Jul 07
2010

પત્રવિશ્વ (ભાગ-2) – સં. સુરેશ દલાલ, મહેશ દવે

[‘પત્રવિશ્વ’ એ ગુજરાતી સાહિત્યમાં દુર્લભ કહી શકાય તે પ્રકારનું પુસ્તક છે. વિશ્વની વિવિધ વ્યક્તિઓના ઉત્તમ પત્રોનો તેમાં સંચય છે. ધર્મ-અધ્યાત્મ, પ્રાચીન, સાહિત્ય, પ્રણય, પરિવાર, જાહેરજીવન, મિત્રપત્ર જેવા જુદા જુદા ખંડમાં 176 વ્યક્તિઓનાં વૈવિધ્યપૂર્ણ એવા 232 પત્રો આ પુસ્તકમાં સમાવાયા છે. તેમાંના કેટલાક પત્રો આપણે અગાઉ માણ્યાં હતાં. આજે વધુ કેટલાક પત્રોને પામીએ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] કાફકાનો પત્ર પિતાજીને (અનુ. અનિલ જોશી)

પ્રિય પિતાજી,

તમે મને એક વાર પૂછ્યું હતું કે મને તમારી બીક શા માટે લાગે છે ? મારી ટેવ મુજબ મને સમજાતું નહોતું કે હું શું જવાબ દઉં ? આની પાછળ પણ ડરનું કારણ હતું. હું તમારાથી સખત ડરતો રહ્યો છું. તમને આ પત્ર પણ ડરતાં ડરતાં લખી રહ્યો છું. તમે આખી જિંદગી ખૂબ મહેનત કરી છે. તમે બધું જ બાળકો ઉપર, ખાસ કરીને મારા ઉપર ન્યોછાવર કરી દીધું છે. એને કારણે જ મને એશોઆરામની જિંદગી મળી છે. મને બ્રેડબટરની ચિંતા જ નથી. મેં પાણી માગ્યું છે, તો તમે દૂધ હાજર કર્યું છે. મને બહુ નવાઈ લાગે છે કે તમે મારી પાસેથી કોઈ કૃતજ્ઞતાની અપેક્ષા જ નથી રાખી, પણ હું તમારાથી કાયમ દૂર ને દૂર જતો રહ્યો. તમારા માટે મને કોઈ દિવસ કૌટુંબિક ભાવ જાગ્યો જ નથી. હું ઊલટો નાની બહેન ચોટલાની હઠને પંપાળતો હતો. મેં તો તમારા માટે કોઈ દિવસ નાટકની ટિકિટ પણ ખરીદી નથી. હું બહુ સ્વાર્થી છું. તમે પોતે જ આપણી પરસ્પરની વિમુખતા માટે બેકસૂર હો એ શક્ય છે. મારી મૂંઝવણ એ છે કે હું તમને કાંઈક પણ કહેવા જાઉં છું એની તમને અગાઉથી જ ખબર પડી જાય છે. પિતાજી, મને તમારી ભલમનસાઈ ઉપર લેશમાત્ર શંકા નથી, પણ તમારી એક વાત નથી ગમતી. તમે મારા તરફ પ્રેમનો દેખાડો નથી કરતા એ મને કબૂલ છે, પણ બીજાના પિતાજીઓ દેખાડો કરે છે એમ માની લેવું બરાબર નથી. તમે અંદરખાને ખૂબ નરમદિલ અને ભલા છો. પણ દરેક બાળક તમારા જેવું નથી હોતું. તમે જેવા છો એવો જ વર્તાવ તમે અમારી સાથે કરો છો. તમારી શક્તિ, આંધળો ક્રોધ અને શોરબકોર મેં સાંભળ્યો છે, અનુભવ્યો છે. તમારા પ્રભાવ નીચે હું લગભગ દબાઈ જતો હતો. જિંદગી માત્ર ધીરજ ધરવાનો ખેલ નથી, પણ કાંઈક વિશેષ હોય છે.

લિ.
કાફકા.
વધુ આગળ વાંચો »

May 27
2010

….અને મૈત્રી વધતી ગઈ – મહેશ દવે

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક ઑગસ્ટ-2008માંથી સાભાર.]

