[‘પત્રયાત્રા’ પુસ્તકમાંથી આપણે થોડા સમય અગાઉ કેટલાક મનનીય વિચારમોતીઓ ભાગ-1 અને ભાગ-2 રૂપે માણ્યા હતા. આજે માણીએ ભાગ-3માં કેટલાક વધુ વિચારમોતીઓ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી મહેન્દ્રભાઈ ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427572955 સંપર્ક કરી શકો છો.]
[1] દુનિયાને ઊંધા ચશ્મા
વગડામાં ઊગેલા-ઊભેલા વડલાની છાયામાં બેસી વનવાસી ઉનાળાની બપોરે નિરાંતે જમતો હોય છે, તે જ સમયે શહેરનો શ્રીમંત તડકાની લૂમાં શેકાયા બાદ એ.સી. કમરામાં લંચ લેતો હોય છે ! તેના બ્રેકફાસ્ટ-લંચ-ડીનર વચ્ચેના સમયમાં તાણભરી દોટ હોય છે…. કેટલા ફોન, કેટલી મીટીંગ, કેટલી નોટ્સ, સતત તનાવ અને રાત પડ્યે પણ ઊંઘનો અભાવ અથવા સપનામાં ભાગમભાગ… લોકો આવા જીવન જીવનારને સુખી કહે છે અને પેલા વનવાસીને દુઃખી ગણે છે. આ રિવાજ બદલવા જેવો નથી લાગતો ? (પણ આપણું માને કોણ ?)
[2] મંથન
પુરાણો મુજબ દેવો-દાનવોએ મળી સાગર-મંથન કર્યું હતું અને પરિણામે વિષ અને અમૃત નીકળ્યા હતા. માનવીનું હૈયું સાગરથી પણ અફાટ-અમાપ-અતળ છે અને તેમાં સદૈવ મંથન થતું રહે છે. વિષ-અમૃત નીકળ્યા કરે છે. વેરઝેરના વિખવાદી-વિષાદી વિષ અને સ્નેહના શીતળ અમૃત…. એના કારણે ઈતિહાસ રચાતો રહે છે અને ભૂગોળ બદલાતી રહે છે… છાશની ગોળીમાં મંથન કરવાથી નવનીત નીપજે… પાણીની ગોળીમાં આવું કરીએ, તો શું થાય ? – પ…ર…પો….ટા !!
[3] રોબોટ દેવતાભ્યો નમઃ
માણસ સતત કામ કર્યા જ કરે, મંડ્યો જ રહે, બધું ભૂલીને દિવસ-રાત મથ્યા જ કરે…. તેણે ખરેખર કામમાંથી સમયાંતરે અવકાશ મેળવી, ખૂલ્લા ઘાસિયા મેદાનમાં લંબાવી શાંત ભાવે આકાશ જોવું જોઈએ. વહેતી નદીના સ્વચ્છ જળમાં પગ ઝબોળી આનંદ મેળવવો જોઈએ, પરિવારના સૌથી નાનકડા બાળક સાથે બાળક બનીને રમવું જોઈએ, ખડખડાટ હસવું જોઈએ, ગીત ગૂંજવા જોઈએ, અમાસની રાત્રે તારક-વૈભવ માણવો જોઈએ, જંગલના વૃક્ષોના ડાયરામાં ભળવું જોઈએ…. જો આમ કરે, તો હાર્ટ એટેક, બી.પી., ડાયાબીટીસના ડૉક્ટરો નવરા ધૂપ થઈને દરિયે જઈને બેસે ! (છે કોઈનામાં હિંમત ?)
