વાર્તા-સ્પર્ધા : 2010 પરિણામ – તંત્રી
જેની સ્પર્ધકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તે વાર્તા-સ્પર્ધા : 2010નું પરિણામ નક્કી કરેલ સમય કરતાં એક સપ્તાહ વહેલું આવી પહોંચ્યું છે. આ પરિણામની વિશેષતા એ છે કે પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલી વાર્તાના ગુણ ગત સ્પર્ધા જેટલા જ રહ્યા છે. વળી, અગાઉની સ્પર્ધાની જેમ આ વર્ષે પણ કુલ ચાર વિજેતાઓ જાહેર થયા છે. વિજેતા થયેલા તમામ નવોદિત સ્પર્ધકોની આ પહેલી વાર્તા છે. આવો, વિજેતાઓની વિગત જાણી લઈએ…
[1-અ] નિશિતા સાપરા, અમેરિકા (વાર્તા : રૂપાની ઝાંઝરી. ગુણ : 197/300)
[1-બ] અભય દેસાઈ, વડોદરા (વાર્તા : એક હતો ‘અ’. ગુણ : 197/300)
[2] હિરલ શાહ, યુ.કે. (વાર્તા : રત્નાનો કેસ. ગુણ : 185/300)
[3] સંકેત વર્મા, ભાવનગર (વાર્તા : પડઘો. ગુણ : 169/300)
સ્પર્ધાનું સમગ્ર પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો : http://www.readgujarati.com/notes/
પ્રથમક્રમે વિજેતા થનાર નિશિતાબેન મૂળ આણંદના વતની છે. અભ્યાસે MCA કર્યા બાદ તેમણે વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં ત્રણ વર્ષ કોમ્પ્યુટર સાયન્સના લેકચરર તરીકેની ફરજ બજાવી છે. એ પછી લગ્નબાદ હાલમાં તેઓ પતિ સાથે અમેરિકા સ્થાયી થયા છે. ‘સોફટવેર ડિઝાઈન અને ડેવલપમેન્ટ’ એ તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર છે. ગુજરાતી સાહિત્યપ્રીતિ તેમને માતા તરફથી વારસામાં મળેલ છે. આ વાર્તા-સ્પર્ધામાં વિજેતા થયેલી તેમની કૃતિ ‘રૂપાની ઝાંઝરી’ તેમણે લખેલી પ્રથમ વાર્તા છે. ગ્રામ્ય સમાજનું દ્રશ્ય રજૂ કરતી આ વાર્તામાં નવી આવેલી રૂપા વહુની મોંઘી ઝાંઝરી ખોવાય છે. દેરાણીની એ ઝાંઝરી જેઠાણી માટે અદેખાઈનું કારણ બની જાય છે. પરંતુ જ્યારે ઝાંઝરી મળી આવે છે ત્યારે રૂપા કઈ રીતે જેઠાણીને સ્નેહથી પોતાની કરી લે છે તે અદ્દભુત રીતે આલેખાયું છે. સ્ત્રી સહજ ઈર્ષ્યા, અદેખાઈની સામે ઉદાર મનોભાવના દર્શાવતી આ વાર્તા માનવીનું ખરેખરું સુખ તેના પોતાના હાથમાં છે એવો બોધ આપી જાય છે.
વધુ આગળ વાંચો »
એક નોંધ – તંત્રી
પ્રિય વાચકમિત્રો,
આપ જોઈ શકો છો કે ‘રીડગુજરાતી’માં કેટલાક આવશ્યક ફેરફારો કરવામાં આવ્યા છે. વધુ સરળતા રહે તે માટે ‘Drop down Menu’ ઉમેરવામાં આવ્યું છે. લાંબા સમય સુધી વાંચવામાં તકલીફ ન પડે તે માટે આછા રંગોની પસંદગી કરવામાં આવી છે. દરેક લેખને હવે આપ ‘PDF’ તરીકે આપના કોમ્પ્યુટરમાં સાચવી શકો છો. ખૂબ ઝડપથી ખૂલી શકે તે માટે ‘રીડગુજરાતી’ને વધુ સુસજ્જ કરવામાં આવ્યું છે. પરંતુ આ સુવિધાઓ ઉપરાંત બાકી રહી ગયેલા કેટલાક નાના-મોટા વિભાગોને વ્યવસ્થિત કરવાનું કાર્ય હજુ ચાલુ છે જેથી આજે બે નવા લેખો પ્રકાશિત કરી શકાય તેમ નથી. આવતીકાલે ગુરુવારની સવારથી આપણે રાબેતા મુજબ બે લેખો માણીશું. આપના પ્રતિભાવો આવકાર્ય છે.
લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી
+91 9898064256
રીડગુજરાતી : છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ – તંત્રી

પ્રિય વાચકમિત્રો,
આજે રીડગુજરાતી પાંચ વર્ષ પૂરા કરીને છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ત્યારે સૌ પ્રથમ આપ સૌને મારા પ્રણામ. ગિરનાર ચઢનારો માણસ, અમુક પગથિયાંના ચઢાણ બાદ અટકીને થોડો પોરો ખાય છે. ઉંચાઈ પરથી આસપાસની પ્રકૃતિને નિહાળે છે. ઘડીક પોતાના મિત્ર સાથે વાતો કરી લે છે અને ફરીથી આગળ ચઢવાનું શરૂ કરે છે. એ રીતે, વર્ષમાં આ એક દિવસ એવો આવે છે કે ઘડીક રોકાઈ જઈને આપની સાથે વાતો કરવાનું મન થાય છે અને પાછી ફરીથી યાત્રા આગળ વધતી રહે છે.
મિત્રો, સાહિત્ય શું નથી આપતું ? તે વિચારોને કેળવે છે અને ધીમે ધીમે જીવનને સમૂળગું બદલી નાખે છે. મારો ખુદનો અનુભવ એવો રહ્યો છે. થોડા વર્ષો અગાઉની ઘટનાઓને યાદ કરું છું તો એમ લાગે છે કે જાણે તે બધી પૂર્વજન્મની વાતો છે ! આટલી હદ સુધી પુસ્તકો વિચાર પરિવર્તન કરી શકે છે. એની પ્રચંડ શક્તિને મેં અનુભવી છે. દુનિયાએ નક્કી કરેલા માર્ગોથી દૂર રહીને તે આપણામાં નવી કેડી કંડારવાની સાહસવૃત્તિ જન્માવે છે. જો એમ ન હોત તો પાંચ વર્ષ આ રીતે પસાર કરવા શક્ય ન બનત. સમાજ આપણને કેનાલના પાણીની જેમ જીવવાની સતત ફરજ પાડે છે; એની સામે સાહિત્ય મુક્ત ઝરણાંની જેમ જીવનનો આનંદ માણતાં શીખવે છે. બધા જ બંધનોને તોડીને પોતાનો રસ્તો તૈયાર કરવાની હિંમત આપે છે. આ મારો એકદમ તાજો અનુભવ છે. મારી અંગત વાત કરું તો આ સમય દરમ્યાન મેં કોઈ આર્થિક આયોજનનો પ્રયાસ કર્યો નથી. ન કોઈ નોકરી કે ન તો કોઈ ધંધો. તેમ છતાં મારી તમામ જરૂરિયાતો પૂરી થઈ શકે એટલી મદદ ચારેય દિશામાંથી સતત મળતી રહી છે. આનો અર્થ એમ નથી કે મુશ્કેલ પરિસ્થિતિઓ ન આવે. એ તો આવે જ. ક્યારેક આપણી શ્રદ્ધા ડગી પણ જાય. પરંતુ સાહિત્ય આપણને વિચલિત નહીં થવા દે. એ આપણી સામે એવા ઉદાહરણો લાવીને મુકશે કે કોઈ પણ કપરી પરિસ્થિતિમાં આપણને એમ જ લાગે કે ‘આવું તો થાય !’ બસ, આ શબ્દબળને સહારે ફરી પાછા આપણે નવી કેડી પર ચાલવા શક્તિમાન બની જઈએ છીએ.
વધુ આગળ વાંચો »
રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા : 2010 – તંત્રી
પ્રિય વાચકમિત્રો,
પ્રતિવર્ષની જેમ આજથી ‘રીડગુજરાતી વાર્તા લેખન સ્પર્ધા-2010’નો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે સૌ વાચકમિત્રોને આ સ્પર્ધામાં ભાગ લેવા ભાવભર્યું આમંત્રણ છે. ખાસ કરીને આ સ્પર્ધાનો હેતુ નવોદિત સર્જકોને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે. આથી, જેઓ વાર્તા-લેખન ક્ષેત્રે પ્રથમ પગલું ભરી રહ્યાં હોય તેમને માટે આ સ્પર્ધા સુવર્ણતક સમાન છે.
