અજબ માટીના માનવી : સરદાર વલ્લભભાઈ – ડૉ. કુમારપાળ દેસાઈ
[‘જનકલ્યાણ’ માંથી સાભાર.]
નિબિડ વનમાં વરુનું સામ્રાજ્ય પ્રવર્તતું હતું. રડ્યું ખડ્યું ઘેટું લીલુંછમ ઘાસ જોઈ ચરવા આવી ગયું અને વરુના પંજાએ એને તાબે કરી લીધું. નિરપરાધી ઘેટાએ બેં બેં જેવો લાચારીભર્યો અવાજ કર્યો. પણ સમર્થનો આ ન્યાય હતો. એ જે કહે, તે ન્યાય અને ઘેટું વનનું ચોર ગણાયું. એ જીવથી હાથ ધોઈ બેઠું.
એક દિવસ એક અંગ્રેજ સાહેબ એના નોકર પર નારાજ થયો. નોકર મગજનો નબળો હશે કે સત્યનો સાહેદ હશે. બોલી ગયો કે નાના નાની ચોરી કરે, મોટા મોટી ચોરી કરે ! ન્યાય કોનો કોણ કરે ? સીતાની અગ્નિપરીક્ષા થઈ શકી, પણ શાહુકારની અગ્નિપરીક્ષા અશક્ય વાત છે. અંગ્રેજ સાહેબને જમીન-આસમાન એક થતાં લાગ્યાં. નોકરની જાત અને વળી આમ માથે ચડે ? અનેક નોકરના દેખતાં અપમાન કરે એ કેમ પોસાય ? સાહેબે નોકરને એના કૃત્યની સજા કરવાનો નિશ્ચય કર્યો. બિલાડીએ ઉંદરનો, વરુએ ઘેટાંનો કે સિંહે માનવીનો જે ઝટપટ ન્યાય કર્યો, એ ન્યાય એને મોળો લાગ્યો. રિબાઈ રિબાઈને મરે એવી સજા કરું એવો સાહેબે મનસૂબો કર્યો.
સાહેબે કોર્ટમાં કેસ દાખલ કર્યો. ચોરીનો આરોપ મૂક્યો અને સામે જબરજસ્ત પુરાવાઓ ઊભા કર્યા. કેટલાક લોકોના અંતરમાં વાંઝણી દયા હોય છે. તેઓએ કહ્યું : ‘માસ-બે માસની બિચારો સજા ખાશે, નોકરી જશે, બૈરા-છોકરાં ભૂખે મરશે.’ સાહેબ કહે છે કે, આવા માણસને માસ-બે માસની સજા હોય નહીં. વરસ બે વરસની સખત કેદની સજા પડવી જોઈએ. સાથે રોકડ રકમનો દંડ થવો જોઈએ.
‘રોકડ રકમ લાવે ક્યાંથી ?’
‘તો વધુ સજા ભોગવે. એવાને માટે ન્યાય કાંઈ મોળો થાય નહીં.’ સાહેબે કહ્યું.
‘તો તો આ ભવ એનો પૂરો થઈ જાય.’ લોકોએ અભિપ્રાય આપ્યો.
‘એમ જ થવું જોઈએ, તો નોકરજાત મર્યાદામાં રહી અદબમાં રહે, નોકર મટી શેઠ બની જાય નહીં.’ સાહેબે કહ્યું. આ વાતની નોકરમંડળને ખબર પડી. એને મિત્રોએ કહ્યું કે આવા વખતે તમાકુના છોડની જેમ પવન પ્રમાણે વળી જવું જોઈએ. તાડની જેમ અક્કડ ઊભા રહી શકાય નહીં. ધન અને સત્તા ધારે તે કરી શકે. જા, અંગ્રેજ સાહેબના પગે પડી જા, મોમાં તરણું લઈ માફી માંગ. અલ્યા, ધણીનું ધણી કોણ ? મંગળ સાહેબ પાસે ગયો. અંગ્રેજ સાહેબ તો રાતોપીળો થયો. મંગળ મોંફાટ રોયો, દયા માટે પગ પકડીને અરજ કરી. સાહેબે દયા ખાઈને કહ્યું : ‘જા, હું કહું એમ કરવું હોય તો કાલે આવજે.’
