Sep 01
2010

ૐ હાસ્યમ્ – રતિલાલ બોરીસાગર

[ હાસ્યલેખોના પુસ્તક ‘ૐ હાસ્યમ્’માંથી સાભાર.]

[1] કહું છું, સાંભળો છો !

એક વાર એક વર્તમાનપત્રની સાપ્તાહિક પૂર્તિની જીવનચિંતનની કૉલમમાં નાટ્યકાર ઈસ્કીલસનું એક કથન ટાંકવામાં આવ્યું હતું : ‘સ્ત્રીએ ઘરની ચાર દીવાલોની વચ્ચે જ પોતાની જિંદગીનો વ્યાપ સંકેલી લેવો જોઈએ અને શાંતિપૂર્વક મૌન રહીને જીવતાં શીખવું જોઈએ.’ અઢી હજાર વરસ પહેલાં સ્ત્રી વિશે પુરુષની અપેક્ષા આવી હતી. આજે પણ પુરુષોને ખાનગીમાં પૂછવામાં આવે અને એનો જવાબ એની પત્નીથી ખાનગી રાખવાની ખાતરી આપવામાં આવે તો આજે પણ પુરુષમાત્રની અપેક્ષા, કદાચ જ નહિ, ચોક્કસ આવી જ હશે, એવું પુરુષજાતિના પ્રતિનિધિ તરીકે હું કહી શકું તેમ છું. અલબત્ત, બે ટંક જમવું હોય અને બાળકોને ઈંગ્લિશ મિડિયમમાં ભણાવવાં હોય તો પત્નીને નોકરી કરવા જવા દીધા સિવાય પતિનો છૂટકો નથી. પણ સ્ત્રીએ શાંતિપૂર્વક મૌન પાળીને જીવતાં શીખવું જોઈએ એવી પુરુષની માન્યતામાં ઝાઝો ફેર પડ્યો નથી. અલબત્ત ઈસ્કીલસની જેમ કોઈ પતિ જાહેરમાં હિંમતપૂર્વક આવું કહી ન શકે – આજે તો કદાચ ઈસ્કીલસ પોતે પણ જાહેરમાં આવું ન કહી શકે. પરંતુ પુરુષ માત્રને કહ્યાગરી પત્ની ગમે છે. (જોકે સ્ત્રી માત્રને કહ્યાગરો કંથ ગમે છે – એટલે એકબીજાને કહ્યાગરાં બનાવવાની માથાકૂટમાં જિંદગી પૂરી થઈ જાય છે !)

પણ મુશ્કેલી એ છે કે એકલદોકલ ભાગ્યશાળી પુરુષને બાદ કરતાં કોઈ પુરુષને જીભ હોય એવી – એટલે કે બોલી શકતી હોય તેવી – મૂંગી સ્ત્રી ભાગ્યે જ સાંપડે છે. જાહેરમાં પતિ સામે જીભાજોડી ન કરનારી સ્ત્રી પણ હોમગ્રાઉન્ડ પર વાચાળ હોય છે. (જાહેરમાં વાદવિવાદ થાય ત્યારે જીભાજોડી કર્યા વગર મૂંગા રહેવા માટે અમારા એક મિત્ર એમનાં પત્નીને વિવાદ દીઠ એક સાડી લઈ આપે છે. વિવાદ જેટલો મોટો એટલી સાડી મોંઘી એવી પણ એમની સમજૂતી છે. આ ખર્ચને પહોંચી વળવા મિત્રને નોકરીમાં ઓવરટાઈમ કરવો પડે છે !) કેટલીક સ્ત્રીઓ વાચાળ પતિને મૂંગો બનાવવા સમર્થ હોય છે. આ અર્થમાં સ્ત્રી ઈશ્વરી શક્તિ ધરાવે છે એમ કહી શકાય. ‘મૂકમ કરોતિ વાચાલમ’ એમ ઈશ્વર વિશે કહેવાય છે તે સ્ત્રી વિશે પણ કહી શકાય. ફેર માત્ર એટલો છે કે ઈશ્વર મૂકમ (મૂંગાને) કરોતિ વાચાલમ (બોલતો કરે છે), જ્યારે સ્ત્રી વાચાલમ (બોલતા પતિને) કરોતિ મૂકમ (મૂંગો કરે છે.) બંધારણનું જ્ઞાન હોય કે ન હોય, ઘણાંખરાં ઘરોમાં પત્ની જ ‘સ્પીકર’ હોય છે. ‘જીભ’ નારીજાતિનો શબ્દ છે એટલે જીભનો ઉપયોગ પુરુષની સરખામણીમાં સ્ત્રી વધુ કુશળતાથી કરી શકે છે.
વધુ આગળ વાંચો »