માણસ લખીને ઘણું વ્યક્ત કરી શકે છે. કંઈક અંશે નિર્ભાર થઈ શકે છે. પોતાના મનમાં ઊઠતા ભાવોને વાચા આપી શકે છે. પોતાના વિચારોને વ્યવસ્થિત ગોઠવી શકે છે. હું તો વ્યક્તિગત રીતે એમ માનું છું કે લખવું એટલે જાણે પોતાનું કબાટ ગોઠવવું. ગૃહિણીઓ બપોરના નવરાશના સમયે કબાટમાં મૂકેલી ચીજવસ્તુઓને વ્યવસ્થિત રીતે ગોઠવે છે. કપડાંની ગડી કરીને કપડાંની થપ્પીમાં મૂકે છે. સૌંદર્ય પ્રસાધનની વસ્તુઓ એની જગ્યાએ સાચવીને રાખે છે. એ રીતે માણસ લખવાનું નક્કી કરે એટલે એના મનમાં વિચારો વ્યવસ્થિત રીતે ગોઠવાવા લાગે છે અને વિચારો વ્યવસ્થિત રીતે ગોઠવાય એટલે એ ઘટના-પ્રસંગોમાં રહેલું સત્વ ઉપર તરી આવે છે. આ સત્વને આધારે જે સર્જકને સમાજને જે સંદેશો આપવો હોય તે પ્રમાણે વાર્તાનો પિંડ બંધાય છે. સર્જક પછી ધીમે ધીમે પોતાના વાચકને કથાના પ્રવાહમાં દોરી જાય છે. લેખન-વાંચનની આ પ્રક્રિયા આપણને આ દુનિયાની અંદર જ એક બીજી દુનિયાની સફર કરાવે છે. એટલે જ સાહિત્યના સંગમાં રહેલા આનંદને ‘બહ્મ સહોદર આનંદ’ કહ્યો છે. વ્યક્તિ જેટલો સમય લેખન-વાંચનમાં પસાર કરે છે એટલો સમય તે જાણે ઈશ્વર સમીપ વાસ કરે છે.
3000 લેખોની વાચનયાત્રા – તંત્રી

આજના મંગલપ્રભાતે ‘રીડગુજરાતી’ 3000 લેખોની વાચનયાત્રા પૂરી કરે છે ત્યારે ઘડીક રોકાઈને આ યાત્રા વિશે કેટલીક વાતો કરવાનું મન થાય છે. જેમ કેટલું ચાલ્યા એના કરતાં ક્યાં પહોંચ્યા એ વધારે મહત્વનું હોય છે એમ, કેટલું વાંચ્યું એના કરતાં શું વાંચ્યું એનું મહત્વ હંમેશા વધારે રહેવાનું. તેથી આંકડાઓ ક્યારેય અગત્યના હોતા નથી પરંતુ એ બહાને ઘડીક અતીતમાં ડોકિયું કરવાની તક મળી જાય છે. ગિરનાર પર એક હજાર પગથિયાં ચઢીએ એટલે થોડો પોરો ખાવાનું મન સ્વાભાવિક થઈ આવે. એ રીતે આજે 3000મા પગથિયે બેસીને ચાલો થોડી વાતો કરીએ.
માણસની કોઈપણ પ્રવૃત્તિ ત્યારે પરિપૂર્ણ બને છે જ્યારે તેમાં તેનું મન પરોવાય છે. વાચન પણ એમાંથી બાકાત નથી. આ વાતનો અહેસાસ મને ‘રીડગુજરાતી પુસ્તિકા’ના પ્રકાશન સમયે થયો. પસંદ કરેલા લેખો મુદ્રકને આપ્યા બાદ, કોમ્યુટરમાં તેનું લખાણ અને આવરણ તૈયાર કરીને તેમણે મને અઠવાડિયા પછી પુસ્તકની કાચી નકલ તૈયાર કરીને આપી. મારાથી તેમને સહજ પૂછાઈ ગયું :
‘તમને આ લેખો કેવા લાગ્યા ?’
