સાને ગુરુજી – મીરા ભટ્ટ

[ નવી પેઢીને ભારતના સ્વાતંત્ર્યસેનાનીઓની માહિતી મળે તે હેતુથી વડોદરાના ‘જનજાગૃતિ અભિયાન’ સંસ્થા દ્વારા મીરાબેન ભટ્ટની કલમે ‘યાદ કરો કુરબાની’ નામે બે પુસ્તકો તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાંના ભાગ-1માંથી આજે શ્રી સાને ગુરુજીનું જીવનદર્શન અહીં કરીએ. અન્ય તમામ ચરિત્રોની યાદી આ લેખના અંતે આપવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે શ્રીમતી મીરાબેન ભટ્ટનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 265 2432497 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિ માટે લેખના અંતે આપેલ સરનામે આપ સંપર્ક કરી શકો છો.]

‘બાબા, મને ‘શામુની મા’ જેવી મા ક્યારે મળે ?’ – તેવીસ વર્ષનો એક તરુણ વિનોબાજીને પૂછે છે. એના જવાબમાં વિનોબાજી કહે છે કે – તું જ્યારે શામુ જેવો બનીશ ત્યારે તને શામુની મા જેવી મા મળશે. કોણ છે આ શામુ, ને કેવી છે એની મા ? – આ બંને જીવતાં પાત્રો નથી, પરંતુ એક પુસ્તકનાં બે પાત્રો છે. પરંતુ મહારાષ્ટ્રના અનેક યુવાનોનાં દિલોમાં શામુની માએ અદ્દભુત સ્થાન મેળવી લીધું છે. આમ, પુસ્તકનાં પાત્રોને જીવંત બનાવી ઘેર ઘેર પહોંચાડનાર લેખકનું નામ છે, સાને ગુરુજી. એમનું હુલામણું નામ ‘શ્યામ’.

આ ‘સાને’ તો એમની અટક. ‘ગુરુજી’ એમનું ઉપનામ. પરંતુ એમનું આખું નામ છે, પાંડુરંગ સદાશિવ સાને. મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારના એક ગામડામાં સાધારણ સ્થિતિના કુટુંબમાં એમનો જન્મ 1899ની 24મી ડિસેમ્બરે થયો. ધર્મપરાયણ તથા કોમળ સ્વભાવની મા પાસે પાંડુરંગનું નાનપણથી જ ભક્તિભાવવાળું ઘડતર થયું. નાનપણમાં મા કાનમાં અને કાંડામાં ઘરેણાં પહેરાવતી. એક વાર નિશાળમાં મોટા શિક્ષક પરીક્ષા લેવા આવ્યા. પાંડુરંગના દાગીના જોઈ પૂછ્યું, ‘દાગીના કોણ પહેરે ?’
‘બહેનો.’
‘લોકો તને દાગીનાથી ઓળખે તે ગમે, કે સદવર્તનથી ?’
‘સદવર્તનથી’ પાંડુરંગે જવાબ આપ્યો. બસ, તે દિવસથી દાગીના છૂટી ગયા અને સદગુણો કેળવવાનું કામ શરૂ થયું. પછી તો મેટ્રિક-ગ્રેજ્યુએટ થઈ શાળાના શિક્ષક બન્યા. પોતાને નાનપણથી જ સાહિત્યનો શોખ. એટલે વિદ્યાર્થીઓ માટે ‘છાત્રાલય’ નામનું હસ્તલિખિત દૈનિક શરૂ કર્યું. એક વાર મુંબઈ જવાનું થયું તો ચોપાટી પર ગાંધીજીનું ભાષણ સાંભળ્યું. ગાંધીજીના શબ્દો એમના અંતરમાં આરપાર ઊતરી ગયા. ગાંધીજીમાં એમને ભારતનાં તપ અને વૈરાગ્ય દેખાયાં ! જાણે હરતીફરતી, જીવતી-જાગતી ગીતા ! સત્ય અને પ્રેમનો સાક્ષાત અવતાર ! એમની દેશદાઝ તો જાણે ભડભડતી આગ !
વધુ આગળ વાંચો »

