વિશેષ નોંધ – તંત્રી
પ્રિય વાચકમિત્રો,
રીડગુજરાતીના આ સાહિત્ય વિભાગને ‘સંગ્રહિત લેખો’ એવું નવું નામ આપવામાં આવ્યું છે. આ વિભાગમાં કુલ 2475 લેખોનો સમાવેશ થાય છે જેની પર આશરે 31000 જેટલા વાચકોના પ્રતિભાવો પ્રાપ્ત થયેલા છે. ઈ.સ. 2005 થી જૂન-2009 સુધીના તમામ લેખો અહીં સંગ્રહિત કરવામાં આવ્યા છે. એક જ વિભાગ પર લેખોનું ભારણ વધતા ટેકનિકલ મુશ્કેલીઓ સર્જાવાની શક્યતા રહેલી હોય છે. આથી, આ વિભાગમાં હવે નવા લેખો પ્રકાશિત કરવામાં આવતા નથી. રોજેરોજના નવા લેખો વાંચવા માટે રીડગુજરાતીના પ્રથમ પાના પર અથવા તો ‘નવા લેખો’ વિભાગની આપ મુલાકાત લઈ શકો છો. કોઈ પ્રકારની ટેકનિકલ સમસ્યા ન સર્જાય તે માટે આ સંગ્રહિત લેખોની અનુક્રમણિકા તેમજ કોમેન્ટ લખવાની સુવિધા આ વિભાગ પૂરતી બંધ કરવામાં આવી છે. અગાઉના તમામ લેખો આપ મહિના પ્રમાણે કે સાહિત્ય-પ્રકાર પ્રમાણે કરેલી ગોઠવણી દ્વારા સરળતાથી મેળવી શકશો. જે વાચકમિત્રો RSS Feed નો ઉપયોગ કરતા હોય તેમને નીચે આપેલું નવું સરનામું નોંધી લેવા વિનંતી છે.
સંગ્રહિત (જૂના) લેખોનો વિભાગ :
http://www.readgujarati.com/sahitya/
રોજેરોજ પ્રકાશિત થતા નવા લેખોનો વિભાગ :
http://www.readgujarati.com/sahitya2/
જૂના લેખોની RSS Feed :
http://www.readgujarati.com/sahitya/?feed=rss2
નવા લેખો માટે RSS Feed :
http://www.readgujarati.com/feed/
આ અંગે આપને કોઈ પૂછપરછ કરવી હોય તો કૃપયા સંપર્ક કરો : Contactus
લિ.
તંત્રી, રીડગુજરાતી.કોમ
મૃગેશ શાહ.
મનનાં સવાલ, વિજ્ઞાનનાં જવાબ – રાકેશ ઠક્કર
[ શ્રી રાકેશભાઈના પુસ્તક ‘હોમ ટિપ્સ’ ને આપણે થોડા સમય અગાઉ માણ્યું હતું. તેનાથી કંઈક અલગ પ્રકારનું આ તેમનું બીજું પુસ્તક જાણે કે સામાન્ય જ્ઞાનનો ખજાનો છે ! ઘણી જાણવા જેવી બાબતોને આવરી લેતું આ પુસ્તક રીડગુજરાતીને ભેટ આપવા બદલ રાકેશભાઈનો (વાપી) ખૂબ ખૂબ આભાર. તેઓ વાપી નગરપાલિકામાં ફરજ બજાવે છે. આ ઉપરાંત તેઓ સુરતથી પ્રકાશિત થતા ‘ગુજરાતમિત્ર’ અખબારના કોલમિસ્ટ છે. ‘ફૂલવાડી’, ‘જન્મભૂમિ’, ‘મુંબઈ સમાચાર’ જેવા અખબારોમાં તેમનું બાળસાહિત્ય પ્રકાશિત થતું રહે છે. આપ તેમનો આ સરનામે rmtvapi@yahoo.co.in અથવા આ નંબર પર +91 9099095701 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]
[1] બે કીડી સામસામે પોતાના મોં કેમ અડકાડે છે ?