વધુ આગળ વાંચો »
ભજનાંજલિ – કાકાસાહેબ કાલેલકર
પ્રેમળ જ્યોતિ તારો દાખવી
(રાગ : માંડ-તાલ દાદર)
પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવન-પંથ ઉજાળ….ધ્રુ.
દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ.
મારો જીવન-પંથ ઉજાળ….1
ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ; દૂર નજર છો ન જાય,
દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય.
મારે એક ડગલું બસ થાય…..2
આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર,
આપ-બળે માર્ગ જોઈને ચાલવા હામ ધરી મૂઢ બાળ,
હવે માગું તુજ આધાર……3
ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષોને લોપ સ્મરણથી સ્ખલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ……4
તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લગી પ્રેમભેર,
નિશ્ચે મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમળ જ્યોતિની સેર…..5
કર્દમભૂમિ કળણભરેલી, ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર……. 6
રજની જશે ને પ્રભાત ઊજળશે, ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્યગણોનાં વદન મનોહર મારે હૃદયે વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયાં હતાં ક્ષણ વાર……7
વધુ આગળ વાંચો »
તમને શું ગમે ? એકાંત કે સંગાથ ? – હરીશ થાનકી
[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી હરીશભાઈનો (પોરબંદર) ખૂબ ખૂબ આભાર. તેઓ હાલમાં ઉદઘોષક હોવાની સાથે ‘જયહિન્દ’ અખબારમાં કટાર લેખક તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેમની વાર્તાઓ પ્રચલિત સામાયિકોમાં પ્રકાશિત થતી રહે છે. આપ તેમનો આ નંબર પર +91 9879931212 અથવા આ સરનામે hlthanki63@yahoo.in સંપર્ક કરી શકો છો.]
કૌન યાદ કરતા હૈ અંધેરે વક્તકે સાથી કો
સુબહ હોતે હી લોગ ચિરાગ બુઝા દેતે હૈ.
‘મનુષ્યની મનુષ્ય તરીકેની સૌથી મોટી વિટંબણા કઈ ?’ એવા પ્રશ્નના ઉત્તરમાં યુરોપના પ્રખ્યાત મનસવિદ સિગ્મંડ ડ્રોઈડના અનુગામી માનસશાસ્ત્રી ડૉ. કાર્લ જૂંગે કહ્યું હતું કે : ‘માણસને માણસ સાથે ફાવતું નથી અને માણસ વિના ગમતું નથી ! આ માનવજીવનની સૌથી મોટી વિટંબણા છે.’ જૂંગ સાચા છે, આ ખરેખર જ એક વિચિત્ર પરિસ્થિતિ છે. મનુષ્યની લગભગ તમામ સમસ્યાઓ અહીંથી જ વિસ્તરે છે. માનવીની સઘળી વિરોધાભાષી વર્તણુકોનું આને જન્મસ્થાન ગણી શકાય. એકાંત કે સંગાથ, બે માંથી એકપણ બાબતે આખરી પસંદગી થઈ શકતી નથી. ક્યારેક એકાંત ગમે છે, પરંતુ થોડી વારમાં તો સાવ એકલું એકલું લાગવા માંડે છે. કોઈ સાથી સંગાથીની ઝંખના શરૂ થાય છે. એવામાં કોઈ મળે છે, થોડીવાર ગમે છે, આનંદ આવે છે, ફરીથી મન ભાગે છે એકાંત તરફ.
આવું કેમ બને છે ? મનુષ્યના આનંદના મૂળિયા શામાં રહેલા છે ? એકાંતમાં કે સંગાથમાં ? રોજર ફેલી કહે છે કે પૃથ્વી પરની સમગ્ર માનવજાતને બે ભાગમાં વહેંચી શકાય; એક એવા લોકો જે પોતાના જીવનનો વધુ સમય એકાંતમાં ગાળવાનું પસંદ કરે છે. ક્યારેક ક્યારેક જ તેઓ લોકો વચ્ચે આવે છે. જ્યારે બીજા પ્રકારના લોકોને હંમેશા ભીડમાં જ રહેવું ગમે છે. તેઓ નાછૂટકે જ એકાંતમાં જાય છે. આ બન્ને પ્રકારના લોકોને વિપરીત સ્થિતિમાં જવું તો પડે છે કારણ કે એ સ્થિતિ જ તેને પોતાના અસ્તિત્વ સાથે પ્રશ્નાર્થ ઊભો કરે છે.
