[ વેન ડબલ્યુ. ડાયરે 300થી વધુ પ્રેરણાત્મક પુસ્તકો લખ્યાં છે. તેઓ એક પ્રખર વક્તા છે. પોતાના વક્તવ્યથી તેમણે અનેક લોકોને પ્રભાવિત કરી જીવનનો નવો રાહ બતાવ્યો છે. તાજેતરમાં તેમના એક પુસ્તકનો દર્શાબેન કિકાણીએ (અમદાવાદ) ‘બહાના ન કાઢ, દોસ્ત !’ નામે ભાવાનુવાદ કર્યો છે જેની સારાંશરૂપ પુસ્તિકા ‘વિચારવલોણું પરિવાર’ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. આપ દર્શાબેનનો આ નંબર પર +91 9825482946 સંપર્ક કરી શકો છો. પુસ્તિકા પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
પોતાની જાતને બદલી શકવાની શક્તિને ક્યારેય ઓછી ન આંકો. બીજાને બદલી શકવાની શક્તિને ક્યારેય વધુ ન આંકો ! હવે તો તમે જાણી જ ગયા હશો કે મગજને બગાડતા વાયરસ દૂર કરી મગજને કેવી રીતે સુધારી શકાય. જેવું કુદરતમાં તેવું જ મનુષ્યમાં. કેરીથી લદાયેલો આંબો ઝૂકે છે તેવી જ રીતે સફળ માણસ પણ નમ્ર બને છે અને બહાનાં નથી કાઢતો. જેટલી કામનાઓ વધુ તેટલાં બહાનાં વધુ. આપણા પ્રશ્નોના ઉકેલ ન મળે તો આપણે તેનાથી ઉપર ઊઠવું જોઈએ, દૂર રહેવું જોઈએ.
આ પુસ્તકમાં બતાવેલ પ્રયોગો કરો તે પહેલાંથી જ રૂઢિગત ટેવો અને વિચારસરણીથી દૂર થાવ. તમે માણસ થઈ દૈવી અનુભવો લેવા આવ્યા છો એમ વિચારવાને બદલે તમે દૈવી પુરુષ-સ્ત્રી છો અને સામાન્ય માણસના અનુભવ લેવા આવ્યા છો એમ વિચારો તો તમારા કેટલા પ્રશ્નો દૂર થઈ જાય ! એક નાનો દાણો, એકલો તો કંઈ કામનો નથી પણ એમાં મોટું વૃક્ષ અને જંગલ થવાનાં સપનાં છુપાયેલાં છે. તેવી જ રીતે તમારામાં પણ અમાપ શક્તિ પડેલી છે. આગળના ભાગમાં વર્ણવેલા સિદ્ધાંતો ફરી જોઈ લઈએ :
– તમારા મનની અમાપ શક્તિને ઓળખો.
– તમારા વિચારોને દૈવી વિચારો સાથે સુસંગત કરો.
– આ ક્ષણમાં જીવો. તમે કોણ છો તે જાણો.
– સ્વાસ્થ્ય, આનંદ અને સફળતાને જીવનમાં આવકારો.
– તમારી જિંદગીમાં પ્રવેશેલ દરેક માણસ અને પ્રસંગને પૂરા પ્રેમથી ચાહો.
– લેવા કરતાં આપવાની ભાવના રાખો.
આ સિદ્ધાંતો હસ્તગત થતાં જ જિંદગી સરળ બની જશે. રૂઢિગત વિચારો છોડી તમે તમારું મગજ સુધારી શકો છો. બીજા જેવા બનવા કરતાં તમારી પોતાની જાત જેવા જ બનો તો કેટકેટલા પ્રશ્નો હલ થઈ જાય ! તમારી અંદર રહેલી દિવ્યશક્તિ વિકસતી જશે તેમ તમે આનંદ અનુભવતા જશો. બાળપણથી તમને નકારાત્મક સંદેશા જ મળ્યા છે : તું આ નહીં કરી શકે, તું નકામો છે, તું નાનો છે, પૈસા મફતના નથી આવતા, તને કોણ પ્રેમ કરે ? તું ક્યારેય સફળ નહીં થાય, તારી માની જેમ તું પણ કંઈ નહીં બની શકે….. હજારો જાતના અવરોધો તમારા મનમાં ઠોકી બેસાડ્યા છે. તમારાં બહાનાંઓ તમારી આ લાગણીઓને પોષે છે. તમારું મન એટલું જકડાઈ ગયું છે કે તમે કરી શકો તેટલું સારું કામ નથી કરી શકતા.
