ધારોકે પ્રેમલ સાથે કામાક્ષી ભાગી ગઈ…. – નિર્મિશ ઠાકર
[ નિર્મિશભાઈ ઠાકરના હાસ્યલેખોના સુપ્રસિદ્ધ પુસ્તક ‘નિર્મિશાય નમ:’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે નિર્મિશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nirmish1960@hotmail.com અથવા આ નંબર પર +91 9427504245 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

ધારવાની પણ એક મઝા હોય છે. અલબત્ત, એટલું ખરું કે જેવો જમાનો હોય એના હિસાબથી જ ધારવું, નહીં તો કોઈ આપણને પાગલ ધારે ! તો આજે વાચકોને જેમાં ઊંડો રસ છે, એમાંનું જ કાંઈ ધારવું પડશે. અમમમ, ધારો કે એમ ધારીએ કે….. કનૈયાલાલનો પ્રેમલ પાડોશમાં રહેતા ધરમચંદની સુપુત્રી કામાક્ષીને ભગાડી જાય, તો ? લાપશી ખાધી હોય એમ હસું હસું થઈ ગયેલા તમારા ચહેરાઓને હું કલ્પી શકું છું મિત્રો, કારણ કે આ તમારા રસનો મુખ્ય વિષય છે ! જો તમને ગમ્યું જ છે, તો આગળ વધીને એમ પણ કલ્પી શકાય કે અંદરખાને તો દીકરી થાળે પડી ગયાનો સંતોષ જ હોય છતાં લોકલાજે ઝઘડો કરવો પડે એટલે કામાક્ષીનાં મા-બાપ પ્રેમલનાં મા-બાપ સાથે ઝઘડો કરવા જાય ! ઝઘડામાં પણ તમને રસ છે જ, તો હવે ઝઘડાને રજૂ કરું છું….
(કામાક્ષીનાં મા-બાપ રીટાબહેન અને ધરમચંદ હવે બરાબર કનૈયાલાલના ઘરને બારણે ઊભાં છે….)
ધરમચંદ : ‘શું કરવું છે ? બેલ વગાડું ?’
રીટાબહેન : ‘કેમ એમનો છોકરો આપણી છોડીને ભગાડી ગયો, એ પહેલાં એણે બેલ વગાડેલો ? અરે બારણે આ રીતે લાત મારવાની હોય, આમ જુઓ….’ (રીટાબહેન એક પ્રચંડ લાત મારે છે, પણ બારણું ખાલી આડું કરેલું હોવાથી તરત ખૂલી જાય છે…. અને રીટાબહેન ફંગોળાઈને અંદર ઊભેલા કનૈયાલાલનાં ચરણોમાં જઈ પડે છે !)
કનૈયાલાલ : ‘વંદન સ્વીકાર કરું છું, રીટાબહેન, આયુષ્યમાન ભવ ! ખરેખર તો તમારે રોજ આ રીતે તમારા પતિના ચરણસ્પર્શ લેવા જોઈએ, શાસ્ત્રોમાં કહ્યું છે કે….’
ધરમચંદ : ‘(અંદર ધસી આવતાં….) ખબરદાર કનૈયાલાલ, આ પ્રકારનો લવારો અમને પસંદ નથી….’
કનૈયાલાલ : ‘અહો !…. તો એન્જિનની પાછળ ડબ્બો અ….આઈ મીન રીટાબહેનની પાછળ તમે પણ પધાર્યા છો ! (પાછા ફરીને પોતાની પત્નીને બૂમ પાડે છે…..) કહું છું સાંભળે છે ચંદ્રિકા, ધરમચંદભાઈ આવ્યા છે…..’
ચંદ્રિકાબહેન : (રસોડામાંથી બહાર આવતાં….) ‘કેમ રીટાબહેન આમ શાહુડી જેવું મોં કરીને ઊભાં છો ? બેસો ને ! માંદાં છો કે શું ?’