તેમણે આશ્ચર્યથી મારી સામે જોઈ, મને પૂછ્યું : ‘તમે મને કંઈ કહ્યું ?’
‘હા…હા.., આ લેખો તમે કોમ્પ્યુટરમાં લખ્યા, એની જોડણી તપાસી અને આ કાચી નકલ તમે તૈયાર કરીને આપી એટલે તમે એના સૌથી પહેલા વાચક થયાને ?’
‘મેં ક્યાં વાંચ્યું છે ? મેં તો ફક્ત ટાઈપ કરીને એની જોડણી ચકાસી. મને તો તેનો અક્ષરેય યાદ નથી !’
વધુ આગળ વાંચો »
થોડુંક વિચારીએ…. – તંત્રી
પ્રિય વાચકમિત્રો,
રીડગુજરાતી પર રોજ સૌ લેખો પર ‘કોમેન્ટ’ લખે પરંતુ આજે મને થયું કે હવે ‘કોમેન્ટ’ પર લેખ લખવાનો સમય આવી ગયો છે ! તેથી આ પ્રતિભાવ લખવાની સુવિધા વિશે કેટલીક બાબતો આપની સાથે વહેંચવા માગું છું. મને આશા છે કે આપ એ વિશે ગંભીરતાથી વિચારશો.
આપણે પ્રતિભાવ શા માટે લખીએ છીએ ? સ્વાભાવિક છે કે પુસ્તક, સામાયિક કે અખબાર વાંચીને આપણે લેખકને તુરંત ફોન કરી દેતા નથી. ઘણીવાર તો લેખક સાથે આપણો કોઈ સંપર્ક કે ઓળખાણ હોતી નથી. કોઈ સુંદર લેખ વાંચીને લેખકને બિરદાવવાનું મન હોય તો પણ સંપર્ક કરવો અઘરો બની જાય છે. 21મી સદીમાં ટેકનોલોજીના આ માધ્યમથી લેખકને આપણો વિચાર પહોંચાડવો સરળ બની રહે છે. પ્રતિભાવ લખવાનો હેતુ લેખકનો લેખ વાંચ્યા પછી આપણા મનમાં જે વિચાર ઊગ્યો હોય તેને સર્જક સુધી પહોંચતો કરવાનો હોવો જોઈએ. શક્ય છે કે કોઈ વાર્તામાં આપણને અમુક સંવાદ, દ્રશ્ય કે વિચાર ન ગમ્યા હોય. એ બાબતો વિશે પણ આપણે વિવેકથી આપણું મંતવ્ય જરૂર રજુ કરી શકીએ. પ્રતિભાવ લખવો એટલે લેખકના વિચાર સાથે સંમત થઈ જવું એમ તો નથી જ પરંતુ સાથે સાથે વિરોધમાં આક્રમકતા હોવી પણ જરૂરી નથી. આપણી ભાષા એ આપણા સ્વભાવનો પરિચય છે.
પ્રત્યેક લેખનું સ્તર એક પ્રકારનું હોતું નથી. બાળવાર્તા સરળતાથી સમજાઈ જાય છે જ્યારે અમુક લેખો વિચારમંથન માંગી લે છે. એ પ્રકારના લેખો પર ઉતાવળે લખાયેલો અભિપ્રાય ક્યારેક લેખના વિષયને બરાબર ન્યાય આપી શકે તેમ હોતો નથી. ઘણીવાર તો બે-ત્રણ વાર વાંચન થાય ત્યારે લેખકના કહેવાનું તાત્પર્ય બરાબર સમજાતું હોય છે. મનનને વાંચન બાદ એથી જ તો બીજા ક્રમે મૂકવામાં આવ્યું છે. વિચારશીલ લેખોના તત્વને યોગ્ય રીતે સમજ્યા વગર લખાતા પ્રતિભાવોની દિશા ક્યાંક તો સાવ અલગ હોય છે અથવા તો એ પ્રતિભાવો ઉપર ઉપરથી લખાયેલા હોય છે.
