Thursday, February 4, 2010 · પ્રકાર : બાળ સાહિત્ય · સાહિત્યકાર : રમણલાલ સોની · 10 પ્રતિભાવો
[ જાણીતા બાળસાહિત્યકાર શ્રી રમણલાલ સોનીની કલમે લખાયેલી સુંદર બાળવાર્તાઓમાંથી કેટલીક ચૂંટેલી બાળવાર્તાઓનું સંપાદન તેમના પુત્રવધૂ શ્રીમતી રેણુકાબેન શ્રીરામ સોનીએ ‘લાડુની જાત્રા અને બીજી વાર્તાઓ’ શીર્ષક હેઠળ કર્યું છે. સૌ બાળકો સુધી આ સંસ્કાર વારસો પહોંચે તે માટે કુલ 214 પાનામાં પ્રકાશિત કરાયેલી 51 જેટલી વાર્તાઓનું આ પુસ્તક રાહતદરે ફક્ત 50 રૂપિયામાં આપવામાં આવે છે. બાળકોની કલ્પનાશક્તિ ખીલવવા માટે તેમજ તેમને રોજ અવનવી વાર્તાઓ દ્વારા સંસ્કૃતિનો પરિચય કરાવવા માટે દરેક માતાપિતાએ આ પુસ્તક વસાવવા જેવું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]
[1] પકડ કાન !
એક હતો બ્રાહ્મણ. બહુ ભોળો, બહુ ગરીબ.
શ્રાવણ મહિનો આવ્યો, એટલે એ નીલકંઠ મહાદેવના મંદિરમાં જઈને બેઠો. હાથમાં માળા અને જીભે ભગવાનનું નામ. મહિનો પૂરો થયો એટલે એની તપસ્યાથી પ્રસન્ન થઈ લોકોએ એને એક ગાય આપી. બ્રાહ્મણ ગાય લઈને ઘેર જતો હતો, ત્યાં રસ્તામાં એક ઠગ મળ્યો. ગાય જોઈને ઠગ કહે : ‘અરેરે, આપણા લોકો દાનધરમ કરતાં ક્યારે શીખશે ? આવી ગાય બ્રાહ્મણને દાનમાં અપાતી હશે કદી ? આ ગાય તો માત્ર સાડા ત્રણ અઠવાડિયાં દૂધ દેનારી છે !’
આ સાંભળી બ્રાહ્મણને થયું કે આવી ગાય ઘેર લઈ જવા કરતાં વેચી દેવી સારી ! એણે ઠગને કહ્યું : ‘તમે જ આ ગાય વેચાતી લઈ લો !’
ઠગે કહ્યું : ‘આપણે કોઈ પાસે એની કિંમત કરાવીએ.’
નજીકમાં જ એક ઝૂંપડું હતું. ઝૂંપડામાં એક ખાટલા પર એક વૃદ્ધ બેઠેલો હતો. ઠગે અને બ્રાહ્મણે બેઉએ એ વૃદ્ધને ગાયની કિંમત કરવા કહ્યું. વૃદ્ધે પૂછપરછ કરી બધી વાત જાણી લીધી. પછી કહ્યું : ‘આ ગાય અપલખણી છે, માત્ર સાડા ત્રણ અઠવાડિયાં દૂધ દેનારી છે, એટલે એની કિંમત સાડા ત્રણ રૂપિયા !’
બ્રાહ્મણે કહ્યું : ‘માત્ર સાડા ત્રણ રૂપિયા ?’
વૃદ્ધે કહ્યું : ‘મારે તો ન્યાયથી બોલવાનું. ગાય ચાલીસ અઠવાડિયાં દૂધ દેનારી હોત તો હું એની કિંમત ચાલીસ રૂપિયા કહેત !’
વધુ આગળ વાંચો »
Wednesday, February 3, 2010 · પ્રકાર : ટૂંકી વાર્તા · સાહિત્યકાર : રાવજી પટેલ · 22 પ્રતિભાવો
[ સુપ્રસિદ્ધ કવિ, વાર્તાકાર તેમજ નવલકથાકાર શ્રી રાવજી પટેલની કેટલીક અપ્રગટ રચનાઓને લઈને તાજેતરમાં ‘તાદર્થ્ય’ સામાયિક દ્વારા ‘રાવજી પટેલ : અગ્રંથસ્થ શબ્દયાત્રા’ નામનો વિશેષાંક પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેમાંની બે વાર્તાઓ આજે આપણે અહીં માણીશું. ગ્રામ્ય શૈલી અને તળપદી ભાષાના સંવાદો અને ભાવોનું વર્ણન કરતી પ્રસ્તુત વાર્તાઓ પ્રેમ અને કરુણાનો સંદેશ સરળ શબ્દોમાં રજૂ કરે છે.]
