
જાતકકથા-મંજૂષા – હરિવલ્લભ ભાયાણી
[જાતકકથાઓ એટલે જન્મકથાઓ. ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથાઓ. બુદ્ધના અનેક આગલા જન્મોમાં જે કોઈ નોંધપાત્ર પ્રસંગ, ઘટના વગેરે બન્યાં હોય તેને ગૂંથીને રચાયેલી કથા. ગૌતમ ‘બુદ્ધ’ થયા એટલે કે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એ પહેલાં તેઓ ‘બોધિસત્વ’ કહેવાયા. એટલે જાતકકથાઓને ‘બોધિસત્વકથાઓ’ પણ કહે છે. અમુક વ્યક્તિ કે પ્રસંગને ધ્યાનમાં રાખીને આ કથાઓ એમણે એમના ભિક્ષુઓ પાસે કહી હતી જે અગાઉ સિંહલી ભાષામાં લખાઈ હતી અને પાલી ભાષામાં ઈસવી પાંચમી શતાબ્દીમાં અનુવાદિત થઈ હતી. ગુજરાતીમાં હરિવલ્લભ ભાયાણી સાહેબે આ કથાઓ પર સુંદર કામ કર્યું છે. 1993માં એમણે આ જાતકકથા-મંજૂષાનો સંગ્રહ આપતાં લખ્યું છે કે મૂળમાં 547 આવી વાર્તાઓ છે જેમાંથી આ મંજૂષામાં ફક્ત 34 વાર્તાઓ જ અનુવાદિત કરાઈ છે. જેમને આ ક્ષેત્રમાં કામ કરવું હોય તે માટે માર્ગ મોકળો છે. ગમે તે હોય, પરંતુ જાતકકથાઓ ભારતીય સંસ્કૃતિના કથાસાહિત્યની અમૂલ્ય સંપત્તિ છે. અહીં, તેને પુનર્જીવિત કરવાનો એક પ્રયાસ છે..... – તંત્રી]
[1] કૃતઘ્ન માનવી, કૃતજ્ઞ જાનવર
ભગવાન બુદ્ધ એક વાર વેણુવનમાં વિહાર કરતા હતા ત્યારે એમને મારવા માટે દેવદત્ત નામનો વ્યક્તિ એમની પાછળ પડેલો. ભિક્ષુઓને આશ્ચર્ય થયું કે આ દેવદત્ત બુદ્ધને કેમ મારવા ઈચ્છે છે ? ત્યારે જિજ્ઞાસા કરતાં ભગવાન બુદ્ધે તેઓને જણાવ્યું કે ‘અત્યારે જ નહિ, આ પૂર્વેના જન્મમાં પણ દેવદત્ત મારો વધ કરવા પ્રયત્ન કરતો હતો…..’ એમ કહીને ભગવાન બુદ્ધે તેમનાં કોઈ એક જન્મની કથા શરૂ કરી.
પહેલાંના સમયમાં વારાણસીમાં બ્રહ્મદત્ત રાજા રાજ્ય કરતો હતો ત્યારે તેનો દુષ્ટકુમાર નામનો એક પુત્ર હતો. એ ખૂબ જ કર્કશ, કઠોર અને જાણે ઝેરી સાપ જેવો હતો. ગાળ દીધા વિના કે મારઝૂડ વિના એ કોઈની સાથે વાત ન કરતો. ઘરના તેમજ બહારાના લોકોને તે આંખના કણા જેવો આકરો અને રાક્ષસ જેવો ત્રાસદાયક લાગતો હતો. એકવાર તે જળક્રીડા કરવા કેટલાક મિત્રો સાથે નદીકાંઠે ગયો. એ વખતે ભારે વાદળ ઘેરાઈ ગયા. દિશાઓમાં અંધકાર છવાઈ ગયો. એણે નોકર-ચાકરોને હુકમ કર્યો કે ‘ચાલો, મને નદીની વચ્ચે લઈ જઈને નવરાવી લાવો…’ તેઓ એને નદીની વચ્ચે લઈ ગયા. નોકરોએ અંદરોઅંદર વિચાર્યું કે આને મારી નાખીશું તો રાજાને વળી ક્યાં ખબર પડવાની છે ? એમ નક્કી કરીને એણે દુષ્ટકુમારને ‘ચાલ રે ભૂંડા !’ એમ કહી ડુબાડી દીધો અને પાછા કાંઠે આવીને ઊભા.
