Aug 04
2010

જંગલનું અંધારું – દક્ષા પટેલ

[‘અખંડ આનંદ’ જુલાઈ-2010માંથી સાભાર.]

નાનપણમાં મામાને ઘેર ગામડે રાતે આંગણામાં સૂતા સૂતા અંધારાનો ડર લાગતો ત્યારે મારી બા તારાઓ જોવાનું કહેતી. તો શહેરમાં અચાનક વીજળી ચાલી જતાં અંધારાથી ડરવા લાગતી ત્યારે બા ‘રામ રામ’ બોલવાનું કહેતી. મોટા થયા પછી હું મારા પરિવાર સાથે મધ્યપ્રદેશના કાન્હાના જંગલમાં ગઈ અને જંગલનું અંધારું જોઈ રામનામનું બાષ્પીભવન થઈ ગયું !

જંગલમાં આવેલી નાનકડી હોટલ પર પહોંચ્યાં ત્યારે બપોરનો એક વાગ્યો હતો. હોટલ એટલે નાની આઠ દસ રૂમો, રૂમની બહારની દીવાલો પર વાંસની ચોડેલી પટ્ટીઓ. વરસાદથી કાળી પડી ગયેલી પટ્ટીઓવાળા રૂમ કોઈ બાવાની મઢૂલી જેવા લાગતા’તા. પણ અંદર જોયું તો શહેરના રૂમ જેવી અદ્યતન ઝગારા મારતી લાઈટો, એ.સી., ફ્રીજ, ગીઝર બધું જ. રૂમમાં એક બાજુ દીવાલને બદલે મોટી મોટી પારદર્શક કાચની બે બારીઓ. બારીઓ પર સુંદર મજાના પડદા. તેને અડીને આરામદાયક સોફાસેટ. સોફા પર બેસતાં જ પડદા ખોલી નાંખ્યા કે તરત જ પારદર્શક કાચની પરવા કર્યા વગર બહારનું આખેઆખું લીલું જંગલ આંખો વાટે મનમાં ફરી વળ્યું. અમે ખુશખુશાલ થઈ ગયાં. રૂમમાંથી બહાર આવ્યાં.
વધુ આગળ વાંચો »

Aug 02
2010

કાળાં પાણીના ટાપુઓનો પ્રવાસ – અશ્વિન શાહ

[‘નવનીત સમર્પણ’ ઓગસ્ટ-2010માંથી સાભાર.]

[પ્રવાસની માહિતી]
આંદમાન નિકોબાર વિશે આપણે ત્યાં માહિતી ઓછી જોવા મળે છે. કેટલાકને તો આંદમાન ભારત દેશનો જ ભાગ છે, એની પણ જાણકારી હોતી નથી. કેટલાક મિત્રોએ ‘કાળાંપાણી’નો પ્રવાસ કરવા જાઓ છો, એવી ગમ્મત પણ કરી હતી. આથી જ આ લેખ દ્વારા સામાન્ય જનતા માટે થોડી માહિતી પ્રસ્તુત કરવાનો આશય છે. પ્રવાસનો આરંભ શુક્રવાર, તારીખ 27મી ફેબ્રુઆરીએ સુરતથી શતાબ્દી એક્સપ્રેસ દ્વારા મુંબઈ પ્રસ્થાન સાથે થયો. મુંબઈ 10:00 વાગ્યે પહોંચીને રાત એરપોર્ટ પર થોડી ઊંઘની ઝલપ સાથે પૂરી કરી. ચેન્નઈનું વિમાન સવારે 6:30 વાગ્યે ઊપડ્યું. અમે ચેન્નઈ 8:30 વાગ્યે પહોંચ્યા.