ડો. જે.સી. કુમારપ્પા – મીરા ભટ્ટ

[ આજના પ્રજાસત્તાક દિને ગાંધીયુગના અમર સ્વાતંત્ર્યસેનાઓ પૈકીના એક ડૉ. જે.સી.કુમારપ્પાનું સ્મરણ કરીને સૌ સ્વાતંત્ર્યસેનાનીઓને વંદન કરીએ. જાણીતા સાહિત્યકાર મીરાબેન ભટ્ટ (વડોદરા)ની કલમે લખાયેલા 84 જેટલા મહાન વ્યક્તિત્વોનો ‘ગાંધી યુગની આકાશગંગા’ પુસ્તકમાં સમાવેશ કરાયો છે, જે પૈકી ડૉ. જે.સી. કુમારપ્પા એક છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ મીરાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 265 2432497 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 085કહેવાય છે કે મોર પીંછે રળિયામણો. ગાંધીજી પણ એમના એકેકથી ચડિયાતા સાથીઓથી સભરભર્યા હતા. ‘વિષ્ણુસહસ્ત્રનામ’નો પાઠ થાય તેટલા ઉચ્ચ કોટિના સાથી-અનુયાયી એમને સાંપડ્યા. આવા સાથીઓમાં જે.સી. કુમારપ્પાનું સ્થાન અનોખું છે. અત્યંત બાહોશ, વિદેશમાં ભણેલા અને ત્યાંની જ રહેણીકરણીમાં ઉછરેલા ખ્રિસ્તી પરિવારના ડૉ. જોસેફ કોર્નેસિય કુમારપ્પા જે રીતે ગાંધીની ફકીરી અપનાવી લે છે, એ ઘટના સાચે જ મુગ્ધ કરી દેનારી છે. 1891માં ચોથી જાન્યુઆરીએ તેમનો જન્મ થયો.

તામિલનાડુનું મદુરા એમનું વતન. માતા તરફથી ધાર્મિકતાના સંસ્કાર સાંપડ્યા, અને પિતા તરફથી શિસ્તપ્રિયતાના. પ્રારંભિક શિક્ષણ ભારતમાં મેળવી ઑડિટ અને એકાઉન્ટસનું સંશોધનાત્મક શિક્ષણ મેળવવા લંડન ગયા. ત્યાંથી ચાર્ડર્ડ એકાઉન્ટની ઉજ્જવળ ફત્તેહ મેળવી મુંબઈની એક કંપનીમાં જોડાયા. 1927માં અમેરિકા ફરવા જવાનું થયું તો ‘બિઝનેસ એડમિનિસ્ટ્રેશન’ની સ્નાતક ઉપાધિ અને કોલંબિયા યુનિવર્સિટીની એમ.એ.ની ઉપાધિ લેતા આવ્યા. અનુસ્નાતક પ્રબંધનો વિષય હતો – ભારતની ગરીબીનાં કારણો.
વધુ આગળ વાંચો »

કલાપી – યજ્ઞેશ દોશી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે યજ્ઞેશભાઈનો (દાહોદ) ખૂબ ખૂબ આભાર. ]

હર્ષ શું જિન્દગીમાં ને હર્ષ શું હોત મૃત્યુમાં;
પ્રેમના રંગથી જો ના રંગાયું વિશ્વ હોત આ !
(‘હૃદય ત્રિપુટી’)

આપણા ભારતવર્ષ કે દુનિયાના બીજા દેશોમાં અનેકાનેક એવા નામો છે કે જેમના જીવનનો અંત અણધાર્યો આવી ગયો હોય. ખુદીરામ બોઝ (19 વર્ષ), ભગતસિંહ (24 વર્ષ), ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ (22 વર્ષ), સંત જ્ઞાનેશ્વર (22 વર્ષ). આ કડીમાં આગળ આવીને ‘જીવીશ બની શકે તો એકલા પુસ્તકોથી’ એમ કહેનાર કલાપી (26 વર્ષ) થઈ ગયા. પેલો શે’ર યાદ આવી જાય છે :

