Mar 24
2010

બે અક્ષર જિંદગીના – ભૂપત વડોદરિયા

[ જીવનપ્રેરક વાતોના પુસ્તક ‘બે અક્ષર જિંદગીના’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] ડંખીલા શબ્દો

એક મિત્રે કહ્યું, ‘કંઈ કારણ વગર મને એવું લાગે છે કે મારી તબિયત ખરેખર બગડી ગઈ છે. એક સમયે બધા મને હસમુખો કહેતા અને આજે હવે કોઈ ને કોઈ મિત્ર મજાકમાં કહે છે કે આવું સોગિયું મોં થઈ જવાનું કારણ શું ? કોઈ તકલીફ આવી પડી છે ? રાતોરાત જાણે મારો મિજાજ બદલાઈ ગયો હોય તેમ લાગે છે.’

જવાબમાં સોગિયું હસીને ભાઈએ કહ્યું, ‘કંઈ ખબર પડતી નથી પણ મનની અંદર આટલી હતાશા કેમ પેદા થઈ છે. વિચાર કરું તો એમ થાય છે કોઈ સમસ્યા તો છે નહીં. ઘરમાં કોઈ પ્રશ્ન નથી. બહારના બધા વહેવારો સચવાય છે. આડોશપાડોશ જોઈએ છીએ. એ અંગે પત્ની કહે છે : ‘આપણી આજુબાજુ દરેક કુટુંબમાં અને ખાસ કરીને પતિ-પત્ની વચ્ચે કડવી ઝેર બોલચાલી સાંભળીએ છીએ.’ પત્નીએ કહ્યું. મને નવાઈ લાગે છે કે તમે કે હું કદી ઊંચા અવાજે બોલ્યા હોઈએ કે આપણે ઝઘડ્યા હોઈએ એવું બન્યું નથી. તમારી મા જાણે મારી જ મા હોય એવો અમારો વહેવાર છે. કોઈ વાર એમ થાય છે કે આ સુખ શું લાંબું ચાલશે ?

કોઈ પણ બે માણસોની શાંતિ ટકાવી રાખવાની જવાબદારી કુટુંબના સભ્યોની છે. ઘણાં બધાં કુટુંબો આપણે જોઈએ છીએ અને દરેકના સ્વભાવમાં કલેશ અને કંકાસનાં મૂળ ઊંડાં ઘાલી બેઠાં છે. સાચું કહીએ તો ઘણાં બધાં કુટુંબો પૈસાવાળા હોય, ઘણી બધી સગવડોવાળા હોય છતાં આંખો લડ્યા કરે છે, નવાઈની વાત તો એ છે કે લોહીનું સગપણ છે એવા એક જ ઘરના સભ્યો મનમાં ઊંડે ઊંડે તિરસ્કારનાં મૂળ ઊંડા નાંખીને બેઠા છે. નવાઈની વાત એ છે કે પડોશી સાથે સારા સંબંધો રાખીને ઝઘડાઝઘડી નહીં કરનારા ઘરની અંદર જાણે તિરસ્કારની ઊંડી લાગણીથી વર્તી રહ્યા હોય એવું કોઈને પણ દેખાય છે. વિચિત્ર વાત તો એ છે કે કુટુંબમાં સારો પ્રસંગ હોય ત્યારે એ પ્રસંગને સુધારવા-બગાડવાની કોઈ ચિંતા કર્યા વગર કલેશ-કંકાસનો સૂર ઘણો ઊંચો જતો લાગે છે. સમાજમાં આપણે શાંતિ ઈચ્છીએ છીએ પણ આપણા પોતાના ઘરમાં જ શાંતિ ટકાવી શકતાં નથી. નવાઈની વાત એ છે કે ઘરના સભ્યો જ એકબીજાની ઈર્ષ્યા કરતાં હોય છે અને એકબીજાને શંકાની નજરે જુએ છે. ઘણાં કુટુંબોમાં કુટુંબના સભ્ય જ પોતાનાં બાળકોની વચ્ચે વેરઝેરનાં બી વાવે છે.

