
ચાંદનીની ઠંડક – સંત પુનિત
[પુનિત પ્રકાશન દ્વારા પ્રકાશિત ‘ચાંદનીની ઠંડક’ (આવૃત્તિવર્ષ : 1986)માંથી સાભાર.]
[1] એગ્રીપીનસની સ્થિતપ્રજ્ઞતા
જુલમી રોમન સમ્રાટ નીરોના સમયમાં એગ્રીપીનસ નામે એક વીર પુરુષ થઈ ગયો. તેના ઉપર અનેક આફતો આવી છતાં તે કદી પણ ડગ્યો નહિ, કદીય નિરાશ થયો નહિ. તેના નીડર અને ન્યાયપ્રિય સ્વભાવને લીધે શાસક વર્ગ સાથે તેને ઘણી વાર ઘર્ષણમાં આવવું પડતું. પરંતુ સત્યનો માર્ગ તેણે કદી છોડ્યો નહિ. દુ:ખ તો તેને રમતરૂપ લાગતું હતું. જ્યારે જ્યારે તેના ઉપર કોઈ દુ:ખ આવી પડતું ત્યારે તે ઈશ્વરનો આભાર માનતો. તેનાં ગુણગાન ગાતો. તે કહેતો કે, તેની કસોટી કરવા જ પરમકૃપાળુ પરમાત્માએ તેના ઉપર આવું દુ:ખ મોકલ્યું છે.
એક વાર પોતાના મિત્રો સાથે તે જમવા બેસતો હતો. આજે તેને કકડીને ભૂખ લાગી હતી. એક મિત્રે કહ્યું : ‘એગ્રીપીનસ, આજે ઘણે દિવસે તને નિરાંતે જમવા મળ્યું, નહિ ?’
એગ્રીપીનસ હસીને બોલ્યો : ‘હું તો હંમેશાં નિરાંતે જ જમું છું. સાચું કહું તો, ઈશ્વરની ઈચ્છાને આધીન થવામાં જે સુખ મળે છે તેવું બીજે ક્યાંય મળતું નથી.’
મિત્રો સાથેની વાતચીત પૂરી કરીને જ્યાં જમવાની તૈયારી કરે છે ત્યાં જ બારણું ઊઘડ્યું. ને સમ્રાટ નીરોનો અમલદાર વૉરંટ સાથે અંદર આવ્યો. વાત અટકી પડી. મિત્રોના ચહેરા ઉપર ભય અને ગ્લાનિ છવાઈ ગયા. પણ એગ્રીપીનસ તો સંપૂર્ણ સ્વસ્થ હતો.
‘એગ્રીપીનસ !’ અમલદારનો સત્તાવાહી કર્કશ અવાજ આવ્યો, ‘તને સમ્રાટ નીરોએ સજા કરી છે.’
‘શેની ? મૃત્યુની કે દેશનિકાલની ?’
‘દેશનિકાલની !’
‘ચાલો, એટલું ઠીક થયું. પણ હા, તમે જરા રાહ જોશો ? હું આ મિત્રો સાથે આટલું ભોજન કરી લઉં !’
વધુ આગળ વાંચો »
મહારાજના મુખેથી અને બીજી વાતો – સં. મગનભાઈ જો. પટેલ
[ જેમને મૂકસેવક રવિશંકર મહારાજ વિશે જાણવું હોય અને તેમના જીવનપ્રસંગો માણવા હોય તેમણે આ પુસ્તક ખરેખર વસાવવા લાયક છે. લોકજીવન, સમાજજીવન અને ઉચ્ચ વિચારોનું સુંદર ભાથું આ સંપાદનમાં સમાયેલું છે. મહારાજના અંતેવાસી શ્રી મગનભાઈ પટેલે આ પુસ્તકમાં અનેક રસપ્રદ ઘટનાઓ વર્ણવી છે. આમાંથી આજે માણીએ કેટલાક પ્રસંગો સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
એક વાર હું કચ્છમાં ગયો હતો. ફરતો ફરતો એક દિવસ કંડલા ગયો. એક શ્રીમંત મિત્રને ત્યાં ઊતર્યો હતો. સાંજના મને એ બંદર બતાવવા લઈ ગયા. રસ્તે મોટાં મોટાં મકાનો જોતા જોતા અમે જતા હતા, ત્યાં કમ્પાઉન્ડમાં ઘાસના પૂળાનાં બેત્રણ ઝૂંપડાં નજરે પડ્યાં. આવી ભવ્ય મહેલાતોમાં આ ઝૂંપડાં તે વળી કોનાં હશે, એ જાણવાની મને ઈચ્છા થઈ. અમે એ તરફ વળ્યા. બારણે જઈ ડોકિયું કર્યું તો અંદર પચીસેક વર્ષનો એક જુવાન મજૂર અને તેની સ્ત્રી બેઠાં હતાં. ચૂલા ઉપર માટીના વાસણમાં કંઈક રંધાતું હતું અને બંને પતિપત્ની બટાટા સમારતાં હસતાં હસતાં વાતો કરતાં હતાં. અમે એકાએક ત્યાં જઈને ઊભા રહ્યા એટલે એ જરા શરમાઈ ગયાં. છતાં મેં પૂછ્યું : ‘તમે ક્યાંનાં છો ?’
