કોઈ સગાં થાવ છો ? – ચંદ્રશેખર પંડ્યા
ઊગતું મુખારવિંદ, લાલીમાગ્રસ્ત અને આથમતો ચહેરો રૂપાળો,
ગ્રીષ્મે તો ધારદાર કિરણોથી ત્રસ્ત છતાં હેમંતે તનમન હૂંફાળો.
તમે સૂરજનાં કોઈ સગાં થાવ છો ?
ભરતીના પૂર સમી ઊછળતી ઊર્મિને, અટકાવે લજ્જાની ઓટ,
સામુદ્રીની ફૂલ તણું સંકોરાવું ને નથી છીપ અને મોતીની ખોટ
તમે સાગરનાં કોઈ સગાં થાવ છો ?
રૂઠો તો ગર્જના ને રીઝો તો ભીંજવતાં આખ્ખુંયે આયખું અમારું
આષાઢી ધોધમાર, શ્રાવણમાં સરવરિયાં, જે કંઈ પણ નામ હો તમારું.
તમે વાદળનાં કોઈ સગાં થાવ છો ?
આવા-ગમને તમારી ફોરમ મહેકે ને ઓલી કૂંપળના ઝુંડ ત્યારે ફૂટે
મહોર્યાં ગુલમ્હોર લાલ, પીળા ગરમાળા, ને કેસૂડા ખૂટતાં ન ખૂટે.
તમે ફાગણનાં કોઈ સગાં થાવ છો ?
ધીમું હસો છો જાણે પાંગરતું પુષ્પ અને સ્પર્શે લજામણીનો છોડ
વૈશાખી વાયરાને ચાળી ખાળીને વળી છાંયો દેવાના છે કોડ.
તમે વૃક્ષોનાં કોઈ સગાં થાવ છો ?



ખૂબ સુંદર…….મઝા આવી ગઈ.
અતિ સુન્દર – ફરિ ફરિ વાચવાનુ મન થાય એવિ સરસ કવિતા
ખુબ જ સુંદર!!!!!
અતિ સુન્દર
સુંદર તુલનત્મક નિરુપણ . માણવાનું ગમે એવી રચના. આમ નર્યું કુદરતનુ સૌંદર્ય શબ્દે શબ્દે નીતરે છતાં મન્ભાવન વ્યક્તિત્વ જોડે કમાલનો તાલમેલ .
આ લઘુ કાવ્ય માં કવિએ જે લાઘવ થી પ્રકૃતિ ને સજીવ કરી છે તે મહા કવિ કાલિદાસ ના પ્રકૃતિ સજીવારોપણ ને યાદ કરાવે છે.
પ્રકૃતિ ને સજીવ કરી આલેખી જાણો છો
ભાવો ને લાઘવ થી રજૂ કરી જાણો છો
તમે કાલિદાસ ના કોઈ સગાં થાવ છો?
પડ્યાસાહેબ,
જુઓને … નલિનીબેને બધું કહી દીધું… હવે મારે શું કહેવાનું ..?
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
khobe saras…