[ કેટલીક કથાઓ કર્ણોપકર્ણ સચવાતી હોય છે, જેનું આલેખન શરીફાબેને એ જ શબ્દોમાં કરીને ઘણું મોટું કામ કર્યું છે. આવી કથાઓ બોધ તો આપે જ છે સાથે સાથે એ ગ્રામ્ય દશ્યને આપણી સામે ખડું કરી આપે છે. તેમની આ પ્રસ્તુત વાર્તા ‘જનકલ્યાણ’ સામાયિક એપ્રિલ-2013માંથી સાભાર લેવામાં આવી છે. આપ તેમનો આ સરનામે skvijaliwala@yahoo.com સંપર્ક કરી શકો છો.]
એક ગામ હતું. એમાં એક કણબી રયે. ઘરમાં ગલઢી મા ને કર્યાફાટ્ય પટલાણી સિવાય કોઈ નો મળે. કંઈક બાધા-આખડિયું કરી’તી તોય પટલાણીનો ખોળો નો’તો ભરાતો. લગનને શાર-પાંસ વરહ થઈ ગ્યાં’તાં તોય ઘરમાં કાંય સૈયું સોકરું નો’તું. પટેલને તો એવું કાંય નંઈ પણ પટલાણી આંયાં ને ન્યાં ધોડ્યે રાખે. હવે ભાય ખેતરના શેઢે ખેતલિયા પીરનો પાણો હોય….
બાયે તો ભાય એની માનતા કરી. માનતાય પાશી કેવી કરી ? ‘હે ખેતલિયા પીર, જો મારે પેટ્ય દીકરો થાહે તો મારી હાહુને સડાવીશ….’ ને ભાય દેવને કરવું સે ને…. બાયને તો હાસુકલાન વરહ કેડ્યે મજાનો ઢેફલા જેવો દૂધમલિયો દીકરો થ્યો. સોકરો બે-તૈંણ મઈનાનો થ્યોને બાયને હૈયે સડ્યું…. રાત્યે પટેલને ક્યે કે ‘કાલ્ય વેલા ઊઠીને ગાડું જોડીને મારી માને તોડીયાવજો ને પશી મોડા ખેતર્યે જાજ્યો….’
પટેલ ક્યે, ‘કાં ? અટાણે તારે તારી માનું વળી હું કામ પડ્યું ?’
પટલાણી આમેય અક્કલમઠી તો હતી જ. તે ક્યે, ‘મેં ખેતલિયા પીરની માનતા માની’તી કે જો આપડા ઘર્યે દીકરાનો જલમ થાશે તો હું તમારી માને સડાવીશ.’
‘અરે મારી હાળી મૂરખી, અક્કલમઠી…. તને કાંય નો આવડ્યું ? કાંય બીજું નો હૂજ્યું તે મારી માને સડાવવાનું માની બેઠી ? તને કેવુંય હું ? ક્યાંય બાપ જલમારે તે આવી માનતા જોઈ સે ? હાંભળી સે ?’ પણ ભાય પટલાણી હતી કર્યાફાટ્યની…. પટેલનું કાંય નો હાલ્યું…. ઈ તો વેલો ઊઠીને ગાડું જોડતોક વયો ગ્યો હહરાને ગામ…
રસ્તામાં પટેલે મનમાં કાંક્ય ગાંઠ્ય વાળી…. હાહુને જઈને કીધું- ‘હાલો માડી, તમારી દીકરીએ માની સે માનતા. ખેતલિયા પીરે જાવાનું સે…. વેલા ઊઠીને જાવાનું સે…. હું ઉઠાડું એટલે બોલ્યાસાલ્યા વના મોઢું ઢાંકીને ગાડામાં બેહી જાજ્યો’…. ઈ ભાય પટેલ તો ડોહીને ઘર્યે મેલતોકને વયો ગ્યો ખેતરે….. ડોશી તો બસારી ઠાકીને ટેં થઈ ગઈ’તી તે ખાટલામાં પડતાવેંત ઘોંટાઈ ગઈ. પટલાણી રાત્ય પડ્યે પટેલને ક્યે કે આ બેય ડોહીના હાડલા હરખા સે- ને કાંય બોલ્યાસાલ્યા વગર મોઢું ઢાંકીને જાવાનું સે તે ખબર્ય કેમની પડશે ? એમ કરો… તમારી માના પગ્યે કાળો દોરો બાંધી દ્યો એટલે ભૂલ્ય નો થાય….’ પટેલે મનમાં તો મણ મણની જોખી…. ‘રાંડ મારી માને મારવા બેઠી સો પણ આજ તું ખેલ જોઈ લેજ્યે….’ પટેલે પોતાની માને પગે દોરો બાંધ્યો તો ખરો પણ જેવી પટલાણી થાકીપાકી ઘોંટાઈ ગઈ ઈ ભેળા જ ઊભો થયને ડોશિયુંના ખાટલાની પાંગત્યે બેઠો. ને પોતાની માના પગ્યેથી દોરો સોડીને હાહુના પગે બાંધી દીધો. પટલાણી તો ભાય વેલી ઊઠી ગઈ…. નાય-ધોયને પટેલને ઉઠાડ્યા…. ને પસી ડોશિયુંના ખાટલે જઈ, પગમાં દોરો જોઈને ડોશીને હલાવ્યાં. ડોશી તો બસારાં હડપ લેતાંકને બેઠા થઈ ગ્યાં. ને કાંય બોલ્યા વગર્ય માથે ઓઢીને ગાડામાં બેહી ગ્યાં. ગાડું ખેતલિયા પીરે પૂગ્યું. ડોશીનું ડોકું મૈડીને ભાય એને તો ત્યાં કણે ડાટી દીધી. ને પાસા ઘર્યે વયાં આવ્યાં. બાય તો દળવા બેઠી… ઈ તો ઘંટી ફેરવતી જાય ને હરખની મારી ગાતી જાય :
કાઢ્યું ખોખું ને ઘર થ્યું સોખું રે ખેતલિયા પીર….
