Aug 24
2010

મૌનની આરતી – વર્ષા તન્ના

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

જ્યારે શ્યામ વાસંળી વગાડતા હોય અને આખી સૃષ્ટિ તેને સાંભળ્યા કરે અને જે ચૂપકીદી છવાઈ ગઈ હોય તે અલૌકિક હોય છે. તે ચૂપકીદી સભર સભર હોય છે. મૌન રળિયામણું હોય છે. ત્યારે બીજા અવાજો અણગમતા હોય છે. માત્ર કૃષ્ણની વાંસળીનો સૂર ગોપીઓને સાંભળવો છે. જ્યાં પોતાના હૃદયના ધબકારા પણ ખલેલ પહોંચાડે છે. આવું રળિયામણું ગોકુળિયું મૌન.

કૃષ્ણ તો દ્વારિકામાં પણ છે. ત્યાંના રાજા છે. પ્રજા તેને ખૂબ જ પ્રેમ કરે છે. છતાં ત્યાંનું મૌન રળિયામણું નથી. અહીં કૃષ્ણ ગોવાળિયા નથી. અહીં તે રાજા છે. એટલે તે વાંસળી વગાડતા નથી, શંખ ફૂંકે છે. એટલે અહીં તેને રાજની ખટપટના વિચારો કરવા પડે છે. આ વખતનું મૌન ભારેખમ મૌન છે. ત્યાં પણ કૃષ્ણ અને ગોકુળમાં પણ કૃષ્ણ હતા. છતાં બન્નેનું વ્યક્તિત્વ અલગ, મૌન પણ અલગ. ગોકુળનું મૌન બધા માગીને લે છે. તો દ્વારિકામાં હંમેશાં મૌન જ છવાયેલું છે. કારણ કે હૃદયમાં ખળભળાટ ચાલ્યા કરે છે. ગોકુળની હવા નિર્દોષ છે. એટલે રમતી રહે છે. એટલે તે પણ ચૂપ થઈને કૃષ્ણની મધુર વાંસળી સાંભળ્યા કરે છે. જ્યાં નિર્દોષતા છલકતી હોય છે ત્યાં મૌન પણ રળિયામણું હોય છે. જ્યાં ખટપટ કાવાદાવા હોય ત્યાં મૌન તો હોય છે પણ હૃદયમાં શોરબકોર ચાલતો હોય છે તે બહારના મૌનને પણ જંપવા દેતો નથી.
વધુ આગળ વાંચો »

Aug 19
2010

ઝલક નવરંગ – સુરેશ દલાલ

[ વિચારપ્રેરક નિબંધોની શ્રેણીના પુસ્તક ‘ઝલક નવરંગ’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] અદેખી માણસજાત

આપણે એકમેકને મળીએ છીએ ખરા,
પણ એકમેકનું શોષણ કરવા………… – ટી. એસ. એલિયટ

નોબેલ પ્રાઈઝ વિજેતા એલિયટે ‘ધ વેસ્ટ લૅન્ડ’ નામનું કાવ્ય લખ્યું. કાવ્યનો વિષય છે કે આપણી સંસ્કૃતિની ઈમારત કડડડભૂસ થઈ ગઈ છે. આપણે એવી ઊષર ભૂમિમાં જીવીએ છીએ, જ્યાં કશું ઊગી ન શકે. એલિયટ વીસમી સદીના. એની પહેલાના કવિ વડર્ઝવર્થે સાંજને શાંત, પવિત્ર સાધ્વી સાથે સરખાવી. એલિયટ કહે છે કે આ વીસમી સદીની સાંજ તો આકાશમાં ઑપરેશન ટેબલ પર કોઈ દરદીને ઍનેસ્થેસિયા આપ્યો હોય એવી સાંજ છે. જાણે કે સંસ્કૃતિનું ચેતન જ હણાઈ ગયું છે. સંવેદનશીલતા છે જ નહીં. મોટા ભાગના સંબંધો સામાજિક અને ડંફાસિયા હોય છે. મરઘી જેમ ઈંડાં મૂકે એમ આપણે મોઢું ભરાઈ જાય એવા મોટા મોટા માણસોનાં નામ દઈએ છીએ. મારે ને મનમોહનસિંહને ઘર જેવું. સોનિયા ગાંધી મને પૂછ્યા વિના નિર્ણય ન લે. મને પાર્લામેન્ટની સીટ ઑફર થઈ હતી, પણ મેં ના પાડી. લોકોને આંજવાની આ કળા અને કરામત છે. કેટલાક ભોળા લોકો આ બધું માની પણ બેસે છે. લંચ પર મળવાની વાતો ચાલે છે અને લાંચથી બધું કામ પતી જાય છે. તમે કોને કેટલા ઉપયોગી છો એના પર સંબંધનો આધાર રહે છે. તમારી વગ કેટલી છે એને આધારે તમારી આસપાસ દરબાર ભરાય છે. જેવા તમે ખુરશી પરથી ઊતરી જાઓ છો પછી ધીમે ધીમે માણસો ખસતા જાય છે.

