ઉદ્ધવગીતા – શ્રીમદ ભાગવત મહાપુરાણ
[જેમને આ ‘રીડગુજરાતી’ સમર્પિત કરવામાં આવ્યું છે તે ‘શ્રીમદ ભાગવત મહાપુરાણ’ના અગિયારમા સ્કંધમાં ભગવાન શ્રી કૃષ્ણે પ્રિય સખા ઉદ્ધવને આપેલો ઉપદેશ ‘ઉદ્ધવગીતા’ તરીકે ઓળખાય છે. આજના મંગલદિને તેમાંના કેટલાક મનનીય શ્લોકોનું આચમન કરીએ. સૌ વાચકમિત્રોને જન્માષ્ટમીની વઘાઈ.]
[1] પ્રિય ઉદ્ધવ ! બંધન અને મુક્તિ જેવું દુનિયામાં કશું નથી કારણ કે દરેક ગુણ તો માયાનું કાર્ય છે અને પોતાનું જે સ્વરૂપ છે તેમાં ન મોક્ષ છે કે ન બંધન. શોક, મોહ, સુખ, દુઃખ અને દેહની પ્રાપ્તિ – આ સઘળું માયાને કારણે જ છે, આત્માને માટે તો આ વાત સ્વપ્ના જેવી મિથ્યા છે. વિદ્યા અને અવિદ્યા આ બન્ને મારી જ શક્તિઓ છે, જે દેહધારીઓને ક્રમશઃ મોક્ષ અને બંધન કરાવનારી છે. આ બન્ને અનાદિ છે અને મારી માયાથી રચાયેલી છે.
[2] આ શરીર પ્રારબ્ધને આધીન છે; ઈન્દ્રિયો દ્વારા કર્મ કરવામાં આવે છે તેનું પ્રેરક મન છે. આ પ્રમાણે આ મન અને ઈન્દ્રિયો બન્ને ગુણોનાં કાર્ય છે. વાસ્તવમાં તો ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે. પરંતુ સામાન્ય વ્યક્તિ ‘આ બધું મેં કર્યું’ એવું માનીને બંધાઈ જાય છે.
[3] જેને કોઈ અપેક્ષા નથી, જે જગતના ચિંતનથી સદા ઉપરામ થઈને મારા જ મનન-ચિંતનમાં તલ્લીન રહે છે અને રાગ-દ્વેષ છોડીને સર્વમાં સમાન દષ્ટિ રાખે છે, તેવા મહાત્માની પાછળ-પાછળ હું નિરંતર એવું સમજીને ફર્યા કરું છું કે તેના ચરણોની રજ ઊડીને મારા ઉપર પડી જાય, જેથી મારામાં વસેલા બધા લોક પવિત્ર થઈ જાય.
[4] હું જ તમામ પ્રાણીઓ-મનુષ્યોમાં ચાલવાની, બોલવાની, મળત્યાગની, પકડવાની, આનંદ-ઉપભોગની શક્તિ છું. સ્પર્શની, દર્શનની, સ્વાદની, સાંભળવાની અને સૂંઘવાની શક્તિ પણ હું જ છું. સમસ્ત ઈન્દ્રિયોની ઈન્દ્રિય-શક્તિ હું જ છું. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, તેજ, અહંકાર, મહતત્વ, પંચમહાભૂત, જીવ, અવ્યક્ત પ્રકૃતિ, સત્વ, રજ, તમ – આ બધા વિકારો અને તેમનાથી પર રહેનાર બ્રહ્મ – આ બધું હું છું. આ બધાં તત્વોની ગણના, લક્ષણો દ્વારા તેમનું જ્ઞાન તથા તત્વજ્ઞાન દ્વારા તેનું ફળ પણ હું જ છું. હું જ ઈશ્વર છું, હું જ જીવ છું, હું જ ગુણ છું અને ગુણી પણ હું જ છું. હું જ સર્વનો આત્મા છું અને સર્વરૂપ પણ હું છું. મારા સિવાય કોઈ પણ પદાર્થ ક્યાંય નથી. એમ સમજો કે જેનામાં પણ તેજ, શ્રી, કીર્તિ, ઐશ્વર્ય, લજ્જા, ત્યાગ, સૌન્દર્ય, સૌભાગ્ય, પરાક્રમ, તિતિક્ષા અને વિજ્ઞાન વગેરે શ્રેષ્ઠ ગુણ હોય તે મારા જ અંશ છે.
