
થોડુંક વિચારીએ…. – તંત્રી
પ્રિય વાચકમિત્રો,
રીડગુજરાતી પર રોજ સૌ લેખો પર ‘કોમેન્ટ’ લખે પરંતુ આજે મને થયું કે હવે ‘કોમેન્ટ’ પર લેખ લખવાનો સમય આવી ગયો છે ! તેથી આ પ્રતિભાવ લખવાની સુવિધા વિશે કેટલીક બાબતો આપની સાથે વહેંચવા માગું છું. મને આશા છે કે આપ એ વિશે ગંભીરતાથી વિચારશો.
આપણે પ્રતિભાવ શા માટે લખીએ છીએ ? સ્વાભાવિક છે કે પુસ્તક, સામાયિક કે અખબાર વાંચીને આપણે લેખકને તુરંત ફોન કરી દેતા નથી. ઘણીવાર તો લેખક સાથે આપણો કોઈ સંપર્ક કે ઓળખાણ હોતી નથી. કોઈ સુંદર લેખ વાંચીને લેખકને બિરદાવવાનું મન હોય તો પણ સંપર્ક કરવો અઘરો બની જાય છે. 21મી સદીમાં ટેકનોલોજીના આ માધ્યમથી લેખકને આપણો વિચાર પહોંચાડવો સરળ બની રહે છે. પ્રતિભાવ લખવાનો હેતુ લેખકનો લેખ વાંચ્યા પછી આપણા મનમાં જે વિચાર ઊગ્યો હોય તેને સર્જક સુધી પહોંચતો કરવાનો હોવો જોઈએ. શક્ય છે કે કોઈ વાર્તામાં આપણને અમુક સંવાદ, દ્રશ્ય કે વિચાર ન ગમ્યા હોય. એ બાબતો વિશે પણ આપણે વિવેકથી આપણું મંતવ્ય જરૂર રજુ કરી શકીએ. પ્રતિભાવ લખવો એટલે લેખકના વિચાર સાથે સંમત થઈ જવું એમ તો નથી જ પરંતુ સાથે સાથે વિરોધમાં આક્રમકતા હોવી પણ જરૂરી નથી. આપણી ભાષા એ આપણા સ્વભાવનો પરિચય છે.
પ્રત્યેક લેખનું સ્તર એક પ્રકારનું હોતું નથી. બાળવાર્તા સરળતાથી સમજાઈ જાય છે જ્યારે અમુક લેખો વિચારમંથન માંગી લે છે. એ પ્રકારના લેખો પર ઉતાવળે લખાયેલો અભિપ્રાય ક્યારેક લેખના વિષયને બરાબર ન્યાય આપી શકે તેમ હોતો નથી. ઘણીવાર તો બે-ત્રણ વાર વાંચન થાય ત્યારે લેખકના કહેવાનું તાત્પર્ય બરાબર સમજાતું હોય છે. મનનને વાંચન બાદ એથી જ તો બીજા ક્રમે મૂકવામાં આવ્યું છે. વિચારશીલ લેખોના તત્વને યોગ્ય રીતે સમજ્યા વગર લખાતા પ્રતિભાવોની દિશા ક્યાંક તો સાવ અલગ હોય છે અથવા તો એ પ્રતિભાવો ઉપર ઉપરથી લખાયેલા હોય છે.
વધુ આગળ વાંચો »
જીવન જ્યોત જગાવો – અમૃત બાન્ટાઈવાળા
[‘જીવન જ્યોત જગાવો’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]
[1] સાચો ઉપદેશક
ઉપદેશ આપવાનું દરેક માણસને ગમે છે. માણસનો સ્વભાવ જ એવો છે કે, એને બીજાને ઉપદેશ આપવાનું ગમે છે. પોતે જેનું આચરણ કરતો નથી એનો ઉપદેશ આપીને એ પોતાની જાતને ઊંચી કક્ષામાં મૂકે છે.