એલિયટે લંડનને અનરિયલ સિટી કહ્યું. માત્ર વાત લંડનની નથી. કોઈ પણ મોટા શહેરની આ વાત છે. નગર એટલે જ અવાસ્તવિકતા અને કૃત્રિમતા. અહીં બધું જ કૃત્રિમ. સંબંધો પણ. ક્યારેક આખું નગર વિકરાળ પશુ જેવું લાગે. સવાર પડે ને શિકારની શોધમાં પશુ નીકળે એની જેમ માણસો નીકળતા હોય છે. આખા શહેરનું કેન્દ્ર ધન છે. જે કામ પૈસાથી થાય છે એ કામ બીજાથી નથી થતું. માણસ એકમેક પર ઉપકાર કરે ત્યારે પણ એનાં અંતિમ હિત અને હેતુઓ તો જુદાં જ હોય છે. આજે અમે ખપમાં આવ્યા તો કાલે તમારે ખપમાં આવવું પડશે. એકમેકને શોષવાનો અહીં ગુપ્ત છતાં જાહેર અને જાહેર છતાં ગુપ્ત એવો ધંધો ચાલી રહ્યો છે.
વધુ આગળ વાંચો »

Jul 22
2010

રણ તો લીલાંછમ – ગુણવંત શાહ

[‘રણ તો લીલાંછમ’ પુસ્તકમાંથી સાભાર.]

[1] નાનકડું એ રૂપકડું

સુખી લોકોનું એક લક્ષણ હોય છે. તેઓ થાક ન લાગે તોય આરામ કરી શકે છે. ભૂખ ન લાગી હોય તોય તેઓ ખાતાં રહે છે. તરસ ન લાગી હોય ત્યારે પણ શરબત પીવાની ટેવ ખબર ન પડે એમ પડી જાય છે. કોઈ ખાસ આપત્તિ વગર પણ તેમનો મૂડ બગડી જાય છે. ક્યારેક કારણ વગર તાણ રહે છે. પૂરતી ટાઢ ન હોય તોય સ્વેટર પહેરવાનું જરૂરી બને છે. બેડરૂમમાં આરામ માટેની તમામ સગવડો હોય છે. માત્ર એક જ વાતની કમી હોય છે અને તે છે, ઊંઘ. ડાઈનિંગ ટેબલ આંખે ઊડીને વળગે તેવું હોય છે અને તેના પર મૂકેલી વાનગીઓની ડિશમાં સાક્ષાત સ્વાદ યોગ્ય જીભની પ્રતીક્ષા કરતો રહે છે. માત્ર એક જ વાત ખૂટે છે અને તે છે ભૂખ. પ્રશ્ન થાય છે કે સ્વાદનું ઉપસ્થાન વાનગી છે કે જીભ ? ઊંઘનું ઉપસ્થાન શયનખંડ છે કે આપણે પોતે ?