[1] પ્રીસ્ક્રીપ્શન
ડોક્ટરે છેલાને બહાર બેસવા કહ્યું. ડોસો દેવની મૂર્તિ સામે બેઠો હોય એમ ડોક્ટરને કરગરી પડ્યો. બારણા બ્હાર ફીક્કી નજર નાખીને ડોસાએ ધીમેથી પૂછ્યું : ‘દાગતર સા’બ, ઈને ખઈ રોગ (ક્ષય રોગ) તો નથ્ય ને ?’
ડૉક્ટરનો હકાર સાંભળીને ડોસાના પગ ભાગી ગયા. ધ્રૂજતે હાથે પ્રીસ્ક્રીપ્શન લઈને તે દીકરા પાસે આવ્યો. શિશિરના પાંદડા જેવો એનો ચહેરો જોઈને ડોસો એને ‘ઉઠ બેટા’ એટલું પણ ન કહી શક્યો. બન્ને ઘેર આવ્યા. પાછલી પછીતે છાણાં થાપતી છેલાની મા દોડી આવી. ડોસાનું પડી ગયેલું મ્હોં જોઈને એની ઘરડી આંખનો ખૂણો ભીનો થયો. ડોસો ત્યાં ઝાઝું ન ટકી શક્યો. ઘરમાં જઈ થોડુંક ઊભો રહ્યો અને બારણા પાછળથી લાકડી લઈને….. ‘ફકર્ય ચંત્યા ન કરતી…’ એમ બબડતો બબડતો પરસાળમાં આવ્યો. ઘરમાં ફૂટી કોડી ય નહોતી. દવા વગર છેલો નહીં બચે. આજે ચુંગી સળગાવવાનું પણ મન થતું નહોતું. પાંગેથ પર છેલાની મા બેઠી હતી. ઘેટું બેઠું હોય એવી ગરીબ. અચાનક ડોસાને ઈલાજ સૂઝ્યો. ખીંટીએથી કેડિયું ઉતાર્યું, પહેર્યું. પછેડીને છેડે પ્રીસ્ક્રીપ્શન બાંધ્યું અને વાડા પાસે આવ્યો. એને ઝાંપલી આગળ ઊભેલો જોઈને ઘેટાં બેંબેં કરવા લાગ્યાં. ડોસે વાડામાંથી નબળાં જોઈને બારેક ઘેટાં કાઢ્યાં. અને તેમને લઈને નીકળી પડ્યો….
ધૂળિયા રસ્તા પરથી સડક પર પગ મૂકતાં જ તે દાઝ્યો. સૂરજ માથે ચડતો હતો. એ ઘણીવાર શહેરમાં ઘરવખરી લેવા જતો. કતલખાના પાસેથી ઘણીવાર ગુજર્યો હતો અને તેની આંખમાં ખુન્નસ ઝલપાતું. એ ઘેટાં લઈને છેક કતલખાનાના ઝાંપા આગળ આવી ઊભો. ઝાંપે ઊભેલા માણસને કગર્યો.
‘એ બાપલિયા, ઘર્યે સોકરો ખઈમાં રિબાય સે, પાંહે દવા લાવ્યાનો પૈસો નથ્ય, આ….’ ઘેટાં ભણી જોઈને એણે નજર વાળી લીધી. ઘેટાં છેક વાડેથી પૂંઠે પૂંઠે આવ્યા અને કોણ જાણે શીય મરવાની ગંધ આવી કે ઝાંપો જોઈને ચૂપ થઈ ગયાં. સોદો નક્કી થયો. ડોસે પછેડીને છેડે બાંધેલું પ્રીસ્ક્રીપ્શન કાઢ્યું, એના પર દુ:ખી હાથ ફેરવી જોયું અને પછી એક એક ઘેટાને નજરમાં ભરી લીધું.
