Aug 29
2010

અડકો દડકો – લતા ભટ્ટ

[ જાણીતા અખબારો અને સામાયિકોમાં ટૂંકીવાર્તા, લઘુકથા, નિબંધ, કાવ્યો લખતાં શ્રીમતી લતાબેનના બાળકાવ્યોના કેટલાંક પુસ્તકો પૈકીનું આ ‘અડકો દડકો’ એક પુસ્તક છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ લતાબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9998983815 અથવા આ સરનામે meera148@gmail.com સંપર્ક કરી શકો છો.]

[1] બિલ્લી

એક હતી બિલ્લી,
ગઈ એ તો દિલ્લી.

દિલ્લીમાં મળ્યા બે બગ,
હતા એ તો પૂરા ઠગ.

બિલ્લીને આવી કહેતા,
બનાવીએ તને નેતા.

ધોવાં તારાં સઘળાં પાપ,
કરાવવા પડશે મંત્ર જાપ.

બિલ્લીએ આપી નોટ કડકડતી
બગ ઊડ્યા, મૂકી બિલ્લીને રડતી
વધુ આગળ વાંચો »

Aug 21
2010

પ્રેમથી રહો – પ્રવીણભાઈ મહેતા ‘બાલપ્રેમી’

[ રીડગુજરાતીને આ બાળવાર્તા મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર.]

એક વિશાળ જંગલમાં કરસન બાવા સુંદર ઝૂંપડી બનાવીને રહેતા હતા. ઝૂંપડીની ચોતરફ ઊંચા ઊંચા ઝાડો હતાં ને નજીકમાં નાના બગીચામાં જાતજાતનાં રંગબેરંગી ફૂલો ખીલ્યા હતાં. વાતાવરણ સુગંધભર્યું હતું. થોડે દૂર એક સુંદર સરોવર હતું. એક ઝાડ ઉપર ચકલી માળો બાંધતી હતી, અને એ જ ઝાડ નીચે બખોલમાં ઘર બનાવી એક બતક રહેતું હતું.

એકવાર બતકભાઈને સરોવરમાં તરતાં તરતાં ઝાડ ઉપર આરામથી બેઠેલી ચકલીબેનને પૂછ્યું : ‘ચકલીબેન, અરે ! ચકલીબેન, તમે મારી જેમ સરોવરમાં તરી શકો ? જુઓ, હું કેવો મઝાથી તરું છું. જે સરોવરમાં તરી શકે તે મોટા ! તમને તો પાણીમાં તરતાંય નથી આવડતું !’
ત્યાં તો ચકલીબેન તુરત જ બોલ્યાં : ‘બતકભાઈ ! પણ હું તો આકાશમાં ઊંચે ઊંચે ઊડી શકું છું. તમે ઊડી શકો છો ? જે આકાશમાં ઊંચે ઊંચે ઊડી શકે તે મોટા ! માટે હું મોટી !’ આમ બંને ઝઘડી પડ્યાં !
વધુ આગળ વાંચો »

Aug 12
2010

બકોર પટેલ : પાપડિયો જંગ ! – હરિપ્રસાદ વ્યાસ

[ કિશોરકથામાળાના પુસ્તક ‘બકોર પટેલ : પાપડિયો જંગ’ પુસ્તકમાંથી સાભાર.]

જમવા માટે શકરી પટલાણીએ પાટલા ઢાળ્યા. આજે જ તેમણે પાપડ બનાવ્યા હતા. ખૂબ હોંશથી બનાવેલા. તેથી બકોર પટેલને ચખાડવા પોતે તલપાપડ બની ગયાં હતાં. થાળી પીરસીને એક બાજુ રકાબીમાં બે પાપડ મૂક્યા.

