ભારતમાં ટેલિવિઝનની સુવર્ણ જયંતી – અભિજિત વ્યાસ
['નવનીત સમર્પણ' માર્ચ-2010 માંથી સાભાર.]
ટેલિવિઝન પણ આજના સમયમાં એક અનિવાર્ય માધ્યમ તરીકે ઊભરી આવ્યું છે. આપણે ત્યાં ટેલિવિઝનની શરૂઆત થઈ તે ઘટનાને આ વર્ષે પચાસ વર્ષ પૂર્ણ થાય છે, અને ભારતીય દૂરદર્શન તેની સ્થાપનાની સુવર્ણજયંતી ઊજવી રહ્યું છે ત્યારે અહીં આપણા દેશમાં ટેલિવિઝનના વિકાસના ઈતિહાસને જાણવો જરૂરી બને છે.
આપણે ત્યાં ટેલિવિઝન એક પ્રાયોગિક ધોરણે 15મી સપ્ટેમબર 1959ના રોજ દિલ્હીમાં શરૂ થયેલું. ત્યારે તેની રેન્જ માત્ર ચાલીસ કિલોમીટરની હતી. યુનેસ્કોના સહયોગથી શરૂ થયેલી આ પ્રસારણસેવા ત્યારે અઠવાડિયામાં ફક્ત બે દિવસ માટેની હતી. એ સમયે ફકત વીસ મિનિટનું પ્રસારણ થતું હતું. ટેલિવિઝન રાષ્ટ્રના ઘડતરમાં શું ભાગ ભજવી શકે તે જોવાના ઉદ્દેશથી આ પ્રસારણ શરૂ થયેલું. માત્ર શૈક્ષણિક કાર્યક્રમોનું જ તે સમયે પ્રસારણ થતું હતું. આવું બે વર્ષ ચાલ્યું જેનું પરિણામ પ્રોત્સાહક જોવા મળ્યું એટલે પ્રસારણની અવધિ વીસ મિનિટથી વધારીને 60 મિનિટની કરવામાં આવી. પણ તે છતાં તેનું પ્રસારણ તો અઠવાડિયામાં બે જ દિવસ થતું હતું. ખૂબ સારા પરિણામ છતાં આ પ્રકારનું પ્રસારણ રોજ કરવું જોઈએ તેવો નિર્ણય લેતાં સરકારને છ વર્ષ લાગ્યાં. અને 1965માં જ્યારે દરરોજ પ્રસારણ કરવું તેવું નક્કી કર્યું ત્યારે પણ તેની કોઈ નીતિ કે એજંડા સરકારે નક્કી કર્યો નહોતો. પરિણામે ત્યારે દેશમાં ટેલિવિઝન સેટનું નિર્માણ પણ થતું નહોતું. આ પ્રકારે કોઈ પણ જાતની દિશા વગર બીજાં સાત વર્ષ નીકળી ગયાં.
વધુ આગળ વાંચો »
એક નહીં, અનેક બારી જોઈએ – વિનોબા ભાવે
[ આજથી શરૂ થતી ધોરણ-10 (SSC) અને ધોરણ-12(HSC)ની પરીક્ષાના સૌ વિદ્યાર્થીમિત્રોને શુભકામનાઓ. પ્રસ્તુત છે ભાષા-શિક્ષણના માધ્યમ પર વિનોબાજીના વિચારો રજૂ કરતા પુસ્તક ‘શિક્ષણમાં અંગ્રેજીનું સ્થાન’માંથી એક લેખ સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]
ઘણા લોકોને એમ લાગે છે કે અંગ્રેજી વગર શિક્ષણ અધૂરું રહી જશે, કારણ કે દુનિયાને માટે તે એક ‘વિન્ડો’ – બારી છે. આ વાતમાં કાંઈક તથ્ય છે, તેની ના નહીં. પરંતુ મારું કહેવું એમ છે કે તે ‘એક’ બારી છે. બુદ્ધિશાળી લોકો પોતાના ઘરમાં માત્ર એક બારી નથી રાખતા, ચારે દિશામાં અલગ અલગ બારી રાખે છે. ત્યારે ચારેય બાજુનું દર્શન થાય છે. એક જ બારી હંમેશા એક જ બાજુનું દર્શન કરાવશે. અને તે એકાંગી દર્શન હશે. એવી રીતે તમે જો માત્ર અંગ્રેજીની એક જ બારી રાખશો, તો સર્વાંગી દર્શન નહીં થાય, એક જ અંગનું દર્શન થશે. માત્ર અંગ્રેજી ભાષા દ્વારા જ આપણે દુનિયાને જોઈશું, તો આપણને તદ્દન એકાંગી દર્શન થશે. તે સમ્યક ને સાચું દર્શન નહીં હોય, ખોટું ને અધૂરું દર્શન હશે. આપણે અંગ્રેજી ભાષાને આધીન થઈ જઈશું અને સ્વતંત્ર બુદ્ધિથી વિચારવાનો આપણને મોકો નહીં મળે.
