[ સત્યઘટનાઓ પર આધારિત સંવેદનકથાઓના પુસ્તક ‘ફૂલગુલાબી કિસ્સા’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી કિરીટભાઈનો (જામનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879401852 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] પેપરમાં પત્ર….
ધોરણ નવનાં વાર્ષિક પરીક્ષાનાં ગુજરાતી વિષયના પેપર્સ હું તપાસી રહ્યો હતો. પચીસેક પેપર્સ જોવાઈ રહ્યાં. મારા મનમાં રાજીપો છવાઈ ગયો. નિબંધ, અહેવાલ, અર્થ-વિસ્તાર, પ્રશ્નોત્તરી એમ બધાં વિભાગોમાં વિદ્યાર્થીઓ ખીલ્યા હતા. એકથી એક ચડિયાતાં પેપર જોઈને મને મારું ભણાવ્યું એળે ગયું નથી- એ વાતની ખાતરી અને આત્મસંતોષ થયાં.
એવામાં અચાનક એક પેપર પાસે મારે અટકવું પડ્યું. એ પેપરમાં પુછાયેલ એક પણ પ્રશ્નનો જવાબ લખેલ નહોતો. પણ એનાં બદલે દોઢેક પાનાં પર સુંદર અક્ષરોમાં એક પત્ર લખાયેલો હતો ! મને નવાઈ લાગી. આટલા સુંદર અક્ષરો થતાં હોવા છતાં આ વિદ્યાર્થીએ પ્રશ્નોના જવાબ લખવાને બદલે પત્ર શા માટે લખ્યો હશે ? વધારે કંઈ જ વિચાર્યા વિના જિજ્ઞાસાવશ હું એ પત્ર વાંચવા લાગ્યો…..
‘સર, તમને તો ખબર જ છે ને કે હું કેવા પ્રકારનો વિદ્યાર્થી છું ! હું ક્યારેય ફરિયાદનો મોકો આપતો નથી. ક્યારેય તોફાન પણ કરતો નથી. રખડવાનો તો મને સમય જ ક્યાં મળે છે ? હવે તો મિત્રોની સાથે રમવાનું પણ બંધ થઈ ગયું છે. સર, તમને યાદ છે ? તમારા કહેવાથી ત્રણ મહિનામાં મેં મારા અક્ષરોમાં કેટલો સુધારો કરી બતાડેલો !’ હું સહેજ અટક્યો, તરત જ મારા મનમાં ઝબકારો થયો- આ તો જીતેનનું પેપર ! પણ એણે આવું શા માટે કર્યું ? એ તો રેગ્યુલર સ્કૂલે આવનાર અને સારા માર્કસથી પાસ થનાર વિદ્યાર્થી છે ! મારા કહેવાથી આઠમા ધોરણમાં હતો ત્યારે તેણે ત્રણ જ મહિનામાં પોતાના ગરબડિયા અક્ષરો સુધારી બતાવેલ ! પછીથી તો એ મારો પ્રિય વિદ્યાર્થી બની ગયેલ !
ફરીથી મેં જીતેનનો પત્ર આગળ વાંચવાનું શરૂ કર્યું :
‘સર, વાત જાણે એમ છે કે છેલ્લા બે મહિનાથી હું ભણવામાં બરાબર ધ્યાન જ આપી શક્યો નથી. એનું કારણ એ છે કે હવે મારા પપ્પાને કામમાં મદદ કરાવી રહ્યો છું. તમને તો કદાચ ખ્યાલ જ હશે કે અમારે લોન્ડ્રીનો ધંધો છે. પપ્પા એકલા કામમાં પહોંચી વળતા નહોતા. કારીગર રાખવાનું પોસાય તેમ નહોતું. સતત પપ્પાને એકલા હાથે કામ કરતા અને તાણ ભોગવતા જોઈને મેં વિચાર્યું કે હું જ શા માટે પપ્પાને મદદ ન કરું ! શરૂઆતમાં તો હું માત્ર સાંજે બે કલાક કપડાં લેવા-આપવા જવાનું કામ જ કરતો હતો. પરંતુ ધીમે-ધીમે મને બધાં કામ આવડી ગયા અને હું એમાં ગૂંથાઈ ગયો. પછી તો સ્કૂલે પણ નામમાત્રનું આવવાનું રહ્યું. મારું મન તો હંમેશા કામની ચિંતામાં જ ડૂબેલું રહેતું. સ્કૂલેથી છૂટ્યા પછી તરત જ હું લોન્ડ્રીએ જાઉં. પપ્પાની સાથે ટિફિનમાં જમી લઉં અને પછી કામે વળગી જાઉં. રાત્રે રોજ લગભગ નવ-દશ વાગ્યે ઘેર પહોંચું. જમીને હાથમાં ચોપડી લઉં ત્યાં તો ઊંઘ આવી જાય….. કામના લોભે પપ્પા મને લેસન કરવાનું કે વાંચવાનું ન કહે અને એમને મદદ કરાવવાની ધૂનમાં હું હવે લગભગ વિદ્યાર્થી રહ્યો જ નથી !
