<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>ReadGujarati.com &#187; નિબંધ</title>
	<atom:link href="http://www.readgujarati.com/category/essays/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://www.readgujarati.com</link>
	<description>Read Gujarati Literature Online</description>
	<lastBuildDate>Wed, 08 Feb 2012 02:47:03 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.3.1</generator>
		<item>
		<title>નગરવૃક્ષો – નંદિતા મુનિ</title>
		<link>http://www.readgujarati.com/2012/02/08/nagar-vruksho/</link>
		<comments>http://www.readgujarati.com/2012/02/08/nagar-vruksho/#comments</comments>
		<pubDate>Wed, 08 Feb 2012 02:45:39 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[નિબંધ]]></category>
		<category><![CDATA[નંદિતા મુનિ]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1902</guid>
		<description><![CDATA[[‘નવનીત સમર્પણ’ (ફેબ્રુઆરી-2012) માંથી સાભાર.] હું જે નગરની નિવાસી બની છું એ શહેર ફાવે તેને જ ફાવે છે; અને જો એક વાર ફાવી જાય તો બીજાં શહેરોને ભુલવાડી દે છે. આ નગરમાં કવિઓ નથી એવું પણ નથી જ. પણ એક જાણીતા કવિ અહીંથી ત્રસ્ત થઈને ભાગી છૂટેલા એ પણ હકીકત છે. દર વસંત આવે ને [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[‘નવનીત સમર્પણ’ (ફેબ્રુઆરી-2012) માંથી સાભાર.]</p>
<p>હું જે નગરની નિવાસી બની છું એ શહેર ફાવે તેને જ ફાવે છે; અને જો એક વાર ફાવી જાય તો બીજાં શહેરોને ભુલવાડી દે છે. આ નગરમાં કવિઓ નથી એવું પણ નથી જ. પણ એક જાણીતા કવિ અહીંથી ત્રસ્ત થઈને ભાગી છૂટેલા એ પણ હકીકત છે. દર વસંત આવે ને મને આ ઘટના યાદ આવે. વિચાર આવે કે કવિએ અહીંની વસંત નહીં નિહાળી હોય ? નિહાળી હોત તો અવશ્ય રોકાઈ ગયા હોત ! પછી વિચાર આવે કે બાકીની ચાર-પાંચ ઋતુઓનું શું ?</p>
<p>વૃક્ષાચ્છાદિત આ હરિયાળા શહેરમાં વસંતનો વૈભવ અનન્યપણે વીખરાય છે. પુરાણા આંબા અહીં ક્યાંક ક્યાંક સચવાઈ રહ્યા છે. નગરનાં પુરોગામી મહાવૃક્ષો. વસંત આવતાં જ એ બધાં મન્મથના શસ્ત્રસજ્જ સેનાનાયકોમાં પરિવર્તિત થાય છે. મન્મથનાં (એટલે કે કામદેવના) પંચાસ્ત્રોમાંથી એક આમ્રમંજરીનું હતું એવું વાંચ્યું હતું. અહીં મહોરેલાં આમ્રવૃક્ષો જોતાં એની પ્રતીતિ થાય છે. એટલે જ કાલિદાસે આમ્રવૃક્ષને ‘મન્મથાલય’ કહ્યું છે ને ! આમ પણ સંસ્કૃતમાં આંબાને વસન્તદૂત, કોકિલોત્સવ, પિકરાગ, ભૃંગાભીષ્ઠ, રસાલ, મદાઢ્ય, મધ્યાવાસ, સુમદન&#8230;. કેવાં કેવાં સુંદર નામથી લાડ લડાવવામાં આવ્યા છે ! વસંતમાં આંબાની આજુબાજુ હવામાં એક એવી તીવ્ર, તૂરી, માદક, મીઠી, ગાઢી સુગંધ છવાયેલી હોય છે કે પ્યાલે પ્યાલે પીધાં જ કરીએ બસ. ખબર પણ ન પડે ને નશો ચડી જાય !</p>
<p>શહેરમાં ફરતા રસ્તાઓ પર આ ઋતુમાં નીકળીએ તો પ્રજ્વલિત પલાશ પણ ધ્યાન ખેંચે. શહેરની આસપાસ બચી ગયેલા ખેતરના શેઢે ક્યાંક એ વૃક્ષો ટકી રહ્યાં છે હજી. અન્ય ઋતુમાં આ રૂક્ષ વૃક્ષ ખાલી ખાખરો લાગે; પણ વસંતમાં તો બસ, વૈભવી પલાશ જ ! ‘સ્મરના અર્ધચંદ્રાકાર શર’ સમાં એનાં વાંકડિયા ફૂલોને જયદેવે ‘યુવાહૃદયવિદારક ક્રૂર મન્મથના રક્તસિક્ત નહોર’ની ઉપમા આપી છે. આગની નાની નાની જ્વાળા સમાં પલાશપુષ્પો ! વસંતયજ્ઞને પલાશ પ્રાજ્વલ્યમાન કરે છે. વસંતમાં શીમળા-‘શીલ્મલી’ પણ ક્યાંક ક્યાંક ખીલ્યાં હોય. કાંટાથી આચ્છાદિત થડને બાદ કરતાં આખી ઋતુમાં શીમળામાં ધ્યાન ખેંચે તેવી ખાસ કોઈ વિશેષતા નહીં. પણ વસંત આવ્યે એ મહાશય પણ ઘેરૈયા બની જાય. શીમળાનાં મોટાં રાતાં ફૂલ જાણે ગુલાલમાંથી ઘડેલી કટોરીઓ હોય એવાં લાગે. શીમળો, પંગારો, પલાશ – આ ત્રણે વૃક્ષો સાક્ષાત ‘મધુશાલા’ છે. પક્ષીઓ દિવસના બધા પ્રહરમાં ત્યાં ‘હાલા’ માટે આવ્યા કરે છે. એ રસિયાઓ માટે સ્વયં વસંતઋતુ જાણે ‘મધુબાલા’ – સાકી બને છે !<br />
<span id="more-1902"></span></p>
<p>શહેરના કેટલાક રસ્તાની કોરે મિલેશિયા ઉગાડ્યાં છે. મિલેશિયા પણ અન્ય ઋતુઓમાં ખાસ ધ્યાન ન ખેંચે એવું ઝાડ. પણ આ ઋતુમાં ઝીણાંઝીણાં જાંબલી પુષ્પોની મંજરીઓથી આખું ઢંકાઈ જાય. કોઈ ઈમ્પ્રેશનિસ્ટ કલાકારે આછા-ઘેરા જાંબલી રંગના નાનામોટા પીંછી-લિસોટા કરી કરીને વૃક્ષ ચીતર્યું હોય એવું લાગે. બંધ કળીઓ ઘેરી જાંબુડી, ફૂલનો રંગ થોડો ખૂલતો જાંબલી. ચંદીગઢના આકરા ઉનાળામાં નીલમહોર (જેકેરેન્ડા) પુરબહારમાં ખીલેલા જોયા છે. ન ભુલાય તેવું દશ્ય ! મિલેશિયાનો જાંબલી રંગ નીલમહોર જેટલો દેખીતો ભભકદાર નથી હોતો; પણ એની રંગછાયા વધુ સંકુલ હોય છે. મિલેશિયાની નીચે ચાલવાનું પણ સારું લાગે છે. એનાં ફૂલ ખરી પડે ત્યારે એક ખાસ ભૂરા રંગનાં થઈ જાય છે. એ આછી નીલી બિછાત પર ચાલવામાં એક ખાસ સુખ લાગે.</p>
<p>એક આખા રસ્તે ટિકોમા આર્જેન્શિયાની જાગીર ! આખું વૃક્ષ પીળા રંગથી ભભકી ઊઠે. દક્ષિણ અમેરિકાનું મૂળ નિવાસી આ વૃક્ષ અહીં આવીને અહીંની વસંતના રંગે રંગાઈ ગયું છે. માર્ચ આવે એટલે એનાં પર્ણો બધાં ખરી જાય અને પીળા રંગના પુષ્પગુચ્છોથી આખું વૃક્ષ છવાઈ જાય. અંગ્રેજીમાં એનું નામ ‘ટ્રી ઓફ ગોલ્ડ’ કેમ છે એ સમજાઈ જાય ! નિહાળો તો એની અંદરની તરફ બારીક લાલ રેખા જોવા મળે. સુંદર લાગે. ટિકોમા આર્જેન્શિયા અને એનું જ પિતરાઈ ટિકોમા સ્ટેન્સ, આ બન્નેની ખીલવાની ઋતુ સાથે જ&#8230;.. મધ્ય અમેરિકાથી અહીં વસાવાયેલા ટિકોમા સ્ટેન્સનું તો દેશી નામ જ ‘વસંત’ પડી ગયું છે. ટિકોમા આર્જેન્શિયાનાં ફૂલ અને ટિકોમા સ્ટેન્સનાં ફૂલ ઘણાં મળતાં આવે. ધ્યાનથી ન જોનાર બન્નેને એક જ માની લે. પણ આર્જેન્શિયાનાં પાન ટોચે અણીવાળાં લંબગોળ; રૂપેરી રુંવાટથી ઢંકાયેલાં એટલે થોડાં ભૂખરી ઝાંયવાળાં લાગે. જ્યારે વસંતનાં પાન લીમડાનાં પાન જેવાં કરકરિયાવાળાં. વળી આર્જેન્શિયા વૃક્ષ છે, વસંત ક્ષુપ; એટલે બન્નેનાં કદ પણ જુદાં. હા, ફૂલનો રંગ બન્નેમાં મનમોહક પીળો. મને એ ફૂલો જોઈને વિન્સેન્ટ વાન ગોગનાં સૂરજમુખીના પીળા રંગની ભવ્યતા યાદ આવે છે.</p>