વધુ આગળ વાંચો »
હિતશત્રુઓ – પન્ના અધ્વર્યુ
[ કટાક્ષિકા : મુંબઈથી પ્રકાશિત થતા લેખિકાઓ માટેના ‘લેખિની’ સામાયિકમાંથી સાભાર.]
રોજ સવારે વર્તમાનપત્રોમાં આવતા ખૂન, બળાત્કાર, આતંકવાદી હુમલાઓ અને રક્તપાતના સમાચારો વાંચી-વાંચીને હું બહુ જ વ્યથિત બની જાઉં અને પછી આખા છાપામાં કોઈ મનોરંજનના કે મન પ્રસન્ન થાય એવા સમાચાર શોધવા લાગું. જોકે એવા સમાચારો બહુ જૂજ મળે ને છાપામાં કયાંયે એક ખૂણામાં હોય. વળી ભારત ચંદ્ર ઉપરનું મિશન કાંઈ રોજ ન કરે એટલે પછી મારી સમજ પ્રમાણે મેં રાશિ-ભવિષ્ય વાંચવા માંડ્યું ને તમે માનશો ? મનોરંજન, ટાઈમપાસ વગેરેનો જાણે મને ખજાનો મળી ગયો !
મારે ઘરે એક ગુજરાતી, એક મરાઠીને એક અંગ્રેજી વર્તમાનપત્ર આવે છે. વળી મારી રાશિ ધન છે પણ નામ કન્યા રાશિથી શરૂ થાય એટલે મારે બન્ને રાશિનું ભવિષ્ય જોવું પડે અને એ પણ ત્રણ-ત્રણ વર્તમાનપત્રોમાં ! એક વાત મને સમજાતી નથી કે આ બધા વરતારાઓ કરનારા બધા ‘જ્યોતિર્ભાસ્કર’ કે ‘જ્યોતિષાચાર્યો’ હોય તો પણ એમણે ભવિષ્ય જુદુ જુદુ કેમ ભાખ્યું હોય છે ? કેટલીકવાર તો એકબીજાથી તદ્દન વિપરિત પણ હોય. જેમ કે ગુજરાતી દૈનિકમાં હોય કે પ્રવાસમાં ચીજવસ્તુ સંભાળવી, અકસ્માતનો યોગ. વાહન સંભાળીને ચલાવવું. તો મરાઠી દૈનિકમાં લખ્યું હોય કે યાત્રા-પ્રવાસ આનંદદાયક ને ફળદાયી નીવડે. પણ એક પૉલિસી તરીકે હું તો જે વરતારો ‘સારો હોય તે મારો’ માનીને ખુશ થાઉં, બીજા બધા વરતારા ભૂલી જાઉં ને વાંચ્યા પછી કલાકેક બાદ તો કોઈ જ વરતારા યાદ ન રહે. આમેય તે મારી ભાગ્યદેવી થોડી જ વરતારા વાંચી-વાંચીને કામ કરે છે ? આ તો જરા ખુશ થવાનાં બહાનાં ! પણ આ વરતારા મારી કલ્પનાશક્તિ માટે ઘણા પ્રેરણાદાયી નીવડે છે.