વધુ આગળ વાંચો »
Wednesday, February 3, 2010 · પ્રકાર : સાહિત્ય લેખ · સાહિત્યકાર : આભા ટંડેલ · 30 પ્રતિભાવો
[‘ભૂમિપુત્ર સામાયિક’-2003માંથી સાભાર.]
આજે ચોતરફ સંસ્કારોની હોળી ખેલાઈ રહી છે. દેશી-વિદેશી ચેનલો અને ફિલ્મી મનોરંજનની ચેનલોએ દર્શકોના મનોરંજનના નામે હલકામાં હલકાં દશ્યો રજૂ કરવા માંડ્યાં છે. જાણે રીતસરની હરીફાઈ ઊપડી છે. ભારત પાસે ગરીબી અને ભૂખમરો છે. બેકારી અને બેહાલી છે. હજારો વર્ષ સુધી ટકી રહેલા સંસ્કારો અને સંસ્કૃતિ છે, પરંતુ આજે એક દીવાનખંડમાં ઘૂસી જઈને ટેલિવિઝન વિવિધ ચેનલો દ્વારા રીતસરનું આક્રમણ કરી રહ્યું છે, ત્યારે સંતો સિદ્ધિમાં, નેતાઓ મદમાં અને પ્રજા પ્રમાદમાં ડૂબેલી છે. ઉઘાડી આંખે જોઈ શકાય એમ હોવા છતાં દેશની સંસ્કૃતિની વાતો કરનારા, પેટ ભરીને ભાષણો ઠોકી સંસ્કૃતિને નામે મત માગનારાઓના પેટનું પાણીય નથી હાલતું.
ચોવીસ કલાક ટીવી ઉપર જુદી-જુદી ચેનલો દ્વારા ભાતભાતનો રસથાળ પીરસાતો રહે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેટલીક ચેનલ દ્વારા દર્શાવાઈ રહેલી સામાજિક સીરિયલોના ફૂલ્યા-ફાલ્યા અજગરે સમાજના મોટા વર્ગને પોતાના ભરડામાં જકડી લીધો છે. ઝૂંપડપટ્ટીથી લઈને હાઈ-સોસાયટી સુધી, શહેરોથી લઈને નાના ગામડા સુધી ટીવી ઉપર આ સીરિયલો નિહાળનારાઓની એ એક ‘આદત’ બની ચૂકી છે જાણે.
એક સમય હતો જ્યારે અઠવાડિયામાં અડધો કલાક-કલાક દરમ્યાન આવી કોઈ સામાજિક સીરિયલ દર્શકોને મનોરંજન સાથે જીવનપ્રેરક સંદેશા આપતી. ખૂબ લોકપ્રિય બનેલી હમલોગ, ખાનદાન, સાંજા ચૂલ્હા, માલગૂડી ડેઝ જેવી સામાજિક સીરિયલો હોય, રામાયણ-મહાભારત, ક્રિષ્ણા જેવી ધાર્મિક સીરિયલો હોય કે પછી સાંપ્રત સમસ્યાઓથી ઘેરાયેલા માનવીના જીવંત પ્રશ્નોને આબેહૂબ વાચા આપતી દિગ્દર્શક જશપાલ ભટ્ટીની સીરિયલ હોય, પરંતુ એમાં ક્યાંય ભારતીય સમાજની આગવી સંસ્કૃતિનું વસ્ત્રાહરણ થયું નથી. બાવન હપ્તે પૂરી થયેલ આ સીરિયલોના કોઈ અનિચ્છનીય પ્રત્યાઘાતો પડ્યાનું બહુ જાણમાં નથી. જ્યારે આજની સામાજિક સીરિયલોની માયાજાળે સ્ત્રીઓ-પુરુષો, યુવાનોથી માંડીને બાળકો અને વૃદ્ધો ઉપર પણ પોતાની જાદૂઈ અસર ફેલાવી દીધી ન હોય તેવું લાગી રહ્યું છે. સીરિયલ નિહાળનારો એક ચોક્કસ વર્ગ રાત્રે ન વધે તેટલો દિવસે અને દિવસે ન વધે તેટલો રાત્રે વધી રહ્યો છે અને આ માત્ર સીરિયલ નિહાળવા સુધીની જ વાત હોય તો તો ઠીક, અહીં તો મોટા ભાગના દર્શકો રીતસરની ‘સીરિયલ લાઈફ’ જીવતા થઈ ગયા છે. અઠવાડિયાના ચાર દિવસ એટલે કે સોમવારથી ગુરુવાર સુધી રાત્રે સાડા આઠથી સાડા અગિયાર વાગ્યા સુધી એટલે કે સતત ત્રણ કલાક અને અઠવાડિયાના ગણો તો બાર કલાક (બાકીનો હિસાબ વાચકો જાતે લગાવે) આ સામાજિક સીરિયલોનું સામ્રાજ્ય ટીવી ઉપર છવાયેલું રહે છે. જે કંઈક દેખાઈ રહ્યું છે, તેનો આછો ચિતાર રજૂ કરવાનો પ્રયત્ન કરું છું.