સવારે ઘરનું બારણું ઉઘાડું કે તરત જ અચૂક એનાં દર્શન થાય. એને જોતાં જ મન પ્રસન્ન થઈ ઊઠે. પચાસ-પંચાવન વર્ષથી એની સાથે આવો પાકો નાતો છે, ગાઢ અને રોજિંદી દોસ્તી છે. પચાસેક વર્ષ પહેલાં પણ મળવાનું તો થતું, પણ એ ક્યારેક-ક્યારેક, અલપ-ઝલપ. એ સમયે પણ એનો સહચાર રસદાયક લાગતો, પણ એને મળવાની એવી કોઈ ખાસ તલપ કે ઈંતજાર નહીં. એ મળે તો આનંદ, ન મળે તો અફસોસ નહીં. એ વખતે એ આડોશ-પાડોશમાં મળી જાય, મુસાફરીમાં એસ.ટી. બસ કે ટ્રેનના ડબ્બામાં ભટકાઈ જાય, કોઈક પ્રતીક્ષાખંડમાં મુલાકાત થઈ જાય, પણ એ તો અકસ્માત. એની સાથે કાયમી અને રોજની દોસ્તી બાંધવી જોઈએ એવી સમજ કે ભાન જ નહોતાં. એ સમજણ ક્યારે આવી એનો ચોક્કસ સમય યાદ નથી. એ મારી વીસી-પચીસીનો સમયગાળો હશે એવો તર્ક કરું છું.

એ મિત્રનું શરીરબંધારણ પહેલાં તો સાવ પાતળું પાપડ જેવું હતું. ધીમે ધીમે એનો મેદ વધતો ગયો છે. આજ તો એ હરાયા ઢોર જેવો માતેલો થઈ ગયો છે. એના આખા શરીરને તમે બથમાં ન લઈ શકો એવો પુષ્ટ ! તેને આખેઆખો પામી ન શકો એવો તગડો ! હવે એ એવો ખૂરાંટ થઈ ગયો છે કે ગમે તેને શિંગડે ચડાવે. પહેલાં એનામાં સાદગી અને નમ્રતા હતી. ધોળાં, કાળાં, ભૂખરાં સાદાં વસ્ત્રો પહેરે, ઉછાંછળાપણાનું નામ નહીં. હવે એ રંગબેરંગી છે. ક્યારેક તો એટલા લાલ-પીળા રંગો ધારણ કરે કે ભડક લાગે, આંખને વાગે અને તોય તેને આંખે વળગાડું છું. એ હવે છકી ગયો છે. તેનામાં સત્તાનો મદ અને અહંકાર આવી ગયો છે. ધારે તેની ઉડાડે, ફિલમ ઉતારે અને તોય લોકપ્રિય છે અને મુજ પ્રિય છે.

વર્ષે-દહાડે વાર-તહેવારના ચાર-પાંચ દિવસ માફ. બાકી વર્ષના બારે મહિના અને ત્રીસે દિવસ એ બારણે ટકોરો આપે જ આપે. અજબ જેવી વાત છે : વર્ષમાં ક્યારેક પણ ન મળતા હોય, ક્યારેક ફોન સુદ્ધાં ન કરતા હોય એવા સગાં, સ્નેહી, સંબંધીઓ જે દિવસોએ અચૂક મળવા આવે કે ફોન કરે, તે દિવસોએ આ મારો મિત્ર-શ્રેષ્ઠ ખાસ ગેરહાજરી નોંધાવે ! એ છે જ એવો અનોખો, અનૂઠો, અવળચંડો ! એ એક પણ દિવસ ગેરહાજર રહે એ મને જરાય નથી ગમતું. એના વિના મને ચેન ન પડે.
વધુ આગળ વાંચો »

