જીવન જ્યોત જગાવો – અમૃત બાન્ટાઈવાળા

[‘જીવન જ્યોત જગાવો’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સાચો ઉપદેશક

ઉપદેશ આપવાનું દરેક માણસને ગમે છે. માણસનો સ્વભાવ જ એવો છે કે, એને બીજાને ઉપદેશ આપવાનું ગમે છે. પોતે જેનું આચરણ કરતો નથી એનો ઉપદેશ આપીને એ પોતાની જાતને ઊંચી કક્ષામાં મૂકે છે.

એક શહેરમાં એક શેઠ રહેતા હતા. નામ હતું એમનું ધનીકલાલ. નામ પ્રમાણે એમની પાસે ધન પણ ખૂબ હતું. ખૂબ મોટો વેપાર ધંધો હતો. પૈસા મેળવવા માટે તેઓ કાવા-દાવા તથા અનેક યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવતા. ગમે તેવું ખરાબ કામ કરતાં અચકાય નહીં. છતાં પણ એમણે પોતાની જાતને ધર્મી તરીકે ઉપસાવેલી. તેઓ ધર્મમાં માનવાવાળા હતા એના કરતાં બાહ્યાડંબરમાં માનવાવાળા હતા એમ કહેવું વધારે સારું હતું. સવારમાં હંમેશ નદીએ સ્થાન કરવા જવું. મોટેથી રામ રામ બોલતા બોલતા દેવ મંદિરે જવું. ભગવાનને કાલાવાલા કરવા. જરા નવરા પડે કે, તરત ભગવાનનું સ્મરણ કરવું. પોતે ભક્ત છે. ધાર્મિક છે. એવું કહેવડાવવાનો એમને ખૂબ જ શોખ હતો. પરંતુ પાછળ લોકો એમની ટીકા કરતા, એમને ભગતના બદલે ઠગત કહેતા. ધાર્મિકતાના બહાના નીચે અનેક કુકૃત્યો તેઓ કરતા.

એક દિવસની સુંદર સવાર. શેઠ ધનીકલાલ મંદિરમાં દર્શન કરવા ગયા. દર્શન કરીને તેઓ પાછા ફરતા હતા. સાથે એમના ઓળખીતા બીજા એક ભાઈ પણ હતા. તેઓ જઈ રહ્યા હતા ત્યાં જ એમણે સામેથી શહેરની પ્રસિદ્ધ ગણિકા રૂપાદેવીને આવતી જોઈ. એના હાથમાં પૂજાનો થાળ હતો. રૂપાદેવી શહેરની પ્રસિદ્ધ ગણિકા હતી. નામ પ્રમાણે જ એનામાં રૂપ હતું. એના હાસ્ય પર શ્રેષ્ઠીઓ ધન લુંટાવતા. એના પાયલની ઝણકાર માટે સોદાગરો સોનામહોરની લહાણી કરતા. રૂપાદેવીના હાથમાં પૂજાનો થાળ જોઈ શેઠ વિચારમાં પડી ગયા. એમના મનમાં આશ્ચર્ય થયું. એમના ચહેરા પર તિરસ્કારના ભાવ છવાઈ ગયા. એમણે એમની સાથેના પેલા ભાઈને કહ્યું : ‘રામ….રામ… શો કળજુગ આવ્યો છે. ગણિકાઓ પણ પૂજા કરતી થઈ ગઈ છે. લોકો પાપ કરતાં વિચાર કરતા નથી. જગતને છેતરવાના ધંધા છે આ બધા.’
રૂપાદેવી આ વાત સાંભળી ગઈ. એની આંખની ભ્રમરો ખેંચાઈ, એણે શેઠ સામે હસતાં હસતાં કહ્યું, ‘શેઠ, જગતની એ જ વિશેષતા છે.’ કહી એણે કતરાતાં કતરાતાં ઉમેર્યું, ‘હું તો જે છું, જેવી છું એવી દેખાઉ છું શેઠ. પણ તમે જેવા છો એવા દેખાઓ છો ખરા ? જગતને કોણ છેતરે છે ? હું કે તમે ?’