[પ્રથમ દિવસ]
ચેન્નઈ બે કલાક એરપોર્ટ પર રોકાયા બાદ 10:30 વાગ્યે કિંગફિશર વિમાનમાં મુસાફરી શરૂ કરી. 12:30 વાગ્યે પોર્ટબ્લેર પહોંચ્યા. પોર્ટબ્લેરમાં અગાઉથી બુક કરેલા મેગાપોડ રિસોર્ટમાં ગોઠવાયા. પોર્ટબ્લેર નાનું સરસ શહેર લાગ્યું. આ શહેર આંદમાનનું મુખ્ય શહેર છે. મોટા ભાગની વસ્તી અહીં છે. સરકારી કચેરીઓ આવેલી છે. સાંજે 4:30 વાગ્યે પોર્ટબ્લેરના એક માત્ર બીચ corbyn cave પર ગયા. હોટેલથી અર્ધો કલાકનો કારનો રસ્તો છે. આ બીચ નાનો છે અને રળિયામણો નથી. ત્યાંથી પાછા ફરતાં સાંજે cellularના પરિસરમાં આ જેલનો ઈતિહાસ બતાવતો ઓડિયો વિઝ્યુઅલ શો જોયો. પોર્ટબ્લેરમાં સવાર વહેલી પડે છે અને અંધારું પણ પાંચ વાગ્યે થઈ જાય છે.
વધુ આગળ વાંચો »

Jun 07
2010

વડનગર – કનૈયાલાલ ભાઈશંકર દવે

[ગુજરાતના પ્રાચીન વારસાની આબેહૂબ પ્રતિકૃતિ એટલે મહેસાણા જિલ્લાનું વડનગર શહેર. આજની પેઢીના બાળકો આ ભવ્ય ભાતીગળ વારસાથી પરિચિત થાય તે માટે મહેસાણા જિલ્લાના વહીવટી તંત્રે તાજેતરમાં ઈ.સ. 1935માં શ્રી કનૈયાલાલ દવેના હસ્તે લખાયેલ ‘વડનગર’ પુસ્તકનું પુનઃપ્રકાશન હાથ ધર્યું. આ પુસ્તકમાં સરળ શૈલીમાં વડનગરનો ઈતિહાસ, જોવાલાયક સ્થળો, શિલ્પ-સ્થાપત્ય અને વડનગરના જળાશયો-તીર્થો સહિત અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી અજયભાઈ ભાદૂ (કલેકટર, મહેસાણા) તેમજ શ્રી રમેશભાઈ ઠક્કરનો (જિલ્લા પુરવઠા અધિકારી, મહેસાણા) ખૂબ ખૂબ આભાર. આપ શ્રી રમેશભાઈનો આ નંબર પર +91 9879524643 અથવા આ સરનામે dso-meh@gujarat.gov.in સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[અ] ગુજરાતમાં વડનગરનું સ્થાન

ગુજરાતભરમાં વડનગરનું સ્થાન કેવું હતું તેમજ તેની પ્રતિભા કેવી ગણાતી તે જાણવા જેવું છે. વિક્રમની બીજી શતાબ્દીમાં પશ્ચિમ ભારતથી ઓળખાતા ગુજરાતના આનર્ત વિભાગનું મુખ્ય શહેર આનંદપુર કે આનર્તપુર હાલમાં જેને વડનગર કહેવામાં આવે છે તે ગણાતું. આ પ્રમાણે ક્ષત્રિયોના રાજ્યકાળ દરમ્યાન ગુજરાતભરમાં વડનગરનું સ્થાન ઊંચું હતું. વલભી રાજ્યકાળ દરમ્યાન વિદ્યાકળા માટે તે ગુજરાતનું બનારસ(કાશી) ગણાતું. તેમાં રહેતા અનેક વિદ્વાનોએ બહારના દેશોમાં જઈ પોતાની વિદ્યાની સુવાસ ફેલાવી છે અને તેઓની વિદ્યાની કદર કરવા વલભીના જુદા જુદા રાજવીઓએ ત્યાંના વિદ્વાનોને વલભીમાં આમંત્રી અનેક ગામ, ખેતર વગેરે દાનમાં આપ્યાં છે. જેની સાબિતી તેઓના તામ્રપત્રો ઉપરથી મળે છે.