માણસો ઉદાર હોવાનો અને સંસ્કારી હોવાનો દાવો કરે છે, પણ કુટુંબની અંદરની વ્યક્તિની જ ઈર્ષ્યા કરતાં અચકાતાં નથી. લોહીની સગાઈવાળા માણસો એકબીજા વિશે દુશ્મન જેવું નકારાત્મક બોલે છે. એક ભાઈ એના મિત્રને કહે છે કે મારા મતે તારો ભાઈ આટલો ખરાબ તો નથી, પણ તું હંમેશા એનાં વિશે અત્યંત ઘસાતું બોલે છે. ભાઈ માટે ભાઈને લાગણી ના હોય એવો પ્રશ્ન મારા મનમાં છે. બે સગા ભાઈઓ એમના સમાજમાં એકબીજા વિશે અત્યંત ઈર્ષ્યાભર્યું ઊંચા અવાજે બોલે છે. કેટલીક સ્ત્રીઓ પોતાની મંડળીમાં પોતાના પતિ વિશે અત્યંત અણગમતું બોલે છે અને કદી એવો વિચાર કરતી નથી કે મંડળીની બીજી બહેનો એમના પતિ વિશે શું વિચાર કરતી હશે અને હું જ મારા પતિની નિંદા કરું છું. એની છાપ સાંભળનારા પર કેવી પડતી હશે.

ઘણાં બધાં લોકો અને ખાસ કરીને બહેનો પોતાની નીડરતા બતાવવા કોઈને પણ વિશે અત્યંત ડંખીલું બોલતાં અચકાતી નથી. આપણે જેને સારી રીતભાત કહીએ છીએ. એમાં કોઈને વિશે જેમતેમ બોલવું નહીં જોઈએ. એ સમજી શકાય તેવી વાત છે પણ ઝેરીલી ટીકા કરનારા એવું કહે છે કે ગમે તેવા મોટા માણસની પણ હું પરવા કરતો નથી. જેને જે માનવું હોય તે માને. હું તો ગમે તેવા મોટા માણસને મોઢે ચાર ગાળ ચોપડાવી દઉં ! ઘણા બધા માણસો એકબીજાનું ખૂબ ખરાબ બોલે છે, પણ એમને વિશે કોઈ ખરાબ બોલે છે એવી ખબર પડે ત્યારે મનમાં જ સળગી ઊઠે છે. ત્યારે તેઓ તટસ્થ રહી શકતાં નથી કે વિચારી શકતાં નથી કે બીજાને પણ આમ જ થતું હશે ને !
.

[2] સમજણનો સેતુ

એક જૂના મિત્ર મળી ગયા. તેમનો હર્યોભર્યો સંસાર હતો. બધી રીતે કુટુંબમાં શાંતિ હતી. પૈસેટકે કોઈ મુશ્કેલી ન હતી. છતાં મિત્રે અસંતોષના સૂરમાં કહ્યું, ‘આજકાલ પુત્ર-પુત્રીઓને કાંઈ પણ કહીએ છીએ તે તેમને ગમતું નથી. આપણે તો તેમના ભવિષ્યનો વિચાર કરી સલાહસૂચન કરતાં હોઈએ છીએ. છતાં મોટા ભાગે સંતાનો તેને અવગણતા હોય તેવું લાગે છે. આનું શું થઈ શકે ?’ આ સમસ્યા માત્ર આ એક મિત્રની જ નથી. આપણે સૌ જાણીએ છીએ કે લગભગ દરેક કુટુંબમાં હવે આ સમસ્યા નજરે થવા લાગી છે. માતાપિતા લાગણીપૂર્વક સલાહસૂચન કરે તેને સંતાનો પોતાના જીવનમાં દખલ કરતાં હોય તેમ ગણે.

પુખ્તવયનાં સંતાનોને મા-બાપ યોગ્ય માર્ગદર્શન, સલાહ-સૂચન જરૂર આપે, તેમાં ખોટું પણ નથી. પણ મા-બાપે સંતાનોની સ્વતંત્રતા તરફ જરાય તરાપ મારવી નહીં જોઈએ કારણ કે તેમનાં સંતાનોને પોતાનું સ્વતંત્ર જીવન જીવવાનો અધિકાર છે અને કોઈનું ઊછીનું જીવન જીવવાની ફરજ તેમને પાડવી નહીં જોઈએ. કોઈ પણ સંતાન, પુત્ર હોય કે પુત્રી, પુખ્તવય પ્રાપ્ત કરે પછી તે એક સ્વતંત્ર વ્યક્તિ તરીકેનો સમાન દરજ્જો પામે છે. તેમનું પોતાનું જીવન તેમનું પોતાનું છે અને તે કંઈ માબાપના જીવનની કાર્બન કોપી કે નકલ જેવું હોઈ શકે નહીં. દરેક સ્વતંત્ર વ્યક્તિને તેનું એક સ્વતંત્ર અલગ ભાગ્ય હોય છે. તે સારું હોય કે ખરાબ. આપણે મા-બાપ તરીકે તેમને શિક્ષણ આપીએ, શિખામણ આપીએ, સલાહ આપીએ, મદદ કરીએ પણ તેના બદલામાં આપણે પુખ્તવયના સંતાનની સ્વતંત્રતા છીનવી લઈ ના શકીએ. સંતાનોને આપણે પ્રેમના દાવા હેઠળ મિલકત ગણી ન શકીએ અને તેવો વહેવાર કરી ના શકીએ.