ભૂખ લાગે એ માટે લોકો ઍપિટાઈઝર લે છે. ઊંઘ માટેની જાતજાતની ગોળીઓ બજારમાં વેચાય છે. ભૂખ ન લાગે તે માટે પણ ગોળીઓ હોય છે અને ઊંઘ ન આવે તે માટેની એટલે કે જાગરણને મદદરૂપ થનારી ગોળીઓ પણ છે. આપણી ભૂખ પણ કેટલી બધી અતડી ! આપણી ઊંઘ પણ કેટલી બધી અળગી ! કદાચ કેટલાક સુખી લોકોની અવળચંડાઈને કારણે જ સમાજના કેટલાય લોકોને ભૂખ લાગે ત્યારેય ખાવા મળતું નથી. આરામની ખરેખરી જરૂર હોય ત્યારેય એમણે તો ઢસડબોળો કરવો પડે છે. હાથલારી ખેંચનારને કકડીને ભૂખ લાગે છે પણ અમુક જગ્યાએ માલ પહોંચાડ્યા વગર એ ખાવા ક્યાંથી બેસે ? વળી વાનગી ખરીદવા માટે જરૂરી પૈસા પણ એકઠા થવા જોઈએ ને ? આખો દિવસ કામ કર્યા પછી એ જ્યાં આડો પડે છે ત્યાં સમાધિ લાગી જાય છે.

ક્યારેક નિરાંતની પળોમાં વિચારવા જેવું છે. આપણે પાણીનો બગાડ નથી કરતા ? આપણે થાળીમાં એઠું નથી છાંડતાં ? આપણે જરૂર કરતાં વધારે આરામ નથી કરતા ? ટાળી શકાય એવી મુસાફરી આપણે ટાળીએ છીએ ખરા ? માણસ કેટલું ખાય તેનું નહિ, એ કેટલું પચાવી શકે છે તે વાત મહત્વની છે. તરબૂચ કેટલું મોટું છે તેનું નહિ, એમાં લાલ ભાગ કેટલો છે તે વાત મુદ્દાની છે. સાબુ કેટલો વજનદાર છે તેનું નહિ પણ એ કેટલું ફીણ આપે છે તે અગત્યનું છે. છાણનો ઢગલો કેવડો છે તેનું નહિ પણ તેમાં કેટલો નાઈટ્રોજન રહેલો છે તેનું જ મહત્વ છે. સુખનો ભ્રમ દુઃખ કરતાંય વધારે ખતરનાક બાબત છે. ચશ્માં પહેરીને કોઈ માણસ ઊંઘી જાય ત્યારે થોડું આશ્ચર્ય થાય છે પણ જીવનમાં આપણે આવું લગભગ રોજ કરીએ છીએ, એવું નહિ ?
વધુ આગળ વાંચો »

Jul 21
2010

ઊઘડવાની અવસ્થા – રીના મહેતા

[‘ખરી પડે છે પીંછું’માંથી સાભાર.]

વર્ષો પછી આ રીતે તરબોળ ભીંજાઉં છું, બલ્કે ભીંજાવું પડે છે. પહેલાં તો ભીંજાવા માટેનાં અનેક બહાનાં હતાં. જેમ કે, છત્રી ભૂલી જવાતી, રેઈનકોટ ન જડતો, કશેક પહોંચવામાં મોડું થઈ જતું. વરસાદ ત્રાંસો આવતો, છત્રી કાગડો થઈ જતી…. હવે ન ભીંજાવાનાં અનેક કારણ અથવા બહાનાં છે. પણ, આજે પહેલા નહિ તો બીજા વરસાદે મને બહાના કાઢતી પ્રિયતમાની જેમ ઝડપી જ લીધી.

રસોડા ઉપરના ગળતાં નાનાં છાપરાં ઉપર પ્લાસ્ટિક ઢાંકવા અગાસીમાં છેલ્લી ઘડીએ જાઉં છું અને ઝીણી ઝરમર મોટાં ફોરાં બનવા માંડે છે. પળ-બે પળમાં તો વરસાદ એકદમ ધોધમાર તૂટી પડે છે. હવે ન તો આમ જવાય એમ છે કે ન તો તેમ. અગાસી વળોટી, લાંબો દાદર ઊતરી નીચે જવુંયે સહેલું નથી અને આ સૂસવાતા પવનમાં સ્થિર રહેવું તો એથીયે મુશ્કેલ છે. વળી, અગાસી ઉપર તો કેવળ ને કેવળ આકાશ છે. કશાની નીચે ઊભા રહી વરસાદથી બચવું તો શી રીતે ?