ચીની મુસાફર હ્યુ યેન સંગે તો તે સમયના આ પ્રતાપી નગરની કારકિર્દીથી લોભાઈ આ શહેરની મુલાકાત લઈ તેનું વિગતવાર વર્ણન પોતાની નોંધપોથીમાં કર્યું છે. આથી વિક્રમના સાતમા સૈકા સુધી ગુજરાતના અગ્રગણ્ય નગરોની હરોળમાં વડનગરની ગણના થતી હતી એમ જણાય છે. અણહિલપુર પાટણની સ્થાપના થયા બાદ પણ વડનગર વિદ્વાનોના ધામરૂપ લેખાતું. ત્યાંના અનેક નાગર વિદ્વાનોને ચૌલુક્ય અને વાઘેલા રાજવીઓએ આમંત્રી તેઓની વિદ્યાકળાને સત્કારી હતી. એટલું જ નહિ પણ તેઓને પોતાના રાજપુરોહિતો અને મંત્રીઓ જેવા મોટા હોદ્દા ઉપર નીમ્યા હતા. કુમારપાળના રાજ્ય અમલ દરમ્યાન વડનગર વિદ્યા અને કલાના કેન્દ્રરૂપ સમૃદ્ધિવાન અને ધર્મવાન શહેર ગણાતું. આ સુંદર શહેરનું રક્ષણ કરવા તેમજ તેની ઉજ્જ્વળ કીર્તિને અબાધિત રાખવા ગુર્જરેશ્વર કુમારપાળે આ નગરનો કોટ બંધાવ્યો હતો. જેની સાક્ષી પૂરતો શિલાલેખ આજે પણ અર્જુનબારી (અરજણબારી) દરવાજા ઉપર વડનગરની અને સોલંકી વંશની કીર્તિગાથાઓ ગાઈ રહ્યો છે.
વધુ આગળ વાંચો »

Apr 30
2010

જીવનલીલા – કાકાસાહેબ કાલેલકર

[કાકાસાહેબનું પ્રવાસવર્ણન હંમેશા બેગ તૈયાર કરીને વાંચવું હિતાવહ છે જેથી વાંચીને તરત નીકળી પડાય ! તેમના ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તકથી આપણે સૌ પરિચિત છીએ. તેવું જ તેમનું આ બીજું પુસ્તક છે ‘જીવનલીલા’. પરંતુ આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં ભારતભરનાં અનેક ધોધ, તળાવો, સરોવરો, નદીઓ અને સમુદ્રનું સવિસ્તાર વર્ણન છે. કાકાસાહેબ કહે છે કે મારા ભારતપ્રવાસનાં વર્ણનો સાહિત્યવિલાસ નથી પણ ભારત-ભક્તિનો અને પૂજાનો એક પ્રકાર છે. તાજેતરમાં આ પુસ્તકની નવી આવૃત્તિ પ્રકાશિત થઈ છે. ઉત્તમ પ્રવાસવર્ણનોના રસિકોએ આ પુસ્તક અવશ્ય વસાવવાલાયક છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] નદીનું સરોવર

આપણા દેશમાં સૌંદર્યસ્થાનો એટલાં બધાં વેરાયાં છે કે કોઈ એનો હિસાબ જ રાખતું નથી. જાણે કુદરતે ઉડાઉપણું કર્યું એની માણસ એને સજા કરે છે. જેમ આશ્રમમાં ચોવીસે કલાક ગાંધીબાપુ સાથે રહેવાની અને વાતો કરવાની તક જેમને મળી છે, તે લોકો બાપુજીનું મહત્વ સમજતા મટ્યા છે અને બાપુજીનો ભાવ પણ પૂછતા નથી, તે જ પ્રમાણે આપણા દેશમાં કુદરતી ભવ્યતાનું થયું છે.

અમે માણિકપુરથી ઝાંસી જતા હતા. રસ્તામાં હરપાલપુર અને રોહા વચ્ચે અચાનક એક વિશાળ સુંદર દશ્ય જોયું. આ સરોવર છે કે નદી ? એની પણ ખબર ન પડે. આસપાસનાં ઝાડો એટલાં તો કાંઠાની નજીક આવ્યાં હતાં કે આ નદી ન જ હોઈ શકે એમ અનુમાન નીકળતું. પણ સરોવરની તો ચારે બાજુ ઓછીવત્તી ઊંચી હોવી જોઈએ. અહીં સામી બાજુએ એક ઊંચો પર્વત આસપાસના જંગલને આશીર્વાદ આપતો ઊભો હતો અને પાણીમાં જોનાર લોકોને પોતાનું અવળું દર્શન આપતો હતો. દાઢી રાખીને માથું મૂંડાવનાર મુસલમાનોની પેઠે આ પહાડે પોતાની તળેટીમાં જંગલ ઉગાડીને પોતાના શિખરનું તોલું કર્યું હતું.
વધુ આગળ વાંચો »