Aug 30
2010

બુદ્ધિની કસોટી – જ્યોતીન્દ્ર દવે

[ શ્રી વિનોદ ભટ્ટ દ્વારા સંપાદિત ‘હાસ્યેન્દ્ર જ્યોતીન્દ્ર’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

ઘણા સમર્થ વિચારકો કહી ગયા છે કે મનુષ્યનું મન એવું ચંચળ છે, કે તે એક વસ્તુ તરફ લાંબો વખત અભિમુખ થઈ શકતું નથી. એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદતા શાખામૃગની પેઠે મન પણ એક વિષય પરથી બીજા વિષય પર હંમેશા કૂદ્યા કરે છે. સ્થિરતાથી એક વિષયના વિચાર એ કરી શકતું નથી. સમર્થ વિચારકોએ, એકાગ્ર મનથી વિચાર કરીને કહ્યું છે એટલે આ વાત છેક ખોટી છે એમ તો ન કહેવાય, પણ એક વખત મેં એક વાંદરું જોયું હતું. તે એક ઝાડની શાખાએ પૂંછડી ભેરવી રહ્યું હતું અને ગમે એટલા પ્રયત્નો કરવા છતાં તેનાથી બીજા ઝાડ પર જવાતું નહોતું. એ વાંદરાની પેઠે મન કવચિત એક વિષય પર એવું ચોંટી જાય છે, કે ત્યાંથી એ ખસી શકતું જ નથી. આવો અનુભવ મને થોડા જ વખત પર થયો હતો.

હું આરામખુરસી પર પડ્યો પડ્યો અપચા પર ભીંડાનું શાક નડે કે નહિ, તેના વિષયમાં મશગૂલ થઈ ગયો હતો. એટલામાં મારાં સહધર્મચારિણી હાથમાં એક ‘સ્ત્રી-ઉપયોગી’ માસિક લઈ આવ્યાં ને મને કહ્યું :
‘આનો જરા જવાબ કહોની.’
‘ના, નહિ નડે.’ મેં જવાબ દીધો.
‘શું નહિ નડે ?’ એણે પૂછ્યું.
‘કેમ ? ભીંડા.’ મેં કહ્યું.
‘ભીંડા ? ભીંડા ક્યાંથી આવ્યા ?’
‘કેમ ? અપચા પર ભીંડા નડે કે નહિ, એમ તેં મને પૂછ્યું ને ?’
‘મેં વળી એમ ક્યારે પૂછ્યું ?’
‘બરાબર, બરાબર. એ તો હું વિચાર કરતો હતો કે અપચા પર ભીંડા નડે કે નહિ, એટલામાં આવીને તેં જવાબ માગ્યો એટલે હું એમ બોલ્યો. બોલ, હવે તારો શો પ્રશ્ન છે ?’
વધુ આગળ વાંચો »

Aug 24
2010

કારણ વિનાની વ્રતકથા – મન્નુ શેખચલ્લી

[ ‘મન્નુ શેખચલ્લી’ ઉપનામથી લખતા શ્રી લલિત લાડના હાસ્યલેખોના પુસ્તક ‘હવામાં ગોળીબાર’માંથી સાભાર. આમ જુઓ તો આ હાસ્યલેખ છે પરંતુ હકીકતે તે ખૂબ મનનીય વાત સરળ શબ્દોમાં કહી જાય છે. આપ શ્રી લલિતભાઈનો (અમદાવાદ) આ નંબર પર +91 79 26826526 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

હે શ્રોતાજનો ! મન્નુ શેખચલ્લી આ વખતે કથાકાર બન્યા છે અને એક કથા માંડી છે. ધ્યાનપૂર્વક શ્રવણ-પઠન કરનારને સો ટકા પુણ્ય મળશે.