May 25
2010

પત્રવિશ્વ – સં. સુરેશ દલાલ, મહેશ દવે

[‘પત્રવિશ્વ’ એ ગુજરાતી સાહિત્યમાં દુર્લભ કહી શકાય તે પ્રકારનું પુસ્તક છે. વિશ્વની વિવિધ વ્યક્તિઓના ઉત્તમ પત્રોનો તેમાં સંચય છે. ધર્મ-અધ્યાત્મ, પ્રાચીન, સાહિત્ય, પ્રણય, પરિવાર, જાહેરજીવન, મિત્રપત્ર જેવા જુદા જુદા ખંડમાં 176 વ્યક્તિઓનાં વૈવિધ્યપૂર્ણ એવા 232 પત્રો આ પુસ્તકમાં સમાવાયા છે. આજે તેમાંથી મહર્ષિ અરવિંદનો (પૂર્વાશ્રમના શ્રી અરવિંદ ઘોષનો) તેમની પત્ની મૃણાલિનીને 1905માં લખાયેલો પત્ર માણીએ. આ પત્રનો અનુવાદ શ્રી રણધીર ઉપાધ્યાયે કર્યો છે. પત્રની ગહનતા સહેજે સ્પર્શે તેવી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

પ્રિયતમા મૃણાલિની,

તમારો 24મી ઑગસ્ટનો પત્ર મળ્યો. તમારાં માતા-પિતા ઉપર ફરી પાછું એ જ દુઃખ આવી પડ્યું છે એ જાણી મને ખેદ થયો છે. ક્યા પુત્રનું અવસાન થયું છે એ તમે લખ્યું નથી. તમારાં માતા-પિતાના જીવનમાં દુઃખનો પ્રસંગ આવી પડ્યો છે, પણ એમાં શું થાય ? આપણે જીવનમાં સુખની શોધમાં નીકળીએ છીએ. એ સુખમાં જ દુઃખ રહેલું દેખાય છે. દુઃખ તો સદા સુખની સાથે જોડાયેલું હોય છે. આ નિયમ માત્ર પુત્ર વિશેની કામનાઓને જ લાગુ પડે છે એવું નથી. જીવનની બધી કામનાઓને એ લાગુ પડે છે. આનો એકમાત્ર ઉપાય છે – ધીર ચિત્તે સઘળાં સુખ અને દુઃખ ભગવાનનાં ચરણોમાં અર્પણ કરી દેવાં.

મેં વીસ રૂપિયાને બદલે દસ રૂપિયા વાંચેલા. એટલે જ મેં એમ લખેલું કે હું દસ રૂપિયા મોકલીશ. પંદરની જરૂર હશે તો પંદર પણ મોકલી શકીશ. આ મહિનામાં સરોજિનીએ તમારા માટે દાર્જિલિંગમાં જે સાડી ખરીદી છે તેના પૈસા મેં તેને મોકલી આપ્યા છે. ત્યાં તમે ઉછીના પૈસા લીધા છે તેની ખબર મને શી રીતે પડે ? જે પંદર રૂપિયા ખર્ચાયા છે તે મોકલ્યા છે. હજી બીજા ત્રણચાર રૂપિયાની જરૂર હશે તો આવતે મહિને મોકલી આપીશ.
વધુ આગળ વાંચો »

Feb 05
2010

પાંદડે પાંદડે ઝાકળ – સં. મહેશ દવે

[ શ્રી મહેશભાઈ દવે દ્વારા સંકલિત ‘પાંદડે પાંદડે’ શ્રેણીમાં તાજેતરમાં ‘પાંદડે પાંદડે ઝાકળ’નામનું નવું પુસ્તક પ્રકાશિત થયું છે. હંમેશની જેમ સુંદર બોધપ્રદ કથાઓના આ પુસ્તકમાંથી માણીએ કેટલીક કૃતિઓ. શ્રી મહેશભાઈનો આપ આ નંબર પર +91 9427606956 પર સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. ]

Picture 093[1] બધું જ યંત્રવત

ઉત્તરપ્રદેશનું એક નાનકડું ગામ. ગામમાં એક જ સ્કૂલ હતી. શાળાના ઘરડા થઈ ગયેલા શિક્ષક પ્રાચીન સાહિત્યનો વિષય શિખવાડતા હતા. આજે એ રામાયણ ભણાવતા હતા. વર્ષોથી એ રામાયણ ભણાવતા આવ્યા હતા. તુલસીદાસની ચોપાઈઓ મોઢે હતી. ચોપાઈમાં જોવાની જરૂર નહોતી. પહેલાં ચોપાઈ બોલે અને પછી એને ગદ્યમાં સમજાવે.

