asmita parva

સાને ગુરુજી – મીરા ભટ્ટ

[ નવી પેઢીને ભારતના સ્વાતંત્ર્યસેનાનીઓની માહિતી મળે તે હેતુથી વડોદરાના ‘જનજાગૃતિ અભિયાન’ સંસ્થા દ્વારા મીરાબેન ભટ્ટની કલમે ‘યાદ કરો કુરબાની’ નામે બે પુસ્તકો તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાંના ભાગ-1માંથી આજે શ્રી સાને ગુરુજીનું જીવનદર્શન અહીં કરીએ. અન્ય તમામ ચરિત્રોની યાદી આ લેખના અંતે આપવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે શ્રીમતી મીરાબેન ભટ્ટનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 265 2432497 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિ માટે લેખના અંતે આપેલ સરનામે આપ સંપર્ક કરી શકો છો.]

‘બાબા, મને ‘શામુની મા’ જેવી મા ક્યારે મળે ?’ – તેવીસ વર્ષનો એક તરુણ વિનોબાજીને પૂછે છે. એના જવાબમાં વિનોબાજી કહે છે કે – તું જ્યારે શામુ જેવો બનીશ ત્યારે તને શામુની મા જેવી મા મળશે. કોણ છે આ શામુ, ને કેવી છે એની મા ? – આ બંને જીવતાં પાત્રો નથી, પરંતુ એક પુસ્તકનાં બે પાત્રો છે. પરંતુ મહારાષ્ટ્રના અનેક યુવાનોનાં દિલોમાં શામુની માએ અદ્દભુત સ્થાન મેળવી લીધું છે. આમ, પુસ્તકનાં પાત્રોને જીવંત બનાવી ઘેર ઘેર પહોંચાડનાર લેખકનું નામ છે, સાને ગુરુજી. એમનું હુલામણું નામ ‘શ્યામ’.

આ ‘સાને’ તો એમની અટક. ‘ગુરુજી’ એમનું ઉપનામ. પરંતુ એમનું આખું નામ છે, પાંડુરંગ સદાશિવ સાને. મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારના એક ગામડામાં સાધારણ સ્થિતિના કુટુંબમાં એમનો જન્મ 1899ની 24મી ડિસેમ્બરે થયો. ધર્મપરાયણ તથા કોમળ સ્વભાવની મા પાસે પાંડુરંગનું નાનપણથી જ ભક્તિભાવવાળું ઘડતર થયું. નાનપણમાં મા કાનમાં અને કાંડામાં ઘરેણાં પહેરાવતી. એક વાર નિશાળમાં મોટા શિક્ષક પરીક્ષા લેવા આવ્યા. પાંડુરંગના દાગીના જોઈ પૂછ્યું, ‘દાગીના કોણ પહેરે ?’
‘બહેનો.’
‘લોકો તને દાગીનાથી ઓળખે તે ગમે, કે સદવર્તનથી ?’
‘સદવર્તનથી’ પાંડુરંગે જવાબ આપ્યો. બસ, તે દિવસથી દાગીના છૂટી ગયા અને સદગુણો કેળવવાનું કામ શરૂ થયું. પછી તો મેટ્રિક-ગ્રેજ્યુએટ થઈ શાળાના શિક્ષક બન્યા. પોતાને નાનપણથી જ સાહિત્યનો શોખ. એટલે વિદ્યાર્થીઓ માટે ‘છાત્રાલય’ નામનું હસ્તલિખિત દૈનિક શરૂ કર્યું. એક વાર મુંબઈ જવાનું થયું તો ચોપાટી પર ગાંધીજીનું ભાષણ સાંભળ્યું. ગાંધીજીના શબ્દો એમના અંતરમાં આરપાર ઊતરી ગયા. ગાંધીજીમાં એમને ભારતનાં તપ અને વૈરાગ્ય દેખાયાં ! જાણે હરતીફરતી, જીવતી-જાગતી ગીતા ! સત્ય અને પ્રેમનો સાક્ષાત અવતાર ! એમની દેશદાઝ તો જાણે ભડભડતી આગ !
વધુ આગળ વાંચો »