વધુ આગળ વાંચો »
Tuesday, February 2, 2010 · પ્રકાર : ટૂંકી વાર્તા · સાહિત્યકાર : વિનોદિની નીલકંઠ · 15 પ્રતિભાવો
[‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-3માંથી સાભાર.]
પીતાંબરનો નાનો ભાઈ કાંતિ હડકાયું કૂતરું કરડવાથી બાવીશ વર્ષની ભરજુવાન વયે જ્યારે ગુજરી ગયો, ત્યારે ઘરની મોટી વહુ અંબાએ જે કલ્પાંત કરી મૂક્યું. જે છાતી-માથાં કૂટી નાખ્યાં, તે ઉપરથી સૌ કોઈને એમ જ લાગી આવે કે તે એના પેટનો દીકરો જ ગુમાવી બેઠી હશે. અને તે અનુમાન ઘણું ખોટું પણ ન ગણાય.
પંદર વર્ષની અંબા પરણીને સાસરે આવી ત્યારે, સસરા આગલી સાલ ગુજરી ગયેલા હતા, સાસુને ક્ષયરોગ લાગુ પડેલો હતો. અંબાએ ઘરમાં પ્રવેશ કર્યો કે તરત સાસુએ તેને પોતાની પથારી પાસે બોલાવી ને બેસાડી. કાંતિ ત્યારે ફક્ત બે વર્ષનો હતો. પગ આવી ગયા હતા, પણ બોલતા પૂરું શીખ્યો નહોતો. સાસુએ કાંતિને પાસે બોલાવી અંબાના ખોળામાં મૂક્યો ને કહ્યું : ‘જો બેટા કાંતિ, આ તારી બીજી બા.’
‘બીજી બા’ કાંતિ પોપટની પેઠે બોલ્યો. ખોળામાં બેઠેલા બચુકડા દિયર પ્રત્યે અંબાને ખૂબ વહાલ ઊપજ્યું. તેણે પ્રેમપૂર્વક કાંતિને માથે હાથ ફેરવીને કહ્યું : ‘બા, હું જરૂર એની બીજી બા થવા મથીશ.’ અંબાના ચહેરા ઉપર તે બાળક પ્રત્યે પ્રેમની કુમાશ ફરી વળેલી જોઈ, સાસુએ વહુનું પારખું કરી લીધું અને છુટકારાનો દમ ખેંચ્યો. પોતાના લગ્નજીવનની લુપ્ત થતી સંધ્યાએ જન્મેલો આ બાળક, બાર મહિનાના ખૂણા દરમ્યાન આંસુની ધારે ઊછરેલો આ કાંતિ – તેને માટે હવે સાસુ નિશ્ચિંત બની ગયાં. સાસુનો રોગ વધતો ચાલ્યો. ચાકરી કરવામાં વહુએ પાછી પાની ન કરી, દવા કરવામાં પીતાંબરે પણ કસર ન કરી; પણ જેની આવરદાની દોરીમાં દાંતી પડેલી, તે શરીર કેટલું ટકે ? પીતાંબરના લગ્ન પછી બાર મહિને તેની માતાનું મૃત્યુ નીપજ્યું. ત્રણ વર્ષનો કાંતિ માબાપ-વિહોણો બન્યો, પરંતુ તેની બીજી બા અંબાએ તેને માબાપની ખોટ એક ઘડી પણ પડવા ન દીધી.
