સત્ય એ જ ઈશ્વર છે – ગાંધીજી
[આજે ગાંધી નિર્વાણ દિન તેમજ શહીદ દિન નિમિત્તે પૂ. મહાત્માના ચરણોમાં વંદન કરીને તેમના ‘સત્ય એ જ ઈશ્વર છે’ પુસ્તકમાંથી કેટલાક પ્રકરણને હૃદયસ્થ કરવાનો પ્રયત્ન કરીએ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] મૌનનો મહિમા
સત્યના શોધકે મૌન રહેવું જોઈએ એવું મને ઘણી વાર લાગ્યું છે. ધારેલાં પરિણામ લાવવાની મૌનની અદ્દભુત શક્તિનો મને પરિચય છે. દક્ષિણ આફ્રિકામાં હું એક ટ્રેપિસ્ટ સાધુઓનો મઠ જોવા ગયો હતો. તેમાંના ઘણાખરા મૌનવ્રતધારી મુનિ હતા. મેં મઠના વડાને આવું વ્રત ધારણ કરનારાઓનો આશય શો છે તે પૂછ્યું અને તેમણે કહ્યું કે તે સ્પષ્ટ છે. ‘આપણે બધા નબળા માનવી જીવો છીએ. ઘણી વાર આપણે શું બોલીએ છીએ તેનું આપણને ભાન હોતું નથી. આપણે કાયમ બોલ બોલ કર્યા કરીએ તો આપણા અંત:કરણમાંથી ઊઠતો શાંત ઝીણો અવાજ આપણે કાને નહીં પડે.’ એ કીમતી પાઠનો મર્મ હું સમજ્યો. મૌનના રહસ્યનો મને પરિચય છે.
અનુભવે મને એ પણ બતાવ્યું છે કે સત્યના પૂજારીએ મૌનનું સેવન કરવું ઘટે છે. જાણ્યેઅજાણ્યે પણ મનુષ્ય ઘણી વેળા અતિશયોક્તિ કરે છે અથવા જે કહેવા યોગ્ય હોય તે છુપાવે કે જુદી રીતે કહે છે. આવાં સંકટોમાંથી બચવાને ખાતર પણ અલ્પભાષી થવું આવશ્યક છે. થોડું બોલનાર વગર વિચાર્યે નહીં બોલે; પોતાના દરેક શબ્દને તોળશે. ઘણી વેળા માણસ બોલવાને અધીરો બને છે. ‘મારે પણ બોલવું છે’ એવી ચિઠ્ઠી ક્યા પ્રમુખને નહીં મળી હોય ? પછી તેને વખત આપવામાં આવ્યો હોય તે તેને સારુ પૂરતો નથી થતો. વધારે બોલવા દેવાની માગણી કરે છે, ને છેવટે રજા વિના પણ બોલ્યા કરે છે ! આ બધાના બોલવાથી જગતને લાભ થયેલો ભાગ્યે જ જોવામાં આવે છે. તેટલા વખતનો ક્ષય થયેલો તો સ્પષ્ટ જોઈ શકાય છે.
વધુ આગળ વાંચો »
નીતિનાશને માર્ગે (ભાગ:3) – ગાંધીજી
[રોજ સવારના અખબારથી લઈને રસ્તા પરના હોર્ડિંગો અને છેક રાત્રી સુધીના ટીવી કાર્યક્રમો સુધી આપણી આંખમાં એવા ઉતેજક દ્રશ્યો નજરે પડે છે જે મનને ક્ષુબ્ધ અથવા વિચલિત તો કરે જ છે સાથે સાથે એટલી હદ સુધી નબળું બનાવી મુકે છે કે આપણને લાગે છે કે ‘આ બધું તો આમ જ હોય !’ પ્રતિકાર કરવાની વાત તો બાજુએ, અજાણતાં જ એનો સ્વીકાર થઈ જાય છે ! પરિણામે સમાજનું માનસિક સ્વાસ્થ્ય કથળતું જાય છે. આ પ્રકારની નાજુક બાબતોમાં મહાપુરુષોની આંગળી પકડીને ચાલવું વધારે હિતાવહ છે. યુવાનોને આ બાબતે યોગ્ય માર્ગદર્શન મળે અને તેઓ તેજસ્વી તેમજ ઊર્જાવાન બને એ માટે ‘યંગ ઈન્ડિયા’ નામના સામાયિકમાં ગાંધીજી એક કોલમ લખતા હતા. તેમના લેખો પરથી ‘નીતિનાશને માર્ગે’ નામનું પુસ્તક 1921 માં પ્રકાશિત થયું હતું. આ પુસ્તકના કેટલાક પ્રકરણોમાંનો અંશ આપણે ભાગ-1 અને ભાગ-2 રૂપે 2006માં માણ્યો હતો. આજે માણીએ વધુ એક પ્રકરણ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી. ]
[1] સંયમને શાની જરૂર હોય ?