<p>વસંતની ભરતી ઊતરે અને ગ્રીષ્મનાં પગરણ થાય ત્યારે બીજાં ફૂલોનું સામ્રાજ્ય જામવા લાગે. સિંદૂરી રંગનાં મોટા-મોટા ફૂલગુચ્છા અને ઘેરાં લીલાં પાનથી શોભતાં પેલાં મોટાં વૃક્ષોનું પ્રચલિત નામ મને પસંદ નથી. મેં એને નવું ગુજરાતી નામ ‘સિંદૂરિયા’ આપ્યું છે. ‘સ્પેથોડિયા’ કરતાં બોલવામાં ગમે તેવું, ને ફૂલના રંગ સાથે એકદમ સુસંગત ! એક વાર ક્યાંક ખીલેલાં સિંદૂરિયાના વૃક્ષની નીચે પથ્થર પર સિંદૂર ચોપડીને બનાવેલા મારુતિ જોયા હતા – દશ્ય એકદમ આંખોમાં વસી જાય તેવું ! નાનાં હતાં ત્યારે સિંદૂરિયાની કળીઓ તોડીને એનાથી રમતાં. કળીને દાબીએ એટલે એમાંથી પાણીની પિચકારી ઊડે. અંગ્રેજીમાં એને ‘ફાઉન્ટન ટ્રી’ કહે છે. જરૂલનાં આછાં-ઘેરાં ગુલાબી ફૂલ પણ ઉનાળામાં પુરબહારમાં ખીલે. જરૂલનું અંગ્રેજી સામાન્ય નામ ‘ભારતગૌરવ’ – ‘પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ છે તે એના સુંદર પુષ્પગુચ્છો જોતાં સાર્થક લાગે. ગુલાબી રંગની સાવ આછી ઝાંયવાળા શુભ્રથી માંડીને ઘાટા ગુલાબી સુધીના રંગ એની મંજરીઓમાં એકસાથે જોવા મળે એ દશ્ય મનમોહક હોય છે. શહેરની એક ગલીમાં રસ્તાની બન્ને તરફ ‘પિંક કેસિયા’ વાવ્યા છે. આ ઋતુમાં ત્યાં લીલો રંગ જ જોવા ન મળે; માત્ર ગુલાબી-શ્વેત ફૂલોથી વૃક્ષ લદાઈ જાય. જાપાનમાં ચેરી વૃક્ષોને ફૂલ – ‘સાકુરા’ – આવે એનો ઉત્સવ ઊજવાય છે. આ ગલીમાં પણ આ થોડો સમય જાણે જાપાન ઊતરી આવે છે&#8230;. બોગનવિલને આપણે ‘બોગનવેલ’ના તદભવ નામે અપનાવી લીધી છે. એનાં શ્યામગુલાબી-ગુલાબી-લાલ-શ્વેત કે ક્યારેક કેસરી ફૂલની બહાર પણ ઉનાળાની ઋતુમાં જોવા જેવી હોય છે. ભભકાદાર ગુલમહોરનું તો નામ જ ‘ફલેમબોયન્ટ’ છે. મૂળ માડાગાસ્કરના આ મહાશય ભારતીય ઉનાળાના આગ ઝરતા આભની નીચે પણ હસી હસીને ફૂલ ઝર્યા કરે છે. તમે ગુલમહોરનાં ફૂલનો સ્વાદ લીધો છે ?</p>
<p>આ ઋતુમાં લીમડાનો કોર પણ ધ્યાન ખેંચે છે – રંગ કે આકારથી નહીં, એની ગાઢી મીઠી સુગંધથી. વૃક્ષની ચોતરફ એક સુગંધનું ઘટ્ટ વાદળ વીંટળાયેલું રહે છે. નીચે ઊભા રહો તો પુષ્પવૃષ્ટિથી પ્રક્ષાલિત પણ કરે તમને. શહેરના કેટલાક રસ્તા પર શિરીષની રિયાસત છે. શિરીષનાં ફૂલનો સુંવાળો, મૃદુ, મીઠો લીલો કુમાશભર્યો સ્પર્શ ! ને એની સુગંધ- મીઠી, પણ સહેજ જ આછી તીખાશની છાંટવાળી, સુગંધભર્યા એ રસ્તા વાદળોની પાર સીધા અલકાપુરી લઈ જાય ! અલકાની રસિક નારીઓ ગ્રીષ્મમાં આભૂષણના સ્થાને કર્ણે શિરીષપુષ્પ ધારણ કરતી. શિરીષ મારા મનમાં કાલિદાસ અને ‘મેઘદૂત’ સાથે અભિન્ન રીતે જોડાયેલું છે.</p>
<p>પણ આખા શહેર પર કોઈનું એકચક્રી સામ્રાજ્ય હોય તો ગરમાળાનું- અમલતાસ સોનેરુ. શહેરમાં ગરમાળાનાં ઉપવન છે. આમ તો બહુ ધ્યાન ન ખેંચે, પણ ઉનાળો આવે એટલે વૃક્ષ પર માત્ર સૌમ્ય સોનેરી ફૂલોનાં ઝુમ્મર જ લટકતાં દેખાય. પર્ણો ગેરહાજર. હા, આ સોનેરી રંગને જાણે વિરોધાભાસથી વધુ દીપાવવા માટે જ હોય એવી લાંબી, ઘેરા કથ્થઈ રંગની શિંગ વચ્ચે વચ્ચે લટકતી હોય. એ શિંગો પર ક્યારેક લક્કડખોદ પણ ઝૂલતા દેખાઈ જાય ! સોનેરી ફૂલોનો રસ પીવા એના પર ઝળૂંબી રહેલા ચળકતા જાંબુડી શક્કરખોર જોવા મળે ત્યારે વિરોધી રંગભભકનું આગવું સૌંદર્ય પ્રગટ થાય. મારું આ શહેર ત્યારે અલ ડોરડો બની જાય છે ! સોનાની એ નગરીને શોધવા દક્ષિણ અમેરિકાનાં ઘાટાં જંગલો ખૂંદવાની જરૂર નથી; આ રહ્યું અલ ડોરડો ! આખા નગરને જાણે કોઈ મિડાસ પ્રેમથી પસવારી ગયો હોય, એવા જાદુઈ પારસસ્પર્શથી બધું ઝળહળી ઊઠે છે.</p>
<p>આ વસંતે જોકે મામલો જરા જુદો છે. વિકાસના પંથે જવામાં ગરમાળાનું મારું નગર કપાઈ રહ્યું છે. હું રોજ ઉનાળાના બળબળતા તડકાની વચ્ચે છાંયો અને ફૂલ અને સુગંધ શોધ્યા કરું છું; આશંકિત હૃદયે બીજરૂપે શ્રદ્ધા વાવવા મથું છું&#8230;.. ચોમાસું અવશ્ય આવશે અને એકાદ વૃક્ષ ઊછરી જશે, એવું વિચારીને.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/02/08/nagar-vruksho/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>સોનાનાં વૃક્ષો – મણિલાલ હ. પટેલ</title>
		<link>http://www.readgujarati.com/2012/01/09/sona-vruksho/</link>
		<comments>http://www.readgujarati.com/2012/01/09/sona-vruksho/#comments</comments>
		<pubDate>Mon, 09 Jan 2012 02:00:55 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[નિબંધ]]></category>
		<category><![CDATA[મણિલાલ હ. પટેલ]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1741</guid>
		<description><![CDATA[[ પ્રકૃતિ વિષયક સુંદર નિબંધોના પુસ્તક ‘સોનાનાં વૃક્ષો’માંથી પ્રસ્તુત નિબંધ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘મીડિયા પબ્લિકેશન’નો ખૂબ ખૂબ આભાર. આપ લેખકશ્રીનો આ નંબર પર +91 9426861757 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] બદલાતી ઋતુનું રૂપ જોવાનું મને ગમે છે. બધા ય દેવોને પોતાનાં [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[ પ્રકૃતિ વિષયક સુંદર નિબંધોના પુસ્તક ‘સોનાનાં વૃક્ષો’માંથી પ્રસ્તુત નિબંધ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘મીડિયા પબ્લિકેશન’નો ખૂબ ખૂબ આભાર. આપ લેખકશ્રીનો આ નંબર પર +91 9426861757 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]</p>
<p><img class="alignright size-full wp-image-1742" title="Picture 026" src="http://www.readgujarati.com/wp-content/uploads/2012/01/Picture-026.jpg" alt="" width="279" height="373" />બદલાતી ઋતુનું રૂપ જોવાનું મને ગમે છે.<br />
બધા ય દેવોને પોતાનાં અલગ અલગ વાહન છે. ઋતુનું પણ એવું અલગ વાહન છે, ભલે એ દેવી નથી પણ વૃક્ષ એનું વાહન છે. વૃક્ષો વિનાની ઋતુ જોઈ-જાણી નથી. પૃથ્વીના નિરવધિ પટ પર ઊભેલાં આ વૃક્ષો વિશાળ શતરંજફલક પર મૂકાયેલાં પ્યાદાં જેવાં લાગે છે, શૃંગેથી તમે એમને જોયાં હશે તો આ વાત ઝટ સમજાઈ જશે. વૃક્ષો ઋતુની રાહ જોતાં રહે છે&#8230; અને ઋતુઓ વૃક્ષોને વ્હાલ કરતાં થાકતી નથી.</p>
<p>ખરતાં અને ખીલતાં વૃક્ષો કશુંક રહસ્ય ઊઘાડતાં રહે છે, જો આદમી ઈન્દ્રિયજડ ન હોય તો વૃક્ષો પ્રત્યેક ઋતુમાં જે અલખ સંદેશો લાવે છે એ સાંભળવા ઉત્સુક થઈ જતો હોય છે&#8230;. આવા લોકો હવે વિરલ થતા જાય છે એ ખરું. ફાગણમાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું. સૂર્યમુખીનાં ખેતરો વઢાઈ જાય પછી જાણે સૂરજ વધારે કરડાકીવાળો બને છે. ઋતુ ભોંયને ઊઘાડી કરી દે છે, રાતીભૂરી ટેકરીઓ પાછી નિર્વસ્ત્ર બનીને હારબદ્ધ બેસી પડે છે, ઋતુને હું દૂર દૂર વહી જતી જોઈ રહું છું, આમે ય, પરિવર્તનની પ્રક્રિયા જોઈ રહેવાનું આસ્વાદ્ય લાગે છે. સંક્રાન્તિમાં તો કેટકેટલું સંમિશ્ર થયા કરે છે. આંબા સોને મઢાઈ જાય છે, ને એ સોનામાં પાછી સુગંધ હોય છે. પણ સોનાનાં વૃક્ષો તો જુદાં જ, એમની સિકલ આ ઋતુમાં જ સાવ પરિવર્તાઈ રહે છે. ફાગણનો તડકો ખેતરોમાં ઉપણાતો હોય, ઘઉંની ફસલ સોનાવરણી થઈ ગઈ હોય, રાતે સીમમાં તડકાએ રાતવાસો કર્યો હોય. સવારે પાકેલાં ખેતરો પર કાન માંડીએ તો રણકતાં સંભળાય – જાણે સોનેરી ઘંટડીઓ રણકતી ના હોય ! પેલાં સોનાનાં વૃક્ષો આ જ દિવસોમાં ધ્યાન ખેંચવા માંડે છે&#8230;. હા, સોનાનાં વૃક્ષો એટલે મહુડા&#8230;.<br />
