રમૂજી પ્રસંગો – મૃગેશ શાહ
[1] મારા એક મિત્રની ગામમાં સોનીની દુકાન હતી. તાલુકાનું ગામ હતું એટલે સમય જતાં ગામનો વિકાસ સરસ થયો અને ગ્રાહકોની સંખ્યા વધી. વેકેશનમાં પરદેશથી આરામ કરવા આવેલા લોકો પણ તેની દુકાને નાની-મોટી ખરીદી કરવા આવવા લાગ્યા. એ રીતે એની દુકાનમાં ગામનાં માણસોથી લઈને એન.આર.આઈ લોકો સુધીની અવરજવર રહેવા લાગી. મિત્રને થયું કે દુકાન જરાક વ્યવસ્થિત કરાવવી જોઈએ. એણે સારો એવો ખર્ચ કરીને ફર્નિચર કરાવ્યું.
એક દિવસ હું એની દુકાને ગયો. દુકાનમાં નજર ફેરવતાં ફેરવતાં મેં ત્રણ-ચાર ઘડિયાળો સામેની દિવાલ પર લટકાવેલી જોઈ. પહેલું ઘડિયાળ ઓસ્ટ્રેલિયાનો સમય બતાવતું હતું તો વળી બીજું ઘડિયાળ અમેરિકાનો સમય બતાવતું હતું. દરેક ઘડિયાળની નીચે જે તે દેશનું નામ લખેલું હતું. મિત્રને પૂછ્યું તો એણે સમજાવ્યું કહ્યું કે એન.આર.આઈ ગ્રાહકો આવે છે, એટલે આવું બધું કરવું પડે. એટલામાં મારી હાજરીમાં એક માજી દુકાનમાં પ્રવેશ્યાં. પહેરવેશ પરથી એ ગામના હોય એમ લાગતું હતું. એમણે આવતાંની સાથે જ દુકાનમાં ઝડપથી એક નજર ફેરવી લીધી અને મારા મિત્ર સામું જોઈને કહ્યું : ‘આ તેં હારું કર્યું ભઈલા ! દાગીનાની હારે ઘડિયાળેય વેચવાના ચાલુ કર્યા ! મુઆ ! અહીં તો ક્યોંય હારા ઘડિયાળ મળતા નથ !’ મિત્ર બિચારો શું બોલે ?
[2] સાહિત્યકાર મીરાબેન ભટ્ટ અને અરુણભાઈની ઘરે વારંવાર જવાનું થાય. અલકમલકની વાતો નીકળે. અરુણભાઈ ક્યારેક એવો રમુજી પ્રસંગ કહે કે કાયમ માટે યાદ રહી જાય. હમણાં થોડા દિવસ પહેલાં એમણે મને એવો જ એક પ્રસંગ કહ્યો. અરુણભાઈ કહે : ‘એક વાર અમારે ત્યાં ચુસ્ત સત્યાગ્રહી ભાઈ આવ્યા. એ જોકે સુરતથી અમદાવાદ જતા હતા પરંતુ એક રાત વડોદરા અમારે ત્યાં રોકાવાના હતા. એથી એમનું સાંજનું જમવાનું અમારે ત્યાં નક્કી થયું. નિયમો અને વ્રતોમાં કંઈક વધારે જ દ્રઢતા. થાળીમાં અન્નનો એક દાણો પણ ન બચે તેના એ ચુસ્ત આગ્રહી. અમે એ જાણતાં હતાં, તેથી એમને જરૂર મુજબની વસ્તુ જ પીરસી હતી. દાળ-શાક અને રોટલી બધું સપ્રમાણ મૂક્યું હતું. તેઓ શાંતિથી જમ્યાં એટલે અમે રાજી થયા. ભોજન પૂરું કર્યા બાદ અમે એક કૌતુક જોયું ! એ ભાઈ થાળીમાં પાણી રેડીને એ બધું જ પાણી થાળી વડે પી ગયા ! થાળી તો સાવ ચોખ્ખી ચટ્ટ. જાણે હમણાં જ માંજી હોય એવી !
વધુ આગળ વાંચો »
વાત મૂલ્યો અને સંસ્કારોની…. (ભાગ-3) – સંકલિત
[ થોડા મહિનાઓ અગાઉ ‘અખંડ આનંદ’ સામાયિક દ્વારા ‘વાત મૂલ્યો ને સંસ્કારોની...’ વિષય પર સૌને સત્યઘટના કે એ પ્રકારના જીવનપ્રસંગો પર લખવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે સંકલિત થઈને સામાયિકના કેટલાક અંકોમાં પ્રકાશિત થયા હતા. તેમાંથી આપણે થોડા સમય અગાઉ ભાગ-1, ભાગ-2 માં કેટલાક પ્રસંગો માણ્યા હતા. આજે માણીએ જાન્યુઆરી-2010ના અંકમાંથી થોડા અન્ય પ્રસંગો.]