એક વિવાહ કરવાને ઉમેદવાર થઈ રહેલ ભાઈ મને લખે છે કે : ‘આપ લખો છો કે સંયમના પાલનમાં એકને બીજાની સંમતિની જરૂર ન હોય – શું આ વધારે પડતું નથી ? પત્નીને પણ પોતાના જ્ઞાનમાં ભાગી બનાવી શકે ત્યાં સુધી તો રાહ જોવી જોઈએ ને ? આપનો લેખ ‘પતિનું કર્તવ્ય’ ફરી ફરી વાંચ્યા છતાં હજી ખુલાસો જોઈએ છે. હું હજી અવિવાહિત છું. લગ્ન થોડા વખત પછીથી છે. આપની પાસેથી ખુલાસો મેળવવા લખું છું.’
એ ભાઈને મેં લખ્યું કે : ‘જે સંયમને બીજાની સંમતિની જરૂર હોય તે સંયમ ન ટકી શકે એવો મારો અનુભવ છે. સંયમને જરૂર કેવળ અંતર્નાદની જ હોય છે. સંયમનું જોર હૃદયબળ ઉપર રહેલું છે અને જે સંયમ જ્ઞાનમય અને પ્રેમમય હોય છે, તેની છાપ આસપાસના વાતાવરણ ઉપર પડ્યા વિના રહેતી જ નથી. છેવટે વિરોધ કરનાર પણ અનુકૂળ થાય છે. આવું પતિપત્નીને વિષે પણ છે. પત્ની તૈયાર ન હોય ત્યાં સુધી જો પતિએ રોકાવાપણું હોય, અને જ્યાં સુધી પતિ તૈયાર ન હોય ત્યાં સુધી પત્નીએ રોકાવાપણું હોય, તો ઘણે ભાગે બંને ભોગપાશમાંથી છૂટી જ નહીં શકે. ઘણા દાખલાઓમાં જ્યાં સંયમને સારુ એકબીજાના ઉપર આધાર રખાય છે ત્યાં છેવટે તે ભાંગી પડે છે. તેનું કારણ જ આ મોળાશ છે. વધારે ઊંડે ઊતરીને આપણે તપાસીએ તો માલૂમ પડશે કે જ્યારે એકબીજાની કે બીજાની કે બીજીની સંમતિથી રાહ જુએ છે, ત્યારે ત્યાં સંયમની ખરી તૈયારી નથી અથવા તેને સારુ ખરેખરી ધગશ નથી. તેથી જ નિષ્કુળાનંદે લખ્યું છે કે, ‘ત્યાગ ન ટકે રે વૈરાગ વિના.’ વૈરાગને જો રાગના સાથની જરૂર હોઈ શકે તો સંયમ પાળવા ઈચ્છનારને ન ઈચ્છનારની સંમતિની જરૂર હોય.