<span id="more-1741"></span></p>
<p>હવામાં છાક સમાતો ના હોય, બપોરે સમય સ્હેજ પોરો ખાતો હોય, પાનખર વસંતમાં પલટાઈ ગઈ હોય ત્યારે મહુડા માયા ઊતારતા યોગી જેવા લાગે છે. ગામના પહેલા ખેતરથી શરૂ થાય તે છેક વનો લગી આ વૃક્ષોની વસતિ. એનાં પાંદડાં બધાં જ પીળાં થઈ જાય, અદ્દલ સાચુકલા સોના જેવાં&#8230;. મહુડો સોને મઢાઈ જાય ! એની બધી જ ડાળીઓ સોનાપત્રો સાચવીને મલકાતી હોય ત્યારે પાકેલાં ખેતરોની ગંધથી સીમ મઘમઘી ઊઠે છે&#8230;. ક્ષણવાર થાય કે સોનું મ્હેંકે છે કે તડકો ? મહુડાઓને સોનેરી માયાના વૃક્ષે વૃક્ષે જુદા જુદા આકારો. કોઈ નીચાં, કોઈ એક ડાળીએ ઊંચા વધેલાં, કોઈ ધમ્મરઘટ્ટ વડલા જેવાં, કોઈ ખંડિત તો કોઈ નાનકી ઢગલી જેવાં, કોઈ પડછંદ વીર જેવાં&#8230;&#8230; ધરતીમાંથી અચાનક ફૂટેલા પીળા ફૂવારા જેવાં આ વૃક્ષો મારી આંખને જકડી રાખે છે. એક કવિએ કહ્યું છે કે ‘વૃક્ષો મારાં ભેરુ / વૃક્ષો – હું’. વૃક્ષો સાથેનું આવું અદ્વૈત હું ય અનુભવું છું. યંત્રયુગમાં વૃક્ષો સાથેની પ્રીતિ મારે મન કુદરતનો આશીર્વાદ છે, માણસોએ એ વરદાનને ઝીલી લેવું જોઈએ. વૃક્ષ જીવતો-જાગતો દેવ છે, જીવનનો દેવ છે ! જે દેવ પરોપકાર અને સહાનુભૂતિનો સાક્ષાત અવતાર છે. જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી. વૃક્ષનો ઈન્કાર જીવન-ચેતનાનો ઈન્કાર છે. એ ફૂલેફળે છે એમાં વાર્ધક્યપૂર્ણ જીવનનો સ્વીકાર રહેલો છે.</p>
<p>ગામડે અમે જે નાયકાઓને ખેતીમાં કામ કરવા રાખતા એ જ્યારે પરણવાના હોય ત્યારે દસ દસ દિવસ સુધી પીઠીને બદલે હળદર લગાવીને ફરતા રહેતા. શરૂઆતમાં એ લોકો પીળાચટ વાઘ જેવા લાગતા ને પછી આખાય ડીલે સોનેરી થઈ જતા. આજે મહુડાઓ પર સોનાના દિવસોને બેઠેલા જોતાં મને એ નાયકાઓ દેખાયા કરે છે. ગામડે બ્હેનો અને બા કોઈ પ્રસંગે પ્હેરવા માટે સોનાના દાગીનાને હળદરથી ધોતી, હળદરમાં ધોવાયેલાં એ દાગીના – ઘરેણાં અને પહેરનારના સ્મિતને હું જોયા કરતો હતો. એ ઉજળી ક્ષણો પછી મહુડાઓની સાખે આજે સાંભરી આવી છે.</p>
<p>પિતાજી પાસે બેચાર પૈસા ય વાપરવા માગતા ત્યારે એ હમેશાં કહેતા : ‘અહીં કાંઈ પૈસાનાં ઝાડ છે તે તોડી આપું&#8230;.’ મને મનમાં એમ ઠસી ગયેલું કે પૈસા નક્કી ઝાડ પર પાકતા હશે, ને એવાં ઝાડ માત્ર રાજાઓ જ ઉગાડતા હશે. હા, સરકારનો ખ્યાલ તો ઘણો મોડો આવેલો, ને રૂપિયા-પૈસા વિશેનું જ્ઞાન પણ ઘણું મોડું મળેલું. કશુંય પ્રાપ્ત કરવું ત્યારે તો સાવ દુર્લભ હતું, ઘણી ચીજો તો જોઈ જ રહેવાની, કેટલુંક તો સાંભળીને જ સંતોષાવાનું. હાઈસ્કૂલમાં ભણવા બેઠો ત્યારે રેલગાડીમાં પહેલીવાર બેસવાનો અનુભવ, અરે ના રોમાંચ થયેલો. ને પગમાં બૂટ તો મેં કૉલેજમાં અધ્યાપક થયા પછી ઈડરમાં પહેલીવાર ખરીદીને પ્હેર્યા હતા ! જીવન ત્યારે ઘણું કિંમતી અને મર્મમય લાગતું હતું, દર્દ અને ઉપેક્ષા જાણે ગળથૂથીમાં જ મળેલાં&#8230;. એટલે ચાલતાં શીખ્યા એવા ઘરની બહાર ગયા, ને સીમ-વૃક્ષો-નદી-તળાવ સાથે દોસ્તી બાંધી. મને પ્રકૃતિએ આપ્યું છે એટલું કોઈએ નથી આપ્યું, ને એટલે જ આજે એ અણખૂટ વૈભવનો આનંદ છે. પ્રકૃતિને જોઉં-જીવું ત્યારે મને કશાની ઓછપ અનુભવાતી નથી. પ્રકૃતિ જ મારી મા રહી છે. આજે જ્યારે મહુડાઓને રૂપ બદલીને ઊભા રહી ગયેલા જોઉં છું ત્યારે પેલાં ‘પૈસાનાં ઝાડ’ મનમાં ઊગી નીકળે છે, થાય છે કે ચાલો, પૈસાનાં ઝાડ ના જોવા મળ્યાં તો ખેર, પણ આજે સોનાનાં ઝાડ તો જોવા મળ્યાં ! ને એ વૃક્ષોની હારમાળાઓ&#8230;. ઝૂંડ&#8230;. ભરચક મેદાનો ! તમે દેવગઢ બારિયા જોયું છે ? વીરેશ્વર – સારણેશ્વરનાં જંગલોની જેમ બારિયા જતાં ય મહુડાનું વન પીળાશથી છલકાઈ જતું હશે. ધરતીએ પ્રગટાવેલું કે આકાશે વરસાવેલું છે આ સોનું ? આ વૃક્ષોની વચ્ચેથી પસાર થાય છે નેરોગેજ રેલવે લાઈન. મહુડા મ્હેકતાં હોય ત્યારે એ ગાડીની મુસાફરી કેવી માદક બની જતી હશે. કાળાંભૂરાં થડ અગણિત&#8230; ને માથે ફરફરતું રવરવતું અને મર્મરતું સોનું ! સજીવ સોનું.</p>
<p>પછી પાંદડા ખરી જાય, સૂકાં પાંદડા તાંબાવરણાં થઈને મહુડા નીચેની ભોંયને મરુણ-કથ્થાઈ ભાતથી મઢી દે. આખું વન તામ્રપત્રે છવાઈ જતું લાગે. આદિવાસીઓ આ પાનના ઢગલા કરે, તાંબાની આ ઢગલીઓ સળગી ઊઠે ને રોજ સવારે વન વાદળી ધુમાડાથી ભરાઈ જાય&#8230;. દૂરથી એ બધું રહસ્યઘેરા પરીમુલક જેવું લાગે, મન ત્યાં જવા તલપાપડ થઈ જાય. જઈને જોઈએ તો વૃક્ષો પર્ણહીન&#8230; એની ડાળીઓ માત્ર જાળીઓ જેવી&#8230; નકશી કરેલી સીદી સૈયદની જાળી સાંભરે&#8230;. ખાસ તો ડાળીઓને હાથા લટકી આવે ત્યારે. આ અસંખ્ય હાથાઓ છીંકણીરંગે રંગાયેલા રેશમી. ખરેખર તો એ મહુડાંની કળીઓ છે. આ હાથાઓથી આખું વૃક્ષ શોભી રહે. આ હાથાઓને ફલાવરપોટમાં સજાવીએ તો આખું ય વર્ષ એ એવા જ રૂપેરંગે જીવતા રહે. મહુડાઓ નર્યા, રેખાઓના માળખા જેવા લાગે&#8230;.. ચિત્રકારોએ આવા લૅન્ડસ્કેપ- આવાં વૃક્ષોની ભરચકતાને ફલક પર ઉતાર્યાનું જોયું-જાણ્યું નથી કે સુરેશ જોશીનાં નિબંધોમાં આવો છાકભર્યો મહુડો ખાસ પ્રેમપૂર્વક પ્રગટેલો વાંચ્યો નથી. એમણે શિરીષને લાડ લડાવ્યાં છે એટલાં તો ગુલમ્હોર-ગરમાળાને ય નથી મળ્યાં, પછી આ વસતિથી વેગળો રહીને વર્ષમાં થોડાક જ દિવસોને મધુમયતાથી મદીર કરી જતો મહુડો એમની કલમને ઓછો જડે એ સહજ છે.</p>