એક શહેરમાં એક શેઠ રહેતા હતા. નામ હતું એમનું ધનીકલાલ. નામ પ્રમાણે એમની પાસે ધન પણ ખૂબ હતું. ખૂબ મોટો વેપાર ધંધો હતો. પૈસા મેળવવા માટે તેઓ કાવા-દાવા તથા અનેક યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવતા. ગમે તેવું ખરાબ કામ કરતાં અચકાય નહીં. છતાં પણ એમણે પોતાની જાતને ધર્મી તરીકે ઉપસાવેલી. તેઓ ધર્મમાં માનવાવાળા હતા એના કરતાં બાહ્યાડંબરમાં માનવાવાળા હતા એમ કહેવું વધારે સારું હતું. સવારમાં હંમેશ નદીએ સ્થાન કરવા જવું. મોટેથી રામ રામ બોલતા બોલતા દેવ મંદિરે જવું. ભગવાનને કાલાવાલા કરવા. જરા નવરા પડે કે, તરત ભગવાનનું સ્મરણ કરવું. પોતે ભક્ત છે. ધાર્મિક છે. એવું કહેવડાવવાનો એમને ખૂબ જ શોખ હતો. પરંતુ પાછળ લોકો એમની ટીકા કરતા, એમને ભગતના બદલે ઠગત કહેતા. ધાર્મિકતાના બહાના નીચે અનેક કુકૃત્યો તેઓ કરતા.
એક દિવસની સુંદર સવાર. શેઠ ધનીકલાલ મંદિરમાં દર્શન કરવા ગયા. દર્શન કરીને તેઓ પાછા ફરતા હતા. સાથે એમના ઓળખીતા બીજા એક ભાઈ પણ હતા. તેઓ જઈ રહ્યા હતા ત્યાં જ એમણે સામેથી શહેરની પ્રસિદ્ધ ગણિકા રૂપાદેવીને આવતી જોઈ. એના હાથમાં પૂજાનો થાળ હતો. રૂપાદેવી શહેરની પ્રસિદ્ધ ગણિકા હતી. નામ પ્રમાણે જ એનામાં રૂપ હતું. એના હાસ્ય પર શ્રેષ્ઠીઓ ધન લુંટાવતા. એના પાયલની ઝણકાર માટે સોદાગરો સોનામહોરની લહાણી કરતા. રૂપાદેવીના હાથમાં પૂજાનો થાળ જોઈ શેઠ વિચારમાં પડી ગયા. એમના મનમાં આશ્ચર્ય થયું. એમના ચહેરા પર તિરસ્કારના ભાવ છવાઈ ગયા. એમણે એમની સાથેના પેલા ભાઈને કહ્યું : ‘રામ….રામ… શો કળજુગ આવ્યો છે. ગણિકાઓ પણ પૂજા કરતી થઈ ગઈ છે. લોકો પાપ કરતાં વિચાર કરતા નથી. જગતને છેતરવાના ધંધા છે આ બધા.’
રૂપાદેવી આ વાત સાંભળી ગઈ. એની આંખની ભ્રમરો ખેંચાઈ, એણે શેઠ સામે હસતાં હસતાં કહ્યું, ‘શેઠ, જગતની એ જ વિશેષતા છે.’ કહી એણે કતરાતાં કતરાતાં ઉમેર્યું, ‘હું તો જે છું, જેવી છું એવી દેખાઉ છું શેઠ. પણ તમે જેવા છો એવા દેખાઓ છો ખરા ? જગતને કોણ છેતરે છે ? હું કે તમે ?’
શેઠ બોલ્યા સિવાય ચાલ્યા ગયા.
વધુ આગળ વાંચો »
ભારતમાં ટેલિવિઝનની સુવર્ણ જયંતી – અભિજિત વ્યાસ
['નવનીત સમર્પણ' માર્ચ-2010 માંથી સાભાર.]
ટેલિવિઝન પણ આજના સમયમાં એક અનિવાર્ય માધ્યમ તરીકે ઊભરી આવ્યું છે. આપણે ત્યાં ટેલિવિઝનની શરૂઆત થઈ તે ઘટનાને આ વર્ષે પચાસ વર્ષ પૂર્ણ થાય છે, અને ભારતીય દૂરદર્શન તેની સ્થાપનાની સુવર્ણજયંતી ઊજવી રહ્યું છે ત્યારે અહીં આપણા દેશમાં ટેલિવિઝનના વિકાસના ઈતિહાસને જાણવો જરૂરી બને છે.