બકોર પટેલ આવીને પાટલે બીરાજ્યા. પાપડ ઉપર નજર પડતાં જ મલકાતાં મલકાતાં બોલી ઊઠ્યા : ‘ઓહોહોહોહો ! આજે તો પાપડમ્ વણી નાખ્યામ્ ને કંઈ !’
‘શું કરું ત્યારે ?’ શકરી પટલાણીએ જવાબ આપ્યો, ‘રોજરોજ તમે બબડોકે પાપડમ્ તૈયાર નહિ થાય, તો સાપડમ્ (ભોજન) કરવાનો નથી જ ! તેથી આજે બપોરે બેચાર બહેનપણીને બોલાવી તાબડતોબ વણી નાંખ્યા !’
‘પણ મને તો રાખ્યો અંધારામાં ! તમે બૈરાં માળાં બહુ પાક્કાં !’ પટેલ તાજેતરમાં મદ્રાસની મુસાફરી કરી આવેલા. ત્યાંની તામિલ ભાષામાં પાપડને ‘પાપડમ્’ કહે અને ભોજનને ‘સાપડમ્’ ત્યારથી ગમ્મતમાં પટેલ જ્યારે ને ત્યારે તામિલ ભાષાના એ શબ્દો વાપરી વારે વારે પાપડમ્ સાપડમ્ લગાવ્યા કરતા.
વધુ આગળ વાંચો »

Jul 24
2010

ચાર ચતુર – વસંતલાલ પરમાર

[બાળવાર્તાના સુંદર પાંચ પુસ્તકો પૈકી ‘ચાર ચતુર’ પુસ્તકમાંથી પ્રસ્તુત વાર્તા સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તકો ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. આ પાંચ પુસ્તકોના નામ આ પ્રમાણે છે : ‘પાણીચોર શિયાળ’, ‘બતકનો માળો’, ‘સાહસવીર કુંદન’, ‘ચાર ચતુર’ અને ‘સોનાનો જવ’. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.]

રામપુર નામના નગરમાં ચંદ્રસેન નામનો રાજા રાજ કરતો હતો. રાજા શૂરવીર અને પ્રજાપાલક હતો. પણ એ જબરો ઘમંડી હતો. એને પોતાની અક્કલ-હોશિયારીનું જબરું ગુમાન હતું. એ પોતાની જાતને બુદ્ધિ-ચાતુર્યનો ખજાનો માનતો અને જેને તેને કહેતો ફરતો કે, મારી જેટલી ચતુરાઈ અને અક્કલ આખી દુનિયામાં કોઈનામાંયે નથી. રાજાના ઘમંડ અને બુદ્ધિ-પ્રદર્શનની વાત આખાયે રાજ્યમાં ફેલાઈ ગઈ.

રામપુરમાં ચાર દોસ્તો હતા. એમનાં નામ ધનજી, કાનજી, ખીમજી અને દામજી. ચારે જણા અક્કલના બહાદુર અને ચતુરાઈમાં ચડિયાતા હતા. એક દિવસ ચારે જણા ગામચોરે બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા, ત્યાં ધનજી બોલી ઊઠ્યો : ‘અલ્યા ભાઈઓ ! આપણો રાજા જેની-તેની આગળ એની અક્કલ, હોશિયારી અને ચતુરાઈની જ વાતો કર્યા કરે છે. એનું એને જબરું અભિમાન અને ઘમંડ છે. આપણે એમ કરીએ ? ચારે જણા મળીને એને એવો પાઠ ભણાવીએ કે, જિંદગી આખી યાદ કરી જાય અને એનો ઘમંડ દૂર થઈ જાય. બોલો મારી વાતને તમારો ટેકો છે ?’ એના ભેરબંધોએ એની વાત વધાવી લીધી. અને એક દિવસ નક્કી કરીને રાજાના દરબારમાં જવાનું વિચાર્યું.
વધુ આગળ વાંચો »

Jul 05
2010

વણઝારા રે…. – યશવન્ત મહેતા

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘આપણો અમર વારસો : જાતકકથાઓ’ પુસ્તકમાંથી સાભાર. ‘જાતકકથાઓ’ એટલે જન્મકથાઓ. ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથાઓ. બુદ્ધના અનેક આગલા જન્મોમાં જે કોઈ નોંધપાત્ર પ્રસંગ, ઘટના વગેરે બન્યાં હોય તેને ગૂંથીને રચાયેલી કથા. ગૌતમ ‘બુદ્ધ’ થયા એટલે કે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એ પહેલાં તેઓ ‘બોધિસત્વ’ કહેવાયા. એટલે જાતકકથાઓને ‘બોધિસત્વકથાઓ’ પણ કહે છે. પ્રસ્તુત પુસ્તકના પાંચ ભાગોમાં કુલ 45 જેટલી વાર્તાઓ પ્રકાશિત કરવામાં આવી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

