રત્નાનો કેસ – હિરલ શાહ
પ્રકાર: સત્ય ઘટના
સાહિત્યકાર : હિરલ શાહ
48 પ્રતિભાવો
[ રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા:2010માં બીજા ક્રમાંકે પુરસ્કૃત થયેલી આ વાર્તા સત્યઘટના પર આધારિત છે. એક જ કુટુંબના અન્ય તેજસ્વી સંતાનો વચ્ચે એક સામાન્ય દીકરી કેવી મનોવ્યથામાંથી પસાર થાય છે તેનું સચોટ દ્રશ્ય અહીં રજૂ થયું છે. આ સમયે માતા-પિતાની ભૂમિકા કેવી હોવી જોઈએ તેનો ખૂબ ઉપયોગી સંદેશ આ વાર્તામાંથી પ્રાપ્ત થાય છે. વાર્તાના સર્જક શ્રીમતી હિરલબેન B.E. કર્યા બાદ સોફટવેર-ટેલિકોમ ક્ષેત્રે લંડનમાં કાર્ય કરી રહ્યાં છે. હાલમાં તેઓ ભારતની મુલાકાતે છે. આ વાર્તા તેમનો પ્રથમ પ્રયાસ છે. રીડગુજરાતી તરફથી હિરલબેનને ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ નંબર પર +91 9376809288 અથવા આ સરનામે hiral.shah.91@gmail.com સંપર્ક કરી શકો છો. ]
રત્ના હજુ સુધી કેમ આવી નહીં ? – જેવો વિચાર મનમાં ઝબક્યો કે તરત જ સુજાતાબહેને નિરાલીને બૂમ પાડી : ‘તારો ફોન લાગ્યો ? જાને બેટા, જરા તપાસ કર ને ! મને તો એની બહુ ચિંતા થાય છે. કોર્ટે શું ચુકાદો આપ્યો હશે ? રત્ના હેમખેમ તો હશે ને ?’
ક્ષણેક અટકીને પૂરી તળતાં સુજાતાબહેન ફરી બોલ્યાં : ‘નિરાલી, એને ખબર છે કે તું આવી ગઈ છે; તોય ઘેર આવતાં એને આટલી બધી વાર કેમ લાગી ? કંઈક અજુગતું તો નહીં બન્યું હોય ને ? જરા જો ને…’
‘અરે મમ્મી, તું શું ચિંતા કરે છે ? એ તો આવી જશે. રત્ના કંઈ નાની થોડી છે ?’ નિરાલી નિશ્ચિંત સ્વરે બોલી. લગ્ન બાદ નિરાલી થોડા દિવસ માટે ઘેર આવી હતી. રસોડામાં સુજાતાબહેનને મદદ કરાવતાં તેણે આગળ કહ્યું, ‘તને યાદ છે મમ્મી ? રત્ના નાની હતી ત્યારે સ્કૂલેથી પાછાં ફરતાં સ્હેજ મોડી પડે કે તરત તું અમને બધાંને દોડાવતી….!’
‘હવે તું બોલબોલ કર્યા કરીશ કે રત્નાની તપાસ કરીશ ? તું ના જતી હોય તો હું જાઉં છું.’ સુજાતાબેનથી રહેવાયું નહીં. સ્કૂટીની ચાવી લેતાં નિરાલી મનોમન બબડી… ‘અવિ સાચું જ કહેતો હતો કે મમ્મી અને રત્ના એકદમ પેલી વાર્તાના ‘મંગુ અને એની મા’ જેવાં છે. લોહીની સગાઈ અમરતકાકીને બધા છોકરાંઓ સાથે હતી પણ….’
‘મારી જ ભૂલ થઈ ગઈ… મેં વળી ક્યાં તને જવાનું કીધું ? હું જ રીક્ષા કરીને….’ સુજાતાબેન એકદમ ભાવુક બની ગયાં.