પીતાંબરને મનને ખૂણે આ નાનકડા ભાઈ પ્રત્યે ઈર્ષા હતી. તેને થતું કે નવવધૂ અંબાના પ્રેમાળ હૃદયનો ઘણોખરો ભાગ આ બાળકે કબજે કરી લીધો હતો. અને સાચે જ, વાંદરીનું બચ્ચું જેમ પોતાની માતા ઉપર સંપૂર્ણ ભરોસો મૂકી તેને વળગેલું રહે, પછી વાંદરી એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદકા મારે તોપણ બચ્ચું લેશમાત્ર ડરતું નથી, તેમ જ આ કાંતિ અંબા ઉપર પ્રેમપૂર્વક વિશ્વાસ મૂકી, તેને વળગીને જીવતો હતો. અંબા એવી તો ચતુર ગૃહિણી હતી કે પીતાંબરને ફરિયાદ કરવાની તક કદી પણ સાંપડતી જ નહિ. પીતાંબરની ઝીણામાં ઝીણી સગવડ તે કુનેહથી સાચવતી. અને પીતાંબર એમ તો શી રીતે કહી શકે, કે ‘મારા નમાયા બાળક ભાઈ ઉપર તું પ્રેમ રાખે છે, તે મારાથી નથી ખમાતું ?’
વધુ આગળ વાંચો »
Tuesday, February 2, 2010 · પ્રકાર : સત્ય ઘટના · સાહિત્યકાર : કલ્યાણી ત્રિવેદી · 51 પ્રતિભાવો
[રીડગુજરાતીને સત્યઘટના પર આધારિત આ કૃતિ મોકલવા માટે નવોદિત યુવા સર્જક કલ્યાણીબેનનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આ તેમની પ્રથમ રચના છે. લેખનક્ષેત્રે તેઓ પ્રગતિના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ. આપ તેમનો આ નંબર પર +91 99133164012 અથવા આ સરનામે namrata.s27@hotmail.com સંપર્ક કરી શકો છો.]
આજની સવાર આકાશી વાદળોથી ગોરંભાયેલી હતી. મનને અસ્વસ્થ કરી મૂકતી એક પછી એક ઘટનાઓ પર આ વાદળો જાણે બળતામાં ઘી હોમી રહ્યાં હતાં. કશુંક અજુગતું ન બને એ માટે હું વારંવાર મનને સમજાવી રહી હતી. પરંતુ હવે એ સમજ ક્યાં સુધી ટકવાની હતી ? બધું ફક્ત મારે એકલીએ જ સમજવાનું હતું ? જેને સમજવાનું હતું એ તો તૈયાર થઈને હાથમાં મેગેઝિન લઈને બેસી ગયો હતો.
‘સૌમિલ, આજે તો રવિવાર છે. ક્યાંક બહાર જાય છે ?’
‘હા.’ ચશ્માંની દાંડી સરખી કરતાં એણે મારી સામે જોયા વગર ગર્વ સાથે જવાબ આપતાં ઉમેર્યું, ‘એક બહુ મોટા માણસને મળવા જાઉં છું, જેનો ફોટો આ વખતના બિઝનેસ મેગેઝિનના પહેલા પાને છપાયો છે. હવે કંઈ તારે પૂછવું છે ? મારી વાતમાં માથું મારવાનું છોડીને તું તારું કામ કર…..’
ફરીથી એ જ અપમાન. હવે તો રોજનું થયું. ક્યારેક શાબ્દિક પ્રહારો તેની સીમા ઓળંગીને શારીરિક પ્રહાર સુધી પહોંચી જતાં. સૌમિલ માટે આ બધું સ્વાભાવિક હતું. કારણ કે એની માટે એનો બિઝનેસ સર્વસ્વ હતો. પોતાના વ્યક્તિત્વ અને વાકચાતુરીનું એને એટલું બધું અભિમાન હતું કે તેની સામે કૌટુંબિક બાબતો નગણ્ય હતી. પરિવારની તેને કંઈ પડેલી નહોતી. પત્ની તેની માટે અભણ દાસી હતી અને દીકરો આર્યન એક ઝંઝટ ! એનું સ્વપ્ન આસમાનને આંબવાનું હતું. એ માર્ગ પર કોઈની તેને જરૂર નહોતી. જે કોઈ તેના રસ્તામાં આવવાની કોશિશ કરે તેને સૌમિલ તોફાની હાથી જેમ ઝાડને ફેંકી દે તેમ ફેંકી દેતો. એના મન પર ઝનૂન સવાર થઈ ગયું હતું. કરોડોની હેરફેર, બિઝનેસ મિટિંગો, દેશ-પરદેશના પ્રવાસો, મોડી રાતની પાર્ટીઓએ તેના જીવન પર પૂરો કબજો કરી લીધો હતો. તે સતત ખોટા કામો અને ખોટી સોબતોના દળદળમાં ખૂંપતો જતો હતો. પરંતુ તેને સમજાવે કોણ ? છતાં હું પ્રયત્ન કરવાની તક ચૂકતી નહીં.