Apr 26
2010

નર્મદા પરિક્રમાના અનુભવો – અમૃતલાલ વેગડ

[ શ્રી અમૃતલાલ વેગડ વિદ્વાન સાહિત્યકાર, ચિત્રકાર તેમજ નર્મદા નદીના ખોળે પોતાનું મોટાભાગનું જીવન વ્યતિત કરનાર પ્રકૃતિ પ્રેમી છે. નર્મદા પરિક્રમાનાં એમણે અનેક સુંદર ગુજરાતી અને હિન્દી પુસ્તકો લખ્યાં છે. તેમની મુલાકાત નવનીત-સમર્પણ મેગેઝીનના જાન્યુઆરી-2006ના અંકમાં પ્રસિદ્ધ થઈ હતી જેમાંથી તેમના કેટલાક અનુભવો (અમુક અંશ) અગાઉ રીડગુજરાતી પર પ્રકાશિત થયા હતા, જે અહીં પુન:પ્રકાશિત કરવામાં આવે છે. ]

નર્મદા પરિક્રમા કરવી અને તેના પુસ્તકો તથા સ્કેચ દોરવા – એ બધામાં મને લાગે છે કે પ્રભુની સુવ્યવસ્થિત યોજના હતી. મારો જન્મ જબલપુરમાં. જબલપુર નર્મદાકાંઠે આવેલું છે તેથી બચપણથી જ નર્મદા પ્રત્યે લગાવ પેદા થયો. વળી, મા-બાપ ગુજરાતી એટલે માતૃભાષા ગુજરાતી અને ત્યાંની પ્રાદેશિક ભાષા હિન્દી. એમ બંને ભાષા હું શીખ્યો. મારા પિતા પ્રકૃતિપ્રેમી હતા. તેમને ચાલવાનો શોખ હતો. આ બંને ચીજ મને વારસામાં મળી. આગળ જતાં હું કૉલેજ છોડીને શાંતિનિકેતન ગયો અને ત્યાં મને પ્રકૃતિના સૌંદર્યને જોવાની નવી દ્રષ્ટિ મળી અને આ રીતે સજ્જ થઈ હું જબલપુર પાછો આવ્યો. ઘરગૃહસ્થી અને બાળકોને મોટા કરવામાં અમુક વર્ષો ગયાં પણ બાળકો મોટાં થયાં એટલે હું નર્મદાકાંઠાનાં જુદાં-જુદાં સ્થળોએ જવા લાગ્યો. વેકેશનમાં જાઉં, બાર-પંદર દિવસ માટે જાઉં. એ સમયે અનેક પરિક્રમાવાસીઓને મળવાનું થાય. એમની સાથે વાતો થાય. મનમાં થાય કે મારી સ્કેચબુક લઈને એમની સાથે નીકળી પડું તો કેવું સારું ? એમને જોઈને પરિક્રમા કરવાની ઈચ્છા થતી. પણ એ કાંઈ એટલું સહેલું નહોતું.

આખરે અમુક વર્ષો પછી એવો સંયોગ થયો. મારા ત્રણ વિદ્યાર્થીઓ મારી સાથે ચાલવા તૈયાર થયા. 1977 માં મેં પરિક્રમા શરૂ કરી. આમ તો ઈચ્છા તો ઘણા વખતથી હતી, પણ તે ફળીભૂત થઈ 1977ની દિવાળીની રજાઓમાં. અમે નર્મદાને ઉત્તર કાંઠે જબલપુરથી મંડલા ગયા. બસમાં જાઓ તો આના ત્રણ કલાક લાગે. અમને પંદર દિવસ લાગ્યાં. નર્મદાને કાંઠે કાંઠે, પ્રકૃતિસૌંદર્ય જોતાં જોતાં, સ્કેચ કરતાં કરતાં…. અને મજાની વાત તો એ છે કે ત્યારે લખવાનો કોઈ વિચાર મનમાં ન હતો. યાત્રા તો મેં ચિત્રો માટે કરી હતી. પણ ત્યાંથી આવ્યા બાદ ચિત્રો તો બન્યાં, મેં સ્કેચ કરેલા તેના આધાર પર; પણ યાત્રાવર્ણન પણ લખાઈ ગયું. અને એમ આ સિલસિલો ચાલુ થયો. બીજે વર્ષે અમે મંડલાથી અમરકંટક ચાલ્યા, દિવાળીની રજાઓમાં. મારા ત્રણમાંનો એક જ વિદ્યાર્થી સાથે ચાલ્યો. પણ યાત્ર સરસ થઈ. ત્રીજે વર્ષે અમે અમરકંટક, જ્યાં નર્મદાનો ઉદ્દગમ છે, ત્યાંથી નર્મદાના દક્ષિણકાંઠે ચાલ્યા. આમ ધીરે ધીરે કટલે કટકે કરી અમે સાગરસંગમ સુધી પહોંચ્યા. પછી ઉત્તરકાંઠે ચાલ્યા. 1988માં નારેશ્વર સુધી પહોંચ્યા. પછી 1999થી નારેશ્વરથી જબલપુરની યાત્રા કરી, જે લગભગ 2001 માં પૂરી થઈ.
વધુ આગળ વાંચો »

