વિસલખાડીનાં સંસ્મરણો – પ્રવીણ કે. શાહ
[ડૉ. પ્રવીણભાઈના અનેક સુંદર લેખોથી આપણે પરીચિત છીએ. તેમના ઘણા લેખો આપણે અહીં માણ્યા છે. ‘એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ’માંથી નિવૃત્ત થયા બાદ હાલમાં તેઓ ‘સિલ્વરઑક કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી’ (અમદાવાદ)માં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. તાજેતરમાં તેમણે કરેલા એક સુંદર પ્રવાસનો લેખ અત્રે પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ સુંદર પ્રવાસવર્ણન મોકલવા માટે પ્રવીણભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +91 9426835948 સંપર્ક કરી શકો છો.]
જંગલો, ડુંગરા, ખીણ, સરોવર – આ બધે રખડવાનો આનંદ માણવો હોય તો ગુજરાતમાં જ ઘરઆંગણે ઘણી જગ્યાઓ છે. આવી એક સરસ જગ્યા છે ‘વિસલખાડી’. રાજપીપળાથી નેત્રંગ જવાના રસ્તે, વીસ કિલોમીટર દૂર આ સ્થળ આવેલું છે. રાજપીપળાથી આ રસ્તે, કરજણ નદી પરનો પુલ પસાર કર્યા પછી, રસ્તાની બંને બાજુ જંગલ શરૂ થઈ જાય છે. આ જંગલમાંના વાંકાચૂકા, ઊંચાનીચા રસ્તે જવાનો ઘણો જ આનંદ આવે છે. છેલ્લે એક કિલોમીટર બાકી રહે ત્યારે મુખ્ય રસ્તાની ડાબી બાજુ જંગલ તરફ વળતાં જ ‘વિસલખાડી’નું બોર્ડ નજરે પડે છે. જંગલના આ કાચા, સાંકડા, ઊંચાનીચા રસ્તે એક બાજુ ડુંગર અને બીજી બાજુ કરજણ નદીના બંધનું ક્યાંક ક્યાંક ભરાયેલું પાણી બહુ જ સુંદર દશ્ય સર્જે છે. આ રસ્તે ગાડી ચલાવવાની મજા જ કંઈ ઑર છે ! પણ જો કાળજી ના રાખો તો ગયા સમજો ! આ એક કિલોમીટરના ડ્રાઈવિંગ પછી જંગલોની વચ્ચોવચ થોડી ખુલ્લી જગ્યા દશ્યમાન થાય છે. બસ, આ જ વિસલખાડી.

આ ખુલ્લી પણ ઊંચીનીચી જગ્યામાં વનવિભાગે બે કોટેજ બાંધેલા છે. તેમાં કુલ આઠ જણ આરામથી રહી શકે છે. રસોડા તરીકે વપરાય એવી એક રૂમ અલગ બાંધવામાં આવી છે. એક બાજુ છતાવાળા એક મોટા ચોતરા જેવી જગ્યા બનાવવામાં આવી છે, ત્યાં ખુરશીઓ નાંખી બધા સમુહમાં બેસી શકે છે. ખુલ્લી જગ્યામાં છએક તંબુ બાંધવામાં આવ્યા છે. વધુ લોકો અહીં પ્રવાસે આવ્યા હોય અને કોટેજમાં જો જગ્યા ન મળે તો તંબુમાં રાત વિતાવી શકાય છે. વનવિભાગના પાંચેક કર્મચારીઓ અહીં રહે છે, તે સિવાય અહીં કોઈ ગામ નથી, માનવવસ્તી નથી, ચા-નાસ્તા કે પાનબીડીની દુકાન કે એવું કંઈ જ નથી. પાવર સપ્લાય પણ નથી. સોલાર પેનલથી રાત્રે દસ વાગ્યા સુધી લાઈટ ચાલુ રહી શકે. એ પછી ઘોર અંધકાર. ચારે બાજુ જંગલો, એક બાજુ કોટેજની નજીક ખીણ અને ખીણના ઢોળાવ પછી કરજણ નદીના બંધથી ભરાયેલું સરોવર. સર્વત્ર કુદરતે વેરેલું સૌન્દર્ય. આ સૌન્દર્યમાં ઓતપ્રોત થઈ જવાનો આનંદ અવર્ણનીય છે. અહીં મોબાઈલ ટાવર પણ નથી. તેથી અહીં એક-બે દિવસ રહો એટલે જાણે દુનિયાથી દૂર ફક્ત કુદરતના ખોળે હોઈએ તેવું અનુભવી શકાય.