‘એ મારી પણ બહેન છે મમ્મી…’ નિરાલીએ કહ્યું, ‘હું જાઉં છું. તું રત્નાની વધારે પડતી જ ચિંતા કર્યા કરે છે…’ નિરાલીનાં ગયા પછી સુજાતાબહેન ફરી રસોઈ કરવામાં લાગી ગયા પરંતુ એમના મનમાં હજુ રત્નાના જ વિચારો ચાલ્યાં કરતાં હતાં. નિરાલીના શબ્દોથી સુજાતાબહેનને ભૂતકાળ યાદ આવી ગયો.
વધુ આગળ વાંચો »
છૂપા રુસ્તમ – બકુલ દવે
પ્રકાર: સત્ય ઘટના
સાહિત્યકાર : બકુલ દવે
28 પ્રતિભાવો
[ સંપૂર્ણ સત્યઘટના પર આધારિત આ કૃતિ ‘શબ્દસૃષ્ટિ’ સામાયિક (ઑગસ્ટ-2010)માંથી સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ માટે પરવાનગી આપવા બદલ શ્રી બકુલભાઈનો (સુરેન્દ્રનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 2752 223500 સંપર્ક કરી શકો છો.]
અઠવાડિયામાં એક-બે વાર મારે ધીરુભાઈને મળવાનું અચૂક બનતું. મ્યુનિસિપાલિટી સંચાલિત પુસ્તકાલયમાં ધીરુભાઈ નોકરી કરે. પુસ્તકાલયમાં પ્રવેશતાં જ લાકડાની હચમચી ગયેલી ખુરશી પર બિરાજમાન ધીરુભાઈનાં દર્શન થાય. ઊભા ઓળેલા આછા થઈ ગયેલા વાળ, લાંબા ચહેરા પર ત્રણ-ચાર દિવસની ખીચડી દાઢી, બેસી ગયેલા ગાલ અને અણીશુદ્ધ નાક. જડબાંનાં હાડકાં અને લમણાંની નસો ઊપસી આવેલી. આંખોમાં ગજબની ચમક. વાત કરતાં અકારણ હસતા જાય અને ક્યારેક તાળી દેવા માટે હાથ લંબાવતા રહે. હસે ત્યારે આગળના બે દાંતની અનુપસ્થિતિમાં થયેલી જગ્યા દેખાઈ આવે. પહેરવેશમાં લાંબી બાંયનું સફેદ શર્ટ અને સફેદ લેંઘો. કધોયા પડી ગયેલાં. શર્ટનું એકાદ બટન લગભગ ગાયબ હોય. બાંયનું બટન હોય તો પણ ન બીડે. ખુલ્લી બાંયો લટકતી હોય.
ખુરશી જેમ જ ખખડી ગયેલા ટેબલ પર લાલ પૂંઠાનાં રજિસ્ટર પડ્યાં હોય. ઢાંકણા વગરની સસ્તી બૉલપેનથી ધીરુભાઈ રજિસ્ટરનાં પાનાં પર ગરબડિયા અક્ષરોમાં નોંધ કરે. નાનકડા પુસ્તકાલયમાં ધીરુભાઈ ગ્રંથપાલ અને પટ્ટાવાળા પણ એ પોતે જ. દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી. વન મેન આર્મી. લાયબ્રેરી સાયન્સનો કોર્સ તો એમણે ક્યાંથી કર્યો હોય ? માંડ લખવા-વાંચવા જેટલું ભણેલા. પણ કોઠાસૂઝ ઘણી. પોતાના કામને પૂરા સમર્પિત. નિષ્ઠાવાન. અજાણપણે કર્મયોગ કર્યા કરે. લેખકોના નામના આધારે, કક્કાવારી પ્રમાણે પુસ્તકોની નોંધ રજિસ્ટરમાં વ્યવસ્થિત રાખે. ભરવાડ એનાં ઘેટાંને ઓળખે તેમ એ પણ લગભગ દરેક પુસ્તકને ઓળખે. કોઈ પુસ્તક જડતું ન હોય તો તરત મદદે આવે ને જણાવે, ‘ચૌદ નંબરના કબાટમાં બીજા ખાનામાં જુઓ.’ ….ને પુસ્તક ત્યાંથી મળી જાય.
