ખટમીઠો પ્રશ્ન – નટવર પટેલ
[શ્રી જયંત પાઠકના કાવ્ય ‘ખારો ખારો પ્રશ્ન’ પર આધારિત પ્રતિકાવ્ય – તાદર્થ્ય સામાયિકમાંથી સાભાર.]
આખરે ઉજાગરાનો અંત આવ્યો.
પરીક્ષા પૂરી થઈ ગઈ.
વિદ્યાર્થી હવે
દફતરની ચીજો ગણે છે.
સંભારી સંભારી મેળવે છે,
સંભાળી સંભાળી ગોઠવે છે.
નોટો, ચોપડીઓ, ગાઈડ, અપેક્ષિત
બધું બરાબર છે.
ક્યાંય કશુંય ખોવાયું નથી
પણ
અચાનક કંઈક યાદ આવતાં
એ અભ્યાસખંડની મધ્યે
ઊભો રહી જાય છે
આંખમાંથી હરખ હરખ થાય છે
ખટમીઠો પ્રશ્ન :
મારી ‘કાપલીઓ’ ક્યાં ?
ગીત – કેતન કાનપરિયા
પંખીનું બચ્ચું કલશોરમાં કહે છે કે
……………………… આખું આકાશ મારી આંખમાં.
તડકાનું તેજ મારા લોહીમાં ઓગળતું
……………………… પીંછાનો ભાર નથી પાંખમાં.
વાસંતી વાયરાની લ્હેરખીઓ અંગમાં
……………………… ને પગમાં છે ઝરણાંની બેડી;
પાનખર પારણે એવી પોઢી ગઈ કે
……………………… પાંદડાંમાં પાડી મેં કેડી;
આંબલાની ડાળ પર આવેલી કેરીને
……………………… પોપટડાં ફરી ફરી ચાખ મા.
……………………… પંખીનું બચ્ચું……
ફૂલડાંની ફોરમને શ્વાસે ભરીને પછી
……………………… ઓળંગ્યા ઊંચા પહાડને;
ભૈરવી, પૂર્વી અમે છેડ્યો મલ્હાર
……………………… અને ખોલ્યા છે કંઠના કમાડને;
ઘાસના તણખલાનો માળો ગૂંથી નાખ્યો
……………………… લઈ ગીત અને સંગીતને કાખમાં
……………………… પંખીનું બચ્ચું……
ઘડપણ કોણે મોકલ્યું ? – નરસિંહ મહેતા
ઘડપણ કોણે મોકલ્યું ? જાણ્યું જોબન રહે સૌ કાળ
ઉંબરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ;
ગોળી તો ગંગા થઈ રે, અંગે ઉજળા થયા છે કેશ… ઘડપણ…
નહોતું જોઈતું તે શીદ આવિયું રે, નહોતી જોઈ તારી વાટ,
ઘરમાંથી હળવા થયા રે, ખૂણે ઢાળો એની ખાટ….. ઘડપણ…..
નાનપણે ભાવે લાડવા રે, ઘડપણે ભાવે સેવ;
રોજ ને રોજ જોઈએ રબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ… ઘટપણ…
પ્રાત:કાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય;
ઘરનાં કહે, મરતો નથી રે, તને બેસી રહેતા શું થાય ?…. ઘડપણ….
દીકરા તો જૂજવા થયા રે, વહુઅરો દે છે ગાળ;
દીકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા હાલ ?…. ઘડપણ…
નવ નાડીઓ જૂજવી પડી રે, આવી પહોંચ્યો કાળ;
બૈરાં, છોકરાં, ફટ ફટ કરે રે, બાળક દે છે ગાળ….. ઘડપણ…
આવી વેળા અંતકાળની રે, દીકરા પધાર્યા દ્વાર,
પાંસળીએથી છોડી વાંસળી રે, લેઈ લીધી તેણી વાર….. ઘડપણ…
એવું નફટ છે આ વૃદ્ધપણું રે, મૂકી દો સૌ અહંકાર;
ધરમના સત્ય વચન થકી રે, મહેતો નરસૈંયો ઊતર્યો ભવપાર…. ઘડપણ….
