પંચામૃત – સં. દેવેન્દ્ર એલ. ત્રિવેદી
[તાજેતરમાં પ્રકાશિત થયેલા ‘પંચામૃત’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] પરસ્પરની આધીનતા – સ્વામી સચ્ચિદાનંદજી
લગ્નની પ્રક્રિયામાં પુરુષ આગળ હોય છે અને સ્ત્રી પાછળ હોય છે. બેઉના છેડા ગાંઠથી બાંધેલા હોય છે, એની પાછળ ઘણું જ સમજવાનું છે, એટલે સપ્તપદીમાં કહ્યું : ‘मनोवृत्तानुसारिणीम’ – મારી પાછળ પાછળ ચાલે એવી સ્ત્રી મને મળે. પાછળ શા માટે એનું કારણ….
પુરુષ અને સ્ત્રી આ બંનેની કોઈ આદર્શ ઉપમા હોય તો સાઈકલ છે. સાઈકલને બે પૈડાં છે. એક પૈડું આગળ ચાલે છે અને બીજું પાછળ. આગળનું પૈડું દિશાનો નિર્ણય કરે છે : ક્યાં જવું, ક્યાં વળવું એનો નિશ્ચય એ કરે છે અને પાછળનું પૈડું આગળના પૈડાને શક્તિ આપે છે. હવે આગળનું પૈડું દિશા નક્કી કરે પણ પાછળનું પૈડું એને શક્તિ ન આપે તો ? – તો, સાયકલ આગળ ગતિ કરી શકે નહિ. તેમ દિશા નક્કી કરવાનું કામ કે શક્તિ આપવાનું કામ બંને એક સાથે કરે તો પણ સાઈકલ ચાલી શકે નહિ. એ તો એકબીજાને આધીન રહી પોતપોતાનું કામ કરે તો જ આગળ મુસાફરી થઈ શકે.
દાંપત્યજીવનનું પણ આમ જ છે. જીવનયાત્રામાં પુરુષ દિશા નક્કી કરે છે અને સ્ત્રી એને શક્તિ આપે છે. બંનેને દિશાનિર્ધારણની છૂટ આપવામાં આવે તો દાંપત્યજીવન રહેશે ખરું ? બંનેનું જીવન પરસ્પરની આધીનતામાં છે.
[2] જીવન શું છે ? – ફાધર વાલેસ
જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સોગણું કરીને તે પાછું આપે, પણ તમે કશું નહીં આપો તો એની પાસેથી તમને કશું નહીં મળે. જીવન ખોટું લગાડતું નથી અને ખુશામત પણ કરતું નથી. ચોખ્ખો હિસાબ છે, જેવું આપો તેવું મળે. જીવનને તમે શું શું આપ્યું છે ? સાચું કહો. જીવન પ્રત્યે તમને અવિશ્વાસ છે, કંજુસાઈ છે, નફરત છે. ઓછામાં ઓછું આપો અને ન છૂટકે આપો પછી જીવનમાં સારા પાકની આશા કેમ રખાય ?
તમે ફરિયાદ કરો છો કે તમારું ભાગ્ય ઊઘડ્યું નહિ, જીવન ફળ્યું નહિ, તમે છેતરાયા છો, ભરમાયા છો, પણ તમારી ફરિયાદ સાચી નથી. ધરતી છેતરતી નથી. જીવન છેતરતું નથી. જીવન જૂઠું બોલતું નથી. જીવન તમને ફક્ત યાદ દેવરાવે છે કે તમે કશું આપ્યું જ નથી. ક્યાં પ્રેમ કર્યો છે, ક્યાં સાહસ કર્યું છે, ક્યાં ભોગ આપ્યો છે, ક્યાં શ્રદ્ધા રાખી છે ? તમે ઝંપલાવ્યું નથી, અજમાવ્યું નથી, જીવન હોડમાં મૂક્યું નથી. પછી બદલામાં શું મળે ? તમે તમારી નિરાશા બતાવો એમાં તમે તમારા જીવનનો ગૂનો કબૂલ કરો છો અને જાહેર કરો છો. કારણ કે તમે જીવનમાં ખરેખર સાચી મૂડી રોકી હોત તો એનું મબલક વ્યાજ તો તમને મળી ચૂક્યું હોત. જીવન જૂઠું બોલતું નથી.
વધુ આગળ વાંચો »
પ્રસાદ – સં. દેવેન્દ્ર એલ. ત્રિવેદી
[ઉત્તમ જીવનપ્રેરક લેખોનો સંચય એટલે ‘પ્રસાદ’. આ પુસ્તક જાણીતા શિષ્ટ સામાયિક ‘જનકલ્યાણ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. સામાયિકના આજીવન સભ્યોને તે વિનામૂલ્યે મોકલવામાં આવ્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] વિશ્વાસ – રંભાબેન ગાંધી
એક આરબની પાસે મજાનો ઘોડો હતો. સુંદર ઘોડો. પાણીદાર ઘોડો. એ ઘોડો લઈ લેવાની ઈચ્છા એકબીજા માનવીના મનમાં જાગી અને એણે પેલા આરબને કહ્યું કે હું તને એ ઘોડાને બદલે ઊંટ આપું, માગે તો બેચાર ઊંટ આપું પણ મને એ ઘોડો આપ. આરબે ઘોડો આપવાની સ્પષ્ટ ના કહી. પેલાને થયું કે આમ સીધેસીધો તો આ ઘોડો મળવાની કોઈ શક્યતા નથી અને મારે તો ઘોડો જોઈએ જ છે તો લાવ કંઈક યુક્તિ જ કરું. અને તે પેલા આરબના માર્ગમાં એક રોગી ફકીર-અશક્ત ફકીર બનીને બેઠો અને ઘોડાવાળા આરબની પ્રતીક્ષા કરવા લાગ્યો.