શંકર ભગવાન પારવતીજી સાથે ફરવા નીકળ્યા છે. વિમાન આકાશમાં ઊડતું જાય છે અને શંકર-પારવતી અલકમલકની વાતો કરતાં જાય છે. ત્યાં પારવતીજીની નજર ધરતી પર પડે છે. પારવતીને મનમાં સવાલ થાય છે, જે શંકર ભગવાન તરત જાણી જાય છે.
પારવતીજી પૂછે છે : ‘આ ધરતી પર સૌ દુઃખી કેમ છે ? નવાં નવાં મંદિરો બંધાય છે, લાખો લોકો ભેગા થાય છે, મોટેથી આરતીઓ ગવાય છે, ઘંટારવ છેક સ્વર્ગમાં સંભળાય છે. સાધુ, સ્વામી, ગુરુજી, શાસ્ત્રીજી ઉપરાંત અનેક ચમત્કારી બાપુ થાય છે. મૂર્તિઓ સોનાની, કળશ પ્લેટિનમના થાય છે. જાહોજલાલી ઓહોહો ધરમની વધતી જાય છે. ઓડિયો વિઝ્યુઅલ કૅસેટોમાં પ્રાણપ્રતિષ્ઠા થાય છે. ધજા, પ્રતીકો, નિશાન, ડંકા કંઈકંઈ ઝળહળ થાય છે. ભગવાનની ભૈ, આટઆટલી વાહ-વાહ થાય છે તોય આ માણસ બિચારો જુઓ ને ? કેમ બેહાલ થતો જાય છે ? દિવસે ન વધે એટલાં રાતે અને રાતે ન વધે એટલાં દિવસે, એનાં દુઃખો વધુ ને વધુ વધતાં જાય છે. સ્વામી, આવું કેમ થાય છે ? બોલો, આવું કેમ થાય છે ?

જવાબમાં શંકર ભગવાન કહે છે, ‘સવાલો તો સવાલો છે, પણ જવાબ તો મારી પાસે પણ નથી. તમે કહો તો કોઈ ગરીબ બ્રાહ્મણને વરદાન આપી દઉં, કહો તો રાજાને તેનું રાજપાટ આપી દઉં. રામચંદ્ર જાગુષ્ટેની તમામ વ્રતકથાઓનો આખો સેટ મને કંઠસ્થ છે. કહો તો કોઈ લાગુ પડતું વ્રત લેવડાવી દઉં. કહો તેને સ્વર્ગ અપાવી દઉં, કહો તેને નર્કે સિધાવી દઉં. પણ આ બધું આમ આમ આમ કેમ થાય છે તે તો મનેય ક્યાં સમજાય છે ?’
પારવતીજીએ હઠ લીધી : ‘મારે તો જાણવું જ છે કે આ બધું આમ આમ આમ કેમ થાય છે ?’
ત્યાં તો નારદજી ફરતાં ફરતાં આવ્યા. શંકર ભગવાને નારદજીને પૂછ્યું. નારદજી કહે : ‘સંસાર ચલાવનાર વિષ્ણુ ભગવાન છે. એમને પૂછો.’
સહુ ચાલ્યા વિષ્ણુ ભગવાન પાસે.
વધુ આગળ વાંચો »

Aug 11
2010

વાતવાતમાં તોફાની જોક્સ – મન્નુ શેખચલ્લી

[ ‘ગુજરાત સમાચાર’ અખબારમાં મન્નુ શેખચલ્લી ઉપનામથી ‘વાતવાતમાં’ કૉલમ લખતા શ્રી લલિત લાડના હાસ્યલેખોના પુસ્તક ‘વાતવાતમાં તોફાની જોક્સ’માંથી સાભાર. આપ શ્રી લલિતભાઈનો (અમદાવાદ) આ નંબર પર +91 79 26826526 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] ભાષણ-સંહિતા