કીડીના રાફડામાં બધું જ કામકાજ ગંધના આધારે થાય છે. કીડીને કોઈ જગ્યાએ ખોરાકનો મોટો જથ્થો મળી જાય તો પહેલું કામ તે ખોરાક પર ગંધ છાંટવાનું કરે છે. એ પછી રાફડાની અન્ય કીડીઓને સમાચાર આપવા માટે પાછી વળતી વખતે રસ્તામાં પણ ઠેકઠેકાણે ગંધ છોડતી જાય છે. જેથી ખોરાક શોધવા નીકળતી દરેક કીડી ગંધ પારખીને એજ રસ્તે ચાલે. આશ્ચર્યની વાત એ છે કે કીડીના દરેક રાફડાને પોતાની ચોક્કસ ગંધ હોય છે. માટે રસ્તામાં ક્યારેક સામી મળતી કીડી પોતાના જ રાફડાની છે કે કેમ તે જાણવા એકબીજીને અચૂક સૂંઘી લે છે. કોઈની ગંધ જુદી હોય તો એ કીડીને દુશ્મન રાફડાની હુમલાખોર સમજી તેનો અંત લાવી દે છે. પણ એ જ રાફડાની એકાદ કીડીને પાણીમાં બરાબર સ્નાન કરાવી બિલકુલ ગંધરહિત બનાવી તેના જ રાફડામાં મુકો તો તેમાં ગંધ ન જણાતાં રાફડાની અન્ય કીડીઓ તેને પારકી ગણી તેનો અંત લાવી દે છે. એટલે દરેક કીડીએ પોતાના રાફડાની ગંધ લાયસન્સની જેમ સાથે રાખવી પડે છે.
[2] એલ્યુમિનિયમ ફોઈલમાં વસ્તુ ગરમ કેમ રહે છે ?
એલ્યુમિનિયમ ધાતુ ગરમીની સુવાહક ગણાય છે. તેમ છતાં એલ્યુમિનિયમ ફોઈલમાં મૂકેલી ખાદ્યસામગ્રી લાંબા સમય સુધી ગરમ રહી શકે છે. એલ્યુમિનિયમ ધાતુ ગરમીની સુવાહક હોવાથી એવું માનવાને મન થાય કે આંતરિક ગરમીને તેની આરપાર નીકળી ખુલ્લી હવામાં ભળી જતાં વાર ના લાગે. આમ છતાં પોલિશ કરેલી એલ્યુમિનિયમ ફોઈલનો ગુણધર્મ જુદો છે. ગરમીને તે પરિવર્તિત કરી જાણે છે. ગરમીનાં મોજાંને તે પરાવર્તિત કરી પાછા મોકલે છે. ફોઈલના બંધ પેકેટમાં કેદ પુરાયેલી ગરમી તેને કારણે બહાર નીકળી શક્તી નથી. એટલે ખાદ્યસામગ્રી પણ જલદી ઠંડી પડી જતી નથી.
Read more
જીવનવલોણું – દિલીપ રાણપુરા
[‘જીવનવલોણું’ પુસ્તક (આવૃત્તિ, 1987)માંથી સાભાર. પુસ્તક હાલ અપ્રાપ્ય છે.]
[1] અહંકારનું પ્રતીક
કલિંગના યુદ્ધ પછી સમ્રાટ અશોક એટલો બદલાઈ ગયો કે એ પહેલાંનો અશોક ન રહ્યો. પહેલાં એ રાજ્યોનો સમ્રાટ હતો, હવે એ સદભાવનાઓનો સમ્રાટ બની રહ્યો હતો. પહેલાં એ એક દમામથી રહેતો, હવે એ દમામની જગ્યા વિનમ્રતાએ લઈ લીધી હતી. પહેલાં એ અહંતાથી ઊભરાતો હતો, હવે રજથીય નાનો બની રહ્યો હતો. એના આ પરિવર્તને ઘણાંને આશ્ચર્ય થયેલું ને પ્રજાને તો આનંદ થયેલો.