કોઈ વિદ્યાર્થીનું શિક્ષક પર ધ્યાન નહોતું. શાનું હોય ? ઉત્તરપ્રદેશમાં રામનો મહિમા ભારે. બાળપણથી રામકથા સાંભળતા આવ્યા હતા. દાદા-દાદીએ કથા કહી હતી. કથા કરવા આવતા મહારાજે એ કથા સંભળાવેલી, રામાયણની ફિલ્મ જોયેલી, ટીવી પર રામાયણની સિરિયલ અનેક વાર આવી ગઈ હતી. ફરી ફરી રામકથા સાંભળવામાં વિદ્યાર્થીઓને રસ નહોતો. કોઈનું ધ્યાન શિક્ષક પર નહોતું. કેટલાક ઊંઘતા હતા, કેટલાક ઝોકે ચડ્યા હતા, કેટલાક બારી બહાર ઢોર, પક્ષીઓ અને વૃક્ષો જોતાં હતાં. અને કેટલાક અંદરોઅંદર વાતો કરતા હતા. શિક્ષક પણ બેધ્યાનપણે બોલ્યે જતા હતા. પોતે શું બોલે છે તેનું પોપટને જેમ ધ્યાન કે ભાન હોતું નથી તેમ શિક્ષક કંઠસ્થ થઈ ગયેલી ચોપાઈઓ અને કથા રટ્યે જતા હતા. ઊંઘમાં કે ટેપ કરેલી રેકર્ડની હોય તેમ ગબડાવ્યે જતા હતા.

એવામાં શાળામાં સરકારી ઈન્સ્પેક્ટર (નિરીક્ષક) ‘સરપ્રાઈઝ ઈન્સ્પેકશન’ (ઓચિંતા નિરીક્ષણ) માટે આવી ચડ્યા. બધા સફાળા જાગ્રત થઈ ગયા. ઈન્સ્પેક્ટરે શિક્ષક સાથે થોડી વાતચીત કરી. પછી શિક્ષણ અને વિદ્યાર્થીઓની આવડત જાણવા સવાલ પૂછ્યો, ‘શિવનું ધનુષ્ય કોણે તોડ્યું ?’
એક વિદ્યાર્થી ડરતાં ડરતાં ઊભો થયો, ‘તમારા કહ્યા વગર ઊભા થવા માટે માફ કરજો સાહેબ, પણ મેં ધનુષ્ય તોડ્યું નથી. શાળામાં ગમે ત્યારે કંઈ તૂટે-ફૂટે તો મારું જ નામ આવે છે, તેથી ઊભો થયો છું. હું પંદર દિવસથી શાળામાં ગેરહાજર હતો, કારણ કે માંદો હતો. મેં ધનુષ્ય તોડ્યું નથી.’ નિરીક્ષકે આશ્ચર્યથી શિક્ષક સામે જોયું. બારણા પાછળથી શિક્ષકે સોટી કાઢી, કહ્યું, ‘હમણાં બે સોટી પડશે ને એટલે કબૂલ કરશે. શાળામાં બધી જ તોડફોડ સાલો એ જ કરે છે.’ નિરીક્ષકને વધારે અચંબો થયો. એ હેડમાસ્તર પાસે ગયા. બધી વાત કરી. હેડમાસ્તરે કહ્યું : ‘હવે મેલોને વાત. વિદ્યાર્થીને દંડ કરી નવું ધનુષ્ય લાવીશું. ગ્રાન્ટમાંથી પૈસા નહીં વાપરીએ. બોલો શું લેશો ચા કે કૉફી ? નાસ્તામાં શું ચાલશે ?’ નિરીક્ષકે લમણે હાથ દીધો.
વધુ આગળ વાંચો »