એક ગામમાં ખેડૂતોની એક સભા ભરાવાની હતી. અને એક મિનિસ્ટર સાહેબ ત્યાં ભાષણ આપવા આવવાના હતા. પણ બન્યું એવું કે એ વિસ્તારમાં આગલે દિવસે એટલો બધો વરસાદ પડી ગયો કે બધા રસ્તા બંધ થઈ ગયા. મિનિસ્ટર કહે, ‘મારે તો ગમે તેમ કરીને સભામાં ભાષણ આપવા જવું જ છે. કાર ના જાય તો હેલિકોપ્ટરની વ્યવસ્થા કરો.’

છેવટે મિનિસ્ટર સાહેબ હેલિકોપ્ટરમાં બેસીને સભાના સ્થળે પહોંચ્યા. પણ અહીં જુએ તો આખા મેદાનમાં ખાલી બે જ ખેડૂત આવેલા !
મિનિસ્ટર મૂંઝાયા : ‘શું કરું ? બે જણા આગળ ભાષણ કરું કે ના કરું ?’
ખેડૂતો કહે : ‘સાહેબ, અમે તમારી જેમ ભણેલા નથી અને તમારા જેટલા હોશિયાર પણ નથી. પણ એક વાત છે. જો અમારાં સો ઢોર હોય એમાંથી બે જ ઢોર આવે તો પણ અમે એમને ઘાસ તો ખવડાવીએ જ.’
આ સાંભળી મિનિસ્ટરે કહ્યું : ‘ઓકે. તો હું ભાષણ કરું છું.’ એમ કહીને મિનિસ્ટર સાહેબ ભાષણ કરવા લાગ્યા. પંદર મિનિટ થઈ, વીસ મિનિટ થઈ, અડધો કલાક થયો, પોણો કલાક થયો…. ભાષણ પૂરું થાય જ નહિ.

છેવટે બરાબર સવા કલાકે મિનિસ્ટર સાહેબે ભાષણ પૂરું કર્યું. પછી પેલા ખેડૂતોને પૂછે, ‘કેવું લાગ્યું મારું ભાષણ ?’
ખેડૂતો કહે : ‘સાહેબ, અમે તમારી જેમ ભણેલા નથી અને તમારા જેટલા હોશિયાર પણ નથી. પણ એટલી તો સમજ પડે છે કે સો ઢોરનું ઘાસ બે ઢોરને ના ખવડાવી દેવાય !’
વધુ આગળ વાંચો »

Jul 29
2010

વાટકી – બકુલ ત્રિપાઠી

[ શ્રી વિનોદ ભટ્ટ દ્વારા સંપાદિત ‘અમર હાસ્યનિબંધો’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

તમને પહેલાં મારી ઓળખાણ કરાવી દઉં. મારું નામ છે તારિણીબહેન. અમે જે બ્લૉકમાં રહીએ છીએ તેમાં ચાર ફલૅટ છે. અમારી સામેના ફલૅટમાં રહે છે તે માલિનીબહેન. અને અમારી સામેના ફલૅટમાં નીચેની બાજુએ એટલે કે અમારી નીચેના ફલૅટની સામેના બ્લૉકમાં રહે છે, સુહાસિનીબહેન.

હા, અમારે એક બેબી છે. એનું નામ રંજના. અમારા એ…. એમનું નામ… પણ જવા દો. એમનું કાંઈ આજની વાતમાં કામ નથી. એટલે એમની અને માલિનીબહેનના હસબન્ડ તથા સુહાસિનીબહેનના હસબન્ડની ઓળખાણ તમને નથી કરાવતી. શાલિનીબહેનના હસબન્ડનું નામ મુકુલભાઈ. હવે હું તમને પેલી વાટકીની વાર્તા કહું.