વરસાદ પહેલા ફુંકાતો વંટોળિયો હવે મંદ પડી ગયો છે. પણ આ ઠંડો પવન મારાં શરીરને છેક અંદરથી ધ્રુજાવી દે છે. ઘડીક વારમાં તો હું આખેઆખી ભીંજાઈ જાઉં છું. આખેઆખ્ખી ભીંજાઈ ગઈ હોવા છતાં વરસાદના બાહુપાશમાંથી છૂટવા આમતેમ મથું છું. મારા માથાના વાળ ટપકવા લાગે છે. મારું એ રૂપ હું જોઈ શકતી હોત તો કેવું સારું ! મારા હાથમાંનું મોટું-ભૂરું પ્લાસ્ટિક ફડ-ફડ અવાજ કરતું ઊડી જવા જેવું થાય છે. આવો સરસ વરસાદ હોવા છતાંયે કોણ જાણે કે મારાથી ભીંજાવાની સુખદ અનુભૂતિ સહન થતી નથી. હું અંદર-બહારથી થરથર થથરું છું. જેમતેમ પાથરેલાં પેલાં પ્લાસ્ટિક ઉપર ઈંટો ગોઠવું છું ને મારી અંદરથી કંઈક ઊડી જતું અટકી જાય છે.
વધુ આગળ વાંચો »

Jul 19
2010

આફત આવ્યા પહેલાં – મોહમ્મદ માંકડ

[‘પ્રકીર્ણ’ પુસ્તકમાંથી સાભાર.]

આ મહિનામાં, આ તારીખે અત્યારે તમે આ લેખ વાંચી રહ્યા છો. પરંતુ ગયા વર્ષે આ મહિનામાં આ તારીખે આ સમયે તમે શું કરતા હતા તે કહી શકશો ? મોટા ભાગે નહીં કહી શકો, અરે, ચોક્કસ નહીં કહી શકો. એ જ રીતે આવતા વર્ષે આ મહિનાની આ તારીખે તમે શું કરતા હશો તે ચોક્કસપણે કહી શકશો ? નહીં કહી શકો. આમ છતાં, દરેક માણસ જીવનનિર્વાહ માટે આવતી કાલની ચિંતા, આવતા મહિનાની, અને ઘણા તો પાંચ-દસ વરસની પણ ચિંતા કરે છે. ઉંમર વધવા સાથે બુઢાપાની ચિંતા પણ કરે છે. જે રસ્તા વિષે માણસ કશું જ જાણતો નથી એના વિષે માત્ર કલ્પનાઓ કરવાથી શું ફાયદો ?

પરંતુ જીવનની આ બે બાબતો એવી છે કે માણસ એની ચિંતા કર્યા જ કરે છે. એક ડાહ્યા માણસે એટલે જ કહ્યું છે કે જે માણસ આવી ચિંતા કરે છે એ નદીએ પહોંચ્યા પહેલાં જ જોડાં કાઢી નાખવાની ચેષ્ટા કરે છે. પાણીમાં ઊતરવાની વાત તો દૂર રહી.

સરકારી નોકર માટે સરકાર પગારધોરણ નક્કી કરી આપે છે. પેન્શન, ગ્રેચ્યુઈટી, પ્રોવિડન્ટ ફંડ નક્કી કરી આપે છે. કામ કરવાના કલાક અને પેન્શન લેવાની ઉંમર અને રજાઓ નક્કી કરી આપે છે, છતાં આટલી બધી અનિશ્ચિતતાઓ બાકી રહે છે. જે બાબતમાં કોઈ સરકાર, કોઈ પેઢી કે શેઠ કશું નક્કી કરી શકતાં નથી. નોકર માટે પગારધોરણ નક્કી થઈ શકે પણ અમુક વર્ષે અમુક સમયે નાણાંની કે રૂપિયાની કિંમત કેટલી રહેશે એ કોણ નક્કી કરી શકે ? અને એટલે ખરા પગારનું ધોરણ કઈ રીતે નક્કી થઈ શકે ? એના ઉકેલ માટે મોંઘવારી ભથ્થું ઉમેરી શકાય પણ મોંઘવારી ભથ્થું હંમેશાં મોંઘવારી વધ્યા પછી ઉમેરાય છે અને તે માત્ર મોંઘવારીમાં ઉમેરો કરવા માટે જ કારણભૂત બને છે.
વધુ આગળ વાંચો »