એક દિવસ એ પોતાના અમાત્ય સાથે બહાર ફરવા નીકળેલો. પગે ચાલીને પાછા ફરતા હતા ત્યાં રસ્તામાં એક ભિખારી મળ્યો. અશોક તેની પાસે ગયો. ભિખારીને તો કોઈ પરવા નહોતી કે કોણ તેની પાસે આવ્યું છે ને શા માટે ? તે થોડીવાર ઊભો રહી ગયો. અશોક સામે જોયું ને પછી આગળ વધવા જાય છે ત્યાં અશોક નીચે નમ્યો. ભિખારીના ચરણમાં પોતાનું માથું ઝુકાવી દીધું. ભિખારી કશા પણ પ્રતિભાવ બતાવ્યા વગર ચાલતો થયો. પણ અમાત્ય અને આ દશ્ય જોનાર નગરજનો તો સ્તબ્ધ થઈ ગયા. તેમને થયું, સમ્રાટ અશોક જેના ચરણમાં માથું ઝુકાવે તે મહાન હોવો જોઈએ. પણ નગરજનો તો એ ભિખારીને ઘણા લાંબા સમયથી ઓળખતા હતા. એ મહાન નહોતો, શૂદ્ર હતો. ભીખના ટુકડા ઉપર ગુજારો કરતો ને પાછો અહંકાર સમ્રાટ જેવો રાખતો. બધાને આ વાતની નવાઈ લાગી ને નવાઈ તો એ વાતની પણ લાગતી હતી કે અશોક જેવા સમ્રાટે માથું તેના પગમાં ઝુકાવ્યું, છતાં તે બે બદામનો ભિખારી કશું બોલતો નથી. પોતાની અયોગ્યતા પણ વ્યક્ત કરતો નથી.
એક આશ્ચર્યનું મોજું ફરી વળ્યું નગરમાં….. મહેલમાં આવ્યા પછી તરત જ અમાત્યે કહ્યું : ‘મને આપનું વર્તન ઠીક નથી લાગ્યું…..’
‘કયું ?’
‘ભિખારીના પગમાં આપે માથું નમાવ્યું તે.’
અશોક સાંભળી રહ્યો.
અમાત્ય આગળ બોલ્યો : ‘આપના જેવા સમ્રાટ…..’
‘હું હવે ક્યાં સમ્રાટ રહ્યો છું ?’ અશોક વચ્ચે બોલ્યો.
‘આપની કીર્તિ એટલી બધી છે કે આપ હજુ પણ સમ્રાટ છો. જગતનો કોઈ સમ્રાટ આપની કીર્તિને કદાચ નહિ આંબી શકે.’
અશોક માત્ર મંદમંદ હસ્યો અને ચૂપ રહ્યો.
Read more
યે તુમકો હુઆ ક્યા ? – મૃગેશ શાહ
ફક્ત એનું નામ જ ‘આનંદ’ નહોતું, એ સ્વભાવે પણ આનંદી હતો. કોઈ મિમિક્રી કલાકાર તરીકે પ્રોગ્રામ આપી શકે એટલા ટૂચકાઓ અને ગીતો એના આંગળીના વેઢે રમતા. જ્યારથી એ આવ્યો ત્યારથી ઑફિસનું વાતાવરણ સાવ જ બદલાઈ ગયું હતું. સિનિયર-જૂનિયરની ભેદરેખા એણે જાણે ભૂંસી નાખી હતી. બધા લોકો સાથે એટલો ભળી ગયો હતો કે એક દિવસ માટે પણ જો આનંદ રજા પર હોય તો કોઈને કામ કરવાનો મૂડ ન આવે. પ્રોજેક્ટની છેલ્લી તારીખ હોય કે રિપોર્ટ મોકલવાનો છેલ્લો દિવસ – બંદા, કોઈ દિવસ ચિંતામાં ન હોય. કામ પણ એટલું જ ચીવટપૂર્વક અને ખંતથી કરે, એટલે બૉસને એની સામે ક્યારેય કોઈ ફરિયાદ ન હોય. એના મોંમાથી તમને કદી ‘ના’ સાંભળવાની ન મળે. નવું શીખવાની તાલાવેલી તો એટલી કે બીજા ડિપાર્ટમેન્ટમાં માથું મારીને આખી સિસ્ટમ સમજી લાવે. નિર્ણય લેવાની શક્તિ પણ ગજબની. અમે હજી વિચારીને પહેલું પગથિયું ચઢવાની શરૂઆત કરતા હોઈએ, ત્યારે આનંદકુમાર તો શિખર પર બેસીને હવા ખાતા હોય !
