જીવન જીવવાની કલા – જ્યોતિ થાનકી
[‘જીવન જીવવાની કલા’ પુસ્તકમાંથી સાભાર.]
પૃથ્વી ઉપર માણસને મળેલું જીવન અમૂલ્ય છે. આ જીવન અનંત શક્યતાઓથી ભરેલું છે. સૌંદર્ય, આનંદ અને ઉલ્લાસથી તે સભર છે. જીવનની દરેક પળ મૂલ્યવાન છે. જો માણસને તેનો ઉપયોગ કરતાં આવડે તો તે દરેક ક્ષણ તેને આગળ ને આગળ લઈ જનારી છે. માણસને જીવન જીવતાં આવડે તો સ્વર્ગ શોધવા પૃથ્વીની બહાર જવું પડે તેમ નથી. આ જીવનમાં જ સ્વર્ગ રહેલું છે, અને જો જીવતાં ન આવડે તો નર્ક પણ આ જીવનમાં જ છે. એ તો સ્વાભાવિક છે કે કોઈ પણ માણસ પોતાના જીવનને નર્ક બનાવવા ઈચ્છે નહીં; પરંતુ જીવન કેવી રીતે જીવવું એનું એને જ્ઞાન નથી મળ્યું અને પરિણામે તેની અનિચ્છાએ તેના જીવનનું વહેણ કળણ ને કાદવ પ્રત્યે વહેતું થઈ જાય છે. પછી જ્યારે તેને સમજ મળે છે, સાચું જ્ઞાન મળે છે, ત્યારે તો ઘણું મોડું થઈ ગયું હોય છે અને જીવનની બાજી તેના હાથમાંથી સરી ગઈ હોય છે. આ સંદર્ભમાં શ્રી માતાજી કહે છે : ‘સાચી રીતે જિંદગી જીવવી એ ઘણી જ કઠિન કલા છે. અને જો માણસ સાવ નાનો હોય ત્યારથી જ શીખવાની શરૂઆત ન કરે, પ્રયત્ન ન કરે તો તે સાચી રીતે જાણી શકે નહીં – ફક્ત પોતાના શરીરને તંદુરસ્ત રાખવાની કળા, પોતાનું મન શાંત રાખવું અને હૃદયમાં શુદ્ધ ભાવ રાખવો, આ વસ્તુઓ જ સરળ રીતે જીવવા માટે અનિવાર્ય છે. હું સુખસગવડમાં કેમ રહેવું એ નથી કહેતી. અદ્દભુત રીતે કેમ રહેવું એમ પણ નહીં. હું તો ફક્ત શિષ્ટ રીતે કેમ જીવવું તે કહું છું.’
બાળકો નાનાં હોય છે, ત્યારે તેમને ઘણી બધી બાબતો શીખવવામાં આવે છે. કેમ બેસવું, કેવી રીતે ચાલવું, કેવી રીતે બોલવું, કેવી રીતે કપડાં પહેરવાં વગેરે વગેરે શીખવવામાં આવે છે; પરંતુ કેવી રીતે એકાગ્રતા કરવી, કેવી રીતે પોતાના વિચારોનું નિરીક્ષણ કરવું, કેવી રીતે પોતાની ઈચ્છાઓ પર કાબૂ મેળવવો, કેવી રીતે સારી રીતે ઊંઘવું વગેરે બાબતો વિષે તેમને કંઈ જ શીખવવામાં આવતું નથી. પરિણામે બાળકો મોટાં થાય ત્યારે જો તેમને બાહ્ય રીતભાતનું કે શિષ્ટાચારનું શિક્ષણ આપવામાં આવ્યું હોય તો તેમનું બાહ્ય આચરણ વ્યવસ્થિત બને છે; પણ તેથી કંઈ તેમનું આંતરિક જીવન વ્યવસ્થિત કે સુગ્રથિત બનતું નથી.