Jul 06
2010

ભીતર-બહાર – પ્રવીણ દરજી

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.]

એક ભારતીય જન માટે ઋગવેદના ઋષિની જેમ જ, આ વિશ્વ કુતૂહલભર્યું છે. જ્યારે જીવ-અજીવ કશું અહીં અસ્તિત્વ નહીં ધરાવતું હોય ત્યારે આ વિશ્વ કેવું હશે ! અને જીવ-અજીવ પછીનું આરંભકાળનું વિશ્વ પણ કેવું હશે ! વિશ્વ માટે આપણા મનમાં અનેક આશ્ચર્યો ભર્યા છે, અનેક પ્રકારનું વિસ્મય રહ્યું છે. કવિ રવીન્દ્રનાથે આપણા સમયમાં તો કાલિદાસે એના સમયના આ વિશ્વ માટે એવો રોમાંચ પ્રકટ કર્યો છે જ. કાલિદાસે તેથી જ કદાચ આ ધરતીને ઉદાર અને રમણીય કહી હશે. ટાગોર પણ આપણી સામે વિસ્મયની સાથે મર્મભર્યો પ્રશ્ન મૂકે છે : પ્રથમ દિવસના સૂર્યે પોતાની સામેના નવ અસ્તિત્વને પૂછ્યું : ‘તું કોણ છે ?’ પણ પછી કોઈ દિશાએથી આ પ્રશ્નનો ઉત્તર કોઈની પણ પાસેથી ન મળ્યો. પ્રશ્ન અવકાશમાં, પ્રકૃતિમાં અને નવ અસ્તિત્વમાં પછી ઘૂમતો જ રહ્યો. ‘આપણે કોણ છીએ ?……. આપણે કોણ છીએ ?’

કદાચ ભારતીયતાના અંતઃસ્તત્વમાં પણ આ જ પ્રશ્ન સંગોપાયેલો રહ્યો છે. ‘તું કોણ છે ?’ બસ, પછી સદીઓથી આપણે આ પ્રશ્નનો ઉત્તર ખોળવા ખાંખાખોળા કરીએ છીએ, નવા નવા આયામો કરીએ છીએ. કથાઓ ઊભી કરીએ છીએ, શાસ્ત્રો રચીએ છીએ, મંત્રો જન્માવીએ છીએ, કાવ્યો રચીએ છીએ કે કાવ્યગાન કરીએ છીએ, યજ્ઞયાગાદિ કરીએ છીએ અને એમ નાનાવિધરૂપે એ પ્રયત્ન જારી રહ્યો છે. ઉત્તરો નથી મળતા કે નથી મળ્યા એવું નથી. પણ દરેક ઉત્તર એની રીતે અપૂર્ણ રહ્યો છે. પરિણામે આપણે એ અપૂર્ણ ઉત્તરને અતિક્રમીને પૂર્ણ ઉત્તર માટે વળી ઑર મથામણ કરીએ છીએ. આવી મથામણ જ આપણી ભારતીય તરીકેની ઓળખ છે. આ મથામણ જ આપણાં રૂપ-અરૂપોની સમજ આપે છે, આ મથામણ જ આપણને આપણા સિવાયનાં અન્ય વિશ્વો સાથે જોડી આપવામાં ઉપકારક બને છે, આ મથામણ જ આપણને સતત સંકોર્યા કરે છે, ભીતરનાં દલેદલ ઉઘાડવા અનુકૂળતા ઊભી કરી આપે છે. પ્રશ્ન તો ત્રણ અક્ષરનો જ – ‘હું કોણ છું ?’ છે, પણ તે જેમ જેમ ઉકેલાતો જણાય છે તેમ તેમ વધુ ને વધુ નિગૂઢ થતો જાય છે. જાતને પામવા કે જાણવા સિવાય આપણે આપણા ‘અસ્તિત્વ’ને કેવી રીતે સંજ્ઞિત કરી શકીએ ? જન્મથી મૃત્યુ સુધીનો પટ જો પેલા પ્રશ્નના ઉત્તર માટે ન મથીએ તો સાવ અજાણ્યો જ રહી જાય…….
વધુ આગળ વાંચો »