પુખ્તવયનાં સંતાનો અને મા-બાપોના દષ્ટિબિંદુમાં, વિચારોમાં, ધારણાઓમાં મતભેદ હોઈ શકે છે – હોવાનો જ. આ અંગે ચર્ચા કરવાનો, સમજવાનો બંને પક્ષને સરખો હક્ક છે. આ બધા પછી પણ પુખ્ત સંતાન પોતાની ઈચ્છા મુજબનો નિર્ણય લે અને એ રસ્તે આગળ વધવા માગે તો તેમ કરવાનો તેમને હક્ક છે. તેમના નિર્ણયો ખોટા કે નુકશાનકારક પુરવાર થઈ શકે છે પણ આ હકીકત તો તમામ પ્રકારના નિર્ણય માટે એક સરખી સાચી છે. યુવક કે યુવતી માતાપિતાની ઈચ્છા વિરુદ્ધ મનપસંદ વ્યક્તિ સાથે પરણે અને પછી દુ:ખી થાય તેવું બને પણ તે જ રીતે માબાપની ઈચ્છાનુસાર પોતાને ગમતી વ્યક્તિ સાથે લગ્ન કરીને પણ તે દુ:ખી થઈ શકે છે. આમ કોઈ પણ કિસ્સામાં સુખી કે દુ:ખી થવાની શક્યતાઓ એકસરખી જ હોય છે. માણસને ખૂબ અનુભવ હોય કે થોડો અનુભવ હોય. તેનો કોઈ પણ નિર્ણય મનુષ્યસહજ મર્યાદાથી બાકાત રહેતો નથી. સૌથી મહત્વની અને સમજવા જેવી વાત એ છે કે પુખ્તવયનાં પુત્ર કે પુત્રીને પોતાની કારકિર્દી અંગે અને લગ્ન અંગે સ્વતંત્ર નિર્ણય લેવાનો અધિકાર છે. તેમાં તેઓ દુ:ખી થાય ત્યારે તેમને તેની સંપૂર્ણ જવાબદારી સ્વીકારવી જોઈએ. આવી જવાબદારીઓ તેઓ સ્વીકારે છે જ. સ્વતંત્ર નિર્ણયનું આ જ લક્ષણ હોય છે. તે સમજે છે કે સ્વતંત્રતાની પણ એક કિંમત હોય છે અને તે કિંમત તેણે ચૂકવવી જ જોઈએ. પોતાના સ્વતંત્ર નિર્ણયને લીધે તેને ઈનામ જેવું જ કંઈ ફળ મળે તો જે આનંદથી તે સ્વીકારે છે એવા જ આનંદ સાથે તેણે દંડ કે શિક્ષા જેવું ફળ પણ સ્વીકારી લેવું જોઈએ.

આપણે જોઈએ છીએ કે અનેક પુખ્ત યુવક-યુવતીઓ મા-બાપોની મિલકતવૃત્તિ અને પોતાની સ્વાતંત્ર્ય ઝંખના વચ્ચે ભારે વિમાસણ અનુભવે છે. એ મૂંઝવણ અને દ્વિધામાંથી નિરાશા અને વિમાસણમાંથી તેમને બહાર કાઢવાની જવાબદારી વડીલોએ સ્વીકારવી જોઈએ. જીવનની ગંભીર બાબતો અંગે નિર્ણય કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે એવી હૈયાધારણ પણ તેમને આપવી જોઈએ. સંતાનોએ પણ માબાપ અને વડીલોનાં સલાહસૂચનોને પ્રેમની નિશાની ગણી યોગ્ય સંદર્ભમાં લેવી જોઈએ. મા-બાપ અને સંતાનો વચ્ચેનો આ સમજણ સેતુ જ સંસારને જીવવા અને માણવા યોગ્ય બનાવશે.

[કુલ પાન : 136. (Two color printing) કિંમત રૂ. 200. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર, દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22139253.]

comments  આપના પ્રતિભાવો

કુલ 6 પ્રતિભાવો : “બે અક્ષર જિંદગીના – ભૂપત વડોદરિયા”
  1. 1
    જગત દવે says:

    આ જિંદગી નો ‘બે અક્ષર’ નો કોયડો કોઈ ઊકેલશે????? :-)

    બે ઉત્તમ રચનાઓ ‘કોયડાઓ’ માં અટવાઈ ગઈ….!!!!!!!!! :-)

    મૃગેશભાઈ…….રીડ-ગુજરાતીનાં વાંચકોનો આ કોયડો પણ સમજવા જેવો છે. :-)

    ખરેખરતો એક ‘જોકસ સંકલન’ અને એક કોયડાઓ નો ‘લેખ’ (?) એ અનુક્રમ રાખ્યો હોત તો કદાચ બંને ને ન્યાય મળત.

