આ લોકમાં ને પરલોક માંહે
વસી રહેલા સહુ પ્રેમીઓને
મેં પ્રશ્ન પૂછ્યો : ‘નિજ ચાહનારાના
કાજે કર્યો ત્યાગ તમે, કહો શો ?’
ત્યાં બોલ્યું કો, ‘મેં મુજ મા-પિતાનું
વાત્સલ્ય ઠેલી પિયુ સંગ લીધો.’
ને કો વદ્યું, ‘મેં મુજ વારસાની
અખૂટ સંપત્તિ ત્યજી, ત્યજી ઘર
પ્રિયા તણો હાથ ગ્રહ્યો ખરેખર !’
ને કોઈ કહે, ‘પ્રીતમ-માંદગીમાં
મેં શુશ્રુષા કરી સદા અનિમેષ નેને
ખર્ચી દીધું સઘળું સ્વાસ્થ્ય જ મારું સ્નેહે.’
ત્યાં સાદ જાગે ગત કોઈ પ્રાણનો:
‘બચાવવાને મુજ પ્રેયસીને
મેં તો- અકસ્માત થકી –કરેલ
આત્મા તણું અર્પણ પ્રેમભીનું.’
કોઈ વદ્યું, ‘પ્રીતમ-મૃત્યુ સ્હેવું
ના લાગતાં શક્ય કરી દીધું’તું
મેં એમની સંગ જ અગ્નિસ્નાન.’
બોલી ઊઠે કો મૃતનો અવાજ
ત્યાં: ‘પામતાં ઈચ્છિત પ્રેયસી ના
મેં પથ્થરે શિર કૂટી દીધું મમ.’
ને આમ લાખ્ખો સ્વર પ્રેમ-ત્યાગની
કથા તણાં સપ્તક કૈં ગુંજાવતાં
જાગી રહ્યા’તા……
……………………..….ત્યહીં મૂંગી મૂંગી
સામાન્ય સ્ત્રી કો સુણતી હતી બધું.
મેં પૂછ્યું એને બહુ, બોલી અંતે,
‘મેં સ્વામીને ‘અન્ય’ ગણ્યા કદી ના
મારા થકી કેમ કહું કર્યો છે
કૈં ત્યાગ મેં એમની કાજ કો દી ?’
6 thoughts on “ત્યાગ ? – ગીતા પરીખ”
સુંદર…
જે ત્યાગ દેખાય છે તે ચર્ચાય છે…બાકી ન દેખાતા ત્યાગ ને ક્યાં ગણાય છે?
જોરદાર!
તેન તય્ક્તેન ભુન્જિથા………………
થોડા દિવસ પહેલા એક મિત્રે sms કર્યો હતો
પ્રેમ એ કંઈ પત્રો નો ઢગલો નથી કે નથી કોઈ હોટલ માં ડીનર ને નથી દરિયા કિનારે હાથ માં હાથ નાખી ને ચાલવું
પ્રેમ તો છે ત્યાગ, સમજુતી, સહન શક્તિ , સ્વીકાર ….
ગીતાબેન,
પ્રેમ અને ત્યાગની સંપૂર્ણ સાચી વ્યાખ્યા આપી. સચોટ અને સુંદર કાવ્ય. આભાર.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
Your poems are always thought provoking.
I have long appreciated them in. KUMAR
Thanks for reappearing on this site.