહ્યો. પતિએ કહ્યું, ‘ચાલ બેસી જઈએ આમ પણ આ ટ્રેનોમાં ખાસ કોઈ ટીકીટ ચેક કરવાવાળું હોતું નથી.’ આપણે આગળના સ્ટેશને ઉતરી જઈશું. પત્નીએ કહ્યું : ‘ટ્રેનમાં કોઈ ટીકીટ ચેક કરવાવાળું હોય કે ન હોય પણ આપણાં બાળકો આપણી સાથે છે, તેઓ આપણને ચેક કરી રહ્યા છે. આપણે ટીકીટ લીધા વગર કઈ રીતે બેસી શકીએ !’ આ ત્રણ બાળકોમાંનો એક બાળક તે શ્રી એ.પી.જે અબ્દુલ કલામ અને એ સ્ત્રી હતી તેમની માતા. (‘માતા-પિતાની પ્રેરણા’ પુસ્તિકામાંથી સાભાર.)
[2] માનવતા-ફરજ – વૃજલાલ દાવડા
એક તો વૅકેશન અને ઉપર કાળઝાળ ઉનાળો, અધૂરામાં પૂરું લગ્નગાળો, આ બધું ભેગું થતાં ટ્રેન-બસોમાં કેવી ગિરદી-હાડમારી રહે એ તો આપણે જાણીએ છીએ. આવા સમયે કોઈ પણ નાનીમોટી મુસાફરી ઝઘડા વિના કે હેરાનગતિ સિવાય ભાગ્યે જ પૂરી થઈ શકે. આવી અપાર ગિરદીમાં રિઝર્વેશન ન થઈ શકવાથી, મારી પુત્રીને મુંબઈ મૂકવા હું જામનગરથી ઊપડ્યો.
ભયંકર ગિરદીમાં બેસવું તો ઠીક, ઊભું કેમ રહેવું એ પણ એક જટિલ પ્રશ્ન હતો. જો કે જનતા જામનગરથી જ ઊપડવાને કારણે અમને જગ્યા મળી ગયેલ !! અને રાજકોટથી બે કુટુંબો વચ્ચે જગ્યા બાબત, સામાન રાખવા બાબત બોલાચાલી પરથી વાત ઝઘડાના સ્વરૂપમાં પહોંચી અને સાધારણ ગાળાગાળી, કટાક્ષ થતાં એક કુટુંબની 40-45 વર્ષની વ્યક્તિએ સામેની સહેજ આધેડ લાગતી એક વ્યક્તિને મારવા હાથ પણ ઉગામ્યો… પરંતુ બીજા મુસાફરોની સમજાવટથી મામલો થાળે પાડ્યો. એમ છતાં ભારેલા અગ્નિની માફક ઉશ્કેરાટ ચાલુ હતો.
વધુ આગળ વાંચો »
તમે હૅલિકોપ્ટર પૅરન્ટ તો નથી ને ? – કિરણ ન. શીંગ્લોત
[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.]
હૅલિકોપ્ટર પૅરન્ટ એ 21મી સદીનાં માબાપ માટે અમલમાં આવેલો એક તદ્દન નવો ચલણી શબ્દ છે. આવાં માબાપ હૅલિકોપ્ટરની માફક જ પોતાના બાળકના માથા પર સતત મંડરાયા કરતાં હોય છે. તેઓ પોતાના સંતાનને એક પળ પણ રેઢું મૂકતાં નથી. બાળકની નાનીમોટી બધી બાબતોની તેઓ કાયમ ચિંતા લઈને ફરતાં રહે છે અને તેની બાબતમાં તેમને જરાપણ ધરપત રહેતી નથી. બાળકના વર્તમાન અને ભવિષ્યની ચિંતાઓનો અપાર ભાર તેમના માથા પર એટલી હદે સવાર થયેલો હોય છે કે એમના દિવસ-રાત અને નિદ્રા-જાગરણ બધું જ બાળકમય બની જતું હોય છે.