વધુ આગળ વાંચો »
વિજ્ઞાન-અધ્યાત્મ – વિનોબા ભાવે
[વિશેષ નોંધ : પ્રિય વાચકમિત્રો, આમ તો આપ સૌ તમામ લેખો એકાગ્રતાથી જ વાંચતા હશો, આમ છતાં કેટલાક લેખોમાં હું આપની વિશેષ એકાગ્રતા ચાહું છું. આ લેખ તેમાંનો એક છે. ‘આપણે તે વળી ધ્યાન કરવાનો ક્યાં સમય છે ?’ એમ સમજીને કૃપયા આ લેખને એકબાજુ મુકી ન દેશો. ધ્યાનને આપણે ફક્ત અધ્યાત્મિક પ્રક્રિયા તરીકે ગણ્યું છે, જે તેનો ખૂબ સીમિત અર્થ છે. ધ્યાન એટલે આપણે આપણા મનને સ્વસ્થ કરવાની પ્રક્રિયા. એ ખુલ્લી આંખે પણ થઈ શકે છે. અહીં એ અર્થમાં ધ્યાનની વાત કરવામાં આવી છે, જે ખૂબ રસપ્રદ છે. આપણે સૌ સ્વસ્થ જીવનના ચાહક છે અને તેથી મન તેમજ ચિત્તની સ્વસ્થતા અને પ્રસન્નતામાં વધારો કરે એવી બાબતોની આપણી ખોજ સતત રહેવી જોઈએ. આવો, આચાર્ય વિનોબાના શબ્દે આપણે ધ્યાનના અર્થને એક નવા પરિપ્રેક્ષ્યમાં સમજીએ. આ પુસ્તકમાં વિજ્ઞાનનો યર્થાથ ઉપયોગ કરવાની અને અધ્યાત્મને વ્યવહારિક અર્થમાં સમજવાની બાબત પર વિશેષ સમજ આપવામાં આવી છે. પુસ્તક ખરેખર વસાવવા લાયક છે. આ વિચારો આપણા સૌ પરિવારજનો સુધી પહોંચે તે આજના સમયમાં અત્યંત જરૂરી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]
[1] ધ્યાન પ્રક્રિયાની એક રૂપરેખા
ઘણીવાર લોકો મને પૂછે છે કે તમને ધ્યાન કેવી રીતે સધાય છે ? હું કહું છું કે હું આળસું છું એટલા માટે મને ધ્યાન ઝટ સધાય છે. મને થાય છે કે આપણા મનને આપણે ચારેકોર મોકલતા રહીએ છીએ તો તકલીફ થાય છે. એવી તકલીફ શું કામ વહોરી લેવી ? તેથી મારા જેવા આળસુને ધ્યાન સહજ સધાય છે. મનને એકાગ્ર કરવા માટે મારે કાંઈ કરવું નથી પડતું. અનેકાગ્ર કરવા માટે કોશિશ કરવી પડે છે.
મારું કહેવું છે કે આ આળસુપણાની કીંમત જ્યાં સુધી લોકોને નહીં સમજાય, ત્યાં સુધી ધ્યાન સહજ નહીં બને. મનની પાછળ દોડી-દોડીને ખુવાર થતા રહેવાને બદલે મનથી આપણે અલગ છીએ, મન તો આપણું કહ્યાગરું છે, તેની પાસેથી આપણે આપણી મરજી મુજબ કામ લઈ શકીએ છીએ, એ વાતનું ભાન થવું, એ અત્યંત મહત્વનું છે. એક વાર મનથી અલગ થઈ જશો કે ધ્યાન વગેરે સાવ રમત વાત બની જશે. રાગ-દ્વેષ, તીવ્ર ગમા-અણગમા, પૂર્વગ્રહ ને પક્ષપાત, એ બધા મનના ખેલ છે. એટલે મનથી અલગ થવું, એ સાધનાનો આરંભ છે. ત્યારબાદ મનથી ઉપર ઊઠવાનું છે. મનથી અલગ થવું એક વાત છે અને મનથી ઉપર ઊઠવું બીજી વાત છે. હું તો કહીશ કે ધ્યાનની કોશિશ કરવા કરતાંયે મનથી ઉપર ઊઠવું વધારે મહત્વનું છે. મનથી ઉપર ઊઠીશું, ત્યારે પ્રત્યેક વિચાર શાંત બુદ્ધિના સ્તરેથી થશે, અને મન આપણું કહ્યાગરું થઈને વર્તશે.
વધુ આગળ વાંચો »

સાહિત્યકાર : 