વધુ આગળ વાંચો »
ગીતાબોધ – ગાંધીજી
[ આજે માગશર સુદ અગિયારસ એટલે શ્રીમદ ભગવદગીતા જયંતિ. અનાદિકાળથી અનેક મહાપુરુષોના જીવનનું અવિભાજ્ય અંગ બનનાર ભગવદગીતા વિશે તો શું કહેવું ? જે સાક્ષાત ઈશ્વરના મુખમાંથી પ્રવાહિત થઈ છે, એની માટે કોઈ ઉપમા આપી શકાય નહીં. ભગવદગીતાને એકવાર પકડનાર પછી એમાંથી બહાર નીકળી શકતો નથી. જેમ જેમ સાધકનો અભ્યાસ વધતો જાય તેમ તેમ એને તેમાંથી નવા અર્થો પ્રાપ્ત થાય છે. દરેક ને એમાં કંઈક નવું જ દેખાય છે. ગાંધીજીને એમાંથી અનાસક્તિયોગ જડે છે તો વિનોબાજીને સામ્યયોગ દેખાય છે. આજે ગીતાજયંતિ નિમિત્તે આવો આપણે આ પરમ પાવન ગંગાનું થોડું ગાંધીજીના શબ્દો દ્વારા અધ્યાય-3નું આચમન કરીએ. પ્રસ્તુત લેખ ‘ગીતાબોધ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ સાંભળીને અર્જુનને એમ થયું કે માણસે શાંત થઈને બેઠા રહેવું જોઈએ. એના લક્ષણમાં કર્મનું તો નામ સરખુંયે તેણે ન સાંભળ્યું. તેથી ભગવાનને પૂછ્યું, ‘કર્મ કરતાં જ્ઞાન વધારે એમ તમારા બોલ ઉપરથી લાગે છે તેથી મારી બુદ્ધિ મૂંઝાય છે. જો જ્ઞાન સારું હોય તો મને ઘોર કર્મમાં કેમ ઉતારો છો ? મને ચોખ્ખું કહો કે મારું ભલું શેમાં છે.’
ત્યારે ભગવાને ઉત્તર આપ્યો : હે પાપરહિત અર્જુન ! અસલથી જ આ જગતમાં બે માર્ગ ચાલતા આવ્યા છે, એકમાં જ્ઞાનને પ્રધાન પદ છે ને બીજામાં કર્મને. પણ તું જ જોઈ શકશે કે કર્મ વિના મનુષ્ય અ-કર્મી ન થઈ શકે, કર્મ વિના જ્ઞાન આવે જ નહીં, બધું છોડીને માણસ બેસી જાય તેથી તે સિદ્ધ પુરુષ થઈ ગયો એમ ન કહેવાય. તું જુએ છે કે, હરકોઈ માણસ કંઈક ને કંઈક કર્મ તો કરે જ છે. તેનો સ્વભાવ જ તેની પાસે કંઈક કરાવશે. આમ જગતનો કાયદો હોવા છતાં જે માણસ હાથપગ ઝાલી બેઠો રહે ને મનમાં અનેક જાતના ઘોડા ઘડ્યા કરે તે મૂરખમાં ખપે ને મિથ્યાચારી પણ ગણાય. તેના કરતાં સારું તો એ જ નથી કે ઈન્દ્રિયોને વશમાં રાખીને રાગદ્વેષ છોડી, ધાંધલ વિના, આસક્તિ વિના એટલે અનાસક્ત રહી હાથેપગે કંઈકે કર્મ કરે, કર્મયોગ આચરે ? નિયત કર્મ – તારે ભાગે આવેલું સેવાકાર્ય – તું ઈન્દ્રિયોને વશમાં રાખીને કર્યા કર. આળસુની જેમ બેસી રહેવા કરતાં એ સારું જ છે. આળસુ થઈને બેસી રહેનારનું શરીર છેવટે પડી જાય. પણ કર્મ કરતાં આટલું યાદ રાખવું કે યજ્ઞકાર્ય સિવાયનાં બધાં કર્મ લોકોને બંધનમાં રાખે છે. યજ્ઞ એટલે પોતાને અર્થે નહીં પણ બીજાને સારુ, પરોપકાર સારુ ઉઠાવેલો શ્રમ, એટલે ટૂંકામાં સેવા. અને જ્યાં સેવાને અર્થે જ સેવા કરાય ત્યાં આસક્તિ, રાગદ્વેષ ન હોય. આવો યજ્ઞ, આવી સેવા તું કર્યા કર.
વધુ આગળ વાંચો »
આપણે સૌ એક પિતાનાં સંતાન – મોહનદાસ ગાંધી
[નવજીવન પ્રકાશન મંદિર દ્વારા પ્રકાશિત થયેલ ગાંધીસાહિત્ય પૈકીના વધુ એક પ્રચલિત પુસ્તક ‘આપણે સૌ એક પિતાનાં સંતાન’માંથી સૌપ્રથમ માણીએ પ્રકાશકનું નિવેદન અને ત્યારબાદ ગાંધીજીની કલમે એમના જીવનવિચારો સમજાવતું એક પ્રકરણ.]