બાળકની ચિંતા કરવી કોઈપણ માબાપ માટે સ્વાભાવિક છે. એનો ઈન્કાર થઈ શકે તેમ નથી, પણ એની એક મર્યાદા પણ હોય છે. ક્યારેક ને ક્યારેક તો બાળકને એની જાત પર છોડ્યા વિના માબાપને છૂટકો નથી. પણ જેમને હૅલિકોપ્ટર પૅરન્ટની પદવી આપવામાં આવે છે એવાં માબાપ પોતાના બાળકનું ધ્યાન કંઈક વધારે પડતું જ રાખતાં હોય છે. બાળકને એ સતત રાજાપાઠમાં રાખે છે અને એની બધી જરૂરિયાતોને પૂરી કરતાં રહે છે; તે એટલી હદે કે બાળકને એ આપમેળે કંઈ કરવા પણ દેતાં નથી. એમને બાળકના ખાવાપીવાની ચિંતા, પહેરવા-ઓઢવાની ચિંતા, સાજા-માંદા રહેવાની, ઘરની બહાર નીકળશે તો કોઈ એને ભોળવી કે છેતરી જશે એની પણ ચિંતા, અને ખરાબ સંગતમાં પડી જાય તો એના બગડી જવાની પણ ચિંતા. હવે જેમને બાળકની નાનામાં નાની વાતની સતત ચિંતા કરવાની આદત જ પડી ગઈ હોય તેમના હૃદયને શાંતિ તો કેમ જ મળે ? પરિણામે એ ઘરમાં અને બહાર, બાગમાં ને સ્કૂલમાં, રમતગમતમાં અને એના જોડીદારો સાથેના વ્યવહારમાં, ખાતુંપીતું હોય કે પછી સૂઈ ગયું હોય, પ્રત્યેક ઠેકાણે બાળક પરથી પોતાનું ધ્યાન કદી હટાવતી જ નથી. આવાં માબાપ માટે હવે જાતજાતના શબ્દો વપરાય છે. આ રહ્યા થોડા નમૂના : Helicopter parent, Military Helicopter, Curling Parent, Black Hawk Parent, Lawnmover Parent, Hovering Moms અને Pushy Dads. અંગ્રેજી શબ્દકોષ ખોલીને આ બધા શબ્દોના અર્થ ખોળી લેશો તો તમને ખ્યાલ આવશે કે પોતાના બાળકનું વધારે પડતું ધ્યાન રાખનારા અને તેમની ચિંતામાં દિવસરાત એક કરીને મરી જનારાં માબાપ માટે આવાં નામભિધાનો કેમ કરવામાં આવે છે. વાસ્તવમાં તો બાળકના ઉછેરમાં આવો અતિરેક કરનારાં માબાપ એનું ભલું કરવાને બદલે કાયમી ધોરણે નુકશાન જ કરી નાખતાં હોય છે.