આમાં પરીક્ષાની તૈયારી શી રીતે થઈ શકે ? હું જાણું છું કે વાંક તો મારો જ છે ! પણ હું પરિસ્થિતિની સામે હારતો ગયો છું અને આજે જ્યારે પેપર લખવા માટે પેન ઉપાડું છું ત્યારે કશું જ યાદ આવતું નથી ! હા, યાદ આવે છે મારું કામ અને પપ્પાનો સંતુષ્ટ ચહેરો ! મારે આગળ ભણવું છે પણ કઈ રીતે ભણું ? અત્યારે તો કરોળિયાની જેમ જાળમાં ફસાઈ ગયો છું ! એમાંથી છૂટવાનો કોઈ માર્ગ મને સૂઝતો નથી. આમેય આ વર્ષે તો હું નાપાસ જ થવાનો ને ? ચિઠ્ઠીઓ રાખીને કે બાજુમાંથી જોઈને પેપર લખવું એ તો યોગ્ય નથી ને, સર ? તમે હંમેશા મને પ્રોત્સાહન અને સારા સંસ્કાર આપ્યા છે અને આજે હું ચોરી કરું ? ના, એ તો ક્યાંથી બને ? પણ હા, અત્યારે મને તમારી કહેલી એક વાત યાદ આવે છે : તમે કલાસમાં અવાર-નવાર કહો છો કે માણસથી ગમે તેવી ભૂલ થાય કે ગુન્હો થાય તો તેણે નિખાલસપણે કબૂલાત કરી લેવી જોઈએ !
સર, મને ખબર નથી કે મેં ભૂલ કરી છે કે ગુન્હો ! પણ મનમાં કંઈક ખોટું થયાની લાગણી જન્મી છે એટલે આ રીતે પેપરમાં પત્ર લખીને તમારી સમક્ષ કબૂલાત કરી રહ્યો છું. મને એકપણ પ્રશ્નનો જવાબ આવડતો નથી એટલે ‘પાસ’ કરી દેવાની વિનંતી તો ક્યાંથી કરી શકું ?! હા, થઈ શકે તો મને માફ કરી દેજો, સર !
તમારો વહાલો વિદ્યાર્થી,
જીતેન.’
પેપરમાં લખાયેલ આ પત્ર વાંચીને મારી આંખો ભીંજાઈ ગઈ. મારું મન મૂંઝવણમાં મુકાઈ ગયું- જીતેનને હું પાસ કરું કે નાપાસ ?!
.
[2] ભૌમિકનો ડર
નવમા ધોરણના વર્ગમાં હું ગુજરાતી વિષયના તાસમાં ‘હાજી કાસમ તારી વીજળી….’ લોકગીતની ચર્ચા કરી રહ્યો હતો. એ કાવ્યના સંદર્ભ રૂપે મારી પાસે એક અખબારમાં છપાયેલ લેખનું કટિંગ હતું. એ લેખ આપણા એક અભ્યાસી લેખકનો હતો. એમાં વિસ્તૃત રીતે કાસમની વીજળી ડૂબી ગયાની ઘટના વિશે ચર્ચા કરવામાં આવી હતી. એમાં ‘વીજળી’નું મૂળ નામ ‘વૈતરણી’ હોવાનો એક મત રજૂ થયો હતો. લેખ વર્ગમાં વંચાઈ રહ્યા પછી વર્ગના સૌથી નાનકડા પણ અત્યંત જિજ્ઞાસુ એવા વિદ્યાર્થી ભૌમિકે ઊભા થઈને પૂછ્યું :
‘સર, મને એક પ્રશ્ન થાય છે…..’