હું એ નામાબર બૈલશાં કૈસે કૈસે
ઝમી ખા ગઈ આસમા કૈસે કૈસે

ગંગાસતીની પ્રખ્યાત પંક્તિ છે : ‘વીજળીને ચમકારે મોતી પરોવવું….’ કલાપી પણ વીજળીના ચમકારા જેવું ક્ષણિક અને દુર્લભ જીવન જીવી ગયા. સુરસિંહ નાની ઉંમરમાં કેટલો બધો વારસો છોડી ગયા ! કવિ જીવન તો ફક્ત 16 વર્ષથી 26 વર્ષ સુધીનું હતું. આ સર્જનકાળમાં સાહિત્યને અમુલ્ય ભેટો જેવી ગઝલો લખી અને પત્રો આપ્યા. ‘કાશ્મિરનો પ્રવાસ’એ અઢાર વર્ષની ઉંમરે પહોંચેલા કુમાર સુરસિંહનું પુસ્તક આપણા પ્રવાસ સાહિત્યનંક અણમોલ રત્ન છે. ‘કલાપીનો કેકારવ’ માં ઈ.સ. 1892 થી 1900 સુધીમાં 275 જેટલી ‘કાવ્ય રચનાઓ’ પ્રગટ થઈ છે. કલાપીએ પોતાના પ્રણયજીવનની કથા ‘હૃદય ત્રિપુટી’માં નિરૂપી છે. કલાપીના કાવ્યોનો રશિયન ભાષામાં અનુવાદ થયેલ છે. આ કોઈ નાનીસૂની વાત નથી… ને અચાનક 26માં વર્ષે કહી દીધું :

હું જાઉં છું ! હું જાઉં છું ! ત્યાં આવશો કોઈ નહીં !
સો સો દિવાલો બાંધતા ત્યાં ફાવશો કોઈ નહીં !

મ્હારો હિસાબ વિધિ પાસ કશો ન લાંબો,
જીવ્યો, મરીશ, જ્યમ તારક ત્યાં ખરે છે.

વધુ આગળ વાંચો »

સ્મરણયાત્રા – કાકા કાલેલકર

[કાકાસાહેબ કાલેલકરના નાનપણનાં કેટલાંક સંસ્મરણો પર આધારિત પુસ્તક ‘સ્મરણયાત્રા’ માંથી સાભાર.]

[1] પૈસા ખોયા

ખરાબ છોકરાઓ પાસેથી અમે ગંદી ભાષા શીખી લઈશું એ બીકથી જેમ અમને કોઈ કાળે ઘરમાંથી રસ્તા પર જવા દેતાં નહીં તેમ કોઈ પણ વખતે કોઈ પણ કારણે અમારા હાથને પૈસાનો સ્પર્શ થવા દેતા નહીં. સારા ઘરના છોકરાઓને જેમ હાડકાને કે બીડીને અડવા ન દે તેટલી જ ચોકસાઈથી અમને પૈસાની આભડછેટ રાખેલી. પૈસા કે રૂપિયાને આપણાથી અડાય નહીં એ વાત અમારી રગેરગમાં ઊતરી ગઈ હતી. છતાં એ જ કારણે ઘણી વાર ગોળ ગોળ સિક્કા હાથમાં લઈને રમવાનું મન થઈ આવતું ખરું.

એક વાર શાહપુરમાં નારાયણમામા સાથે ગાડીમાં બેસી દાકતરને ત્યાં ગયો હતો. પાછા આવતાં મેં મામાને કહ્યું : ‘નારાયણમામા, નારાયણમામા, તમારી પાસે પૈસા છે તે મને જરા હાથમાં લઈને જોવા દો ને.’ માગવાની હિંમત તો મેં કરી. પણ મનમાં લગભગ ખાતરી જ હતી કે, નાના છોકરાઓથી પૈસાને અડાય જ નહીં એ ચિરપરિચિત સ્મૃતિવાક્ય નારાયણમામા મારા માથામાં મારશે. પણ એવું કશું ન બન્યું. ઊલટું, તેમણે ત્રણેક આનાના પૈસા મારા હાથમાં આપી દીધા. મારા આનંદનો તો પાર ન રહ્યો. મૂઠી ભરાય એટલા પૈસા હાથમાં આવ્યા એ કંઈ નાનીસૂની વાત હતી ? એક એક પૈસો હાથમાં લઈને મેં ગોળ ગોળ ફેરવ્યો. બધા પૈસા ફરી ફરી ગણી જોયા. (તે વખતે મને સો સુધી ગણતાં આવડતું હતું.) પછી પૈસા જોવાનો રસ ઊતરી ગયો. છતાં પૈસા મૂઠીમાં જ રાખી, ગાડી પાછળ પગથિયાં પર કોઈ ભિખારી છોકરો બેસે નહીં એટલા માટે, પાછો વળીને હાથ ગાડીમાંથી બહાર લટકાવીને હું જોવા લાગ્યો.
વધુ આગળ વાંચો »