તેથી હું તો એમ કહીશ કે આપણે ઓછામાં ઓછી આઠ બારી રાખવી પડશે. માત્ર અંગ્રેજી જ નહીં, દુનિયાની ઓછામાં ઓછી આઠ ભાષા આપણે શીખવી પડશે. અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ અને રશિયન એ પાંચ યુરોપની, ચીની અને જાપાની એ બે દૂર પૂર્વની, અને એક અરબી ઈરાનથી સીરિયા સુધીના વિસ્તાર માટે. ત્યારે દુનિયાનું સમ્યક દર્શન થશે. એ વાત સાચી છે કે આપણે ત્યાં અંગ્રેજીના શિક્ષણની સગવડ ઘણી સારી છે, એટલે અંગ્રેજી શીખનારા વધારે નીકળશે, બીજી ભાષાના ઓછા નીકળશે. પરંતુ આ આઠ ભાષાના ઉત્તમ જાણકાર આપણે ત્યાં હોવા જોઈએ. તો જ ઠીક ચાલશે. નહીં તો જાણ્યે-અજાણ્યે આપણે ઈંગ્લેન્ડ-અમેરિકા તરફ ઢળી જઈશું. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, તોયે આપણું ચિંતન એકાંગી બનશે.
વધુ આગળ વાંચો »
રહસ્યમય વૃક્ષો – દીપક જગતાપ
[‘વિજ્ઞાનદર્શન’ સામાયિક ડિસેમ્બર-09માંથી સાભાર.]
સર્જનહારે અદ્દભુત વનરાજી સૃષ્ટિનું સર્જન કર્યું છે. ઘણી વખત આશ્ચર્ય પણ થાય કે વૃક્ષોમાં કુદરતે આટલી બધી વિવિધતા ક્યાંથી ભરી હશે ! રોજ સવારથી માંડીને સાંજ સુધીમાં, વાડામાં, બગીચામાં રસ્તાની આજુબાજુ કે જંગલોમાં દેખાતાં વૃક્ષો વિશે આપણે ઘણું બધું જાણતા થયા છીએ, પરંતુ ઈશ્વર ક્યારેક સર્જન કરવા બેસે ત્યારે માણસની જેમ જ ચિત્ર-વિચિત્ર સર્જન પણ કરી બેસતો હોય છે ! વિશ્વમાં એવાં અસંખ્ય વૃક્ષો છે જેના વિશે જાણીએ તો આપણી આંખો આશ્ચર્યથી વિસ્ફરિત થઈ જાય. પ્રસ્તુત લેખમાં આવા જ કેટલાંક ચિત્ર-વિચિત્ર વૃક્ષો વિશે માહિતી આપવાનો પ્રયાસ થયો છે.
મિત્રો, સાગનું ઝાડ તો તમે જોયું જ હશે. સાગ ખરેખર સાઠ વર્ષની વયે પુખ્ત બને છે. જેમ જેમ તેની ઉંમર વધતી જાય તેમ તેમ તેનું લાકડું વધુ સારું ગણાય. સો ફૂટ ઊંચા સાગ ઉત્તમ સાગ ગણાય છે. પરંતુ ‘સિકવેઈયા’ અને ‘યુકેલીપ્ટસ’નાં વૃક્ષોની વાત જરા જુદી છે. ચીડ વૃક્ષની ઊંચાઈ 300 ફૂટ જેટલી પણ જોવા મળી છે. હિમાલયમાં આવાં વૃક્ષો અચૂક જોવા મળે છે. સામાન્ય રીતે ચીડ વૃક્ષની ઊંચાઈ 100 ફૂટની અંદર હોય છે પરંતુ અમેરિકાનું એક ચીડ વૃક્ષ 324 ફૂટ જેટલું ઊંચુ છે. વળી સિકવેઈયા (રેડવૃક્ષ) જે હાલ કેલિફોર્નિયાના હમ્બોલ્ટ સ્ટેટ નેશનલ પાર્કમાં છે તેની ઊંચાઈ 347 ફૂટ છે. નર્મદાના મુખ પાસે જાણીતું કબીર વડ અતિ વિશાળ છે. આ વડ એટલો બધો વિસ્તરેલો છે કે તેનું મુખ્ય મૂળ ક્યું હશે તે શોધવું મુશ્કેલ છે.