Dec 30
2009

કવિતાનો સૂર્ય (રવીન્દ્રચરિત) – મહેશ દવે

[ કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરના સમગ્ર જીવનપ્રવાહને આવરી લેતું જીવનચરિત્રાત્મક પુસ્તક ‘કવિતાનો સૂર્યમાંથી’ એક પ્રકરણનો કેટલોક અંશ સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે આદરણીય શ્રી મહેશભાઈ દવેનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9427606956. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 044રવીન્દ્રનાથ હવે બાવીસ વર્ષના થવા આવ્યા હતા. ટાગોરકુટુંબની પરંપરા મુજબ તો તેમનાં લગ્ન ક્યારનાં થઈ ગયાં હોત, પણ વિવિધ કારણોને લઈને એમનું લગ્ન લંબાયું હતું. પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ મોટે ભાગે હિમાલયમાં ધર્મ-ધ્યાનમાં મગ્ન રહેતા. સૌથી મોટાભાઈ દ્વિજેન્દ્રનાથ ધૂની હતા, સંસાર-વ્યવહારની બાબતમાં એમને જરાય રસ નહીં. સત્યેન્દ્રનાથ સરકારી નોકરીમાં ગામ-પરગામ ફરતા રહેતા અને જ્યોતિરીન્દ્રનાથ અનેક કામોમાં વ્યસ્ત. વચ્ચે દોઢ-બે વર્ષનો રવીન્દ્રનાથનો સમય અભ્યાસ માટે પરદેશ-ગમનમાં ગયો, પણ હવે કુટુંબમાં એમના લગ્ન માટેનો આગ્રહ વધી પડ્યો હતો.

આમ તો રવીન્દ્રનાથ રોમેન્ટિક યુવાન હતા. પ્રેરણા આપી શકે તેવો નાજુક, મુલાયમ અને રસિક સંબંધ એમને ગમે, પણ કુટુંબનાં રીત-રિવાજોથી તે અજાણ નહોતા. સંકુચિત-મર્યાદિત બ્રાહ્મણ-ગોળમાં જ પરણવાનું, અત્યંત નાની વયની અબુધ કન્યાને વરવાનું. ભણેલી કે સાહિત્ય-સંગીત-રસિક પત્ની મળે એવો અવકાશ સાવ નહીંવત હતો, એટલે જ કદાચ રવીન્દ્રનાથ લગ્ન માટે ઉત્સુક નહોતા. અવનીન્દ્રનાથે ‘ઘરોયા’માં લખ્યું છે : ‘રબીકાકા પરણતા નહોતા. બધાં જ કહેતાં કે લગ્ન કર… હવે લગ્ન કરી નાખ…., પણ રબીકાકા માનતા નહોતા. નીચું જોઈ મૂંગા-મૂંગા બેસી રહેતા.’

રવીન્દ્રનાથ ઈંગ્લૅન્ડ હતા ત્યારે મુંબઈના આત્મારામ તરખુડ કલકત્તા આવ્યા હતા. સાથે તેમની પુત્રી ઍના હતી. આત્મારામ ખાસ્સા સુધારાવાદી હતા. તેમણે ઍનાને ભણાવી હતી, એટલું જ નહીં, પરદેશમાં પલોટી હતી. તેમને નાત-જાતના ભેદ નડતા નહોતા. ઍના શિક્ષિત સંસ્કારી યુવતી હતી. સાહિત્ય અને સંગીતમાં તેને સાચુકલો રસ હતો. પશ્ચિમના દેશોની રીતભાત શીખવાનો અવસર આ આધુનિક સુંદર યુવતીને મળ્યો હતો. રવીન્દ્રનાથ તરફની ઍનાની લાગણી સ્પષ્ટ હતી. રવીન્દ્રનાથે આપેલું સાહિત્યિક નામાભિધાન ‘નલિની’ એણે કેટલાંય વર્ષો સુધી જાળવેલું. તેના એક ભત્રીજાનું નામ તેણે ‘રવીન્દ્ર’ પાડેલું. આત્મારામ કલકત્તા આવ્યા ત્યારે તેમણે દેવેન્દ્રનાથની મુલાકાત લીધી હતી. આત્મારામે ઍના માટે રવીન્દ્રનાથની વાત છેડી હોવાની અટકળ છે, પણ દેવેન્દ્રનાથ ધર્મની બાબતમાં ભલે ગમે તેટલા સુધારક હોય, સામાજિક વ્યવહાર અને રીતરિવાજ બાબતમાં રૂઢિચુસ્ત હતા. પરપ્રાંતની કન્યા પુત્રવધૂ તરીકે સ્વીકારવાનું દેવેન્દ્રનાથના લોહીમાં નહોતું. ઍના જેવી પત્નીએ રવીન્દ્રનાથના જીવનને કેવો વળાંક આપ્યો હોત તેવી કલ્પના કરવી નિરર્થક છે. દરેક નવો ઉકેલ તેની પોતાની નવી સમસ્યા પણ લાવી શકે છે. જે હોય તે, પણ હવે રવીન્દ્રનાથને પોતાના કુટુંબના રિવાજ મુજબ ઝટ પરણાવી દેવાની દેવેન્દ્રનાથને ઉતાવળ હતી.
વધુ આગળ વાંચો »