[4] વિના મૂલ્યે…મૂલ્યવાન
સાચી પ્રશંસાનો એક શબ્દ થાકેલા પદયાત્રીને કેટલાય કીલોમીટર ચાલવાનું બળ પૂરું પાડે છે. પ્રોત્સાહનનું એક વચન ઉત્સાહીને અનંત ગગનમાં ઊડવાની પાંખો આપે છે, એક માયાળુ સ્મિત દુખિયારાને દિલાસો આપે છે, થોડાક જ મધુરા શબ્દો અડાબીડ બંધ એવા હૃદયના દ્વાર ખોલી આપે છે, માણસ આખેઆખો ઊઘડી આવે છે. વળી આશ્ચર્ય એ છે કે, આ બધું પૈસા ખર્ચ્યા વિના, તદ્દન મફત થાય છે અને આશ્ચર્યનું આશ્ચર્ય એ છે કે, તેમ છતાં ભાગ્યે જ કોઈ આ અજમાવે છે !!
[5] અસલ-નકલ
ઈમીટેશન જ્વેલરી પર ગોલ્ડ પ્લેટીંગ કામ કરતા એક ભાઈ મળ્યા…. પૂછ્યું, ‘સોનાના દાગીના પર ઢોળ ચડાવો છો ?’ જવાબ – ‘એની શું જરૂર ?’ જવાબરૂપે મળેલા સવાલમાં જ જવાબ હતો ! જે નકલી દાગીના છે, તેને જ પ્લેટીંગ કરવું પડે છે… વધારે પડતી ટાપટીપ, બ્યુટી પાર્લરનો અનિવાર્ય આશ્રય, મોંઘાદાટ ઘરેણા અને વસ્ત્રો – આ બધાની સામે તંદુરસ્તીસભર સાદગી પ્રપૂર્ણ સૌન્દર્ય ધરાવતી સંસ્કારી યુવતીના વ્યક્તિત્વની મહેક અલગ જ ન હોય શકે ? સાદા વ્યવસ્થિત વસ્ત્રોવાળો માનવી તેના ઉચ્ચ વિચાર/આદર્શ/સંસ્કારને કારણે આપોઆપ આદર મેળવે છે…. દા..ત, મહાત્મા ગાંધી !
[6] જય હો જીવનનો !
ધરતીને ફાડીને ઊગતું ઘાસનું તણખલું પણ જીવનનો જય દર્શાવે છે. કાળમીંઢ પથ્થરની તિરાડમાં પડેલું નાનકડું બીજ અંકુરિત થઈને વૃક્ષરૂપે મ્હોરે છે, વિકસે છે, વિલસે છે, તે જીવનના વિકાસની પ્રક્રિયાનું નિર્દેશક છે – તે આપણને મૌન ભાષામાં સમજાવે છે કે, વિષમ પરિસ્થિતિમાં વિકસવું – એ જ ખરો જીવન-વિજય છે. જગતના વિવિધ ક્ષેત્રોમાં ટોચની સફળતા મેળવનાર દરેક મહાપુરુષોની જીવન-ગાથા વાંચતા-સમજતા આ વાત સહેલાઈથી સમજાય છે. અનુકુળ સ્થિતિમાં સૌ કોઈ પાંગરે, પ્રતિકુળ સ્થિતિમાં પાંગરવું – એ જ ધન્યતા છે !
[7] માપો નહીં, પામો
પૃથ્વી પરનો મોટા ભાગનો માનવ-સમાજ દુઃખી છે, તેના વિવિધ કારણોમાંનું એક કારણ છે – અન્યને માપવાની ટેવ… માણસને એ કુટેવ છે, બીજાને સતત માપ્યા કરવાના… પોતાની ફૂટપટ્ટી નાની છે, તે જાણવા છતાં આવી પ્રવૃત્તિમાં તેને ન જાણે કેવી ‘મજા’ પડે છે ! માણસને ‘માપવા’ને બદલે જો ‘પામવા’ની વૃત્તિ આવે, તો જગતભરની વિષમતા-વિટંબણા આપોઆપ દૂર થઈ જાય. માપવા જતાં છિદ્રાન્વેષી દષ્ટિ કામ કરે. પામવામાં શુદ્ધ સ્નેહ-અનર્ગળ પ્રેમ સક્રિય બને… સામેનાને પામવા પ્રયાસ કરવો, એટલે આપણી નિર્વ્યાજ લાગણીની અભિવ્યક્તિ કરવી ! (પડઘો પડ્યા વગર રહે ?)
