(‘સહજ બાલઆનંદ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૫ના અંકમાંથી)
‘અરે દેવાંગ ! આ તારો નાસ્તાનો ડબ્બો પાછો ભૂલી ગયો ? તારા દફ્તરમાં મૂકી દે. હમણાં વાનવાળાભાઈ આવી જશે… રાતે જરા વહેલો સૂઈ જતો હોય તો ! રોજ સવારમાં કેટલી ધમાલ પડે છે ? કાલે દૂધ પીવાનું ભૂલી ગયો હતો. બેટા… ભૂખ્યા પેટે ભણવામાં મગજ ક્યાંથી ચાલે ? રોજ કાંઈને કાંઈ ભૂલી જ જાય છે… ઘેર આવતાં તો બપોરે બે અઢી થઈ જાય છે, ભૂખ્યા પેટે ચક્કર ન આવે ! લે… મૂકી દે આ ડબ્બો. ક્યાં ગયું તારું દફ્તર ?’
‘મમ્મી ! મારે નાસ્તો નથી લઈ જવો. મને આવું ખાવાનું જરાય ગમતું નથી. આ શું રોજને રોજ થેપલા, શાક, ઢેબરા, છુંદો, ઢોકળા ને હાંડવો નહીં તો મુઠીયા. મમ્મી હું આવું કશું ખાવાનો નથી… તને ખબર છે? બીજા છોકરાંઓ તો પાસ્તા, મેક્રોની, બર્ગર અને કેવો નાસ્તો લઈ આવે છે ? મને તો એમને ખાતાં જોઈ મોંમાં પાણી આવે છે, મારો ડબ્બો જોઈને તો ક્યારેક છોકરાંઓ મોં બગાડે છે ને નહીં તો મશ્કરી કરે છે… મને પણ રોજ એવો જ નાસ્તો લઈ જવો છે.’
‘બેટા ! તે દિવસે સ્કૂલમાં મીટિંગમાં પ્રિન્સીપાલે શું કહ્યું હતું તેં સાંભળ્યું હતું ને ! તમારા ડબ્બા રોજ જોવાનાં છે, ને ‘જેનાં ડબ્બામાં પૌષ્ટિક નાસ્તો હશે તેને ખાસ માર્ક્સ મળશે.’ એવું કહ્યું હતું ને ! સ્કૂલના નિયમોનું તો પાલન કરવું જ જોઈએ ને !’
‘મમ્મા ! એવું બધું ન હોય… બધા કંઈ એવું કરતાં નથી… એમને કોઈ કંઈ શિક્ષા કરતાં નથી…’
‘પણ માર્ક્સ તો કપાતાં હશે ને !’
‘કોને ખબર !’
‘પણ બેટા ! રોજરોજ સવારનાં આટલા વહેલા આવું બધું બનાવવાનું મને ઓછું ફાવે ! મારેય જોબ પર વહેલા જવાનું હોય છે ને !’
‘તે દાદીને કહે… કરી આપે.’
‘બેટા ! દાદીની ઉંમર કેટલી થઈ તને ખબર છે ? એમનાથી હવે બધું થાય ખરું ? એમને એવું કરવાનું કેવી રીતે કહેવાય !’
‘એ હું કંઈ ન જાણું… પણ મા… હવે હું આવો સીધો સાદો નાસ્તો નથી જ લઈ જવાનો…’ અને એમ ગુસ્સો કરતો કરતો દેવાંગ સ્કૂલે જવા નીકળ્યો.