Dec 22
2009

બરફમાં જ્વાળામુખી – મહેશ દવે

[ લોખંડી પુરુષ સરદાર પટેલની જીવનકથાના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘બરફમાં જ્વાળામુખી’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે આદરણીય શ્રી મહેશભાઈ દવેનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9427606956. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 038[1] નેતાનાં લક્ષણ નિશાળમાંથી

લાક્ષણિક ભારતવાસી તરીકે મોટા થવું હોય તો ગામડામાં ઊછરવું જોઈએ. ભારત ગામડામાં પથરાયેલો દેશ છે. ભારત ગામડામાં વસે છે, શ્વસે છે. આજે પણ કરમસદ જાઓ તો ગામડાની ફોરમથી આંખ-નાક ભરાઈ જાય, હૈયું ઊભરાઈ જાય, તળપદો પ્રેમ સમજાઈ જાય. અને આજથી દોઢસો વર્ષ પહેલાં તો કરમસદ સાવ ગોકુળિયું. ન શહેરની મર્યાદા છે સંકોચ, ન શહેરનો વટ કે શેખીખોર વિવેક. ખુલ્લાં ઘર, ફળિયાં ને ખેતરની વિશાળ મોકળાશ. કોઈ બહુ અમીર નહીં, કોઈ સાવ કંગાળ નહીં; ન કોઈ મોટું, ન કોઈ છેટું. બધાં સરખે-સરખાં. છોકરાં સરખે-સરખાં થઈને રમે, ભમે, ઝઘડે; આંબા-આંબલી ચડે, પડે; એકબીજાને તળાવમાં ધકેલે, એકબીજાને કામમાં હાથ દે; છોકરવાદી પરાક્રમો કરે, એકબીજાની ઠેકડી ઉડાડે, ખડખડાટ ખુલ્લું હસે અને હસાવે. મૂંજીપણાને ગામવટો. છલક છલકાતું ઉલ્લાસ અને ઉત્સાહનું તંદુરસ્ત અને મનદુરસ્ત વાતાવરણ.

આવા ગ્રામ-પરિવેશમાં વલ્લભભાઈ ઘડાયા. સાત ચોપડી ગુજરાતી કરમસદની સરકારી શાળામાં ભણ્યા. પછી આગળ ભણવાનાં બારણાં કરમસદમાં બંધ. મોટાભાઈ (વિઠ્ઠલભાઈ) તો નડિયાદ મોસાળ રહીને આગળનું અંગ્રેજી ભણતા હતા. પણ મામા પર કેટલાનો ભાર નખાય ? સારે નસીબે અંગ્રેજી ત્રીજી સુધીની નિશાળ કરમસદમાં ખૂલી એક વરસ ત્યાં ભણ્યા અને પછી ઊપડ્યા પેટલાદ. પેટલાદ પાસે હતું. ત્યાં પાંચમી અંગ્રેજી સુધીનું ભણતર હતું. પેટલાદ એટલે ઘરની છત્રછાયા છોડી પરગામમાં વાસ. બહાર નીકળ્યા એટલે માથે જવાબદારી. એ વખતે ભણવામાં તો ઝાઝું દૈવત ન દેખાડ્યું. પણ તેર-ચૌદ વરસની ઉંમરે જ માંહી પડેલી સૂઝ, શક્તિ ને નેતાગીરીના ગુણ ઝળક્યા. છએક વિદ્યાર્થી ભેગા કર્યા. બધાએ સાથે મળી ઘર ભાડે રાખ્યું. દરેક વિદ્યાર્થી રવિવારે ઘરે જાય, ત્યારે અઠવાડિયા પૂરતું તેનું સીધું, દાણોદુણી લેતો આવે. વારાફરતી એક-એક જણ અઠવાડિયું રસોઈ બનાવે. ને એમ ચાલ્યું. ગળથૂથીમાં નેતાગીરી લઈ આવેલા વલ્લભે સમૂહ-જીવનના પાઠ શીખ્યા અને શિખવાડ્યા, સંગઠન-વ્યવસ્થાનાં લક્ષણ બતાવ્યાં.
વધુ આગળ વાંચો »