વધુ આગળ વાંચો »
માનવસેવા એ જ પ્રભુકૃપા ! – બંસરી પટેલ
[ પ્રસ્તુત લેખ ‘ભૂમિપુત્ર’ સામાયિક (માર્ચ, 2003)માંથી સાભાર લેવામાં આવ્યો છે. લેખની શરૂઆતમાં ‘ભૂમિપુત્ર’ના એક લેખિકા હરવિલાસ બેન લખે છે કે : ‘અવારનવાર ઘણા પૂછતા હોય છે કે અમે સંસારમાં રહીનેય અમારી ઘર-ગૃહસ્થી સંભાળતાં-સંભાળતાં શું કરી શકીએ ? નિવૃત્ત થયેલા તેમજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધેલાં ભાઈ-બહેનો પૂછતાં હોય છે, અમે હવે મુક્ત છીએ, અમે સમાજ માટે થોડું ઘણું શું કરી શકીએ ? આવા સવાલોનો જવાબ કદાચ નીચેના લેખમાંથી સાંપડી રહે. ખરે જ કાંઈક કરી છૂટવાની ઈચ્છા ધરાવનારાઓને આમાંથી પ્રેરણા મળશે.]
સાંતાક્રુઝ ઍરપોર્ટ પાસેના રસ્તા પર લોકોની ભીડ જામી છે. ટોળાના લોકો અંદરઅંદર ફકત વાતો જ કરી રહ્યાં છે. ત્યાં રસ્તા પરથી એક ઑટૉરિક્ષા પસાર થઈ. તેમાં બેઠેલી બે સન્નારીઓ અને એક ભાઈએ રિક્ષા અટકાવી અને કુતૂહલવશ લોકોના ટોળામાંથી માર્ગ કરતાં શું થયું છે, તે જોવા ઊભાં રહ્યાં. જોયું તો લગભગ 27-28 વર્ષની એક યુવતી ઘવાયેલી હાલતમાં બેભાન જેવી પડી હતી. બંને પગો પર સખત ઈજા થઈ હતી. પૂરવેગથી ઘસી આવતી ટ્રકે તેને જમીન પર પટકી હતી અને આ યુવતીને લોહીલુહાણ દશામાં છોડી ટ્રક ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. ઊભેલા લોકો ‘અરે ! બિચારી !’ જેવા ઉદ્દગારો કાઢી ફક્ત મૌખિક સહાનુભૂતિ દાખવતાં હતાં. યુવતીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવા કોઈ તૈયાર ન હતું. ‘પોલીસના લફરામાં નકામું કોણ પડે !’