વધુ આગળ વાંચો »
‘માનસ’ થી લોકમાનસ – રઘુવીર ચૌધરી
[પૂ. મોરારિબાપુના જીવનપ્રસંગો, સાહિત્યકારોના પ્રતિભાવો, કથા-આસ્વાદ અને મુલાકાતોનો સમન્વય કરતા સુંદર પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે આદરણીય સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરી તેમજ શ્રી સંજયભાઈ ચૌધરીનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] બેટા, આપણે સાધુ છીએ
સાતમા ધોરણમાં આવ્યા છે મોરારિ.
પ્રભુદાસબાપુ અને સાવિત્રીમા વાત કરે છે : ‘દીકરાએ તલગાજરડાથી મહુવા આવજા ચાલુ રાખીને અભ્યાસ કરવો કે મહુવામાં રહીને ? જો મહુવાના કોઈ છાત્રાલયમાં રહીને શાળાએ જવાનું થાય તો રોજના દોઢ-બે કલાક બચે.
શું કરવું ?’
સાવિત્રીબાને તો એમ કે દીકરો નજર સામે રહે તો સારું. મંદિર, મહેમાન કે ઘરના કામમાં મોરારિનો ટેકો મળી રહે છે. પણ પ્રભુદાસબાપુ બહારની દુનિયા જોઈ બદલાતા સંજોગમાં શિક્ષણનું મહત્વ સ્વીકારતા થયા હતા. સમગ્ર હરિયાણી પરિવારે જોયું હતું કે જ્ઞાન-ભક્તિ દ્વારા આત્માની કેળવણી સાથે માહિતી અને વિદ્વાન દ્વારા વધતી આધુનિક ઢબની યોગ્યતા પણ કેળવવી સારી. પ્રભુદાસબાપુને નવલકથાઓ વાંચવાનો શોખ હતો, એમાં થયેલા નવી દુનિયાના વર્ણન વિશે એ વાત કરતા.
મોરારિને મહુવામાં મૂકીએ તો ખરાં પણ એ રહેશે ક્યાં ? આ પ્રશ્નનો ઉત્તર પ્રભુદાસ બાપુને પહેલાં જડ્યો. એમને મહુવાની વાડીઓ અને છાત્રાલયોની જાણકારી હતી. યાદ આવ્યું : આહીર સમાજનું એક છાત્રાલય છે. એના સંચાલક બહુ ભાવ રાખે છે. એ રાજી થશે. આપણા સાધુ સમાજનું છાત્રાલય તો ક્યાંથી હોય ? – માના આ શબ્દો મોરારિના કાને પડે છે. છાત્રાલયમાં જગા ન મળે તેથી કોઈનો અભ્યાસ અટકી જાય એવું બનતું હશે ખરું ? પ્રભુદાસબાપુને (પિતાજી) ખાતરી હતી કે આહીર જ્ઞાતિના છાત્રાલયમાં જરૂર પ્રવેશ મળશે. અને આવકાર સાથે પ્રવેશ મળી ગયો.