આપણે ત્યાં ટેલિવિઝન એક પ્રાયોગિક ધોરણે 15મી સપ્ટેમબર 1959ના રોજ દિલ્હીમાં શરૂ થયેલું. ત્યારે તેની રેન્જ માત્ર ચાલીસ કિલોમીટરની હતી. યુનેસ્કોના સહયોગથી શરૂ થયેલી આ પ્રસારણસેવા ત્યારે અઠવાડિયામાં ફક્ત બે દિવસ માટેની હતી. એ સમયે ફકત વીસ મિનિટનું પ્રસારણ થતું હતું. ટેલિવિઝન રાષ્ટ્રના ઘડતરમાં શું ભાગ ભજવી શકે તે જોવાના ઉદ્દેશથી આ પ્રસારણ શરૂ થયેલું. માત્ર શૈક્ષણિક કાર્યક્રમોનું જ તે સમયે પ્રસારણ થતું હતું. આવું બે વર્ષ ચાલ્યું જેનું પરિણામ પ્રોત્સાહક જોવા મળ્યું એટલે પ્રસારણની અવધિ વીસ મિનિટથી વધારીને 60 મિનિટની કરવામાં આવી. પણ તે છતાં તેનું પ્રસારણ તો અઠવાડિયામાં બે જ દિવસ થતું હતું. ખૂબ સારા પરિણામ છતાં આ પ્રકારનું પ્રસારણ રોજ કરવું જોઈએ તેવો નિર્ણય લેતાં સરકારને છ વર્ષ લાગ્યાં. અને 1965માં જ્યારે દરરોજ પ્રસારણ કરવું તેવું નક્કી કર્યું ત્યારે પણ તેની કોઈ નીતિ કે એજંડા સરકારે નક્કી કર્યો નહોતો. પરિણામે ત્યારે દેશમાં ટેલિવિઝન સેટનું નિર્માણ પણ થતું નહોતું. આ પ્રકારે કોઈ પણ જાતની દિશા વગર બીજાં સાત વર્ષ નીકળી ગયાં.
વધુ આગળ વાંચો »
સાને ગુરુજી – મીરા ભટ્ટ
[ નવી પેઢીને ભારતના સ્વાતંત્ર્યસેનાનીઓની માહિતી મળે તે હેતુથી વડોદરાના ‘જનજાગૃતિ અભિયાન’ સંસ્થા દ્વારા મીરાબેન ભટ્ટની કલમે ‘યાદ કરો કુરબાની’ નામે બે પુસ્તકો તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાંના ભાગ-1માંથી આજે શ્રી સાને ગુરુજીનું જીવનદર્શન અહીં કરીએ. અન્ય તમામ ચરિત્રોની યાદી આ લેખના અંતે આપવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે શ્રીમતી મીરાબેન ભટ્ટનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 265 2432497 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિ માટે લેખના અંતે આપેલ સરનામે આપ સંપર્ક કરી શકો છો.]
‘બાબા, મને ‘શામુની મા’ જેવી મા ક્યારે મળે ?’ – તેવીસ વર્ષનો એક તરુણ વિનોબાજીને પૂછે છે. એના જવાબમાં વિનોબાજી કહે છે કે – તું જ્યારે શામુ જેવો બનીશ ત્યારે તને શામુની મા જેવી મા મળશે. કોણ છે આ શામુ, ને કેવી છે એની મા ? – આ બંને જીવતાં પાત્રો નથી, પરંતુ એક પુસ્તકનાં બે પાત્રો છે. પરંતુ મહારાષ્ટ્રના અનેક યુવાનોનાં દિલોમાં શામુની માએ અદ્દભુત સ્થાન મેળવી લીધું છે. આમ, પુસ્તકનાં પાત્રોને જીવંત બનાવી ઘેર ઘેર પહોંચાડનાર લેખકનું નામ છે, સાને ગુરુજી. એમનું હુલામણું નામ ‘શ્યામ’.
આ ‘સાને’ તો એમની અટક. ‘ગુરુજી’ એમનું ઉપનામ. પરંતુ એમનું આખું નામ છે, પાંડુરંગ સદાશિવ સાને. મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારના એક ગામડામાં સાધારણ સ્થિતિના કુટુંબમાં એમનો જન્મ 1899ની 24મી ડિસેમ્બરે થયો. ધર્મપરાયણ તથા કોમળ સ્વભાવની મા પાસે પાંડુરંગનું નાનપણથી જ ભક્તિભાવવાળું ઘડતર થયું. નાનપણમાં મા કાનમાં અને કાંડામાં ઘરેણાં પહેરાવતી. એક વાર નિશાળમાં મોટા શિક્ષક પરીક્ષા લેવા આવ્યા. પાંડુરંગના દાગીના જોઈ પૂછ્યું, ‘દાગીના કોણ પહેરે ?’