પુરુષ શરમાઈ ગયો હતો એટલે એ ન બોલ્યો, પણ સ્ત્રીએ કહ્યું : ‘કાઠિયાવાડનાં છીએ ને અહીં મજૂરી કરવા આવ્યાં છીએ.’
‘આ ઝૂંપડાનું ભાડું શું આપો છો ?’
‘મહિને આઠ આના.’
‘રોજની મજૂરીનું શું મળે છે ?’
‘મને બે રૂપિયા ને એમને (પતિને) અઢી રૂપિયા.’
આટલી વાત કરી અમે આગળ ચાલ્યા.
વધુ આગળ વાંચો »
માનવસેવા એ જ પ્રભુકૃપા ! – બંસરી પટેલ
[ પ્રસ્તુત લેખ ‘ભૂમિપુત્ર’ સામાયિક (માર્ચ, 2003)માંથી સાભાર લેવામાં આવ્યો છે. લેખની શરૂઆતમાં ‘ભૂમિપુત્ર’ના એક લેખિકા હરવિલાસ બેન લખે છે કે : ‘અવારનવાર ઘણા પૂછતા હોય છે કે અમે સંસારમાં રહીનેય અમારી ઘર-ગૃહસ્થી સંભાળતાં-સંભાળતાં શું કરી શકીએ ? નિવૃત્ત થયેલા તેમજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધેલાં ભાઈ-બહેનો પૂછતાં હોય છે, અમે હવે મુક્ત છીએ, અમે સમાજ માટે થોડું ઘણું શું કરી શકીએ ? આવા સવાલોનો જવાબ કદાચ નીચેના લેખમાંથી સાંપડી રહે. ખરે જ કાંઈક કરી છૂટવાની ઈચ્છા ધરાવનારાઓને આમાંથી પ્રેરણા મળશે.]
સાંતાક્રુઝ ઍરપોર્ટ પાસેના રસ્તા પર લોકોની ભીડ જામી છે. ટોળાના લોકો અંદરઅંદર ફકત વાતો જ કરી રહ્યાં છે. ત્યાં રસ્તા પરથી એક ઑટૉરિક્ષા પસાર થઈ. તેમાં બેઠેલી બે સન્નારીઓ અને એક ભાઈએ રિક્ષા અટકાવી અને કુતૂહલવશ લોકોના ટોળામાંથી માર્ગ કરતાં શું થયું છે, તે જોવા ઊભાં રહ્યાં. જોયું તો લગભગ 27-28 વર્ષની એક યુવતી ઘવાયેલી હાલતમાં બેભાન જેવી પડી હતી. બંને પગો પર સખત ઈજા થઈ હતી. પૂરવેગથી ઘસી આવતી ટ્રકે તેને જમીન પર પટકી હતી અને આ યુવતીને લોહીલુહાણ દશામાં છોડી ટ્રક ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. ઊભેલા લોકો ‘અરે ! બિચારી !’ જેવા ઉદ્દગારો કાઢી ફક્ત મૌખિક સહાનુભૂતિ દાખવતાં હતાં. યુવતીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવા કોઈ તૈયાર ન હતું. ‘પોલીસના લફરામાં નકામું કોણ પડે !’