કવિતાનો સૂર્ય (રવીન્દ્રચરિત) – મહેશ દવે

[ કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરના સમગ્ર જીવનપ્રવાહને આવરી લેતું જીવનચરિત્રાત્મક પુસ્તક ‘કવિતાનો સૂર્યમાંથી’ એક પ્રકરણનો કેટલોક અંશ સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે આદરણીય શ્રી મહેશભાઈ દવેનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9427606956. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 044રવીન્દ્રનાથ હવે બાવીસ વર્ષના થવા આવ્યા હતા. ટાગોરકુટુંબની પરંપરા મુજબ તો તેમનાં લગ્ન ક્યારનાં થઈ ગયાં હોત, પણ વિવિધ કારણોને લઈને એમનું લગ્ન લંબાયું હતું. પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ મોટે ભાગે હિમાલયમાં ધર્મ-ધ્યાનમાં મગ્ન રહેતા. સૌથી મોટાભાઈ દ્વિજેન્દ્રનાથ ધૂની હતા, સંસાર-વ્યવહારની બાબતમાં એમને જરાય રસ નહીં. સત્યેન્દ્રનાથ સરકારી નોકરીમાં ગામ-પરગામ ફરતા રહેતા અને જ્યોતિરીન્દ્રનાથ અનેક કામોમાં વ્યસ્ત. વચ્ચે દોઢ-બે વર્ષનો રવીન્દ્રનાથનો સમય અભ્યાસ માટે પરદેશ-ગમનમાં ગયો, પણ હવે કુટુંબમાં એમના લગ્ન માટેનો આગ્રહ વધી પડ્યો હતો.

આમ તો રવીન્દ્રનાથ રોમેન્ટિક યુવાન હતા. પ્રેરણા આપી શકે તેવો નાજુક, મુલાયમ અને રસિક સંબંધ એમને ગમે, પણ કુટુંબનાં રીત-રિવાજોથી તે અજાણ નહોતા. સંકુચિત-મર્યાદિત બ્રાહ્મણ-ગોળમાં જ પરણવાનું, અત્યંત નાની વયની અબુધ કન્યાને વરવાનું. ભણેલી કે સાહિત્ય-સંગીત-રસિક પત્ની મળે એવો અવકાશ સાવ નહીંવત હતો, એટલે જ કદાચ રવીન્દ્રનાથ લગ્ન માટે ઉત્સુક નહોતા. અવનીન્દ્રનાથે ‘ઘરોયા’માં લખ્યું છે : ‘રબીકાકા પરણતા નહોતા. બધાં જ કહેતાં કે લગ્ન કર… હવે લગ્ન કરી નાખ…., પણ રબીકાકા માનતા નહોતા. નીચું જોઈ મૂંગા-મૂંગા બેસી રહેતા.’

રવીન્દ્રનાથ ઈંગ્લૅન્ડ હતા ત્યારે મુંબઈના આત્મારામ તરખુડ કલકત્તા આવ્યા હતા. સાથે તેમની પુત્રી ઍના હતી. આત્મારામ ખાસ્સા સુધારાવાદી હતા. તેમણે ઍનાને ભણાવી હતી, એટલું જ નહીં, પરદેશમાં પલોટી હતી. તેમને નાત-જાતના ભેદ નડતા નહોતા. ઍના શિક્ષિત સંસ્કારી યુવતી હતી. સાહિત્ય અને સંગીતમાં તેને સાચુકલો રસ હતો. પશ્ચિમના દેશોની રીતભાત શીખવાનો અવસર આ આધુનિક સુંદર યુવતીને મળ્યો હતો. રવીન્દ્રનાથ તરફની ઍનાની લાગણી સ્પષ્ટ હતી. રવીન્દ્રનાથે આપેલું સાહિત્યિક નામાભિધાન ‘નલિની’ એણે કેટલાંય વર્ષો સુધી જાળવેલું. તેના એક ભત્રીજાનું નામ તેણે ‘રવીન્દ્ર’ પાડેલું. આત્મારામ કલકત્તા આવ્યા ત્યારે તેમણે દેવેન્દ્રનાથની મુલાકાત લીધી હતી. આત્મારામે ઍના માટે રવીન્દ્રનાથની વાત છેડી હોવાની અટકળ છે, પણ દેવેન્દ્રનાથ ધર્મની બાબતમાં ભલે ગમે તેટલા સુધારક હોય, સામાજિક વ્યવહાર અને રીતરિવાજ બાબતમાં રૂઢિચુસ્ત હતા. પરપ્રાંતની કન્યા પુત્રવધૂ તરીકે સ્વીકારવાનું દેવેન્દ્રનાથના લોહીમાં નહોતું. ઍના જેવી પત્નીએ રવીન્દ્રનાથના જીવનને કેવો વળાંક આપ્યો હોત તેવી કલ્પના કરવી નિરર્થક છે. દરેક નવો ઉકેલ તેની પોતાની નવી સમસ્યા પણ લાવી શકે છે. જે હોય તે, પણ હવે રવીન્દ્રનાથને પોતાના કુટુંબના રિવાજ મુજબ ઝટ પરણાવી દેવાની દેવેન્દ્રનાથને ઉતાવળ હતી.
વધુ આગળ વાંચો »