[8] એકાંત
સંસારના સઘળા ઘોંઘાટ વચ્ચે, અનેક લોકોની આવનજાવન વચ્ચે, સારા-માઠા પ્રસંગોમાંથી પસાર થતાં, ગમતી-અણગમતી પ્રવૃત્તિની જંજાળ વચ્ચે, દિવસની જબ્બર વ્યસતતા વચ્ચે કે રાત્રિના ઊંઘના અભાવે ગોથાં ખાતા, ખુશીના માહોલમાં કે ગમગીનીની સ્થિતિમાં – જેને પણ પોતાનું એકાંત મેળવતા આવડી ગયું તે જીતી ગયો ! પોતીકા એકાંતની વિશિષ્ટ મનોમય સ્થિતિમાં જે થોડા શ્વાસ લઈ શકે છે, તે ગમે તેવા ઊંડાણમાં તરી શકે છે, બાકી – ડૂબનારાને આપણે ક્યાં નથી જોયા ?
[9] ચાર અક્ષરનો મહામંત્ર – ‘ટૂંકું કરો.’
પોતાની વાત કે વિચારને સુઘડરૂપે સંક્ષિપ્તમાં રજૂ કરવામાં એક કલા છે, જે બહુ ઓછા સમજે છે. ઘણાને લાંબી રીતે, માંડીને વાત કરવાની ટેવ હોય, તે સાંભળનાર માટે ત્રાસદાયક બની રહે ને એવી વ્યક્તિ વાત કહેનારને ‘લપિયા’માં ખપાવી દે ! સારા શબ્દોમાં શક્ય ટૂંકી રીતે, છતાં સ્પષ્ટ રીતે વિચારને મૂકવો અઘરો છે. વાત લંબાવવાથી વાદ-વિવાદના ગંદા ખાબોચિયા રચાય, વકીલોનો વ્યવસાય વધે, અદાલતો ચાલતી રહે. ક્યારેક તો વાતના મૂળમાં કાંઈ ન હોય ને હાઈકોર્ટમાં હાલતી હોય ! મૂળ મુદ્દાને પકડી જાણે છે અને કોઠાસૂઝથી સમજી શકે છે, સરવાળે તેઓ જ જીતે છે !
[10] સત્યમ
નાનકડા ગોળા જેવી પૃથ્વી પર જ નહીં, સમગ્ર બ્રહ્માંડમાં એક અફર નિયમ પ્રવર્તી રહ્યો છે, તે છે સત્યનો. ગાંધીજીએ સત્ય એ જ પરમેશ્વર કહ્યું, એ શબ્દો આત્માના તેજ સમાન છે. સત્યને ખાતર હરિશ્ચંદ્ર, સોક્રેટીસ, જીસસ, હઝરત મોહમ્મદ, ગાંધી જેવા અનેક આત્મબલિદાન આપી ગયા. આત્યંતિક રૂપે (છેવટે) સત્ય જ જીતે છે. આજના યુગમાં પણ નાના નાના ગાંધી/સોક્રેટીસ સત્યની ઉપાસના કરતા હશે ને સમાજની ઉપેક્ષા સહન કરતા હશે…. જગતની માનવજાતનો ઈતિહાસ કબૂલે છે કે, માનવજાતે સત્યના આરાધકોને જીવતા પીડ્યા અને મૃત્યુ પછી પૂજ્યા ! સત્યને સુવર્ણના આવરણથી ઢાંકવાના પ્રયાસો પણ થયા, પણ અટલ-અફર-શાશ્વત-ચિરંતન-વૈશ્વિક સત્તાના પાયામાં સત્ય જ રહેલું છે.
