વિચારબિંદુઓ (ભાગ-6) – મૃગેશ શાહ

[ આસપાસના જગતને જોતાં જે કંઈ સ્ફૂર્યું તે છેલ્લા કેટલાક સમયથી ‘ફેસબુક’ પર સાચવવાનું શરૂ કર્યું. આ પ્રક્રિયા અંતર્ગત કેટલાક વિચારબિંદુઓ અગાઉ ભાગ-1 થી 5 રૂપે પ્રકાશિત કર્યા હતાં જે એ પછીથી પુસ્તિકારૂપે ઉપલબ્ધ થયા હતા. ત્યારપછીથી લખાયેલા કેટલાક વિચારબિંદુઓનો અહીં ભાગ-6માં સમાવેશ કર્યો છે. ]

[1] વેબસાઈટની ક્લિકના આંકડા એ મંદિરોની ભીડ જેવા હોય છે. આટલા બધા લોકોને મંદિર જતા જોઈને તમે એમ માનો કે દુનિયા ભક્તિભાવમાં ડૂબી ગઈ છે તો એ તમારો ભ્રમ છે. એ જ રીતે વેબસાઈટ વિઝિટર્સના મોટા મોટા આંકડાઓની માયાજાળ જોઈને કોઈ એ એમ કદી ન માની લેવું જોઈએ કે ઓહોહો… લોકો કેટલું બધું વાંચે છે !

[2] મોડી સાંજે જમ્યા બાદ પરિવારજનો સાથે એકાદ કલાક બેસવાનો, વાતો કરવાનો સમય પણ જો ન મળતો હોય તો દોડાદોડ કરીને એવી સંપત્તિ ભેગી કર્યા બાદ કરવાનું શું ? ઘણા લોકોને પૈસા કમાવવાનો નશો હોય છે. મોંઘવારી, જીવનની અનિશ્ચિત્તત્તાઓ અને સંતાનોની સગવડો તો માત્ર બહાનું હોય છે ! એથી જ તો આપણે ત્યાં કહેવત છે કે : ‘ભોગવે તે ભાગ્યશાળી’. નસીબવાળા લોકો જ જીવનનું બરાબર આયોજન કરી શકતા હોય છે, બાકી ના તો દુનિયાને જોઈને ઢસડાયા કરે છે ! ગુણવંત શાહ કહે છે કે : ‘જે પૈસો આનંદમાં કન્વર્ટ નથી થતો એવો પૈસો કમાવવા સમય વેડફવા જેવો નથી.’

[3] મન એ સમુદ્ર છે. દેવ અને દાનવ જેવા વિચારો તેને ચોવીસેય કલાક મથ્યા જ કરે છે. પરિણામ સ્વરૂપે તેમાંથી ક્યારેક હળાહળ વિષ જેવા તો ક્યારેક અમૃત જેવા વિચારો પણ નીકળે છે. લક્ષ્મીની પ્રાપ્તિ પણ મનથી થાય છે. આ મન સમુદ્રની જેમ અનેક સ્મૃતિઓને સંગ્રહીને બેઠું છે. ખરેખર, મન જ માણસની સાચી ઓળખ આપી દે છે.

[4] કૃષ્ણ જ ગોકુળથી મથુરા જાય છે એવું નથી. આપણે સૌએ જવું પડે છે. બાળપણથી યુવાનીમાં પ્રવેશ એટલે કે રમતો ભૂલીને જવાબદારી સ્વીકારવાની શરૂઆત એ જ મથુરાગમન છે.

[5] જેવી રીતે કેરી, તડબૂચ, નાળિયેર રસવાળાં ફળ છે પરંતુ એ રસ કંઈ બહાર દેખાતો નથી, એ રીતે આ જગત અત્યંત રસથી ભરેલું છે, પરંતુ ઉપર-ઉપરથી રોજિંદુ જીવન જીવનારને એ રસ બિલકુલ દેખાતો નથી. ઉલ્ટું, એમાં ફળની છાલ જેવો કઠણ અને ભારે સંઘર્ષ છે એમ દેખાય છે. સાહિત્ય, સંગીત કે અન્ય કોઈ પણ કલાને આત્મસાત કરનારો તુરંત જાણી લે છે કે આ જીવનમાં રસ કઈ રીતે મેળવી શકાય છે.

[6] આનંદ તો બધાને હોય છે પરંતુ આપણો આનંદ જેટલો સુક્ષ્મ થતો જાય એમ તે સ્થૂળ વસ્તુ પર આધારિત નથી રહેતો. જેમ કે પિત્ઝા ખાવાના આનંદ કરતા પુસ્તક વાંચવાનો આનંદ વધારે સુક્ષ્મ છે. બાળકને તો પુસ્તકની પણ જરૂર નથી પડતી. એ કોઈ પણ કારણ વગર ઘોડિયામાં એકલું એકલું હસે છે કારણ કે એનો આનંદ અંદરથી પ્રગટ થાય છે.

[7] પચાસ વર્ષ સુધી કમાઈને એ પછી વર્લ્ડ ટૂર સહિત અનેક ભાત ભાતની પ્રવૃત્તિઓ કરવા ઈચ્છનાર વ્યક્તિ એમ માને છે કે જાણે જિંદગી એ કોઈ ઑડિયો કેસેટ છે અને એની ‘A’ સાઈડ પૂરી થશે એટલે ‘B’ સાઈડ વગાડી લઈશું ! હકીકતે એમ કદીયે બનતું નથી. તમે જેવા છો તેવા જ બની રહો છો. રૂપાંતરની ઈચ્છા રાખનારે ખૂબ અગાઉથી ધીમા પ્રયત્નો કરવા પડે છે.