જ્યારે એવું લખ્યું હોય કે, ‘તમારા જમીન-મકાનના પ્રશ્નો ઉકેલાશે અને તમારી વર્ષો જૂની, ઘર બદલવાની ઈચ્છા પૂરી થાય’ ત્યારે મારા મનનો મોરલો કળા કરીને નાચી ઊઠે. મારા નાનકડા ઘરની જગ્યાએ ફટાફટ એક મોટો એક-મજલી બંગલો ઊભો થઈ જાય. એના આંગણામાં અશોક-વૃક્ષોની લીલીછમ કતાર હોય ને ઘાસની લૉનમાં હીંચકાની કમાન પર કૃષ્ણ-કમળની વેલ લહેરાતી હોય. લેન ઉપર એક ફુવારો હોય ને ફુવારાની બાજુની વંડી ઉપર ગુલાબી ને સફેદ મધુ-માલતીનાં લચ્છાદાર ફૂલો શોભતાં હોય. બંગલાની અંદર…. વહેતા પાણીમાં કાંકરો નાખતાં જેમ કુંડાળાં થતાં જાય તેમ વરતારાની એક લીટી વાંચતા જ મારા મનમાં હજાર કલ્પના-તરંગો ઊઠે અને કેટલાંય મનોચિત્રો ચીતરાતાં જાય ! ‘તમને વીલ-વારસાની સંપત્તિ મળે અને અચાનક ભાગ્યોદય થાય’ – આ વાંચીને, વર્ષો પહેલાં આફ્રિકા ગયેલા ને ત્યાંથી લંડન જઈને સ્થાયી થયેલા મારા કાકા યાદ આવે ને આખું અઠવાડિયું હું લંડનથી કોઈ વકીલની ઑફિસમાંથી ફોન આવે તેનો ઈંતેજાર કરતી રહું.
વધુ આગળ વાંચો »
હાસ્યફુવારા – સંકલિત
[રીડગુજરાતીને આ ટૂચકાઓ મોકલવા માટે શ્રી તરંગભાઈ હાથી (hathitarang@gmail.com) અને શ્રી રજનીભાઈ ગોહિલનો (rajnigohil@hotmail.com) ખૂબ ખૂબ આભાર.]
મચ્છરની મમ્મી, પોતાના નાનકડા મચ્છરને :
‘બેટા, આજે તું પહેલીવાર ફરવા ગયો. તને દુનિયામાં કેવું લાગ્યું ?’
નાનકડું મચ્છર : ‘બહુ જ સરસ, મમ્મી ! હું જ્યાં જઉં ત્યાં લોકો તાળીઓ પાડીને મારું સ્વાગત કરતા હતા !’
*******
નટુ : ‘તને ખબર છે ? મારી પત્ની દેવી છે. ‘
ગટુ : ‘દેવી તો મારેય છે, પણ લ્યે કોણ ?’
*******
ગામડામાં નવી કૉલેજ ખુલી. બાજુના ગામડેથી રણછોડલાલ રોજ ઘોડા પર બેસીને કૉલેજ આવે. એમનો બહુ વટ પડે. પણ એક દિવસ રણછોડલાલ ચાલતા ચાલતા આવ્યાં.
લોકોએ પૂછ્યું : ‘ઘોડો ક્યાં ?’
રણછોડલાલે કીધું : ‘ઈ ગ્રેજ્યુએટ થઈ ગ્યો !’
*******
એક ડૉક્ટર દર્દીને તપાસવા વોર્ડમાં ગયા. થોડીવારે બહાર આવ્યા. કાતર લઈને ફરી અંદર ગયા. વળી પાછા બહાર આવ્યાં. ડિસમિસ લઈને ફરી અંદર ગયા. એટલામાં પાછા બહાર આવ્યા અને હથોડો લઈને જલ્દીથી અંદર ગયા. આ જોઈને દર્દીના સગાએ પૂછ્યું :
‘રોગ શું થયો છે એની ખબર પડી ?’
ડૉક્ટર કહે : ‘અલ્યા ભઈ ! રોગની ક્યાં વાત કરો છો, પહેલાં મારી બેગ તો ખૂલવી જોઈએ ને !’
*******
વધુ આગળ વાંચો »
બાલને કરીએ વહાલ – રતિલાલ બોરીસાગર
[ ‘ગુજરાત’ સામાયિકમાંથી સાભાર. આપ તેમનો આ નંબર પર +91 9925111301 સંપર્ક કરી શકો છો.]
‘તમે ઈશ્વર પરમારનું નવું પુસ્તક “બાલને કરીએ વહાલ” જોયું ?’ એક મિત્રે ફોન પર કહ્યું.