વિચારમંથન – સંકલિત

[1] નિશા-અનુપમાને સલામ ! – રજની દવે

21મી સદીમાં આપણને સહજ રીતે એમ જ લાગે કે હવે તો જૂનાં સામાજિક દૂષણોએ વિદાય લીધી છે. પરંતુ નવા જમાનાની ઝાકમઝોળની લાલચ ઘણાને ભ્રષ્ટ કરી રહી છે. લગ્નમાં હવે ટૂ વ્હિલર, ફોર વ્હિલર, ટી.વી. વીડીયો, ફ્રિઝ વગેરે વરપક્ષ તરફથી માંગવામાં આવી રહ્યાં છે. આમ તો નાની મોટી ભેટો તો આપવાનો રિવાજ ચાલુ જ છે પરંતુ જ્યારે બેફામ માંગણીઓ કરવામાં આવે છે ત્યારે કન્યા પક્ષના ધબકારા વધી જાય છે.

આ બાબતે 2003માં બનેલા બે-ત્રણ કિસ્સા યાદ કરવા જેવા છે. નિશા શર્મા એક ઈજનેર બાપની દીકરી સૉફટવૅર ઈજનેરીના છેલ્લા વર્ષમાં ભણતી હતી. 21મા વર્ષે લગ્ન લેવાયાં. મુનશી સાથે લગ્ન ગોઠવાયા. ઈજનેર બાપે ઘણી બધી ભેટ ચીજો જમાઈ તેમજ તેના મોટાભાઈ માટે ખરીદી હતી. પરંતુ લગ્ન સમયે સાસુમાએ વરરાજાના મોટાભાઈ માટે કાર અને 12 લાખ રોકડા માંગ્યા. નિશા અગ્નિની સાક્ષીએ બેઠી હતી પરંતુ સાસુની ખોટી માંગે તેના મગજમાં ગુસ્સાનો અગ્નિ પ્રગટાવ્યો. તેણે જાતે જ પોલીસને ફોન કરીને બોલાવી અને વરરાજાને જેલના સળિયા ગણતો કર્યો.

અનુપમાની પણ એવી જ કહાની છે. અનુપમાએ દહેજની માંગણીને વશ ન થતાં સી.આર.પી.ની હાજરીમાં લગ્નમંડપનો ત્યાગ કર્યો. એક અન્ય છોકરીના લગ્નમાં જાન ચાર કલાક મોડી આવી અને આવ્યા પછી ચાલુ ભેટો ઉપરાંત 8 લાખ રોકડા માંગ્યા. તેણે પણ લગ્નની ચોરીનો ત્યાગ કર્યો. આજે નિશા અને અનુપમાની હિંમત જોઈને ઘણા બધા પ્રેરણા લેશે તેવું લાગે છે. જે પ્રેમ ખાતર નહીં પણ પૈસા ખાતર લગ્ન માટે તૈયાર થાય તેવાને લીલા તોરણે જાકરો મળે તેવું વાતાવરણ સર્જવાની જરૂર છે. નિશા-અનુપમા તેમજ અન્ય સાહસ કરવાવાળી યુવતીઓને સલામ કરીએ. (‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.)
વધુ આગળ વાંચો »

પ્રકીર્ણ – મોહમ્મદ માંકડ

[‘પ્રકીર્ણ’ પુસ્તકમાંથી સાભાર.]

[અ]  જેવું મન એવો માણસ, જેવી સવાર એવો દિવસ

વર્ષ વીતી રહ્યું છે. ઋતુ બદલાઈ રહી છે. વર્ષભરની તાજગી ભરી શકાય એવા દિવસો આપણે માણ્યાં છે પરંતુ આ નવા તાજગીસભર દિવસોમાં પણ આપણી સવાર તાજગીભરી રીતે શરૂ થાય છે ખરી ? આપણે તાજગીભરી રીતે સવારે ઊંઘમાંથી જાગી, ઊઠીએ છીએ, ખરા ? શિયાળાના દિવસો ગયા. કોઈકે લખ્યું છે કે, શિયાળાની ઠંડીમાં સવારે હૂંફાળી પથારી છોડીને બહાર નીકળવું એ દેણામાંથી બહાર નીકળવ જેટલું કપરું છે. ઊંઘની વાત, સાવ નાનકડી કે નજીવી લાગતી હોવા છતાં માણસના આખા દિવસની પ્રવૃત્તિ ઉપર એની ઘણી મોટી અસર રહે છે.

સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે ઊંઘમાંથી જાગવાની વાત તો સાવ સાદીસીધી છે પરંતુ ન્યુરો ફિઝિયોલૉજીના નિષ્ણાત મિલ્ટન ડી. લુચીના મત પ્રમાણે જાગૃત થવાની પ્રક્રિયા અટપટી અને ખાસ અભ્યાસ કરવા જેવી પ્રક્રિયા છે. ખરેખર તો આપણે ઊંઘમાં કેમ સરી પડીએ છીએ અથવા તો એમાંથી કઈ રીતે જાગૃત થઈએ છીએ એ વિશે ઘણું ઓછું જાણીએ છીએ. હજુ આધુનિક વિજ્ઞાન ઊંઘનાં અને જાગૃત થવાનાં રહસ્યો ઉકેલવા પ્રયત્ન કરી રહ્યું છે. ઊંઘનાં લાંબા કલાકોમાં સમય વિષે આપણને કોઈ ખ્યાલ રહેતો નથી. ક્યારેક સમયનો ખ્યાલ સતત રહે તો ઊંઘ જ આવતી નથી. ક્યારેક જાગ્યા પછી ફરી પાછા સૂઈ જવાની ઈચ્છા થાય છે અને એ રીતે સૂઈને જાગ્યા પછી માત્ર થોડી પળોનું ઝોકું લીધું છે એમ આપણને લાગે ત્યારે ખાસ્સી એકાદ કલાકની ઊંઘ આપણે ખેંચી કાઢી હોય છે. ક્યારેક જાગતી વખતે મન પ્રફુલ્લ હોય છે તો ક્યારેક તે પાછું ભાગે છે. આમ ઊંઘનો પ્રદેશ અજાયબ પ્રદેશ છે. કેટલાક માણસો રાત્રે દસ વાગે સૂઈને સવારે આઠ-નવ વાગે જાગે તો પણ તેમને સુસ્તીનો અનુભવ થાય છે. ખરેખર એમ ન થવું જોઈએ. માણસ મોડેથી સૂવે કે વહેલા સૂએ પૂરતી ઊંઘ લઈને જાગ્યા પછી તેને સ્ફૂર્તિનો અનુભવ ન થાય તો ક્યાંક કશી ખામી છે એમ માનવું જોઈએ અને એ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
વધુ આગળ વાંચો »

ઉષ્મા – કુન્દનિકા કાપડીઆ

[‘મનુષ્ય થવું’ પુસ્તકમાંથી સાભાર.]

બારણું ઉઘાડીને તે ચુપચાપ બાલ્કનીમાં આવીને બેસી ગઈ હતી. વાર્તાની રાજકુમારીને વરદાન મળ્યું હતું : તે બધાને જોઈ શકે, પણ કોઈ તેને જોઈ શકે નહિ. બંધ આંખે પોતે પણ દીવાનખંડના મહેમાનોને જોઈ શકતી હતી. એક પછી એક આવી રહેલાં, દમામદાર કપડાં, લળી પડતાં સ્મિત અને સુંવાળા અવાજવાળાં સ્ત્રીઓ ને પુરુષો. નોકરોની અવરજવર. કાચનાં નવાં ચકચકિત વાસણોની સપાટી પર તરતાં પ્રકાશનાં પ્રતિબિંબ.

મોના રસોડામાં હશે. છેલ્લી સૂચનાઓ આપતી હશે. સુદીપ સરસ કપડાં પહેરીને તૈયાર થયો હશે. દરેક વખતની જેમ, બધું સંપૂર્ણ હોવું જોઈએ. પીણાં, જમવાની વાનગીઓ, સજાવટ. બધા લોકો સુંદર તો નહિ હોય, પણ દરેકે સજાવટ પૂરેપૂરી કરી હશે. એ લોકો જાણે છે કે ક્યા સિક્કા ક્યારે વાપરવા. એ લોકો જાણે છે કે શું વાપરવાથી શું મેળવી શકાય. બધી રમત છે. એ લોકો સરસ રીતે રમે છે. દૂર બેઠાં બધું જોઈ શકાય છે. પહેલાં એક વાર ભૂલ થઈ હતી. બધાં આવવાનાં હતાં અને તે તો દીવાનખંડમાં જ બેઠી હતી. તેણે પણ તૈયાર થઈ કડકડતાં કપડાં પહેરી રજૂ થવાનું છે, એવો કંઈક ભાસ હતો, ભ્રમણા હતી. મોનાએ બહુ સલૂકાઈથી બીજા રૂમમાં જવા કહ્યું હતું. દીવાનખંડ એને ખાલી જોઈતો હતો. ‘તમે ત્યાં જ જમી લેજો. ઊંઘી જવું હોય તો ઊંઘી જજો. અમારી પાર્ટી જરા લાંબી ચાલશે. તમને બહુ ઘોંઘાટ લાગશે. તમારા રૂમનાં બારણાં બંધ કરી દેજો.’