વધુ આગળ વાંચો »
જીવનયાત્રા : ગર્ભથી ભૂગર્ભ સુધી….! – હરેશ ધોળકિયા
[‘જનકલ્યાણ’ સામાયિક : ફ્રેબુઆરી-2010માંથી સાભાર.]
આ બ્રહ્માંડમાં સૌથી વધારે રહસ્યમય શું હોઈ શકે ? આમ તો બ્રહ્માંડ પોતે જ રહસ્યમય છે. તેનો કણેકણ રહસ્યમય છે. વળી તે શાશ્વત છે, પણ માનવ-મન અને દષ્ટિ મર્યાદિત છે, તેથી તેને તેણે સમયના ટુકડાઓમાં વહેંચી નાખેલ છે જેને તે ભૂતકાળ અને વર્તમાનકાળ કહે છે. અને આ ભૂત અને વર્તમાન પણ રહસ્યમય જ છે. ભૂતકાળ તરફ નજર જાય, તો ‘આમ કેમ બન્યું હતું ?’ તેનો ખ્યાલ આવતો નથી. તે વખતે એમ લાગ્યું હતું કે તે મારો નિર્ણય હતો, પણ આજે દૂરથી તે ઘટના તરફ નજર જાય, તો લાગે છે કે એ નિર્ણય કેમ લઈ શકાયો તેનો ખ્યાલ તે વખતે નહોતો આવ્યો. બસ ! નિર્ણય લેવાઈ ગયો ! નિર્ણય-ઘટના-પરિણામ બધાં જ તટસ્થતાથી જોતાં રહસ્યમય જ લાગે છે. વર્તમાન પણ એટલો ઝડપથી વહે છે, વીતે છે કે તેને સમજવાનો પ્રયાસ કરાય, તે પહેલાં તો તે ભૂતકાળની પળ બની જાય છે. એટલે તે પણ રહસ્યમય જ રહે છે.
તો બ્રહ્માંડમાંની પૃથ્વી પરનું સમગ્ર અસ્તિત્વ પણ રહસ્યમય જ છે. લાખો કરોડો જીવો કેમ જન્મે છે, શા માટે જન્મે છે, કેમ જીવે છે, એવું જ શા માટે જીવે છે, મૃત્યુ શા માટે પામે છે, મૃત્યુ એટલે શું – આ બધું જાણવાનો પ્રયાસ કરવા છતાં છેવટે તો રહસ્યમય જ રહે છે. માહિતી મળે છે તેની, પણ તેનું તત્વ તો નથી જ જાણી શકાતું. અબજો લોકોને જોઈએ-જાણીએ છીએ, ત્યારે પણ તેમાં આ જ ઘટનાનો અનુભવ થાય છે, રહસ્યનો જ ! અને નજીક આવતાં છેવટે પોતા પર નજર પડે છે. પોતાના ઉદ્દભવથી વર્તમાન સુધી જે રીતે જીવાયું, તેને તારીખવાર ગોઠવીએ, તો નોંધી શકાય છે, પણ તે બનાવો કેમ બન્યા, એવા જ કેમ બન્યા, બીજી રીતે બન્યા હોત તો શું થાત – આ બધા મુદ્દાઓ નથી સમજાતા. તેનાં ભૌતિક કારણો જોવા મળે છે, પણ તેનાં મૂળિયાં નથી મળતાં. ખૂબ વિચાર્યા પછી પણ હાથ તો ખાલી જ રહે છે. ન સમજાયાની અકળામણ રહે છે, તો સમાંતરે રહસ્ય બાબતે જિજ્ઞાસા જીવંત રહે છે.