ધોરણ ત્રણ-ચાર સુધી હજી બહુ વાંધો નથી આવતો પણ પાંચમામાં આવે અને કિશોરાવસ્થાને ઉંબરે છોકરાં પગ મૂકે એટલે એમના જાતજાતનાં પ્રશ્નો ઊભા થાય છે. નાના હોય ત્યાં સુધી તો કહ્યું માને, ભણી પણ લે, હા, રમતિયાળ હોય… એ તો બાળક માટે સ્વાભાવિક જ પણ એ બધું સંભાળી શકાય તેવું હોય છે પણ કિશોરાવસ્થા શરૂ થતાં હોર્મોન્સમાં ફેરફાર થાય… એની એના સ્વભાવ, વ્યક્તિત્વ, બધાં પર અસર થાય… એને ‘ગમા’ ‘અણગમા’ વધતાં જાય… બીજાં શું કહેશે ! ચાર મિત્રો વચ્ચે એનો વટ પડે એવુંય એને સતત મન થાય છે અને એટલે સ્કૂલના નિયમો, મમ્મી, પપ્પાની કે વડીલોની અનુકૂળતા આ બધાનું મહત્વ તેને મન ઓછું થઈ જાય છે. પણ… હજી એ નાદાન છે. ‘પહેલું સુખ તે જાતે નર્યા’ જીવનનું એ મહામૂલું સત્ય પણ આપણે એને સમજાવવું તો પડશે જ એન !
આજની આ ઊગતી પેઢીને દિવસમાં એક વાર પણ દાળ, ભાત, રોટલી ને શાક ખાતાં અકળામણ થાય છે. નાકનું ટેરવું ચડી જાય છે પણ આરોગ્યની દ્રષ્ટિએ એક ટંક પણ એવો પૌષ્ટિક અને સમતોલ ખોરાક ખાવાની ટેવ તો પાડવી જ પડશે ને ! આજે કેટકેટલા નાના લોકોને પણ કેવી કેવી બીમારીઓ, અરે ! હાર્ટની બીમારી, ડાયાબિટીસ, બ્લડપ્રેશર… આ બધાંમાંથી આપણે એમને બચાવવા જ પડશે ને ! આરોગ્ય માટે જરૂરી એવો શારીરિક શ્રમ તો તેઓ કરતાં જ નથી… કારણ કે ટી.વી., ઇન્ટરનેટ, સેલફોન એ બધાંએ અફીણમાં ઘેનની જેમ તેમને બંધાણી કરી નાખ્યા છે. એટલું જ નહીં પણ ટી.વી.ના કાર્યક્રમોએ તો એમનાં મગજની શાંતિને પણ હણી લઈને સતત સ્ટ્રેસમાં જીવતાં કરી દીધાં છે. આપણાં આ સંતાનો એમનાં વ્યક્તિત્વનાં સર્વાંગી વિકાસ માટે અને ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે જરૂરી મહેનત ક્યા બળને આધારે કરી શકશે !
– ડૉ. ઊર્મિલા શાહ
8 thoughts on “હું આવો નાસ્તો નહીં ખાઉં – ડૉ. ઊર્મિલા શાહ”
saras lekha !
madam bahuj sachi vat che !
gujarati ma ek kehvat che ”lamba jode tunko jay mare nahi to mando thay”
bus evij parishthiti che aapdi.
a blind followation
“આજની આ ઊગતી પેઢીને દિવસમાં એક વાર પણ દાળ, ભાત, રોટલી ને શાક ખાતાં અકળામણ થાય છે. નાકનું ટેરવું ચડી જાય છે પણ આરોગ્યની દ્રષ્ટિએ એક ટંક પણ એવો પૌષ્ટિક અને સમતોલ ખોરાક ખાવાની ટેવ તો પાડવી જ પડશે ને ! ”
આભાર્……………………
નાના બાળકોને નાનપણથી જ જંક ફૂડ થી દૂર રાખવા જ પડશે. તેમને શરુઆતથી જો પોષ્ટિક તથા શુધ્ધ અને સાત્વિક ખોરાક આપવામાં નહિ આવે તો ભવિષ્યમાં તેમનું સ્વાસ્થય પણ કથળશે અને નબળા નાગરિકો બનશે. તેથી જંક ફૂડ ને જાકારો દઈએ અને ભલે થોડો વધુ સમય રસોડામાં આપવો પડે પણ ઘરનાં બધાં સભ્યોને શુધ્ધ અને સાત્વિક ખોરાક આપવાની ટેવ પાડીએ.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
બાળકોને જો જંક ફુડ ખાતા બંધ કરવા હોય તો માતાપિતા એ જાગૃત થવું પડશે.પોતે સાદા અને પૌષ્ટિક ખોરાક પ્રેમ પૂર્વક અપનાવવો જ પડશે.આ જવાબદારી માં શાળા અને શિક્ષકો એ પણ મોટું યોગદાન આપવું પડશે..નહીં તો ભાવિ પેઢી નિર્બળ અને રોગી બનશે .