અમારામાંના મોટાભાગના મિત્રોની આ પહેલી નોકરી હતી એટલે ગ્રુપ બહુ સરસ બન્યું હતું. કોઈકના લગ્નની તૈયારીઓ ચાલતી હતી તો કોઈકને ઘર વસાવવાની શરૂઆત થઈ રહી હતી. અભ્યાસને અલવિદા કરીને બધા ત્રણેક વર્ષથી આ કંપનીમાં જોડાયા હતા. ધીમે ધીમે જીવનમાં સ્થિરતા આવી રહી હતી. પરંતુ આનંદના આવવાથી અમને બધાને જાણે ફરી કૉલેજકાળ યાદ આવી ગયો ! શહેરથી અમારી કંપની એકાદ કલાકના અંતરે આવેલી હતી. એટલે રોજ જતાં-આવતાં કંપનીની બસમાં અમારી મંડળી બરાબર જામતી. આનંદનો આનંદ એ વખતે સોળેકળાએ ખીલી ઊઠતો. ક્યારેક તો અમને હસાવીને એવા લોથપોથ કરી દેતો કે એમ થતું કે અમે ઑફિસ જવા નીકળ્યા છીએ કે પિકનિકમાં ! ‘આજે તો આનંદનું મોજું ફરી વળ્યું…..’ એમ અમે કહીએ એટલે આનંદ રમૂજમાં કહે : ‘એ મોજું મારું નથી… આજે તો હું ચંપલ પહેરીને આવ્યો છું…!!’
Read more
ઘંટ-ન્યાયનો – નિરંજન ત્રિવેદી
[કટાક્ષિકા]
વજીર સાળાના મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો. હમણાં કોઈ આવશે અને સાળાના મૃત્યુના ખબર લાવશે. જમણી આંખ પણ હમણાં જ ફરકી હતી એટલે તે શુભ સમાચારની અપેક્ષા રાખી રહ્યો હતો. પરંતુ ? કોઈ કાસદ દેખાયો નહિ. પોતાના હાથે જ ઝેર આપીને આવ્યો છતાં સાળો સાલો મર્યો કેમ નહિ તેની ચિંતા વજીરને સતાવતી હતી.
ત્યાં….
ત્યાં ઘોડાના દાબડા સંભળાયા.
જરૂર કાસદ સાળાના મૃત્યુના સમાચાર લઈને આવ્યો લાગે છે.
પરંતુ જોયું તો કાસદ નહિ પણ ખુદ સાળો જ આવ્યો હતો !
‘માણસ મર્યા પછી આટલો જલદી ભૂત થઈ જતો હશે !!’ વજીર વિચારમાં પડી ગયો.
‘વજીરજી ! તમે માથું ઉતારવાની ફાકી આપી તે બહુ અકસીર નીકળી. દૂધમાં હલાવીને પીધી અને તબિયત જામી ગઈ.’ સાળાએ અભિવાદન કરતાં કહ્યું.
વજીર વિચારમાં પડી ગયો કે મેં તો ખરેખરા અર્થમાં તેનું માથું ઉતારી નાખવાની જ દવા આપી હતી પરંતુ આ રાહુ તો જીવતો છે. સાળાના અલમસ્ત શરીર તરફ જોઈ નિશ્વાસ નાખી વજીર મનોમન બોલ્યો : આ કાંઈ હમણાં મરે એમ લાગતું નથી અને સસરાજીની મિલકત મને મળે એમ લાગતું નથી.’ એકના એક સાળાનો ઘાટ ઉતારી સસરાની લાખ્ખોની મિલકત લેવાનો વજીરનો પ્લાન પણ આપણા ‘ફાઈવ ઈયર પ્લાન’ ની જેમ ‘ફેઈલ’ ગયો. ઝેર જે દુકાનેથી ખરીદવામાં આવ્યું હતું તે દુકાનદારને વજીરે તેડાવ્યો.
‘અલ્યા ! તેં મને શું આપ્યું હતું ?’
‘ઝેર…. હજૂર.’
‘શું ??’
‘હજૂર. આપને મેં ઝેર આપ્યું હતું… મતલબ એ આપના હાથમાં ઝેરની પડીકી આપી હતી.’
‘તો પછી મર્યો કેમ નહિ ?’ વજીરે ક્રોધથી પૂછ્યું.
‘કોણ હજૂર ?’
‘ઝેર ખાનારો.’