Apr 09
2010

દુબઈના પ્રવાસે – પ્રવીણ શાહ

[ ડૉ. પ્રવીણભાઈની કલમે આપણે અગાઉ ‘વિસલખાડીના સંસ્મરણો’ માણ્યા હતા. આજે તાજેતરમાં તેમણે કરેલ દુબઈ પ્રવાસને માણીએ. ‘એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ’માંથી નિવૃત્ત થયા બાદ હાલમાં તેઓ ‘સિલ્વરઑક કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી’ (અમદાવાદ)માં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. રીડગુજરાતીને આ સુંદર પ્રવાસવર્ણન મોકલવા માટે પ્રવીણભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +91 9426835948 સંપર્ક કરી શકો છો.]

‘દુબઈ’ એક એવું નામ છે કે જેનાથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. દુનિયાનાં ફરવાલાયક સ્થળોમાં દુબઈનું નામ અગ્રસ્થાને છે. વળી હમણાં જ થોડાક મહિનાઓ પહેલાં, દુબઈમાં દુનિયાનું સૌથી ઊંચું મકાન ‘બુર્જ ખલીફા’ બન્યું છે, એથી તો દુબઈ ખૂબ જ જાણીતું થયું છે. કુઆલાલામપુરના પેટ્રોનાસ ટાવર, શિકાગોનો સીયર્સ ટાવર કે ચીનના તાઈપેઈ બિલ્ડિંગ કરતાં પણ ‘બુર્જ ખલીફા’ વધુ ઊંચું છે. તેની ઉંચાઈ 828 મીટર અને માળની સંખ્યા છે 164. વળી આ મકાનના બાંધકામ વખતે એવી વ્યવસ્થા રાખી છે કે ભવિષ્યમાં દુનિયામાં બીજે ક્યાંય જો કોઈ આનાથી ઊંચું મકાન બાંધે તો દુબઈના આ મકાન પર થોડા વધુ માળ ચણીને ફરીથી તેને દુનિયાના ઊંચામાં ઊંચા બિલ્ડીંગનું બિરુદ અપાવી શકાય. આ બધું જાણ્યા પછી અમારી દુબઈ ફરવા જવાની ઈચ્છા પ્રબળ બની ગઈ. તેથી અમે કુટુંબના છ જણાએ દુબઈ જવાનો પ્રોગ્રામ ઘડી કાઢ્યો. દુબઈમાં રહેવા માટે હોટલો ઘણી મોંઘી છે, એટલે ટૂર ઑપરેટર દ્વારા જ જવાનું વધુ અનુકૂળ રહે. આવા એક પેકેજમાં અમે બુકીંગ કરાવી લીધું.
વધુ આગળ વાંચો »

Mar 26
2010

વાદળોની સફરે – અરુણા પરમાર

[રીડગુજરાતીને આ સુંદર પ્રવાસવર્ણન મોકલવા માટે અરુણાબેનનો (ઈસરો – Indian Space Research Organization , અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે aruna@sac.isro.gov.in સંપર્ક કરી શકો છો.]