ત્યાર પછી બે વાર પાર્ટી થઈ હતી. આગળથી જ તે પોતાના રૂમમાં ચાલી ગઈ હતી. તે દિવસે સોમવાર કરી લીધો હતો અથવા પછી અગિયારશ કે કાંઈ પણ. જમવાની ખટપટ જ નહિ. આટલી બધી વસ્તુઓમાંથી શું જમવું ને શું નહિ, તેની પસંદગી કરવી મુશ્કેલ બનત. કોઈક વાની ન પીરસાય તો માઠું લાગત. ભૂલી ગઈ હશે એમ મન મનાવવા છતાં ડંખ લાગત. જાણીને અજાણપણું આચર્યું હશે ? અથવા એમ હશે કે એક-બે વસ્તુ ન પીરસી તોયે શું ? આ ઉંમરે હવે ખાવા-પીવાના બહુ શા અભરખા ! પોતાને ખબર હતી કે ખાવાપીવાનો શોખ ઉંમર વધે એમ ઓછો કરવો જોઈએ. તો પણ મોં પર કોઈ એમ કહે તો ઓછું આવી જાય. અને આ શોખની વાત નયે હોય. હાજરીના સ્વીકારની વાત કદાચ હશે. ગમે તેમ પણ આવે વખતે સોમવાર, કે જે વાર હોય તે, કર્યો જ સારો. અંદરથી ટેકો તો રહે.
વધુ આગળ વાંચો »

જીવન જીવવાની કલા – જ્યોતિ થાનકી

[‘જીવન જીવવાની કલા’ પુસ્તકમાંથી સાભાર.]

પૃથ્વી ઉપર માણસને મળેલું જીવન અમૂલ્ય છે. આ જીવન અનંત શક્યતાઓથી ભરેલું છે. સૌંદર્ય, આનંદ અને ઉલ્લાસથી તે સભર છે. જીવનની દરેક પળ મૂલ્યવાન છે. જો માણસને તેનો ઉપયોગ કરતાં આવડે તો તે દરેક ક્ષણ તેને આગળ ને આગળ લઈ જનારી છે. માણસને જીવન જીવતાં આવડે તો સ્વર્ગ શોધવા પૃથ્વીની બહાર જવું પડે તેમ નથી. આ જીવનમાં જ સ્વર્ગ રહેલું છે, અને જો જીવતાં ન આવડે તો નર્ક પણ આ જીવનમાં જ છે. એ તો સ્વાભાવિક છે કે કોઈ પણ માણસ પોતાના જીવનને નર્ક બનાવવા ઈચ્છે નહીં; પરંતુ જીવન કેવી રીતે જીવવું એનું એને જ્ઞાન નથી મળ્યું અને પરિણામે તેની અનિચ્છાએ તેના જીવનનું વહેણ કળણ ને કાદવ પ્રત્યે વહેતું થઈ જાય છે. પછી જ્યારે તેને સમજ મળે છે, સાચું જ્ઞાન મળે છે, ત્યારે તો ઘણું મોડું થઈ ગયું હોય છે અને જીવનની બાજી તેના હાથમાંથી સરી ગઈ હોય છે. આ સંદર્ભમાં શ્રી માતાજી કહે છે : ‘સાચી રીતે જિંદગી જીવવી એ ઘણી જ કઠિન કલા છે. અને જો માણસ સાવ નાનો હોય ત્યારથી જ શીખવાની શરૂઆત ન કરે, પ્રયત્ન ન કરે તો તે સાચી રીતે જાણી શકે નહીં – ફક્ત પોતાના શરીરને તંદુરસ્ત રાખવાની કળા, પોતાનું મન શાંત રાખવું અને હૃદયમાં શુદ્ધ ભાવ રાખવો, આ વસ્તુઓ જ સરળ રીતે જીવવા માટે અનિવાર્ય છે. હું સુખસગવડમાં કેમ રહેવું એ નથી કહેતી. અદ્દભુત રીતે કેમ રહેવું એમ પણ નહીં. હું તો ફક્ત શિષ્ટ રીતે કેમ જીવવું તે કહું છું.’