નીચેના વિધાનો માનો અને તમારા મનને તથા તમારી જાતને બદલો :
– હું કંઈ પણ કરી શકવા શક્તિમાન છું.
– હું લાયક અને ઉપયોગી માણસ છું.
– હું બુદ્ધિમાન છું.
– મને સારી વસ્તુઓ મળવી જોઈએ, કારણ કે હું સારો-સારી છું.
– મારી જિંદગીના દરેક ક્ષેત્રમાં અઢળક સંપત્તિ છે.
– હું સ્વાસ્થ્ય, સુખ અને સફળતાને લાયક છું.
– હું મારી જાતને અને બીજાઓને પ્રેમ કરું છું.
– લોકોની સેવા કરવાની મારી ઈચ્છા છે.
– લોકોના અભિપ્રાયો કરતાં હું અનોખો-અનોખી છું.
[બહાનાં ભગાડવાના સાત શાનદાર નુસખા : ]
[1] તમારા પર લાગેલાં લેબલ દૂર કરો : તમને લગાડવામાં આવેલ નકારાત્મક લેબલો તમારા મગજમાં ઊંડે સુધી ઘૂસી જાય છે અને ખરાબ અસર કરે છે. મારી દીકરી સીરીના ‘ખેલાડી’ ન હતી. આ લેબલ કાઢવા તેણે ઘણા પ્રયત્નો કર્યા અને ધીમે ધીમે તે રમત તરફ દોરાઈ. ‘હું કંઈ પણ કરવા શક્તિમાન છું.’ એ વિચાર જ તમને શક્તિ આપશે.
[2] તમારા અર્ધજાગૃત મન સાથે વાત કરો : આપણે આપણા અજાગૃત મન સુધી પહોંચી શકતા નથી એમ માનવું જરા મુશ્કેલ છે. આપણે ઘણી વાર અજાણતા જે રીતે વર્તીએ છીએ તેને માટે જાગૃત થવાની જરૂર છે. અર્ધજાગૃત (અજાગૃત નહીં) મન સાથે સંવાદ કરતા રહો કે મારે જાગૃત જિંદગી જીવવી છે. વસ્તુઓ ભૂલી જવી, માણસો ભૂલી જવા જેવી વસ્તુઓ માટે અર્ધજાગૃત મન સાથે સતત સંવાદ કરતા રહો.
[3] ધ્યાન રાખવાનું શરૂ કરો : બહાનાં વિનાની જિંદગી જીવવા હું તમને સભાન બનવાનું અને ધ્યાન રાખવાનું શરૂ કરવા કહીશ. મારી ચાવી ભૂલવાની ટેવ સુધારવામાં મેં ધ્યાન રાખવાનું શરૂ કર્યું. હું ‘ભૂલકણો’ છું એમ માનવું મેં બંધ કર્યું. હું ચાવી ક્યાં મૂકું છું તે ધ્યાન રાખવું મેં શરૂ કર્યું. ચાવી માટે જગ્યા નક્કી કરી. ભૂલકણાપણાની એક ખોટી ટેવ મેં સુધારી. હું યોગ કરવા જતો કે તરવા જતો ત્યારે કામના વિચારોમાં ખોવાયેલ રહેતો. હું સભાન બની વર્તમાનમાં રહેવા લાગ્યો. મેં એક બહુ સારી વાત સાંભળી છે : ચાલવા નીકળો ત્યારે ચાલવામાં ધ્યાન રાખો, બેસો ત્યારે બેસવામાં અને સૂઓ ત્યારે સૂવામાં ધ્યાન રાખો. દરેક શ્વાસનું, દરેક હલનચલનનું, દરેક લાગણીનું ધ્યાન રાખો. હું સભાન બની ગયો છું, વર્તમાનમાં જીવું છું અને ચાવી ભૂલતો નથી !