નાનપણમાં ભણવામાં આવેલ કે માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી ઊંચુ શિખર છે. ત્યારથી જ મનમાં ઈચ્છા ઊગેલી કે એકવાર એવરેસ્ટ સાથે રૂબરૂ મુલાકાત જરૂરથી કરવી. સમય જતાં આ ઈચ્છાનું મહેચ્છામાં રૂપાંતર થઈ ગયું. હૃદયના એક ખૂણામાં તેણે મજબુત સ્થાન જમાવી દીધું. અંતે જિંદગીનો એક દીર્ઘ સમયખંડ પસાર કર્યા બાદ હમણાં થોડા સમય પહેલાં મારી આ મહેચ્છા ફળીભૂત થઈ. આ પ્રવાસ નક્કી થયો ત્યારથી હું જાણે સાતમા આસમાનમાં વિહરી રહી હતી. મુલાકાત લેવાના સ્થળોની યાદીમાં એવરેસ્ટ સિવાય અન્ય ઘણાં લોભામણાં સ્થાનો પણ સામેલ હતાં, પરંતુ હું તો માત્ર ‘એવરેસ્ટ’ નામથી જ અત્યંત રોમાંચિત હતી. સફરની શરૂઆત થતાંની સાથે જ એ રોમાંચમાં અનેકગણો વધારો થઈ ગયો. ગિરિરાજના આ ઉત્તંગ સામ્રાજ્યમાં પરિભ્રમણ કરતાં મને વાદળો વચ્ચે ફરવાનો એક અનોખો લ્હાવો પ્રાપ્ત થયો.
વધુ આગળ વાંચો »

Feb 21
2010

થોર અભ્યારણ્યની મુલાકાતે – સૃજના કાલે

[નવોદિત યુવા હિન્દીભાષી સર્જક સૃજનાબેન (અમદાવાદ) વ્યવસાયે હાલમાં સોફટવેર એન્જિનિયર તરીકે એક કંપનીમાં ફરજ બજાવી રહ્યાં છે. વાંચન-લેખન અને ચિત્રકામનાં તેઓ શોખીન છે. તાજેતરમાં તેમણે લીધેલી ‘થોર અભ્યારણ્ય’ની મુલાકાતના હિન્દી લેખનો આ અનુવાદ છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે srijanakale@gmail.com સંપર્ક કરી શકો છો. (અનુવાદ : મૃગેશ શાહ).]

DSCN1346

આજની વ્યસ્ત અને દોડધામભરી જિંદગીમાં જો આપણે ખરેખર કશુંક ઈચ્છીએ છીએ તો તે છે મનની શાંતિ, નિરાંત અને આંતરિક પ્રસન્નતા. આ બધી દુર્લભ વસ્તુઓનો એક જ સ્ત્રોત છે અને તે છે – પ્રકૃતિ. પ્રકૃતિની ગોદમાં જ આપણને પરમ શાંતિ પ્રાપ્ત થઈ શકે. પ્રાકૃતિક સૌંદર્યથી પરિપૂર્ણ આપણી નજીકમાં જ આવી એક જગ્યા છે ‘થોર’. કેટલીક સહેલીઓ જોડે મને હમણાં થોડા દિવસ પહેલાં ત્યાં જવાનો અવસર પ્રાપ્ત થયો.

‘થોર’ અમદાવાદ શહેરની ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આશરે 40 કિ.મી.ના અંતરે મહેસાણા જિલ્લામાં આવેલું નાનકડું ગામ છે. એની ગોદમાં વસી છે પ્રકૃતિની એક સુંદર તસ્વીર એટલે કે ‘થોર તળાવ પક્ષી અભ્યારણ્ય.’ 1912માં બનેલું આ તળાવ લગભગ 7 કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલું છે. તેની આસપાસ કાદવથી લથપથ કિનારાઓ અને લીલાં ગાઢ જંગલો ફેલાયેલાં છે. વળી, છીછરું તળાવ હોવાને લીધે પ્રવાસી પંખીઓ માટે આ આદર્શ સ્થળ બન્યું છે. 1988માં ‘વન્યજીવ સંરક્ષણ’ના કાયદા હેઠળ આ સ્થળને ‘અભ્યારણ્ય’નો દરજ્જો આપવામાં આવ્યો છે. પક્ષીપ્રેમી લોકો માટે આ ઉત્તમ સ્થાન છે કારણ કે છીછરા પાણીને લીધે અહીં પુષ્કળ પ્રમાણમાં પક્ષીઓ ભ્રમણ કરતાં નજરે પડે છે અને અભ્યાસુઓને તેમની ગતિવિધિઓનો અભ્યાસ કરવાની તક સાંપડે છે.
વધુ આગળ વાંચો »

Page 1 of 212