વધુ આગળ વાંચો »
માનસિક શાંતિના ઉપાયો – સ્વામી શિવાનંદ સરસ્વતી
[ઋષિકેશમાં આવેલ ‘દિવ્ય જીવન સંઘ’ના સ્થાપક-પ્રણેતા તરીકે સ્વામી શિવાનંદ સરસ્વતીને સૌ કોઈ જાણે છે. આદર્શ સામાજિક જીવન અને સ્વસ્થ જીવન વિશેના તેમના વિચારો મનનીય છે. તેમના આ પ્રસ્તુત લેખમાં મનની શાંતિના ઉપાયો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. આજના સમયમાં માનસિક વિકારો અને રોગો સામે ટકવા માટે આ વિચારોનું સતત મનન ખૂબ અગત્યનું બની રહે તેમ છે. આથી, આ લેખ સાથે વિશેષરૂપે તેની PDF file લેખના અંતે આપવામાં આવી છે. આપ તેને ડાઉનલોડ કરીને આપના પરિચિતોને સદવાંચનમાં મદદરૂપ થઈ શકો છો.]
સામાન્ય માન્યતા એવી છે કે માનસિક શાંતિ માટે તંદુરસ્ત શરીર અને આર્થિક સદ્ધરતા અનિવાર્ય છે. પરંતુ હકીકતમાં, આ બંને હોવા છતાં પણ ઘણા મનુષ્યો સતત માનસિક અશાંતિમાં જ જીવતા જણાય છે. તમે આ કક્ષામાં આવો છો ? જો આવતા હો તો અવશ્ય વાંચો. કદાચ તમારી માનસિક અશાંતિનું કારણ તમારું મન જ હોય ! તેથી તમારી અશાંતિ તમે જાતે જ દૂર કરવા શક્તિમાન છો. કેવી રીતે, તે ચાલો આપણે જોઈએ.
[1] તમામ પરિસ્થિતિમાં શાંત રહેજો
તમે કહેશો કે બીજાઓ સમજ્યા વગર તમારું અપમાન કરે છે; કોઈ પણ જાતના કારણ વગર તમારી લાગણીઓ દૂભવે છે. આ સાચું હોય તોયે તમે ગુસ્સે થશો નહીં. પરિસ્થિતિનો શાંતિથી સામનો કરજો. આથી તમને માલૂમ પડશે કે કપરા સંજોગો પર વિજય પ્રાપ્ત કરવાનું પ્રશાંતિ જેટલું શક્તિશાળી બીજું કોઈ સાધન નથી. અપમાનો ધ્યાનમાં લેશો નહીં. બીજાને ધારવું હોય તે ભલે ધારે; તેમને જે ગમે તે ભલે બોલે. આ દુનિયા અજ્ઞાની લોકોથી સભર છે. તમે શાણા થજો, તમે બધા પ્રત્યે નમ્રતા રાખજો; પ્રત્યેક પરિસ્થિતિમાં વિનમ્ર રહેજો. જ્યારે તમે લઘુતાગ્રંથિ તથા ગુરુતાગ્રંથિના ખ્યાલને તિલાંજલિ આપશો અને પ્રત્યેક વ્યક્તિમાં તેમજ પ્રત્યેક વસ્તુમાં તમે ઈશ્વરનાં દર્શન કરવાનું શીખશો ત્યારે જ આ શક્ય બનશે.
[2] ઈશ્વરની ઈચ્છા તે જ મારી ઈચ્છા
નરસિંહ મહેતાના પ્રભાતિયાની નીચેની પંક્તિઓ સદા રટ્યા કરો :
જે ગમે જગતગુરુ દેવ જગદીશને
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો.
આવી જ રીતે વિચારો. અપમાનોની વચ્ચે પણ શાંતિ જાળવો. વ્યગ્ર થશો નહિ. જેમ કડવા ઘૂંટડા ગળતા જશો તેમ વિનમ્રતા અને શુદ્ધતા વધશે અને તમારી આધ્યાત્મિક શક્તિ વધુ સમૃદ્ધ બનશે.