કાઢ્યું ખોખું ને ઘર થ્યું સોખું રે ખેતલિયા પીર….
પટેલે ખાટલામાં પડ્યા પડ્યા હામો જવાબ વાળ્યો….
પાસું વાળીને જરાક જોજ્યે નાર્ય, માં મારી કે તારી ?
પટેલે તો ભાય તાણી તાણીને બે વાર ગાયું. હાલતી ઘંટીયે બાયે હાંભળ્યું…. ને હાંભળતાની હાર્યે, ‘હેં !’ કરતીકને હડી કાઢી…. જ્યા ગોદડું ખેંશીને જોવે સે તો હાહુ તો મજાની ઘોંટતી’તી. બાય તો મંડી રોવા ને કૂટવા. પટેલની માને તો બસારીને આ માંયલી કાંય ખબર્ય નઈ અટલે બાઘોલા જેવી થઈ ગઈ. બાય બોવ મંડી રોવા અટલે પશી પટેલથી નો રેવાણું બોલ્યા વગર્ય….. ‘તંયે રાંડ અક્કલની મૂઠી…. તને મારી માને મારવામાં કાંય નો’તું થાતું ? માણહ કાંક્ય નાળિયેર સે, કાંય સુંદડી સે… કાંય ગોળ હાકર સે… એવું સડાવવાની માનતાયું માને…. મારી માને સડાવવાની માનતા માનતા તને કાંય વિશાર નો થ્યો ? જરાય લાજેય નો આવી ? હવે રો તારી માને પેટ ભરાય ન્યાં સુધી…. ને ભાળ્ય કોઈ દિ’ મારી માને કાંય કીધું સે તો તારી ખેર નથી….’ તે ભાય પટલાણી તો સાની રય ગઈ. કોને ક્યે ? સોરની મા કોઠીમાં મોં ઘાલીને રોવે એના જેવું થ્યું એને તો…. કોઈને ખબર્ય પડે તોય ગામ એના ઉપર્ય થૂ…. થૂ કરે. તે દિ’ની ઘડી ને આજનો દિ’… પટલાણી એવી તો સીધી હોટા જેવી થઈ ગઈ કે એની વાત નો પૂસો….
16 thoughts on “ખેતલિયા પીરની માનતા – કથક : હાજરાબેન વીજળીવાળા (રજૂઆત: શરીફા વીજળીવાળા)”
very good story. “TIT FOR TAT”
આપણા ગ્રામ્યજીવનની ઘણી વાર્તાઓ મારા મનમાં ઘણા પ્રશ્નો જન્માવે છે..
૧. જો પટલાણીની માનતા અને ઇરાદો ખોટા હતા તો સામે પટેલે અંતે શું કર્યું ? પટલાણીની માતાને મારવી શું યોગ્ય હતી ? શું પટલાણીને બીજી રીતે ન સમજાવી શકાઈ હોત ? અને આ બધામાં પટલાણીની માનો શો વાંક ?
૨. ખરી માનતા જો માનવી હોય તો તે આપણી સાથે સંકળાયેલી હોવી જોઈએ. જેમકે આપણા પૂર્વગ્રહો, ખરાબ વૃત્તિઓ છોડવી વગેરે.. કોઈને બીજાને નુકશાન પહોંચાડવું એ કોઈ સારા કામની શરૂઆત હોઈ જ ના શકે.
ઉદયભાઈ, અહીં પ્રસ્તુત વાર્તા લોકકથા છે અને લોકકથા કે પૌરાણિક કથાઓને વાચ્યાર્થમાં લેવાને બદલે તેને મનોરંજન માટે કર્ણોપકર્ણ ચાલતી આવેલી અને સમયાંતરે બદલાતી રહેતી કથાઓ તરીકે જ મુલવવી જોઈએ. બોધ લેવો જ હોય તો બુરાનો બદલો બુરો જ મળે એટલો બોધ તો એમાં છે જ. પણ લોકસાહિત્યને મૂલવવાનો જુદો જ દ્રષ્ટિકોણ કેળવવાથી આ વાત સ્પષ્ટ થશે. અનેક તકલીફોમાં જીવતા લોકોને આનંદ આપતી આ કથાઓનો ઉદ્દેશ્ય જુદો જ હોય છે. ઉપરોક્ત વાર્તા જેમાંથી લેવામાં આવી છે એ શરીફા વિજળીવાળાની પુસ્તિકા “બાની વાત્યું”ની પ્રસ્તાવના વાંચવા આપને તથા કાલીદાસભાઈને ભલામણ છે.