વધુ આગળ વાંચો »
જાતકકથા-મંજૂષા – હરિવલ્લભ ભાયાણી
[જાતકકથાઓ એટલે જન્મકથાઓ. ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથાઓ. બુદ્ધના અનેક આગલા જન્મોમાં જે કોઈ નોંધપાત્ર પ્રસંગ, ઘટના વગેરે બન્યાં હોય તેને ગૂંથીને રચાયેલી કથા. ગૌતમ ‘બુદ્ધ’ થયા એટલે કે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એ પહેલાં તેઓ ‘બોધિસત્વ’ કહેવાયા. એટલે જાતકકથાઓને ‘બોધિસત્વકથાઓ’ પણ કહે છે. અમુક વ્યક્તિ કે પ્રસંગને ધ્યાનમાં રાખીને આ કથાઓ એમણે એમના ભિક્ષુઓ પાસે કહી હતી જે અગાઉ સિંહલી ભાષામાં લખાઈ હતી અને પાલી ભાષામાં ઈસવી પાંચમી શતાબ્દીમાં અનુવાદિત થઈ હતી. ગુજરાતીમાં હરિવલ્લભ ભાયાણી સાહેબે આ કથાઓ પર સુંદર કામ કર્યું છે. 1993માં એમણે આ જાતકકથા-મંજૂષાનો સંગ્રહ આપતાં લખ્યું છે કે મૂળમાં 547 આવી વાર્તાઓ છે જેમાંથી આ મંજૂષામાં ફક્ત 34 વાર્તાઓ જ અનુવાદિત કરાઈ છે. જેમને આ ક્ષેત્રમાં કામ કરવું હોય તે માટે માર્ગ મોકળો છે. ગમે તે હોય, પરંતુ જાતકકથાઓ ભારતીય સંસ્કૃતિના કથાસાહિત્યની અમૂલ્ય સંપત્તિ છે. અહીં, તેને પુનર્જીવિત કરવાનો એક પ્રયાસ છે..... – તંત્રી]
[1] કૃતઘ્ન માનવી, કૃતજ્ઞ જાનવર
ભગવાન બુદ્ધ એક વાર વેણુવનમાં વિહાર કરતા હતા ત્યારે એમને મારવા માટે દેવદત્ત નામનો વ્યક્તિ એમની પાછળ પડેલો. ભિક્ષુઓને આશ્ચર્ય થયું કે આ દેવદત્ત બુદ્ધને કેમ મારવા ઈચ્છે છે ? ત્યારે જિજ્ઞાસા કરતાં ભગવાન બુદ્ધે તેઓને જણાવ્યું કે ‘અત્યારે જ નહિ, આ પૂર્વેના જન્મમાં પણ દેવદત્ત મારો વધ કરવા પ્રયત્ન કરતો હતો…..’ એમ કહીને ભગવાન બુદ્ધે તેમનાં કોઈ એક જન્મની કથા શરૂ કરી.
પહેલાંના સમયમાં વારાણસીમાં બ્રહ્મદત્ત રાજા રાજ્ય કરતો હતો ત્યારે તેનો દુષ્ટકુમાર નામનો એક પુત્ર હતો. એ ખૂબ જ કર્કશ, કઠોર અને જાણે ઝેરી સાપ જેવો હતો. ગાળ દીધા વિના કે મારઝૂડ વિના એ કોઈની સાથે વાત ન કરતો. ઘરના તેમજ બહારાના લોકોને તે આંખના કણા જેવો આકરો અને રાક્ષસ જેવો ત્રાસદાયક લાગતો હતો. એકવાર તે જળક્રીડા કરવા કેટલાક મિત્રો સાથે નદીકાંઠે ગયો. એ વખતે ભારે વાદળ ઘેરાઈ ગયા. દિશાઓમાં અંધકાર છવાઈ ગયો. એણે નોકર-ચાકરોને હુકમ કર્યો કે ‘ચાલો, મને નદીની વચ્ચે લઈ જઈને નવરાવી લાવો…’ તેઓ એને નદીની વચ્ચે લઈ ગયા. નોકરોએ અંદરોઅંદર વિચાર્યું કે આને મારી નાખીશું તો રાજાને વળી ક્યાં ખબર પડવાની છે ? એમ નક્કી કરીને એણે દુષ્ટકુમારને ‘ચાલ રે ભૂંડા !’ એમ કહી ડુબાડી દીધો અને પાછા કાંઠે આવીને ઊભા.
વધુ આગળ વાંચો »
‘માનસ’ થી લોકમાનસ – રઘુવીર ચૌધરી
[પૂ. મોરારિબાપુના જીવનપ્રસંગો, સાહિત્યકારોના પ્રતિભાવો, કથા-આસ્વાદ અને મુલાકાતોનો સમન્વય કરતા સુંદર પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે આદરણીય સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરી તેમજ શ્રી સંજયભાઈ ચૌધરીનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] બેટા, આપણે સાધુ છીએ
સાતમા ધોરણમાં આવ્યા છે મોરારિ.