<p>ફાગણ ને ચૈત્રની સવારોમાં ટપટપ મહુડાં ટપક્યાં કરે. એ તરુ તળેની ધરતી પીળી ચાદરથી ઢંકાઈ જાય&#8230; આદિવાસીઓ કે ખેડૂતો એ મહુડાં એટલે કે મધુપુષ્પોને વીણી લે છે&#8230; એના અનેક ઉપયોગો છે – દારૂ બનાવવા સિવાય પણ. મહુડાને માણસની વૃત્તિએ વગોવ્યો છે, બાકી એ સૂકાં મહુડાંને શેકી ને ગોળ સાથે ખાઈએ ત્યારે જુદી જ મસ્તી આવે છે. ડળક ડળક વહી આવતાં આંસુને ઘણીવાર મહુડાંની ઉપમા અપાય છે. કેવી મીઠાશ છે એમાં ! વિરહિણીનાં આંસુ આવાં જ હશે ને ? મધમાખીઓ ને ભમરા આ ઋતુમાં જ મધનો સંચય કરે છે. રોજ અંધારી સવારોમાં અમેય મહુડાં સાચવવા ને વીણવા પહોંચી જતા. દાદા એ મહુડાંની સૂકવણી ચોમાસે બાફીને બળદોને ખવડાવતા&#8230; કહેતા ‘આનાથી બળદનો થાક ઊતરી જાય&#8230;.’ મહુડાંની એ મ્હેંક આજેય વનમાં જઈને માણું છું. હમણાં જ વીરેશ્વરનાં જંગલોમાં મિત્ર યજ્ઞેશ દવે ને તુષાર શુક્લ સાથે ગયેલા. મહુડાનો કેફ અમને જંપવા દેતો ન્હોતો&#8230; તુષાર કહે : ‘મહુડો જ આપણું રાષ્ટ્રીય વૃક્ષ હોવું ઘટે&#8230;’ રસભરેલાં પીળાં મહુડાં ચાખતાં ચાખતાં થયેલી એ વાત અમને ય ગમી ગયેલી. યજ્ઞેશને વનના, વનભૂમિના અને વૃક્ષોના રંગો તથા ત્યાંના લૅન્ડસ્કેપોએ ધરવી દીધો હતો. આ મહુડો વસંત અને ગ્રીષ્મની વચ્ચે સાંકળ બની રહે છે. મહુડાંની ઋતુ ઉલતી જાય એમ ડાળીએ ડાળીએ કૂણી કથ્થાઈ જાંબલી કૂંપળો તતડી નીકળે, રાતોરાત વનપટ પડખું બદલી લે છે. કૂંપળોથી આખું વન પલપલી રહે છે. વૃક્ષોનાં વૃક્ષોને અખંડપણે એકસાથે કૂંપળખચિત જોવાનું ભાગ્ય બધાંને નસીબ નથી હોતું. પછી આ કૂંપળો આછી લીલી થાય, વન પર કશો વાવટો ફરકતો રહેતો પમાય ન પમાય ને પાંદડા ગાઢી લીલાશ પકડે. મહુડાં હતાં ત્યાં ડોળી (ફળ)નાં ઝૂમખાં લટકી આવે. આ ડોળી પાકીને ખરે ત્યારે અમે વીણી લાવતા. એના તેલમાંથી સાબુ ય બને છે&#8230; મહુડો વરસાદે પાછો નિજમાં નિમગ્ન બની જાય&#8230; જાણે છે જ નહિ એમ એ તરુ ચૂપ થઈ જાય છે.</p>
<p>બે જ માસમાં પોતાનો સર્જનખેલ આદરી ને આટોપી લેનારા મહુડા ઓછાબોલા પણ કામના માણસ જેવા છે. ઘણીવાર આ વૃક્ષોની આસપાસ રુક્ષ કાંટાળી છાલવાળા શીમળા જોઉં છું. કટોરી જેવાં રાતાં ફૂલો આવનારા ઉનાળાની આગાહી કરતાં હસ્યા કરે છે. વનની ધારે ધારે ને ખરેલા વનની વચ્ચે ઊંચી ડોકે કેસૂડાં ખીલી નીકળે છે. આવી ઋતુમાં મારી ઈન્દ્રિયચેતના અણબોટ બનીને વહે છે. મને નથી કાલિદાસ સાંભરતા કે નથી યાદ આવતા રિલ્કે-બોદલેર&#8230;. મારું મન આ ઋતુરૂપને અને વનસૌંદર્યને પોતાની ભોંય પર રહીને ભોગવે છે. શીમળાનાં ફૂલોમાંથી શાંતિને છલકાતી સાંભળું છું. એ ફૂલોની શીતળતા મારી આંખોને જળછાલક શી સ્પર્શે છે. શીમળા નીચે જઈશ તો રતાશથી ભીંજાઈ જઈશ એમ થાય છે. બસની બારીમાંથી દોડી જતા શીમળા જોઉં છું ને સાવ તરસ્યો રહી જાઉં છું. કંકુનો વર્ણ શીમળામાં વધારે સઘન લાગે છે. કેસૂડાની વાત જરા જુદી છે. કાળા વજ્રને ફોડીને એ બહાર આવતો હોવાથી એનામાં ભારે ખુમારી છે. વનને માથે એ સાફો થઈને બેસે છે. બાર બાર માસના મૌનનું સાટું એ કેસરી રંગે વાળવા ઊંચે ચડે છે, મેદાને પડે છે. અણુઅણુથી છલકાઈ જતો કેસૂડો નીરવ રાગને ઘૂંટ્યા કરે છે એટલે જોનારને પણ એ કેફનો પ્યાલો પાય છે. કેસૂડો આપણને બહેકાવી મૂકે છે જ્યારે શીમળો છલકાવીને ય શાંત કરી દે છે ! રંગોની કેવી અસર હોય છે ! દરેક વૃક્ષ પોતાની ઓળખ ગન્ધ વડે ય સાચવી રાખે છે. અરણી, આંકલવા, રાયણના મામા અને અજાણ્યાં વૃક્ષો ય આ ઋતુમાં ભીતર ખુલ્લું મૂકી દે છે. પણ આપણી ઘ્રાણેન્દ્રિય સાબદી રહી છે ખરી ? સાંજે ઝીણા ઝીણા ચિલ્લીરવો સંભળાય છે, વનલાવરી ક્યાંક ઠંડી જગામાં છૂપાઈને બોલ્યા કરે છે પણ આપણો કાન કશાની નોંધ લેતો નથી, યંત્રોની કર્કશતાએ એને ખરડી નાખ્યો છે. પવન પાંદડા જોડે ગમ્મત કરે છે, બે કોયલો સંવનન કરતી રમણે ચડી છે. ગરમાળા ને ગુલમોર લચી પડવાની તૈયારી કરતા આંગણે ઊભા છે&#8230; પણ ચોકઠાબદ્ધ અને ટેવગ્રસ્ત જીવતા લોકો આ બધાયથી અળગા થઈ રહે છે.</p>
<p>ખરેખર તો આપણે સૂકાં પાંદડાં જેવા ખખડ્યા કરીએ છીએ, વેળાકવેળા કણસ્યા કરીએ છીએ. જીવન આપણે માટે ઉપચાર બની ગયું છે, આપણી ચેતનાનો ફૂવારો હવે ઊંચે ઊડી શકતો નથી. વૃક્ષોની અંદર જે જીવન હોય છે એ ઋતુએ ઋતુએ બહાર ઊભરાઈ આવે છે, આપણે માણસો વિશે એવું કહી શકીશું ખરા ? આપણી મુઠ્ઠીઓ જકડાતી જાય છે. ખુલવાનું કે ખીલવાનું જાણે આપણે ભૂલતા જઈએ છીએ. આપણે સંસ્કૃતિની મોટી મોટી વાતો કરીએ છીએ એટલું જ, બાકી હજી તો આપણને પ્રકૃતિની સાથે ય રહેતાં આવડ્યું નથી. આપણે સંસ્કૃતિને પ્રકૃતિનો વિરોધી શબ્દ માનીને વર્તવા લાગ્યા છીએ એવું તો નથી ને ? ઘરમાં વૃક્ષો ઉછેરી શકાય એવી કળા સિદ્ધ કરી ચૂકેલા જાપાનવાસીઓને પૂછો કે પ્રકૃતિ અને સંસ્કૃતિ શું છે ? સંસ્કૃતિ પ્રકૃતિની પાછળ ભલે ના રહે, પણ એ પ્રકૃતિને ભૂલીને ચાલવા જશે તો ભીંત ભૂલ્યા જેવું થશે. પ્રકૃતિએ કોઈનીય મહેરબાની પર નભવાનું આવે ત્યારે જીવનમાં ક્યાંક બધિરતા પ્રવેશી ગઈ છે એમ માનવું પડે. સંસ્કૃતિ તો હંમેશાં પ્રકૃતિની ગોદમાં પાંગરી છે. વૃક્ષો અને શાસ્ત્રો આની સાક્ષી પૂરશે. હું પ્રકૃતિ ભણી પાછા વળવામાં જીવનનો નવોન્મેષ જોઉં છું&#8230;..</p>
<p>[કુલ પાન : 90. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : મીડિયા પબ્લિકેશન. 103-4, મંગલમૂર્તિ, કાળવા ચોક, જૂનાગઢ-362001. ફોન : +91 285 2650505. ઈ-મેઈલ : media.publications@gmail.com ]</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/01/09/sona-vruksho/feed/</wfw:commentRss>
		<slash:comments>5</slash:comments>
		</item>
		<item>
		<title>બે વિચારપ્રેરક નિબંધો – રમેશ ઠક્કર</title>
		<link>http://www.readgujarati.com/2012/01/04/vicharpreak-nibandho/</link>
		<comments>http://www.readgujarati.com/2012/01/04/vicharpreak-nibandho/#comments</comments>
		<pubDate>Wed, 04 Jan 2012 02:49:11 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[નિબંધ]]></category>
		<category><![CDATA[રમેશ ઠક્કર]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1715</guid>
		<description><![CDATA[[આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે જેની નોંધ લેશો. – તંત્રી.] [ ખેડબ્રહ્મામાં નાયબ કલેકટર તરીકેની ફરજ બજાવતાં શ્રી રમેશભાઈના પુસ્તકો તેમજ લેખોથી આપણે પરિચિત છીએ. રીડગુજરાતીને આ વિચારપ્રેરક નિબંધો મોકલવા માટે શ્રી રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 98795 24643 સંપર્ક કરી શકો છો.] [1] દુનિયાનું સૌથી વધુ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે જેની નોંધ લેશો. – તંત્રી.]</p>
<p>[ ખેડબ્રહ્મામાં નાયબ કલેકટર તરીકેની ફરજ બજાવતાં શ્રી રમેશભાઈના પુસ્તકો તેમજ લેખોથી આપણે પરિચિત છીએ. રીડગુજરાતીને આ વિચારપ્રેરક નિબંધો મોકલવા માટે શ્રી રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 98795 24643 સંપર્ક કરી શકો છો.]</p>
<p><strong><span style="color: #993366;">[1] દુનિયાનું સૌથી વધુ ભરોસાપાત્ર સ્થળ એ મિત્રનો ખભો હોય છે&#8230;</span></strong></p>