વધુ આગળ વાંચો »
રામુ – લતા હિરાણી
પ્રકાર: સત્ય ઘટના
સાહિત્યકાર : લતા હિરાણી
23 પ્રતિભાવો
[ ઈ.સ. 1998માં અમદાવાદમાં લાયન્સ કલબ દ્વારા ‘રેનબસેરા’ નામની એક સંસ્થાની રચના કરવામાં આવી હતી. (હવે એ સંસ્થા અસ્તિત્વમાં નથી.) આ સંસ્થામાં રેલ્વે પ્લેટફોર્મ પર રહેતાં ગરીબ, નિરાધાર અને રસ્તે રઝળતાં બાળકોને પ્રેમસમજાવટથી લાવીને રાખવામાં આવ્યાં. તેમને માટે ભોજન, વસ્ત્રો અને દિનચર્યાંના જરૂરી સાધનો ઉપરાંત પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી. ભવિષ્યમાં તેઓ સ્વર્નિભર બની શકે એ માટે વકૃત્વ, સંગીત, લેખન જેવી કલાઓ શીખવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં. આ તમામ શેરીબાળકોનું જીવન વેદનાથી ભરેલું હતું. એમની આપવીતી કાળજુ કંપાવનારી હતી. તેઓ રસ્તે જે મળે એ ખાઈ લેતાં, ફાટેલાં કપડાં પહેરીને મજૂરી કરતાં પડી રહેતાં. કેટલાંય બાળકો ઘરેથી ભાગીને આવેલાં હતાં. જીવનનો આ વિકટ માર્ગ અપનાવવાના તેમની પાસે નિશ્ચિત કારણો હતાં. દરેક બાળકનું જીવન જાણે કે એક-એક નવલકથાનું પ્રકરણ બને તેવું હતું. સાહિત્યકાર લતાબેને તેમની પાસે જઈને આ સંવેદનાઓને ઝીલવાનો પ્રયાસ કર્યો અને પરિણામે એક પુસ્તક તૈયાર થયું, જેનું નામ અપાયું : ‘ઘરથી દૂર એક ઘર’. દરેક બાળકને એમ પૂછવામાં આવ્યું કે : ‘બેટા ? તું અહીં રેલ્વે પ્લેટફોર્મ પર કેવી રીતે આવ્યો ?’ અને જવાબમાં શરૂ થઈ એક કહાની. થોડા સમય અગાઉ આ પુસ્તકમાંથી આપણે ‘રાજુ’નામના બાળકની વાત જાણી હતી. આજે રામુની આ સત્યઘટના જાણીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે લતાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે lata.hirani55@gmail.com અથવા આ નંબર +91 79 26750563 પર સંપર્ક કરી શકો છો. (પુસ્તક વેચાણ માટે ઉપલબ્ધ નથી.) – તંત્રી.]
શૂન્યમનસ્ક આંખો ચારેબાજુ જોઈ રહી. એ આંખોમાં ડર નહોતો, થોડુંક વિસ્મય હતું. સ્થળ માટે થોડીક તાજ્જુબી હતી. શું આવું હોઈ શકે ખરું ?
થોડા દિવસોથી રામુ અહીં આવ્યો હતો. અહીં તેના જેવાં બીજાં ઘણાં બાળકો હતાં. ખાવાનું મળતું હતું. સારાં કપડાં પણ આવતાંની સાથે જ મળ્યાં હતાં. રાત્રે સૂવા માટે પથારીની યે વ્યવસ્થા હતી. પણ આજે જ્યારે તેણે સાંભળ્યું કે ‘આ તમારું ઘર છે.’ ત્યારથી તેના નાનકડા દિમાગમાં પ્રશ્નોની પરંપરા સર્જાઈ ગઈ. ‘શું આવું હોઈ શકે ?’ ‘કોઈ મારે માટે આવું કરી શકે ?’ ‘શા માટે કરે ?’ આ પ્રશ્નોને અડીને એક બીજો પ્રશ્ન પણ સળવળ્યો. ‘આને ઘર કહી શકાય ખરું ?’ જો કે આવું સ્પષ્ટ વિચારવા જેટલી વિચારશક્તિ હજુ તેની વિકસી નહોતી પણ કંઈક આ જ પ્રકારનો ભાવ તેની આંખોમાં રમી રહ્યો.