વધુ આગળ વાંચો »
કૃષ્ણ : 21મી સદીના ઈશ્વર – જય વસાવડા
[જેમ જેમ યુગો વીતતા જાય તેમ તેમ વધારે ને વધારે પ્રસ્તુત બનતું જાય એવું વ્યક્તિત્વ એટલે ‘કૃષ્ણ’. એ તમને ગમે ત્યાં મળી શકે. વેદથી લઈને લોકગીતો સુધી એમનો વ્યાપ છે. શૃંગાર-વિતરાગ, પ્રેમ-નીતિ, નિર્દોષતા-બુદ્ધતા જેવા અનેક પરસ્પર વિરોધી ભાવોના એ સંયુકત ઉદ્દગમસ્થાન છે. જેમનું વર્ણન કરતાં વાણી થંભી જાય અને વર્ણન કરનાર જ કૃષ્ણમય બની જાય એવા વડના પાંદડે પોઢેલા બાળકૃષ્ણને આજે તેમનાં પ્રાગટ્ય દિને નમન કરીએ. સાહિત્યકારોએ તો એમને અનેક દષ્ટિએ જોયા છે પરંતુ આજના યુવાન હૈયામાં દેખાતી તેમની એક અલગ છબીને ઝીલી છે શ્રી જયભાઈ વસાવડાએ... પ્રસ્તુત લેખ તેમના 2003માં પ્રકાશિત થયેલા પુસ્તક ‘કૃષ્ણ : 21મી સદીના ઈશ્વર’માંથી સાભાર લેવામાં આવ્યો છે. હાલ આ પુસ્તક અપ્રાપ્ય છે પરંતુ ડિસેમ્બર-2010માં તેની સંવર્ધિત નવી આવૃત્તિ આવી રહી છે. રીડગુજરાતીને આ લેખની પરવાનગી આપવા માટે શ્રી જયભાઈનો (ગોંડલ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jayvaz@gmail.com અથવા આ નંબર પર +91 9825437373 સંપર્ક કરી શકો છો. સૌને જન્માષ્ટમીની શુભકામનાઓ.... – તંત્રી.]
[1]
જોઈએ છે એક ઈશ્વર !
એક એવા ભગવાન કે જેની પ્રતિમા પ્રાચીન હોય, પણ ઉપદેશ અર્વાચીન હોય. જેમનામાં દંતકથામય ભવ્યતા અને દૈવી ચમત્કારિતા હોય. સાથોસાથ માનવીય લાગણીઓ અને સ્વાભાવિક ગમાઅણગમા પણ હોય. જરૂરિયાત મુજબ યુદ્ધત્વ અને બુદ્ધત્વ બંનેનો પરિચય કરાવી શકે. જે સિદ્ધાંતોના મૂળિયા તરછોડે નહીં, છતાં નવીનતાની ડાળીઓ ફેલાવા દે. જે બીજાને બચાવવા જાન આપી દે તેવા પરોપકારી નહીં પણ બીજાને બચાવવા માટે જાન લઈ લે તેવા પ્રભાવશાળી હોય. જેમના માટે જીવન ઉદાસી નહીં પણ ઉત્સવ હોય. જેમનામાં યૌવનનો આધુનિક થનગનાટ હોય અને ઊંડાણપૂર્વકના અભ્યાસનો તરવરાટ હોય. જે આઈડિઅલ (આદર્શ) નહીં પણ પ્રેક્ટિકલ (વ્યવહારુ) હોય. જેમની પૂજા ન થાય, જેમને પ્રેમ થાય !
નેચરલી…. પૃથ્વીના પટ પર આવું ચરિત્ર એક જ છે.
યુગદષ્ટા શ્રીકૃષ્ણ !
વધુ આગળ વાંચો »
ૐ હાસ્યમ્ – રતિલાલ બોરીસાગર
[ હાસ્યલેખોના પુસ્તક ‘ૐ હાસ્યમ્’માંથી સાભાર.]
[1] કહું છું, સાંભળો છો !