‘પુસ્તક મેં જોયુ નથી, પણ બાલને તો હું બહુ નાની ઉંમરથી વહાલ કરતો આવ્યો છું પણ ઈશ્વર પરમાર તો બાળકો માટે લખે છે, એમને વાળ વિશે કેમ ચોપડી લખવી પડી ?’ સામો પ્રશ્ન કર્યો.
‘તમેય તે યાર વાતને ક્યાંથી ક્યાં લઈ ગયા ? ચોપડી બાળકોને લગતી જ છે, આ તો તમે બાળકો વિશે એક પુસ્તક લખ્યું છે એટલે મને એમ કે તમને રસ પડશે.’ મિત્રે સહેજ નારાજ થઈને કહ્યું આ પછી અમારી વાત થોડી આગળ પણ ચાલી મિત્રને પ્રસન્ન કરવા કહ્યું, ‘કહ્યું કશું ને સાંભળ્યું કશું’ ને લગતા બે-ત્રણ ટુચકા પણ કહી સંભળાવ્યા પરંતુ મિત્રની નારાજગી ખાસ ઓછી ન થઈ.
મિત્રનો ફોન આવ્યો ત્યારે હું વાળ ઓળતો હતો. મારા માથા પર ઓછા અને આછા થતા જતા વાળની ચિંતા કરતો હતો. મારા વાળના ભવ્ય ભૂતકાળને સંભારીને 7.5 રિચર્સ સ્કેલના નિસાસા નાખતો હતો. એટલે મારાથી સાંભળવામાં ગરબડ થઈ ગઈ. મિત્રને ફરી ફોન કરી આ સ્પષ્ટતા કરવાનો વિચાર આવ્યો પણ આ સ્પષ્ટતાથી મિત્ર વધુ નારાજ થઈ જશે એ બીકે એ વિચાર માંડી વાળ્યો. જો કે મિત્રને મેં જે કહ્યું તે બિલકુલ સાચું છે. હું બહુ નાની ઉંમરથી મારા બાલને વહાલ કરતો આવ્યો છું એ હકીકત છે. નાના બાળકોને સામાન્ય રીતે વાળ કપાવવાનો કંટાળો આવતો હોય છે, પણ મને નાનપણમાં બાલ કપાવવામાં બહુ મજા આવતી. મને યાદ છે કે બાપુજી કે ભાઈ મને મગનભાઈ વાળંદને ત્યાં લઈ જતા. વાળંદની ઊંચી ખુરશી મને રાજાના ભવ્ય સિંહાસન જેવી લાગતી. મગનભાઈ એ ઊંચી ખુરશી પર પાટીયું મૂકી એને વધુ ઊંચી બનાવતા અને એના પર મને બેસાડતા. વાર્તાના રાજાનું સિંહાસન એ ખુરશી કરતાં વધુ સુંદર નહિ હોય એવું એ વખતે મને લાગતું. એ વખતે અમારા ઘરમાં એક પણ ખુરશી નહોતી. એકવાર ઘરમાં ખુરશી લાવવાની વાત થઈ ત્યારે મેં મગનભાઈ વાળંદની દુકાને છે એવી ખુરશી લાવવાની દરખાસ્ત કરેલી, મારી ગંભીર દરખાસ્તનો હાસ્યથી પ્રતિભાવ મળ્યો પણ મારી દરખાસ્ત માન્ય ન રહી. વાળ કાપ્યા પછી મગનભાઈ મારા મોં પર ફુવારો છાંટતા એનાથી જે આહલાદનો અનુભવ થતો એની તો શી વાત કરું ! આવી ફુવારા-શીશી લઈ દેવાની હઠ પણ મેં લીધેલી. આ કારણે આ છોકરો મોટો થઈને હજામતની દુકાન ખોલશે કે શું એવી મારી બાને બીક પણ લાગેલી.
