સૂર્ય સાથે નાતો – પુ. લ. દેશપાંડે

[સુપ્રસિદ્ધ પુસ્તક ‘વિશ્વનાં યાદગાર પ્રવચનો’માંથી સાભાર. અનુવાદ : અરુણા જાડેજા. સંપાદન : સુરેશ દલાલ, મહેશ દવે.]

ગયા વર્ષે જાન્યુઆરીની વીસ તારીખથી માંડીને તે છેક ગયા સોમવાર સુધી એટલે કે છેલ્લાં દોઢેક વર્ષથી દર સોમવારે આકાશવાણી પરથી ‘સત્યના પ્રયોગો’નું હું વાચન કરતો આવ્યો હતો. આજ સુધી વાંચતો આવ્યો એ તો ગાંધીજીના શબ્દો હતા. શ્રી આપ્પા પટવર્ધને સંપૂર્ણ ગાંધીમય થઈને કરેલું એ મરાઠી ભાષાંતર. આજ સુધી મારી ભૂમિકા કથાકારમહારાજની રહી હતી. પણ આજે મારે મારી વાત કહેવી છે.

કેટલાંક સામાયિકોને પહેલે પાને એક સંપાદકીય ખુલાસો જોવા મળે છે. ‘આ સામાયિકમાં વ્યકત થનારા મત સાથે સંપાદક સહમત હોય જ એવું નથી.’ હકીકતે તો ગાંધીજીની આત્મકથા બાબતમાં મારી ભૂમિકા પણ એવા જ એક ત્રાહિતની હતી. છાપખાનામાં શબ્દોનાં બીબાં ગોઠવનારાઓ એકાદી શૃંગારિક ‘લાવણી’ કે વૈરાગ્યમય ‘અભંગ’ જેટલી અલિપ્તતાથી ગોઠવે છે, તેટલી જ અલિપ્તતાથી હું એ આત્મકથા વાંચતો હતો એમ કહું તો ખોટું નહીં. જેમ કોઈ નટ એકાદી ભૂમિકા સાથે તેટલા પૂરતો જ તન્મય થઈ રહે તેવી મારી તન્મયતા હતી, એમ કહીને હું મારો છુટકારો તો કરાવી શકું પણ મારે તેવો છુટકારો કરાવવો નથી. આ પુસ્તકના વાચને મને આનંદ પણ આપ્યો છે અને અસ્વસ્થ પણ તેટલો જ કર્યો છે. વાંચતી વખતે મને થયેલો આનંદ હું બીજાને કેટલો આપી શક્યો એની કોઈ કલ્પના થઈ શકે નહીં. કેટલાક શ્રોતાઓએ આ વાચન પોતાને ગમતું હોવાનું જણાવ્યું. તો કેટલાકે તીવ્ર શબ્દોમાં અણગમો દર્શાવ્યો. એમનો વિરોધ મારા વાચન માટે હતો તેનાથીય વિશેષ તો ગાંધીજીની આત્મકથા માટે હતો.
વધુ આગળ વાંચો »