‘હજૂર, એમાં કશું નવું નથી. આપણા રાજ્યમાં મળતું આ કાતિલમાં કાતિલ ઝેર હતું….’
‘પણ મોત કેમ ન થયું ? આ માણસ મારવાનું ઝેર હતું કે ઉંદર મારવાની દવા ?’
‘હજૂર, ઉંદર મારવાની દવા તો નો’તી જ. એનો નવો સ્ટૉક આવે છે એવો જ દુકાનમાં ઉંદરો ખાઈ જાય છે.’
‘ઉંદરો ખાઈ જાય છે ?’
‘હા હજૂર. જ્યારથી ઉંદર મારવાની દવા વેચવાની શરૂ કરી છે ત્યારથી બાજુમાં અનાજની વખારના ઉંદરો અમારી દુકાનમાં આવી ગયા છે અને આવે છે તેટલો માલ એ લોકો જ ખાઈ જાય છે. અનાજ ખાતા હતા ત્યારે આ ઉંદરો બહુ દૂબળા હતા. આ ઉંદર મારવાની દવા ખાધા પછી તો આ ઉંદરો ઘોડા જેવા થઈ ગયા છે.’
Read more
આવું કેમ ? – સં. આદિત્ય વાસુ
[ ભારત એટલે ઉજ્જવળ પરંપરાઓનો દેશ. ઈતિહાસ કહે છે કે ભારતની આ મહાન પરંપરાઓ જ માનવજાતનું સંસ્કાર-ઘડતર અને ચણતર કર્યું છે. જગતના કોઈ દેશમાં જોવા ન મળે તેવી આ પરંપરાઓને આપણે સૌ આટલાં વર્ષો પછી પણ જાળવી શક્યા છીએ તે ગૌરવની વાત છે. આપણી મહાન સંસ્કૃતિમાં સદીઓથી ચાલી આવતી અનેક પરંપરાઓ અને રીતરિવાજો છે. જેમ કે તિલક કેમ ? આરતીની શું જરૂર ? સૂર્યનમસ્કાર કેમ ? સૌભાગ્યવતી સ્ત્રીઓ સિંદૂર કેમ પૂરે ? નમસ્કારનો શું અર્થ ? વગેરે... આજના વૈજ્ઞાનિક યુગમાં યુવાન પેઢીને દરેક પરંપરા સામે ‘આવું કેમ ?’ અથવા ‘આમ શા માટે ?’ પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. તેમના આ સવાલો તેમની અદમ્ય જિજ્ઞાસાઓ છતી કરે છે. તેઓની આ જિજ્ઞાસાઓને સંતોષવાનો આ પુસ્તકમાં નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવામાં આવ્યો છે. દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક, આપણી પરંપરાઓને સમજવા માટેનું સહજ સોપાન છે. (પ્રસ્તાવનામાંથી...) 'ભારતીય સંસ્કૃતિમાં આવું કેમ ?' પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવમાં આવી છે.]
[1] ઉપવાસ કેમ કરવામાં આવે છે ?
આ પ્રશ્નનો ઉત્તર મેળવતાં પહેલાં ‘ઉપવાસ’ શબ્દનો અર્થ જાણી લઈએ. ‘ઉપ’ એટલે સમીપે – નજીક અને ‘વાસ’ એટલે રહેવું. ઉપવાસ એટલે નજીક રહેવું. તો બીજો સવાલ એ ઊઠે છે કે કોની નજીક રહેવું ? તો તેનો જવાબ છે કે એ પરમતત્વની નજીક રહેવું જેણે આ સકળ સંસારને સ્વયંસંચાલિત રીતે હર્યોભર્યો રાખ્યો છે. બહુ સાદા શબ્દોમાં કહીએ તો ઉપવાસ એટલે પરમાત્માની સમીપ રહેવા માટે ફાળવેલો સમય.