વધુ આગળ વાંચો »
રમૂજી પ્રસંગો – મૃગેશ શાહ
[1] મારા એક મિત્રની ગામમાં સોનીની દુકાન હતી. તાલુકાનું ગામ હતું એટલે સમય જતાં ગામનો વિકાસ સરસ થયો અને ગ્રાહકોની સંખ્યા વધી. વેકેશનમાં પરદેશથી આરામ કરવા આવેલા લોકો પણ તેની દુકાને નાની-મોટી ખરીદી કરવા આવવા લાગ્યા. એ રીતે એની દુકાનમાં ગામનાં માણસોથી લઈને એન.આર.આઈ લોકો સુધીની અવરજવર રહેવા લાગી. મિત્રને થયું કે દુકાન જરાક વ્યવસ્થિત કરાવવી જોઈએ. એણે સારો એવો ખર્ચ કરીને ફર્નિચર કરાવ્યું.
એક દિવસ હું એની દુકાને ગયો. દુકાનમાં નજર ફેરવતાં ફેરવતાં મેં ત્રણ-ચાર ઘડિયાળો સામેની દિવાલ પર લટકાવેલી જોઈ. પહેલું ઘડિયાળ ઓસ્ટ્રેલિયાનો સમય બતાવતું હતું તો વળી બીજું ઘડિયાળ અમેરિકાનો સમય બતાવતું હતું. દરેક ઘડિયાળની નીચે જે તે દેશનું નામ લખેલું હતું. મિત્રને પૂછ્યું તો એણે સમજાવ્યું કહ્યું કે એન.આર.આઈ ગ્રાહકો આવે છે, એટલે આવું બધું કરવું પડે. એટલામાં મારી હાજરીમાં એક માજી દુકાનમાં પ્રવેશ્યાં. પહેરવેશ પરથી એ ગામના હોય એમ લાગતું હતું. એમણે આવતાંની સાથે જ દુકાનમાં ઝડપથી એક નજર ફેરવી લીધી અને મારા મિત્ર સામું જોઈને કહ્યું : ‘આ તેં હારું કર્યું ભઈલા ! દાગીનાની હારે ઘડિયાળેય વેચવાના ચાલુ કર્યા ! મુઆ ! અહીં તો ક્યોંય હારા ઘડિયાળ મળતા નથ !’ મિત્ર બિચારો શું બોલે ?
[2] સાહિત્યકાર મીરાબેન ભટ્ટ અને અરુણભાઈની ઘરે વારંવાર જવાનું થાય. અલકમલકની વાતો નીકળે. અરુણભાઈ ક્યારેક એવો રમુજી પ્રસંગ કહે કે કાયમ માટે યાદ રહી જાય. હમણાં થોડા દિવસ પહેલાં એમણે મને એવો જ એક પ્રસંગ કહ્યો. અરુણભાઈ કહે : ‘એક વાર અમારે ત્યાં ચુસ્ત સત્યાગ્રહી ભાઈ આવ્યા. એ જોકે સુરતથી અમદાવાદ જતા હતા પરંતુ એક રાત વડોદરા અમારે ત્યાં રોકાવાના હતા. એથી એમનું સાંજનું જમવાનું અમારે ત્યાં નક્કી થયું. નિયમો અને વ્રતોમાં કંઈક વધારે જ દ્રઢતા. થાળીમાં અન્નનો એક દાણો પણ ન બચે તેના એ ચુસ્ત આગ્રહી. અમે એ જાણતાં હતાં, તેથી એમને જરૂર મુજબની વસ્તુ જ પીરસી હતી. દાળ-શાક અને રોટલી બધું સપ્રમાણ મૂક્યું હતું. તેઓ શાંતિથી જમ્યાં એટલે અમે રાજી થયા. ભોજન પૂરું કર્યા બાદ અમે એક કૌતુક જોયું ! એ ભાઈ થાળીમાં પાણી રેડીને એ બધું જ પાણી થાળી વડે પી ગયા ! થાળી તો સાવ ચોખ્ખી ચટ્ટ. જાણે હમણાં જ માંજી હોય એવી !