‘હા, પૂછ !’ મેં તેને કહ્યું.
‘સર, આ લેખ વાંચતાં-વાંચતાં તમે ‘વૈતરણી’ શબ્દ બોલ્યા, એનો અર્થ શો થાય ?’ ભૌમિકે પૂછ્યું.
‘વૈતરણી એક નદીનું નામ છે, ભૌમિક !’ મેં તેને કહ્યું.
‘નદી ? પણ ક્યાં આવેલી છે આ નદી ?’ ભૌમિકની જિજ્ઞાસા વધી ગઈ.
‘આ નદી અહીં પૃથ્વી પર નથી !’
‘તો ?’
‘એ તો માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે જ એને જોઈ શકે !’
‘એટલે ? હું કંઈ સમજ્યો નહીં, સર ! એવી તે વળી કેવી નદી ?’
‘એ નદી માણસે મૃત્યુ પછી પાર કરવાની હોય છે ! અને વૈતરણી નદી બહુ ભયંકર હોય છે. એમાં ચિત્ર-વિચિત્ર જીવ-જંતુઓ હોય છે, જે આપણને ખૂબ પરેશાન કરે છે….’
‘ચિત્ર-વિચિત્ર એટલે કેવાં, સર ?’
‘પૃથ્વી પર કદી ન જોયાં હોય એવાં !’
‘ઓહ !’ ભૌમિકના મોંમાંથી ઉદ્દગાર નીકળી ગયો. એ સાથે જ મારો તાસ પણ પૂરો થયો. હું વર્ગની બહાર નીકળી ગયો.
બીજે દિવસે સવારે બીજો જ તાસ મારે ફ્રી હતો. હું લાઈબ્રેરી રૂમ તરફ જઈ રહ્યો હતો. એવામાં દાદરા પાસે મેં ભૌમિકને બેઠેલો જોયો. તે નીચું જોઈને છેલ્લા પગથિયા પર બેઠો હતો. મને નવાઈ લાગી. હું તરત જ તેની પાસે ગયો. મેં તેને પૂછ્યું, ‘શું થયું ભૌમિક ? અહીં કેમ બેઠો છે ?’
ભૌમિકે મારી સામે જોયું. તેનો ચહેરો ઉદાસ હતો. તે કશું બોલ્યો નહીં. મેં ફરીથી તેને પૂછ્યું : ‘શું થયું ? તું આમ અહીં કેમ બેઠો છે, ભૌમિક ? તને કોઈએ કાંઈ કહ્યું છે ? કે પછી કોઈ સમસ્યા ઊભી થઈ છે ?’
‘સર…! સર…..!’ એટલું બોલતાં તો નાનકડા ભૌમિકની આંખોમાં આંસુ આવી ગયાં.
‘શું વાત છે, ભૌમિક ? તું રડે છે ?’ મેં તેને પૂછ્યું.
‘સર, મને ચિંતા થાય છે….’ ભૌમિક બોલ્યો.
‘ચિંતા ? શાની ચિંતા ?’ મેં નવાઈભેર તેને પૂછ્યું.
‘સર, તમે કાલે કહેતા હતા એ વૈતરણી નદીમાં ખરેખર ચિત્ર-વિચિત્ર પ્રાણીઓ હોય છે ? મને તો બહુ ડર લાગે છે, સર ! શું થશે ?’ ભૌમિક બોલ્યો.
‘અરે, ભૌમિક, એ તો બધી વાતો છે, પુસ્તકમાં લખેલી ! એનો કોઈ આધાર નથી.’ મેં કહ્યું.