શેઠ બોલ્યા સિવાય ચાલ્યા ગયા.
વધુ આગળ વાંચો »

વિચારમંથન – સંકલિત

[1] નિશા-અનુપમાને સલામ ! – રજની દવે

21મી સદીમાં આપણને સહજ રીતે એમ જ લાગે કે હવે તો જૂનાં સામાજિક દૂષણોએ વિદાય લીધી છે. પરંતુ નવા જમાનાની ઝાકમઝોળની લાલચ ઘણાને ભ્રષ્ટ કરી રહી છે. લગ્નમાં હવે ટૂ વ્હિલર, ફોર વ્હિલર, ટી.વી. વીડીયો, ફ્રિઝ વગેરે વરપક્ષ તરફથી માંગવામાં આવી રહ્યાં છે. આમ તો નાની મોટી ભેટો તો આપવાનો રિવાજ ચાલુ જ છે પરંતુ જ્યારે બેફામ માંગણીઓ કરવામાં આવે છે ત્યારે કન્યા પક્ષના ધબકારા વધી જાય છે.

આ બાબતે 2003માં બનેલા બે-ત્રણ કિસ્સા યાદ કરવા જેવા છે. નિશા શર્મા એક ઈજનેર બાપની દીકરી સૉફટવૅર ઈજનેરીના છેલ્લા વર્ષમાં ભણતી હતી. 21મા વર્ષે લગ્ન લેવાયાં. મુનશી સાથે લગ્ન ગોઠવાયા. ઈજનેર બાપે ઘણી બધી ભેટ ચીજો જમાઈ તેમજ તેના મોટાભાઈ માટે ખરીદી હતી. પરંતુ લગ્ન સમયે સાસુમાએ વરરાજાના મોટાભાઈ માટે કાર અને 12 લાખ રોકડા માંગ્યા. નિશા અગ્નિની સાક્ષીએ બેઠી હતી પરંતુ સાસુની ખોટી માંગે તેના મગજમાં ગુસ્સાનો અગ્નિ પ્રગટાવ્યો. તેણે જાતે જ પોલીસને ફોન કરીને બોલાવી અને વરરાજાને જેલના સળિયા ગણતો કર્યો.

અનુપમાની પણ એવી જ કહાની છે. અનુપમાએ દહેજની માંગણીને વશ ન થતાં સી.આર.પી.ની હાજરીમાં લગ્નમંડપનો ત્યાગ કર્યો. એક અન્ય છોકરીના લગ્નમાં જાન ચાર કલાક મોડી આવી અને આવ્યા પછી ચાલુ ભેટો ઉપરાંત 8 લાખ રોકડા માંગ્યા. તેણે પણ લગ્નની ચોરીનો ત્યાગ કર્યો. આજે નિશા અને અનુપમાની હિંમત જોઈને ઘણા બધા પ્રેરણા લેશે તેવું લાગે છે. જે પ્રેમ ખાતર નહીં પણ પૈસા ખાતર લગ્ન માટે તૈયાર થાય તેવાને લીલા તોરણે જાકરો મળે તેવું વાતાવરણ સર્જવાની જરૂર છે. નિશા-અનુપમા તેમજ અન્ય સાહસ કરવાવાળી યુવતીઓને સલામ કરીએ. (‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.)
વધુ આગળ વાંચો »

વાત મૂલ્યો અને સંસ્કારોની…. (ભાગ-3) – સંકલિત

[ થોડા મહિનાઓ અગાઉ ‘અખંડ આનંદ’ સામાયિક દ્વારા ‘વાત મૂલ્યો ને સંસ્કારોની...’ વિષય પર સૌને સત્યઘટના કે એ પ્રકારના જીવનપ્રસંગો પર લખવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે સંકલિત થઈને સામાયિકના કેટલાક અંકોમાં પ્રકાશિત થયા હતા. તેમાંથી આપણે થોડા સમય અગાઉ ભાગ-1, ભાગ-2 માં કેટલાક પ્રસંગો માણ્યા હતા. આજે માણીએ જાન્યુઆરી-2010ના અંકમાંથી થોડા અન્ય પ્રસંગો.]