Read more
પાંદડે પાંદડે રેખા – સં. મહેશ દવે
[ શ્રી મહેશભાઈ દવે દ્વારા સંકલિત ‘પાંદડે પાંદડે મોતી’, ‘પાંદડે પાંદડે જ્યોતિ’, ‘પાંદડે પાંદડે દીવા’ અને ‘પાંદડે પાંદડે કિરણ’ પુસ્તકના સુંદર લેખો આપણે અગાઉ માણ્યા છે. તાજેતરમાં પ્રકાશિત થયેલ આ શ્રેણીના નવા પુસ્તક ‘પાંદડે પાંદડે રેખા’માંથી આજે માણીએ કેટલાક જીવનપ્રેરક લેખો સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] જીવનનો આનંદ
ત્રણ શિકારીઓ હતા. ત્રણે જુદી જુદી દિશામાં શિકારે નીકળ્યા. ધનુષ્ય-બાણ સાથે આખો દિવસ જંગલમાં રખડ્યા. પહેલો શિકારી ઘણી બધી જગાએ ફર્યો. ઝાડીમાં પ્રાણીઓ શોધ્યાં. ઝાડ પર સંતાઈ દૂર દૂર સુધી નજર દોડાવી. નદી અને સરોવરોએ ગયો. કોઈ પ્રાણી પાણી પીવા આવ્યું હોય તો તેનો શિકાર થઈ શકે. ત્યાં પણ કોઈ શિકાર ન મળ્યો. વનમાં પ્રાણીઓ જોયાં, પણ હાથ ન આવ્યાં. નિશાન લઈ તીર છોડ્યાં, પણ તીર નિશાન પર ન વાગ્યાં. આખો દિવસનો થાક્યો-પાક્યો, ધૂંધવાતો-ધૂંધવાતો, નસીબને ગાળો દેતો, ઈશ્વરની નિંદા કરતો એ રાતે ઘેર પહોંચ્યો. પાળેલું કૂતરું વહાલ કરવા ઝાંપે આવ્યું. તેને એક લાત લગાવી દીધી. છોકરાંઓને ઢીબ્યાં. ધણિયાણી પર ધખ્યો. ખાધા-પીધા વગર ગુસ્સામાં ને ગુસ્સામાં સૂઈ ગયો.
બીજો શિકારી પણ સઘળે સ્થળે ફર્યો. પ્રાણીઓ જોવા મળ્યાં, પણ નિશાનમાં આવ્યાં નહીં. શોક કર્યા વગર તે આગળ વધ્યો. જળ-સ્થળ બધે પ્રયત્નો કર્યા; નિષ્ફળ નીવડ્યો. ‘ચાલો, જેવી હરિની ઈચ્છા’ મનોમન એમ કહી એ ઘેર ગયો. કોઈની સાથે કશું બોલ્યો નહીં. ફક્ત એટલું કહ્યું, ‘શિકારમાં આજે કંઈ મળ્યું નથી. ઘરમાં જે કંઈ પડ્યું હોય તેનાથી ચલાવી લો.’ આમ કહી તેણે લંબાવ્યું. રોજની જેમ મનોમન હરિ-રટણ કરવા લાગ્યો.
Read more
જાણ્યાં-અજાણ્યાં – ડૉ. પ્રદીપ પંડ્યા
[‘ચિત્રલેખા-વાર્તા વૈભવ : 2005’ વિશેષાંકમાંથી સાભાર. ડૉ. પ્રદીપ સાહેબનો (વડોદરા) આપ આ સરનામે pandya47@hotmail.com અથવા આ નંબર પર +91 9376216246 પર સંપર્ક કરી શકો છો.]
હાડ ગડગડાવી નાખતી ઠંડીમાં પણ દાર્જીલિંગના ટાઈગર હિલના શિખર પર હાજરો વ્યક્તિઓની ભીડ હતી. નીચે ખુલ્લા મેદાનમાં, ટુરિઝમના બિલ્ડિંગના ભોંય મજલે, પ્રથમ મજલે હજારો યુવક-યુવતીઓ, સહેલાણીઓ, રાત્રિના સાડા ત્રણ વાગ્યાથી ઊભાં હતાં. મોટા ભાગનાના હાથમાં ગરમાગરમ કૉફીના મગ હતા અને તેના ગરમ પ્યાલાને સ્પર્શ કરીને ઠંડીને દૂર કરવાના યત્નો કરતાં હતાં. ટુરિઝમના બિલ્ડિંગમાં ત્રીજે માળે કૅબિન છે-બંધ છે, અહીં આરામખુરશીઓ છે અને ચારે તરફ કાચની બારીઓ છે. સુસવાટાભર્યા પવનો અને તેને સાથ આપતી ઠંડી અહીં આવીને પોરો લે છે અને પાછી વળી જાય છે. બીજાઓ એ ઠંડીથી ધ્રૂજી ઊઠે છે, પણ કોઈના ચહેરા પર આ ઠંડીની ચિંતા નથી. તેઓ આવી ઠંડી અને આવી પ્રતીક્ષાની તૈયારી કરીને આવ્યાં હોય છે. ચારે તરફ સ્ત્રી-પુરુષો ગરમ કોટ, મફલર, ગરમ શાલ, કાનટોપી, લેધર જૅકેટ, જીન્સના પૅન્ટથી સમગ્ર ભીડ સજ્જ હતી.