ઑટૉરિક્ષામાંથી ઊતરેલાં એક બહેનથી ન રહેવાયું. તેમણે તરત જ યુવતીને હાજીઅલી ઑર્થોપેડિક મેડિકલ સેન્ટરમાં દાખલ કરી. ત્યાં યોગ્ય સારવાર શરૂ થઈ ગઈ. યુવતી સાથે વાતચીત કરતાં ખબર પડી કે તેની અપરમા તેને ખૂબ જ ત્રાસ આપતી હતી. ઘરમાંથી ધક્કો મારી બહાર કાઢી મૂકી હતી. ત્યાં આ અકસ્માત થયો. પેલાં સન્નારીનું હૃદય કકળી ઊઠ્યું. આ યુવતીને પગભર કરવા શું કરવું ? બે રીતે તેને પગભર કરવાની હતી. તેને ફરીથી ચાલતી કરવાની હતી અને આર્થિક રીતે પણ પગભર કરવાની હતી. તો જ તે શાંતિથી, સ્વતંત્ર રીતે જીવી શકશે. ખૂબ વિચાર કરી તેને માટે એક ટેલિફોન બૂથ ઊભું કરવાનો નિર્ણય કર્યો. તે માટેની કામગીરી શરૂ કરી દીધી. યોગ્ય સહીસિક્કા કરાવી, કાયદેસર કાગળિયાં તૈયાર કર્યાં. લાકડાનું ટેલિફોન બૂથ તો ઊભું થયું, પરંતુ દરેક સામાજિક સેવાના કાર્યમાં થાય છે તેમ અહીં પણ વિરોધ શરૂ થયો. ત્યાંના સરકારી કાર્યકર્તાની સહાયથી બધું સફળતાથી પાર પડ્યું. બે મહિના પહેલાં બૂથની ઉદ્દઘાટનવિધિ અપંગ દૂરધ્વનિકેન્દ્રના વિભાગપ્રમુખ અનિલ પરબના હસ્તે કરવામાં આવી. અપંગ યુવતીની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. હાજર રહેલાં સૌ લાગણીશીલ બની ગયાં. આજે તે યુવતી આર્થિક રીતે પગભર થઈ ગઈ છે. બૅન્કમાં તેના નામનું જુદું ખાતું પણ ખોલાવવામાં આવ્યું છે.
વધુ આગળ વાંચો »
દાનની ગરિમા – મૃગેશ શાહ
ગત સપ્તાહે ‘કલાના અનન્ય ઉપાસક’ લેખ અંતર્ગત આપણે કશ્યપભાઈ વિશે વાત કરી હતી. મને એ જણાવતાં અત્યંત આનંદ થાય છે કે રીડગુજરાતીના સૌ વાચકોએ ભેગા મળીને આપેલા યોગદાનથી આજે તેઓ પોતાનું નવું કોમ્પ્યુટર મેળવી શક્યા છે. માત્ર એટલું જ નહિ, તેમના કાર્યને અનુરૂપ થાય એવું ખૂબ સારી શ્રેણીનું કોમ્પ્યુટર તેમને પ્રાપ્ત થયું છે. લેખના અનુસંધાનમાં માત્ર ત્રણ જ દિવસમાં વાચકમિત્રોએ મદદનો જે ધોધ વહાવ્યો છે તે માટે હું સૌ વાચકમિત્રોનો આભારી છું. કશ્યપભાઈએ વિશેષરૂપે સૌનો આભાર માન્યો છે અને પોતાની સર્જનશક્તિને સોળે કળાએ ખીલવીને આપણને સૌને ઉત્તમ સાહિત્ય પૂરું પાડવાની દિશામાં પ્રથમ પગલું ભરવાનું શરૂ કરી દીધું છે.
આ ‘યોગદાન’ વિષયના સંદર્ભમાં કેટલીક વાતો વહેંચવાનું મન થાય છે. અગાઉના લેખમાં જણાવ્યા પ્રમાણે ‘રીડગુજરાતી’ માટે આ ત્રીજો અનુભવ હતો. આ પહેલાં, બે-ત્રણ વર્ષ અગાઉ, એક વિદ્યાર્થીનીને આ રીતે કોમ્પ્યુટર આપવામાં નિમિત્ત બન્યાનો લ્હાવો મળ્યો હતો. એ પછી એક વૃદ્ધાશ્રમમાં રેફ્રિજરેટરની સહાય પહોંચાડવામાં મદદરૂપ થવાની તક પ્રાપ્ત થઈ હતી. આજે કશ્યપભાઈને પત્રપુષ્પં રૂપે તેમની શબ્દસાધનામાં ઉપયોગી બનવાનું થયું તેથી આનંદ બેવડાયો છે – આ તમામ પ્રવૃત્તિઓ પાછળ હેતુ માત્ર એટલો કે વાંચન આપણા જીવનમાં ક્રિયાન્વિત બને. સારા વિચારોને અમલમાં મૂકવાની તક પ્રાપ્ત થાય. આપણી સામાજિક જવાબદારી પ્રત્યે આપણે સભાન બનીએ. સારા લેખો દ્વારા સમાજના જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદરૂપ થવાની આપણે સરસ મજાની વાતો કરીએ પણ જ્યારે એવો કોઈ વ્યક્તિ આપણી નજરમાં આવે અને તેને સહાય કરવાનું ચૂકાઈ જાય તો ? વાંચન, ચિંતન અને મનન પછીનો એક તબક્કો આચરણનો હોય છે. ‘રીડગુજરાતી’ દ્વારા આ રીતે વાંચન સક્રિય આચરણમાં પરિણમે તે માટેનો આ એક નમ્ર પ્રયાસ છે.