બરફમાં જ્વાળામુખી – મહેશ દવે

[ લોખંડી પુરુષ સરદાર પટેલની જીવનકથાના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘બરફમાં જ્વાળામુખી’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે આદરણીય શ્રી મહેશભાઈ દવેનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9427606956. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 038[1] નેતાનાં લક્ષણ નિશાળમાંથી

લાક્ષણિક ભારતવાસી તરીકે મોટા થવું હોય તો ગામડામાં ઊછરવું જોઈએ. ભારત ગામડામાં પથરાયેલો દેશ છે. ભારત ગામડામાં વસે છે, શ્વસે છે. આજે પણ કરમસદ જાઓ તો ગામડાની ફોરમથી આંખ-નાક ભરાઈ જાય, હૈયું ઊભરાઈ જાય, તળપદો પ્રેમ સમજાઈ જાય. અને આજથી દોઢસો વર્ષ પહેલાં તો કરમસદ સાવ ગોકુળિયું. ન શહેરની મર્યાદા છે સંકોચ, ન શહેરનો વટ કે શેખીખોર વિવેક. ખુલ્લાં ઘર, ફળિયાં ને ખેતરની વિશાળ મોકળાશ. કોઈ બહુ અમીર નહીં, કોઈ સાવ કંગાળ નહીં; ન કોઈ મોટું, ન કોઈ છેટું. બધાં સરખે-સરખાં. છોકરાં સરખે-સરખાં થઈને રમે, ભમે, ઝઘડે; આંબા-આંબલી ચડે, પડે; એકબીજાને તળાવમાં ધકેલે, એકબીજાને કામમાં હાથ દે; છોકરવાદી પરાક્રમો કરે, એકબીજાની ઠેકડી ઉડાડે, ખડખડાટ ખુલ્લું હસે અને હસાવે. મૂંજીપણાને ગામવટો. છલક છલકાતું ઉલ્લાસ અને ઉત્સાહનું તંદુરસ્ત અને મનદુરસ્ત વાતાવરણ.

આવા ગ્રામ-પરિવેશમાં વલ્લભભાઈ ઘડાયા. સાત ચોપડી ગુજરાતી કરમસદની સરકારી શાળામાં ભણ્યા. પછી આગળ ભણવાનાં બારણાં કરમસદમાં બંધ. મોટાભાઈ (વિઠ્ઠલભાઈ) તો નડિયાદ મોસાળ રહીને આગળનું અંગ્રેજી ભણતા હતા. પણ મામા પર કેટલાનો ભાર નખાય ? સારે નસીબે અંગ્રેજી ત્રીજી સુધીની નિશાળ કરમસદમાં ખૂલી એક વરસ ત્યાં ભણ્યા અને પછી ઊપડ્યા પેટલાદ. પેટલાદ પાસે હતું. ત્યાં પાંચમી અંગ્રેજી સુધીનું ભણતર હતું. પેટલાદ એટલે ઘરની છત્રછાયા છોડી પરગામમાં વાસ. બહાર નીકળ્યા એટલે માથે જવાબદારી. એ વખતે ભણવામાં તો ઝાઝું દૈવત ન દેખાડ્યું. પણ તેર-ચૌદ વરસની ઉંમરે જ માંહી પડેલી સૂઝ, શક્તિ ને નેતાગીરીના ગુણ ઝળક્યા. છએક વિદ્યાર્થી ભેગા કર્યા. બધાએ સાથે મળી ઘર ભાડે રાખ્યું. દરેક વિદ્યાર્થી રવિવારે ઘરે જાય, ત્યારે અઠવાડિયા પૂરતું તેનું સીધું, દાણોદુણી લેતો આવે. વારાફરતી એક-એક જણ અઠવાડિયું રસોઈ બનાવે. ને એમ ચાલ્યું. ગળથૂથીમાં નેતાગીરી લઈ આવેલા વલ્લભે સમૂહ-જીવનના પાઠ શીખ્યા અને શિખવાડ્યા, સંગઠન-વ્યવસ્થાનાં લક્ષણ બતાવ્યાં.
વધુ આગળ વાંચો »

