કૃષ્ણ : 21મી સદીના ઈશ્વર – જય વસાવડા
[જેમ જેમ યુગો વીતતા જાય તેમ તેમ વધારે ને વધારે પ્રસ્તુત બનતું જાય એવું વ્યક્તિત્વ એટલે ‘કૃષ્ણ’. એ તમને ગમે ત્યાં મળી શકે. વેદથી લઈને લોકગીતો સુધી એમનો વ્યાપ છે. શૃંગાર-વિતરાગ, પ્રેમ-નીતિ, નિર્દોષતા-બુદ્ધતા જેવા અનેક પરસ્પર વિરોધી ભાવોના એ સંયુકત ઉદ્દગમસ્થાન છે. જેમનું વર્ણન કરતાં વાણી થંભી જાય અને વર્ણન કરનાર જ કૃષ્ણમય બની જાય એવા વડના પાંદડે પોઢેલા બાળકૃષ્ણને આજે તેમનાં પ્રાગટ્ય દિને નમન કરીએ. સાહિત્યકારોએ તો એમને અનેક દષ્ટિએ જોયા છે પરંતુ આજના યુવાન હૈયામાં દેખાતી તેમની એક અલગ છબીને ઝીલી છે શ્રી જયભાઈ વસાવડાએ... પ્રસ્તુત લેખ તેમના 2003માં પ્રકાશિત થયેલા પુસ્તક ‘કૃષ્ણ : 21મી સદીના ઈશ્વર’માંથી સાભાર લેવામાં આવ્યો છે. હાલ આ પુસ્તક અપ્રાપ્ય છે પરંતુ ડિસેમ્બર-2010માં તેની સંવર્ધિત નવી આવૃત્તિ આવી રહી છે. રીડગુજરાતીને આ લેખની પરવાનગી આપવા માટે શ્રી જયભાઈનો (ગોંડલ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jayvaz@gmail.com અથવા આ નંબર પર +91 9825437373 સંપર્ક કરી શકો છો. સૌને જન્માષ્ટમીની શુભકામનાઓ.... – તંત્રી.]
[1]
જોઈએ છે એક ઈશ્વર !
એક એવા ભગવાન કે જેની પ્રતિમા પ્રાચીન હોય, પણ ઉપદેશ અર્વાચીન હોય. જેમનામાં દંતકથામય ભવ્યતા અને દૈવી ચમત્કારિતા હોય. સાથોસાથ માનવીય લાગણીઓ અને સ્વાભાવિક ગમાઅણગમા પણ હોય. જરૂરિયાત મુજબ યુદ્ધત્વ અને બુદ્ધત્વ બંનેનો પરિચય કરાવી શકે. જે સિદ્ધાંતોના મૂળિયા તરછોડે નહીં, છતાં નવીનતાની ડાળીઓ ફેલાવા દે. જે બીજાને બચાવવા જાન આપી દે તેવા પરોપકારી નહીં પણ બીજાને બચાવવા માટે જાન લઈ લે તેવા પ્રભાવશાળી હોય. જેમના માટે જીવન ઉદાસી નહીં પણ ઉત્સવ હોય. જેમનામાં યૌવનનો આધુનિક થનગનાટ હોય અને ઊંડાણપૂર્વકના અભ્યાસનો તરવરાટ હોય. જે આઈડિઅલ (આદર્શ) નહીં પણ પ્રેક્ટિકલ (વ્યવહારુ) હોય. જેમની પૂજા ન થાય, જેમને પ્રેમ થાય !
નેચરલી…. પૃથ્વીના પટ પર આવું ચરિત્ર એક જ છે.
યુગદષ્ટા શ્રીકૃષ્ણ !
વધુ આગળ વાંચો »
કવિતા અને કવિ – ઉમાશંકર જોશી
[‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-3માંથી સાભાર.]
પહેલાં કરતાં કવિતાને માટે પ્રચારનાં સાધનો ખૂબ વધ્યાં છે. કવિતા થોડા સમયમાં ઘણાંઓ સુધી પહોંચી શકે એ સંભવિત બન્યું છે. આમાં કેળવણીનો વધતો જતો પ્રચાર, પાઠ્યપુસ્તકો દ્વારા બહોળા વિદ્યાર્થી-સમુદાય સુધી કવિતાનું પહોંચવું, કવિ અને રેડિયો દ્વારા થતી કવિતાની રજૂઆત – આ બધાંએ નોંધપાત્ર ભાગ ભજવ્યો છે. પહેલાંના ઉત્તમ કવિઓની કવિતા પણ આટલી સહેલાઈથી બહોળા વર્ગ સુધી પહોંચી શકે એવું ન હતું. તો એમ માનવું કે કવિતા લોકપ્રિય થઈ ગઈ છે ? શું ખરેખર કવિતા લોકોના જીવનમાં એક મહત્વના અંશરૂપ બની છે ?