[ પ્રકાશકનું નિવેદન : ગાંધીજીની કામ કરવાની રીત એવી હતી કે પોતાને જે સાચું ને કરવા જેવું લાગે તે જાતે કરવા માંડવું. પછી પોતાનું કાર્ય બીજાઓને સમજાવવાને માટે પત્રવ્યવહાર, જરૂર પડે તો ભાષણ અને ચર્ચા કરવી. તેમના કાર્યનો ફેલાવો જેમ જેમ થતો ગયો તેમ તેમ તેમણે એ કામને માટે અઠવાડિકો ચલાવ્યાં. દક્ષિણ આફ્રિકામાં એ માટે તેમણે ‘ઈન્ડિયન ઓપીનિયન’ અઠવાડિક શરૂ કરેલું. અહીં હિંદમાં આવ્યા બાદ એ જ કામને માટે પહેલાં અંગ્રેજીમાં ‘યંગ ઈન્ડિયા’ અને ગુજરાતીમાં ‘નવજીવન’ એ બે અઠવાડિકો ચલાવ્યાં. પાછળથી એ જ કામ તેમણે ‘હરિજન’ સાપ્તાહિકો મારફતે ચાલુ રાખ્યું. કોક સ્થળે તેમણે આ અઠવાડિકોને પોતાના પ્રજાજોગ સાપ્તાહિક પત્રો કહીને ઓળખાવ્યાં છે. આમ પત્રવહેવાર, પ્રસંગોપાત્ત ભાષણો, જરૂર પડ્યે જાહેર નિવેદનો અને આ અઠવાડિકો મારફતે તેમનું પાર વગરનું સાહિત્ય નિર્માણ થયું છે.
ગાંધીજીને, તેમના કાર્યને, ખાસ કરીને તેમના અહિંસાના સંદેશને અને તે માટે તેમણે યોજેલી કાર્યપદ્ધતિને જે સમજવા માગે તેણે એ બધા સાહિત્યનો શ્રદ્ધાથી અભ્યાસ કરવો જરૂરી છે. એ બધું સાહિત્ય એટલું વિશાળ છે કે તેમાંથી રુચિ તેમ જ શ્રદ્ધા મુજબ ઘણા લોકોએ પસંદગી કરી નાનામોટા સંગ્રહો બહાર પાડ્યા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની એક સમિતિ જે ટૂંકમાં ‘યુનેસ્કો’ને નામે ઓળખાય છે તેને દુનિયાની આજની વિષમ સ્થિતિમાં ગાંધીજીના કાર્યનું અને સંદેશાનું મહત્વ એટલું બધું લાગ્યું કે તેનો પરિચય કરાવવાના આશયથી તેણે પણ ગાંધીજીનાં વચનોમાંથી પસંદગી કરીને એક સંગ્રહ ‘ઑલ મેન આર બ્રધર્સ’ એ નામે બહાર પાડ્યો છે. એ સંગ્રહની રચના એવી થઈ છે કે ગાંધીજીના વિશાળ સાહિત્ય સુધી જે ન પહોંચી શકે તે પણ તેની મારફતે તેમના કાર્યનો, તેમની વિભૂતિનો, તેમની કાર્યપદ્ધતિનો અને તેમના વિચારોનો પરિચય કરી શકે.
અંગ્રેજી અને ગુજરાતી તેમ જ હિંદની બીજી ભાષાઓમાં આ સંગ્રહ બહાર પાડવાની યુનેસ્કોએ નવજીવન સંસ્થાને પરવાનગી આપી છે. તે મુજબ આ ગુજરાતી સંગ્રહ ‘આપણે સૌ એક પિતાનાં સંતાન’ એ નામે પ્રગટ કરવામાં આવ્યો છે. ગુજરાતી જાણનારા સૌ કોઈ જિજ્ઞાસુને એ ઉપયોગી થયા વગર રહેશે નહીં. – તા. 14-11-1962.]
વધુ આગળ વાંચો »

સાહિત્યકાર : 