વધુ આગળ વાંચો »
વિજ્ઞાન-અધ્યાત્મ – વિનોબા ભાવે
[વિશેષ નોંધ : પ્રિય વાચકમિત્રો, આમ તો આપ સૌ તમામ લેખો એકાગ્રતાથી જ વાંચતા હશો, આમ છતાં કેટલાક લેખોમાં હું આપની વિશેષ એકાગ્રતા ચાહું છું. આ લેખ તેમાંનો એક છે. ‘આપણે તે વળી ધ્યાન કરવાનો ક્યાં સમય છે ?’ એમ સમજીને કૃપયા આ લેખને એકબાજુ મુકી ન દેશો. ધ્યાનને આપણે ફક્ત અધ્યાત્મિક પ્રક્રિયા તરીકે ગણ્યું છે, જે તેનો ખૂબ સીમિત અર્થ છે. ધ્યાન એટલે આપણે આપણા મનને સ્વસ્થ કરવાની પ્રક્રિયા. એ ખુલ્લી આંખે પણ થઈ શકે છે. અહીં એ અર્થમાં ધ્યાનની વાત કરવામાં આવી છે, જે ખૂબ રસપ્રદ છે. આપણે સૌ સ્વસ્થ જીવનના ચાહક છે અને તેથી મન તેમજ ચિત્તની સ્વસ્થતા અને પ્રસન્નતામાં વધારો કરે એવી બાબતોની આપણી ખોજ સતત રહેવી જોઈએ. આવો, આચાર્ય વિનોબાના શબ્દે આપણે ધ્યાનના અર્થને એક નવા પરિપ્રેક્ષ્યમાં સમજીએ. આ પુસ્તકમાં વિજ્ઞાનનો યર્થાથ ઉપયોગ કરવાની અને અધ્યાત્મને વ્યવહારિક અર્થમાં સમજવાની બાબત પર વિશેષ સમજ આપવામાં આવી છે. પુસ્તક ખરેખર વસાવવા લાયક છે. આ વિચારો આપણા સૌ પરિવારજનો સુધી પહોંચે તે આજના સમયમાં અત્યંત જરૂરી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]
[1] ધ્યાન પ્રક્રિયાની એક રૂપરેખા
ઘણીવાર લોકો મને પૂછે છે કે તમને ધ્યાન કેવી રીતે સધાય છે ? હું કહું છું કે હું આળસું છું એટલા માટે મને ધ્યાન ઝટ સધાય છે. મને થાય છે કે આપણા મનને આપણે ચારેકોર મોકલતા રહીએ છીએ તો તકલીફ થાય છે. એવી તકલીફ શું કામ વહોરી લેવી ? તેથી મારા જેવા આળસુને ધ્યાન સહજ સધાય છે. મનને એકાગ્ર કરવા માટે મારે કાંઈ કરવું નથી પડતું. અનેકાગ્ર કરવા માટે કોશિશ કરવી પડે છે.
મારું કહેવું છે કે આ આળસુપણાની કીંમત જ્યાં સુધી લોકોને નહીં સમજાય, ત્યાં સુધી ધ્યાન સહજ નહીં બને. મનની પાછળ દોડી-દોડીને ખુવાર થતા રહેવાને બદલે મનથી આપણે અલગ છીએ, મન તો આપણું કહ્યાગરું છે, તેની પાસેથી આપણે આપણી મરજી મુજબ કામ લઈ શકીએ છીએ, એ વાતનું ભાન થવું, એ અત્યંત મહત્વનું છે. એક વાર મનથી અલગ થઈ જશો કે ધ્યાન વગેરે સાવ રમત વાત બની જશે. રાગ-દ્વેષ, તીવ્ર ગમા-અણગમા, પૂર્વગ્રહ ને પક્ષપાત, એ બધા મનના ખેલ છે. એટલે મનથી અલગ થવું, એ સાધનાનો આરંભ છે. ત્યારબાદ મનથી ઉપર ઊઠવાનું છે. મનથી અલગ થવું એક વાત છે અને મનથી ઉપર ઊઠવું બીજી વાત છે. હું તો કહીશ કે ધ્યાનની કોશિશ કરવા કરતાંયે મનથી ઉપર ઊઠવું વધારે મહત્વનું છે. મનથી ઉપર ઊઠીશું, ત્યારે પ્રત્યેક વિચાર શાંત બુદ્ધિના સ્તરેથી થશે, અને મન આપણું કહ્યાગરું થઈને વર્તશે.