બાળકો નાનાં હોય છે, ત્યારે તેમને ઘણી બધી બાબતો શીખવવામાં આવે છે. કેમ બેસવું, કેવી રીતે ચાલવું, કેવી રીતે બોલવું, કેવી રીતે કપડાં પહેરવાં વગેરે વગેરે શીખવવામાં આવે છે; પરંતુ કેવી રીતે એકાગ્રતા કરવી, કેવી રીતે પોતાના વિચારોનું નિરીક્ષણ કરવું, કેવી રીતે પોતાની ઈચ્છાઓ પર કાબૂ મેળવવો, કેવી રીતે સારી રીતે ઊંઘવું વગેરે બાબતો વિષે તેમને કંઈ જ શીખવવામાં આવતું નથી. પરિણામે બાળકો મોટાં થાય ત્યારે જો તેમને બાહ્ય રીતભાતનું કે શિષ્ટાચારનું શિક્ષણ આપવામાં આવ્યું હોય તો તેમનું બાહ્ય આચરણ વ્યવસ્થિત બને છે; પણ તેથી કંઈ તેમનું આંતરિક જીવન વ્યવસ્થિત કે સુગ્રથિત બનતું નથી.
વધુ આગળ વાંચો »

કેટલીક લઘુકથાઓ – દુર્ગેશ ઓઝા

[ પોરબંદરના વતની એવા શ્રી દુર્ગેશભાઈ ‘ફૂલછાબ’ની રવિપૂર્તિના (લઘુકથા વિભાગના) જાણીતા કટાર લેખક છે. અત્યાર સુધીમાં તેઓની 150થી વધુ કૃતિઓ પ્રકાશિત થઈ ચૂકી છે. તેમાંની કેટલીક ચૂંટેલી કૃતિઓ અહીં પ્રસ્તુત કરવામાં આવે છે, જે ‘શબ્દસૃષ્ટિ’, ‘પરબ’, ‘કુમાર’ જેવા જાણીતા સામાયિકોમાં સ્થાન પામી છે. લેખનની સાથે તેઓ સંગીત, નાટક અને અભિનયનો પણ શોખ ધરાવે છે. તેમણે અમદાવાદ દૂરદર્શનના ‘સુરીલી સરગમ’ કાર્યક્રમમાં ગાયક તરીકે તથા ‘સત્યના પ્રયોગો’ આધારિત ટી.વી સિરિયલમાં એક પાત્ર તરીકે સુંદર ભૂમિકા ભજવી છે. રીડગુજરાતીને આ સુંદર લઘુકથાઓ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે durgeshart@yahoo.in અથવા આ નંબર પર +91 9898164988 સંપર્ક કરી શકો છો.]

[1] ભાઈ-બહેન

નિશાનું રુદન સાંભળતા જ તેના પિતાજી સુરેશચંદ્રે પૂછ્યું : ‘શું થયું તને ? કોણે તને હેરાન કરી ?’
‘પિતાજી, દિનેશે મારા હાથમાંથી ચોપડી ઝૂંટવી લીધી. મેં પાછી લેવા ચોપડી ખેંચી તો એણે મને… એણે મને માર્યું…. તમે એને તો કાંઈ કહેતા નથી. કાલેય મને ખીજવતો’તો.’
અને સુરેશચંદ્ર ઊંચા અવાજે બોલ્યા : ‘ક્યાં ગયો દિનેશ ? આજે તો તારી ખબર લેવી પડશે. નાની બહેનને હેરાન કરતા શરમ નથી આવતી ? મોટોભાઈ થઈને સમજતો નથી ? શું કામ તેં એને માર્યું ?’
‘પણ મારેય આ ચોપડી વાંચવી છે.’ દિનેશે કહ્યું.
‘પણ હમણાં તો તું બીજું કંઈક વાંચતો’તો. બહાનાં કાઢીને હાથ ઉગામતાં ક્યાંથી શીખી ગયો ? આજે તને જમવાનું નહિ મળે અને જો હવે આવાં તોફાન કરીશ તો માર્યા વિના નહિ મૂકું.’ સુરેશચંદ્રે પુત્રને ધમકાવ્યો.