‘પણ તમે તમે તો કહેતા હતા કે આપણાં શાસ્ત્રોમાં એમ લખેલું છે ! અને શાસ્ત્રની વાત તે કદી ખોટી હોઈ શકે ?’ ભૌમિકે કહ્યું.
‘પણ એ શાસ્ત્રો…..’ હું આગળ કશું બોલી ન શક્યો. મને મારી ભૂલ અત્યારે સમજાઈ. મારે વર્ગમાં આવી વાત કરવી જ નહોતી જોઈતી ! આપણાં શાસ્ત્રો, પુરાણોની આવી કંઈ કેટલીય વાતો ભૌમિક જેવા કુમળા બાળકના માનસ પર કેવી વિપરિત અસર કરે છે એનો પ્રત્યક્ષ પુરાવો મને આજે મળ્યો ! મને કાલ માર્કસનું પેલું વાક્ય યાદ આવ્યું – ‘ધર્મ ભયમૂલક છે !’ આપણો ધર્મ, આપણાં શાસ્ત્રો સદીઓથી આજ કામ કરે છે ને ? કાલ્પનિક વાતોમાં અટવાઈને આપણે જીવનનો વાસ્તવિક આનંદ ક્યાં સુધી ગુમાવ્યા કરીશું ?
[કુલ પાન : 98. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : ડિવાઈન પબ્લિકેશન્સ. 30, ત્રીજે માળ, કૃષ્ણ કૉમ્પ્લેક્સ, જૂનું મોડલ સિનેમા, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22167200. ઈ-મેઈલ : divinebooks@mail.com ]
14 thoughts on “ફૂલગુલાબી કિસ્સા – કિરીટ ગોસ્વામી”
Really nice…also both stories tells the reality …..one shows to adjust with situation …and the second one tells how our Religious books , SO CALLED – bani bethela_ DharmaGurus…manipulate minds of children as well in many case adults too…..
* note: Just my opinion..Bandh Besti Topi na peherava Request..
બન્ને સંવેદના સભર વાર્તાઓ
Nice stories.
ખુબજ સંવેદનશીલ પ્રસંગો.સંવેદના વિના આવા પ્રસંગોનું આલેખન ન થઇ શકે.ખરેખર સંવેદનશીલ શિક્ષક જ સંવેદનશીલ સમાજનું નિર્માણ કરી શકે.
અભિનંદન.
I liked both stories. Simple yet direct.
ખુબ સુંદર વાર્તા અત્યંત સંવેદનશીલ વાર્તા છે.આંખો માં આંસુ આવી ગયાં.
આભાર લેખકશ્રી નો આટલાં સુંદર લેખ આપવાં.
અત્યંત સંવેદનશીલ .બિલકુલ કિરીટ જેવી જ કથાઓ
Very Nice stories. Sometimes when our kids asks about such Kathas or shastra we don’t have good answer because we had only listen such stories we did not go in deep. In this days kids needs to know the details.
ખરેખર ખુબ જ્ સુન્દર્ વાર્તા કહેવાય દરેક student કાશ jiten અને bhoumik જેવો હોય તો કેવુ સારુ આ વાર્તા ખુબ જ દિલચશ્પ જિતેન નિ વાતમા તો તેના પિતા જવાબદાર કહેવાય કેમકે તેમને પોતના દિકરા માતે થોદુ વિચારવુ જોઈએ પન bhoumik એના માએ એમ કહિએ કે આપના ધર્મ ના નિયમો અને માન્યતાઓ એવિ હોય તો આપનથિ કઈ થાય તેમ નથિ
very nice and deep story i like and i thik i refer to my family to read this story
Both incident so cute n nice….
both are nice stories!!! publish more stories like these!!!its nice one!!
Fascinated .
ખુબ સુન્દર હ્ર્દય સ્પ્રર્શિ સત્ય્ઘટનાઓ !!!
બને ત્યા સુધિ ઢન્ગ ધડા વગરનિ ધાર્મિક ગેરમાન્યતાઓમાથિ બહાર કાઢવાનુ કામ સાહિત્ય જગતે જુદા જુદા મિડિયા દ્વારા કરે તો અતિસુન્દ !!!