<p>માણસને મળતી મોટાભાગની વસ્તુઓ સુખ સગવડો કે વૈભવ વારસામાં મળી જતાં હોય છે. પરંતુ સંપૂર્ણપણે પોતાની પસંદગીની કોઈ બાબત હોય તો એ મિત્રતા છે. મિત્રતા હંમેશા સ્વપાર્જિત હોય છે. અને એની પસંદગીમાં આપણે સંપૂર્ણપણે મુક્ત હોઈએ છીએ. ઈશ્વરે દરેક માણસને આપેલી આ અણમોલ ભેટ છે. એમાં વડીલો પાર્જિત વારસાઈના દાવપેચ નથી હોતા.</p>
<p>હમણાં એક મિત્ર દંપતિ પાસે બેઠો હતો. વાત ચાલતી હતી એમની ઉંમરલાયક દીકરી અંગેની. કોલેજમાં ભણતી એમની દીકરી હમણાંથી કોઈપણ કારણવગર બસ ગુમસુમ રહેતી હતી. તેની આ સ્થિતિ અંગે કોઈ કશું જાણી શકતું ન હતું. શહેરના શ્રેષ્ઠ સાયકોલોજિસ્ટ પણ એમાં નિષ્ફળ રહ્યા હતા. આખરે તેઓએ તેની ખાસ બહેનપણીને આ કામ સોંપ્યું અને આશ્ચર્યજનક રીતે થોડીક જ મિનિટોમાં તેની ઉદાસીનું કારણ જાણવા મળી ગયું. પ્રશ્નનું સુખદ નિરાકરણ થઈ ગયું. આ કિસ્સામાં એવી કોઈ અસામાન્ય ઘટના નથી. આપણા સહુનો એ અનુભવ હોય છે કે બે મિત્રો કે બે બહેનપણીઓ જ્યારે ભેગા થાય છે ત્યારે એમની વચ્ચેનો સંવાદ બિલકુલ પારદર્શક હોય છે. એમાં કાંઈ છુપાવવાનું હોતું નથી. માણસમાત્રનું દિલ તેના અંગત દોસ્ત આગળ અનાયાસ ખુલી જતું હોય છે. આપણા સહુની એવી શ્રદ્ધા હોય છે કે મિત્રને કહેલી કોઈ વાત કે દુઃખનું કારણ હંમેશા સલામત રહેશે. અને એમાંથી કોઈ મદદ ચોક્કસ મળશે. અંગ્રેજીમાં કહેવાયું છે કે : ‘Friend in need is friend indeed.’ સંસ્કૃતમાં એક સુભાષિત છે કે માણસના દુઃખના સમયમાં એનો શ્રેષ્ઠ મિત્ર કોણ હોઈ શકે ? જવાબમાં કહેવાયું છે કે ‘ઘરનો ખૂણો.’ મિત્રનું લેબલ લાગે એટલે ઘરનો નિર્જીવ લાગતો ખૂણો પણ જિવંત બની જાય છે. અને એમાંથી આશ્વાસન મળે છે.<br />
<span id="more-1715"></span></p>
<p>દુઃખની કોઈ વિકટ ઘડીમાં કે મુશ્કેલીઓથી ઘેરાઈ ગયા હોઈએ ત્યારે સાચા મિત્રનો સધિયારો જીવવાનું પ્રેરક બળ બની જતાં હોય છે. મિત્રના ખભે માથું મૂકીને રડવાની બાબત એ વાતની ખાત્રી આપે છે કે મિત્રનો ખભો એ દુનિયાનું સૌથી સલામત સ્થળ હોય છે જેનું ઉષ્ણતામાન હંમેશા સમઘાત હોય છે. ‘મરીઝ’ એવું કહે છે કે હું દુનિયામાં ઘણા બધાનો કરજદાર છું. મારે બધાયનું ઋણ ચૂકવવું છે પરંતુ એ ઉપકારો એટલા બધા છે કે જો અલ્લાહ એટલે કે ભગવાન ઉધાર આપે તો જ બધાનું ઋણ ઉતારી શકાય. આ બાબત મિત્રોના કિસ્સામાં લાગુ પડતી નથી. એક મિત્ર બીજાને માટે જે કાંઈ કરે છે એમાં કેવળ નિસ્વાર્થ ભાવના હોય છે. એમાં ‘થેંક્યૂ’ કે ‘આભાર’ જેવા ઔપચારિક શબ્દોની જરૂરિયાત રહેતી નથી. મિત્રતાની બુલંદ ઈમારતનો પાયો સ્વાર્થરહિત સ્પંદનો ઉપર રચાયેલો હોય છે. સુદામાના તાંદુલ માટે કૃષ્ણનો તલસાટ હોય કે દુર્યોધન માટેનો કર્ણનો આદર – એ બંને ભલે સામસામા છેડાના મનોભાવ હોય પરંતુ એમાંથી જે મહેંક મળે છે એ મિત્રતાની હોય છે. મિત્રતા એક એવો આવિષ્કાર છે જેનો તમે અનુભવ કરી શકો છો. કોઈ શબ્દ કે માધ્યમ થકી એનું આલેખન કે નિરૂપણ કરવું એ પાણીમાં ડિઝાઈન દોરવા જેવું હોય છે. મિત્રતાનું કોઈ નામ નથી. કોઈ સરનામું નથી. પેલાં હિંદી ફિલ્મી ગીતને થોડા શબ્દફેર સાથે કહીએ તો&#8230;.</p>
<p>‘સિર્ફ અહેસાસ હૈ યે રૂહસે મહેસુસ કરો<br />
દોસ્તી કો દોસ્તી રહને દો કોઈ નામ ન દો&#8230;.’<br />
.</p>
<p><strong><span style="color: #993366;">[2] આપણી શક્તિનો અંદાજ અન્યને હોય છે એટલો આપણને નથી હોતો&#8230;.</span></strong></p>
<p>‘તમે મારું નામ આપજો ને, એને ત્યાંથી જ એ વસ્તુ મળી જશે&#8230;’<br />
‘મેં તમારો સંદર્ભ આપ્યો, વાત પણ કરી છે પરંતુ એમનું કહેવું છે કે આ પ્રકારની ડાયરી હવે મળતી જ નથી.’<br />
‘એવું નથી. એની દુકાનમાં ડાબી બાજુએ કબાટ છે. એમાં નીચેના ભાગે આવી ઘણીબધી ડાયરી પડેલી હોય છે.’ ખાત્રી આપનાર વ્યક્તિ આત્મવિશ્વાસપૂર્વક કહી રહી હતી. સામાપક્ષે જેની દુકાનેથી આ વસ્તુ લેવાની હતી, એ માણસ મક્કમતાથી કહી રહ્યો હતો કે મારી પાસે શું છે એની ખબર મને ના હોય ?</p>
<p>વાત આગળ ચાલી અને સાચે જ આશ્ચર્યજનક રીતે માહિતી આપનાર વ્યક્તિની શ્રદ્ધા સાચી પડી હતી. દુકાનદારને ભોંઠપનો અનુભવ થયો હોય એવું લાગ્યું. પરંતુ એણે એ પણ સ્વીકાર્યું કે ખરેખર પોતાની પાસે રાખેલી વેચાણ માટેની વસ્તુની પોતાને જ ખબર ના હોય એ વાત વેપારી માટે તો બરાબર ના ગણાય. આ પ્રસંગમાં આમ જોઈએ તો ઘણી બાબતો પ્રતિબિંબિત થાય છે. પરંતુ મહત્વની બાબત એ છે કે માણસ આર્થિક વ્યવહારો સાથેના વ્યવહારમાં અને બજાર વચ્ચે બેઠો હોવા છતાં પણ પોતાની શક્તિઓ કે સંપત્તિ બાબતે એને પર્યાપ્ત જાણકારી નથી. સામાપક્ષે એક અજાણ્યો મધ્યસ્થી કે ક્યારેક જ એક ગ્રાહક તરીકે એની દુકાન ઉપર જાય છે. એ એની અવલોકનશક્તિ કે યાદશક્તિથી જાણી શકે છે કે એ વ્યક્તિ પાસે શું વસ્તુ છે, ક્યા પ્રકારની આવડત છે.</p>
<p>આમાં કશું જ નવિનતાપ્રેરક અથવા તો આશ્ચર્યજનક નથી. કેમ કે આપણે સહુ મોટા ભાગે ચીલાચાલુ કે ગતાનુગતિક કહી શકાય એ રીતે જીવન વ્યવહાર કરવા ટેવાયેલા હોઈએ છીએ. આપણા પ્રતિભાવો કે આપણા પ્રત્યુત્તરોમાં મોટાભાગે રૂટીન પ્રકારના ઉદ્દગારો પ્રગટ થઈ જતાં હોય છે. જેમ ઘણી બાબતે આપણે ટેવવશ કરતા હોઈએ છીએ એમ જિંદગી પણ જાણે કે ટેવવશ જીવતા હોઈએ એવું એમાં વ્યક્ત થતું હોય છે. આવું બનવાનું કારણ ઘણીવાર કેવળ આપણો દષ્ટિકોણ હોય છે. આપણે પરંપરાગત આવડતથી કે ઘણી વખત મિથ્યા પ્રકારના આપણા મનોભાવોથી કોઈપણ ઘટના કે પ્રસંગને તેના અંતરંગ સ્વરૂપમાં જોઈ શકતા નથી. પરિણામે સામાન્ય લાગતી ઘટના કે બાબતની ઊંડાઈ કે તેના આંતરિક પ્રવાહોનો અંદાજ મેળવવામાં આપણે થાપ ખાઈ જતાં હોવાનું બહાર આવે છે. આ માટેનું જવાબદાર કારણ એ આપણી યાંત્રિક પ્રકારની જીવનશૈલી ગણી શકાય. આજના જમાનામાં માણસ એટલું બધું ઝડપી અને ઉપરચોટીંયું જીવે છે કે પોતે જ પોતાનાથી જાણે અપરિચિત હોય એવું લાગે. આ પરિસ્થિતિમાં પોતાની આવડત, પોતાનું સામર્થ્ય કે પોતાની પાસેની કિંમતી કે ઉપયોગી વસ્તુની જાણકારી તેની પાસે હોતી નથી. અને ઘણીવાર આપણને એવું લાગે છે કે મારી વિશિષ્ટતાઓ વિશે મારા પરિચિતોને જેટલી ખબર હોય, એટલી જાણે મને ખબર હોતી નથી.</p>
<p>આમાં કશું છુપાવવા જેવું નથી. પ્રસ્તુત પ્રસંગમાં વેપારી મિત્રને પણ એવું લાગ્યું કે સ્પર્ધાત્મક બજારમાં બેસીને પણ પોતાની પાસે શું વસ્તુ છે એની જાણકારી ન હોઈને એ એક વેપારી તરીકે મર્યાદા જરૂર છે, પરંતુ એવું થવું અસ્વાભાવિક નથી. એની પાછળ ઘણા વાજબી કારણો પણ હોઈ શકે છે. પરંતુ આ પ્રસંગમાંથી જે બાબત શીખવા મળે છે એ તમામ સ્તરની વ્યક્તિઓને લાગુ પડે છે. આપણી શક્તિઓ વિશે ઘણીવાર આપણી પાસે જ ખોટો અંદાજ હોય છે.<br />