[1] શક્તિ મુજબ જીવન જીવ – ભરત આર. જાદવ

બી.ઍડ. કર્યા પછી તે જ વર્ષે શહેરની પ્રતિષ્ઠિત શાળામાં નોકરી મળી ગઈ. શહેરના મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીં જ આવે. 70 ઉપરાંત શિક્ષકોથી ઉભરાતો સ્ટાફખંડ. બે-ચાર ને બાદ કરતા બધા વેલસેટ. મોટા ભાગના શિક્ષકો અને કેટલાક વિદ્યાર્થીઓ પણ મોંઘીદાટ બાઈક લઈને જ શાળાએ આવે, અરે કેટલાક તો કારવાળાએ ખરા, ને તેવા વાતાવરણમાં મારે પગપાળા આવવાનું બનતું. તેથી ક્યારેક સંકોચ થતો, તો ક્યારેક ખુદને કોસતોય ખરો – ‘હું પણ નોકરી કરું છું ને છતાં એક બાઈક પણ લાવી શકતો નથી.’ પછી મનોમન ઘણી ગોઠવણો કરી નવું નહિ તો જૂનું બાઈક ખરીદી લેવાનો નિર્ણય કરી, શનિવારની સ્કૂલ ભરી હું ગામડે મા-કાકા પાસે ગયો.

જુલાઈના અંતિમ દિવસો હતા. ખેતરોમાં મકાઈ-મગફળી લીલા લહેર કરતાં હતાં. ‘મા-કાકા (અમે બાપુજીને કાકા કહીએ છીએ) બન્ને ખેતરમાં મકાઈનાં નીંદણ કરતાં હતાં. હું સીધો મા પાસે જઈને બેસી ગયો. તેણે તેની હંમેશાંની આદત મુજબ શીતળ હૈયે ‘હમણાં આયો બેટા ?’ કહી માથે હાથ ફેરવ્યો. ને પડખે રહેલી છીંકણીની ડબ્બીમાંથી ચપટી ભરી હાથ નાકે મૂક્યો. કાકા પણ ખુશ થયા, થોડી ઔપચારિક વાતો પછી મેં માને ધીરેથી કહ્યું : ‘મા, મારી શાળામાં ક્રેડીટ સોસાયટી લોન આપે છે. હું વિચારું છું કે ત્યાંથી લોન લઈ એક મોટર સાઈકલ લઈ લઉં.’

માએ છીંકણીની ડબ્બી મૂકી હાથ ખંખેરતાં મારી સામે હળવા ભાવે જોયું. જાણે એ કંઈક વિચારતી હોય એવું લાગ્યું. હું કંઈ બોલું એ પહેલાં જ ખૂબ જ મૃદુ અવાજે મારી આંખોમાં આંખ પોરવી એણે કહ્યું, ‘જો બેટા, અમે હાડકાંતોડ મજૂરી કરી, ખેતરોમાં દિવસ-રાત વિતાવી તમને બધાં ભાઈ-બહેનોને ભણાવ્યાં-પરણાવ્યાં અને નોકરી-ધંધે લગાડ્યાં. ને તોય રૂપિયાનું દેવું કર્યું નથી. ને તું આજે જાતે કમાતો થયો ત્યારે દેવું કરીને મોટરસાઈકલ લાવવાની વાત કરે છે ? તને શરમ આવે છે ? જે દિવસે તારી પાસે રૂપિયા ભેગા થાય ત્યારે તારે જે ખરીદવું હોય તે ખરીદજે. દેવું કરીને આપણે મોટા થવું નથી.’ આટલું કહી તે તેના કામમાં વળગી ગઈ. મેં પણ તેની પાસે પડેલું દાંતરડું લઈ નીંદણ કામ શરૂ કર્યું, બાઈકનો વિચાર મનમાંથી કાઢી નાખ્યો. એક જ વર્ષ થયું. ‘મા’ સદેહે પાસે નથી. પૈસેટકે હાથ ચાલતો થયો છે, ને ઘણું બધું ખરીદવાની ઈચ્છા થાય છે. ત્યારે ‘મા’ની એ મુદ્રા અને શિખામણ હૃદયમાં ઊભી થાય છે અને તેણે આપેલ શક્તિ મુજબ જીવવાનો મંત્ર જાણે સિદ્ધ થયો હોય એમ ઘણા પ્રસંગોએ પ્રેરક બની રહ્યો છે. જીવનમાં સાદગી, ઓછી વસ્તુઓથી ચલાવવું, શક્તિ મુજબનો ખર્ચ કરવો જેવાં પાયાનાં મૂલ્યોનું શિક્ષણ આજે જીવનની સંજીવની બની રહ્યું છે.
વધુ આગળ વાંચો »