વધુ આગળ વાંચો »
સંસાર – પ્રકાશ લાલા
[‘ગુજરાત’ સામાયિકમાંથી સાભાર. રીડગુજરાતીને આ નાટક પ્રકાશિત કરવા માટે પરવાનગી આપવા બદલ શ્રી પ્રકાશભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9426084632. કૃપયા નાટકની ભજવણી કરતાં પહેલાં લેખકશ્રીને જાણ કરવી...]
પાત્રો :
રેખાબહેન, રાકેશભાઈ
સંગીતાબહેન, મનસુખ કાકા
બીનાબહેન, રીટાબહેન
(સ્થળ : રેખાબહેનનું ઘર. સમય : સવારના અગિયારેકનો. રેખાબહેન રૂમમાં બધું સરખું કરી રહ્યાં છે. સંગીતાબહેન આવે….)
સંગીતા : ‘રેખાબહેન, આવું કે ?’
રેખા : ‘આવો, સંગીતાબહેન, આવો….’
સંગીતા : ‘આ તો જરા મેળવણ લેવા આવી તી….’
રેખા : ‘હા તે આવોને….’
સંગીતા : ‘મેળવણ પડ્યું છે, રેખાબહેન… ?’
રેખા : ‘હા, આપું પણ બેસો તો ખરાં…..’
સંગીતા : ‘ના રે, બાપ, બેસવાનો ટાઈમ નથી. (કહેતાં બેસે.)’
રેખા : ‘કેમ, બહુ કામ છે ?’
સંગીતા : ‘રેખાબહેન, કામનું તો પૂછશો જ નહીં ? હજી રસોઈ અડધી બાકી છે. એ કરીશ ત્યાં સાસુ-સસરાને જમવાનો ટાઈમ થઈ જશે. એમને જમાડીશ ત્યાં છોકરાંઓ સ્કૂલેથી આવી જશે. એટલે એમને જમાડવાનાં, પછી હું જમીશ. ને બધું આટોપી રહીશ ત્યાં કામવાળી બહેન આવી પહોંચશે. એ વાસણ ઘસીને, કચરાં-પોતાં કરીને જશે ત્યારે બરાબર બે વાગી રહેશે. બોલો છે બેસવાનો સમય મારી પાસે ?’
રેખા : ‘ના, હોં. આપણે બહેનોને તો કામનું ચક્કર ચાલતું જ રહેવાનું !’ (કહેતાં ઉભાં થાય…)
સંગીતા : ‘રેખાબહેન, પેલી બીનાડીનો ફોન આવ્યો હતો ?’
રેખા : ‘હા…. આજે સાંજે એમના ઘરે આવવાનું નિમંત્રણ આવ્યું છે….’
સંગીતા : ‘મનેય કહેવડાવ્યું છે… તે હેં રેખાબહેન, (પાછાં બેસી જાય….) શું કામ આપણને નિમંત્રણ આપ્યું હશે ?’
રેખા : ‘એ તો ખબર નથી.’
સંગીતા : ‘તે તમે પૂછ્યું નહીં બીનાને….’
રેખા : ‘મેં પૂછેલું ને… તો કારણ ના જણાવ્યું…. કહે ચોક્કસ આવજો… સાથે બેસીને ચા-પાણી કરીશું.’
સંગીતા : ‘હં… ચા-પાણી ! એ બહુ પાકી ને ગણતરીબાજ છે. એમને એમ આપણને ચા તો શું, પાણીય પાય એવી નથી.’
રેખા : ‘તો શું કામ હશે ? સંગીતાબહેન, તમે તો બીનાબહેનને પૂછ્યું જ હશે ને ?’
સંગીતા : ‘ના રે મારી બઈ, મને તો એવી પંચાત ને લપ કરવાની ટેવ જ નથી. હું ભલીને મારું કામ ભલું… (બોલતાં બોલતાં બહાર નીકળે…. રેખાબહેન એમની પાછળ પાછળ જાય…)’
રેખા : ‘તો શું હશે ?’
વધુ આગળ વાંચો »
થવું, મેળવવું, આપવું – નાનુભાઈ દવે
[‘અખંડ આનંદ’ એપ્રિલ-1993માંથી સાભાર.]