સહેજ વિરોધાભાસ જેવું લાગશે, પણ મને તો એમ લાગે છે કે અત્યારના સમયમાં એક પ્રજા તરીકે આપણે ઓછામાં ઓછી કવિતાથી ચલાવીએ છીએ. આપણાં જૂનાં માણસોનું જીવન તપાસીશું તો દેખાશે કે તેમના જીવનમાં કવિતા ઠીક ઠીક મહત્વનો ભાગ ભજવતી. પ્રેમાનંદનાં ‘હૂંડી’, ‘મામેરું’, ‘સુદામાચરિત’ જેવાં આખ્યાનો અનેક વાર એમણે માણ્યાં હોય. અનેક ગરબી-ગરબા, ભજનો, પ્રભાતિયાં, વ્રતકથાઓ, દુહા, કહેવતો, ઉખાણાં – આ આપણાં અભણ ગણાતાં ભાંડુઓને કંઠે હોય.
જ્યારે, એમના પ્રમાણમાં, ભણેલા માણસોને કેટલી ઓછી કાવ્યપંક્તિઓ મોઢે હોય છે ? જૂનાં માણસોની વાણીનું પોત અનેક વાર લોકોક્તિઓ અને રૂઢિપ્રયોગોથી ભાતીગળ અને સોહામણું જોવા મળે છે, જ્યારે આપણા જમાનાનાં માણસો વિશે એવું હિંમતભેર કહી નહિ શકાય. ટૂંકામાં, અભણ ગણાતાં માણસો જીવનમાં કવિતા વિના ચલાવી લેતાં નથી, પણ ભણેલા વર્ગે કવિતા વગર જીવવાની કળા હસ્તગત કરી હોય એવું દેખાય છે. ઉપરાંત, ભણેલાં માણસો એકબાજુ જૂના શિષ્ટ સાહિત્યથી અને લોકસાહિત્યથી દૂર પડી ગયાં છે, તો બીજી બાજુ પોતાના જમાનાની સાચી સર્જક કવિતા કરતાંય વધુ તો કવિતાનો લેબાસ ધારણ કરેલી કૃતિઓનો એમને જ્યાં ને ત્યાં ભેટો થતો હોય છે. વારંવાર કાને અથડાતાં સિનેમાગીતો અને એને મળતી રચનાઓનો જેની રુચિ ઉપર પ્રભાવ પડતો હોય, અને છાપાં જેની ભાષા ઉપર છાપ પાડતાં હોય, તેવા વર્ગ સામે કવિતા કરવાની હોય ત્યારે કવિને માટે પણ કવિતાની ખોજ વધુ કપરી બને છે. કવિતા માટે ઉપરથી અનુકૂળ લાગતી, પણ વસ્તુતઃ એવી ન હોય એ જાતની પરિસ્થિતિમાં સમકાલીન કવિતા રચાઈ છે.
