[ ચારણી સાહિત્ય અને લોકસાહિત્ય જેમની કૂળપરંપરામાં ઉતર્યું છે તેવા કવિ-ગઝલકાર શ્રી ગોવિંદભાઈ ગઢવીના (જૂનાગઢ) તાજેતરમાં પ્રકાશિત થયેલ ગઝલસંગ્રહ ‘અવતરણ’માંથી કેટલીક રચનાઓ અહીં સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ સંગ્રહ ભેટ આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 285 2673156 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત ગઝલના અંતે આપવામાં આવી છે.]
[1] વાત કર !
તું સતત કાં છળ વિશેની વાત કર ?
કો’ક દિ’ ઝાકળ વિશેની વાત કર !
કાચના ઘરમાં રહેવું આપણે,
જોઈ સમજી બળ વિશેની વાત કર !
વિસ્તર્યો ધિક્કાર આજે ચો-તરફ,
સ્નેહભીનાં જળ વિશેની વાત કર !
એ સહનશીલતા હતી કે મજબૂરી ?
ભીષ્મની એ પળ વિશેની વાત કર !
આ કસોટી પાર ઊતારી શકે,
રણ મહીં કૂંપળ વિશેની વાત કર !
લેખ લખવાની પ્રથા છોડી દઈ,
તું પછી અંજળ વિશેની વાત કર !
આજ સુધી માત્ર ટહૂકા સાંભળ્યા,
કંઈ હવે આગળ વિશેની વાત કર !
હું અનુભૂતિની નગરીમાં વસું,
કાં મને અટકળ વિશેની વાત કર !
.
[2] ક્યાં ધાર્યું’ તું !
એક વસમી પળે વિચાર્યું’તું,
બાણ મેં કોઈને ક્યાં માર્યું’તું !
ભેજ લાગ્યો ફરીથી આ ભવનો,
વસ્ત્ર તો ગતભવે નીતાર્યું’તું.
વ્હાણ વિશ્વાસમાં જ ડૂબ્યું’તું !
એક તરણે જીવન ઉગાર્યું’તું !
ચોપડે ક્યાં હતું જમા કંઈ પણ,
મારે નામે બધું ઉધાર્યું’તું.
એક ઝાંખી અલપ-ઝલપ થૈ ગઈ,
સ્વપ્ન આવું ફળે, ક્યાં ધાર્યું’તું !
.
[3] ચારે બાજુ !
કેમ રહે મન સાજું તાજું ?
ભ્રમણાઓ છે ચારે બાજુ.
પોતાની ચર્ચા નીકળે તો,
જુદાં તોલાં, જુદાં તરાજુ !
જેણે નેવે મૂકી દીધી,
એને શું લાજું કે ગાજું.
આવ્યું એવું લખતો રહું છું,
સમજી લો થોડામાં ઝાઝું.
પાણી સૌએ ડહોળી નાખ્યું,
ક્યાંથી એમાં વાસણ માંજું.
સંબંધો વણસે એ પહેલાં,
નમતું મેલો થોડું ઝાઝું.
અસ્ત-ઉદય સાથે રહેવાના,
એ સિક્કાની છે બે બાજુ.
[કુલ પાન : 96. કિંમત રૂ. 70. પ્રાપ્તિસ્થાન : ‘મિલન’ સાહિત્ય સંસ્થા. 101, અમૃત એપાર્ટમેન્ટ, આગાખાન હોસ્ટેલ પાસે, કોલેજ રોડ, જૂનાગઢ.]
4 thoughts on “અવતરણ – ગોવિંદ ગઢવી ‘સ્મિત’”
ગોવિંદભઈને તેમના કાવ્યસંગ્રહ માટે અભિનંદન…
ગોવિંદભાઈ,
સરસ ગઝલો આપી છે, અભિનંનદન.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
હુ તો કવિ સ્મિતનો પાડોશી છુ એટલે રોજ મળુ છુ જ્યારે “અવતરણ”નુ વિમોચન થયુ ત્યારે મફતમા સન્ગ્રહ વાચવા મળેલ આમેય મે ગોવિન્દભાઇ પાસેથી મફતમા ભાષાનુ ઘણુ ગ્યાન મેળવ્યુ છે.
સ્મિતનો આભારી છુ.
ખુબ ખુબ અભિનંદન ગોવિંદભાઇ
સમાજજીવન ને ઉપયોગી ગઝલો આપવા બદલ.