વધુ આગળ વાંચો »
સત્ય એ જ ઈશ્વર છે – ગાંધીજી
[આજે ગાંધી નિર્વાણ દિન તેમજ શહીદ દિન નિમિત્તે પૂ. મહાત્માના ચરણોમાં વંદન કરીને તેમના ‘સત્ય એ જ ઈશ્વર છે’ પુસ્તકમાંથી કેટલાક પ્રકરણને હૃદયસ્થ કરવાનો પ્રયત્ન કરીએ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] મૌનનો મહિમા
સત્યના શોધકે મૌન રહેવું જોઈએ એવું મને ઘણી વાર લાગ્યું છે. ધારેલાં પરિણામ લાવવાની મૌનની અદ્દભુત શક્તિનો મને પરિચય છે. દક્ષિણ આફ્રિકામાં હું એક ટ્રેપિસ્ટ સાધુઓનો મઠ જોવા ગયો હતો. તેમાંના ઘણાખરા મૌનવ્રતધારી મુનિ હતા. મેં મઠના વડાને આવું વ્રત ધારણ કરનારાઓનો આશય શો છે તે પૂછ્યું અને તેમણે કહ્યું કે તે સ્પષ્ટ છે. ‘આપણે બધા નબળા માનવી જીવો છીએ. ઘણી વાર આપણે શું બોલીએ છીએ તેનું આપણને ભાન હોતું નથી. આપણે કાયમ બોલ બોલ કર્યા કરીએ તો આપણા અંત:કરણમાંથી ઊઠતો શાંત ઝીણો અવાજ આપણે કાને નહીં પડે.’ એ કીમતી પાઠનો મર્મ હું સમજ્યો. મૌનના રહસ્યનો મને પરિચય છે.
અનુભવે મને એ પણ બતાવ્યું છે કે સત્યના પૂજારીએ મૌનનું સેવન કરવું ઘટે છે. જાણ્યેઅજાણ્યે પણ મનુષ્ય ઘણી વેળા અતિશયોક્તિ કરે છે અથવા જે કહેવા યોગ્ય હોય તે છુપાવે કે જુદી રીતે કહે છે. આવાં સંકટોમાંથી બચવાને ખાતર પણ અલ્પભાષી થવું આવશ્યક છે. થોડું બોલનાર વગર વિચાર્યે નહીં બોલે; પોતાના દરેક શબ્દને તોળશે. ઘણી વેળા માણસ બોલવાને અધીરો બને છે. ‘મારે પણ બોલવું છે’ એવી ચિઠ્ઠી ક્યા પ્રમુખને નહીં મળી હોય ? પછી તેને વખત આપવામાં આવ્યો હોય તે તેને સારુ પૂરતો નથી થતો. વધારે બોલવા દેવાની માગણી કરે છે, ને છેવટે રજા વિના પણ બોલ્યા કરે છે ! આ બધાના બોલવાથી જગતને લાભ થયેલો ભાગ્યે જ જોવામાં આવે છે. તેટલા વખતનો ક્ષય થયેલો તો સ્પષ્ટ જોઈ શકાય છે.
વધુ આગળ વાંચો »
શક્તિ અને શાતાનો સ્ત્રોત – પુરુષોત્તમ ગણેશ માવળંકર
[‘પ્રાર્થના’ વિષય પર વિવિધ સાહિત્યકારોની કલમે લખાયેલા લેખોના સંપાદિત પુસ્તક ‘પ્રાર્થનાની પળોમાં’થી સાભાર. આ પુસ્તકનું સંપાદન ડૉ. કાન્તિ રામીએ કર્યું છે. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
પ્રભુ આગળ કરેલ અરજ, એનું નામ પ્રાર્થના ! કશી ગરજને કારણે કરેલી માગણી નહીં, પણ સહજ ભાવે ભગવાન સમક્ષ રજૂ થયેલી ભાવાંજલિ એ સાચી પ્રાર્થના ! પ્રાર્થના કરવાનો હક મનુષ્યમાત્રને છે; એ ફળે કે ન ફળે તે વાત જુદી છે. ખરેખર તો પ્રાર્થનાનું ધ્યેય ફલપ્રાપ્તિ છે જ નહીં ! પ્રાર્થનામાં અંતરની અભિવ્યક્તિ હોય છે. પ્રભુમાં ન માનનાર વ્યક્તિ પણ પ્રાર્થના કરવાને અધિકારી છે.