‘હું આમ ના કરી શકું&#8230;..’<br />
‘મારાથી આટલી ઉંમરે આવું કઈ રીતે થાય ?’<br />
‘ગામડામાં રહીને હું શું કરી શકું ?’<br />
પોતાની જાત માટેના આવા ઘણા અવતરણો મોજૂદ હોય છે. પરંતુ એ તમામ માટે મહર્ષિ અરવિંદે કહ્યું છે એ મુજબ ‘જગતના ઉત્તમમાં ઉત્તમ માણસો પણ પોતાને મળેલી શક્તિમાંથી ફક્ત બે-પાંચ ટકા શક્તિનો જ ઉપયોગ કરી શકે છે.’ – એ વિધાનમાંથી આશ્વાસન મેળવી શકાય. ચંદ્રગુપ્ત નામના યુવાનમાં ભારતના સૌપ્રથમ સમ્રાટ બનવાની શક્તિઓ પડેલી છે, એવું ચાણક્ય નામનો શિક્ષક જ કહી શકે. અને ધનનંદ જેવા લોખંડી શાસક સામે એક છોકરડા જેવા લાગતા યુવાનના સહારે એ જંગ માંડે અને પોતાના પ્રચંડ મનોબળ અને પુરુષાર્થથી એ વસ્તુને સાકાર કરી શકે એ ઘટના જ કેટલી ભવ્ય છે. મોહનદાસ નામના બેરિસ્ટરને પોલોક નામનો અંગ્રેજી મિત્ર એક નાનકડું પુસ્તક ટ્રેઈનની મુસાફરીમાં ટાઈમપાસ કરવા આપે છે એનું નામ છે ‘અન ટુ ધિસ લાસ્ટ’ અને લેખક છે જહોન રસ્કિન. દક્ષિણ આફ્રિકામાં ટ્રેનની એકાંકી મુસાફરી દરમ્યાન આ પુસ્તકનું વાંચન મોહનદાસ ને મહાત્મા બનાવનાર મહત્વનું સીમાચિન્હ બની જાય છે. આ પુસ્તકની તીવ્ર અસર હેઠળ જ આખી ‘સર્વોદય’ની વિચારધારા આવી અને ગાંધીને દરિદ્રનારાયણની સેવાનો માર્ગ મળ્યો.</p>
<p>કોઈ મિત્ર પ્રેયસી કે ગુરુ અથવા તો ઉપહાસ કરનાર વ્યક્તિની નાની ટકોર કે પ્રેરણાના પ્રતિભાવ જગતને કોઈક નવી શોધ, નવું પુસ્તક કે મહાપુરુષ આપનારા સાબિત થયાં છે. ભાભીની ટકોર અને ઉપહાસ થકી નરસિંહનું મન કૃષ્ણમય બન્યું અને એક યુગપ્રવર્તક કવિ ગુજરાતી ભાષાને મળ્યો, જેણે લખ્યું : ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્વનું ટીપણું તુચ્છ લાગે&#8230;’ ઘણી વખત કોઈ આપણને કહે કે ‘આ તમારું કામ નહીં, આ તમે નહીં કરી શકો&#8230;.’ ત્યારે એ વખતે આપણે બમણા વેગથી કાર્યરત થઈ જતા હોઈએ છીએ અને અણધારી સફળતા કે વિજય પ્રાપ્ત કરતા હોઈએ છીએ. આનો અર્થ એવો પણ નથી કે આપણે કોઈકની ટકોરથી તાત્કાલિક ઉશ્કેરાઈ જવું અથવા તો જે બાબતમાં આપણી શક્તિ કે આવડત ના હોય એમાં અચાનક ધસી જવું. આપણી પાસે શું શક્તિઓ છે, આપણો પરિવેશ, આપણું બેકગ્રાઉન્ડ, આપણી શારીરિક મર્યાદા – એ બધાનું આકલન પણ જરૂરી બની જાય છે. ટૂંકમાં, આ તમામ બાબતે સંયમિત અને વિવેકબુદ્ધિથી આગળ વધવાની બાબત પણ એટલી જ મહત્વની બની જતી હોય છે. આમ, છતાં માનવમનની અગાધ શક્તિઓ અને મનુષ્યના અસ્તિત્વના અમાપ અંદાજનો જે નૈસર્ગિક વારસો આપણને મળેલો હોય છે, એમાં આપણે લઘુતા કે દયનીયભાવો અનુભવવાની જરૂર ક્યારેય રહેતી નથી. આપણી આવડતનો અંદાજ અન્ય લોકોને હોય છે, એટલો કદાચ સ્વયમને હોતો નથી. આ બાબતની સમજણ ના હોવાના કારણે મોહનમાંથી મહાત્મા બનવાની ઘટનાઓ જવલ્લે જ આકાર લેતી હોય છે.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/01/04/vicharpreak-nibandho/feed/</wfw:commentRss>
		<slash:comments>9</slash:comments>
		</item>
		<item>
		<title>સંબંધોની વિદ્યા – સુરેશ દલાલ</title>
		<link>http://www.readgujarati.com/2011/12/30/sambandh-vidhya/</link>
		<comments>http://www.readgujarati.com/2011/12/30/sambandh-vidhya/#comments</comments>
		<pubDate>Fri, 30 Dec 2011 01:21:29 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[નિબંધ]]></category>
		<category><![CDATA[સુરેશ દલાલ]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1690</guid>
		<description><![CDATA[[રીડગુજરાતી પર નવી સુવિધાઓ ઉમેરવાનું કાર્ય અંતિમ તબક્કામાં હોઈને આજે માત્ર એક જ લેખ પુનઃપ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેવા વિનંતી. આ લેખ ‘ઝલક નવરંગ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે.] સાચના સંબંધો બહુ ઓછા હોય છે. મોટા ભાગના આપણા સંબંધો કાચના હોય છે, એને નંદવાઈ જતાં વાર લાગતી નથી. આપણે નથી ઊંડે જોતા કે [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[રીડગુજરાતી પર નવી સુવિધાઓ ઉમેરવાનું કાર્ય અંતિમ તબક્કામાં હોઈને આજે માત્ર એક જ લેખ પુનઃપ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેવા વિનંતી. આ લેખ ‘ઝલક નવરંગ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે.]</p>
<p>સાચના સંબંધો બહુ ઓછા હોય છે. મોટા ભાગના આપણા સંબંધો કાચના હોય છે, એને નંદવાઈ જતાં વાર લાગતી નથી. આપણે નથી ઊંડે જોતા કે નથી ઊંચે જોતા. આપણે આપણી જાત સાથેનો સંબંધ પણ કેટલો બટકણો છે. કોઈ દિવસ નિરાંત જીવે મનગમતું એકાંત મેળવીને આપણે કદીય આપણી જાત સાથે વાત કરવાનો મોકો મેળવ્યો છે ખરો ?</p>
<p>માણસ જન્મે છે ત્યારથી એની ઈચ્છા હોય કે ન હોય એ સંબંધોની માયાજાળમાં ફસાયો છે. પ્રત્યેક સંબંધ સુવર્ણમૃગ છે. જો જાત સાથે સંબંધ કેળવીએ તો એ સંબંધ કસ્તૂરીમૃગ થાય. કસ્તૂરીમૃગની પાસે પોતાની સુવાસ હોય છે. જે માણસ પાસે પોતાનું કશુંક હોય એને બહારના કશાય પર ઝાઝો મદાર બાંધવો નથી પડતો. સંબંધની પારની પણ એક સૃષ્ટિ હોઈ શકે. જ્યારે બધા જ સંબંધો પોકળ અને પામર પુરવાર થાય અથવા ન થાય તો પણ માણસે ક્યારેક તો સંબંધની પાર જવું જોઈએ. શા માટે માણસોના સંબંધો વણસે છે ? આગ્રહ બરાબર છે. દુરાગ્રહ ખોટો છે. અભિવ્યક્તિ બરાબર છે, પણ એમાં કટુતા હોય તો પડવા જેવું નથી. સત્ય પણ સારી રીતે કહી શકાય છે. તમે ગમે એટલા આખાબોલા કે સાચાબોલા હો પણ કોઈને વાગે એ રીતે વાત ન કરાય. શરીરનું ખૂન કરીએ તો ખૂની, પણ શબ્દ દ્વારા કોઈ જીવને દૂભવીએ તો એની શિક્ષા અંતે તો આપણને ક્યારેક ને ક્યારેક થતી હોય છે. એનો અર્થ એવો નથી કે માણસે શબ્દોથી લોકોને પંપાળવા. જ્યાં આપણા સત્યની જરૂર હોય ત્યાં જ વાત કરી શકાય. સત્ય કે આંસુઓ સસ્તાં ન કરી શકાય. કોઈના અહમને હાથે કરીને શું કામ હડફેટમાં લેવો ? ઘવાયેલા અહમવાળો માણસ પશુ થઈને વીફરે અને વકરે.<br />
<span id="more-1690"></span></p>