[11] શબ્દ-બીજ
વિશાળ મકાન-મિલકત કે બહુ મોટું ખેતર કે જમીન હોય, તેના દસ્તાવેજના કાગળો (તેના પ્રમાણમાં) ઘણા જ નાના હોય છે અને આ દસ્તાવેજી કાગળોમાંના છેલ્લા કાગળના અંતે તેના માલિકની સહી (હસ્તાક્ષર) તો સાવ નાનકડી હોય છે…. આટલી નાની સહીથી તે મિલકતનું દાન થઈ શકે, ગીરો કે વેચાણ થઈ શકે…. તેમ ક્યારેક ઉચ્ચારાયેલો એક જ નાનકડો શબ્દ અનંત શક્યતાઓના દ્વાર ખોલી નાખનાર બની રહેતો હોય છે ! કાનમાં પ્રવેશી હૈયાની ભૂમિમાં કોઈ શબ્દનું બીજ પડે, તો ઘેઘૂર વૃક્ષ તેમાંથી ઊગી જાય ! (વાલિયો લૂંટારો વાલ્મીકિ ઋષિ બન્યો !!)
[12] એક માટીનું કોડિયું, તેની જ્યોત અપરંપાર !
ઈલેક્ટ્રીસીટી ન હતી, ત્યારે વૈભવી ઘરોમાં ફાનસ અજવાળું રેલાવતા અને બાકીના સાધારણ ઘરોમાં કોડિયામાં અજવાસ પ્રગટતો. દીવાળીના દિવસોમાં ઘર ને ડેલીના ટોડલે કે ગોખલામાં આવા કોડિયા પ્રકાશની જમાવટ કરતાં, વળી નોરતામાં ગરબામાં નાનું કોડિયું પેટાવી મૂકાય અને નાનકડી જગદંબાના મસ્તક પરની ઈંઢોણી (આ વસ્તુ પણ ગઈ ને શબ્દ પણ ગયો !) પરના ગરબાના કાણામાંથી તારલિયા જેવું અજવાળું શેરીમાં રમતું જતું ! કોડિયું ભલે વિસરાયું, પણ સમજણનું તેલ પૂર્યું હોય, તેવા મનના કોડિયામાં વિવેકની વાટ દ્વારા આત્મજ્ઞાનનો પ્રકાશ તો ફેલાય જ ! મનનું કોડિયું – આતમદીપના અજવાળા !
14 thoughts on “પત્રયાત્રા (ભાગ-3) – પ્રો. ડૉ. મહેન્દ્ર છત્રારા”
ધરતીને ફાડીને ઊગતું ઘાસનું તણખલું પણ જીવનનો જય દર્શાવે છે.
વિષમ પરિસ્થિતિમાં વિકસવું – એ જ ખરો જીવન-વિજય છે.
ખુબ સુન્દર વાત………..
સુંદર સંકલન.
verry nice….Reading is a good habit but it is not enough to read only…untill u will ready to use it practically…..thanks
ખરેખર સાચુ ચ્હે ,બધિ વાતો જિવન મા ઉતાર્વિ જોઇએ…
ખૂબ જ સરસ સંકલન.
ઘણો આભાર,
નયન
અતિ સુંદર વિચાર મોતીઓનું ઝુમખું – માત્ર સજાવટ (એટલે કે વાંચીને બાજુમાં મૂકવા) માટે નહિ, પરંતુ ધારણ કરવા (આચરણમાં ઉતારવા) માટેનું ઘરેણું.
એક પણ વાત ગમી નહી. આવું બધું સુષ્ઠુ સુષ્ઠુ લાગે એવું લખવામાં અને વાંચવાની મજા આવે એનાથી એક પણ વધુ ઉપયોગ છે નહિ. જો આવી જ રીતે કરવાનું હોય તો માણસ નક્કામો થઇ જાય અને પ્રગતિ ક્યાંયે થાય જ નહિ. કદાચ ફરી પાછો એ ગુફા માનવ કે પાષાણ યુગમાં પાછો ફરે. માનવોની મહત્વાકાંક્ષાઓને કારણે તો આ પ્રગતિ થઇ છે જેનાથી તમે આ લેખ વાંચી શકો છો!
દરેક વાતમાં અહી પ્રગતિની ટીકા કરવામાં આવી છે..ઈલેક્ટ્રીસીટી કરતા દીવાઓ સારા એવો છુપો સુર નીકળે છે, વનવાસી જે પોતાનું નાનું કે મોટું ઘર ના બનાવી શકે પણ જંગલમાં એમ નેમ ફર્યા કરે એ પ્લાન સાથે જીવતા વ્યક્તિ કરતા સારું એવું બતાવ્યું છે.