Read more
પ્રતિભાનું શિલ્પકામ – જ્વલંત છાયા
[વ્યવસાયે શ્રી જ્વલંતભાઈ ‘દિવ્યભાસ્કર’ના પત્રકાર છે અને વિવિધ પ્રકારના વિષયો પર તેમના સુંદર લેખો સતત પ્રકાશિત થતા રહે છે. આ અગાઉ આપણે તેમનો ‘ગાંઠિયા અને સૌરાષ્ટ્ર’નો રસપ્રદ લેખ માણ્યો હતો. આજે માણીએ નારી પ્રતિભાઓ વિશેનો તેમનો આ પ્રસ્તુત લેખ. રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા માટે જ્વલંતભાઈનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9824376077 અથવા આ સરનામે cjwalant@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]
મંદિરમાં સ્થાપિત થયેલી કોઈ મૂર્તિ કે પછી શહેરના કોઈ જાહેર સ્થળે કોઈ પૂતળું જોઈને આપણે ‘વાહ’ બોલી ઊઠીએ સ્વાભાવિક છે. પરંતુ આવું ‘મૂર્ત’ સ્વરૂપ બનતા પહેલાં એ પથ્થરે કેટલું ટોચાવું પડ્યું હશે તેની કલ્પના પણ ક્યારેક કરવી જોઈએ. ગુજરાતીમાં એક સરસ શેર છે :
સો સો સલામો તને જખમ દેવાવાળા
કે એક વાંસને તે વાગતો કર્યો
વાંસને છેદીને, ભેદીને તેમાં કાણાં પાડવામાં આવે ત્યારે તેને વેદના થતી હશે પણ જ્યારે એમાંથી સૂર નીકળે ત્યારે ખ્યાલ આવે કે આ વેદના આપવા પાછળ વિધિનો શું ઈરાદો હશે. મૂર્તિ બનતા પથ્થરની વાત કરી એમ જ કેટલાક વ્યક્તિત્વ પણ એવા હોય છે જેની પ્રતિભા આપણી સામે આવે ત્યારે પ્રભાવિત કરી દે છે પરંતુ કંઈ એમ જ કોઈ સિદ્ધિ કે પ્રસિદ્ધિ મળ્યાં હોતાં નથી. ‘મહાન’ શબ્દ કોઈ નામની આગળ કે પાછળ લાગે એ પૂર્વે એ વ્યક્તિ જિંદગીની અગ્નિપરીક્ષામાંથી પસાર થઈ ચૂકી હોય છે. જાણીતા કવિયત્રી અમૃતા પ્રિતમનું એ ક્વોટ પણ જાણીતું છે કે ‘જે ગીતો મેં લખ્યા છે, જે સર્જન મેં કર્યું છે એ સિગરેટ પર બાઝેલી થોડી રાખ જેટલું જ છે, મારી વેદના તો મેં અંદર ઉતારી છે…. કંઈક એવી જ રીતે સંખ્યાબંધ લોકોની સફળતા અને સિદ્ધિની પશ્ચાદમાં એક અનન્ય સંઘર્ષ, એક સખત પીડા અને અકથ્ય ઘૂટન વણાયેલા હોય છે. આપણે ત્યાં સમાજના દરેક ક્ષેત્રમાં કેટલીક મહિલાઓએ પુરુષોને સમોવડિયું જ નહીં પરંતુ પુરુષોથી સવાયું, અલગ આગવું એક સ્થાન બનાવ્યું છે. આવી સિદ્ધ અને પ્રસિદ્ધ નારીઓ પૈકી કેટલીક નારીઓના બાળપણ અંગેની વિગતો જાણવામાં ચોક્કસ રસ પડશે.