વધુ આગળ વાંચો »
આભાર – તંત્રી
રીડગુજરાતી તરફથી પ્રકાશિત થયેલી પ્રથમ પુસ્તિકા ‘જીવનપાથેય’ને સુંદર પ્રતિસાદ આપવા બદલ હું આપ સૌ વાચકમિત્રોનો આભારી છું. છેલ્લા પંદર દિવસમાં આ પુસ્તિકાની 300 થી વધુ નકલો યુ.કે, કેનેડા, અમેરિકા તેમજ ભારતના અનેક શહેરોના વાચકો સુધી પહોંચી શકી છે તે આનંદની વાત છે. આ પુસ્તિકાની કુલ 500 પ્રત પ્રકાશિત કરવામાં આવી છે. આથી જે વાચકમિત્રો, એક કે તેથી વધુ નકલો મેળવવા ઈચ્છતા હોય તેઓ કૃપયા પોતાનો ઑર્ડર સત્વરે નોંધાવી લેશો તેવી નમ્ર વિનંતી. હાલમાં આ પુસ્તિકા ભાવનગરના ‘પ્રસાર’ તેમજ વડોદરાના ‘ક્રોસવર્ડ’ ખાતેથી પણ મેળવી શકાશે.
આપ અહીંથી ઑર્ડર નોંધાવી શકો છો : Click Here to Order
રીડગુજરાતી તરફથી આગામી પુસ્તિકાઓ માટે આપનું યોગદાન આવકાર્ય છે : Click Here to Donate
સૌ વાચકમિત્રોને પ્રણામ.
લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.
+91 9898064256
જીવનપાથેય : ‘રીડગુજરાતી પુસ્તિકા’ – તંત્રી
આજના મંગલ પ્રભાતે રીડગુજરાતીની આ પ્રથમ પુસ્તિકા ‘જીવનપાથેય’ આપ સૌ વાચકો સમક્ષ મૂકતાં હું અત્યંત આનંદની લાગણી અનુભવું છું. આપના પ્રોત્સાહન, સહકાર અને શુભેચ્છાઓથી આજે આ સપનું સાકાર બન્યું છે ! આ પુસ્તિકાનું નામ ‘જીવનપાથેય’ રાખવામાં આવ્યું છે. ‘જીવનપાથેય’ એટલે કે જીવનપંથ માટેનું ભાથું. અહીં ભાથું એટલે કે સુસાહિત્યનો સંચય. એક એવા પ્રકારનો વૈચારિક ખોરાક કે જે આપણા ચિત્તને પોષણ પૂરું પાડે અને મનને અનેરી તાજગી બક્ષે.
મને હંમેશા એમ લાગે છે કે વાંચવું એટલે કશુંક પામવું. જે વાંચીને કશુંક મેળવ્યાનો અહેસાસ થાય તેને જ ખરા અર્થમાં વાંચન કહી શકાય. તેથી જ રીડગુજરાતી પર હું વાચકોને માત્ર ગમે એવા નહિ, પરંતુ સૌ વાચકો માટે ખરેખર વાંચવા જરૂરી હોય તેવા લેખો પસંદ કરવાનો આગ્રહ રાખું છું. સારું વાંચન આપણને હંમેશા વિચારવા મજબૂર કરે છે. ક્યારેક એ વિચારો આચરણમાં પરિણમીને માનવીય ચારિત્ર્યનું ઘડતર કરતાં હોય છે. આપણા જીવન ઘડતરમાં આપણને મદદરૂપ બને તેવા કુલ 18 જેટલા વિવિધ પ્રકારના ઉત્તમ લેખોનો આ ‘જીવનપાથેય’માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ લેખોમાં મુખ્યત્વે નિબંધો, વાર્તા, પ્રેરક-પ્રસંગો, બાળવાર્તા, લઘુકથાઓ અને સત્યઘટનાઓ છે. રીડગુજરાતી પર અગાઉ પ્રકાશિત થયેલા તેમજ કેટલાક અપ્રકાશિત લેખો પણ આ પુસ્તિકામાં સમાવી લેવાયાં છે. મનગમતા લેખોને કાયમીરૂપે સાચવી રાખવા માટે અથવા ફુરસદના સમયે ફરીથી મમળાવવા માટે કે કોઈ પરિચિત મિત્રોને વહેંચવા માટે આ પુસ્તિકા આપને મદદરૂપ થઈ રહેશે તેમ હું માનું છું.
વધુ આગળ વાંચો »

સાહિત્યકાર : 