Jul 02
2010

શૈશવની સાંજ – જયંત પાઠક

[‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-4માંથી સાભાર.]

અમારે જમીન ખરી, પણ ખેતીનો ધંધો નહિ. દાદાએ જુવાનીમાં જાતે ખેતી કરેલી. પછી તો જમીન ભાગે કે સાંથે ખેડૂતોને ખેડવા આપીએ; પણ ઘેર ઢોર ખરાં. અમારાં બંને ઘરનો અર્ધો ભાગ ઢોર માટેની કૉઢ રોકે. ઢોરને બાંધવા માટે દોરડાં વણવાનું, માંદા પડે ત્યારે ઉપચાર કરવાનું, એમને માટે ઘાસચારો લાવવાનું કામ દાદાને માથે. અમારા ઘરની પાછળ દક્ષિણ દિશામાં નજીકમાં જ એક ખેતર; દાદાને નામે એટલે ‘દાદાનું ખેતર’ કહેવાય.

બપોર પછી દાદા હાથમાં દાતરડું લઈ ખેતરમાં ચાર લેવા જાય. સાંજના અમે ત્રણ ભાઈ-બહેનો ભારા લેવા માટે જઈએ. મગફળી, બાજરી, તુવર, મગ, મઠનું વાવેતર કર્યું હોય; એક બાજુ ઝાબમાં (પાણી ભરાઈ રહે એવા નીચાણવાળા ભાગમાં) ડાંગર કરી હોય. ખેતરની વચ્ચે એક આંબો, અમારો નહિ પણ ગામના નાથા ડોસાનો. અમે ખેતરના ખોડીબારામાં પેસીએ ને દાદાને બૂમ મારીએ. દાદા દૂરને શેઢેથી જવાબ વાળે. દાદા એમનું કામ પૂરું કરે ત્યાં સુધી અમે ખેતરમાં રમીએ. મગફળીમાં આળોટવાની મજા આવે; એની લીલી સુંવાળી વાસ બહુ ગમે. ક્યારેક ઘેરથી કહ્યું હોય તો તુવરની સીંગ કે પાપડી ચૂંટીએ; વાડે વાડે ફરી વળીએ ને કેસરી રંગનાં ખટમીઠાં પીલુડાં કે કાળાં ભમ્મર જેવાં કંથારાં વીણીએ; એકબીજાનાં કપડાંમાં ‘કૂતરી’ ચોંટાડીએ. ખેતરને એક ખૂણે જૂનો કૂવો, ચારે બાજુ જાળાં ને કોરે એક મોટું જાંબુડાનું ઝાડ. કૂવામાં સૂરજનું અજવાળું ન પડે. થાળામાં ઊંધા સૂઈ જઈને અમે કૂવામાં ડોકિયું કરીએ; પથ્થર મારીએ એટલે બખોલોમાં બેસી રહેલાં કબૂતર ફડફડ કરતાં ઊડે. એ અંધારો કૂવો અમારા મનના ઊંડાણને ભયથી ભરી દેતો. દાદાએ વાડામાંથી વેલા ખેંચી કાઢી ભારા બાંધીને તૈયાર કર્યા હોય તે અમારે માથે ચઢાવે. કોઈ વાર ભારામાં મગફળીના છોડ પણ બાંધ્યા હોય. અમે ઘરને આખે રસ્તે એમાંથી મગફળીઓ તોડીને ખાતા ચાલીએ.
વધુ આગળ વાંચો »