તે હળવેકથી ઊભો થયો. દીવાલોને સ્પર્શી જોયું. ધીમે પગલે હથેળી ભીંત પર સરકાવતાં તે આગળ વધ્યો. દરવાજા સુધી પહોંચતા પહોંચતા તેનો અવાજ ઓગળતો જતો હોય એમ તેને લાગ્યું. દરવાજા પાસે આવી તેણે બહાર નજર કરી. એક મજૂર બાઈ તેના બાળકને ધમકાવી રહી હતી. દીવાલોમાં ઘર શોધતી તેની આંખો બે-ચાર પળ પછી એકદમ પથ્થર બની ગઈ. તેની હથેળીઓમાં અસહ્ય બળતરા ઊપડી. બે ડગલાં પાછળ જઈ તેણે ડરતાં ડરતાં પોતાની હથેળી જોઈ. હવે ત્યાં મારના નિશાન નહોતા. પરંતુ પીડા એટલી જ તીવ્રતાથી હથેળીની સાથે સાથે પીઠ પર પણ ફરી વળી. જો તે પીઠ પર નજર કરી શક્યો હોત તો તેને ખબર પડત કે સોટીના ઊઠેલા સોળની નિશાનીઓ ત્યાં હજુ અકબંધ છે. તેના બંને કાન જાણે કોઈ પૂરી બેરહમીથી આમળતું હોય એવું તેણે અનુભવ્યું. આસપાસમાં કોઈ નહોતું તોય તેના બંને હાથ એકદમ કાન ઢાંકી રહ્યા અને ખુલ્લી આંખો સામે તાજો જ ભૂતકાળ સળવળી ઊઠ્યો.
વધુ આગળ વાંચો »
અદ્દ્ભુત ધીરજ, અસીમ ખંત – ડૉ. મોહનભાઈ પંચાલ
પ્રકાર: સત્ય ઘટના
સાહિત્યકાર : ડૉ. મોહનભાઈ પંચાલ
21 પ્રતિભાવો
[સત્યઘટના પર આધારિત પુસ્તક ‘સાહેબ, મને સાંભળો તો ખરા !’માંથી સાભાર. જાણીતા શિક્ષણવિદ ડૉ. મોહનભાઈ પંચાલ દ્વારા 1972માં લખાયેલ આ પુસ્તકની અત્યાર સુધીમાં છ આવૃત્તિઓ થઈ ચૂકી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે ડૉ. રેણુકાબેન પટેલનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
‘ફક્ત એક રૂપિયો, સાહેબ ! ઓન્લી વન રૂપી, સર !’ જેવી ટ્રેન સ્ટેશનનું પ્લેટફોર્મ છોડી ગતિમાં આવી તેવો જ એક અત્યંત મીઠો, મૃદુ અવાજ સૌના કાને પડ્યો. સૌ ઉતારુઓનું ધ્યાન તે તરફ ખેંચાયું. પુનઃ રણકાર ઊઠ્યો : ‘બાબાને માટે, બેબીને માટે ! આ એક રૂપિયાનું રમકડું, રૂપિયો કંઈ વધારે નથી.’ વાણી એની કેટલી મધુર અને અસરકારક હતી ! એની રજૂઆત પણ કેટલી વેધક અને કાવ્યમય હતી ! મારું ચિત્ત એ કાવ્યસમા નાદની શ્રવણપ્રક્રિયામાં રોકાઈ ગયું. એ તરફ દષ્ટિ કરતાં મારી આંખો સમક્ષ મેં એક અત્યંત કરુણ અને હૃદય હચમચાવી નાખે તેવું ચિત્ર જોયું. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા તે કમ્પાર્ટમેન્ટની લગભગ સૌ વ્યક્તિઓની નજર તેના તરફ સ્થિર થઈ હતી. સૌની આંખોમાં આશ્ચર્ય, કરુણા ને કુતૂહલ રમતાં હતાં. એ વાણી ફરી ફરી ગુંજતી હતી, ‘ફક્ત એક રૂપિયો ભાઈ ! એક રૂપિયો, બહેન !’ એટલી જ મીઠાશ, એ જ અપીલ અને એ જ રજૂઆત.