[1] શક્તિ મુજબ જીવન જીવ – ભરત આર. જાદવ
બી.ઍડ. કર્યા પછી તે જ વર્ષે શહેરની પ્રતિષ્ઠિત શાળામાં નોકરી મળી ગઈ. શહેરના મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીં જ આવે. 70 ઉપરાંત શિક્ષકોથી ઉભરાતો સ્ટાફખંડ. બે-ચાર ને બાદ કરતા બધા વેલસેટ. મોટા ભાગના શિક્ષકો અને કેટલાક વિદ્યાર્થીઓ પણ મોંઘીદાટ બાઈક લઈને જ શાળાએ આવે, અરે કેટલાક તો કારવાળાએ ખરા, ને તેવા વાતાવરણમાં મારે પગપાળા આવવાનું બનતું. તેથી ક્યારેક સંકોચ થતો, તો ક્યારેક ખુદને કોસતોય ખરો – ‘હું પણ નોકરી કરું છું ને છતાં એક બાઈક પણ લાવી શકતો નથી.’ પછી મનોમન ઘણી ગોઠવણો કરી નવું નહિ તો જૂનું બાઈક ખરીદી લેવાનો નિર્ણય કરી, શનિવારની સ્કૂલ ભરી હું ગામડે મા-કાકા પાસે ગયો.
જુલાઈના અંતિમ દિવસો હતા. ખેતરોમાં મકાઈ-મગફળી લીલા લહેર કરતાં હતાં. ‘મા-કાકા (અમે બાપુજીને કાકા કહીએ છીએ) બન્ને ખેતરમાં મકાઈનાં નીંદણ કરતાં હતાં. હું સીધો મા પાસે જઈને બેસી ગયો. તેણે તેની હંમેશાંની આદત મુજબ શીતળ હૈયે ‘હમણાં આયો બેટા ?’ કહી માથે હાથ ફેરવ્યો. ને પડખે રહેલી છીંકણીની ડબ્બીમાંથી ચપટી ભરી હાથ નાકે મૂક્યો. કાકા પણ ખુશ થયા, થોડી ઔપચારિક વાતો પછી મેં માને ધીરેથી કહ્યું : ‘મા, મારી શાળામાં ક્રેડીટ સોસાયટી લોન આપે છે. હું વિચારું છું કે ત્યાંથી લોન લઈ એક મોટર સાઈકલ લઈ લઉં.’
માએ છીંકણીની ડબ્બી મૂકી હાથ ખંખેરતાં મારી સામે હળવા ભાવે જોયું. જાણે એ કંઈક વિચારતી હોય એવું લાગ્યું. હું કંઈ બોલું એ પહેલાં જ ખૂબ જ મૃદુ અવાજે મારી આંખોમાં આંખ પોરવી એણે કહ્યું, ‘જો બેટા, અમે હાડકાંતોડ મજૂરી કરી, ખેતરોમાં દિવસ-રાત વિતાવી તમને બધાં ભાઈ-બહેનોને ભણાવ્યાં-પરણાવ્યાં અને નોકરી-ધંધે લગાડ્યાં. ને તોય રૂપિયાનું દેવું કર્યું નથી. ને તું આજે જાતે કમાતો થયો ત્યારે દેવું કરીને મોટરસાઈકલ લાવવાની વાત કરે છે ? તને શરમ આવે છે ? જે દિવસે તારી પાસે રૂપિયા ભેગા થાય ત્યારે તારે જે ખરીદવું હોય તે ખરીદજે. દેવું કરીને આપણે મોટા થવું નથી.’ આટલું કહી તે તેના કામમાં વળગી ગઈ. મેં પણ તેની પાસે પડેલું દાંતરડું લઈ નીંદણ કામ શરૂ કર્યું, બાઈકનો વિચાર મનમાંથી કાઢી નાખ્યો. એક જ વર્ષ થયું. ‘મા’ સદેહે પાસે નથી. પૈસેટકે હાથ ચાલતો થયો છે, ને ઘણું બધું ખરીદવાની ઈચ્છા થાય છે. ત્યારે ‘મા’ની એ મુદ્રા અને શિખામણ હૃદયમાં ઊભી થાય છે અને તેણે આપેલ શક્તિ મુજબ જીવવાનો મંત્ર જાણે સિદ્ધ થયો હોય એમ ઘણા પ્રસંગોએ પ્રેરક બની રહ્યો છે. જીવનમાં સાદગી, ઓછી વસ્તુઓથી ચલાવવું, શક્તિ મુજબનો ખર્ચ કરવો જેવાં પાયાનાં મૂલ્યોનું શિક્ષણ આજે જીવનની સંજીવની બની રહ્યું છે.
વધુ આગળ વાંચો »