ન્યારું શિરામણ – અરુણા જાડેજા

[શ્રીમતી અરુણાબેનની (અમદાવાદ) કંઈક અનોખી શૈલીમાં આ લેખ છે કે વાનગી તે કહેવું મુશ્કેલ છે ! તેમ છતાં આ લેખ ખાલી પેટે વાંચવો હિતાવહ નથી !! પ્રસ્તુત છે શિરામણની રસપ્રદ વાતો ‘જનકલ્યાણ’ ફ્રેબુઆરી-2010માંથી સાભાર. આપ અરુણાબેનનો આ નંબર પર +91 79 26449691 સંપર્ક કરી શકો છો.]

અમારે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે : ‘કાશીનું મરણ ને સુરતનું જમણ.’ કાશીનું મરણ તો દુર્લભ પણ સુરતનું જમણ હું ચોક્કસ લાભી છું. કારણ મારો જન્મ સુરતમાં. જન્મે મરાઠી, પણ નાનેથી મોટી તો ગુજરાતમાં જ થઈ. સ્વાભાવિક જ છે કે રસિકડા ગુજરાતીઓની એવી જ રસીલી વાનગીઓથી હું ટેવાયેલી-હેવાયેલી હોઉં. આ જન્મ અને મરણના બે છેડા વચ્ચેનું એક મંગળબિંદુ એ લગ્ન. એ પણ ગુજરાતી સાથે જ. આમ ભણી-ગણી-પરણી બધું ગુજરાતમાં જ. એટલે ગુજરાતી રસોઈ મારે સાવ હૈયાવગી.

આપણી ન્યાહારી જેવો જ અમારો અસ્સ્લ તળપદો શબ્દ એટલે શિરામણ. પહેલાંના વખતમાં શિરોબિરો કરતા હશે ને તેથી કદાચ આ શબ્દ આવ્યો હશે. ત્યારે તો ઘી-દૂધની રેલમછેલ. સવારથી સાંજ વાડી-ખેતરોમાં જોતરાવાનું. એટલે કૉલેસ્ટેરોલ કિસ બલા કા નામ હૈ ! બ્રેકફાસ્ટમાં બેસે એવા અને પાછું જેના પર ગુજરાતની વિશિષ્ટ છાપ હોય એવા ખાસ નાસ્તા આપણે જોઈએ. અમારા કચ્છ-કાઠિયાવાડમાં આજેય શિરામણમાં હોય બાજરાનો રોટલો. સાથે હોય તેવડ પ્રમાણે દૂધ કે છાશ. શહેરોમાં ઉછરેલાં અમારા સંતાનો પણ ગામડે આવે ત્યારે એમનો ગમતો ને ભાવતો નાસ્તો આ જ. ઘરની ગાય-ભેંસના શેઢકઢાં દૂધ, તકતકતાં ને લસલસતાં ઘી-માખણ. ગુજરાતનો નાસ્તો કહો એટલે આંખ સામે એમની તળેલી વાનગી આવીને ઊભી રહી જાય. પણ એવું નથી, એમની રોજિંદી ખાદ્યશૈલી કંઈ એવી તૈલી નથી.
વધુ આગળ વાંચો »

ચાંદનીની ઠંડક – સંત પુનિત

[પુનિત પ્રકાશન દ્વારા પ્રકાશિત ‘ચાંદનીની ઠંડક’ (આવૃત્તિવર્ષ : 1986)માંથી સાભાર.]