[4] જડતા દૂર કરવાનું નક્કી કરો : જે બહાનાંઓ તમે વર્ષોથી કાઢતાં આવ્યા છો અને તમારો અહંકાર જેને પોષે છે તે બહાનાં સહેલાઈથી દૂર થવાનાં નથી. જાત સાથે સંવાદ કરો અને પોતાની જડતા દૂર કરવાનું નક્કી કરો. પુસ્તક અમુક દિવસમાં વાંચવાનું વિચારીએ તો કંઈ પણ થાય તો પણ કરીએ છીએ ને ! રોજ સવારે ઊઠી પોતાની જાત સાથે કરાર કરો. લખી રાખો. ક્યારેક ભૂલી જવાય તો કામ લાગશે !
[5] નિશ્ચયાત્મક બનો અને શક્તિ મેળવો : તમે તમારી આસપાસની દુનિયા નિશ્ચયોથી શક્તિશાળી બનાવો. તમારે જે બનવું છે તેના ફોટા, ચિત્રો, સુવાક્યો, તમારી આસપાસ દેખાય તેમ રાખો. પ્રાકૃતિક દશ્યોનાં ચિત્રો, ફૂલો, પોસ્ટરો ઠેરઠેર દેખાય તેમ ગોઠવો. તમે જે ચાહો છો તે તો બનશો જ અને આખું વિશ્વ પણ તમને તે બનવામાં મદદ કરશે. તમારી જાતને ચાહો, તમારી દૈવી શક્તિને ઓળખો અને વિશ્વની શક્તિના હક્કદાર બનો. નિશ્ચય કરો અને બહાનાં ભગાડો.
[6] મદદગાર અને સહકાર આપનાર વિશ્વમાં રહો : તમારે મદદગાર અને સહકાર આપનાર વિશ્વમાં રહેવું છે કે અસહકારી વિશ્વમાં તે નિર્ણય તમારે કરવાનો છે. તમે જેવો નિર્ણય કરશો તેવી દૈવી શક્તિ પામશો. તમે સારા માણસો અને સારી મદદ વિષે વિચારશો તો તેને આકર્ષશો અને મેળવશો. જો તમે ખરાબ માણસો, અસહકાર અને વિરોધીઓનો વિચાર કરતા રહેશો તો તેઓ જ તમને ભટકાશે. માનસિક વલણ બદલતાં તમારી ઈચ્છેલી દરેક વસ્તુ તમને મળશે. સ્વાસ્થ્ય, સુખ, સફળતા…. બધું જ તમને મળશે. ઈશ્વરને પ્રાર્થના કરો કે તેના દરેક કામમાં તે તમને સાધન બનાવે. તેનું દરેક કામ તમારાથી થાય. તમે દૈવી શક્તિનો અંશ બની જાઓ.
[7] ફરિયાદ ન કરશો, ખુલાસો ન આપશો : ફરિયાદ અને ખુલાસો બંને બહાનાના સાથીદાર છે. જેવી તમે ફરિયાદ કરવી શરૂ કરો કે જાતજાતનાં બહાનાં બને. ‘મારું કામ મોડું થવા તે જવાબદાર છે’, ‘મારી તબિયત કામને લીધે બગડે છે’ વગેરે. ક્યારેક મોસમનું બહાનું, ક્યારેક દેશના અર્થતંત્રનું બહાનું, ક્યારેક માણસોનું બહાનું…. બહાનાંનો અંત લાવવા ક્યારેય ખુલાસો કરવો નહીં. ખુલાસો કરવા જતા અહંકાર વચ્ચે આવે. તમે તમારી જાતને સાચી પુરવાર કરવા જાવ જેથી વિરોધ વધે, શંકા વધે. માટે ક્યારેય ફરિયાદ ન કરવી કે ખુલાસો પણ ન કરવો.