એ હતો એક ફેરિયો. રમકડાં વેચનારો ફેરિયો. રમકડાં પણ કેવાં ! બધાં એક જ પ્રકારનાં. એની પાસે એક નાનું, સાદું છતાં બહુ જ કરામતવાળું રમકડું હતું. ચકરડી ફેરવવા માટે એની સાથે જ જોડેલી એક દાંતાવાળી પટ્ટી, જેને આગળપાછળ ખસેડવાથી ચકરડી ફરે, અને ફરે ત્યારે તેના પર ગોઠવેલી ફૂલની પાંખડીઓ ખૂલે, જાણે કમળ ખીલ્યું. તે કમળ પર એક નાની-શી, રૂપાળી પરી જેવી ઢીંગલી ! કેટલું સુંદર અને સજાવટભર્યું રમકડું હતું એ ! સૌને માટે આ એક નાવીન્ય હતું. મારું મન તે તરફ ખેંચાયું. પળવાર હું રમકડું જોતો, બીજી પળે એના ડેમોન્સ્ટ્રેશનની છટા જોતો, તો વળી એ ડેમોન્સ્ટ્રેટરની પ્રતિભાનું દર્શન કરતો ત્યારે હું ઊંડા ચિંતનમાં-દુઃખમાં ડૂબી જતો. વાચકોને પ્રશ્ન થશે કે મને એ જોઈ ચિંતન અને દુઃખની લાગણી કેમ થઈ આવી ?
વધુ આગળ વાંચો »
શાંતિનો સીધો મારગ – ડૉ. શરદ ઠાકર
પ્રકાર: સત્ય ઘટના
સાહિત્યકાર : ડૉ. શરદ ઠાકર
43 પ્રતિભાવો
[ ‘ડૉક્ટરની ડાયરી : ભાગ-3’માંથી સાભાર. આપ ડૉ. શરદભાઈનો આ નંબર પર +91 9426344618 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
જાવું બહુ કઠિન છે, કાગળ સુધી તો જા,
તળની મમત ન રાખ, પ્રથમ જળ સુધી તો જા.
આબુના ભયંકર ખતરનાક અને છતાં પણ રમ્ય ઢોળાવો પર રમકડાંની જેમ સરકતી જતી કાર આખરે એક આશ્રમ પાસે આવીને ઊભી રહી. ફટાફટ દરવાજા ઊઘડ્યાં અને અંદરથી ‘અમે બે, અમારાં બે’ની જાહેરાતના ચિત્રમાં હોય છે એવું નાનું, ચાર જણાંનું બનેલું, સુખી કુટુંબ નીચે ઊતરી પડ્યું. પુરુષ, સ્ત્રી અને બે બાળકો. પુરુષે આશ્રમના બગીચાને પાણી પાઈ રહેલાં માળીને પૂછ્યું : ‘સચ્ચિદાનંદજીનો આશ્રમ આ જ છે ને ?’
‘હા.જી.’ માળીએ વિવેકપૂર્વક જવાબ આપ્યો : ‘પધારોને ! માતાજી અંદર જ છે.’
હા, સચ્ચિદાનંદજી એ કોઈ સંતપુરુષ નહોતાં, પણ સ્ત્રી હતાં, સાધ્વીજી હતાં. સત ચિત અને આનંદના સરવાળાને સ્ત્રીલિંગ કે પુંલિંગ નથી હોતું, હોઈ પણ ન શકે. એ તો મનની અંદર વ્યાપ્ત પવિત્ર આનંદની સમાધિ અવસ્થા છે. માળીએ પ્રેમપૂર્વક મહેમાનોને આવકાર આપ્યો અને અંદરના મોટા ખંડમાં દોરી ગયો. પરસેવાથી રેબઝેબ ચારેય જણાં ઠંડુ પાણી પીને જરા સ્વસ્થ થયા.