આપ સૌ જાણો છો કે રીડગુજરાતીની તમામ પ્રવૃત્તિઓ આપ સૌના યોગદાન અને અરસપરસના સહકારથી ચાલે છે. વર્ષ દરમિયાન વાચકોની નાની-મોટી આર્થિક સહાય પ્રાપ્ત થતી રહે છે અને તેમાંથી જ હાર્ડવેર, સોફટવેર, ઈન્ટરનેટ અને પુસ્તકોની ખરીદીનો ખર્ચ નીકળતો રહે છે. સૌ વાચકો એક પરિવારની જેમ લાગણીથી જોડાયેલા છે તેથી સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ પોતાની ટૂંકી આવકમાંથી ‘રીડગુજરાતી માટે કંઈક આપું’ એવા ભાવ સાથે પોતાનું યોગદાન આપવા ઈચ્છતો હોય છે. વિદેશમાં ભણતા ઘણા વિદ્યાર્થીઓ પોતાની બચતમાંથી ‘અમને કંઈક આપવું છે’ એવો ભાવ દર્શાવતો પત્ર લખતા હોય છે. વળી, રીડગુજરાતી માટે બ્રોડબેન્ડ ઈન્ટરનેટનો આજીવન ખર્ચ કૅલિફોર્નિયામાં ભણતી એક વિદ્યાર્થીની પોતાની પાર્ટટાઈમ આવકમાંથી પૂરો પાડે છે ! કોઈ પણ સૂચના વગર યથાશક્તિ અનેક વાચકમિત્રો પોતાની મેળે પોતાનું યોગદાન મોકલી આપતા હોય છે. રીડગુજરાતી માટે સૌના તરફથી આટલી સહાય મળતી હોય તો સ્વાભાવિક છે કે રીડગુજરાતી પણ કોઈકને મદદરૂપ થવાની પોતાની ફરજ નિભાવે. ‘સૌને જમાડીને જમવું’ એવા સંસ્કાર તો આપણને પહેલા ધોરણથી આપવામાં આવે છે ને ? એથી જ મનમાં ઘણીવાર એમ થાય છે કે વર્ષમાં એવા કોઈક એક પરિવારને બનતી સહાય કરવી.
વધુ આગળ વાંચો »
કલાના અનન્ય ઉપાસક – મૃગેશ શાહ
સમાજમાં ક્યારેક એવું જોવા મળે છે કે કોઈ વ્યક્તિને રોજગારીની સમસ્યા હોય તો એ માટે સ્વૈચ્છિક સંગઠનો કે સંસ્થાઓ તેને પૂરતી મદદ પૂરી પાડે છે. ક્યારેક કોઈને વ્યક્તિગત મદદ પણ મળી રહેતી હોય છે. ઘણી સંસ્થાઓ એવી છે જે આ માટે આવકનું સાધન પૂરું પાડવાનું કાર્ય કરતી હોય છે. જરૂરિયાતમંદ વ્યક્તિને કોઈ યોજના અંતર્ગત સિલાઈ માટે સંચો કે શાકભાજીની લારી અથવા અન્ય કોઈ આવકનું સાધન મેળવી આપવામાં આવે છે. પરંતુ કોઈ વ્યક્તિને પોતાની કલાના વિકાસમાં મદદની જરૂરત હોય તો એ તેને ભાગ્યે જ મળી રહે છે ! રેંકડી મેળવી આપનાર મળી રહે છે પણ સિતાર ખરીદવામાં કલાના ઉપાસકને ક્યારેક ભારે સંઘર્ષ કરવો પડતો હોય છે. એ જ બાબત રમતગમતના સાધનો કે ટ્રેનિંગ માટેની છે. ક્યારેક તો સાધનોના અભાવે કલાનો વિકાસ રુંધાતો હોય એવું નજરે પડે છે. આ પ્રકારના કારણોને લીધે, લાંબાગાળે રાષ્ટ્રને એક પ્રતિભાશાળી વ્યક્તિ ગુમાવ્યાની ખોટ જાય છે અને આ એવી ખોટ છે જે નફા-નુકશાનના માપદંડોથી માપી શકાતી નથી.