વધુ આગળ વાંચો »
રંગ છે બાપુ ! – સંકલિત
[સૌ વાચકમિત્રોને ધૂળેટીના પર્વની શુભેચ્છાઓ. – તંત્રી.]

કરસનકાકા : ‘તેં મને છેતર્યો.’
દુકાનદાર : ‘સાહેબ, સારામાં સારી ક્વોલિટીનો રેડિયો આપ્યો છે.’
કરસનકાકા : ‘લખ્યું છે તો મેઈડ ઈન જાપાન પણ ચાલુ કર્યો તો રેડિયોમાં કહે છે : ધિસ ઈસ ઓલ ઈન્ડિયા રેડિયો.’
*********
આંખના ડૉક્ટર : ‘તમને ખરેખર ચશ્માં છે.’
દર્દી : ‘તપાસ કર્યા પહેલાં તમને કઈ રીતે ખબર પડી ?’
આંખના ડૉક્ટર : ‘દરવાજો છોડી તમે બારીમાંથી આવ્યા.’
*********
કનુ અને કેતન જંગલમાં ફરતા હતા ત્યાં અચાનક વાઘ જોયો. બંને ઊભી પૂંછડિયે નાઠા. કનુએ પોતાની થેલીમાંથી દોડવા માટેના ખાસ બૂટ કાઢ્યા.
કેતન : ‘દોડી શકીશ ?’
કનુ : ‘વાઘ કરતાં નહિ તારા કરતાં ફાસ્ટ દોડી શકીશ એટલે બસ !’
*********
વધુ આગળ વાંચો »
સુવાચ્ય અક્ષરો – ડૉ. નલિની ગણાત્રા
[‘હસવું મરજિયાત છે’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે નલિનીબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9428351120. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
આ શીર્ષક તમે જો મારી હસ્તપ્રતમાં વાંચ્યું હોત તો આંખ અને પ્રતને ઊંચી-નીચી-આડી-અવળી-ઊભી-ત્રાંસી-દૂર-નજીક કરીને અવશ્ય પૂછત કે શીર્ષક શું લખ્યું છે ? અને હું મારો પિત્તો ગુમાવીને બરાડત કે, મારા અક્ષર તમે નથી ઉકેલી શકતા તો ભલા માણસ, હું કેવી રીતે ઉકેલી શકું ? સાક્ષરોનો વિવેક જાળવતાં શીખો જરા ! અને…. મારું જ લખેલું હું વાંચતી હોઈશ કદી !
મારા અક્ષરો આમ તો ઉત્તમ છે. ઊકલે નહીં એટલું જ. મને સાંભળવામાં લોકોને તકલીફ નથી. મને વાંચવામાં છે. એ જ સાબિત કરે છે કે લોકોના કાન કરતાં આંખો વધુ નબળી હોય છે. રાઝ કી બાત બતાઉં તો હું રફ વિસ્તારના રફ માણસો કરતાં ય રફ અક્ષરો એટલે કાઢું છું કે આપણો લેખ વંચાણે આપ્યા પછી પૂછવા આવે કે, ‘આ શું લખ્યું છે ?’ અને ત્યારે લેખ કેવો લાગ્યો, એ રૂબરૂ જ પૂછી લેવાય. અને તદ્દન સાચી અફવા જેવી વાત એ છે કે મ્યુનિસિપાલિટીની સ્કૂલમાંય હું ભણી છું અને એ.સી. સ્કૂલમાંય ભણી છું. બધી જ પરીક્ષામાં હું નાપાસ થયા વગર પાસ થઈ છું. અક્ષર ઊકલે તો કોઈ ભૂલ કાઢે ને !! ઈવન આજ દિન સુધી મારો એક પણ શિક્ષક મને ભૂલી શક્યો નથી, કારણ કે હું ક્ષર, પણ મારા અક્ષર તો અ-ક્ષર જ ને ! એકવાર આંખોમાં ઊગીને વસી ગયા પછી ક્રેનથી પણ ખસેડી ન શકાય.