એક વાર એક વર્તમાનપત્રની સાપ્તાહિક પૂર્તિની જીવનચિંતનની કૉલમમાં નાટ્યકાર ઈસ્કીલસનું એક કથન ટાંકવામાં આવ્યું હતું : ‘સ્ત્રીએ ઘરની ચાર દીવાલોની વચ્ચે જ પોતાની જિંદગીનો વ્યાપ સંકેલી લેવો જોઈએ અને શાંતિપૂર્વક મૌન રહીને જીવતાં શીખવું જોઈએ.’ અઢી હજાર વરસ પહેલાં સ્ત્રી વિશે પુરુષની અપેક્ષા આવી હતી. આજે પણ પુરુષોને ખાનગીમાં પૂછવામાં આવે અને એનો જવાબ એની પત્નીથી ખાનગી રાખવાની ખાતરી આપવામાં આવે તો આજે પણ પુરુષમાત્રની અપેક્ષા, કદાચ જ નહિ, ચોક્કસ આવી જ હશે, એવું પુરુષજાતિના પ્રતિનિધિ તરીકે હું કહી શકું તેમ છું. અલબત્ત, બે ટંક જમવું હોય અને બાળકોને ઈંગ્લિશ મિડિયમમાં ભણાવવાં હોય તો પત્નીને નોકરી કરવા જવા દીધા સિવાય પતિનો છૂટકો નથી. પણ સ્ત્રીએ શાંતિપૂર્વક મૌન પાળીને જીવતાં શીખવું જોઈએ એવી પુરુષની માન્યતામાં ઝાઝો ફેર પડ્યો નથી. અલબત્ત ઈસ્કીલસની જેમ કોઈ પતિ જાહેરમાં હિંમતપૂર્વક આવું કહી ન શકે – આજે તો કદાચ ઈસ્કીલસ પોતે પણ જાહેરમાં આવું ન કહી શકે. પરંતુ પુરુષ માત્રને કહ્યાગરી પત્ની ગમે છે. (જોકે સ્ત્રી માત્રને કહ્યાગરો કંથ ગમે છે – એટલે એકબીજાને કહ્યાગરાં બનાવવાની માથાકૂટમાં જિંદગી પૂરી થઈ જાય છે !)
પણ મુશ્કેલી એ છે કે એકલદોકલ ભાગ્યશાળી પુરુષને બાદ કરતાં કોઈ પુરુષને જીભ હોય એવી – એટલે કે બોલી શકતી હોય તેવી – મૂંગી સ્ત્રી ભાગ્યે જ સાંપડે છે. જાહેરમાં પતિ સામે જીભાજોડી ન કરનારી સ્ત્રી પણ હોમગ્રાઉન્ડ પર વાચાળ હોય છે. (જાહેરમાં વાદવિવાદ થાય ત્યારે જીભાજોડી કર્યા વગર મૂંગા રહેવા માટે અમારા એક મિત્ર એમનાં પત્નીને વિવાદ દીઠ એક સાડી લઈ આપે છે. વિવાદ જેટલો મોટો એટલી સાડી મોંઘી એવી પણ એમની સમજૂતી છે. આ ખર્ચને પહોંચી વળવા મિત્રને નોકરીમાં ઓવરટાઈમ કરવો પડે છે !) કેટલીક સ્ત્રીઓ વાચાળ પતિને મૂંગો બનાવવા સમર્થ હોય છે. આ અર્થમાં સ્ત્રી ઈશ્વરી શક્તિ ધરાવે છે એમ કહી શકાય. ‘મૂકમ કરોતિ વાચાલમ’ એમ ઈશ્વર વિશે કહેવાય છે તે સ્ત્રી વિશે પણ કહી શકાય. ફેર માત્ર એટલો છે કે ઈશ્વર મૂકમ (મૂંગાને) કરોતિ વાચાલમ (બોલતો કરે છે), જ્યારે સ્ત્રી વાચાલમ (બોલતા પતિને) કરોતિ મૂકમ (મૂંગો કરે છે.) બંધારણનું જ્ઞાન હોય કે ન હોય, ઘણાંખરાં ઘરોમાં પત્ની જ ‘સ્પીકર’ હોય છે. ‘જીભ’ નારીજાતિનો શબ્દ છે એટલે જીભનો ઉપયોગ પુરુષની સરખામણીમાં સ્ત્રી વધુ કુશળતાથી કરી શકે છે.