નાના બાળકોને સમજાવીને કહેવાથી અને વિચારશીલ કરવાથી તેઓ તર્કને સ્વિકારતા થાય છે. પાસ્તા, પીઝા, બર્ગર વિગેરે કરતાં ઘરે બનાવેલા દેશી નાસ્તાઓ કેટલા સારા અને સાત્વિક હોય છે તે જો એક વખત બાળકને સમજાઈ જાય તો તે કદી પાસ્તાની કે એવી કોઈ વાનગીની જીદ ન કરે. વાદીલા થવું, પોતાની ઘરની વાનગીનું અપમાન કરવું, એ બધું કેવી અસંસ્કારી વૃત્તિઓ છે તે બાળકને સમજાવવું પડે. બાળક ને સવાલો પૂછીને વિચારશીલ બનાવી શકાય. જ્યારે બાળક છ માસનું હોય ત્યારથી જ તેને દુનિયાને સમજવાની ટેવ પાડવી જોઇએ. જો વડીલો બાળકમાં રસ લે તો બાળક વડીલોની પ્રત્યે હકારાત્મક વલણ દાખવે છે. બાળકના કોઈ પણ પ્રશ્નના સચોટ અને તેને સંતોષ થાય તેવા ઉત્તર આપવા જોઇએ. અમે જ્યારે નાના હતા ત્યારે બહારનું તો કંઈ ખવાય જ નહીં. બહારની વસ્તુઓ કેવી ગંદી હોય છે તે અમને સમજાવવામાં આવતું. બીજા બાળકો શાળાના દરવાજા પાસે ઉભેલી લારી, પાથરણા અને ડબા વાળા પાસેથી, ચણા, સીંગ, સેવ, ગાંઠીયા, બોર વિગેરે ખાતા. પણ અમને કદી એમ ન થતું કે અમને પણ ખાવા મળે તો કેવું સારું.
નવી અને ઊગતી પેઢીને ઊર્મિલાબેન શાહ ની બહુ સુંદર અને ઉપયોગી સલાહ. વાત 100% સાચી અને ઉપયોગી છે પણ કેટલા સ્વીકારશે ? TV અને છાપા માં આવતી જંક ફૂડ ની ભરમાર નાના બાળકના ચિત્ત ને ભરમાવી દેય છે અને બીજી વાત દેખા દેખીની . ઘણા બધા ખોટી વાતને અનુસરતા હોય તો સાચી વાત ખોટી અને ખોટી વાત સાચી બની જાય છે , ખેર ભગવાન આ બાળકોને શ્રેય અને પ્રેય નો તફાવત સમજવાની સૂજ આપે તેજ અપેક્ષા … ઊર્મિલાબેન ને અભિનંદન ….. મનોજ હિંગુ M 76000 35422
મસ્ત વાત . Really great
સમય સાથે ચાલવું એ જ ડહાપણ છે. આ સમસસ્યા દરેક ઘરની છે. કોઈ કોમન ઉપાય ચાલે તેમ નથી. મૂળ વાત નવી પેઢી ને સમજવાની અને તેમને સમજાવવાની પણ છે. જો વ્યવસ્થિત કાળજી ના લેવાય તો બે પેઢી વચ્ચે નું અંતર વધે. માં બાપ ની કસોટી એ જ છે. જરા પણ અકળાયા વગર હસતા હસતા આવી પરિસ્થિતિ નો સ્વીકાર કરવો અને નવી પેઢી ને સમજવાની પ્રક્રિયા મજબૂત કરાવી. દોષ કોઈનો નથી. આ તો જીવનનો એક ફેસ છે , જે દરેક ઘરમાં જોવા મળશે. આને પરીક્ષા સમજીને પસાર કરવું.