ઑટૉરિક્ષામાંથી ઊતરેલાં એક બહેનથી ન રહેવાયું. તેમણે તરત જ યુવતીને હાજીઅલી ઑર્થોપેડિક મેડિકલ સેન્ટરમાં દાખલ કરી. ત્યાં યોગ્ય સારવાર શરૂ થઈ ગઈ. યુવતી સાથે વાતચીત કરતાં ખબર પડી કે તેની અપરમા તેને ખૂબ જ ત્રાસ આપતી હતી. ઘરમાંથી ધક્કો મારી બહાર કાઢી મૂકી હતી. ત્યાં આ અકસ્માત થયો. પેલાં સન્નારીનું હૃદય કકળી ઊઠ્યું. આ યુવતીને પગભર કરવા શું કરવું ? બે રીતે તેને પગભર કરવાની હતી. તેને ફરીથી ચાલતી કરવાની હતી અને આર્થિક રીતે પણ પગભર કરવાની હતી. તો જ તે શાંતિથી, સ્વતંત્ર રીતે જીવી શકશે. ખૂબ વિચાર કરી તેને માટે એક ટેલિફોન બૂથ ઊભું કરવાનો નિર્ણય કર્યો. તે માટેની કામગીરી શરૂ કરી દીધી. યોગ્ય સહીસિક્કા કરાવી, કાયદેસર કાગળિયાં તૈયાર કર્યાં. લાકડાનું ટેલિફોન બૂથ તો ઊભું થયું, પરંતુ દરેક સામાજિક સેવાના કાર્યમાં થાય છે તેમ અહીં પણ વિરોધ શરૂ થયો. ત્યાંના સરકારી કાર્યકર્તાની સહાયથી બધું સફળતાથી પાર પડ્યું. બે મહિના પહેલાં બૂથની ઉદ્દઘાટનવિધિ અપંગ દૂરધ્વનિકેન્દ્રના વિભાગપ્રમુખ અનિલ પરબના હસ્તે કરવામાં આવી. અપંગ યુવતીની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. હાજર રહેલાં સૌ લાગણીશીલ બની ગયાં. આજે તે યુવતી આર્થિક રીતે પગભર થઈ ગઈ છે. બૅન્કમાં તેના નામનું જુદું ખાતું પણ ખોલાવવામાં આવ્યું છે.
વધુ આગળ વાંચો »
થોર અભ્યારણ્યની મુલાકાતે – સૃજના કાલે
[નવોદિત યુવા હિન્દીભાષી સર્જક સૃજનાબેન (અમદાવાદ) વ્યવસાયે હાલમાં સોફટવેર એન્જિનિયર તરીકે એક કંપનીમાં ફરજ બજાવી રહ્યાં છે. વાંચન-લેખન અને ચિત્રકામનાં તેઓ શોખીન છે. તાજેતરમાં તેમણે લીધેલી ‘થોર અભ્યારણ્ય’ની મુલાકાતના હિન્દી લેખનો આ અનુવાદ છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે srijanakale@gmail.com સંપર્ક કરી શકો છો. (અનુવાદ : મૃગેશ શાહ).]

આજની વ્યસ્ત અને દોડધામભરી જિંદગીમાં જો આપણે ખરેખર કશુંક ઈચ્છીએ છીએ તો તે છે મનની શાંતિ, નિરાંત અને આંતરિક પ્રસન્નતા. આ બધી દુર્લભ વસ્તુઓનો એક જ સ્ત્રોત છે અને તે છે – પ્રકૃતિ. પ્રકૃતિની ગોદમાં જ આપણને પરમ શાંતિ પ્રાપ્ત થઈ શકે. પ્રાકૃતિક સૌંદર્યથી પરિપૂર્ણ આપણી નજીકમાં જ આવી એક જગ્યા છે ‘થોર’. કેટલીક સહેલીઓ જોડે મને હમણાં થોડા દિવસ પહેલાં ત્યાં જવાનો અવસર પ્રાપ્ત થયો.
‘થોર’ અમદાવાદ શહેરની ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આશરે 40 કિ.મી.ના અંતરે મહેસાણા જિલ્લામાં આવેલું નાનકડું ગામ છે. એની ગોદમાં વસી છે પ્રકૃતિની એક સુંદર તસ્વીર એટલે કે ‘થોર તળાવ પક્ષી અભ્યારણ્ય.’ 1912માં બનેલું આ તળાવ લગભગ 7 કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલું છે. તેની આસપાસ કાદવથી લથપથ કિનારાઓ અને લીલાં ગાઢ જંગલો ફેલાયેલાં છે. વળી, છીછરું તળાવ હોવાને લીધે પ્રવાસી પંખીઓ માટે આ આદર્શ સ્થળ બન્યું છે. 1988માં ‘વન્યજીવ સંરક્ષણ’ના કાયદા હેઠળ આ સ્થળને ‘અભ્યારણ્ય’નો દરજ્જો આપવામાં આવ્યો છે. પક્ષીપ્રેમી લોકો માટે આ ઉત્તમ સ્થાન છે કારણ કે છીછરા પાણીને લીધે અહીં પુષ્કળ પ્રમાણમાં પક્ષીઓ ભ્રમણ કરતાં નજરે પડે છે અને અભ્યાસુઓને તેમની ગતિવિધિઓનો અભ્યાસ કરવાની તક સાંપડે છે.