વધુ આગળ વાંચો »
કવિતા અને કવિ – ઉમાશંકર જોશી
[‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-3માંથી સાભાર.]
પહેલાં કરતાં કવિતાને માટે પ્રચારનાં સાધનો ખૂબ વધ્યાં છે. કવિતા થોડા સમયમાં ઘણાંઓ સુધી પહોંચી શકે એ સંભવિત બન્યું છે. આમાં કેળવણીનો વધતો જતો પ્રચાર, પાઠ્યપુસ્તકો દ્વારા બહોળા વિદ્યાર્થી-સમુદાય સુધી કવિતાનું પહોંચવું, કવિ અને રેડિયો દ્વારા થતી કવિતાની રજૂઆત – આ બધાંએ નોંધપાત્ર ભાગ ભજવ્યો છે. પહેલાંના ઉત્તમ કવિઓની કવિતા પણ આટલી સહેલાઈથી બહોળા વર્ગ સુધી પહોંચી શકે એવું ન હતું. તો એમ માનવું કે કવિતા લોકપ્રિય થઈ ગઈ છે ? શું ખરેખર કવિતા લોકોના જીવનમાં એક મહત્વના અંશરૂપ બની છે ?
સહેજ વિરોધાભાસ જેવું લાગશે, પણ મને તો એમ લાગે છે કે અત્યારના સમયમાં એક પ્રજા તરીકે આપણે ઓછામાં ઓછી કવિતાથી ચલાવીએ છીએ. આપણાં જૂનાં માણસોનું જીવન તપાસીશું તો દેખાશે કે તેમના જીવનમાં કવિતા ઠીક ઠીક મહત્વનો ભાગ ભજવતી. પ્રેમાનંદનાં ‘હૂંડી’, ‘મામેરું’, ‘સુદામાચરિત’ જેવાં આખ્યાનો અનેક વાર એમણે માણ્યાં હોય. અનેક ગરબી-ગરબા, ભજનો, પ્રભાતિયાં, વ્રતકથાઓ, દુહા, કહેવતો, ઉખાણાં – આ આપણાં અભણ ગણાતાં ભાંડુઓને કંઠે હોય.
જ્યારે, એમના પ્રમાણમાં, ભણેલા માણસોને કેટલી ઓછી કાવ્યપંક્તિઓ મોઢે હોય છે ? જૂનાં માણસોની વાણીનું પોત અનેક વાર લોકોક્તિઓ અને રૂઢિપ્રયોગોથી ભાતીગળ અને સોહામણું જોવા મળે છે, જ્યારે આપણા જમાનાનાં માણસો વિશે એવું હિંમતભેર કહી નહિ શકાય. ટૂંકામાં, અભણ ગણાતાં માણસો જીવનમાં કવિતા વિના ચલાવી લેતાં નથી, પણ ભણેલા વર્ગે કવિતા વગર જીવવાની કળા હસ્તગત કરી હોય એવું દેખાય છે. ઉપરાંત, ભણેલાં માણસો એકબાજુ જૂના શિષ્ટ સાહિત્યથી અને લોકસાહિત્યથી દૂર પડી ગયાં છે, તો બીજી બાજુ પોતાના જમાનાની સાચી સર્જક કવિતા કરતાંય વધુ તો કવિતાનો લેબાસ ધારણ કરેલી કૃતિઓનો એમને જ્યાં ને ત્યાં ભેટો થતો હોય છે. વારંવાર કાને અથડાતાં સિનેમાગીતો અને એને મળતી રચનાઓનો જેની રુચિ ઉપર પ્રભાવ પડતો હોય, અને છાપાં જેની ભાષા ઉપર છાપ પાડતાં હોય, તેવા વર્ગ સામે કવિતા કરવાની હોય ત્યારે કવિને માટે પણ કવિતાની ખોજ વધુ કપરી બને છે. કવિતા માટે ઉપરથી અનુકૂળ લાગતી, પણ વસ્તુતઃ એવી ન હોય એ જાતની પરિસ્થિતિમાં સમકાલીન કવિતા રચાઈ છે.