જે જીવે તેનું જીવન એમ ના માનવું. જીવને જન્મ, વૃદ્ધિ ને મૃત્યુ મળ્યાં છે તેમ એને આહાર, નિદ્રા, ભય અને પ્રજોત્પત્તિ પણ સ્વાભાવિક છે. મનુષ્યોમાંય આ લક્ષણો તો ખરાં, પરંતુ તેનામાં કેટલીક વિશેષતા છે તેથી એ બીજા જીવો કરતાં ઊંચી કોટિના છે. એને મન, બુદ્ધિ અને અહમ મળ્યાં છે તેવાં બીજા કોઈ જીવને મળ્યાં નથી. આવી દૈવી ભેટને એ પોતે સુધારે કે બગાડે એ કામ એને સોંપ્યું છે, એ એનો પોતાનો ધર્મ છે, એના વડે એનું જીવન ઓળખાય છે.
જીવ એટલે ચેતન વડે જ્યાં ફેરફારો થતા રહે તે દેહ. દેહ વિનાના જીવની કલ્પના કરવી કે ચકિત થવું તે ચૈતન્યની હાંસી ગણાય. જીવો દેહધારી-મૂર્તિમાન હોય તો ઓળખાય કે તેની સાથે વ્યવહાર થઈ શકે. અદશ્ય રહેલા જીવોનું જગત કદાચ હોય તો પણ એમની સાથે માત્ર પ્રાર્થનાનો સંબંધ સંભવે છે. ભૂતોનો જમાનો હવે પૂરો થયો. મનનાં ભૂતોને હવે બુદ્ધિના પ્રકાશ વડે પારખવાની શક્તિ વધી છે. એવું તો બને કે મન નિર્બળ બને કે દઢ બને, બુદ્ધિ મંદ થાય કે તેજસ્વી થાય, અહમ ઊંચી ભૂમિકાઓ સર કરે કે કાયર રહે. એવા પલટા થતા જ રહે. અને એ કારણે જીવની કક્ષા ઊંચે ચડે કે નીચે ઉતરે. એવું મંથન, એવી પ્રગતિ કે એવું પતન લાવવું તેની સત્તા સઘળા જીવોમાં એકલા મનુષ્યને સોંપી છે. મનુષ્ય માત્રનો ધર્મ છે કે એણે પોતાના જીવનું-આત્માનું જતન કરવું, એનો ઉદ્ધાર કરવો. પોતાના આત્માની ઉન્નતિ સાધવા પોતે જ જાગ્રત રહેવું, એના ઉપાયો શોધવા અને એના પ્રયોગો કરવા. ખૂબી છે કે પોતાના જીવની પ્રગતિ થાય તે જેવું પોતાને સમજાય તેવું બીજા કોઈને નથી સમજાતું. સાચી દિશામાં ગમન થતું હોય તો મનુષ્યને ભીતરમાંથી સમર્થન મળવાનું ને આનંદ વધવાનો.
આ ક્રિયા રોજ થતી રહે છે, ક્ષણ પણ ખાલી જતી નથી. વાતાવરણમાં ગરમી-ઠંડી માપવાનું યંત્ર ચાલુ રહે પણ એને જોતા ન રહેવાય, તેમ છતાં એના તરફ ધ્યાન રહેવાનું, એ જાણ્યા પછી એને અનુકૂળ થતાં શીખવાનું-બચી જવાનું. ત્યારે આપણું અંતર તો સદા જાગ્રત રહે અને ચેતવતું રહે – ભૂલ થતી હોય તો ડંખે અને શુભ થયું હોય તો અંતર હસી ઊઠે-બળ વધારે. આવી વધઘટ તરફ આપણું ધ્યાન વળે અને એનું નિયમન સતત થતું રહે તો જીવે જીવ્યું પ્રમાણ છે. એ નિયમન કેવી રીતે કરવું તે જીવને સહજ છે. દશ ઈન્દ્રિયો મળી છે, ચાર અંત:કરણ મળ્યાં છે, અને અદશ્ય અને અગમ્યમાંથી પ્રેરણાઓ થતી રહે છે. આ પછી આગળ વધ્યા કે પાછળ ખસ્યા તેની સમજ પણ પડે છે. અને વળી સન્માર્ગે રહેવા નિશ્ચય થતા રહે છે. એ માર્ગ કયો છે અને તે માર્ગે રહેવા શા ઉપાય કરવા તે જીવનનું કાર્ય છે – એ માટે જીવન મળ્યું છે.
વધુ આગળ વાંચો »