Read more
ક્રાંતિ-શાંતિનો અપૂર્વ સંગમ – વિનોબા ભાવે
[પુન: પ્રકાશિત]
હું નાનો હતો, ત્યારથી મારું ધ્યાન બંગાળ અને હિમાલય ઉપર ચોંટયું હતું. હિમાલય અને બંગાળ જવાનાં સપનાં હું સેવ્યા કરતો. બંગાળમાં વંદેમાતરમ્ ની ક્રાંતિની ભાવના મને ખેંચતી હતી, અને બીજી બાજુએથી હિમાલયનો જ્ઞાનયોગ મને તાણતો હતો. 1916માં જ્યારે હું ઘર છોડીને નીકળી પડયો, ત્યારે મને એક તો હિમાલય જવાની ઈચ્છા હતી, બીજી બંગાળ જવાની. હિમાલય ને બંગાળ બંનેને રસ્તે કાશીનગરી પડતી હતી. કર્મ સંજોગે હું ત્યાં પહોંચ્યો. કાશીમાં હતો તે દરમ્યાન મને એક દિવસ ગાંધીજીનું સ્મરણ થયું. એમનું પેલું પ્રસિધ્ધ ભાષણ હું વડોદરા હતો ત્યારે મેં છાપામાં વાંચેલું. બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલયના પ્રારંભ પ્રસંગે યોજાયેલ સમારંભમાં તેઓ આવ્યા હતા. તે સમારંભમાં મોટા મોટા વિદ્વાનો, રાજા મહારાજાઓ અને વોઈસરોયની હાજરીમાં ગાંધીજીએ જે ઓજસ્વી ભાષણ આપેલું, તેની મારા ઉપર બહુ ઘેરી અસર થઈ હતી. કાશીમાંયે હજી તેની ચર્ચા ચાલ્યા કરતી હતી. મને લાગ્યું કે આ પુરુષ એવો છે, જે દેશની રાજકીય સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથે સાધવા માગે છે. મને આ જ ખપતું હતું. મેં પત્ર લખી પ્રશ્નો પૂછયા. જવાબ આવ્યા એટલે ફરી પૂછયા. ગાંધીજીએ વળતી આશ્રમમાં દાખલ થવા અંગેના નિયમોની પત્રિકા મોકલી અને લખ્યું કે પત્રવ્યવહારથી વધુ ફોડ નહીં પાડી શકાય, તમે રૂબરૂ આવી જાવ.
અને મારા પગ મહાત્મા ગાંધી તરફ વળ્યા. આમ જોતાં તો એમ લાગે કે ન તો હું હિમાલય ગયો, કે ન બંગાળ પહોંચ્યો. પણ મારા મનથી તો હું બંને જગ્યાએ એકી સાથે પહોંચી ગયો. ગાંધીજી પાસે મને હિમાલયની શાંતિ પણ મળી અને બંગાળની ક્રાંતિ પણ જડી. જે વિચારધારા હું ત્યાં પામ્યો, તેમાં ક્રાંતિ અને શાંતિનો અપૂર્વ સંગમ થયો હતો. 7, જૂન, 1916ને દિવસે કોચરબ આશ્રમમાં હું ગાંધીજીને પહેલી વાર મળ્યો. ભગવાનની અપાર દયા હતી કે એમણે મને એમનાં ચરણોમાં સ્થિર કર્યો. ગાંધીજી તો પારસમણિ જેવા હતા. એમના સ્પર્શથી લોઢું સુવર્ણ બનતું. એમના હાથમાં એવો કીમિયો હતો જેને લીધે તેઓ માટીમાંથી મહાપુરુષ પેદા કરી શકતા હતા, જંગલીને સભ્ય બનાવી શકતા હતા, નાનાને મોટો કરી શકતા હતા. એમણે મારા જેવા અસભ્ય માણસને સભ્ય તો નહીં, પણ સેવક જરૂર બનાવ્યો. મારી અંદરના ક્રોધના જવાળામુખીને અને બીજી અનેક વાસનાઓના વડવાગ્નિને શમાવી દેનારા તો ગાંધીજી જ હતા. આજે હું જે કાંઈ છું, તે બધો એમની આશિષનો ચમત્કાર છે.
Read more