બોગસ ..
very good story.old is gold
શરીફાબેન,
ગ્રામ્ય સમાજની લોકબોલીમાં કહેવાયેલી વાર્તા મજાની રહી. છતાંય … ઊદય ત્રિવેદીસાહેબ સાથે સહમત. ખરેખર તો ” માનતા માનવી ” એ ભગવાન { કે જે તે દેવ-દેવી } સાથેની ” એક્ષ્ચૅન્જ ઓફર ” ન ગણાય ? આવી અંધશ્રધ્ધાને કારણે આપણા દેશમાં કરોડો રૂપિયા અને લાખો માનવ-કલાક વેડફાય છે , અને સરવાળે આપણે પ્રારબ્ધવાદી બની જરૂરી પુરુષાર્થ કરવામાં ઊણા ઉતરીએ છીએ.
છેલ્લા બે વર્ષથી ઓસ્ટ્રેલિઆના work culture નો તથા સમાજના રીત-રિવાજોનો અભ્યાસ કરતાં સત્યાન્વેષણ સાંપડ્યું છે કે અહીં કામને જ પૂજા ગણવામાં આવે છે અને આવી કોઈ માનતા જેવી અંધશ્રધ્ધા કે ખાસ પ્રકારનાં પૂજા-પાઠ જેવું કશું જ નથી છતાં અહીંની પ્રજાએ જબરદસ્ત પ્રગતિ કરી છે જે નિર્વિવાદ છે.
{ આ બાબતે વધુ વિગતો મારા ” હલ્લો ઓસ્ટ્રેલિઆ , બાય ઇન્ડિયા ” જે અત્યારે ‘ ઉમિયા દર્શન ‘ નામના અમદાવાદથી પ્રસિધ્ધ થતા માસિકમાં ધારાવાહિક રૂપે આવે છે તે વાંચવા ભલામણ છે. }
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
ખુબજ સરસ વર્તા વાન્ચિને રદય ને સુકુન મલેલ. આભાર્.
ખુબ સરસ
આ બધિ દ્ન્ત ક્થા કહેવાય હકિકતમા આવુ બન્યુ ન હોય પણ આ ઉપર થિ બોધ
મલે કે જે પોતાના સ્વાર્થ માટે જે પોતાના સાથે દગો કરે એને પોતાના ગુમાવાનો
વારો આવે માટે હમેશા બધા સાથે સમ ભાવ રાખવા નો બોધ છે બધા ના પ્રતિભાવ પણ સારા છે
દિનેશ ભટ ના નમસકાર્
ખુબ જ સરસ ગ્રામ્ય લોકકથા મુકી છે…. હું સંજયભાઈની વાત સાથે ૧૦૦ ટકા સહમત છું, અહીં ‘લોકકથા”નું વિવેચન કરવું યે યોગ્ય નથી જ….. કારણ કે લોકકથા યે લોકો દ્વારા અનુભવને આધારે નિતરતું સાહિત્ય છે…અને એની જગ્યાયે યે perfect છે. માટે લોકકથા વાંચતી વખતે વિવેચનના કિડાને ફોસલાવીને આપણ્રે યે કથા વાંચીયે તો જ યેનો લુફ્ત ઉઠાવી શકીયે…બાકી ખુબ જ સુંદર વાર્તા છે, ગ્રામ્યબોલીને લીધે વાર્તા વધારે smooth બની છે. મૃગેશભાઈને વિન્ંતી કે સમયાંતરે આવી લોકકથા મુકતા રહે.
ગ્રામ્ય લહેકા વાળી સુઁદર બોધકથા. મારુ-તારુ ગણતા સ્વાર્થ લોલુપ લોકોમા આવી દુર્ઘટના થઇ શકે.આવા લોકો માટે દિવા દાઁડી સમાન લોક કથા.અમુક ગ્રામ્ય શબ્દો નવી પેઢીને સમજવા અઘરા પડે તેમ છે. એકઁદરે સરસ લોકવાર્તા.
બહુ સરસ લોકવાર્તા.
બોધપાથ લેવા જેવેી વાર્તા
nice
very good stor બોધપાથ લેવા જેવેી વાર્ત
૨૧મી સદીમા પણ બાધાઓ-ખોટી માન્યતાઓ તથા અંધ્ધશ્રધ્ધાવાળી વાતો કોઇ ઓછુ ભણેલા કે અગ્નાની લખે તો સમજાય.
મસ મોટી ડીગ્રીધારીઓ પણ આવી વાહિયાત વાતોને વેગ આપવાનુ બંધ કરે તો સારુ.
આ વાર્તા આ જ ભાષાશૈલીમાં વાંચવી ગમે…………………..
ખૂબ સારો પ્રયાસ