કંઈક આવી જ વાત વડોદરાના કશ્યપભાઈની છે. (નામ બદલ્યું છે.) નાનપણથી શરૂ થયેલો લેખન-વાંચનનો શોખ એમને આર્ટ્સ વિદ્યાશાખા તરફ દોરી ગયો. તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાન (ફીલોસોફી) સાથે તેમણે એમ.એ ફર્સ્ટ કલાસ કર્યું. અભ્યાસ બાદ મનમાં એવી ઈચ્છા થઈ કે વિદ્યાર્થીઓને ખૂબ ઉત્તમ રીતે તત્વજ્ઞાન ભણાવવું છે પરંતુ નસીબજોગે તત્વજ્ઞાન વિષય લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટવા લાગી. પરિણામે કલાની અભિવ્યક્તિનો મોકો મળે તે પહેલાં જ પૂર્ણવિરામ મુકાઈ ગયું ! ખૂબ ઓછા વિદ્યાર્થીઓને ભણાવવાનું હોઈને કોઈ યુનિવર્સિટી તેમને કાયમી ધોરણે રાખવા તૈયાર ન થઈ. જ્યાં થોડુંગણું કામ મળતું હતું ત્યાં પણ લાગવગશાહીના જોરે તેમને પગ મૂકવા દેવામાં ન આવ્યો.
ભારતીય તત્વદર્શન, સમાજ અને વ્યક્તિગત ઉન્નત જીવન માટેના પોતાના વિચારો વ્યક્ત કરવા માટે તેઓ હાર્યા વગર સતત માર્ગ શોધતા રહ્યા. છેવટે કેટલાક લેખો તૈયાર કરીને અમુક સામાયિકો અને અખબારોમાં મોકલવાનું શરૂ કર્યું. મનમાં એક દ્રઢ સંકલ્પ હતો કે વિચારોની પ્રક્રિયાને કદી બંધ ન પડવા દેવી અને ગમે તેવી પરિસ્થિતિમાંથી પણ રસ્તો કાઢવા સતત કોશિશ કરતા રહેવું. તેમની આ મહેનતને થોડું બળ મળ્યું. અખબારોમાં પ્રકાશિત થયેલા કેટલાક લેખો વાંચીને નાની-મોટી સંસ્થાઓ તરફથી તેમને વ્યાખ્યાતા તરીકે બોલાવવામાં આવ્યા. હજુ આજે પણ કેટલીક સંસ્થાઓ તેમને આ માટે નિમંત્રિત કરે છે. પોતાના વાંચન, ચિંતન અને મનન દ્વારા સમાજને કશુંક નવું આપવાની અદમ્ય ઈચ્છા સાથે તેઓ સતત કંઈક નવું વિચારતા રહે છે.
વધુ આગળ વાંચો »
રીડગુજરાતી વિશે…. – મૃગેશ શાહ
[ વિષયપ્રવેશ : માતૃભાષા વિશે આદરણીય શ્રી ગુણવંતભાઈ શાહ કહે છે કે : ‘તમે જો એમ માનતા હો કે આપણી માતૃભાષા ગુજરાતી કદી પણ મરવાની નથી, તો તમે ભોળા માણસ છો. તમારાં સંતાનોના સંતાનો અત્યારે કેવું ગુજરાતી બોલે છે ? તેઓ કયું ગુજરાતી વાંચે છે ? તેઓ અડધાંપડધાં તમારાથી પરાયાં પરાયાં કેમ લાગે છે ? આપ પ્રશ્નો પર વિચાર કરશો તો તમને ગુજરાતી ભાષાના ધીમા મૃત્યુનો અણસાર આવી જશે. ગુજરાતની પ્રજાને મારી વિનંતી એટલી જ છે કે ગુજરાતી ભાષા લુપ્ત થાય તેની છેલ્લી કડી આપણે ન બનીએ. ભાષાને નહીં, આપણી જાતને બચાવવાની છે. ભાષાને નહીં, આપણી સંસ્કારીતાને બચાવવાની છે. ભાષાનું મૃત્યુ કલ્ચરનું મૃત્યુ. કલ્ચરનું મૃત્યુ એટલે એવું મૃત્યુ કે જેમાં સ્મશાને જવાનું ફરજિયાત નથી.’