શરૂમાં કીધું તેમ ‘તમારી જાતને બદલવાની શક્તિને ઓછી ન આંકશો અને બીજાને બદલી શકવાની શક્તિને ક્યારેય વધુ ન આંકશો.’ પોતાની શક્તિને ઓળખો. પોતાની ટેવો સુધારવાની વાત આવે કે મોટા ભાગના માણસો હાથ ઊંચા કરી દે. ખરેખર તો પોતાની જાતને અને પોતાના વિચારોને બદલવા સહેલા છે. બીજાં કરે તેના કરતાં જાતે કરવું વધુ સરળ છે. જેમ કે મોટે ભાગે આપણું શરીર તબિયત જાળવી રાખે છે તેમ મનને પણ માનસિક સમતોલન જાળવતાં આવડે છે. હું મનની શક્તિનો સારા માણસો અને સંજોગોને આકર્ષવા ઉપયોગ કરું છું. મન પર પડેલી બાળપણની છાપ બહુ ઊંડી હોય છે અને તે બદલવી પણ મુશ્કેલ છે, છતાં હું મારા પ્રયત્નો ચાલુ રાખું છું.
[કુલ પાન : 74. કિંમત રૂ. 15. પ્રાપ્તિસ્થાન : વિચાર વલોણું, 406, વિમૂર્તિ કોમ્પ્લેક્ષ, ઓક્ષફર્ડ ટાવર સામે, ગુરુકુળ રોડ, અમદાવાદ-380052. ફોન : +91 79 26751357]
11 thoughts on “જૂની કુટેવો બદલવાની નવી રીતો – વાયન ડબલ્યુ. ડાયર (ભાવાનુવાદ : દર્શા કિકાણી)”
જીવનમાં ઉતારવા જેવી અમૂલ્ય સમજણ આપતો ઉત્તમ લેખ. વારંવાર વાંચવા જેવો અને મનન કરવા જેવો લેખ આપવા માટે મૃગેશભાઈનો આભાર.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
Very inspired.
Very nice points mentioned by an author for self improvement. Thanks for sharing such nice article Mrugeshbhai.
very nice.lyf bdlva mate sari prerna mdi.
very good article
મજા આવી ગઇ …
મ્રુગેશ્ભાઈ
હુબજ સરશ..જિદગિ મા ધનો ઉપયોગિ
પોતાની જાત ને સુધારવા માટે બહુજ ઉપયોગી લેખ. ધન્યવાદ.
પોતાના જિવન મા સારા વિચારો અપાતો ખુબજ સુન્દર લેખ.
સારી અને સાચી વાતો સમજાવી છે. જરુરથી લોકોપયોગી પુસ્તક!
ખુબ જ સુંદર લેખ છે. તાત્કાલિક જ અમલ માં મુકવા જેવો. હું સારો તો દુનિયા સારી. દુનિયા બદલવાની વાત કરવી નહિ. આપણે જાતે જ બદલાઈ જવું. આથી ફરિયાદ રહેશે જ નહિ. પોતાના મન સાથે કામ કરવાની વાત છે. પોતાની નબળાઈઓ નું પૃથ્થકરણ કરવું અને કેવી રીતે સુધારવી, તેનું આયોજન કરીને તરત જ અમલ કરવો. જે વ્યક્તિ દરરોજ શીખતી રહે છે, તે હમેંશા યુવાન જ રહે છે. કદી વૃદ્ધ થતી નથી. પોતાની જાત ને હમેંશા સુધારતા રહેવું. ફરી થી સુંદર લેખ બદલ અભિનંદન.