મોટા જ્યારે હતા નાના – યશવંત મહેતા

[ બાળકો-કિશોરોને સદવાંચનમાં ઉપયોગી એવા સંક્ષિપ્ત જીવનચરિત્રોના પુસ્તક ‘મોટા જ્યારે હતા નાના’ (આવૃત્તિ : 1998) માંથી સાભાર.]

[1] રવીન્દ્રનાથ ઠાકુર

બંગાળનો એક નાનકડો છોકરો. એનું નામ રવીન્દ્ર.
સાત ભાઈઓમાં એ સૌથી નાનો. છ મોટા ભાઈઓ. આ છોકરાનો જન્મ ઈ.સ. 1861ની છઠ્ઠી મેના દિવસે થયો. નાનપણથી મોટા ભાઈઓને નિશાળે જતાં જુએ. ભાઈઓ સરસ નવાં કપડાં અને ચોપડીઓ લઈને ભણવા જાય. નાનેરા ભાઈને પણ એમની સાથે જવાનું મન થાય. ભણતરમાં તો કેવીય મજા હશે, એની કલ્પના એ કર્યા કરે. આથી એણે તો બાપા પાસે હઠ પકડી : મને જલદી નિશાળે મોકલો. બાપા કહે કે ભાઈ ! તું હજી નાનો છે. તને નિશાળે જવાને વાર છે. પણ રવીન્દ્ર એકનો બે ન થયો, એટલે બાપાએ નમતું જોખ્યું, રવીન્દ્રને નિશાળે બેસાડ્યો.

પણ નિશાળે ગયા પછી થોડા જ દિવસોમાં તો રવીન્દ્ર ત્રાસી ગયો. નિશાળ એને જેલ જેવી લાગવા માંડી. ત્યાં તો વખતસર જવું પડે. શિસ્તથી બેસવું પડે. બોલવાનીય છૂટ નહિ. અને જરાક ભૂલ થઈ જાય તો સજા પણ આકરી થાય. કોઈ વાર તો માસ્તર અંગૂઠા પકડાવે, કોઈ વાર હથેળીમાં આંકણી મારે, કોઈ વાર પાટલી ઉપર ઊભા કરીને બે હાથ લાંબા કરાવે. પછી એ હાથ ઉપર બીજા છોકરાઓની ઢગલોએક સ્લેટોની થપ્પી કરાવે ! રવીન્દ્રને થોડા વખતમાં તો નિશાળનો ને ભણતરનો મોહ ઊતરી ગયો. એણે નિશાળે જવાના અખાડા કરવા માંડ્યા.