નિશાએ અંગૂઠો બતાવીને કહ્યું : ‘લે, લેતો જા, લેતો જા લાડવો’ ને પછી તાળી પાડીને હસવા લાગી.
…..અને જમવાનો સમય થયો.
સુરેશચંદ્રે નિશાને બોલાવી, પણ એ ક્યાંય દેખાઈ નહિ. તેને શોધવા એ ઉપરના ઓરડે ગયા. ત્યાં અચાનક કંઈક ધીમો ધીમો અવાજ સંભળાયો. ડોકિયું કરતાં જોયું તો નિશાની ભરેલી થાળી ત્યાં પડેલી હતી. તે તો જમતી જ હતી પણ દિનેશને પણ જમાડતી હતી. બંનેના ચહેરા પર લાગણી અને પ્રેમના ભાવ ચિતરાયેલા હતા. ને નિશા કહેતી હતી, ‘જલદી જલદી જમી લે, નહિતર પિતાજીને ખબર પડી જશે.’

અને સુરેશચંદ્ર આંખનો ખૂણો લૂછતાં હર્ષભેર જમવા બેઠા !!
વધુ આગળ વાંચો »

સંવેદના – કીર્તિ પરીખ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે કીર્તિબેનનો (દુબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kirtidasp@rediffmail.com અથવા આ નંબર પર +971 50 1364530 સંપર્ક કરી શકો છો. ]

આજે એમની વાત કરવી છે. એમની ઓળખ તો વળી શું આપવી ? ‘મૂઠી ઉંચેરા માનવી’ જ કહો ને ! 78 વર્ષની વયે પણ એમની યાદશક્તિ ગજબની હતી. ઉંમરને કારણે શરીર ક્ષીણ બન્યું હતું અને આંખો પણ ઝાંખપ અનુભવતી પરંતુ તેમ છતાં, એમના રોમરોમમાંથી ખુમારી ટપકતી હતી. નદીના પ્રવાહ જેવી વેગવંતી એમની વાણી હતી. એમની દરેક વાતમાં જુસ્સો વર્તાતો હતો. દુનિયાની દષ્ટિએ કહેવાતી સફળતા એમને જીવનમાં ન મળી હોવા છતાં ક્યારેય અફસોસ થયો હોય તેવું તેમણે કદી અનુભવ્યું નહોતું. જીવનને તેઓ ઝીંદાદિલીથી જ લેતાં. તેઓ અસફળતાનો સ્વીકાર કરી જાણતાં.

જીવનભર માત્ર ગુજરાન ચાલી શકે એટલું જ કમાયા હતાં. ભૌતિક ચીજવસ્તુઓમાં એમને ખાસ કોઈ રસ નહોતો. પોતાની સાથે માત્ર બે-જોડી કપડાં રાખતાં. ઓછામાં ઓછી જરૂરિયાતથી ચલાવી લેતાં. તેઓ ભણેલા માત્ર બે-ચોપડી પરંતુ તેમને દરેક ક્ષેત્ર વિશે જાણવાની રુચિ હતી. તેમની પાસે અનેક વિષયોની જાણકારી રહેતી. મકાનોના બાંધકામથી લઈને શેરબજાર અને ખેલકૂદથી લઈને રાજનીતિ અને ફિલ્મો સુધીના વિષયમાં એમની સૂઝ ગજબની હતી. ફલૉપ ફિલ્મમાંથી પણ કોઈક સંદેશો તારવીને ક્યારેક અમને સૌને સમજાવતાં ત્યારે આશ્ચર્યથી અમારી આંખો પહોળી થઈ જતી ! આ ઉંમરે પણ એમને નવું નવું શિખવાની ધૂન લાગેલી રહેતી. કોઈક અમારા જેવું મળે એટલે તરત એને સૉફટવેર અને ઈન્ટરનેટ વિશે નાની-મોટી બાબતો પૂછી લે. બહારના કયા દેશમાં કયું ચલણ ચાલે છે તે ચપટીમાં કહી આપે. કોઈને એવું લાગે કે જાણે એમણે કેટલાંય દેશોની મુસાફરી કરી હશે. પરંતુ હકિકતે તેઓ કાઠિયાવાડના એમના નાનકડા ગામમાંથી કદીયે બહાર નીકળ્યાં નથી. કોઈને પ્રિય કે અપ્રિય થવામાં તેઓ કદી પડતાં નહીં. પોતાની આગવી જીવનશૈલીમાં જ તેઓ રચ્યાંપચ્યાં રહેતાં.
વધુ આગળ વાંચો »

બાલને કરીએ વહાલ – રતિલાલ બોરીસાગર

[ ‘ગુજરાત’ સામાયિકમાંથી સાભાર. આપ તેમનો આ નંબર પર +91 9925111301 સંપર્ક કરી શકો છો.]