વસંતરસ – હિરલ વ્યાસ ‘વાસંતીફૂલ’
[નવોદિત યુવાસર્જક હિરલબેન (અમદાવાદ) વ્યવસાયે સોફટવેર એન્જિનિયર હોવાની સાથે સાહિત્યક્ષેત્રે કંઈક નવું સર્જન કરતાં રહે છે. તેમની કેટલીક અછાંદસ રચનાઓ આ અગાઉ ‘જનકલ્યાણ’ સામાયિકમાં પણ સ્થાન પામી છે. આજે તેમના એક મનનીય વિચારબિંદુ સાથે કેટલીક અછાંદસ રચનાઓ માણીએ. આપ તેમનો આ સરનામે hiralthaker@gmail.com અથવા આ નંબર પર +91 9099020579 સંપર્ક કરી શકો છો.]
[1] યાત્રા : સંઘર્ષથી આનંદ સુધીની….
આપણે ઘણાને કહેતા સાંભળીએ છીએ કે, ‘ભાઈ, મેં મારા જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે, સખત મહેનત કરી છે…’વગેરે…. પરંતુ જરાક ઊંડાણપૂર્વક વિચારીએ તો સમજાય છે કે પ્રત્યેક જીવ સંસારમાં આવે છે ત્યારથી તે સંઘર્ષ તો કરતો જ હોય છે. બાળક પ્રકાશનું પહેલું કિરણ જોવા પામે તે માટે તેણે ખાસ્સા નવ મહિના ગર્ભના અંધકાર સામે સંઘર્ષ કરવો પડતો હોય છે. બાળક બોલતાં ન શીખે ત્યાં સુધી પોતાની વાત માતા સુધી પહોંચાડવા માટે તેણે હાથપગ હલાવીને વાત સમજાવવાનો સંઘર્ષ કરવો પડે છે. ઊભા થવાનું અને ચાલવાનું શીખવા માટે એણે સતત સંઘર્ષ કરવો પડે છે. એ સંઘર્ષ દોડતા થવા સુધી લંબાતો જાય છે..
કહેવાનું તાત્પર્ય એ છે કે સંઘર્ષ કરવામાં કંઈ દુ:ખ કે નાનમ અનુભવવા જેવું નથી. ઘણું ખરું આપણે ઓછી આવકને કારણે થતા સંઘર્ષની કોઈક વાર ફરિયાદ કરતાં હોઈએ છીએ. પરંતુ એક ક્ષણ થોભીને વિચારીએ તો ખ્યાલ આવે છે કે જો કરોડોની મિલકત આમ જ વારસામાં આપણને મળી જાત તો એની કિંમત હોત ખરી ? શું કોઈ વસ્તુ ખરીદતાં પહેલાં આપણે એનો ભાવ પૂછત ખરાં ? શું પેટ્રોલ કેટલા રૂપિયે લિટર છે એની દરકાર રાખત ખરા ? એ રીતે ઘરનું ઘર બનાવવા માટે આપણા પિતાએ તનતોડ મહેનત કરી હશે. ઑવરટાઈમ કરીને ઉજાગરા વેઠ્યા હશે. ઘરનું સપનું સાકાર કરવા માટે મમ્મીએ પાઈ-પાઈની કસર કરી હશે અને ત્યારે જઈને કેટલાય સંઘર્ષ બાદ ઘરનો પાયો નંખાયો હશે. કદાચ એ કારણથી જ જિંદગીના પાછલા વર્ષોમાં તેઓ સંતોષ અને હાશ અનુભવતા હોય છે, કારણ કે તેમણે સંઘર્ષ જોયો છે. કોઈને પોતાના ઘરનું સરનામું આપતા તેઓ ગૌરવથી કહી શકતા હશે કે, અમારે ત્યાં આવજો… આ અમારા ઘરનું સરનામું છે… – અવાજની આ બુલંદીના પાયામાં કેટલાય વર્ષોનો સંઘર્ષ સમાયેલો હોય છે.
વધુ આગળ વાંચો »
કહો, કોની પરવા ? – સુરેશ દલાલ
શરીર સાબૂત હોય
કે સાબૂત ન પણ હોય
પણ મન આ મજબૂત હોય
તો ડરવાનું શું ને પછી કોની પરવા ?
જીવવાનું હોય
યા મરવાનું હોય
તો ડરવાનું શું ને પછી કોને પરવા ?