Sep 28
2009

પાંદડે પાંદડે રેખા – સં. મહેશ દવે

[‘પાંદડે પાંદડે રેખા’ પુસ્તકમાંથી સાભાર.]

[1] મનમળે તે મૈત્રી

મહાભારત વિશે કહેવાયું છે કે તેમાં સર્વ સંબંધોનો સમાવેશ થયો છે, ‘જે અહીં નથી તે બીજે ક્યાંય નથી.’ પૂર્વજો-વંશજો, પિતા-પુત્ર, માતા-પુત્રો, પતિ-પત્ની, ભાઈ-ભાંડરાંઓના અનેક પ્રકારના સંબંધો મહાભારતમાં નિરૂપાયા છે. મહાભારત મૈત્રી-સંબંધોનાં ત્રણ દષ્ટાંત નિરૂપે છે : કૃષ્ણ અને સુદામા, કૃષ્ણ અને અર્જુન તથા દુર્યોધન અને કર્ણ. કૃષ્ણ-સુદામાની મૈત્રી બાળપણની છે. એક અકિંચન બ્રાહ્મણ છે, બીજો ઐશ્વર્યવાન રાજવી છે. વર્ષો પછી મિત્રો મળે છે. તરત એકતાનતા સધાય છે. મિત્રને કૃષ્ણ ન્યાલ કરે છે, પણ ઉઘાડા દેખાડાથી નહીં. ડાબા હાથને ખબર ન પડે એમ જમણા હાથથી.

કૃષ્ણ અને અર્જુનનો મિત્ર-સંબંધ જુદા પ્રકારનો છે. યુવાવયે જન્મેલી સગાં-સંબંધી વચ્ચેની એ મૈત્રી છે. કૃષ્ણ અવતાર હોવા છતાં અર્જુનને સરખેસરખો ગણી સલાહ-માર્ગદર્શન આપે છે. હંમેશાં અણીને વખતે મદદે પહોંચી જાય છે. અર્જુનની ઈચ્છા પૂરી કરવા મોટા ભાઈના વિરોધ છતાં ચતુરાઈથી બહેન સુભદ્રાને અર્જુન સાથે ભગાડી મૂકે છે. સખા અર્જુનનો વિષાદ કૃષ્ણ દૂર કરે છે, તેની પડખે છતાં અલિપ્ત રહી દાર્શનિકની જેમ માર્ગદર્શન અને સહાય કરે છે. કર્ણ અને દુર્યોધનની મૈત્રી વળી જુદી છે. દુર્યોધનની જરૂરતમાંથી એ ઊભી થાય છે, પણ પછી પરસ્પર આદર-સ્નેહમાં એ મૈત્રી રૂપાંતર પામે છે. પાંડવપુત્રને માત કરવા દુર્યોધન કર્ણને મિત્ર બનાવે છે. બંને ગાઢ મિત્રો બને છે ને તરત સ્વાર્થ ઓગળી જાય છે. ગુરુ દ્રોણ, સલાહકાર મામા કે આદરણીય ભીષ્મપિતામહ, સર્વને અવગણી દુર્યોધન મિત્ર કર્ણમાં ભરોસો મૂકે છે, તેને મહત્વ આપે છે. કુંતીપુત્ર બનવાની, જ્યેષ્ઠ પાંડવ થવાની અને પતિ તરીકે દ્રૌપદીને ભોગવવાની અપાયેલી લાલચ તરછોડી મિત્ર તરીકે કર્ણ દુર્યોધન સાથે ઊભો રહે છે.
વધુ આગળ વાંચો »