વધુ આગળ વાંચો »
જીવનપ્રેરક વાતો – સંકલિત
[પુન: પ્રકાશિત]
[1] પ્રકૃતિ
કુદરતે આપણા મનોરંજન અને હળવાશ માટે સુંદર સૃષ્ટિનું સર્જન કર્યું છે. જ્યારે તણાવના ભાર તળે દબાઈ જવાની લાગણી અનુભવો ત્યારે પવનની સંગત માણો, એનું સંગીત સાંભળો. નદીકિનારે જાઓ, એના પાણીમાં પગના પંજા બોળી આસપાસનું સૌંદર્ય માણો. નદી કે સમુદ્રતટની રેતીમાં તમારી આંગળીઓ ફેરવો. હાથની હથેળીમાં મુઠ્ઠી વાળીને રેતી પકડી રાખવાનો પ્રયત્ન કરો; વારંવાર તેમ કરી જુઓ. આમાં એક અગત્યની શીખ છે. જીવનની સમસ્યાઓ પણ રેતી જેવી જ છે, એ કાયમ રહેવાની નથી, સરી જવાની છે; માત્ર આજનો સમય ધીરજપૂર્વક પસાર થઈ જવા દો. તમારા જીવન પર સમસ્યાઓને સવાર ન થઈ જવા દેશો. પ્રકૃતિની સુંદરતાને માણો. સવારનો કુમળો તડકો કે સંધ્યા સમયે સૂર્યાસ્ત પછી આકાશમાં કેસરી રંગની જે રંગોળી રચાય છે તેની સાથે એકરૂપ બની જાઓ. આકાશમાંથી પસાર થતાં વાદળોમાં જાતજાતના આકારો કલ્પો. વરસાદનું સંગીત લિજ્જતથી સાંભળો. વરસાદમાં બાળક બનીને પલળવા નીકળી પડો. ભાદરવાની નમતી સાંજે મેઘધનુષના રંગો જુઓ. કાળી ડિબાંગ રાતે આકાશમાં ટમટમતા તારાઓ સાથે મૈત્રી કરો. બાગમાં ફૂલે ફૂલે ઊડતાં પતંગિયાંને જુઓ. વૃક્ષોનાં પર્ણોમાંથી વાતા પવનનું સંગીત સાંભળો. પ્રકૃતિ સુંદરતાથી સભર છે. ધરતી, વૃક્ષો, નદી, પક્ષીઓ, આકાશ, તારાનું સૌંદર્ય તમારા જીવનને આનંદથી ભરી દેવા તમારી રાહ જોઈને બેઠું છે. પછી રાહ શેની જુઓ છો ? નીકળી પડો.
[2] જીવનનું સરવૈયુ – દોલતભાઈ દેસાઈ
માણસના જીવનની શરૂઆતમાં સરવાળાનો યુગ આવે છે. બધું જ ઉમેરવા મળ્યા કરે ! પત્ની ઉમેરાય, સંતાન ઉમેરાય, કમાણી ઉમેરાય, કીર્તિ ઉમેરાય, પચીસથી ચાળીસ સુધીની ઉંમર સરવાળાની ઉંમર હોય, આ વય દરમ્યાન માણસને બાદબાકી કરવાની ઈચ્છા જ થતી નથી. બાદબાકીનો વિચાર પણ નથી આવતો !
પછી ગુણાકારની ઉંમર આવે. ત્રીસ-પાંત્રીસથી ગુણાકાર શરૂ થાય. જે કર્યું હોય તેનું અનેકગણું ફળ મળે. માણસની રિદ્ધિ-સિદ્ધિની અવસ્થા છે એ વેળા એ ભાગાકાર વિચારતો જ નથી. પચાસની ઉંમરે માણસ ભાગાકાર કરવા માંડે. દીકરા દીકરીના લગ્નમાં ખર્ચ થાય. ઘર વસાવવામાં થાય. પોતાની આવક ભાંગીને જીવે. ભાગાકાર સમયનો થાય, ભાગાકાર શક્તિનો થાય. પચાસે નવી શક્તિ ક્યાંથી લાવે ? જે છે એમાંથી ખર્ચાતું જાય ! ને સાઠે આવે બાદબાકી ! સત્તા, ધન, કીર્તિ વડે આકર્ષાઈને લાભ લેવા જે જે આવતાં, તે હવે બાદ થતાં જાય ! કોઈ અંગત જ બે જણ મળવા આવે. માણસની બાદબાકી માણસને પજવે. એ હૈયાવરાળ કાઢે. જમાનો સ્વાર્થનો થતો જાય – માણસ એકલો પડતો જાય.