પ્રભુદાસબાપુ અને સાવિત્રીમા વાત કરે છે : ‘દીકરાએ તલગાજરડાથી મહુવા આવજા ચાલુ રાખીને અભ્યાસ કરવો કે મહુવામાં રહીને ? જો મહુવાના કોઈ છાત્રાલયમાં રહીને શાળાએ જવાનું થાય તો રોજના દોઢ-બે કલાક બચે.
શું કરવું ?’
સાવિત્રીબાને તો એમ કે દીકરો નજર સામે રહે તો સારું. મંદિર, મહેમાન કે ઘરના કામમાં મોરારિનો ટેકો મળી રહે છે. પણ પ્રભુદાસબાપુ બહારની દુનિયા જોઈ બદલાતા સંજોગમાં શિક્ષણનું મહત્વ સ્વીકારતા થયા હતા. સમગ્ર હરિયાણી પરિવારે જોયું હતું કે જ્ઞાન-ભક્તિ દ્વારા આત્માની કેળવણી સાથે માહિતી અને વિદ્વાન દ્વારા વધતી આધુનિક ઢબની યોગ્યતા પણ કેળવવી સારી. પ્રભુદાસબાપુને નવલકથાઓ વાંચવાનો શોખ હતો, એમાં થયેલા નવી દુનિયાના વર્ણન વિશે એ વાત કરતા.
મોરારિને મહુવામાં મૂકીએ તો ખરાં પણ એ રહેશે ક્યાં ? આ પ્રશ્નનો ઉત્તર પ્રભુદાસ બાપુને પહેલાં જડ્યો. એમને મહુવાની વાડીઓ અને છાત્રાલયોની જાણકારી હતી. યાદ આવ્યું : આહીર સમાજનું એક છાત્રાલય છે. એના સંચાલક બહુ ભાવ રાખે છે. એ રાજી થશે. આપણા સાધુ સમાજનું છાત્રાલય તો ક્યાંથી હોય ? – માના આ શબ્દો મોરારિના કાને પડે છે. છાત્રાલયમાં જગા ન મળે તેથી કોઈનો અભ્યાસ અટકી જાય એવું બનતું હશે ખરું ? પ્રભુદાસબાપુને (પિતાજી) ખાતરી હતી કે આહીર જ્ઞાતિના છાત્રાલયમાં જરૂર પ્રવેશ મળશે. અને આવકાર સાથે પ્રવેશ મળી ગયો.
વધુ આગળ વાંચો »
જીવનપ્રેરક વાતો – સંકલિત
[પુન: પ્રકાશિત]
[1] પ્રકૃતિ
કુદરતે આપણા મનોરંજન અને હળવાશ માટે સુંદર સૃષ્ટિનું સર્જન કર્યું છે. જ્યારે તણાવના ભાર તળે દબાઈ જવાની લાગણી અનુભવો ત્યારે પવનની સંગત માણો, એનું સંગીત સાંભળો. નદીકિનારે જાઓ, એના પાણીમાં પગના પંજા બોળી આસપાસનું સૌંદર્ય માણો. નદી કે સમુદ્રતટની રેતીમાં તમારી આંગળીઓ ફેરવો. હાથની હથેળીમાં મુઠ્ઠી વાળીને રેતી પકડી રાખવાનો પ્રયત્ન કરો; વારંવાર તેમ કરી જુઓ. આમાં એક અગત્યની શીખ છે. જીવનની સમસ્યાઓ પણ રેતી જેવી જ છે, એ કાયમ રહેવાની નથી, સરી જવાની છે; માત્ર આજનો સમય ધીરજપૂર્વક પસાર થઈ જવા દો. તમારા જીવન પર સમસ્યાઓને સવાર ન થઈ જવા દેશો. પ્રકૃતિની સુંદરતાને માણો. સવારનો કુમળો તડકો