જીવનલીલા – કાકાસાહેબ કાલેલકર
[કાકાસાહેબનું પ્રવાસવર્ણન હંમેશા બેગ તૈયાર કરીને વાંચવું હિતાવહ છે જેથી વાંચીને તરત નીકળી પડાય ! તેમના ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તકથી આપણે સૌ પરિચિત છીએ. તેવું જ તેમનું આ બીજું પુસ્તક છે ‘જીવનલીલા’. પરંતુ આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં ભારતભરનાં અનેક ધોધ, તળાવો, સરોવરો, નદીઓ અને સમુદ્રનું સવિસ્તાર વર્ણન છે. કાકાસાહેબ કહે છે કે મારા ભારતપ્રવાસનાં વર્ણનો સાહિત્યવિલાસ નથી પણ ભારત-ભક્તિનો અને પૂજાનો એક પ્રકાર છે. તાજેતરમાં આ પુસ્તકની નવી આવૃત્તિ પ્રકાશિત થઈ છે. ઉત્તમ પ્રવાસવર્ણનોના રસિકોએ આ પુસ્તક અવશ્ય વસાવવાલાયક છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] નદીનું સરોવર
આપણા દેશમાં સૌંદર્યસ્થાનો એટલાં બધાં વેરાયાં છે કે કોઈ એનો હિસાબ જ રાખતું નથી. જાણે કુદરતે ઉડાઉપણું કર્યું એની માણસ એને સજા કરે છે. જેમ આશ્રમમાં ચોવીસે કલાક ગાંધીબાપુ સાથે રહેવાની અને વાતો કરવાની તક જેમને મળી છે, તે લોકો બાપુજીનું મહત્વ સમજતા મટ્યા છે અને બાપુજીનો ભાવ પણ પૂછતા નથી, તે જ પ્રમાણે આપણા દેશમાં કુદરતી ભવ્યતાનું થયું છે.
અમે માણિકપુરથી ઝાંસી જતા હતા. રસ્તામાં હરપાલપુર અને રોહા વચ્ચે અચાનક એક વિશાળ સુંદર દશ્ય જોયું. આ સરોવર છે કે નદી ? એની પણ ખબર ન પડે. આસપાસનાં ઝાડો એટલાં તો કાંઠાની નજીક આવ્યાં હતાં કે આ નદી ન જ હોઈ શકે એમ અનુમાન નીકળતું. પણ સરોવરની તો ચારે બાજુ ઓછીવત્તી ઊંચી હોવી જોઈએ. અહીં સામી બાજુએ એક ઊંચો પર્વત આસપાસના જંગલને આશીર્વાદ આપતો ઊભો હતો અને પાણીમાં જોનાર લોકોને પોતાનું અવળું દર્શન આપતો હતો. દાઢી રાખીને માથું મૂંડાવનાર મુસલમાનોની પેઠે આ પહાડે પોતાની તળેટીમાં જંગલ ઉગાડીને પોતાના શિખરનું તોલું કર્યું હતું.
વધુ આગળ વાંચો »
ભજનાંજલિ – કાકાસાહેબ કાલેલકર
પ્રેમળ જ્યોતિ તારો દાખવી
(રાગ : માંડ-તાલ દાદર)
પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવન-પંથ ઉજાળ….ધ્રુ.
દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ.
મારો જીવન-પંથ ઉજાળ….1
ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ; દૂર નજર છો ન જાય,
દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય.
મારે એક ડગલું બસ થાય…..2
આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર,
આપ-બળે માર્ગ જોઈને ચાલવા હામ ધરી મૂઢ બાળ,
હવે માગું તુજ આધાર……3
ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષોને લોપ સ્મરણથી સ્ખલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ……4
તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લગી પ્રેમભેર,
નિશ્ચે મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમળ જ્યોતિની સેર…..5
કર્દમભૂમિ કળણભરેલી, ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર……. 6
રજની જશે ને પ્રભાત ઊજળશે, ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્યગણોનાં વદન મનોહર મારે હૃદયે વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયાં હતાં ક્ષણ વાર……7
વધુ આગળ વાંચો »