વધુ આગળ વાંચો »
Monday, February 1, 2010 · પ્રકાર : નિબંધ · સાહિત્યકાર : ગંગાબહેન પટેલ · 7 પ્રતિભાવો
[ઈ.સ. 1964માં પ્રકાશિત થયેલા ‘સ્મૃતિસાગરને તીરે’ પુસ્તકમાંથી સાભાર. લેખિકા તે સમયની જાહેર પ્રવૃત્તિઓમાં ખૂબ તેજસ્વી કાર્ય કરનારાં હતાં. સમાજસેવા, દુર્ભાગી દુ:ખી નારીઓ પ્રત્યે એમની સક્રિય સહાનુભૂતિ, ગાંધીજીની રાષ્ટ્રીય લડતમાં એમની પરાક્રમભરી કારકિર્દી તેમજ સાંતાક્રુઝ ગુજરાતી હિન્દુ સ્ત્રી મંડળની પ્રગતિમાં તેમનું ઘણું મોટું પ્રદાન હતું. તેમના જીવનના સંસ્મરણોરૂપે લખેલ આ પુસ્તકમાંથી આપણે પહેલું પ્રકરણ માણીએ. પુસ્તક હાલ અપ્રાપ્ય છે.]
જૂનાં સંસ્મરણોને ઢંઢોળવાનો સમય હંમેશાં નિવૃત્તિમાં જ આવે છે. એવો સમય મને પણ લાંબી માંદગીને લીધે આવ્યો; અને સાધારણ રીતે સૂતાં સૂતાં આગલા પાછલા વિચારો આવે છે તેમ, મને પણ મારું બાળપણ આંખ આગળ રમવા લાગ્યું.
મારા દાદા શંકરભાઈ તળશીભાઈ તે વખતમાં એટલે કે 1890ના સમયમાં બહુ જ જાણીતા આગેવાન ગણાતા. દાદા સ્વભાવે ભોળા અને ઉગ્ર હતા. એમની એક બૂમે ત્યારે ઘરનાં માણસો થરથરી જતાં. પરંતુ સાથોસાથ દાદાના હૃદયમાં પ્રેમ અને નરમાશ પણ એટલાં જ હતાં. એ કોઈને દુ:ખી દેખી શકતા નહિ; એટલે અમારે બારણે હંમેશા ધારાળા અને બારૈયાનું ટોળું બાપાથી દૂર ચોકમાં બેઠેલું જ હોય. કોઈને બાપનું બારમું કરવા રૂપિયા જોઈતા હોય, કોઈને મા માંદી હોય એના વૈદા માટે પૈસા જોઈતા હોય, કોઈને દૂઝણું જતું રહ્યું હોય તો ભેંસ જોઈતી હોય, કોઈને ખેતરની દાણ ભરવાની હોય ને મુદત વીતી જતી હોય, કોઈનાં લૂગડાં ફાટી ગયા હોય, કોઈ વળી અમારો જ ખેડૂત હોય ને માગતું આપી શકતો ન હોય તે માફ કરાવવા આવ્યો હોય…. આવા માણસો ખાસા પલાંઠીવાળીને ચોકમાં બેસી રહેતા. અને યાદ આવે છે કે દાદા ‘હા’,’ના’ કરતા, બૂમો પાડતા, બધાનું મન તૃપ્ત કરતા.