કે સંધ્યા સમયે સૂર્યાસ્ત પછી આકાશમાં કેસરી રંગની જે રંગોળી રચાય છે તેની સાથે એકરૂપ બની જાઓ. આકાશમાંથી પસાર થતાં વાદળોમાં જાતજાતના આકારો કલ્પો. વરસાદનું સંગીત લિજ્જતથી સાંભળો. વરસાદમાં બાળક બનીને પલળવા નીકળી પડો. ભાદરવાની નમતી સાંજે મેઘધનુષના રંગો જુઓ. કાળી ડિબાંગ રાતે આકાશમાં ટમટમતા તારાઓ સાથે મૈત્રી કરો. બાગમાં ફૂલે ફૂલે ઊડતાં પતંગિયાંને જુઓ. વૃક્ષોનાં પર્ણોમાંથી વાતા પવનનું સંગીત સાંભળો. પ્રકૃતિ સુંદરતાથી સભર છે. ધરતી, વૃક્ષો, નદી, પક્ષીઓ, આકાશ, તારાનું સૌંદર્ય તમારા જીવનને આનંદથી ભરી દેવા તમારી રાહ જોઈને બેઠું છે. પછી રાહ શેની જુઓ છો ? નીકળી પડો.
[2] જીવનનું સરવૈયુ – દોલતભાઈ દેસાઈ
માણસના જીવનની શરૂઆતમાં સરવાળાનો યુગ આવે છે. બધું જ ઉમેરવા મળ્યા કરે ! પત્ની ઉમેરાય, સંતાન ઉમેરાય, કમાણી ઉમેરાય, કીર્તિ ઉમેરાય, પચીસથી ચાળીસ સુધીની ઉંમર સરવાળાની ઉંમર હોય, આ વય દરમ્યાન માણસને બાદબાકી કરવાની ઈચ્છા જ થતી નથી. બાદબાકીનો વિચાર પણ નથી આવતો !
પછી ગુણાકારની ઉંમર આવે. ત્રીસ-પાંત્રીસથી ગુણાકાર શરૂ થાય. જે કર્યું હોય તેનું અનેકગણું ફળ મળે. માણસની રિદ્ધિ-સિદ્ધિની અવસ્થા છે એ વેળા એ ભાગાકાર વિચારતો જ નથી. પચાસની ઉંમરે માણસ ભાગાકાર કરવા માંડે. દીકરા દીકરીના લગ્નમાં ખર્ચ થાય. ઘર વસાવવામાં થાય. પોતાની આવક ભાંગીને જીવે. ભાગાકાર સમયનો થાય, ભાગાકાર શક્તિનો થાય. પચાસે નવી શક્તિ ક્યાંથી લાવે ? જે છે એમાંથી ખર્ચાતું જાય ! ને સાઠે આવે બાદબાકી ! સત્તા, ધન, કીર્તિ વડે આકર્ષાઈને લાભ લેવા જે જે આવતાં, તે હવે બાદ થતાં જાય ! કોઈ અંગત જ બે જણ મળવા આવે. માણસની બાદબાકી માણસને પજવે. એ હૈયાવરાળ કાઢે. જમાનો સ્વાર્થનો થતો જાય – માણસ એકલો પડતો જાય.
પણ જો કોઈપણ ઉંમરે આ ચારેય ક્રિયાઓ ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી સાથે જ ચાલ્યા કરે, તો માણસ સુખી થાય, પ્રસન્નતા મેળવે. પચાસની ઉંમરે માણસ સ્વાર્થની તદ્દન બાદબાકી કરે, અહમનો ભાગાકાર કરે, ધર્મ અને કલ્યાણપ્રવૃત્તિનો ગુણાકાર કરે અને અન્યનાં સુખનો સરવાળો – તો જીવન ભર્યું ભર્યું બને.
વધુ આગળ વાંચો »