બન્યું એવું કે હમણાં બે-ત્રણ દિવસ પર જ અમારું રસોડાનું કબાટ સાફ કર્યું. તો એમાંથી છેક અંદરના ખૂણામાંથી એક વાટકી નીકળી. વાટકી તો હતી નાનકડી, ભગવાનને પ્રસાદ ધરાવાય એવડી કે છોકરાંને બાળાગોળી પાવી હોય તો કામ આવે એવડી કે… ટૂંકમાં નાની. જાડા મજબૂત સ્ટેનલેસ સ્ટીલની. પહેલાં તો ઝબકતી ચમકારા મારતી હતી. પણ હવે જરા જૂની થઈ ગયેલી. ડિટર્જનથી માંજો તો ઊજળી થાય. વાટકી તો કબાટમાંથી જડી પણ મને થયું આ વાટકી મારી ન હોય. અમારે ત્યાં સ્ટેનલેસ સ્ટીલનાં જ વાસણો છે. ખાસ્સા સેટ છે. પણ વાટકીઓ આના કરતાં મોટી. હું નાની વાટકીઓ રાખું જ નહીં. કોઈને પીરસવું તો પછી મોકળાશથી જ પીરસવું. નાનો જીવ રાખવો મને પહેલેથી જ ના ગમે. અમારે ત્યાં આવી નાની વાટકી હોય…જ નહીં ને. મને થયું કોઈની આવી ગઈ હશે લાવને પૂછું.
વધુ આગળ વાંચો »

Jul 27
2010

ગાયમાતાને પત્ર – સોનલ ર. પંડ્યા

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક : દીપોત્સવી હાસ્ય વિશેષાંક (2001)માંથી સાભાર. આપ સોનલબેનનો (અમદાવાદ) આ સરનામે સંપર્ક કરી શકો છો : sonalp14@gmail.com ]

આદરણીય ગાયમાતા,
અમદાવાદ ગામથી પંચાતમાસીના જયશ્રીકૃષ્ણ વાંચશો. પારકી પંચાત કરવાની મારી ટેવ હવે મારો સ્વભાવ બની ગઈ છે. એટલે આ પત્રપંચાતના ભાગરૂપે તમને કાગળ લખું છું. વળી, અમારા શહેરમાં ફરતાં તમે અમારા શહેરમાં નહીં, અમે તમારા શહેરમાં ફરતાં રહેતાં હોઈએ તેવું લાગે છે. જેના શહેરમાં રહીએ તેની પંચાત ન કરીએ તો આ ‘પંચાત’નો અવતાર એળે જાય !

તમને કંઈક લખી શકવાની ત્રેવડ હજુ ધરાવું છું કારણ કે મારા જમણા હાથે હજુ લખી શકાય છે. મારા ડાબા હાથ વિશેની તમને જિજ્ઞાસા હોય તો કહું કે મારા ડાબા હાથની કોણીનું હાડકું ભાંગી ગયું છે. આપનો ઢીંકરૂપી પ્રસાદ મને મળ્યો અને મારાથી પડી જવાયું ! આપના શરીરમાં વસતા તેત્રીસ કરોડ દેવતા પૈકી કયા દેવ મારા પર કોપાયમાન થયા તેની ખબર નથી. વૈદરાજ પાસે પાટો બંધાવ્યો છે. જો કે વૈદરાજો અને હાડકાંના ડૉક્ટરોની પ્રામાણિકતા પર મને ક્યારેક શંકા જાય છે. આ બેફામ સ્પર્ધા અને બેકારીના જમાનામાં આપ એમને નિયમિત કમાણી કરાવો છો ત્યારે તમારા જાહેર સન્માનનું સૌજન્ય પણ તેઓ ચૂકી જાય છે. નગરપાલિકામાંથી આપને પકડવા આવતા માણસો સામે રોજગારીનો અધિકાર છીનવી લેવા અંગે વૈદ્યરાજો કોર્ટમાં કેસ કરે તે દિવસો હવે દૂર નથી. જોકે આપ આવી વાતો મનમાં લો તેવાં નથી. તમારાં શિંગડાં જેવું જ તમારું દિલ પણ વિશાળ છે. આપના શિંગડાં આપનો રસ્તો જે સરળતાથી સાફ કરી દે છે તેટલી જ સરળતાથી તમે બીજાને માફ કરી શકો છો.
વધુ આગળ વાંચો »