વધુ આગળ વાંચો »
વાચનની વૈજ્ઞાનિક કલા – સં. પ્રા બહેચરભાઈ એમ. પટેલ
[માણસના આંતરિક વિકાસમાં વાચન બહુ મોટો ભાગ ભજવે છે. આજે જ્યારે વાચન ફક્ત અભ્યાસના પુસ્તકો કે મનોરંજનના સાધન તરીકે સીમિત થઈ ગયું છે ત્યારે વાચનના વિજ્ઞાનને સમજવું જરૂરી છે. વાચન ‘મોહનદાસ’માંથી ‘મહાત્મા’ નિર્માણ કરી શકે છે. અહીં પુસ્તકોને ધ્યાનમાં રાખીને વાચન વિશે જે વાત કહેવામાં આવી છે તે સામાયિકો, પત્રિકાઓથી લઈને આજના વેબસાઈટ જેવા માધ્યમોને પણ એટલી જ લાગુ પડે છે. આશા છે કે આ પ્રકારના લેખો વાચકોને વધારે ધ્યાનપૂર્વક વાચન કરવા માટે ઉપયોગી થઈ રહેશે.... આ પુસ્તકના સંપાદક શ્રી બહેચરભાઈ અમદાવાદના વતની છે. તેમણે મુંબઈમાંથી એમ.એ. એલ.એલ.બી કરેલ છે તેમજ અમેરિકાથી અર્થશાસ્ત્રમાં એમ.એ કર્યું છે. અમેરિકાના તત્કાલીન પ્રમુખ જ્હોન ઍફ. કેનેડીના આર્થિક સલાહકાર ડૉ. જ્હોન પી. લુઈસના ‘સ્પેશિયલ રિસર્ચ આસિસ્ટન્ટ’ તરીકે તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. આજીવન તેમણે અનેક યુનિવર્સિટીઓમાં અધ્યાપન, શિક્ષણ કાર્ય કર્યું છે. ઘણી યુનિવર્સિટીઓમાં તેઓએ ડીન કે સલાહકારના પદે સેવાઓ આપી છે. ‘વાચનની કલા’ વિશે તેમણે ઘણા પુસ્તકો લખ્યાં છે. આપ તેમનો આ નંબર પર +91 79 25327142 સંપર્ક કરી શકો છો. – તંત્રી.]
[1] ઉત્તમ ગ્રંથનું વાચન – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
‘સરસ્વતીચંદ્ર’માં ગોવર્ધનરામે એક સરસ પ્રસંગ નિરૂપ્યો છે. સુવર્ણપુરમાં અતિથિ થઈને આવેલો સરસ્વતીચંદ્ર રાજરાજેશ્વર મહાદેવના મંદિરના પાછળના વાડામાં તળાવના કિનારે ઓટલા પર સૂતો છે અને છાતી પર પુસ્તક છે. આ દશ્ય વનલીલાની નજરે પડ્યું. કુમુદસુંદરીને એ કહે છે : ‘એક કૌતુક જોવું હોય તો, આ ઓટલા પર કોક સૂતું છે ને વળી ચોપડી વાંચતાં વાંચતાં સૂતું હશે ને ઊંઘ આવી હશે, તે ચોપડી છાતી પર પડી ગઈ છે. લોકોય શું કરે છે ! તળાવ પરે ચોપડી !’ વનલીલાએ સરસ્વતીચંદ્રને ઊઠાડ્યો ને એને જોતાં કુમુદસુંદરીને શંકા વધુ દઢ થઈ. પુસ્તકનું નામ હતું : ‘ધ પંડિત-કાશીવિદ્યા-સુધાનિધિ’. આવું પુસ્તક વાંચવાની બૌદ્ધિક તાકાત તો સરસ્વતીચંદ્રમાં જ હોય ને ? પુસ્તકે વાંચનારની બૌદ્ધિક કક્ષાની, તેની અભિરુચિની અને તેના ચારિત્ર્યની ઓળખ આપી દીધી અને એ ઓળખ ખોટી નહોતી.