વધુ આગળ વાંચો »
વાચનની વૈજ્ઞાનિક કલા – સં. પ્રા બહેચરભાઈ એમ. પટેલ
[માણસના આંતરિક વિકાસમાં વાચન બહુ મોટો ભાગ ભજવે છે. આજે જ્યારે વાચન ફક્ત અભ્યાસના પુસ્તકો કે મનોરંજનના સાધન તરીકે સીમિત થઈ ગયું છે ત્યારે વાચનના વિજ્ઞાનને સમજવું જરૂરી છે. વાચન ‘મોહનદાસ’માંથી ‘મહાત્મા’ નિર્માણ કરી શકે છે. અહીં પુસ્તકોને ધ્યાનમાં રાખીને વાચન વિશે જે વાત કહેવામાં આવી છે તે સામાયિકો, પત્રિકાઓથી લઈને આજના વેબસાઈટ જેવા માધ્યમોને પણ એટલી જ લાગુ પડે છે. આશા છે કે આ પ્રકારના લેખો વાચકોને વધારે ધ્યાનપૂર્વક વાચન કરવા માટે ઉપયોગી થઈ રહેશે.... આ પુસ્તકના સંપાદક શ્રી બહેચરભાઈ અમદાવાદના વતની છે. તેમણે મુંબઈમાંથી એમ.એ. એલ.એલ.બી કરેલ છે તેમજ અમેરિકાથી અર્થશાસ્ત્રમાં એમ.એ કર્યું છે. અમેરિકાના તત્કાલીન પ્રમુખ જ્હોન ઍફ. કેનેડીના આર્થિક સલાહકાર ડૉ. જ્હોન પી. લુઈસના ‘સ્પેશિયલ રિસર્ચ આસિસ્ટન્ટ’ તરીકે તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. આજીવન તેમણે અનેક યુનિવર્સિટીઓમાં અધ્યાપન, શિક્ષણ કાર્ય કર્યું છે. ઘણી યુનિવર્સિટીઓમાં તેઓએ ડીન કે સલાહકારના પદે સેવાઓ આપી છે. ‘વાચનની કલા’ વિશે તેમણે ઘણા પુસ્તકો લખ્યાં છે. આપ તેમનો આ નંબર પર +91 79 25327142 સંપર્ક કરી શકો છો. – તંત્રી.]
[1] ઉત્તમ ગ્રંથનું વાચન – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
‘સરસ્વતીચંદ્ર’માં ગોવર્ધનરામે એક સરસ પ્રસંગ નિરૂપ્યો છે. સુવર્ણપુરમાં અતિથિ થઈને આવેલો સરસ્વતીચંદ્ર રાજરાજેશ્વર મહાદેવના મંદિરના પાછળના વાડામાં તળાવના કિનારે ઓટલા પર સૂતો છે અને છાતી પર પુસ્તક છે. આ દશ્ય વનલીલાની નજરે પડ્યું. કુમુદસુંદરીને એ કહે છે : ‘એક કૌતુક જોવું હોય તો, આ ઓટલા પર કોક સૂતું છે ને વળી ચોપડી વાંચતાં વાંચતાં સૂતું હશે ને ઊંઘ આવી હશે, તે ચોપડી છાતી પર પડી ગઈ છે. લોકોય શું કરે છે ! તળાવ પરે ચોપડી !’ વનલીલાએ સરસ્વતીચંદ્રને ઊઠાડ્યો ને એને જોતાં કુમુદસુંદરીને શંકા વધુ દઢ થઈ. પુસ્તકનું નામ હતું : ‘ધ પંડિત-કાશીવિદ્યા-સુધાનિધિ’. આવું પુસ્તક વાંચવાની બૌદ્ધિક તાકાત તો સરસ્વતીચંદ્રમાં જ હોય ને ? પુસ્તકે વાંચનારની બૌદ્ધિક કક્ષાની, તેની અભિરુચિની અને તેના ચારિત્ર્યની ઓળખ આપી દીધી અને એ ઓળખ ખોટી નહોતી.
એક જર્મન ફિલસૂફે કહ્યું છે કે, કોઈ વ્યક્તિ કયા પુસ્તકો વાંચે છે એ જોવા માટે મને એના વાચનટેબલ પર લઈ જાઓ અને એ વ્યક્તિને જોયા વિના જ હું એના વ્યક્તિત્વ વિશે ઘણુંબધું જાણી શકીશ. વાત ખોટી નથી. વ્યક્તિની અભિરુચિ, એના રસના વિષયો, એની બૌદ્ધિક સજ્જતા વગેરે વિશે એ કયું પુસ્તક વાંચે છે તેના પરથી આપણે ઘણું જાણી શકીએ. ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરતાં આપણે ઘણાં માણસોને કોઈ પુસ્તક કે કોઈ સામાયિક વાંચતાં જોઈએ છીએ. કોઈ વ્યક્તિ હલકી કક્ષાનું સામાયિક કે પુસ્તક વાંચતી હોય તો એની બૌદ્ધિક કક્ષાનું તળિયું તરત દેખાઈ જાય છે. એ વ્યક્તિએ ગમે તેવાં ભભકદાર વસ્ત્રો પહેર્યાં હોય તોપણ એ એના વ્યક્તિત્વની છીછરાશને ઢાંકી શકતાં નથી. બહારથી ભભકદાર દેખાતી વ્યક્તિઓ એમના આંતરજીવનમાં કેટલીક તો છીછરી હોય તેનો ખ્યાલ એમના વાચન પરથી આવી જાય છે. કદાચ તેથી જ પુસ્તક-પસંદગી વ્યક્તિના આંતરજીવનની પારાશીશી કહી હશે.