એક વાર તો એણે વિચાર્યું કે શરદી લાગે અને તાવ આવે તો હું નિશાળે જવામાંથી બચી જાઉં. આથી પોતે નજીકની નદીએ ગયા. કેટલીય વાર સુધી જૂતાં અને મોજાં સહિત જ પગ નદીમાં બોળી રાખ્યા. પછી એવાં જ લદબદ જૂતાં પહેરીને આખો દિવસ ફર્યા. પણ દુર્ભાગ્યે તાવ એમને આવ્યો જ નહિ ! નિશાળે જવું જ પડ્યું. રવીન્દ્રના પિતાનું નામ દેવેન્દ્રનાથ. એ બંગાળના મોટા જમીનદાર હતા. ખૂબ ધનવાન હતા. ઠાકોર એટલે કે ‘પ્રિન્સ’ કહેવાતા. પોતે ધનવાન હતા એટલે છોકરાઓને ભણાવવા પાછળ ખર્ચ પણ ખૂબ કરતા. ઘેર પણ શિક્ષકોની ફોજ ટ્યુશન આપવા આવતી. બિચારા રવીન્દ્રને લાગતું કે ભોગ લાગ્યા મારા કે મેં ભણતરની હા પાડી ! એનું મન ભણતરમાં બહુ લાગતું નહિ. એ તો વર્ગમાં બેઠો બેઠો પણ આકાશના ને પંખીઓના ને ઊડવાના વિચારો કર્યા કરતો. કલ્પનાશીલ એવો કે સાવ ગાંડો જ લાગે ! એક વાર તો પોતાના ઓરડામાં એક ખૂણે થોડી માટી નાખીને એમાં સીતાફળનું બી વાવ્યું. એને રોજ પાણી પાય. રોજ એની પાસે બેસી રહે; અને વિચાર્યા કરે કે હવે થોડા જ વખતમાં આમાંથી ઝાડ ઊગશે, સીતાફળ બેસશે, અને બંદા બેઠા બેઠા સીતાફળ ખાશે ! એક વખત શિક્ષકે કહ્યું કે આકાશ એટલું ઊંચું છે કે ગમે તેટલી નિસરણીઓ મૂકવા છતાં એને આંબી ન શકાય. રવીન્દ્રે ટપ કરતી કલ્પના કરી, ‘અરે હોય સાહેબ ! એ તો તમારી પાસે પૂરતી નિસરણીઓ નહિ હોય. બાકી આકાશને અડવું એમાં તે શી મોટી વાત છે ?’
વધુ આગળ વાંચો »

‘માનસ’ થી લોકમાનસ – રઘુવીર ચૌધરી

[પૂ. મોરારિબાપુના જીવનપ્રસંગો, સાહિત્યકારોના પ્રતિભાવો, કથા-આસ્વાદ અને મુલાકાતોનો સમન્વય કરતા સુંદર પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે આદરણીય સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરી તેમજ શ્રી સંજયભાઈ ચૌધરીનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] બેટા, આપણે સાધુ છીએ

Picture 085સાતમા ધોરણમાં આવ્યા છે મોરારિ.
પ્રભુદાસબાપુ અને સાવિત્રીમા વાત કરે છે : ‘દીકરાએ તલગાજરડાથી મહુવા આવજા ચાલુ રાખીને અભ્યાસ કરવો કે મહુવામાં રહીને ? જો મહુવાના કોઈ છાત્રાલયમાં રહીને શાળાએ જવાનું થાય તો રોજના દોઢ-બે કલાક બચે.
શું કરવું ?’
સાવિત્રીબાને તો એમ કે દીકરો નજર સામે રહે તો સારું. મંદિર, મહેમાન કે ઘરના કામમાં મોરારિનો ટેકો મળી રહે છે. પણ પ્રભુદાસબાપુ બહારની દુનિયા જોઈ બદલાતા સંજોગમાં શિક્ષણનું મહત્વ સ્વીકારતા થયા હતા. સમગ્ર હરિયાણી પરિવારે જોયું હતું કે જ્ઞાન-ભક્તિ દ્વારા આત્માની કેળવણી સાથે માહિતી અને વિદ્વાન દ્વારા વધતી આધુનિક ઢબની યોગ્યતા પણ કેળવવી સારી. પ્રભુદાસબાપુને નવલકથાઓ વાંચવાનો શોખ હતો, એમાં થયેલા નવી દુનિયાના વર્ણન વિશે એ વાત કરતા.

મોરારિને મહુવામાં મૂકીએ તો ખરાં પણ એ રહેશે ક્યાં ? આ પ્રશ્નનો ઉત્તર પ્રભુદાસ બાપુને પહેલાં જડ્યો. એમને મહુવાની વાડીઓ અને છાત્રાલયોની જાણકારી હતી. યાદ આવ્યું : આહીર સમાજનું એક છાત્રાલય છે. એના સંચાલક બહુ ભાવ રાખે છે. એ રાજી થશે. આપણા સાધુ સમાજનું છાત્રાલય તો ક્યાંથી હોય ? – માના આ શબ્દો મોરારિના કાને પડે છે. છાત્રાલયમાં જગા ન મળે તેથી કોઈનો અભ્યાસ અટકી જાય એવું બનતું હશે ખરું ? પ્રભુદાસબાપુને (પિતાજી) ખાતરી હતી કે આહીર જ્ઞાતિના છાત્રાલયમાં જરૂર પ્રવેશ મળશે. અને આવકાર સાથે પ્રવેશ મળી ગયો.
વધુ આગળ વાંચો »

Page 1 of 212