‘બહેનો.’
‘લોકો તને દાગીનાથી ઓળખે તે ગમે, કે સદવર્તનથી ?’
‘સદવર્તનથી’ પાંડુરંગે જવાબ આપ્યો. બસ, તે દિવસથી દાગીના છૂટી ગયા અને સદગુણો કેળવવાનું કામ શરૂ થયું. પછી તો મેટ્રિક-ગ્રેજ્યુએટ થઈ શાળાના શિક્ષક બન્યા. પોતાને નાનપણથી જ સાહિત્યનો શોખ. એટલે વિદ્યાર્થીઓ માટે ‘છાત્રાલય’ નામનું હસ્તલિખિત દૈનિક શરૂ કર્યું. એક વાર મુંબઈ જવાનું થયું તો ચોપાટી પર ગાંધીજીનું ભાષણ સાંભળ્યું. ગાંધીજીના શબ્દો એમના અંતરમાં આરપાર ઊતરી ગયા. ગાંધીજીમાં એમને ભારતનાં તપ અને વૈરાગ્ય દેખાયાં ! જાણે હરતીફરતી, જીવતી-જાગતી ગીતા ! સત્ય અને પ્રેમનો સાક્ષાત અવતાર ! એમની દેશદાઝ તો જાણે ભડભડતી આગ !
વધુ આગળ વાંચો »
વિચારમંથન – સંકલિત
[1] નિશા-અનુપમાને સલામ ! – રજની દવે
21મી સદીમાં આપણને સહજ રીતે એમ જ લાગે કે હવે તો જૂનાં સામાજિક દૂષણોએ વિદાય લીધી છે. પરંતુ નવા જમાનાની ઝાકમઝોળની લાલચ ઘણાને ભ્રષ્ટ કરી રહી છે. લગ્નમાં હવે ટૂ વ્હિલર, ફોર વ્હિલર, ટી.વી. વીડીયો, ફ્રિઝ વગેરે વરપક્ષ તરફથી માંગવામાં આવી રહ્યાં છે. આમ તો નાની મોટી ભેટો તો આપવાનો રિવાજ ચાલુ જ છે પરંતુ જ્યારે બેફામ માંગણીઓ કરવામાં આવે છે ત્યારે કન્યા પક્ષના ધબકારા વધી જાય છે.
આ બાબતે 2003માં બનેલા બે-ત્રણ કિસ્સા યાદ કરવા જેવા છે. નિશા શર્મા એક ઈજનેર બાપની દીકરી સૉફટવૅર ઈજનેરીના છેલ્લા વર્ષમાં ભણતી હતી. 21મા વર્ષે લગ્ન લેવાયાં. મુનશી સાથે લગ્ન ગોઠવાયા. ઈજનેર બાપે ઘણી બધી ભેટ ચીજો જમાઈ તેમજ તેના મોટાભાઈ માટે ખરીદી હતી. પરંતુ લગ્ન સમયે સાસુમાએ વરરાજાના મોટાભાઈ માટે કાર અને 12 લાખ રોકડા માંગ્યા. નિશા અગ્નિની સાક્ષીએ બેઠી હતી પરંતુ સાસુની ખોટી માંગે તેના મગજમાં ગુસ્સાનો અગ્નિ પ્રગટાવ્યો. તેણે જાતે જ પોલીસને ફોન કરીને બોલાવી અને વરરાજાને જેલના સળિયા ગણતો કર્યો.
અનુપમાની પણ એવી જ કહાની છે. અનુપમાએ દહેજની માંગણીને વશ ન થતાં સી.આર.પી.ની હાજરીમાં લગ્નમંડપનો ત્યાગ કર્યો. એક અન્ય છોકરીના લગ્નમાં જાન ચાર કલાક મોડી આવી અને આવ્યા પછી ચાલુ ભેટો ઉપરાંત 8 લાખ રોકડા માંગ્યા. તેણે પણ લગ્નની ચોરીનો ત્યાગ કર્યો. આજે નિશા અને અનુપમાની હિંમત જોઈને ઘણા બધા પ્રેરણા લેશે તેવું લાગે છે. જે પ્રેમ ખાતર નહીં પણ પૈસા ખાતર લગ્ન માટે તૈયાર થાય તેવાને લીલા તોરણે જાકરો મળે તેવું વાતાવરણ સર્જવાની જરૂર છે. નિશા-અનુપમા તેમજ અન્ય સાહસ કરવાવાળી યુવતીઓને સલામ કરીએ. (‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.)