<p>આપણે મોટે ભાગે અભિપ્રાયો ઓકતા હોઈએ છીએ. આપણે જ્યારે અભિપ્રાય વ્યકત કરીએ છીએ ત્યારે આડકતરી રીતે એવું પુરવાર કરવા માગીએ છીએ કે આના કરતાં મને વધુ આવડે છે. કોઈનું પ્રવચન સાંભળીને તરત એમ કહી દેવું કે તારી વાતમાં કશો દમ ન’તો, એમાં સત્ય હોય તોપણ એને જુદી રીતે કહી શકાય. જ્યારે સામા માણસનું રિસીવિંગ સેન્ટર સાઉન્ડ હોય, એની ગ્રહણશક્તિ સતેજ હોય ત્યારે શાંતિથી એને કહી શકીએ કે એ દિવસે તારું જે પ્રવચન હતું એ જોઈએ એટલું જામ્યું નહીં. તો પેલી વ્યક્તિ પણ પોતે તે દિવસે પ્રવચનમાં કેમ ન જામી શકી એના વિશે વિચાર કરશે અને કદાચ પોતા પાસેથી સાચો ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરશે. સાચું બોલવું ને સારું બોલવું એ એક કળા છે, પણ માણસજાત એકમેકને સુખી કરવા સર્જાઈ નથી. જ્યાં સુધી એકમેકને દુ:ખ ન આપે ત્યાં સુધી માણસને ચેન પડતું નથી. જેમ સંબંધ ગાઢ તેમ દુ:ખી કરવાની ગૂઢ વિદ્યા પ્રબળ. જે ક્ષણે આપણા સુખનો આધાર બીજાના દુ:ખ પર આધાર રાખતો થયો તે ક્ષણથી આપણું મનુષ્ય તરીકેનું પતન શરૂ થયું અને ઉડ્ડયન પૂરું થયું. મહેણાં-ટોણાં, વાતવાતમાં મોઢું ચઢાવવું, ત્રાગાં કરવાં, હવે તો તારી બાબતમાં નહીં જ બોલું એમ કહીને તોબરો ચઢાવવો – આ બધી સામી વ્યક્તિને યાતના આપવાની અનેક પદ્ધતિઓ છે.</p>
<p>લૂલા અને આંધળાની વાત તો જાણીતી છે, પણ રજનીશજીએ આ વાતને એક નવો વળાંક આપ્યો છે. આપણા તમામ સંબંધો લૂલા અને આંધળા જેવા છે. બંનેને એકમેકની જરૂરિયાત છે. બંને અંદરથી તો ભિખારી છે. લંગડા પાસે પગ નથી, આંધળા પાસે આંખ નથી. કમાઈ શકવાની તાકાત નથી અને એક જાપાની કહેવત કહે છે એ પ્રમાણે ભિખારીના ધંધામાં હંમેશાં નફો હોય છે. આ બંને ભિખારીએ ધંધામાં ભાગીદારી રાખી. આમ તો બંને વચ્ચે સમજણ હતી છતાં એક દિવસ ભીખના પૈસાને કારણે બંને વચ્ચે ઝઘડો થયો. ભિખારી હોય કે ઉદ્યોગપતિ હોય છેવટે તો બધા સાથે રહે છે કે છૂટા પડે છે તે કેવળ પૈસાને કારણે. બંને એટલું ઝઘડ્યા કે મારપીટ પર પહોંચ્યા. બંનેને એકમેકની જરૂર તો હતી જ તોપણ બંને ખૂબ ઝઘડ્યા.</p>
<p>આ ઝઘડો જોઈને, (કોઈકે હમણાં કહ્યું’તું કે ઈશ્વરનો વિડિયો તો કાયમ ચાલે જ છે) સાંભળીને ઈશ્વરને દયા આવી. એ પોતે પ્રગટ થયા. એમને એમ કે આ બંનેનો આશીર્વાદ આપું અને એમને કહું કે તમને જે જોઈએ તે માગો, પણ આ ગઘડો ખતમ કરો. ભગવાનને એમ કે આંધળો આંખ માગશે, લંગડો પગ માગશે પણ એ લોકોએ જે માગ્યું એનાથી પરમાત્માને ભોંઠપ લાગી. એટલું જ નહીં, એમની આંખમાં પણ આંસુ આવી ગયાં. આંધળાએ કહ્યું કે મારે કશું જ જોઈતું નથી, પણ આ લંગડાને આંધળો કરી દો અને લંગડાએ ઈશ્વરને કહ્યું કે આ આંધળાને લંગડો કરી દો.</p>
<p>વેર લેવું એ માણસજાતનું વ્યસન છે. પ્રેમ પર છેકો મૂકે છે અને વેરના સરવાળા ગણે છે. માણસે પોતાના કાદવમાંથી બહાર નીકળીને વેણીભાઈ પુરોહિતની બે પંક્તિ યાદ કરવી જોઈએ :</p>
<p>ઊંચે નજર કરો, જરા ઊંચે, હજી ઊંચે,<br />
આકાશ છાબ છે અને તારા ગુલાબ છે.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2011/12/30/sambandh-vidhya/feed/</wfw:commentRss>
		<slash:comments>3</slash:comments>
		</item>
		<item>
		<title>ભ્રમની ખૂબસૂરત-ખતરનાક દુનિયા – મોહમ્મદ માંકડ</title>
		<link>http://www.readgujarati.com/2011/11/08/bhram-duniya/</link>
		<comments>http://www.readgujarati.com/2011/11/08/bhram-duniya/#comments</comments>
		<pubDate>Tue, 08 Nov 2011 02:02:50 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[નિબંધ]]></category>
		<category><![CDATA[મોહમ્મદ માંકડ]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1397</guid>
		<description><![CDATA[[‘આવકાર’ પુસ્તકમાંથી સાભાર.] જગત સાહિત્યની અમર કૃતિ ‘ડોન કિહોટે’ (Don Quixote) આપણામાંથી ઘણાએ વાંચી હશે. એમાં માણસને વળગતા ‘ભ્રમ’નું ચિત્રણ થયું છે. ભ્રમમાં સપડાયેલી વ્યક્તિ વાસ્તવિકતાથી કેટલી દૂર ચાલી જાય છે અને પોતાના માટે કેવી નવી જ દુનિયા સર્જે છે તેનું આલેખન તેમાં થયું છે. સદીઓથી આ કૃતિ એટલા માટે વંચાતી રહે છે કે જરા [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[‘આવકાર’ પુસ્તકમાંથી સાભાર.]</p>
<p>જગત સાહિત્યની અમર કૃતિ ‘ડોન કિહોટે’ (Don Quixote) આપણામાંથી ઘણાએ વાંચી હશે. એમાં માણસને વળગતા ‘ભ્રમ’નું ચિત્રણ થયું છે. ભ્રમમાં સપડાયેલી વ્યક્તિ વાસ્તવિકતાથી કેટલી દૂર ચાલી જાય છે અને પોતાના માટે કેવી નવી જ દુનિયા સર્જે છે તેનું આલેખન તેમાં થયું છે.</p>
<p>સદીઓથી આ કૃતિ એટલા માટે વંચાતી રહે છે કે જરા ઊંડી નજર કરતાં દરેક માણસમાં ડોન કિહોટેનાં દર્શન આપણને ઓછેવત્તે અંશે થયા વિના રહેતાં નથી. અને આપણે પોતે પણ એમાંથી બાકાત હોઈ શકતા નથી. જીવનપથ પર ચાલતાં-ચાલતાં આપણે સૌ એક યા બીજા પ્રકારના ભ્રમમાં અવાર-નવાર સપડાઈ જતા હોઈએ છીએ અને એ ભ્રમમાંથી આપોઆપ છૂટી પણ જતા હોઈએ છીએ; પરંતુ બધા માણસો માટે ભ્રમની દુનિયામાંથી છૂટી જઈને વાસ્તવિક દુનિયામાં જીવવાનું સરળ નથી હોતું. વાસ્તવિક જિંદગી ઘણી કઠોર હોય છે. એનો સામનો કરવાનું માણસનું ગજું નથી રહેતું ત્યારે માણસ જૂઠું બોલે છે, દંભ કરે છે, બડાશો હાંકે છે. એ બધું જ વાસ્તવિકતાથી છૂટવા માટેના પ્રત્યનો-રૂપે હોય છે. અને એ પ્રયત્નના ભાગરૂપે જ કેટલાક માણસો પોતાની આગવી ભ્રામક દુનિયાનું સર્જન કરે છે. પોતે મહાન નેતા છે, ગુરુ છે, અવતારી પુરુષ છે, પોતે અન્યાય સામે એકલે હાથે લડી રહ્યા છે, પોતે બહુ જ અગત્યની વ્યક્તિ છે, એટલે માણસો પોતાની પાછળ પડી ગયા છે, પોતાને જંપવા દેતા નથી – એવા કોઈક પ્રકારના ભ્રમમાં સરી જઈને વ્યક્તિ જીવવાનો પ્રયત્ન કરે છે. જીવનની વાસ્તવિકતા સ્વીકારવાનું એમના માટે મુશ્કેલ હોય છે, એટલે પોતાની એક નવી દુનિયા એ સર્જી લે છે.</p>
<p>અલબત્ત, એ દુનિયામાં જીવનાર વ્યક્તિ જ્યારે એ દુનિયામાં જ જીવ્યા કરે ત્યારે એના માટે તકલીફ થાય છે. ત્યારે એનામાં રહેલા ડોન કિહોટેને વાસ્તવિક ધરતી પર લઈ આવવાનું જરૂરી બને છે, કારણ કે સતત ભ્રમની દુનિયામાં જીવનાર વ્યક્તિ એટલી અસ્વસ્થ રહે છે કે માનસચિકિત્સક પાસે એની ચિકિત્સા કરાવવાનું જરૂરી બની જાય છે. ચિકિત્સક પાસે ચિકિત્સા કરાવવી પડે એટલા ભ્રમમાં જીવતી વ્યક્તિઓની બાબતમાં પણ નવાઈ લાગે એવી વાત એ છે કે પોતે જે ખાસ વાત પકડી લીધી હોય એ સિવાયની બીજી બધી બાબતોમાં તેઓ તર્કબદ્ધ વિચારી શકે છે. માત્ર જે વાત તેમના મનમાં ઠસી ગઈ હોય એ વાતમાં જ તેઓ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી શકતા નથી. બીજી બધી રીતે સ્વસ્થ લાગતી આવી વ્યક્તિઓનું વર્તન બાકીની બાબતોમાં એટલું સામાન્ય હોય છે કે તેમના સંસર્ગમાં આવતા માણસોને તેમની વાતો સાચી માનવાનું મન થઈ જાય છે. તેમના બાકીના વર્તનમાં કોઈ પણ પ્રકારની વિચિત્રતા લાગતી નથી.<br />