વધુ આગળ વાંચો »
સાધના વિના સિદ્ધિનો અધિકાર ન હોય – ડૉ. ઊર્મિલા શાહ
[‘જનકલ્યાણ’માંથી સાભાર.]
‘અરે ! આવ આવ આદિત્ય ! શું રિઝલ્ટ આવ્યું ? ઉષાબેન, કેમ આદિત્ય આમ ઢીલો લાગે છે ? તબિયત સારી નથી કે શું ? કેટલા માર્કસ આવ્યા ? બોલ તો ખરો.’
‘બેન બાણું ટકા….’
‘ત્હોય તમને સંતોષ ન થયો ઉષાબેન ? દીકરો આટલા સારા માર્કસ લાવ્યો હોય તો તો માનો હરખ સમાતો ન હોય તેને બદલે તમે મા અને દીકરો બંને જાણે થાકેલાં થાકેલાં ને નિરૂત્સાહી કેમ લાગો છો ? શું થયું એ તો કહો ? પંચાણું ટકા ધાર્યા હતા ને બાણું આવ્યા ? બધું તો ધાર્યું ક્યાંથી પાર પડે ? આટલા સારા માર્કસ આવ્યાં ત્હોય તમારું મ્હોં ઉમંગભર્યું ને હસતું ન હોય એ કેમ ચાલે ! ના ના આવું ન ચાલે… ઉષાબેન…. છોકરાઓને સફળતાનોય આનંદ તો માણવા દેવો પડે ને ! આપણે માબાપોએ તેમાં સામેલ થવું પડે… પણ આપણા માબાપોનીય મહાત્વાકાંક્ષાને ક્યાં મર્યાદા હોય છે ! છોકરાંઓને તો બિચારાને હંફાવી દઈએ છીએ….’
‘બેન ! એવું કંઈ નથી. આદિત્યને બાણું ટકા માર્કસ આવ્યાં એનો અમને બધાંને ખૂબ આનંદ અને સંતોષ થયો છે પણ વાત એવી બની કે ગઈકાલે રાતે એના ટ્યુશનવાળા સાહેબનો ફોન આવ્યો : ‘આદિત્ય, તારા નેવ્યાશી ટકા માર્કસ છે. કોન્ગ્રેચ્યુલેશન્સ.’ અને આદિત્યને ખૂબ ઘેરો આઘાત લાગ્યો. બેન, એ નાનો હતો ત્યારથી એને એક્કેય પરીક્ષામાં નેવું ટકાની નીચે તો માર્કસ આવ્યાં જ નથી અને એસ.એસ.સી.નાય પેપર્સ એવા તો ખરાબ ગયાં જ નહોતાં કે નેવુંની નીચે ટકાવારી જાય એટલે એના ટ્યુશનના સાહેબના આ સંદેશાથી એને એવો તો આઘાત લાગ્યો…. અરે ! સાંજે જમ્યો નહીં…. જઈને રૂમમાં ભરાઈ ગયો…. મને ને એના પપ્પાને તો એવી બીક લાગી કે આ છોકરો આ શોકમાં કંઈ ન કરવાનું તો કરી નહીં બેસે ને ? રડે રડે…. કંઈ રડે… કેમેય કરીને શાંત જ ન રહે…
વધુ આગળ વાંચો »
મહાભારતની ઉપકથાઓ – યશવન્ત મહેતા
[કહેવાય છે કે આખા જગતમાં જે બધું જ છે તે મહાભારતમાં પણ છે. તેમાં અનેક રત્નો ભર્યાં પડ્યા છે. મૂળ કથાની સાથે ઘણીબધી ઉપકથાઓ વણાયેલી છે. પરંતુ આ કથાઓને તર્કબુદ્ધિથી ન જોતાં એના સારતત્વને ગ્રહણ કરવામાં આવે તો તે કોઈ પણ દેશ-કાળમાં ઉપયોગી બની શકે છે. કથાના રસને જાળવી રાખવા માટે આ ઉપકથાઓમાં કેટલીક આશ્ચર્યજનક અને વિસ્મયપ્રેરક બાબતો ગૂંથી લેવામાં આવી છે. મહાભારતકારની એ વાર્તાશૈલી છે. પરંતુ એ બધું જ વર્ણન માનવીને વિવિધ સંસ્કૃતિનું દર્શન કરાવતાં કરવતાં ઉચ્ચ માનવીય મૂલ્યો તરફ લઈ જવા માટે છે. કિશોરો-યુવાનો માટે આવી ઘણી બધી ઉપકથાઓના પુસ્તક ‘મહાભારતની ઉપકથાઓ’માંથી આજે આદિપર્વની બે ઉપકથાઓ માણીએ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]
[1] તપતી
[આપણે એમ માનીએ છીએ કે સારા વરની પ્રાપ્તિ માટે સ્ત્રીઓ વ્રત અને ઉપવાસ કરે છે. મહાભારતમાં અનેક કથાઓ એવી છે જેમાં સારી પત્ની પ્રાપ્ત કરવા માટે પતિએ ઉપવાસ અને તપ કર્યાં હોય. આ કથા તે પૈકીની એક છે.]