‘તમે ઈશ્વર પરમારનું નવું પુસ્તક “બાલને કરીએ વહાલ” જોયું ?’ એક મિત્રે ફોન પર કહ્યું.
‘પુસ્તક મેં જોયુ નથી, પણ બાલને તો હું બહુ નાની ઉંમરથી વહાલ કરતો આવ્યો છું પણ ઈશ્વર પરમાર તો બાળકો માટે લખે છે, એમને વાળ વિશે કેમ ચોપડી લખવી પડી ?’ સામો પ્રશ્ન કર્યો.
‘તમેય તે યાર વાતને ક્યાંથી ક્યાં લઈ ગયા ? ચોપડી બાળકોને લગતી જ છે, આ તો તમે બાળકો વિશે એક પુસ્તક લખ્યું છે એટલે મને એમ કે તમને રસ પડશે.’ મિત્રે સહેજ નારાજ થઈને કહ્યું આ પછી અમારી વાત થોડી આગળ પણ ચાલી મિત્રને પ્રસન્ન કરવા કહ્યું, ‘કહ્યું કશું ને સાંભળ્યું કશું’ ને લગતા બે-ત્રણ ટુચકા પણ કહી સંભળાવ્યા પરંતુ મિત્રની નારાજગી ખાસ ઓછી ન થઈ.

મિત્રનો ફોન આવ્યો ત્યારે હું વાળ ઓળતો હતો. મારા માથા પર ઓછા અને આછા થતા જતા વાળની ચિંતા કરતો હતો. મારા વાળના ભવ્ય ભૂતકાળને સંભારીને 7.5 રિચર્સ સ્કેલના નિસાસા નાખતો હતો. એટલે મારાથી સાંભળવામાં ગરબડ થઈ ગઈ. મિત્રને ફરી ફોન કરી આ સ્પષ્ટતા કરવાનો વિચાર આવ્યો પણ આ સ્પષ્ટતાથી મિત્ર વધુ નારાજ થઈ જશે એ બીકે એ વિચાર માંડી વાળ્યો. જો કે મિત્રને મેં જે કહ્યું તે બિલકુલ સાચું છે. હું બહુ નાની ઉંમરથી મારા બાલને વહાલ કરતો આવ્યો છું એ હકીકત છે. નાના બાળકોને સામાન્ય રીતે વાળ કપાવવાનો કંટાળો આવતો હોય છે, પણ મને નાનપણમાં બાલ કપાવવામાં બહુ મજા આવતી. મને યાદ છે કે બાપુજી કે ભાઈ મને મગનભાઈ વાળંદને ત્યાં લઈ જતા. વાળંદની ઊંચી ખુરશી મને રાજાના ભવ્ય સિંહાસન જેવી લાગતી. મગનભાઈ એ ઊંચી ખુરશી પર પાટીયું મૂકી એને વધુ ઊંચી બનાવતા અને એના પર મને બેસાડતા. વાર્તાના રાજાનું સિંહાસન એ ખુરશી કરતાં વધુ સુંદર નહિ હોય એવું એ વખતે મને લાગતું. એ વખતે અમારા ઘરમાં એક પણ ખુરશી નહોતી. એકવાર ઘરમાં ખુરશી લાવવાની વાત થઈ ત્યારે મેં મગનભાઈ વાળંદની દુકાને છે એવી ખુરશી લાવવાની દરખાસ્ત કરેલી, મારી ગંભીર દરખાસ્તનો હાસ્યથી પ્રતિભાવ મળ્યો પણ મારી દરખાસ્ત માન્ય ન રહી. વાળ કાપ્યા પછી મગનભાઈ મારા મોં પર ફુવારો છાંટતા એનાથી જે આહલાદનો અનુભવ થતો એની તો શી વાત કરું ! આવી ફુવારા-શીશી લઈ દેવાની હઠ પણ મેં લીધેલી. આ કારણે આ છોકરો મોટો થઈને હજામતની દુકાન ખોલશે કે શું એવી મારી બાને બીક પણ લાગેલી.
વધુ આગળ વાંચો »

Page 2 of 6412345102030...Last »