કંઈક આ પ્રકારના ભાવને લઈને તાજેતરમાં ગુણવંતભાઈના નેતૃત્વ હેઠળ ‘માતૃભાષા વંદના યાત્રા’ યોજાઈ રહી છે. ગાંધી નિર્વાણ દિન તા. 30 જાન્યુઆરી, 2010, ના રોજ આદ્ય કવિ નરસિંહની ભૂમિ જૂનાગઢથી શરૂ થઈને આ યાત્રા તા. 6, ફેબ્રુઆરી, 2010 શનિવારના રોજ નર્મદનગરી સુરતમાં સંપન્ન થાય તેવું આયોજન થયું. ગુજરાતનાં અઢાર નગરોમાં આ યાત્રા જાય, સભા થાય, સંમેલનો થાય, માતૃભાષાના મહિમાગાન કરતા વિવિધ કાર્યક્રમો થાય તેમજ સાહિત્ય-શિક્ષણ-સમાજના પચાસથી વધુ ટોચના મહાનુભાવો સ્થળે સ્થળે પોતાનો ટેકો કરે તેવું આયોજન કરવામાં આવ્યું. આ લખાય છે ત્યારે ગઈકાલે ‘માતૃભાષા વંદના યાત્રા’ વડોદરા આવી પહોંચી જેમાં શ્રી અંકિતભાઈ ત્રિવેદીના સંચાલન હેઠળ, શ્રી ગુણવંતભાઈ શાહ તેમજ શ્રી પ્રવીણભાઈ દરજીએ માતૃભાષા વિશે મહિમાગાન કર્યું તેમજ માતૃભાષાના સંવર્ધન અને વિકાસ માટે પોતાના સુંદર વિચારો રજૂ કર્યા.
‘નરસિંહ થી નર્મદ’ સુધીની આ યાત્રાનું આયોજન કરનાર આયોજકોને આ સાથે એ વિચાર પણ આવ્યો કે : ‘માતૃભાષા વંદના યાત્રા પછી શું ?’ તેઓને લાગ્યું કે આ વિચાર વંદનાયાત્રામાં ભાગ ન લીધો હોય તેવા સજ્જનો તેમજ સમાજના પ્રત્યેક વર્ગના લોકો સુધી પહોંચવો જોઈએ. માતા-પિતાના ગળે આ વાત ઉતારવા માટે સાહિત્યકાર-સમાજશાસ્ત્રી-ચિંતકોના શબ્દોની જરૂર પડે. લોકોને આ વાત દિલથી સમજાય તે જરૂરી લાગ્યું. આથી આ માટે એક સંપાદન તૈયાર કરવામાં આવ્યું જેમાં અધિકૃત વ્યક્તિ વિશેષના આધારભૂત શબ્દો હોય. આ પુસ્તકનું નામ રખાયું ‘માતૃભાષાનું મહિમાગાન’. ગુણવંત શાહ, વિનોદ ભટ્ટ, ફાધર વાલેસ, પ્રવીણ દરજી, રજનીકુમાર પંડ્યા, દિનકર જોષી, વર્ષા અડાલજા, અમૃતલાલ વેગડ, ભોળાભાઈ પટેલ, મણિલાલ હ. પટેલ, શાહબુદ્દિન રાઠોડ વગેરે સૌના માતૃભાષા માટેના વિચારોનો સમાવેશ કરવામાં આવ્યો. આ સંપાદનમાં ‘રીડગુજરાતી’ વિશે કંઈક લખવાનું મને પ્રકાશક શ્રી વનરાજભાઈ તરફથી નિમંત્રણ મળ્યું. જે કંઈ સહજ લખાયું તે લેખ સ્વરૂપે આ પુસ્તકમાં સમાવિષ્ટ થયું. આજે તે લેખ આપની સામે પ્રસ્તુત કરું છું. આમ તો આ સાઈટ પર ‘રીડગુજરાતી પરિચય’ અને ‘તંત્રી વિશે’ એવા બે વિભાગો છે જ – પરંતુ રોજિંકા કાર્યને લીધે તે લખવાનો સમય રહેતો નથી ! તેથી આ લેખ અહીં પ્રકાશિત કરવાનું એ જ પ્રયોજન છે કે નવોદિત વાચકોને રીડગુજરાતીનો આછો પરિચય મળી રહે. આ પુસ્તકનું શ્રી ગુણવંતભાઈના હસ્તે 30મી જાન્યુઆરીના રોજ વિમોચન થયું છે. ટૂંક સમયમાં જ આ પુસ્તક તમામ વેચાણ કેન્દ્રો પરથી મળી રહેશે. તેમ છતાં પુસ્તક પ્રાપ્તિની વિગત પ્રસ્તુત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી, મૃગેશ શાહ.]