જન્મથી નહીં, જન્મ પહેલાંથી, પ્રભુ-પરાયણતામાં ઊછરવાના સંસ્કાર સદભાગ્યે સાંપડ્યા છે, અને એ લહાવો આજીવન માણતો રહ્યો છું. ઘરમાં અને કુટુંબમાં ધર્મમય વાતાવરણ હંમેશ એવું રહ્યું છે કે પ્રભુની સન્નિધિ સતત છે એવો આછોપાતળો અનુભવ થતો રહ્યો છે. પરમાત્માને મેં જોયા કે જાણ્યા કેવી રીતે હોય ? પરમ દિવ્યના સ્પર્શની આંશિક અનુભૂતિ સુદ્ધાં ક્યાંથી સંભવે ? પણ ઈશ્વરમાં માનવા માટે ઈશ્વરને જોવોજાણવો જ જોઈએ એવી પૂર્વશરતની શી જરૂર ? આખી સૃષ્ટિ અને સમગ્ર જગત પ્રભુની ઈચ્છા અને મરજીથી ચાલે છે; એ વિના પાંદડું પણ હાલી શકતું નથી. માન્યતા, વિચાર, ભાવના, શ્રદ્ધા – એ બધી રીતે હું પ્રભુમાં માનું છું, અને સર્વત્ર પ્રભુનું સામ્રાજ્ય પ્રવર્તે છે તે સ્વીકારવા સાથે એને સમજવાની સદા કોશિશ કરું છું.
છેક નાનપણથી, થોડું થોડું સમજતો થયો ત્યારથી, કાલીઘેલી પ્રાર્થના કરતો રહ્યો છું અને સારી એવી સાંભળતો આવ્યો છું. મારાં પૂજ્ય દાદીમા ગોપિકાબાઈ પરોઢિયે ભગવાનને ભક્તિપૂર્વક ચા પીવડાવે અને હળવા સૂરે ને આરતભાવે એને વીનવે કે ‘ઉન ઉન ચહા, ધ્યા ગોવિંદા, ધ્યા ગોપાળા’ (ગરમ ગરમ ચા લો મારા ગોવિંદ, લો મારા ગોપાળ) અને પછી પોતે ભગવાનની એ ચા પીતાં પહેલાં એક રકાબી મને આપે ! સરસ મજાની મસાલાની ચા, અને તે પણ તાજી અને ગરમ, વધારામાં ખાસ પાછી પ્રભુની પ્રસાદીરૂપે ! ત્યારથી હું ચાનોય ભક્ત બન્યો, અને પ્રભુ-પ્રાર્થનાનું મીઠું ફળ રોજ ચાખતો થયો ! ઘરમાં સવાર-સાંજ ભોજન પહેલાં પ્રાર્થના કરવાનો રિવાજ અમારે ત્યાં પહેલેથી જ રહ્યો છે. પરંપરાગત ચાલી આવતી આ મરાઠી પ્રાર્થનાના બે શ્લોકો શ્રી સમર્થ રામદાસ સ્વામી લિખિત, ખૂબ અર્થસભર છે : ‘(1) ઉપાસના દઢપણે કરતા રહો, બ્રાહ્મણોને અને સંતોને હંમેશ વંદન કરતા રહો; સત્કાર્યો દ્વારા આયુષ્ય વિતાવો, સહુના મુખે મંગલ બોલાવો. (2) જય જય રઘુવીર સમર્થ ! મોંમાં કોળિયો લેતાં શ્રીહરિનું નામ લો, અનાયાસે નામ લેવાથી (અન્નનું) સહેજે હવન થાય છે; જીવન જીવવા માટે અન્ન એ પૂર્ણ બ્રહ્મ છે, એ કોઈ પેટ ભરવાનું કામ નથી પણ યજ્ઞકર્મ છે એમ જાણજો.’