Jul 20
2010

મોબાઈલની મોંકાણ – પરાગ ત્રિવેદી

[ રમૂજી લેખ : ‘અખંડ આનંદ’ જુલાઈ-2010માંથી સાભાર. આપ લેખકશ્રી પરાગભાઈનો (જૂનાગઢ) આ નંબર પર +91 9898357357 સંપર્ક કરી શકો છો.]

‘એ….ભાઈ, કોઈ પૈસા માગે છે ? ફોન ઉપાડો ને ! કોઈ ઉઘરાણી કરે છે ? ફોન કેમ નથી ઉપાડતા ? ફોન ઉપાડો ફોન…. એ ભાઈ… ફોન ઉપાડોને…’
‘મૈં ચાહે યે કરું મૈં ચાહે વો કરું – મે…રી… મ….ર….જી !’
‘દુનિયા જાય તેલ લેને, જલસા કર ! જલસા કર બાબા જલસા કર….’

આ કોઈ સંવાદ નથી. આ તો મોબાઈલ ફોનની વિવિધ રીંગ ટોન્સ છે. થોડાં વર્ષ અગાઉ આપણે એકલા બસમાં, ટ્રેનમાં જતા હોઈએ કે ક્યાંક રાહ જોઈને લાંબો સમય બેઠા/ઊભા હોઈએ તો કંટાળો આવતો. પણ હવે એ જમાનો ગયો. હવે તો તમે ગમે ત્યાં બેઠા હો, ઊભા હો, (ન કરે નારાયણ ને હૉસ્પિટલમાં સૂતા હો) રોડ ઉપર ચાલતા હો, બગીચામાં દોડતા હો – તમને ક્યાંય કંટાળો નહિ આવે, એકલું નહિ લાગે, સૂનું-સૂનું નહિ લાગે. દર પાંચ મિનિટે બેના હિસાબે તમને કલ્પના પણ ન આવે તેવી વિવિધતાસભર રીંગ ટોન્સ સાંભળવા મળશે. અમુક તમને ડોલાવશે, અમુક તમને હલાવી દેશે, અમુક ભડકાવી દેશે, અમુક ચોંકાવી દેશે, અમુક ઊંઘમાંથી ઉઠાડી દેશે, અમુક ચોંકાવી દેશે, અમુક ઊંઘમાંથી ઉઠાડી દેશે, અમુક સીટ ઉપરથી અડધા ઉઠાડી દેશે…. પણ તમને તો ફાયદો જ છે. તમારો તો ટાઈમ પાસ થઈ જવાનો – ડોલતા, ભડકતા, ચોંકતા… અને આ રીંગ ટોન્સ પૂરી થયા પછી ચાલુ થતી વાતો તો સમય પસાર કરવાની સાથે સાથે તમારું મનોરંજન પણ કરશે.

મોબાઈલ ફોન આવ્યા પછી આપણા સમાજને કેટલી બધી નવી પ્રવૃત્તિઓ મળી છે ! મોબાઈલમાં ગેઈમ રમવાની પ્રવૃત્તિ, મોબાઈલ લે-વેચ કરવાની પ્રવૃત્તિ, મોબાઈલમાં ગીતો સાંભળવાની પ્રવૃત્તિ, SMS વાંચવાની/કરવાની પ્રવૃત્તિ, નવી રીંગટોન/નવાં ગીતો ડાઉનલોડ કરાવવાની પ્રવૃત્તિ…. ખરેખર મોબાઈલ ફોને આપણા સમાજને પ્રવૃતિમય કર્યો છે. મોબાઈલ ફોન ‘સેલફોન’ તરીકે ઓળખાય છે, તે તો આપણે જાણીએ જ છીએ. કેટલું યોગ્ય નામ છે…. સેલફોન ! વેચવા (સેલ-Sale) માટેનો ફોન. ફરતાં-ફરતાં (સહેલ) કરવાનો ફોન, ખૂબ ભાવ ઘટી જવાથી ખરીદવા માટે સહેલો (સ્હેલ) ફોન. ઉપરના અર્થો સાર્થક કરતા મનુષ્યો આપણને ડગલે ને પગલે જોવા મળે છે.
વધુ આગળ વાંચો »