વધુ આગળ વાંચો »
અનોખી સિદ્ધિ – ચંદ્રિકા થાનકી
[‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર.]
નાનપણથી સંઘર્ષ કરીને જેણે ઉંમરના આઠ દાયકા વિતાવ્યા હોય એવી મહિલા 81મા વર્ષે શું કરતી હોય, એવો પ્રશ્ન જો કોઈને પૂછીએ તો એવો જવાબ મળે કે આ ઉંમરે મહિલા બહુબહુ તો પ્રભુભજનમાં સમય વ્યતિત કરતી હોય, સવારસાંજ દેવદર્શને જતી હોય, પોતાનાં પૌત્રો-દૌહિત્રોને રમાડતી હોય અને એ રીતે સમય પસાર કરતી હોય – પણ જો વાત મંદાકિનીબેન દ્રવિડની હોય તો તેમને આ બધું બહુ ઓછું લાગુ પડે છે. સામાન્યપણે 81મા વર્ષે સ્ત્રી જે કંઈ કરતી હોય કે કરી શકતી હોય તેના કરતાં તેઓ કંઈક જુદું જ કરી રહ્યાં છે અને તેઓ જે કંઈ કરી રહ્યાં છે અને કરી શક્યાં છે એ જોઈને માત્ર તેમની ઉંમરની જ નહિ, તેમનાથી ઘણી નાની ઉંમરની મહિલાઓને પણ તેમની ભારોભાર ઈર્ષ્યા આવે તેવું છે. ગયા વર્ષે મંદાકિની દ્રવિડને પૂણે યુનિવર્સિટીએ પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરી છે.
આ ઉંમરે પી.એચ.ડી. થવું એનો અર્થ શો એ ભાગ્યે જ કોઈને સમજાવવું પડે તેમ છે. તેઓ પોતે આ સિદ્ધિને એક જંગ જીતવા સમાન ગણાવે છે. કારણ કે આ ઉંમરે પી.એચ.ડી. થવું કેટલું મુશ્કેલ હોઈ શકે એ કહાણી તેમની પાસેથી સાંભળીએ તો જ ખ્યાલ આવે. તેઓ આ થિસિસ તૈયાર કરતાં હતાં એ દરમ્યાન જ તેમના એકમાત્ર પુત્રનું અવસાન થયું હતું. થિસિસ યુનિવર્સિટીમાં સબમીટ કર્યા પછી વાઈવા આપ્યા બાદ પણ જાણે એવું લાગતું હતું કે યુનિવર્સિટીનો નિર્ણય આવતાં જાણે યુગો સુધી રાહ જોવી પડશે. મંદાકિનીના કહેવા મુજબ તેમણે 2006માં પોતાનો થિસિસ સબમિટ કર્યો હતો અને 2008ની 8 એપ્રિલે વાઈવા લેવાયો હતો. એ પછી બે માસ વીતી જવા છતાં યુનિવર્સિટી તરફથી કોઈ હિલચાલ ન થતાં ગયા 2008ના જૂનના અંતે તેમણે કંટાળીને બૉર્ડ ઑફ કૉલેજ ઍન્ડ યુનિવર્સિટી ડેવલપમેન્ટના ડિરેક્ટરને એક પત્ર લખ્યો. પછી તેમને જાણવા મળ્યું હતું કે યુનિવર્સિટીમાં સંબંધિત કલાર્કની આળસને કારણે તેમનું કામ ખોરંભે પડ્યું હતું. ડિરેક્ટરને જેવો પત્ર મળ્યો કે તરત આદેશો છૂટ્યા અને મંદાકિની દ્રવિડના થિસિસને માન્ય રાખીને તેમને પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરવાનો નિર્ણય લેવાઈ ગયો.
વધુ આગળ વાંચો »