વધુ આગળ વાંચો »
ઈશ્વર સાથે ઑનલાઈન – ગોવિંદ શાહ
[ એક પ્રચલિત ઈ-મેઈલના વિચારબીજ પર આધારિત આ સુંદર કૃતિ રીડગુજરાતીને મોકલવા માટે શ્રી ગોવિંદભાઈનો (વલ્લભ વિદ્યાનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે sgp43@yahoo.co.in અથવા આ નંબર પર +91 9375012513 સંપર્ક કરી શકો છો.]
એક વખત હું મારા લૅપટૉપ પર ચેટિંગ કરતો હતો. ત્યાં મને ઈશ્વરનો ઓનલાઈન ભેટો થઈ ગયો.
ઈશ્વર : ‘શું તું મારી સાથે ચેટિંગ કરવા માંગે છે ?’
હું : ‘ના, મેં તમને બોલાવ્યા નથી. તમે કોણ છો ?’
ઈશ્વર : ‘વત્સ ! હું આ સમસ્ત બ્રહ્માંડનો અને આ સૃષ્ટિનો સર્જક છું….ઈશ્વર છું.’
હું : ‘હું કેવી રીતે માનું કે તમે ઈશ્વર છો ? તમારા જેવા તો ઘણા પોતાની જાતને અહીં ‘ભગવાન’ કહેવડાવે છે.’
ઈશ્વર : ‘માનવું કે ન માનવું એ તારી મરજીની વાત છે. મને તેનાથી કોઈ ફરક નથી પડતો. તને જો તારી જાતમાં વિશ્વાસ ન હોય તો પછી મારામાં ક્યાંથી હોય ?’
હું : ‘ઓ.કે. પરંતુ હું અત્યારે નવરો નથી. તમારી સાથે વાત કરવાનો મને સમય નથી. તમે જાણો છો કે હું કેટલો વ્યસ્ત છું ?
ઈશ્વર : ‘વ્યસ્ત તો કીડી મંકોડા પણ આખો દિવસ હોય છે !’
હું : ‘તમને ખબર નથી કે અમારે કેટલું કામ હોય છે. જિંદગી કેટલી ઝડપી થઈ ગઈ છે. અત્યારે ‘પીક અવર્સ’ ચાલે છે.
ઈશ્વર : ‘ભાઈ, સવારના પહોરમાં તું છાપાઓમાં ભરેલો દુનિયાભરનો કચરો મગજમાં ઠાલવે છે. એટલું ઓછું હોય તેમ, અત્યારે તારા ‘પીક અવર્સ’માં ઈન્ટરનેટથી બીજા વધારે કચરાનો ઉમેરો કરે છે. આને તું વ્યસ્તતા કહે છે ? તને તારા માટે ફુરસદ ન હોય તો મારા માટે તો ક્યાંથી હોય ? પણ મને થયું ચાલ, ઈન્ટરનેટ પર તો તું ચોક્કસ મળી જ જઈશ અને તને એ વધુ અનુકૂળ પડશે; જેમ તું તારા પુત્રોને મોબાઈલ પર જ મળી લે છે ને તેમ !’
વધુ આગળ વાંચો »
દે છે સહાય પણ – દિનેશ ડોંગરે ‘નાદાન’
[‘અખંડ આનંદ’માંથી સાભાર.]
મુશ્કેલ જીવવાનું છે એના સિવાય પણ,
તેથી જ હું દેતો નથી એને વિદાય પણ.
મૂકે છે મારી સામે સમસ્યાઓ હરઘડી,
આવીને પાછો એ જ તો દે છે સહાય પણ.
એ સત્ય છે કે હાજરી એની બધે જ છે;
ને, આમ પાછો એ નથી દેખાતો ક્યાંય પણ.
મજબૂર ફૂલ ડાળ ત્યજીને ન જઈ શકે,
ખુશ્બૂને ક્યાં નડે છે કોઈ અંતરાય પણ ?
શ્રદ્ધા હશે તો વાત એ સાબિત થૈ જશે,
જગથી નિરાળો હોય છે બહુ એનો ન્યાય પણ.
વિપરીત સમયને શાંતિથી કરજે પસાર તું,
ગંભીર થઈને શોધજે મળશે ઉપાય પણ.
‘નાદાન’ વૃક્ષ તાડનું કંઈ કામનું નહીં
ના હાથ લાગે ફળ કશું ના દેશે છાંય પણ