  2. 2

    સમજણનો સેતુ સરસ લેખ.દુનિયામાં મા-બાપ તથા સંતાન એકબિજાને સમજિને ચાલે તો દુ;ખ જેવુ રહે જ નહિ,

  3. 3
    Chetan Tataria (ચેતન ટાટારીયા) says:

    ખુબજ સુંદર અને વાસ્તવિકતા સભર લેખ. આજે આવા ઘણા કિસ્સાઓ જોવા મળે છે. ભાઈઓ ભાઈઓ વચ્ચે તિરસ્કારની ભાવના જોવા મળે છે. ઇર્ષ્યા અને કપટ જોવા મળે છે. સમાજમા પોતાના જ સ્વજન વિષે ઘસાતુ બોલે છે અને લોકો તેને ફક્ત મનોરંજન માટે સાંભળતા હોય છે. એવા પણ લોકો હોય છે કે જે બે ભાઈ વચ્ચેના કટુ સંબધોનો ફાયદો ઉઠાવે છે અને ખોટી ઉપજાવી કાઢેલી વાતો કરી વધારે ફુટ પડાવે છે.

    “સમજણનો સેતુ ” ખુબજ સરસ લેખ. સંતાન જ્યારે મોટા થાય ત્યારે તેમની સાથે એક મિત્ર તરીકે વ્યવહાર કરવો જોઇએ. સંબધ એવા વિશ્વાસનો રાખો કે તમારા સંતાન તમારાથી કઈ ન છુપાવતા તમને બધી વાતો કરે. તેમને એક મોકળાશ(space) આપો જેમા તેઓ સ્વતંત્રપણે વિચારી શકે….પોતાના નિર્ણય લઈ શકે. મા-બાપ આખી જીંદગી એમની સાથે નથી રહેવાના એટલે આગળ જતા બધા નિર્ણય એમને જાતેજ કરવાના છે તો પછી હમણા કેમ નહી. મા-બાપ ની પાસે અનુભવ વધારે છે કારણકે એમને વધારે દુનિયા જોઈ છે. તો એ અનુભવથી માર્ગદર્શન જરુર કરવુ રહ્યુ.

    ભૂપતભાઈ વડોદરિયા નો ખુબ ખુબ આભાર આટલા સરસ લેખ બદલ.

    - ચેતન ટાટારીયા

  4. 4
    ઈન્દ્રેશ વદન says:

    બંને સરસ લેખ.
    સમજદાર વ્યક્તિઓ હોવા છતાં પતિ-પત્નીમાં લડાઈ કેમ થાય છે, એ એક ગૂઢ રહસ્ય..!!!

    બીજા લેખનો સંદેશ કે માતા-પિતાએ સંતાનો ને કારકિર્દિ અને લગ્ન બાબતે સંપૂર્ણ સ્વતંત્રતા આપવી જોઈએ, is easier said than done. આજની પેઢી પોતે જે ઈછ્છે છે, એ જ કરે છે. જો મા-બાપ અયોગ્ય પસંદગીમાં વિરોધ દર્શાવે, તો એ સ્વાભાવિક છે. Smart kids will make their parents see through their point of view, make them understand and appease them. Imbecile ones will rebel and suffer the consequences.

  5. 5
    Vipul Panchal says:

    ખુબજ સુંદર અને વાસ્તવિકતા સભર લેખ

  6. 6
    pushpa r rathod says:

    lekh to lekh che, vastvik jivan tddan viruddh che, gharni darek vyktina mat juda hoy che,darek vyktino gamo-angamo pan judo hoy che, avij rite anubhav ane vatavern adhrit hoy che,ema vli sanskarni vat, kutubma balvan athva vdil vyktino prabhv ane tnu acharan kutubni imprssion banave che.vadil vyktine badhni jode sarkho swbhav athwa teoma iswariy gun” jema maru bhalu ema kutubnu bhali” vicharu jruryat che, potani faraj nibhavam sjag rahevu jruri che. ek kutubni bhwnama tyag prem dharm shanti vishwsh bhuj mahtvana che.

આપનો અભિપ્રાય

આપને આ કૃતિ કેવી લાગી ? આપનો અભિપ્રાય જણાવો...
પ્રતિભાવમાં આપની તસ્વીર મૂકવા માટે અહીં નામ નોંધાવો : Gravatar.com