ઘણા સમય પહેલાં કાશી દેશમાં વારાણસી નગર હતું. ત્યાં રાજા બ્રહ્મદત્ત રાજ્ય કરતો હતો. બોધિસત્વે ત્યારે એક બડા વેપારી અથવા વણઝારાને ઘેર જન્મ લીધો. ઉંમરલાયક થતાં એમણે વેપાર કરવાનું શરૂ કર્યું. તેઓ આસપાસના પ્રાંતોમાં માલ લઈને જતા અને વેચીને આવતા. ક્યારેક આ પ્રાંતમાં તો ક્યારેક તે પ્રાંતમાં જતા. જ્યાં જેની ખપત વધારે હોય ત્યાં એ માલ વેચતા, સારી કમાણી કરતા.

એક વાર એમણે વિચાર કર્યો કે વધારે દૂરના પ્રદેશોમાં વેપાર કરવો જોઈએ. એ બહાને દેશ-પરદેશના ભ્રમણનોય લાભ મળશે. આમ વિચાર કરીને બોધિસત્વે ઓછીવત્તી કિંમતની ઘણીબધી ચીજવસ્તુઓ એકઠી કરવા માંડી. પાંચસો ગાડાં ભરાય એટલો માલ જમા કર્યો. પછી પાંચસો ગાડાં અને એમને માટે હજાર બળદ અને પાંચસો ગાડાખેડુ તૈયાર કરવા માંડ્યા. આવી મોટી વણઝારને એ જમાનામાં સાર્થ કહેતા. વણઝારાને સાર્થવાહ કહેતા. હવે બોધિસત્વ જ્યારે સાર્થની તૈયારી કરતા હતા ત્યારે વારાણસીના જ એક બીજા વણઝારાનો દીકરો આવી જ તૈયારી કરતો હતો. એણે પણ પાંચસો ગાડાં અને પાંચસો ગાડાંમાં સમાય એટલો માલ-સામાન તૈયાર કર્યાં હતાં. એણે પણ વણઝાર ચલાવવાની તૈયારી કરી.
વધુ આગળ વાંચો »

Jun 06
2010

અજબ ચોર – ઝવેરચંદ મેઘાણી

[ બાળવાર્તા : ‘દાદાજીની વાતો’ પુસ્તકમાંથી સાભાર.]

એક હતો ચોર. એને એવું નીમ કે એક વરસમાં એક જ વાર ચોરી કરવી, બીજી વાર નહિ. એક દિવસે એ ચાલ્યો ચોરી કરવા. રસ્તામાં એક નદી આવી ત્યાં એ બેઠો. એટલામાં એક વાણિયો નીકળ્યો. વાણિયાને બહુ તરસ લાગેલી. ખોબો ભરીને જ્યાં પાણી પીવા જાય ત્યાં તો ચોરને જોયો. વાણિયાના પેટમાં ફાળ પડી. પાણી પૂરું પીધા વિના એ ઊઠ્યો.

ચોર કહે : ‘શેઠજી, પૂરું પાણી તો પી લ્યો !’
વાણિયો કહે : ‘બસ ભાઈ, મારે વધારે નથી પીવું.’
ચોર કહે : ‘શેઠ, તમે ભડકો મા. હું તમને નથી લૂંટવાનો. વિશ્વાસ રાખો, ને પાણી પી લ્યો. મારે તો મોટી ચોરી કરવાની છે.’
વાણિયે પાણી પીધું. ચોર કહે : ‘શેઠ ! તમારી પાસે આ લાકડી છે, તે મને આપો. પૈસા દઉં.’
વાણિયાના મોઢા ઉપરથી લોહી ઊડી ગયું. એ બોલ્યો : ‘ભાઈ, મારાથી લાકડી વિના હલાય નહિ. લાકડીને ટેકેટેકે તો હું હાલું છું. આંહીં વગડામાં બીજી લાકડી ક્યાંથી કાઢું ?’ ચોરે લાકડી ઝૂંટવી લીધી, અને એને ચીરી ત્યાં તો માંહેથી ચાર રત્નો નીકળ્યાં. દાંત કાઢીને ચોર કહે :
‘શેઠજી, તમને મેં અભયવચન દીધેલું, તો યે તમે મારી પાસે ખોટું બોલ્યા ! લ્યો તમારાં રત્ન. મારે એ ખપે નહિ, તમે ક્યે ગામ જાઓ છો ?
શેઠ કહે : ‘ઉજેણી નગરી.’
ચોર કહે : ‘ઉજેણીના રાજા વીર વિક્રમને એટલું કહેજો કે આજે રાતે હું ચોરી કરવા આવીશ, માટે હુશિયાર રહે.’
વધુ આગળ વાંચો »