Jun 25
2010

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

[ માનવીય સંબંધો, સ્વભાવ, જીવન અને પ્રકૃતિના વિષયો પર હૃદયને સ્પર્શે એવી ભાષામાં ચિંતન રજૂ કરવાની કૃષ્ણકાંતભાઈની કલમની કુશળતા છે. તેમના ‘ચિંતનની પળે’ પુસ્તકમાંના કેટલાક લેખ આપણે ગતવર્ષે માણ્યા હતા. આજે માણીએ વધુ બે લેખ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ કૃષ્ણકાંતભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825061787 અથવા આ સરનામે kkantu@gmail.com પર સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સંબંધોનું મૂલ્ય જ્યારે આંકડામાં મપાય ત્યારે…..

સંબંધોમાં સરવાળા અને બાદબાકી આવે ત્યારે આત્મીયતામાં ભાગાકાર થાય છે. સંબંધો માપવાની ચીજ નથી પણ માણવાની ચીજ છે. સંબંધોનું કોઈ મીટર નથી. સંબંધોની કોઈ ફૂટપટ્ટી નથી. સંબંધોનું એકમાત્ર સત્ય સ્નેહ છે. કોઈ સ્વાર્થ નહીં, કોઈ અપેક્ષા નહીં, વળતરની કોઈ ખેવના નહીં કે બદલાની કોઈ આશા નહીં. સંબંધો માત્ર અને માત્ર જીવવાના હોય છે. લગ્નનું સુખ જ્યારે દહેજના આંકડાથી માપવામાં આવે ત્યારે દાંપત્યજીવનમાં ધરતીકંપ થાય છે, પ્રેમ ધરાશાયી થાય છે અને લાગણીઓમાં તિરાડો પડે છે. આંકડાઓનો અર્થ નથી હોતો. આંકડાઓનું માત્ર ગણિત હોય છે. જ્યાં ગણિત હોય ત્યાં નફા અને ખોટનો હિસાબ હોય છે. સંબંધોમાં હિસાબ ન હોય, સંબંધોમાં તો વિશ્વાસ હોય.

સંબંધો જ્યારે માણસાઈ કે વ્યક્તિત્વને બદલે બૅંક બેલેન્સથી મપાય ત્યારે સંબંધોનું પોત ખોખલું થઈ જાય છે. ગણતરીઓ સાથેના સંબંધો કડાકા સાથે તૂટે છે. આફતની જેમ આવતા એવા આંચકાઓની કોઈ આગાહી નથી હોતી પણ તેનું પરિણામ નિશ્ચિત હોય છે. આ પરિણામ એ સંબંધોનો અંત હોય છે. કેલ્ક્યુલેટર ક્યારેય દિલનાં સ્પંદનો માપી ન શકે. કેલ્ક્યુલેશન સાથે કલ્પાંત જ હોય. લીમડાના ઝાડમાં કેરી ક્યારેય ન પાકે. કડવી વેલનાં ચીભડાં કડવાં જ થાય. સંબંધો પારા જેવા હોય છે. જરાયે ધ્યાન ચુકાય તો પારો સરી જાય છે અને સંબંધો નાનાં-નાનાં બિંદુમાં વેરાઈ જાય છે. સમર્પણ ન હોય તો સંબંધો ન ટકે. આવું સમર્પણ બંને પક્ષે હોવું જોઈએ. બંનેમાંથી એકમાં કદાચ થોડું-ઘણું વધુ-ઓછું હોઈ શકે પરંતુ જ્યાં સમર્પણનો સંપૂર્ણ અભાવ હોય ત્યાં સંબંધો ટકતા નથી. સંબંધો બંધ જેવા હોવા જોઈએ, જે પાણી રૂપી પ્રેમને રોકી રાખે, જે નવી ઊર્જા ઉત્પન્ન કરે અને જે જીવનને હરિયાળું બનાવી દે.
વધુ આગળ વાંચો »

Page 1 of 101234510...Last »