એક જર્મન ફિલસૂફે કહ્યું છે કે, કોઈ વ્યક્તિ કયા પુસ્તકો વાંચે છે એ જોવા માટે મને એના વાચનટેબલ પર લઈ જાઓ અને એ વ્યક્તિને જોયા વિના જ હું એના વ્યક્તિત્વ વિશે ઘણુંબધું જાણી શકીશ. વાત ખોટી નથી. વ્યક્તિની અભિરુચિ, એના રસના વિષયો, એની બૌદ્ધિક સજ્જતા વગેરે વિશે એ કયું પુસ્તક વાંચે છે તેના પરથી આપણે ઘણું જાણી શકીએ. ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરતાં આપણે ઘણાં માણસોને કોઈ પુસ્તક કે કોઈ સામાયિક વાંચતાં જોઈએ છીએ. કોઈ વ્યક્તિ હલકી કક્ષાનું સામાયિક કે પુસ્તક વાંચતી હોય તો એની બૌદ્ધિક કક્ષાનું તળિયું તરત દેખાઈ જાય છે. એ વ્યક્તિએ ગમે તેવાં ભભકદાર વસ્ત્રો પહેર્યાં હોય તોપણ એ એના વ્યક્તિત્વની છીછરાશને ઢાંકી શકતાં નથી. બહારથી ભભકદાર દેખાતી વ્યક્તિઓ એમના આંતરજીવનમાં કેટલીક તો છીછરી હોય તેનો ખ્યાલ એમના વાચન પરથી આવી જાય છે. કદાચ તેથી જ પુસ્તક-પસંદગી વ્યક્તિના આંતરજીવનની પારાશીશી કહી હશે.
વધુ આગળ વાંચો »
બુદ્ધિની કસોટી – જ્યોતીન્દ્ર દવે
[ શ્રી વિનોદ ભટ્ટ દ્વારા સંપાદિત ‘હાસ્યેન્દ્ર જ્યોતીન્દ્ર’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
ઘણા સમર્થ વિચારકો કહી ગયા છે કે મનુષ્યનું મન એવું ચંચળ છે, કે તે એક વસ્તુ તરફ લાંબો વખત અભિમુખ થઈ શકતું નથી. એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદતા શાખામૃગની પેઠે મન પણ એક વિષય પરથી બીજા વિષય પર હંમેશા કૂદ્યા કરે છે. સ્થિરતાથી એક વિષયના વિચાર એ કરી શકતું નથી. સમર્થ વિચારકોએ, એકાગ્ર મનથી વિચાર કરીને કહ્યું છે એટલે આ વાત છેક ખોટી છે એમ તો ન કહેવાય, પણ એક વખત મેં એક વાંદરું જોયું હતું. તે એક ઝાડની શાખાએ પૂંછડી ભેરવી રહ્યું હતું અને ગમે એટલા પ્રયત્નો કરવા છતાં તેનાથી બીજા ઝાડ પર જવાતું નહોતું. એ વાંદરાની પેઠે મન કવચિત એક વિષય પર એવું ચોંટી જાય છે, કે ત્યાંથી એ ખસી શકતું જ નથી. આવો અનુભવ મને થોડા જ વખત પર થયો હતો.
હું આરામખુરસી પર પડ્યો પડ્યો અપચા પર ભીંડાનું શાક નડે કે નહિ, તેના વિષયમાં મશગૂલ થઈ ગયો હતો. એટલામાં મારાં સહધર્મચારિણી હાથમાં એક ‘સ્ત્રી-ઉપયોગી’ માસિક લઈ આવ્યાં ને મને કહ્યું :
‘આનો જરા જવાબ કહોની.’
‘ના, નહિ નડે.’ મેં જવાબ દીધો.
‘શું નહિ નડે ?’ એણે પૂછ્યું.
‘કેમ ? ભીંડા.’ મેં કહ્યું.
‘ભીંડા ? ભીંડા ક્યાંથી આવ્યા ?’
‘કેમ ? અપચા પર ભીંડા નડે કે નહિ, એમ તેં મને પૂછ્યું ને ?’
‘મેં વળી એમ ક્યારે પૂછ્યું ?’
‘બરાબર, બરાબર. એ તો હું વિચાર કરતો હતો કે અપચા પર ભીંડા નડે કે નહિ, એટલામાં આવીને તેં જવાબ માગ્યો એટલે હું એમ બોલ્યો. બોલ, હવે તારો શો પ્રશ્ન છે ?’
વધુ આગળ વાંચો »

સાહિત્યકાર : 



