ડાયસ્પોરા એક અત્યંત સંકુલ સંજ્ઞા હોઈ તેની સાથે સૂક્ષ્માતિ-સૂક્ષ્મ અર્થ સંદર્ભો આંતર-બાહ્ય રીતે સંકળાયેલા છે. મૂળ ‘ડાયસ્પોરા’ એ ગ્રીક ભાષાનો શબ્દ છે અને હિબ્રુ બાઈબલના ગ્રીક અનુવાદમાં(૧) સૌ પ્રથમ વાર તેનો ઉલ્લેખ મળે છે. ઈ.સ.ની પાંચમી સદીમાં બેબીલૉનિયન કેપ્ટિવિટી પછી પેલેસ્ટાઈનની સીમા બહાર હાંકી કઢાયેલ જ્યુઈશ (યહૂદી) પ્રજા માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવી હતી. આ પ્રજાને પોતાની ઈચ્છા વિરુધ્ધ દેશમાંથી હાંકી કાઢવામાં આવી અને તેના પરિણામ સ્વરૂપે તે પ્રજા ઈરાન, ઈજિપ્ત, ગ્રીસ, ઈટાલી, આર્મેનિયા વગેરે રાષ્ટ્રોમાં છૂટી છવાઈ વસી. પોતાના વતનથી બળપૂર્વક હટાવાયા બાદ અનુભવેલી વેરવિખેર થયાની, કેન્દ્રથી ચ્યુત થયાની વેદના કે સંઘર્ષ આ સંજ્ઞાના વપરાશના મૂળમાં છે. કોઈ રાજકીય કારણોસર એક આખી પ્રજાને પોતાની ઈચ્છા વિરુધ્ધ દેશનિકાલ થવાની સ્થિતિ ઊભી થાય અને અન્યત્ર શરણ શોધીને રહેવા માટે જે સંઘર્ષ કરવો પડે છે તેના સંકેતો આ સંજ્ઞાના કેન્દ્રમાં પડેલા છે. એટલે આ સંજ્ઞાના મૂળમાં સામાજિક, રાજકીય, ઐતિહાસિક પરિબળો કારણભૂત છે.
સર્જક : ડૉ. રમેશ ચૌધરી
1 post