પણ જો કોઈપણ ઉંમરે આ ચારેય ક્રિયાઓ ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી સાથે જ ચાલ્યા કરે, તો માણસ સુખી થાય, પ્રસન્નતા મેળવે. પચાસની ઉંમરે માણસ સ્વાર્થની તદ્દન બાદબાકી કરે, અહમનો ભાગાકાર કરે, ધર્મ અને કલ્યાણપ્રવૃત્તિનો ગુણાકાર કરે અને અન્યનાં સુખનો સરવાળો – તો જીવન ભર્યું ભર્યું બને.
વધુ આગળ વાંચો »
આનંદ – માનવ પ્રતિષ્ઠાન
[આલેખન : મૃગેશ શાહ]
આનંદ એ પ્રાણીમાત્રનો સ્વભાવ છે. આ જગત જાણે કે આનંદના સુત્રથી પરોવાયેલું છે. પશુ-પક્ષીથી લઈને મનુષ્ય સુધીની જીવસૃષ્ટિ સતત આનંદ પ્રાપ્ત કરવા મથે છે. પરંતુ વિનોબાજી કહે છે તેમ પશુઓના આનંદ અને માનવીય આનંદ વચ્ચે ફરક એટલો છે કે માનવીનું લક્ષ્ય ફક્ત આનંદ પ્રાપ્તિનું નથી, સાથે સાથે આનંદ શુદ્ધિનું પણ છે. ચીજવસ્તુઓ દ્વારા આનંદ મેળવતાં મેળવતાં મનુષ્ય ક્યારેક એવા શિખરને સ્પર્શી શકે છે કે જ્યાં તેને કોઈ પણ ઉપકરણોની સહાયતા વિના પોતાના હોવાપણાનો સહજ આનંદ પ્રાપ્ત થાય છે. ઘોડિયામાં સૂતેલું બાળક કારણ વિના કોઈને જોઈને જ્યારે ખડખડાટ હસી પડે છે ત્યારે પ્રગટ થતો આનંદ મનુષ્યના હોવાપણાની સાચી ઓળખ આપતો હોય તેમ લાગે છે. એ આનંદની ક્ષણો સંઘરવા જેવી હોય છે.

માનવીય જીવનમાં જુદા જુદા સમયે જુદી જુદી રીતે પ્રગટતી આ આનંદની ક્ષણોને કેમેરામાં કેદ કરવાનું અદ્દભુત કામ ‘માનવ પ્રતિષ્ઠાન’ સંસ્થાની ફોટોગ્રાફી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ તસ્વીરકારોએ કર્યું છે. અમદાવાદમાં આવેલી આ સંસ્થા રાજ્યસ્તરે પ્રતિવર્ષ ફોટોગ્રાફી સ્પર્ધા યોજે છે જેમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. પ્રતિવર્ષ જુદા જુદા વિષયો નક્કી કરવામાં આવે છે અને તેના પર આધારિત તસ્વીરો સ્પધકે મોકલવાની રહે છે. આ અગાઉ ‘કેળવણી’, ‘ઘડપણ’, ‘પ્રેમ’ જેવા વિષયને લઈને સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાંથી પુરસ્કૃત થયેલી અને પસંદગી પામેલી તસ્વીરો પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ હતી. આ પુસ્તકોનો ટૂંકો પરિચય અને તેમાંની તસ્વીરો આપણે અગાઉ રીડગુજરાતી પર માણી હતી. આ સંસ્થા દ્વારા વર્ષ-2008ની ચતુર્થ તસ્વીર સ્પર્ધામાં ‘આનંદ’ વિષય પસંદ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં આ વિષય પર આધારિત પસંદગી પામેલી તસ્વીરોનું ‘આનંદ’ નામથી પુસ્તક સ્વરૂપે પ્રકાશન કરવામાં આવ્યું છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાંની પ્રત્યેક તસ્વીર પર ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિઓ દ્વારા તસ્વીરને ધ્યાનમાં રાખીને લખાયેલી કવિતા પણ તસ્વીર સાથે પ્રગટ કરાઈ છે. આમ, આ પુસ્તક આપણને તસ્વીરો અને કાવ્યોની જુગલબંદીનો બેવડો આનંદ આપે છે. તો ચાલો માણીએ, એ આનંદમય તસ્વીરો, તેનો આસ્વાદ અને કાવ્યની રસસભર કડીઓ… હવે તમારી આંખોના ખૂણા ન ભીંજાય તો જ નવાઈ !