[1] એગ્રીપીનસની સ્થિતપ્રજ્ઞતા

જુલમી રોમન સમ્રાટ નીરોના સમયમાં એગ્રીપીનસ નામે એક વીર પુરુષ થઈ ગયો. તેના ઉપર અનેક આફતો આવી છતાં તે કદી પણ ડગ્યો નહિ, કદીય નિરાશ થયો નહિ. તેના નીડર અને ન્યાયપ્રિય સ્વભાવને લીધે શાસક વર્ગ સાથે તેને ઘણી વાર ઘર્ષણમાં આવવું પડતું. પરંતુ સત્યનો માર્ગ તેણે કદી છોડ્યો નહિ. દુ:ખ તો તેને રમતરૂપ લાગતું હતું. જ્યારે જ્યારે તેના ઉપર કોઈ દુ:ખ આવી પડતું ત્યારે તે ઈશ્વરનો આભાર માનતો. તેનાં ગુણગાન ગાતો. તે કહેતો કે, તેની કસોટી કરવા જ પરમકૃપાળુ પરમાત્માએ તેના ઉપર આવું દુ:ખ મોકલ્યું છે.

એક વાર પોતાના મિત્રો સાથે તે જમવા બેસતો હતો. આજે તેને કકડીને ભૂખ લાગી હતી. એક મિત્રે કહ્યું : ‘એગ્રીપીનસ, આજે ઘણે દિવસે તને નિરાંતે જમવા મળ્યું, નહિ ?’
એગ્રીપીનસ હસીને બોલ્યો : ‘હું તો હંમેશાં નિરાંતે જ જમું છું. સાચું કહું તો, ઈશ્વરની ઈચ્છાને આધીન થવામાં જે સુખ મળે છે તેવું બીજે ક્યાંય મળતું નથી.’

મિત્રો સાથેની વાતચીત પૂરી કરીને જ્યાં જમવાની તૈયારી કરે છે ત્યાં જ બારણું ઊઘડ્યું. ને સમ્રાટ નીરોનો અમલદાર વૉરંટ સાથે અંદર આવ્યો. વાત અટકી પડી. મિત્રોના ચહેરા ઉપર ભય અને ગ્લાનિ છવાઈ ગયા. પણ એગ્રીપીનસ તો સંપૂર્ણ સ્વસ્થ હતો.
‘એગ્રીપીનસ !’ અમલદારનો સત્તાવાહી કર્કશ અવાજ આવ્યો, ‘તને સમ્રાટ નીરોએ સજા કરી છે.’
‘શેની ? મૃત્યુની કે દેશનિકાલની ?’
‘દેશનિકાલની !’
‘ચાલો, એટલું ઠીક થયું. પણ હા, તમે જરા રાહ જોશો ? હું આ મિત્રો સાથે આટલું ભોજન કરી લઉં !’
વધુ આગળ વાંચો »

મહારાજના મુખેથી અને બીજી વાતો – સં. મગનભાઈ જો. પટેલ

[ જેમને મૂકસેવક રવિશંકર મહારાજ વિશે જાણવું હોય અને તેમના જીવનપ્રસંગો માણવા હોય તેમણે આ પુસ્તક ખરેખર વસાવવા લાયક છે. લોકજીવન, સમાજજીવન અને ઉચ્ચ વિચારોનું સુંદર ભાથું આ સંપાદનમાં સમાયેલું છે. મહારાજના અંતેવાસી શ્રી મગનભાઈ પટેલે આ પુસ્તકમાં અનેક રસપ્રદ ઘટનાઓ વર્ણવી છે. આમાંથી આજે માણીએ કેટલાક પ્રસંગો સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સુખી જીવન