વધુ આગળ વાંચો »
સ્વાસ્થ્ય ભણી દોરી જતી સપ્તપદી – મીરા ભટ્ટ
[‘વિચારવલોણું’માંથી સાભાર.]
મનુનાં સંતાન એટલે તો માનવ ખરાં જ, પરંતુ એ આદ્ય મનુ પણ મનધારી હતો, એટલે ‘મનુ’ કહેવાયો. ‘મન’ એ મનુષ્યનું વિશિષ્ટ અંગ છે, જેના પ્રતાપે તે અનેક વણખેડેલી ક્ષિતિજોને ખેડી શકે છે. ધન એટલે કે ‘સાધન’ કરતાં પણ વિશેષ મહત્વ ‘તન-મન’નું છે, એટલે તન-દુરસ્તી અને મન-દુરસ્તી જીવનમાં પ્રથમ સ્થાન ભોગવે છે. ભારતીય ભાષામાં આ તંદુરસ્તી માટેનો એક સૂચક શબ્દ છે – સ્વાસ્થ્ય, સ્વસ્થતા, આરોગ્યવાન હોવું, નિરામય હોવું એટલે સ્વસ્થ હોવું. ‘સ્વસ્થતા’ એટલે ઘી ઘીના ઠામમાં હોય. દરેકનું પોતપોતાનું આગવું સ્થાન હોય છે, ઊભા રહેવાની બે પગ જેટલી જગ્યા. પોતાનામાં સ્થિત હોવું. તે છે સ્વસ્થતા, સ્વયંધારણા, ક્યાંક કશું જ આમતેમ માથું ન ઊંચકે, આઘુંપાછું ન થાય, સ્વયંમાં સંલીન રહે તે સ્થિતિ છે સ્વસ્થતા.
રવિશંકરદાદા કહેતા – દાળ-શાક સ્વાદિષ્ટ ક્યારે લાગે ? એમાં મીઠું-મરચું-હળદર-ધાણાજીરું, ગોળ વગેરે મસાલા એ રીતે પડે કે કોઈ એક મસાલો પોતાનું માથું ન ઊંચકે. તન-મન પાસે કામ લેવા કુદરતે વિશિષ્ટ શક્તિ આપી છે, પરંતુ પ્રત્યેક શક્તિએ વિવેકના નિયમન અને નિયંત્રણમાં રહેવું જરૂરી છે. શક્તિને આ વિવેકની લગામ લાગે તે છે સ્વસ્થતા. કુદરતે મન પાસે કામ લેવા એમાં ત્રિવિધ શક્તિ મૂકી-સત્વ-રજસ-તમસ આ ત્રિગુણ એ મનનાં અનન્ય સાધન છે. મન ધારે તે કામ એમની પાસે લઈ શકે, પરંતુ એ શક્તિ પોષક-વિધાયક બની રહે તે માટે મનને પણ વિવેકનું અવધારણ જોઈએ.
વધુ આગળ વાંચો »
આંતરિક શાંતિની શોધ – હરીશ થાનકી
[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી હરીશભાઈનો (પોરબંદર) ખૂબ ખૂબ આભાર. તેઓ હાલમાં ઉદઘોષક હોવાની સાથે ‘જયહિન્દ’ અખબારમાં કટાર લેખક તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેમની વાર્તાઓ પ્રચલિત સામાયિકોમાં પ્રકાશિત થતી રહે છે. આપ તેમનો આ નંબર પર +91 9879931212 અથવા આ સરનામે hlthanki63@yahoo.in સંપર્ક કરી શકો છો.]