વધુ આગળ વાંચો »
ઘર તમે કોને કહો છો ? – જયવતી કાજી
[‘જનકલ્યાણ’ સામાયિક ઑગસ્ટ-2009માંથી સાભાર.]
બે-ત્રણ વર્ષ પહેલાં અમારે કેનેડા જવાનું થયેલું. ટોરન્ટોમાં અમારા એક પરિચિત હતા. એમનો ઘણો આગ્રહ હતો, એટલે એમને ઘેર રહેવાનું નક્કી કર્યું. પતિ-પત્ની અને એમના બે દીકરાઓ. બંને છોકરાઓ અમેરિકામાં ભણતા હતા. પતિ ડૉક્ટર અને પત્ની ત્યાંની એક મોટી કંપનીમાં ઊંચા હોદ્દા પર. મોટું ઘર, સરસ બગીચો અને એમના ગ્રીન હાઉસમાં કેટકેટલા ખૂબસૂરત વૃક્ષો હતાં ! પરંતુ સૌથી નોંધપાત્ર વસ્તુ એમના ઘરની હોય તો તે હતી એમની ચોખ્ખાઈ, સુઘડતા અને જબરજસ્ત વ્યવસ્થા ! ક્યાંય એક ડાઘો જોવા ન મળે ! એક ચીજ પણ આઘીપાછી નહિ ! એમનાં ઘરમાં સેજલબહેન કીટલીમાંથી ચા કપમાં રેડીને તરત જ કીટલીનું નાળચું પેપરનેપકીનથી લૂછી નાંખે ! એમનાં રસોડામાં અનાજના ડબ્બાઓ અને મરીમસાલાની બાટલીઓ કવાયત માટે તૈયાર થઈને ઊભેલા સૈનિકોની માફક શિસ્તબદ્ધ કબાટમાં હોય ! જરા ઉતાવળમાં તમારાથી કંઈ આડુંઅવળું મૂકાય તો સેજલબહેન તરત જ ઊઠીને સરખું કરી દે. તમે લજવાઈ જાવ ! પણ હું તો આદત સે મજબૂર….
ઘરમાં વિડિયો કેસેટ્સ પર નંબર અને વિગતનું લેબલ લગાડેલું. ઓડિયો કેસેટ્સનું પણ બરાબર વર્ગીકરણ હતું. શાસ્ત્રીય સંગીતનો એક વિભાગ, વાદ્યસંગીતની કેસેટ્સ જુદી. ગરબા-ગીતો-ભજનોનો વિભાગ અલગ અલગ, પુસ્તકોની સંભાળ પણ એવી જ ! ત્રણ દિવસ સુનીલભાઈ અને સેજલનાં ઘરમાં એમની સાથે રહ્યાં પછી મને મારી જાત પર શરમ ઉપજી. સેજલ માટે મને ખૂબ જ અહોભાવ થયો. મને થયું માણસ કઈ રીતે આટલું બધું વ્યવસ્થિત રહી શકતું હશે !
અમે કેનેડાથી ન્યૂયોર્ક જવા માટે પ્લેનમાં બેઠાં. પ્લેન ઉપડ્યું કે તરત અનૂપે કહ્યું : ‘જોયું તમે ? ઘર કેવું રખાય તે ? આપણે ઘેર તો કોઈ પણ ચીજ જ્યારે જોઈએ ત્યારે મળે જ નહિ ! શોધાશોધ કરવી જ પડે ! નાનું સરખું કામ હોય અને સ્ક્રૂ ડ્રાઈવર જોઈતું હોય તો એની જગ્યાએ હોય જ નહિ !’
‘તમારે જે કહેવું હોય તે કહો, પણ મને આવું સંગ્રહાલય જેવું ઘર જરાયે ગમે નહિ. આખો દિવસ સાચવ્યા જ કરવાનું ? ઓહ ! અહીં ડાઘો પડી જશે અને છાપું ચોળાઈ જશે !’