એક દિવસ એ જ રસ્તેથી પેલો આરબ એના ઘોડા સાથે નીકળ્યો. એને આવતો જોઈને ફકીરે બૂમો મારવા માંડી અને વેદનાભર્યા અવાજે કહેવા લાગ્યો : કોઈ દયા કરો મારા પર; હું રોગી છું, અશક્ત છું, મારાથી ચલાતું નથી, મને કોઈ સામે ગામ પહોંચાડવાની મહેરબાની કરો….
આ સાંભળીને આરબને દયા આવી અને તે બોલ્યો : જો આ ઘોડા પર હું તને સામે ગામ પહોંચાડીશ. આમ કહી પેલા ફકીરને ઘોડા પર બેસાડ્યો અને પોતે નીચે ઉતરી ઘોડા સાથે ચાલવા લાગ્યો. થોડેક ગયા હશે ત્યાં તો પેલો ફકીર ટટ્ટાર બેસી ગયો અને ઘોડાને તગડાવી મૂક્યો. તેની પાછળ પેલા આરબે બૂમ મારી. એને ખુદાના સોગંદ આપી રોક્યો ને કહ્યું : ‘જો ભાઈ, આ ઘોડો તું જ લઈ જા. એ હવે તારો થયો. તું એની સારસંભાળ બરાબર લેજે. પરંતુ આવી રીતે દગો કરીને, ધોખો દઈને, વિશ્વાસઘાત કરીને તેં ઘોડો પડાવી લીધો છે, એ વાત કોઈને કરતો નહીં. આ વાત બીજા જાણશે તો લોકોને ગરીબ પરનો, દુ:ખી પરનો, સાધુ-સંત-ફકીર પરનો વિશ્વાસ જ ઊઠી જશે અને જરૂરિયાતવાળાને પણ કોઈ મદદ કરવા નહિ જાય.
આ સાંભળતાં જ પેલાનો આત્મા જાગ્યો અને ઘોડો પાછો આપીને ચાલી ગયો.
વધુ આગળ વાંચો »
પ્રાર્થના – સં. દેવેન્દ્ર એલ. ત્રિવેદી
[‘પ્રાર્થના’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] કૂવા પરનો રહેંટ – સ્વામી રામતીર્થ
એક કૂવા ઉપર રહેંટ ચાલતો હતો. ત્યાં એક ઘોડાગાડીવાળો ઘોડાને પાણી પાવા આવ્યો, પણ રહેંટના અવાજથી ભડકીને ઘોડો પાછો ખસવા લાગ્યો. ઘોડાગાડીવાળાએ કહ્યું, ‘ભાઈ, અવાજથી ઘોડો ભડકે છે. રહેંટ જરા થોભાવો ને !’ રહેંટવાળાએ રહેંટ થોભાવ્યો એટલે અવાજ બંધ થયો. સાથે પાણી પણ બંધ થયું. ગાડીવાળો કહે : ‘ભલા માણસ, મેં અવાજ બંધ કરવાનું કહ્યું હતું ને તેં તો પાણી પણ બંધ કર્યું. ઘોડો પીએ શું ? તારે ઘોડાને પાણી નથી પીવા દેવું ?’
રહેંટવાળાએ જવાબ આપ્યો : ‘ભાઈ, અવાજ ન થાય અને પાણી મળે એ બને જ શી રીતે ? તમારે પાણી પાવું હોય તો રહેંટ ચલાવવો જ પડશે, ને રહેંટ ચાલશે તો અવાજ થશે જ. જોઈએ તો ઘોડાની પીઠ થાબડો, પંપાળો ને એમ કરતાં એને ધરાઈને પાણી પાઓ. બાકી રહેંટનો અવાજ સાવ બંધ કરવાથી તો પાણી નહીં મળે. અવાજની સાથે જ પાણી આવે.’
સ્વામી રામતીર્થનું પણ આ જ કહેવાનું છે. સુખ, શાંતિ, પ્રેમ અને માંગલ્યનો અનુભવ તમારે વિશ્વના આ બધા કોલાહલ અને ઉપાધિઓ વચ્ચે જ કરવાનો છે. તમે જંગલમાં જઈ જીવન ગાળો કે હિમાલયના શિખર પર, તમને બધે જ જગતની ઉપાધિઓ નડવાની. અશાંતિ, ધિક્કાર, દુ:ખ અને અમાંગલ્યના અનુભવ તમને બધે જ સ્થળે થવાના – ઉપાધિ અને ધાંધલ તમને ક્યાંય છોડવાનાં નથી. છતાં તમારે આ પણ યાદ રાખવાનું જ છે કે આવા નિરાશાજનક અને ઉપાધિયુક્ત જગતમાં જ અનેક મહાન વિભૂતિઓ ઉત્પન્ન થઈ છે ને એમણે જ આ બધાં તોફાનો વચ્ચે જગતને માંગલ્ય, પ્રેમ અને સુખ-શાંતિના સંદેશ આપ્યા છે. પ્રતિકૂળ, સંયોગો, ચિંતા, ઉપાધિ અને અમંગળ વાતાવરણ તો માનવીનું ઘડતર કરે છે. તમારે તેમને વધાવી લેવાં જોઈએ. તેમના દાસ ન બનતાં તમારે તેમના સ્વામી બની રહેવું ઘટે.
વધુ આગળ વાંચો »