આ બધું વાંચવાને સારું છે. સુષ્ટુ છે. પણ આવા બોધપાઠનો કોઈ અર્થ નથી. હકીકતમાં આવું બધું લખીને મહેનત કરીને પ્રગતિ કરનાર લોકોને એમ કહવામાં આવ્યું છે કે તમે લોકો જે કરો છો એ બધું વ્યર્થ છે અને એના કરતા ગામમાં રહેતા લોકો જે સવારે ઉઠે અને આખો દિવસ બકરી ચરાવે એ લોકો વાસ્તવમાં મહાન છે અને તમે એ બધું છોડીને એવું બકરી ચરવો ને એવું બધું કરો એવું કહે છે.
એનો અર્થ એવો નથી કે મહેનત અને પ્રગતિ ઈચ્છનારા લોકો સ્વાર્થી અને નાલાયક થઇ જાય. બધાને છેતેરે અને સમાજનું નુકશાન કરી નાખે. એ લોકો એ પણ બેલેન્સ લાઈફ જીવવી જોઈએ પણ બીજું બધું છોડીને બકરી ચરાવી, વનવાસી થવું, કોડિયા સળગાવવા, એક સહી કરીને તમારા ઘરોને દાન આપી દેવા એવું થોડું કરાય?
લેખકો જયારે સ્વપ્ન સૃષ્ટિમાં વિહાર કરતા હોય ત્યારે ઈવું બધું લખી પડે. એવુંયે લખે કે અમ્બેરીકામાં પેલા જે વોરેનભાઈ બુફેટ છે એને ક્યાં કશું આવડે છે? આપણા બિલ ગેટ્સ ભાઈ કરતા સારો પોગ્રામ તો મારો લાલો લખે છે (લાલો એપ્ટેક કોમ્પુટરમાં પૈસા આપીને માંડ ત્રણ ટ્રાયલે પાસ થયો હોય કાં પપ્પા માટે કોમ્પુટર પર ગ્રીટિંગ કાર્ડ ચાપી લાવ્યો હોય). શ્રી શ્રી રવિશંકરની વાત નીકળે તો એમ પણ લખી શકે કે આ જે આર્ટ ઓફ લીવીંગ વાળા રવિભાઈ ને મારી જોડે મોકલો, હું એમને આર્ટ ઓફ લીવીંગ શીખવું. એવું બધું. વાસ્તવિકતા અને મહેનત, મહત્વકન્ક્ષા એ બધું મોટે ભાગે એમના વાસ્તવિક જીવન અને લખાણથી તદ્દન વિરુદ્ધ હોય.
એટલે તો એક લેખક વર્ષો થી લખે છે એમને મેં ધીરુભાઈ અંબાણીને એમના લેખમાં કઈ રીતે વેપાર કરવો એમની સલાહ આપતા વાંચ્યા (અને ધંધો તો દુરની વાત, પોતાની પત્નીને પણ એ સાંભળી નથી શક્યા). એટલે આવો બધું સુષ્ટુ લખીને થોડી કલમ ચલાવી લે પણ એ લખાણ ને અને એમના જીવનને કોઈ તાલમેલ ના હોય. પ્રેક્ટીકલી તો બધું સાવ જ ઈમ્પોસીબલ.