‘એ તો છે ને તે “અશક્તિમાન ભવેત સાધુ” જેવું છે ! તારું એ કામ જ નહિ’ અનૂપે કહ્યું.
‘હા, હા ! મારે આવા ‘neat and absolutely organised’ થવું જ નથી સમજ્યા ! હું કંઈ ઘરનું વાળવાઝૂડવાનું વેક્યુમક્લીનર નથી ! હું તો જીવતી જાગતી ધબકતી વ્યક્તિ છું. બસ હવે !’ મેં ગુસ્સામાં કહ્યું અને મારું પુસ્તક કાઢી વાંચવા માંડ્યું. અમારા આખા એ પ્રવાસ દરમિયાન ભાગ્યે જ હું થોડા શબ્દો બોલી હતી.
વધુ આગળ વાંચો »
મમ્મીને પત્ર – રૂતુ રાવલ
[માતા કૉમામાં સરી પડીને આઈ.સી.યુ.ના બિછાને હોય ત્યારે એક દીકરી દ્વારા લખાયેલો આ ભાવભીનો પત્ર છે. માતા સાથેની સ્મૃતિઓ વાગોળતી દીકરીની આ કથા છે. રીડગુજરાતીને આ સત્યઘટનાત્મક કૃતિ પત્રસાહિત્ય સ્વરૂપે મોકલવા માટે રૂતુબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. તેઓ વડોદરા ખાતે ‘પારૂલ એન્જિનિયરિંગ કૉલેજ’માં આર્કીટેક વિભાગમાં લેકચરરની ફરજ બજાવે છે. આપ તેમનો આ નંબર પર +91 9276829180 અથવા આ સરનામે rutuacharya5@gmail.com સંપર્ક કરી શકો છો.]
મમ્મી…
આ રીતે તારું ખામોશ રહેવું હવે અસહ્ય બની રહ્યું છે. હોસ્પિટલના આઈ.સી.યુ.ના શાંત, બોઝિલ વાતાવરણ, કાર્ડિયોગ્રામનાં સરકતાં રહેતાં તરંગો, રંગબેરંગી બદલાતા, ઝબકતા રહેતા મોનિટરિંગ પરના આંકડાઓ, લોહીની બોટલનું સરકતું રુધિર, વેન્ટિલેટરમાં પૂરાયેલો ઑક્સિજન, ઈન્જેકશનોની સિરિન્જો… બહુ થયું હવે. એક મહિનો થવા આવ્યો. હવે તું ઊઠે એની રાહ જુએ છે બધા.
યાદ છે ? તું પ્રવૃત્ત રહેતી… ક્યારેક બિમાર પડતી, હું તને આરામ કરવાનું કહેતી, ‘તું સૂઈ રહે હું કામ કરી લઈશ…’ અને છતાંય તું પથારીમાંથી ઊભી થઈ જતી. આજે હું તને ઊભા થવાનું કહું છું, કહી કહીને થાકી ગઈ છું તોય કેમ ઊભી નથી થતી ? તને પડી રહેવું ક્યાં ગમે છે ? છતાંય… ? મમ્મી ઊઠ… ઘેર ચાલ. નળમાં પાણી રોજ સવારે સમયસર આવે છે, કૂકરની સીટી, કપડાં ધોવાનો અવાજ, તારી પાથારીની સળો, આંગણે રોજ પાંદડાં લઈ આવતો પવન, દૂધ લાવતા, પેપર લાવતા, પત્ર લાવતા બધા જ રોજ તેના સમયે આવે છે અને બધું ખોરંભે પડી ગયાનો વસવસો લઈને જાય છે.
વધુ આગળ વાંચો »
કેવડિયાનો કાંટો – રાજેન્દ્ર શાહ
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.
બાવળિયાની શૂળ હોય તો
….ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
….કાંકરિયાળી ધૂળ;
આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.
તાવ હોય જો કડો ટાઢિયો
…..કવાથ કૂલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
…..ભૂવો કરી મંતરીએ;
રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.