એક વાર હું કચ્છમાં ગયો હતો. ફરતો ફરતો એક દિવસ કંડલા ગયો. એક શ્રીમંત મિત્રને ત્યાં ઊતર્યો હતો. સાંજના મને એ બંદર બતાવવા લઈ ગયા. રસ્તે મોટાં મોટાં મકાનો જોતા જોતા અમે જતા હતા, ત્યાં કમ્પાઉન્ડમાં ઘાસના પૂળાનાં બેત્રણ ઝૂંપડાં નજરે પડ્યાં. આવી ભવ્ય મહેલાતોમાં આ ઝૂંપડાં તે વળી કોનાં હશે, એ જાણવાની મને ઈચ્છા થઈ. અમે એ તરફ વળ્યા. બારણે જઈ ડોકિયું કર્યું તો અંદર પચીસેક વર્ષનો એક જુવાન મજૂર અને તેની સ્ત્રી બેઠાં હતાં. ચૂલા ઉપર માટીના વાસણમાં કંઈક રંધાતું હતું અને બંને પતિપત્ની બટાટા સમારતાં હસતાં હસતાં વાતો કરતાં હતાં. અમે એકાએક ત્યાં જઈને ઊભા રહ્યા એટલે એ જરા શરમાઈ ગયાં. છતાં મેં પૂછ્યું : ‘તમે ક્યાંનાં છો ?’

પુરુષ શરમાઈ ગયો હતો એટલે એ ન બોલ્યો, પણ સ્ત્રીએ કહ્યું : ‘કાઠિયાવાડનાં છીએ ને અહીં મજૂરી કરવા આવ્યાં છીએ.’
‘આ ઝૂંપડાનું ભાડું શું આપો છો ?’
‘મહિને આઠ આના.’
‘રોજની મજૂરીનું શું મળે છે ?’
‘મને બે રૂપિયા ને એમને (પતિને) અઢી રૂપિયા.’
આટલી વાત કરી અમે આગળ ચાલ્યા.
વધુ આગળ વાંચો »

ઈશ્વર સાથે ઑનલાઈન – ગોવિંદ શાહ

[ એક પ્રચલિત ઈ-મેઈલના વિચારબીજ પર આધારિત આ સુંદર કૃતિ રીડગુજરાતીને મોકલવા માટે શ્રી ગોવિંદભાઈનો (વલ્લભ વિદ્યાનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે sgp43@yahoo.co.in અથવા આ નંબર પર +91 9375012513 સંપર્ક કરી શકો છો.]

એક વખત હું મારા લૅપટૉપ પર ચેટિંગ કરતો હતો. ત્યાં મને ઈશ્વરનો ઓનલાઈન ભેટો થઈ ગયો.

ઈશ્વર : ‘શું તું મારી સાથે ચેટિંગ કરવા માંગે છે ?’
હું : ‘ના, મેં તમને બોલાવ્યા નથી. તમે કોણ છો ?’
ઈશ્વર : ‘વત્સ ! હું આ સમસ્ત બ્રહ્માંડનો અને આ સૃષ્ટિનો સર્જક છું….ઈશ્વર છું.’
હું : ‘હું કેવી રીતે માનું કે તમે ઈશ્વર છો ? તમારા જેવા તો ઘણા પોતાની જાતને અહીં ‘ભગવાન’ કહેવડાવે છે.’
ઈશ્વર : ‘માનવું કે ન માનવું એ તારી મરજીની વાત છે. મને તેનાથી કોઈ ફરક નથી પડતો. તને જો તારી જાતમાં વિશ્વાસ ન હોય તો પછી મારામાં ક્યાંથી હોય ?’
હું : ‘ઓ.કે. પરંતુ હું અત્યારે નવરો નથી. તમારી સાથે વાત કરવાનો મને સમય નથી. તમે જાણો છો કે હું કેટલો વ્યસ્ત છું ?
ઈશ્વર : ‘વ્યસ્ત તો કીડી મંકોડા પણ આખો દિવસ હોય છે !’

હું : ‘તમને ખબર નથી કે અમારે કેટલું કામ હોય છે. જિંદગી કેટલી ઝડપી થઈ ગઈ છે. અત્યારે ‘પીક અવર્સ’ ચાલે છે.
ઈશ્વર : ‘ભાઈ, સવારના પહોરમાં તું છાપાઓમાં ભરેલો દુનિયાભરનો કચરો મગજમાં ઠાલવે છે. એટલું ઓછું હોય તેમ, અત્યારે તારા ‘પીક અવર્સ’માં ઈન્ટરનેટથી બીજા વધારે કચરાનો ઉમેરો કરે છે. આને તું વ્યસ્તતા કહે છે ? તને તારા માટે ફુરસદ ન હોય તો મારા માટે તો ક્યાંથી હોય ? પણ મને થયું ચાલ, ઈન્ટરનેટ પર તો તું ચોક્કસ મળી જ જઈશ અને તને એ વધુ અનુકૂળ પડશે; જેમ તું તારા પુત્રોને મોબાઈલ પર જ મળી લે છે ને તેમ !’
વધુ આગળ વાંચો »

સ્વભાવનો સ્વભાવ – મધુકાન્ત જોષી

[‘અખંદ આનંદ’ ફ્રેબુઆરી-2010માંથી સાભાર.]