‘કહાં સે આતે હો ?’ માતાજીએ શિષ્ટ અવાજે શરૂઆત કરી.
‘ગુજરાતસે.’
‘તો આપણે ગુજરાતીમાં વાત કરીએ.’ માતાજી હસ્યાં : ‘હું પણ જન્મે ગુજરાતી છું. તમારું નામ ?’
‘પ્રશાંત.’
‘શું કરો છો ?’
‘ડૉક્ટર છું. એમ.એસ. થયો છું. જનરલ સર્જરીમાં માસ્ટર ડીગ્રી મેળવેલી છે. પ્રાઈવેટ સર્જીકલ હોમ ધરાવું છું. આ મારી પત્ની છે. આ બાબો છે, નાની છે એ બેબી છે.’
‘કમાઈને બેઠા છો ?’
‘ધરાઈ જવાય એટલું. સમૃદ્ધ છું.’
‘તો પછી અહીં સુધી લાંબા થવાનું કારણ ?’
‘સમૃદ્ધ ખરો, પણ સુખી નથી. મનની શાંતિ માટે ભટકું છું. ક્યાંકથી તમારો રેફરન્સ મળ્યો, એટલે અહીં આવ્યો છું.’
વધુ આગળ વાંચો »
અનોખું દવાખાનું, અનોખા ડૉક્ટર – રજનીકુમાર પંડ્યા
પ્રકાર: સત્ય ઘટના
સાહિત્યકાર : રજનીકુમાર પંડ્યા
23 પ્રતિભાવો
[સત્યઘટના : ‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]
ક્યાંય પણ ઊભા હોઈએ અને કોઈના મોંમાંથી ‘મોંઘવારી’ શબ્દ નીકળે કે તરત જ ગમે એવા અજાણ્યા માણસો વચ્ચે સંવાદ શરૂ થઈ જાય….. ‘આ તુવેરની દાળની વાત લો ને. પચીસ-ત્રીસ રૂપિયે કિલો મળતી હતી અને ત્રણ-ચાર મહિનામાં તો સીધી નેવું-પંચાણું પર પહોંચી ગઈ. લોકો ખાય શું ?’…… ‘અરે, આ નોટબુક જુઓને. પંદર રૂપિયાની એક નોટ અને એક એક વિષયની ત્રણ ત્રણ, ચાર ચાર નોટો ક્યાં જઈને અટકે ? છોકરાંને ભણાવવા શી રીતે ?’
આવી ચર્ચા કોઈ પણ સ્થળે, સમયે નીકળી પડે અને એ સાચીય હોય, કારણ કે ખરીદનાર તરીકે ખંખેરાતો માણસ જ્યારે કાંઈક વેચનારો બને છે ત્યારે ખંખેરાયાનું વટક ગ્રાહકને ખંખેરીને વાળી લે ને તો જ પોતાના ખિસ્સાની ખોટ સરભર કરી શકે. સરકસના ડાગલાની સ્લેપસ્ટીક કૉમેડીનું આ ટ્રેજિક સ્વરૂપ છે. જેમાં દરેકના હાથમાં જે સોટી છે તે મારનારાને મારવા માટે નથી, પણ બાજુનાને મારવા માટે છે. મોંઘવારી કમાનારા સૌને આ રીતે સ્પર્શે છે.