વધુ આગળ વાંચો »
પ્રકીર્ણ – મોહમ્મદ માંકડ
[‘પ્રકીર્ણ’ પુસ્તકમાંથી સાભાર.]
[અ] જેવું મન એવો માણસ, જેવી સવાર એવો દિવસ
વર્ષ વીતી રહ્યું છે. ઋતુ બદલાઈ રહી છે. વર્ષભરની તાજગી ભરી શકાય એવા દિવસો આપણે માણ્યાં છે પરંતુ આ નવા તાજગીસભર દિવસોમાં પણ આપણી સવાર તાજગીભરી રીતે શરૂ થાય છે ખરી ? આપણે તાજગીભરી રીતે સવારે ઊંઘમાંથી જાગી, ઊઠીએ છીએ, ખરા ? શિયાળાના દિવસો ગયા. કોઈકે લખ્યું છે કે, શિયાળાની ઠંડીમાં સવારે હૂંફાળી પથારી છોડીને બહાર નીકળવું એ દેણામાંથી બહાર નીકળવ જેટલું કપરું છે. ઊંઘની વાત, સાવ નાનકડી કે નજીવી લાગતી હોવા છતાં માણસના આખા દિવસની પ્રવૃત્તિ ઉપર એની ઘણી મોટી અસર રહે છે.
સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે ઊંઘમાંથી જાગવાની વાત તો સાવ સાદીસીધી છે પરંતુ ન્યુરો ફિઝિયોલૉજીના નિષ્ણાત મિલ્ટન ડી. લુચીના મત પ્રમાણે જાગૃત થવાની પ્રક્રિયા અટપટી અને ખાસ અભ્યાસ કરવા જેવી પ્રક્રિયા છે. ખરેખર તો આપણે ઊંઘમાં કેમ સરી પડીએ છીએ અથવા તો એમાંથી કઈ રીતે જાગૃત થઈએ છીએ એ વિશે ઘણું ઓછું જાણીએ છીએ. હજુ આધુનિક વિજ્ઞાન ઊંઘનાં અને જાગૃત થવાનાં રહસ્યો ઉકેલવા પ્રયત્ન કરી રહ્યું છે. ઊંઘનાં લાંબા કલાકોમાં સમય વિષે આપણને કોઈ ખ્યાલ રહેતો નથી. ક્યારેક સમયનો ખ્યાલ સતત રહે તો ઊંઘ જ આવતી નથી. ક્યારેક જાગ્યા પછી ફરી પાછા સૂઈ જવાની ઈચ્છા થાય છે અને એ રીતે સૂઈને જાગ્યા પછી માત્ર થોડી પળોનું ઝોકું લીધું છે એમ આપણને લાગે ત્યારે ખાસ્સી એકાદ કલાકની ઊંઘ આપણે ખેંચી કાઢી હોય છે. ક્યારેક જાગતી વખતે મન પ્રફુલ્લ હોય છે તો ક્યારેક તે પાછું ભાગે છે. આમ ઊંઘનો પ્રદેશ અજાયબ પ્રદેશ છે. કેટલાક માણસો રાત્રે દસ વાગે સૂઈને સવારે આઠ-નવ વાગે જાગે તો પણ તેમને સુસ્તીનો અનુભવ થાય છે. ખરેખર એમ ન થવું જોઈએ. માણસ મોડેથી સૂવે કે વહેલા સૂએ પૂરતી ઊંઘ લઈને જાગ્યા પછી તેને સ્ફૂર્તિનો અનુભવ ન થાય તો ક્યાંક કશી ખામી છે એમ માનવું જોઈએ અને એ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
વધુ આગળ વાંચો »

અસીમા ને શિખા કૉલેજમાં સાથે ભણતાં હતાં. અભ્યાસ પૂરો થયા પછી છૂટાં પડ્યાં તે છેક આજે મળ્યાં છે. લગભગ બત્રીસ વરસે. આ બત્રીસ વરસમાં તો ઘણું ઘણું બન્યું છે. બેઉ પરણ્યાં. સંતાનો થયાં. એમનાંય લગ્ન થયાં ને અલગ સંસાર રચાયા છે. બેઉ ખૂબ ઉમળકાથી એકબીજાને મળે છે ને ઉત્કટતાથી ખબરઅંતર પૂછે છે. શિખા બોલી :