<span id="more-1397"></span></p>
<p>એક ભાઈ બુદ્ધિશાળી અને લાગણીશીલ. કામમાં પણ ખૂબ જ ચીવટવાળા. એમનાં લગ્ન પછી કોણ જાણે શું થયું, એમને પત્નીના ચારિત્ર્ય પર શંકા થઈ. અને પછી એક પળે એમના મનમાં એવી વાત ઠસી ગઈ કે એમનો એકનો એક પુત્ર એ એમનો પુત્ર નહોતો. બસ, જીવન ખારું ઝેર થઈ ગયું. પછી તો ભ્રમોની વણજાર શરૂ થઈ. એમને લાગ્યું કે એમની પત્ની એમને મારી નાખવાનાં કાવતરાં કરી રહી છે. એમના શ્વસુરપક્ષનાં બધાં જ માણસો એમાં જોડાઈ ગયાં છે. એટલું જ નહીં, ખુદ એમનાં પોતાનાં સગાંવહાલાંઓ પણ એમાં જોડાઈ ગયાં છે. જિંદગી અસહ્ય થઈ પડી. નોકરી હતી એ છોડી દીધી. એક ગામથી બીજે ગામ રખડવાનું શરૂ કર્યું. જીવવા માટે કોઈક કામ શોધી કાઢે, પણ થોડા દિવસોમાં જ એમને લાગે કે એમની પાછળપાછળ મારાઓ ત્યાં સુધી આવી પહોંચ્યા છે, એટલે તરત જ એ કામ અને ગામ છોડીને બીજે ગામ જતા રહે. એ જ્યારે સ્વસ્થ હતા ત્યારે સ્વભાવ એટલો સારો કે અનેક લોકો એમને મદદ કરવા તૈયાર હોય. કોઈ પણ મિત્ર કે સંબંધીને ત્યાં ખૂબ જ પ્રેમ અને આદરભર્યો આવકાર મળે; પરંતુ થોડા વખત પછી એમને એમ લાગે કે એમના અંગત સંબંધીઓ પણ કાવતરાખોરો સાથે મળી ગયા છે. જે કોઈ એમને જુએ, એને જૂના દિવસો યાદ આવે. ક્યારેક કોઈ વ્યક્તિ એમને સમજાવવા પણ કોશિશ કરે કે ભાઈ, તમને કોઈ શા માટે મારી નાખવાનું કાવતરું કરે ? તમે એકલદોકલ માણસ છો. નથી તમારે કોઈ જમીન-વાડી, નથી બેન્ક-બૅલેન્સ, નથી બીજી કોઈ મિલકત, તમને મારીને કોઈ માણસ મેળવે શું ?</p>
<p>એવી વાતો સાંભળીને એ જાણે એકદમ ડાહ્યા બની ગયા હોય એવો દેખાવ કરે. પોતે બધું સમજી ગયા છે અને સ્વસ્થ થઈ ગયા છે એવો દેખાવ કરે, પણ વહેલી તકે એ વ્યક્તિનો સાથ છોડી દે અને નવી વ્યક્તિ મળે એને પેલી વ્યક્તિ કાવતરાખોરો સાથે કેવી-કઈ રીતે મળી ગઈ હતી એની વાત પણ કરે અને પોતે કેવી સિફતથી બચી ગયા હતા એની વાત પણ કરે. એમને ક્યારેય એવો પ્રશ્ન થતો જ નહોતો કે કોઈ એમની વિરુદ્ધ શા માટે કાવતરું કરે ? અથવા તો એવું કાવતરું કરીને એ શું પામે ?</p>
<p>સામાન્ય રીતે દરેક લેખક, કવિ, કલાકાર પોતે બીજા કરતાં વધુ સારા છે એમ માનતા હોય છે અને અમુક અંશે એમના માટે એ જરૂરી પણ હોય છે, કારણ કે નહીં તો એ લેખક, પત્રકાર કે કવિ તરીકે જીવી જ ન શકે; પરંતુ ક્યારેક એ ભ્રમ હદ બહાર વધી જાય છે. એક ભાઈના મનમાં એવું ઠસી ગયેલું કે એ મહાન કવિ છે. કૉલેજમાં હતા ત્યારે એમની થોડી કવિતાઓ સામાયિકોમાં છપાઈ હતી. પછી એક નાનકડો કાવ્યસંગ્રહ પણ પોતે પ્રગટ કરેલો, પણ એને ખાસ આવકાર ન મળ્યો એટલે એમનું મન વિક્ષુબ્ધ થઈ ગયું. રાત્રે સૌ સૂઈ જાય પછી જાગીને કાવ્યો લખે અને એને ઓશીકા નીચે સંતાડી રાખે. બીજે દિવસે બૅન્કમાં જાય અને સેફ ડિપોઝિટ વૉલ્ટમાં એ કાવ્યો મૂકી આવે. અને છતાં એમને એમ જ લાગ્યા કરે કે એમનાં કાવ્યોની ચોરી થઈ જાય છે. જ્યારે પણ કોઈ ખ્યાતનામ કવિનું નામ છપાયેલું જુએ ત્યારે તરત જ મિત્રોને કહે કે આ કાવ્ય મારું છે. મેં તમને કહેલું ને મારાં કાવ્યો લોકો ચોરી જાય છે ! આવા સજ્જન દેખાતા માણસો પણ ચોરી કરે એનું કરવું શું ? કાવ્યો બૅન્કના વોલ્ટમાં રાખું છું છતાં ચોરાઈ જાય છે. નક્કી કોઈક ફૂટી ગયું છે. મારે બૅન્ક જ બદલી નાખવી પડશે.</p>
<p>પછીના દિવસોમાં એમને એવો ભ્રમ થવા લાગ્યો કે કાવ્યો બૅન્કમાંથી નહીં એમના ઘરમાંથી જ ચોરાય છે. અરે, ભગવાન, હવે કરવું શું ? ઘરનાં માણસો પણ ફૂટી ગયાં ! એમણે કવિતા લખવાનું જ બંધ કરી દીધું. પણ કવિનો જીવ એટલે રાત્રે જ્યારે બધાં સૂઈ ગયાં હોય ત્યારે કાવ્યની સ્ફુરણા થાય તો એ કાવ્ય, ઋષિ-મુનિઓની જેમ માત્ર મનોમન ગણગણીને યાદ રાખી લે. પરંતુ નવાઈની વાત એ છે કે થોડા દિવસોમાં જ એ કાવ્ય કોઈક સામાયિકમાં કોઈક જાણીતા કવિના નામે પ્રસિદ્ધ થઈ જાય. એક વાર એક મિત્રને એમણે ધીમેથી પૂછ્યું, ‘એવાં કોઈ સાધનો આવે છે કે જે આપણા મનના ગણગણાટને પણ નોંધી લે ?’<br />
પેલાંએ હસતાં હસતાં કહ્યું, ‘હા, હવે તો એવાં ઈલેક્ટ્રોનિક સાધનો આવે છે જે આપણા મનના વિચારોને પણ નોંધી શકે.’ એ વાત માની લઈને તરત જ એમણે જાહેર કરી દીધું કે એમનાં કુટુંબીઓએ ઘરમાં એવાં સાધનો ગોઠવી દીધાં છે કે હવે એમની કોઈ કાવ્યકૃતિ સલામત નથી ! અને પછીના દિવસોમાં એમનાં કુટુંબીજનો હવે એનું કાસળ કાઢી નાખવા તૈયાર થઈ ગયાં છે, એમ માનીને એમણે ઘર છોડી દીધું. આમ, એમની જિંદગી પોતે જ વહોરી લીધેલી યાતનાનું ચક્ર બની ગઈ.</p>
<p>ભ્રમ વિશે વાત નીકળી જ છે ત્યારે એક વધુ કિસ્સો અહીં રજૂ કરું છું.<br />
એક એવી વ્યક્તિના સંપર્કમાં હું આવ્યો છું જેને મેં આખી જિંદગી કૉર્ટમાં કેસ લડતી જ જોઈ છે. એક દિવસ મેં સાંભળ્યું કે એક ન્યાયાધીશે પણ એમના વિશે એવી ટકોર કરી કે એ ભાઈ માત્ર કેસ કરવા ખાતર જ કેસ કરીને અદાલતનું કામકાજ વધારતા હતા. એક વાર એમણે કહ્યું કે હવે વકીલો ઉપર વિશ્વાસ રાખવા જેવું નથી. જે વકીલને હું રોકું છું એને સામી પાર્ટી ફોડી નાખે છે. એટલે કેસ લડવાને બદલે એ સમાધાનની વાત કરવા માંડે છે. આપણો વકીલ આપણને એમ કહે કે આપણે કેસ જીતી શકીએ તેમ નથી, સમાધાન કરી લઈએ, એનો અર્થ શું ? પહેલાં એમની ફરિયાદો વકીલો સામે જ હતી, પછી એમણે ન્યાયાધીશો સામે પણ ફરિયાદ કરવા માંડી કે ન્યાયાધીશો પણ પૈસા લે છે અને ફૂટી જાય છે. એમ ને એમ, એક દિવસ એ ગુજરી ગયા અને કૉર્ટ-કજિયાનો વારસો પોતાનાં સંતાનોને સોંપતા ગયા.</p>
<p>ભ્રમના આ કિસ્સાઓ અસામાન્ય ગણાય; પરંતુ આપણામાંની મોટા ભાગની વ્યક્તિઓ પણ ભ્રમથી સંપૂર્ણપણે પર નથી હોતી. મોટા ભાગના માણસો પોતાને મનગમતી કોઈક પ્રકારની દુનિયા રચીને એમાં જીવે છે. જીવનની કઠિનાઈઓને જીરવવાનું મુશ્કેલ હોય છે, એટલે ભ્રમની ખૂબસૂરત દુનિયાનું સર્જન કરવાનું માણસ શરૂ કરી દે છે, એટલે જ દરેક માણસ વત્તેઓછે અંશે પોતે બહુ અગત્યની વ્યક્તિ છે એમ માને છે. એનો અતિરેક થાય ત્યારે જ તે હાનિકારક બને છે, કારણ કે દરેક અતિરેક હાનિકારક હોય છે. આ લેખ વાંચનાર વાચકના સંપર્કમાં ભ્રમની દુનિયામાં જીવતી હોય એવી કોઈક વ્યક્તિ આવે ત્યારે એ પોતાના મનના ઊંડાણમાં પણ જરા નજર કરી જુએ અને પોતે જો એવા કોઈ ભ્રમમાં હોય તો એનો અતિરેક થાય અથવા બીજા લોકોને એ વાગે એટલા પ્રમાણમાં વિકસે એ પહેલાં એના ઉપર જરા લગામ રાખે.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2011/11/08/bhram-duniya/feed/</wfw:commentRss>
		<slash:comments>3</slash:comments>
		</item>
	</channel>
</rss>