પાંડવો અને કૌરવોનું એક વિશેષણ ‘તાપત્ય’ હતું. એક વાર એક ગંધર્વે અર્જુનને ‘તાપત્ય’ તરીકે સંબોધન કર્યું, એથી અર્જુને પૂછ્યું કે તમે મને ‘તાપત્ય’ કેમ કહ્યો ? એટલે ગંધર્વે કહ્યું કે તમારો વંશ ‘તપતી’ નામની સુંદર સૂર્યપુત્રીથી આરંભાયો છે, માટે મેં ‘તાપત્ય’ કહ્યો. ગંધર્વે આમ કહ્યું એટલે અર્જુને કુતૂહલથી પૂછ્યું કે તપતીની વાત મને જણાવો. એને ગંધર્વે તપતી-આખ્યાન વિગતે કહ્યું.
સૂર્યને એક પુત્રી હતી સાવિત્રી. પછી બીજી પુત્રી થઈ એનું નામ તપતી રાખ્યું. તપતીની રૂચિ નાનપણથી જ તપ તરફ હતી. ભારે તપ અને નિયમસર જીવનને કારણે આ કન્યા અત્યન્ત રૂપવતી અને કમનીય બની હતી. એક તો સૂર્યપુત્રી અને એ વળી તપસ્વી. એથી એનું તેજ એકદમ અનોખું હતું. આ કન્યા ઉંમરલાયક થઈ એટલે સૂર્યને ચિંતા થઈ કે આટલી તેજસ્વી કન્યાને માટે વર મને ક્યાં મળશે ? રૂપ, ગુણ, શીલ અને વિદ્યામાં તપતીની તોલે આવે એવો કોઈ પુરુષ ત્રણે લોકમાં દેખાતો નહોતો. સૂર્ય ચિંતાતુર હતો.
વધુ આગળ વાંચો »
વાતોનું વર્તુળ – સંકલિત
[1] શામળો – મદનકુમાર અંજારીયા ‘ખ્વાબ’
શેઠના ભવ્ય દીવાનખંડમાં સાફસુફી કરતો દશેક વર્ષનો નોકર શામળો અચાનક થંભી ગયો ! નવા કેલેન્ડરને એ મુગ્ધ નજરે જોઈ રહ્યો. દીવાલ પર શોભતા એ રંગીન કેલેન્ડર પરનું ચિત્ર શામળાની આંખોમાં ઝીલાતું હતું – મટકીને ભોંય પર પટકીને માખણ ખાતા કાનુડાનું મનોહર ચિત્ર !
શામળાના મોંમા પાણી આવી ગયાં. ચિત્રમાનું માખણ જોઈને એનું ભૂખ્યું પેટ હાંફવા લાગ્યું ! ભુખથી વ્યગ્ર શામળાએ બાળસહજ વૃત્તિથી એ ચિત્રમાંના માખણની જગ્યાએ જીભને ચાટી ! ….અને એ જ ક્ષણે ત્યાં આવી ચડેલા શેઠની સણસણતી થપ્પડ ઝીંકાઈ શામળાના ગાલ પર : ‘સાલ્લા ! ભગવાનની તસવીરને ગંદી કરે છે ? બદમાશ !’ શેઠ તાડૂક્યા.
અને શામળો રોતો-રોતો બહાર ચાલ્યો ગયો…
દીવાનખંડમાંથી કે પેલાં કેલેન્ડરમાંથી ?!