આમ કરતાં સ્વાભાવિક રીતે જ તડકો થઈ જતો. પછી મારાં દાદા જરા ડોકું કાઢીને કહેતાં :
‘આ બિચારા અત્યારે બેચાર ગાઉ જઈને ક્યારે રોટલો ખાશે ? ભલાડા ગામ કંઈ અહીં પડ્યું છે ! અલ્યા સોમા, (અમારા ચાકરોમાંથી એકનું નામ સોમો હતું.) પેલો ચૂલો સળગાવીને નાનો ચરુ મૂક પાણીનો.’ એમ કહીને લગભગ દસથી બાર શેરની ખીચડી એ ચરુમાં ધોવડાવીને મૂકી દેતાં.
વધુ આગળ વાંચો »
Monday, February 1, 2010 · પ્રકાર : હસો અને હસાવો · સાહિત્યકાર : સંકલિત · 18 પ્રતિભાવો
[1] વહતા ભાભા – ગિજુભાઈ બધેકા
નાનું એવું ગામડું હતું. એમાં બધીય વસ્તી અજડ; કંઈ સમજેય નહિ ને સુણેય નહિ. એકેય ચીજને ઓળખેય નહિ ને કોઈને કોઈનું નામેય ન આવડે. એક વખત ચોમાસામાં એક મહોલ્લામાં દેડકું આવ્યું. જન્મારામાં દેડકું કોઈએ દીઠેલું નહિ, એટલે આખા ગામના માણસો એકઠા મળ્યા. સૌ વાંકા વળીને નીરખી નીરખીને જોવા લાગ્યા. એ શું હશે તે કોઈ કળી ન શક્યું. ત્યારે બહુ વારે એક બોલ્યો : ‘આ તે શું હશે માળું ?’
ત્યારે બીજો કહે : ‘અરે ભાઈ ! એ તો બગલું હશે, બગલું ! તમને શી ખબર પડે ?’ ત્યાં વળી ત્રીજો કહે, ‘અરે ભાઈ ! વગર વિચાર્યે કાં બોલો ? એ તો ભાઈ શિયાળ હશે શિયાળ ! ચોમાસું છે એટલે વગડામાંથી આવી ચડ્યું હોય !’
ત્યાં તો એકે કહ્યું : ‘અરે ભાઈ ! બોલાવો ને આપણા વહતા ભાભાને ! જેવું હશે એવું કહેશે. એ ઘરડું માણસ છે. એમણે ઘણાં ચોમાસાં જોયાં છે. એમણે બધું જોયુંજાણ્યું હશે. આપણે તો શું સમજીએ ? એમને જ પૂછીએ.’
એક જણ વહતા ભાભાને બોલાવવા દોડ્યો. વહતા ભાભા તો રાડો નાખતા આવ્યા : ‘અલ્યાઓ, હવે તો કંઈ શીખો ! આખો જન્મારો હું કંઈ બેસી રહેવાનો છું. તે તમને બધું કહ્યા કરીશ ? જીવીજીવીને હું હવે કેટલું જીવવાનો ? એદીપણું મૂકી દો. કંઈ શીખો.’
પછી દેડકાને જોઈ વહતા ભાભા બોલ્યા : ‘ઓહો ! આમાં તે શું ? નાખો ને ચપટી દાણા; ચણે તો ચકલું, નહિ તો મોર તો ખરો !’
વધુ આગળ વાંચો »
Sunday, January 31, 2010 · પ્રકાર : ગઝલ · સાહિત્યકાર : મિલિન્દ ગઢવી · 5 પ્રતિભાવો
લખ્યું છે બ્રેઈલમાં મારું મરણ, એની ઉદાસી છે
ઉપરથી હાથ આપ્યા છે અભણ, એની ઉદાસી છે
સરી ગઈ રાત સાથે ચાંદની પણ આંગળીમાંથી
ન સચવાયાં હથેળીમાં કિરણ, એની ઉદાસી છે
લીલાછમ ઘાસમાં વરસાદ વેરાયાની ક્ષણ વચ્ચે
પગરખાં શોધવા નીકળ્યાં ચરણ, એની ઉદાસી છે
સ્મરણની શ્વેત કાગળ-નાવ જ્યાં તરવા મૂકી જળમાં
ચિરાયું વસ્ત્રની માફક ઝરણ, એની ઉદાસી છે
હું જાણું છું કથા પણ તોય પાછળ દોડવું પડશે
ફરે છે એક માયાવી હરણ, એની ઉદાસી છે