[8] જીવનની સાર્થકતા જો વસ્તુઓથી સિદ્ધ થઈ શકતી હોત તો આપણા પૂર્વજોના જીવન સાવ નકામા ગણાયા હોત ! કારણ કે એમના સમયમાં મોબાઈલ, લેપટોપ કશું જ નહોતું. જીવનની સાર્થકતા સિદ્ધ થાય છે પ્રસન્નતા, આનંદ અને શાંતિમાંથી. આ બધી જ વસ્તુઓ અને જેને આપણે ‘વિકાસ’ કહીએ છીએ તે શું આપણા જીવનમાં પ્રસન્નતા, આનંદ અને શાંતિમાં વધારો કરે છે ? જો જવાબ ‘ના’ હોય તો આપણા કરતાં આપણા પૂર્વજો વગર સાધનોએ વધારે સુખી હતા એમ માનવું રહ્યું.

[9] જેનું મન નિરંતર અભ્યાસી નથી, એના મનમાં દરિયાની જેમ હર્ષ-શોકના મોજાં પુષ્કળ આવે છે. તોફાની બાળકની જેમ એનો બધો જ સમય એના મનને વ્યવસ્થિત કરવામાં જાય છે. જીવનમાં વાંચનને અપનાવનાર વ્યક્તિને આવા કોઈ પ્રયાસો કરવા પડતાં નથી. એનું વિકસિત મન સહજ રીતે જ ખૂબ જલદીથી શાંત થઈ જાય છે.

[10] કોઈ પણ મૉલમાં બગીચા જેવો ભાવ રાખીને ફરીએ તો કોઈ પ્રશ્ન નથી. બગીચામાં લખ્યું હોય છે કે ફૂલોને દૂરથી જુઓ, અડકશો નહીં. મૉલમાં જતી વખતે એક સુત્ર યાદ રાખવું : ‘દૂરથી જુઓ, ખરીદશો નહિ !’

[11] તમારી ઘરે સત્યને જમવા બોલાવશો તો એ એકલું જ આવશે. પણ જૂઠને જમવા બોલાવશો તો બીજા અનેક જૂઠને લઈને આવશે. જૂઠને એકલા રહેવાનું ફાવતું જ નથી. એ હંમેશા ગ્રુપમાં જ રહે છે. એકલાઅટૂલા જૂઠને સત્યનો ખૂબ ભય હોય છે.

[12] કેટલીક આડઅસરોને કારણે અમુક દવાઓ સવારે ખાલી પેટે લઈ ન શકાય તેવી હોય છે. નોંધવા જેવી વાત એ છે કે સવારે મન પણ ખાલી હોય છે. એ શાંત અને પવિત્ર મનમાં રોજ સવારે અખબાર અને ટીવીના હિંસા, બળાત્કાર, ચોરી, આત્મહત્યાના ખ્યાલો ભરી દેવાથી તેની ઘણી આડઅસરો થતી હોય છે. સવારમાં આવા સમાચારો ધ્યાનપૂર્વક વાંચનારને ડિપ્રેશન ન આવે તો જ નવાઈ ! આ સુષ્ટિમાં ભરેલા અપાર સૌંદર્યને નિહાળવા માટે કોઈક ટાગોર જેવાની આંખે દુનિયા જોવી જોઈએ, નહીં કે અખબારના સમાચારોની દષ્ટિએ….

[13] કોઈના ઘરે પુસ્તક મૂકી આવવું એ બૉમ્બ મૂકી આવવા બરાબર જ છે. કારણ કે એક ઉત્તમ પુસ્તકનું વાંચન કેટલીય ખોટી માન્યતાઓના ફૂરચા ઉડાડી દે છે. કેટલાય કુવિચારો બ્લાસ્ટ થઈ જાય છે અને માનવીની આખી ચેતનાનું રૂપાંતર થઈ જાય છે.

[14] ઘડિયાળ સમયને દર્શાવે છે, પરંતુ એ સમયને માપી નથી શક્તું. સમયનું માપન બદલાતા જતાં સબંધો, માનવીઓના સ્વભાવ અને વિચારોના બદલાવથી કરી શકાય છે. એથી જ આપણે લોકોને એમ કહેતાં સાંભળીએ છીએ કે ‘આવી કોઈક ઘટના અમુક વર્ષો પહેલાં બની હોત તો એ લોકોએ આમ કર્યું હોત.’ કહેવાનો અર્થ એ છે કે : બદલાતી જતી પરિસ્થિતિઓ પ્રમાણે માનવીમાં જે પરિવર્તન આવે છે, એ જ બદલાતા જતા સમયનું સાચું માપન છે.

[15] સારા ગુણો કેળવવા એ તો અઘરું છે જ પરંતુ સારો શોખ કેળવવો એ પણ એટલું જ અઘરું છે. કોઈ પણ સારી ટેવ સમય માંગે છે. તેમાંય સંગીત, સાહિત્ય વગેરે તો ખાસ ! એના ઊંડાણને સમજવા માટે આપણે ઊંડાણ કેળવવું પડે છે. એને આંબવા માટે આપણે ઉડાન ભરવી પડે છે. ક્યારેક જો એની સાથે સંબંધ તૂટી જાય તો ફરીથી એકડો ઘૂંટવો પડે છે. કોઈ પણ કલા સાથે માનવીનો બહુ નાજૂક સંબંધ હોય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “વિચારબિંદુઓ (ભાગ-6) – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.