સ્વભાવનો સ્વભાવ – મધુકાન્ત જોષી

[‘અખંદ આનંદ’ ફ્રેબુઆરી-2010માંથી સાભાર.]

કરવી જ હોય તો ચાલો…. સ્વભાવની જ વાત કરીએ… ‘અહો ! વૈચિત્ર્યમ સ્વભાવમ !’ એમ સ્વભાવ વિશે કહેવું પડે ! ખાસ કરીને ગુલાબી-મિજાજી-રંગીન-ગમતીલો હસમુખો હોય તેને આપણો સ્વભાવ કહીએ છીએ. બાકી તો ચીડિયો સ્વભાવ તો દેશ-પરદેશમાં પણ પ્રખ્યાત છે. વાત-વાતમાં વાંકું પડી જાય એવો વાયડો સ્વભાવ ઘેર ઘેર જોવા મળે છે. હાલતા નાની વહુની જેમ રિસાઈ જાય એવો જક્કી ને જિદ્દી સ્વભાવ શહેરમાં ને ગામડામાં ઘર કરીને બેઠો છે ! હાલતાં લમણાંઝીક કરાવે એવો લપિયો સ્વભાવ જેને આપણે લાડથી ‘લપ્પીદાસ’ કહીને નવાજીએ છીએ. અમુકનો સ્વભાવ સાવ ગુંદરિયો હોય છે, તેને ગમે ત્યાં નાખો ફૅવિકોલની જેમ ચોંટડુંક રહે છે. અમુકના આઠે પો’ર અલગારી સ્વભાવ જોવા મળે છે ને અમુક આજીવન અતડો સ્વભાવ લઈ એરંડિયું પીધું હોય એમ લમણે હાથ દઈને બેઠા હોય છે. ને, અમુકનો સ્વભાવ સાવ ભૂત જેવો હોય છે પણ ચોમેરે અદ્દભુત થઈને ફરતા હોય છે.

સ્વભાવ તો સૌને ગમતીલો-રંગીલો-મોજીલો-આનંદી કાગડા જેવો હોવો જોઈએ. કેસૂડાના રંગ જેવો કામણગારો ને મેંદીના રંગ જેવો મોહક ને માદક સ્વભાવ તો કોઈક ભાગ્યશાળી વીરલાને જ મળે છે. સ્વભાવ તો પાણી જેવો પાણીદાર હોવો જોઈએ. પાણીને કોઈ પણ આકારના પાત્રમાં નાખી જુઓ તો, પાણી તેના જેવો જ આકાર ધારણ કરી લેશે. અને એવી જ રીતે પાણીમાં કોઈ પણ રંગ નાખી જુઓ, તો પાણી તરત જ તેવો રંગ ધારણ કરી લેશે. વાહ પાણી વાહ ! શું તારી અજબ છટા છે ? સ્વભાવની ! એક કવિ (આ લખનાર) પોતાના એક ગઝલના શે’રમાં સ્વભાવ વિશે બહુ સરસ વાત કરે છે :

દરિયાના મોજાં જેવો સ્વભાવ લૈ બેઠો છું,
દોસ્ત, એક પત્ર લખ: પ્રેમભાવ લૈ બેઠો છું !

સ્વભાવ તો દરિયાનાં મોજાં જેવો હોવો જોઈએ. દરિયાનું મોજું સામે કિનારેથી કોઈ પણ કારણ વિના અજબ-ગજબના ઉત્સાહ સાથે દોડતું દોડતું આ કિનારાને મળવા આવે છે – ને, પાછું મળીને બમણા ઉત્સાહ સાથે રૂમઝૂમતું નાચતું-કૂદતું પેલા કિનારાએ ચાલ્યું જાય છે.
વધુ આગળ વાંચો »