પણ ના. મુંબઈમાં એક સ્થળ એવું છે કે જેને મોંઘવારી સ્પર્શી નથી. એ સ્થળ છે ઘાટકોપરમાં આવેલું ડૉ. રસિકભાઈ ગાંધીનું દવાખાનું. ‘દવાખાના’ને મોંઘવારી ન સ્પર્શે એ માન્યામાં ન આવે એવી વાત છે. બીજે ક્યાંય જતાં અગાઉ લોકો પોતાનું ગજવું તપાસી લે છે. ગજવાની ત્રેવડ હોય એ મુજબ જ રૂપિયા ખર્ચે છે પણ દવાખાનામાં જતાં અગાઉ કે ગયા પછી ગજવા પર હાથ મૂકીને તપાસી લેવાથી કશો અર્થ સરતો નથી. વિવિધ તપાસ માટે તેમ જ ડૉક્ટરની ફી તરીકે કેટલા રૂપિયાનો આંકડો પડશે એની કશી અટકળ થઈ શકતી નથી. ડૉ. ગાંધીના દવાખાનામાં આવ્યા પછીય આવું જ થાય. તેમની ફી સાંભળીને આંચકો લાગે પણ એ આંચકો સુખદ હોય. કારણકે હજી આજની તારીખેય તેમની તપાસ ફી છે ફક્ત ત્રણ રૂપિયા. આ ફીમાં છેલ્લો વધારો ચોવીસ વરસ અગાઉ 1976માં કરવામાં આવ્યો હતો અને એક રૂપિયામાંથી વધારીને તે ત્રણ રૂપિયા કરવામાં આવી હતી.
વધુ આગળ વાંચો »
સંબંધો વગરનું સહજીવન – હિરલ શાહ
પ્રકાર: સત્ય ઘટના
સાહિત્યકાર : હિરલ શાહ
50 પ્રતિભાવો
[અભ્યાસે બી.ઈ (ઈલેક્ટ્રોનિક્સ) અને વ્યવસાયે હાલમાં લંડન ખાતે સોફટવેર ક્ષેત્રમાં ફરજ બજાવતા યુવા સર્જક હિરલબેન મૂળ અમદાવાદના રહેવાસી છે. તેમની આ કૃતિમાં તેમના સ્વાનુભવની સત્યઘટનાઓ છે જેમાં વર્તમાન સમાજનું એક જુદું ચિત્ર પ્રતિબિંબિત થાય છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે હિરલબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે hiral.shah.91@gmail.com સંપર્ક કરી શકો છો.]
વિશ્વનું એક અદ્યતન શહેર લંડન. લગ્ન કરીને અહીં આવ્યે મને બે વર્ષ થઈ ગયાં છે. ઑફિસમાં ત્યાંની સખીઓ સાથે સારી એવી મૈત્રી બંધાઈ ગઈ છે. એક દિવસ સવારે ઑફિસ પહોંચીને હું મારું કામ શરૂ કરી રહી હતી ત્યાં જ કેથરિન મારી ખુરશી પાસે આવી. અમે વાતોએ વળગ્યાં. વાત વાતમાં તેણે મને કહ્યું કે લગ્ન પહેલાં તેને કોઈ છોકરા સાથે પ્રેમ હતો. એક આખો દાયકો તેણે પોતાના પ્રેમી સાથે વિતાવ્યો પણ અંતે તે તેને છોડીને કોઈ અન્ય છોકરી સાથે પરણી ગયો. આજે આટલા વર્ષો પછી પણ હું તેને ભૂલી શકી નથી એમ કહીને કેથરિન મૌન થઈ ગઈ.
થોડીક વાર રહીને તે મારી સામે જોઈને બોલી, ‘હિરલ, તમે લોકો કેટલાં નસીબદાર છો ! તમે યોગ્ય ઉંમરે લગ્ન કરો છો. તમને પતિ અને કુટુંબ સાથેની સલામત જિંદગી મળે છે અને તમે આખું જીવન સ્વસ્થ અને સંતુલિત રીતે જીવો છો. અમારું તો સંબંધો વગરનું સહજીવન હોય છે.’ પોતાની કેબિન તરફ જતાં તે મારો હાથ એના હાથમાં લઈને બોલી, ‘મારો બીજો જન્મ હું ભારતમાં ઈચ્છું છું….’ મેં ધ્યાનથી જોયું તો કેથરિનની આંખોમાં આંસુ હતા.