[2] માટીની મોટપનો મહિમા – સુરેશ દલાલ
વર્ષો પહેલાં મુંબઈમાં મોટે ભાગે નાટક અને સિનેમા – માત્ર આ બે મનોરંજનનાં સાધનો હતાં. જ્યારે હું નાનો હતો ત્યારે કોઈ અવેતન રંગભૂમિ હતી નહીં, પણ જૂની રંગભૂમિની બોલબાલા હતી. કાલબાદેવી પર ભાંગવાડીમાં દેશી નાટક સમાજનું એક વિશિષ્ટ સ્થાન હતું. દેશી નાટક સમાજ એટલે પ્રભુલાલ દ્વિવેદી, માસ્ટર કાસમભાઈ, મોતીબાઈ અને કંપનીનાં માલિક ઉત્તમલક્ષ્મીબહેન. કોણ જાણે કેમ પણ મને નાટકો જોવાં ગમતાં. નાટકોના સંવાદ અને ગીતો યાદ રહી જતાં. એ નાટકોને આજે યાદ કરીએ તો એમાં બોધતત્વ લાગે, પણ એ નાટકો કરોડરજ્જુ વિનાનાં નહોતાં. એમાં વિષયવસ્તુ તો હોય જ. પ્રહસન વિભાગ પણ હોય અને એ વિભાગમાં છગન રોમિયોના સિક્કા પડતા. ‘સંપત્તિ માટે’ નાટકનું એક દશ્ય હજી યાદ છે.
વધુ આગળ વાંચો »
પંચામૃત – દેવેન્દ્ર એલ. ત્રિવેદી
[‘પંચામૃત’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] ફૂલઝાડ – ફાધર વાલેસ
શિષ્યે ગુરુજીને પૂછ્યું : ‘અત્યારે કલિયુગ ચાલે છે તો જલદી સતયુગ ફરી આવે એ માટે આપણે શું કરી શકીએ ?’ ગુરુજીએ સામેથી પૂછ્યું : ‘તારે આશ્રમનાં ફૂલઝાડને રોજ પાણી પાવાનું છે એ આજે પાયું ?’
શિષ્યે કહ્યું : ‘હા, ગુરુજી.’
બીજા દિવસે શિષ્યે ગુરુજીને પૂછ્યું : ‘દુનિયામાં ઘણા લોકો ભૂખ્યા રહે છે, ઘર વગર જીવે છે, નોકરી વગર રખડે છે તો સૌનું કલ્યાણ કરવા માટે આપણે શું કરી શકીએ ?’ ગુરુજીએ પ્રતિપ્રશ્ન કર્યો : ‘તારે ફૂલઝાડને પાણી પાવાનું છે એ પાયું ?’
શિષ્યે જવાબ આપ્યો : ‘હા ગુરુજી.’
ત્રીજે દિવસે શિષ્ય ભાર દઈને ગુરુજીને આગ્રહ કરવા લાગ્યો : ‘દુનિયામાં હિંસા છે, યુદ્ધો છે, વધારે ને વધારે શસ્ત્રો બનાવાય છે, વધારે ને વધારે વૈમનસ્ય થાય છે. તો પૃથ્વી ઉપર ફરીથી શાંતિ સ્થાપવા માટે આપણે શું કરી શકીએ ?’
ગુરુજીએ પૂછ્યું : ‘ફૂલઝાડને પાણી પાયું ?’
શિષ્યે કહ્યું : ‘હા, ગુરુજી…’
પછી ગુરુજીએ વાત સમજાવી.
‘દુનિયામાં દુઃખ છે અને હિંસા છે અને કળિયુગ છે એ હકીકત છે. અને એ દુઃખ મટાડવું એ આપણી સૌથી પહેલી ફરજ છે. દરેક માણસ પોતાના હાથમાં છે એ કરે. પોતાનું કામ છે એ એનાથી સારામાં સારી રીતે કરે. તારું કામ અત્યારે આશ્રમનાં ફૂલઝાડને પાણી પાવાનું છે. એ તમે યોગ્ય રીતે, યોગ્ય સમયે, પૂરતું પાણી લઈને, પાણીનો બગાડ કર્યા વગર જો કરો તો એમાં તમારું કામ થયું એ એક વાત, અને તમને જાણનાર સૌને બોધ મળ્યો કે દરેકે પોતાનું – પોતપોતાનું કામ ઉત્તમ રીતે કરે એ બીજી વાત. દુનિયામાં જો બધા માણસો પોતપોતાનું કામ ઉત્તમ રીતે કરતા થાય તો આપોઆપ સત્યયુગ આવી જાય. અને બીજો મુદ્દો : તારાં એ ફૂલઝાડ કેવી રીતે ઊગે છે ? પોતાની રીતે ઊગે છે. પોતાની ગતિએ ઊગે છે. પોતાની મોસમે પાંગરે છે. તું એના કૂમળા છોડ પકડીને ખેંચીશ એથી એ જલદી ઊગવાના નથી. ઊલટું, તે કરમાઈ જશે.