તનના તંબુમાં
મરણનો આરબ
એનો ઊંટ સાથે હોય
પણ આપણા આ હોઠ સામે
અમરતના ઘૂંટ હોય
આનંદ લખલૂંટ હોય
પછી કોને પરવા ને કોની પરવા ?
આપણે તો મરજી-વા
ડૂબવા નીકળ્યા
ને જળની કેડી પર નીકળ્યા ફરવા
હવે કોને પરવા ને કોની પરવા ?
રોજ રોજ ડૂબવાનું
રોજ રોજ તરવાનું
રોજ રોજ ઊગવાનું
ને આપણે આથમવાનું:
ફરી પાછું ઊગવાનું:
કાંઈ નહીં પૂછવાનું:
સ્મિત નહીં લૂછવાનું:
કહો, કોને પરવા ?
કહો, કોની પરવા ?
કાવ્ય – મુકેશ જોષી
એક તો તું પોતે મધ જેવી, એમાં તારું સ્મિત
………………………………. જાણે મધમાં સાકર નાખી
મારી દષ્ટિ કેમ આટલી મીઠી, એ ના પૂછ
………………………………. મેં તો તને નજરથી ચાખી
કડવાથી કડવા લીમડાની ડાળ પરે,
………………………. મધપૂડો બેસે એવી મારી હાલત
આખા જગમાં ખોબેખોબા ખૂબ
……………….પતાસાં વહેંચું એવી ગળચટ્ટી આ બાબત
બંગાળી મીઠાઈ સમી તું સાંજ મને મોકલતી
……………………………. ઉપર સ્પર્શનું અબરખ રાખી
તેં તો ખાલી છાંટો વાવ્યો ને
……………… મારામાં શેરડીનું આ ખેતર ઊગી આવ્યું
મને જેમણે દાતરડાથી કાપ્યો,
…………………… એના ખોબામાંયે અમરત શું ઢોળાયું
જગમાંથી કડવાશ હટાવી રેલાવું મીઠાશ
……………………………. મને જો મળી જાય તું આખી
જીવ તારું જીવતર નાનું – પ્રજ્ઞા પટેલ
જીવ તારું જીવતર નાનું ને પળોજણ ઝાઝી
માથે ધોળા વાળ, તને લાગે કુંપળ તાજી.
આવડે તો આનંદે ગાવું, નહીંતર રહેવું ચૂપ
મનની મસ્તીનો મેળો, એવો કરવો ધૂપ.
જીવ તારું જીવતર નાનું ને પળોજણ ઝાઝી…
શાને કરતો દોડાદોડી, કોને કરતો રાજી
વાટ જોઈને ઊભું છે, જગ બનવા કાજી
ફાવે તો ફરવું, નહીંતર ઊભા રહેવું.
મેલી જળની માયા, ભીતર ભીના વહેવું.
જીવ તારું જીવતર નાનું ને પળોજણ ઝાઝી…
હસવું-રોવું, લેવું-ખોવું બેધારી બાજી
હૈયાને હોંકારે હાંકજે હોડી, ખુદ બની માઝી.
જીવ તારું જીવતર નાનું ને પળોજણ ઝાઝી….
ઉમળકો – આર. એસ. દૂધરેજિયા
સવારનો કૂણો તડકો
મને કહે –
બપોરે આવજે
તને ઉમળકો આપીશ
ખરા બપોરનો તડકો
મને કહે –
સાંજે આવજે
તને ઉમળકો આપીશ
ઢળતી સાંજનો તડકો
મને કહે –
રાત્રે આવજે
તને ઉમળકો આપીશ
રાત્રે તો તડકો ક્યાંથી હોય….?
બસ, અંધારું રે અંધારું…..!
અંધારું મને કહે –
તારા વર્ષો જૂના મિત્રને ફોન કર
તને જરૂર ઉમળકો મળશે.
મેં એમ કર્યું –
તેની પત્નીએ ફોન ઉપાડ્યો
મને કહે –
‘એ તો સુતા છે.’
મારી મા મરી ગઈ છે
નહીં તો હું પણ
તેના ખોળામાં માથું મૂકી
ધ્રૂસકે ધ્રૂસકે
રડતો રડતો
સૂઈ જાત……!