ૐ દ્યો: શાન્તિરન્તરિક્ષ શાન્તિ; પૃથિવી શાન્તિરાપ: શાન્તિરોષધય શાન્તિ:,
વનસ્પતય: શાન્તિર્વિશ્વે દેવા: શાન્તિર્બ્રહ્મ શાન્તિ:, સર્વ શાન્તિ: શાન્તિરેવ શાન્તિ:
સામા શાન્તિ રે ધિ ||
લગભગ દરેક શુભકાર્યની શરૂઆતમાં આપણે ત્યાં આ શાન્તિ મંત્રનો પાઠ પુરોહિત દ્વારા કરવામાં આવે છે. આ શાન્તિમંત્રમાં આપણી આસપાસની લગભગ તમામ ચીજો જેવી કે, પૃથ્વી, આકાશ, ઔષધ, વનસ્પતિ એ સર્વની શાન્તિને સાંકળી લેવામાં આવી છે. મનુષ્ય જીવનની શાન્તિ માટે આ સહુ સત્તાઓની શાંતિ અપેક્ષિત છે તેવી ધારણા છે. અશાન્તિનાં એક પ્રગાઢ ગાળામાંથી પસાર થયા વગર આંતરિક શાંતિનું મૂલ્ય સમજાય જ નહીં એ એક મોટી કરુણતા છે. સ્વાનુભવ વગર સમજણ આવતી નથી. ઘણી વખત તો તે પછી પણ આવતી નથી. મનુષ્યજીવનની આ પણ એક અદ્દભુત વિડંબણા છે.
વિનોબા ભાવે કહેતાં કે નિરપવાદરૂપે પ્રત્યેક વ્યક્તિ આંતરિક શાંતિ ઈચ્છે છે. પરંતુ તેમાંનાં મોટાભાગનાં લોકોની કાર્યશૈલી અશાંતિ તરફ લઈ જનારી જ હોય છે. આવું કેમ બની શકે ? લાગે છે કે લોકોને શાન્તિ તો જોઈએ છે પરંતુ તે માટે તેઓ કોઈ કિંમત ચુકવવા તૈયાર નથી હોતાં. શાંતિ માટે જે કિંમત ચુકવવી પડે છે, તે તેનાં મૂલ્ય કરતાં ઓછી હશે એ બાબતના સ્વીકાર વગર ભલા કોણ તે ચુકવવા રાજી થશે ? આંતરિક શાંતિનાં ઉદભવ માટે સૌથી આવશ્યક બાબત છે, ક્ષમા કરવાની ભાવના. આપણે જ્યારે કોઈને પણ માફ કરીએ છીએ ત્યારે બહુ જ ઉપર ઉપરથી માફ કરીએ છીએ. માફ કરવાની વાત એકદમ ખરા દિલથી હોવી જોઈએ. વળી, તે એટલી તો સઘન હોવી જોઈએ કે માફ કર્યાની વાત પણ તે જ ક્ષણથી ભૂલાઈ જાય. ખરેખર તો આપણે કોઈને ક્ષમા કરીએ તેમાં તેના ઉપર કરતાં તો વધારે આપણે આપણી જાત ઉપર ઉપકાર કરીએ છીએ. કારણ કે તે વ્યક્તિ સાથેનાં માનસિક યુદ્ધમાં આપણી મોટાભાગની જીવનઊર્જા વેડફાતી હતી તે હવે વેડફાતી બંધ થાય છે અને તે ઊર્જા સંગ્રહિત થાય છે. વળી, મનને શરીર સાથે સીધો જ સંબંધ છે. નકારાત્મક ભાવો શરીરનાં નાજૂક અવયવોને નુકશાન પહોંચાડે છે. ક્ષમાદાનની સાથે સાથે તે ભાવોને પણ વિદાય મળી જતાં શરીરનું સ્વસ્થ થવાનું શરૂ થાય છે. સ્વસ્થ દેહ નિરામય જીવન આપે છે.
વધુ આગળ વાંચો »