વધુ આગળ વાંચો »
ઝરૂખો – વિકાસ નાયક
[ ‘ઈન્ટરનેટ કૉર્નર’ શ્રેણીના ‘મહેક’, ‘કરંડિયો’, ‘કથા કોર્નર’, ‘આભૂષણ’ જેવા પુસ્તકો આપનાર યુવા સર્જક શ્રી વિકાસભાઈ નાયકનું તાજેતરમાં પ્રકાશિત થયેલું આ પુસ્તક છે ‘ઝરૂખો.’ ‘ઈન્ટરનેટ’ના ખજાનામાંથી ગૂંથેલી રસપ્રદ લેખમણકાની માળા જેવું આ પુસ્તક જીવનમાં હકારાત્મક દષ્ટિકોણ કેળવવાનું શીખવી જાય છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. વિકાસભાઈનો આપ આ નંબર પર +91 9870017704 અથવા આ સરનામે vikas.nayak@gmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] એક પ્રેમકથા
બસમાં બેઠેલ દરેક પ્રવાસીએ સહાનુભૂતિપૂર્વક લાકડીના સહારે સભાનતાપૂર્વક દાદરા ચઢી બસમાં પ્રવેશેલી સુંદર યુવતી તરફ જોયું. તેણે ડ્રાઈવરને ટિકિટના પૈસા ચૂકવ્યા અને ત્યાર બાદ તેના બતાવ્યા પ્રમાણેની ખાલી સીટ તરફ પોતાના હાથ હવામાં ફેરવતાં ફેરવતાં એ સીટ પર બેસી ગઈ. પોતાની સાથેનો સામાન તેણે પોતાના ખોળામાં ગોઠવ્યો અને લાકડીને પોતાના પગની બાજુમાં ગોઠવી દીધી. સુઝાને દષ્ટિ ગુમાવ્યાને લગભગ એકાદ વર્ષ થઈ ગયું હતું.
આંખની કોઈક ક્ષતિ નિવારતી વખતે ડૉક્ટર્સની બેદરકારીને કારણે સુઝાને દષ્ટિ ગુમાવી હતી અને અચાનક તે અંધારા, ગુસ્સા, નિરાશા અને લાચારીની એક ગર્તામાં ધકેલાઈ ગઈ હતી. તે રોષપૂર્વક બબડતી, ‘મારી સાથે આવું કઈ રીતે બની શકે ?’ પણ તે એ પીડાદાયક સત્ય જાણતી હતી કે ભલે તે ગમે તેટલું રડે, કકળે કે પ્રાર્થના કરે, પણ તેની દષ્ટિ ક્યારેય પાછી ફરવાની નથી. એક સમયે ખૂબ ઉત્સાહી અને હકારાત્મક અભિગમ ધરાવતી સુઝાન નિરાશાનાં વાદળથી ઘેરાઈ ગઈ હતી. તેનો એક માત્ર સહારો હતો તેનો પતિ માર્ક, જેને તે સતત વીંટળાઈ રહેતી. માર્ક એક હવાઈ દળનો ઑફિસર હતો અને તે હૃદયના ઊંડાણથી સુઝાનને ચાહતો હતો. જ્યારે સુઝાને દષ્ટિ ગુમાવી ત્યારે માર્કે તેને હતાશાની ઊંડી ખીણમાં સરી પડતી જોઈ હતી અને તરત નક્કી કર્યું હતું કે તે પોતાની પત્નીને ફરી પાછી તેના પોતાના પગ પર ઊભી રહી શકે એટલો આત્મવિશ્વાસ તેના વ્યક્તિત્વમાં ઊભો કરશે.
વધુ આગળ વાંચો »

સાહિત્યકાર : 