કેથરિન સાથેના આ ક્ષણિક વાર્તાલાપે મારા ચિત્તને ઉથલપાથલ કરી નાખ્યું. હું એકદમ અવાક થઈ ગઈ. મારી આંખ સામે મારા ભૂતકાળના અનુભવો તરવરી ઊઠ્યાં અને વિચારોના પ્રદેશમાં વિહરતા હું સીધી બૅંગ્લૉર જઈ પહોંચી. હજુ મારી કારકિર્દીના શરુઆતનાં એ વર્ષો હતાં. મારી મહાત્વાકાંક્ષા લગ્ન પહેલાં કોઈ મલ્ટિનેશનલ કંપનીમાં સારી જોબ લેવાની અને ઊંચા પગારને આંબવાની હતી અને તેવામાં મને બૅંગલોરની એક કંપનીની ઑફર મળી. દેશના કોઈ પણ ખૂણે જવાની માનસિક તૈયારી હતી જ એટલે જીવનમાં પહેલીવાર હું મારું શહેર છોડીને બૅંગ્લોર જઈ પહોંચી. મારે માટે આ સાવ નવી દુનિયા હતી. આંખોમાં કેટલાય સપનાં આંજીને જીવનમાં આગળ વધવાનું હતું. નક્કી કરેલા ધ્યેયને પહોંચી વળવા દિવસ-રાત મહેનત કરવાની હતી. પરંતુ ત્યાં તો શરૂઆતના દિવસોમાં મારે ભારે આશ્ચર્યજનક અનુભવોમાંથી પસાર થવાનું થયું !
વધુ આગળ વાંચો »
દીકરી – ભાણદેવ
પ્રકાર: સત્ય ઘટના
સાહિત્યકાર : ભાણદેવ
22 પ્રતિભાવો
[ સત્ય ઘટના : ‘અખંડ આનંદ’ જૂન-2009માંથી સાભાર. ]
રાત્રે દશ વાગ્યે આશ્રમના ફોનની ઘંટડી રણકી.
‘હરિ ઑમ’
‘હેલો !’ ને સ્થાને ‘હરિ ઓમ’ કહેવું અને સાંભળવું ગમે છે !
સામેથી પ્રતિભાવ મળ્યો : ‘હરિ ઓમ ! હરિ ઓમ !….. સાહેબ, મારે ભાણદેવજી સાથે વાત કરવી છે. આ તેમનો જ આશ્રમ છે ને ? ભાણદેવજી સાથે વાત થઈ શકશે ?’
‘હું ભાણદેવ બોલું છું.’
‘ઓ હો હો ! નમસ્તે ! નમસ્તે ! આપને મારા કોટિ કોટિ નમસ્કાર !’
‘કોટિ નમસ્કાર કૃષ્ણને ! આપણે માટે તો ‘હરિ ઓમ’ જ બરાબર છે.’
‘ધન્ય હો ! ધન્ય હો ! સ્વામીજી ! હું….થી….. બોલું છું. મેં આપનું પુસ્તક ‘ગંગાસતીનું અધ્યાત્મ દર્શન’ વાંચ્યું છે, હૃદયમાં વસી ગયું છે. ભાણદેવજી ! મહારાજ ! એક વાર હું આપનાં દર્શન કરવા ઈચ્છું છું. મારે આપના આશ્રમે આવવું છે. આપ મને રજા આપો.’
‘અરે ! મારા ભાઈ ! દર્શન તો ભગવાનનાં કરાય. માનવીનાં વળી દર્શન શું ? પણ તમે આવો. આપણે મળશું.’
‘હાજી ! હાજી ! આપણા વેણ માથે ચડાવું છું. હું આપના આશ્રમે જરૂર આવીશ. આપને ક્યારે મળવું અનુકૂળ પડે ?’
‘મળવાનો સમય સાંજે 4.00 થી 6.00.’
‘ભલે બાપુ ! ધન્ય ભાગ્ય ! ધન્ય ઘડી !’
વધુ આગળ વાંચો »