એક લેખક કહે છે કે ખરી મજા તો ઉનાળાની ગરમીને માણવાની છે. પ્રખર તડકો સુર્યની સુંદર કૃપા છે અને ધરતીમાતાને આપેલુ વરદાન છે. તડકો નથી તો જીવનનો પણ અર્થ નથી. ઉનાળો એ તો ઈશ્વરનું વરદાન છે. વાહનોથી માણસોની ચાલવાની પ્રાકૃતિક ઈચ્છા મારી ચુકી છે. અને ચાલવાનો આનંદ વિસરાઈ ગયો છે. એમને ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદથી ગાંધીનગર સાહિત્ય મંડળમાં મે મહિનામાં ચાલતા મોકલો તો શું થાય? તડકાનો, પ્રકૃતિના વરદાનનો આનંદ લેતા લેતા, પ્રાકૃતિક પદ્ધતિથી ચાલતા જાઓને ગાંધીનગર? વિદ્યાપીઠથી ઉસ્માંન્પુરા પણ ચાલતા જઈ ના શકાય!! અને ખાલી ખાલી લેખ લખી પાડે કે “આજનો માણસ ચાલવાનું ભૂલ્યો છે”
સરસ રીતે વાત સમજાવી કે કેમ યુવનો સાહિત્યથી અળગા થઈ જતા હશે? મને પણ ઘણી વાર લાગે છે કે સાહિત્યમાં શૌર્ય, પ્રગતિ, વિકાસ કે, વર્તમાન સમસ્યઓના ઉકેલ કરતાં, ભૂતકાળ અને વર્તમાનની સરખામણીથી ‘જુનું બધું સોનું’ એવું જ બધા ઠસાવ્યા કરે છે. અમુક વખતે કેટલીક વાતમાં નવું યોગ્ય દિશાએ ના જઇ રહ્યું હોય, પણ બધે એવું ના હોય.
‘ગરમી વાળા લેખ વખતે પણ મને તમારા જેવા જ વિચારો આવેલા. વચ્ચે શિક્ષણ પધ્ધ્તિમાં પણ બળાપો વ્યક્ત કરતાં લેખો હતાં. જેમાં બધું જુનું જ સારું..વગેરે…વગેરે…પણ ઉકેલ સ્વરુપે શું શું થઇ શકે એમ કોઇ કેમ લખતું નંઇ હોય?
આજે મેં સવારે પહેલો વિચારબિંદુ વાંચીને આગળ વાંચવું છોડી દીધું હતું. હમણાં થયું લાવ, એક નજર મારું પણ તમારો પ્રતિભાવ મને વધારે ગમ્યો.
સિક્કાની બીજી બાજુઃ
અમુક લેખો ખરેખર ‘ખૂબ જ સુંદર’, વાસ્તવિક, જીવનઉપયોગી હોય છે. મોટેભાગે બધી જ સત્યઘટનાઓ હ્રદયના ઉંડાણ સુધી પહોંચે છે.
અને આવા સુંદર લેખો આપણાં સુધી પહોંચાડવા બદલ, મૃગેશભાઇનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો.
વિરેનભાઈ,
માફ કરશો પરંતુ આપનો અભિપ્રાય તટસ્થ નથી.પુર્વગ્રયયુક્ત છે. અહિ સનાતન સત્યોનો મહિમા કરવામાં આવ્યો છે, નાનાની સમર્થતાને ઉજાગર કરીને તેની મોટાઈ સમજાવવામાં આવી છે, સાદા અને સંતોષી જીવનની યથાર્થતા સમજાવવામાં આવી છે … અને આ બધુ લાઘવમાં ઉદાહરણ સાથે સમજાવીને જીવન જીવવાની કલા શીખવવામાં આવી છે. વાઙગમય આવું બધુ શીખવવા – સમજવા માટે જ છે ને ? સાચી અને સારી વાતોનો પ્રચાર અને પ્રસાર પણ જરુરી નથી શું ? શાંત ચિત્તે વિચારશો તો જરુર સમજાશે.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
દુનિયાને ઊંધા ચશ્મા
વિરેન ભાઈ
આપનો અભિપ્રાય અમુલ્ય ગણાય, પરંતુ સમતોલ
અભિપ્રાય વધારે સારો રહેત એમ હું માનુ છુ.
અકબર અલી નરસી
ખરેખર સાચુ ચ્હે ,બધિ વાતો જિવન મા ઉતાર્વિ જોઇએ…
સઘળા વિચારો મને તો ખુબ જ સક્ષીપ્ત, સુન્દર્, અને સચોટ લાગ્યા!!
લેખક પાસે, આવા વધુ લેખોની અપેક્ષા સહીત ધન્યવાદ !!!