May 22
2010

બે બાળવાર્તાઓ – જગદીશ ધનેશ્વર ભટ્ટ

[1] ગણતર વિનાનું ભણતર

આપણામાં કહેવત છે ને કે ‘ગાંડાઓના તો કદી ગામ હોતાં હશે ?’ કહેવાનું તાત્પર્ય એ કે ગાંડાઓ પોતાની મેળે જ પોતાના વર્તનથી ઓળખાઈ જાય છે. આવા ચાર મૂરખાઓની આપણે વાત કરીએ. ચાર મિત્રો હતા. તેઓ સાથે સાથે ફરતા. શહેરમાં ભણવા ગયા. દસ વર્ષ ભણ્યા. વિદ્યા પ્રાપ્ત કરી. જ્ઞાની થયા. પાછા ફર્યા. તકલીફ એ વાતની હતી કે તેઓ ભણતા હતા પણ ગણતા ન હતા. જ્ઞાનનો ઉપયોગ કઈ રીતે વિવેકપૂર્ણ કરવો તે જાણતા ન હતા. માત્ર વેદિયા હતા.

તેઓ ઘર તરફ પાછા ફરતા હતાં. ચાલતાં ચાલતાં ચાર રસ્તા ભેગા થતા હતા તેવી જગ્યાએ આવી પહોંચ્યા. હવે ક્યાં જવું તેવા વિચારોમાં ખોવાયા. એટલામાં તેમની નજરે સ્મશાનયાત્રા પડી. તેની પાછળ કેટલાક તાજામાજા માણસો પણ આવતા હતા. સ્મશાનયાત્રા તેમની પાસેથી પસાર થતી હતી ત્યારે આ ચારમાંથી એક જણ બોલ્યો : ‘મિત્રો, પુસ્તકમાં લખ્યું છે કે મહાજનો જ્યાંથી પસાર થાય તે રસ્તે જવું જોઈએ. આમ કરીને તેમની પાછળ પાછળ ચારે જણ ચાલવા લાગ્યા. તેઓ ચાલતાં ચાલતાં સ્મશાને પહોંચ્યા. ત્યાં વિધિ પૂરી થયા બાદ ડાઘુઓ વેરાઈ ગયા. ચારે જણ એકલા રહ્યા. ચારેની નજરે એક ગધેડો દેખાયો. તેને જોઈને બીજો બોલ્યો : ‘ભાઈઓ, પુસ્તકમાં લખ્યું છે ને, રાજાના દરવાજે અથવા તો સ્મશાનમાં જે ઊભું હોય તે ભાઈ કહેવાય. માટે આ ગધેડો આપણો ભાઈ ગણાય.’ આમ કહીને ચારે જણ ગધેડાને વળગી પડ્યા. કોઈ તેના પર બેઠું. બીજો પૂંછડું રમાડવા માંડ્યો. ત્રીજો ઘાસ ખવડાવવા લાગ્યો. ચોથો ગધેડાના પગ ધોવા માંડ્યો.
વધુ આગળ વાંચો »

May 15
2010

સૌને ગમે – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

મારા બારણાને ટોડલે ચકલી રમે,
એની ઝીણી ઝીણી આંખ,
એની નાની નાની પાંખ,
એ તો રમતી ને ઊડતી સૌને ગમે

મારા ફળિયાને લીમડે પોપટ રમે,
એની ગોળ ગોળ આંખ,
એની લીલી લીલી પાંખ,
એ તો બોલતો ને ઊડતો સૌને ગમે.

મારા ઘરને તે આંગણે વાછરું રમે,
એના સુંવાળા વાળ,
એની થનગનતી ચાલ,
એ તો નાચતું ને કૂદતું સૌને ગમે.

મારી નાનકડી બેન મારા ઘરમાં રમે,
એની કાલી કાલી બોલી,
એની આંખ ભોળી ભોળી,
એ તો રમતી ને હસતી સૌને ગમે.

સૌને ગમે, સૌને ગમે,
ઘર મારું નાનું સૌને ગમે !

Page 1 of 41234