કરવી જ હોય તો ચાલો…. સ્વભાવની જ વાત કરીએ… ‘અહો ! વૈચિત્ર્યમ સ્વભાવમ !’ એમ સ્વભાવ વિશે કહેવું પડે ! ખાસ કરીને ગુલાબી-મિજાજી-રંગીન-ગમતીલો હસમુખો હોય તેને આપણો સ્વભાવ કહીએ છીએ. બાકી તો ચીડિયો સ્વભાવ તો દેશ-પરદેશમાં પણ પ્રખ્યાત છે. વાત-વાતમાં વાંકું પડી જાય એવો વાયડો સ્વભાવ ઘેર ઘેર જોવા મળે છે. હાલતા નાની વહુની જેમ રિસાઈ જાય એવો જક્કી ને જિદ્દી સ્વભાવ શહેરમાં ને ગામડામાં ઘર કરીને બેઠો છે ! હાલતાં લમણાંઝીક કરાવે એવો લપિયો સ્વભાવ જેને આપણે લાડથી ‘લપ્પીદાસ’ કહીને નવાજીએ છીએ. અમુકનો સ્વભાવ સાવ ગુંદરિયો હોય છે, તેને ગમે ત્યાં નાખો ફૅવિકોલની જેમ ચોંટડુંક રહે છે. અમુકના આઠે પો’ર અલગારી સ્વભાવ જોવા મળે છે ને અમુક આજીવન અતડો સ્વભાવ લઈ એરંડિયું પીધું હોય એમ લમણે હાથ દઈને બેઠા હોય છે. ને, અમુકનો સ્વભાવ સાવ ભૂત જેવો હોય છે પણ ચોમેરે અદ્દભુત થઈને ફરતા હોય છે.

સ્વભાવ તો સૌને ગમતીલો-રંગીલો-મોજીલો-આનંદી કાગડા જેવો હોવો જોઈએ. કેસૂડાના રંગ જેવો કામણગારો ને મેંદીના રંગ જેવો મોહક ને માદક સ્વભાવ તો કોઈક ભાગ્યશાળી વીરલાને જ મળે છે. સ્વભાવ તો પાણી જેવો પાણીદાર હોવો જોઈએ. પાણીને કોઈ પણ આકારના પાત્રમાં નાખી જુઓ તો, પાણી તેના જેવો જ આકાર ધારણ કરી લેશે. અને એવી જ રીતે પાણીમાં કોઈ પણ રંગ નાખી જુઓ, તો પાણી તરત જ તેવો રંગ ધારણ કરી લેશે. વાહ પાણી વાહ ! શું તારી અજબ છટા છે ? સ્વભાવની ! એક કવિ (આ લખનાર) પોતાના એક ગઝલના શે’રમાં સ્વભાવ વિશે બહુ સરસ વાત કરે છે :

દરિયાના મોજાં જેવો સ્વભાવ લૈ બેઠો છું,
દોસ્ત, એક પત્ર લખ: પ્રેમભાવ લૈ બેઠો છું !

સ્વભાવ તો દરિયાનાં મોજાં જેવો હોવો જોઈએ. દરિયાનું મોજું સામે કિનારેથી કોઈ પણ કારણ વિના અજબ-ગજબના ઉત્સાહ સાથે દોડતું દોડતું આ કિનારાને મળવા આવે છે – ને, પાછું મળીને બમણા ઉત્સાહ સાથે રૂમઝૂમતું નાચતું-કૂદતું પેલા કિનારાએ ચાલ્યું જાય છે.
વધુ આગળ વાંચો »

Page 1 of 131234510...Last »