અક્ષરદેહે
ભમતી રહીશ હું
સૌની આંખોમાં
વધુ આગળ વાંચો »
છૂટાછેડાનો શાનદાર પ્રસંગ – વલ્લભ મિસ્ત્રી
[‘હાસ્ય-ઉત્સવ’ પુસ્તકમાંથી સાભાર.]
હાસ્યરસના અમારા એક કાર્યક્રમમાં એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો :
‘છૂટાછેડાના પ્રસંગને શાનદાર બનાવવા માટે શું કરવું જોઈએ ?’ અચાનક જ ફેંકાયેલા બમ્પર પ્રશ્નને નીચા નમી પાસ-ઑન કરી દેવામાં અમારી ઈજ્જતનો સવાલ હતો, હુક કરીને બાઉન્ડ્રી બતાવવામાં જોખમ એ હતું કે હૉલમાં બાઉન્ડ્રી લાઈનમાં ખુરશીમાં બેસીને ફિલ્ડિંગ ભરી રહેલી મારી પત્ની ‘હુપ’ કરતાં કૂદીને અમને કેચ-આઉટ જ કરી નાખે !
‘ભાઈ, તમે પરણેલા છો ?’ બમ્પર પ્રશ્ન સામે મેં સ્પીન બેટિંગ કરી.
‘કાચો…કુંવારો છું.’
‘વાંધો નહીં, પરણ્યા પછી કાચા-પાક્કા થઈ જશો, પરંતુ એ સમજાતું નથી કે લગ્ન-પહેલાં જ છૂટાછેડાનો સુવિચાર કેમ આવ્યો ?’
‘શું કરું ? પાણી આવતાં પહેલાં પાળ તો બાંધવી પડે ને ?’
‘તો લગ્ન પછી ઘોડિયુંય બાંધવું પડે તેનો પણ વિચાર કર્યો જ હશે ને ! ખેર, જવા દો એ વાત. મૂળ વાત એ છે કે, અમારા લગ્નજીવનનાં ત્રીસ વર્ષમાં છૂટાછેડા તો શું, તેનું નાટક પણ ભજવ્યું નથી.’
‘તો શું થયું ? સાચા-ખોટાનું અનુમાન તો કરી શકો ને ? કદાચ એ તમને ભવિષ્યમાં મદદરૂપ થાય પણ ખરું !’
બસ, હવે અમે સ્ટેજની પીચ પર સેટ થઈ ગયા હોવાથી દે અનુમાન ધનાધન કરી દીધે રાખવાનું ચાલુ કરી દીધું. સૌપ્રથમ તો જે ગોર મહારાજે લગ્નનું શુભ મુહૂર્ત કાઢી આપ્યું હોય તેની જ પાસે છૂટાછેડાનું અશુભ મુહૂર્ત કઢાવવું ! વધુ દાન-દક્ષિણા આપી લગ્નપ્રસંગનાં જે તારીખ-સમય હતાં તે જ રખાવવાં (યાદ રાખીને જે સાલ ચાલતી હોય તે રાખવી). અને હા, કદાચ ગોર મહારાજ સ્વર્ગે સિધાવી ગયા હોય તો તેમના કાયદેસર વારસદાર ચાલશે. લગ્ન સમયે જે હૉલ, વાડી કે પાર્ટીપ્લોટમાં લગ્ન થયાં હોય તે જ રાખી લેવાથી પિત્તળમાં ગંધ ભળશે !
વધુ આગળ વાંચો »