Jul 15
2010

તમે શું કહો છો ? – ભગીરથ મ. દરૂ

[‘પહેલું સુખ તે હસતાં રહીએ’ પુસ્તકમાંથી સાભાર.]

મારો એક મિત્ર લગ્ન કરવાની તૈયારીમાં હતો અને લગ્ન કરનારને કાંઈ ને કાંઈ મૂંઝવણ તો હોય જ છે. જોકે આમ તો પરણવાની ઉંમરે પહોંચેલી વ્યક્તિની ઉંમર જાહેરમાં પાંચ વર્ષ જેટલી વધી જાય છે અને ખાનગીમાં એટલે કે એકાંતમાં પાંચ વર્ષ જેટલી ઓછી થઈ જાય છે.

એવા એ મિત્રે મને પૂછ્યું : ‘તમે ભાભીને શું કહો છો ?’
‘ભાભી.’ જરાય વિચાર કર્યા વિના મેં જવાબ આપ્યો.
‘એમ નહીં. ભાભીને એટલે કે મારાં ભાભીને શું કહો છો ?’
‘તું શું પૂછે છે ? ભાભીને તો ભાભી જ કહેવાય ! એના કોઈ પર્યાય મારા ખ્યાલમાં નથી.’
‘હજુ તમે સમજ્યા નહીં. હું એમ પૂછું છું કે તમે તમારાં મિસિસને શું કહો છો ?’
‘મિસિસને ? મિસિસને હું કાંઈ કહેતો જ નથી. એ જ મને કહે છે. મને તક જ ક્યાં મળે છે ?’
‘અરે ! હવે મને તો તક આપો ? મારું પૂછવાનું છે કે મિસિસને બોલાવવાનું થાય ત્યારે કેવી રીતે બોલાવો છો ?’
‘હં, તો એમ પૂછને ! એ તો જેવો જેવો સમય !’
‘જેવો જેવો સમય, એટલે દિવસે….રાત્રે…. બપોરે….’

‘જો રામાયણના રામ અને મહાભારતના સમયના કૃષ્ણ બંને એક જ છે, પણ જમાના પ્રમાણે જુદી જુદી રીતે બોલાવાય છે. તેમ અમે બંને એકલાં હોઈએ ત્યારે હું નામ-પેટ નેઈમ-દઈને બોલાવું છું. કયું નામ તે મને ન પૂછતો. છોકરાં હાજર હોય તો હું બોલાવતો નથી, પણ છોકરાંને કહું છું, ‘તારી મમ્મીને બોલાવ.’ કોઈ વડીલની હાજરીમાં કહેવું પડે છે, ‘જરા આમ જોજે, હં કે !’ અને મિત્ર-મંડળમાં એનું નામ દઈને બોલાવું છું. પરંતુ એનું મિત્ર-મંડળ હોય તો હું એને બોલાવતો નથી, કેમ કે હું જાણું છું કે એ સમયે ગમે તે બોલાવે તો પણ એ ત્યાંથી જરાય ચસશે જ નહીં.’
‘એ બધું તો સમજ્યા, પણ કોઈ મિત્ર આગળ ઓળખાણ કરાવતી વખતે શું કહો છો ?’
‘શું કહે ? આ મારાં ‘વાઈફ’ છે !’
‘આપણાથી વાઈફ બોલી શકાય તો ‘પત્ની’ કેમ ન બોલી શકાય ?’
વધુ આગળ વાંચો »

Page 1 of 912345...Last »