પત્રવિશ્વ (ભાગ-2) – સં. સુરેશ દલાલ, મહેશ દવે

[‘પત્રવિશ્વ’ એ ગુજરાતી સાહિત્યમાં દુર્લભ કહી શકાય તે પ્રકારનું પુસ્તક છે. વિશ્વની વિવિધ વ્યક્તિઓના ઉત્તમ પત્રોનો તેમાં સંચય છે. ધર્મ-અધ્યાત્મ, પ્રાચીન, સાહિત્ય, પ્રણય, પરિવાર, જાહેરજીવન, મિત્રપત્ર જેવા જુદા જુદા ખંડમાં 176 વ્યક્તિઓનાં વૈવિધ્યપૂર્ણ એવા 232 પત્રો આ પુસ્તકમાં સમાવાયા છે. તેમાંના કેટલાક પત્રો આપણે અગાઉ માણ્યાં હતાં. આજે વધુ કેટલાક પત્રોને પામીએ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] કાફકાનો પત્ર પિતાજીને (અનુ. અનિલ જોશી)

પ્રિય પિતાજી,

તમે મને એક વાર પૂછ્યું હતું કે મને તમારી બીક શા માટે લાગે છે ? મારી ટેવ મુજબ મને સમજાતું નહોતું કે હું શું જવાબ દઉં ? આની પાછળ પણ ડરનું કારણ હતું. હું તમારાથી સખત ડરતો રહ્યો છું. તમને આ પત્ર પણ ડરતાં ડરતાં લખી રહ્યો છું. તમે આખી જિંદગી ખૂબ મહેનત કરી છે. તમે બધું જ બાળકો ઉપર, ખાસ કરીને મારા ઉપર ન્યોછાવર કરી દીધું છે. એને કારણે જ મને એશોઆરામની જિંદગી મળી છે. મને બ્રેડબટરની ચિંતા જ નથી. મેં પાણી માગ્યું છે, તો તમે દૂધ હાજર કર્યું છે. મને બહુ નવાઈ લાગે છે કે તમે મારી પાસેથી કોઈ કૃતજ્ઞતાની અપેક્ષા જ નથી રાખી, પણ હું તમારાથી કાયમ દૂર ને દૂર જતો રહ્યો. તમારા માટે મને કોઈ દિવસ કૌટુંબિક ભાવ જાગ્યો જ નથી. હું ઊલટો નાની બહેન ચોટલાની હઠને પંપાળતો હતો. મેં તો તમારા માટે કોઈ દિવસ નાટકની ટિકિટ પણ ખરીદી નથી. હું બહુ સ્વાર્થી છું. તમે પોતે જ આપણી પરસ્પરની વિમુખતા માટે બેકસૂર હો એ શક્ય છે. મારી મૂંઝવણ એ છે કે હું તમને કાંઈક પણ કહેવા જાઉં છું એની તમને અગાઉથી જ ખબર પડી જાય છે. પિતાજી, મને તમારી ભલમનસાઈ ઉપર લેશમાત્ર શંકા નથી, પણ તમારી એક વાત નથી ગમતી. તમે મારા તરફ પ્રેમનો દેખાડો નથી કરતા એ મને કબૂલ છે, પણ બીજાના પિતાજીઓ દેખાડો કરે છે એમ માની લેવું બરાબર નથી. તમે અંદરખાને ખૂબ નરમદિલ અને ભલા છો. પણ દરેક બાળક તમારા જેવું નથી હોતું. તમે જેવા છો એવો જ વર્તાવ તમે અમારી સાથે કરો છો. તમારી શક્તિ, આંધળો ક્રોધ અને શોરબકોર મેં સાંભળ્યો છે, અનુભવ્યો છે. તમારા પ્રભાવ નીચે હું લગભગ દબાઈ જતો હતો. જિંદગી માત્ર ધીરજ ધરવાનો ખેલ નથી, પણ કાંઈક વિશેષ હોય છે.

લિ.
કાફકા.
વધુ આગળ વાંચો »

કૃષ્ણને કરવું હોય તે કરે ! – સુરેશ દલાલ

દાંત તો હવે દંતકથા ને ચોકઠું ચમત્કાર
તાલ મિલાવી ચાલતો રહું : સમયની વણઝાર

આંખની મારી છીપમાં જુઓ બંધાયાં બે મોતી
એક પછી એક ફેંકી દીધાં : ઝળહળ ઝળહળ જ્યોતિ

પગમાં મારા અડગ ખડક, લોહીનું ઝીણું ઝરણ
ધીમે ધીમે વહેતું રહે : થાંભલા જેવા ચરણ

હાથ તો કદી કંપે જરી : કદીદ શબ્દ ધ્રૂજે
તોયે મારો જુવાનિયો જીવ સૈનિક જેવો ઝૂઝે

ઈન્દ્રિયોનો હદથી ઝાઝો કોણ ભરોસો કરે ?
આપણી એક જ વાત : ‘કૃષ્ણને કરવું હોય તે કરે !’

પત્રવિશ્વ – સં. સુરેશ દલાલ, મહેશ દવે

[‘પત્રવિશ્વ’ એ ગુજરાતી સાહિત્યમાં દુર્લભ કહી શકાય તે પ્રકારનું પુસ્તક છે. વિશ્વની વિવિધ વ્યક્તિઓના ઉત્તમ પત્રોનો તેમાં સંચય છે. ધર્મ-અધ્યાત્મ, પ્રાચીન, સાહિત્ય, પ્રણય, પરિવાર, જાહેરજીવન, મિત્રપત્ર જેવા જુદા જુદા ખંડમાં 176 વ્યક્તિઓનાં વૈવિધ્યપૂર્ણ એવા 232 પત્રો આ પુસ્તકમાં સમાવાયા છે. આજે તેમાંથી મહર્ષિ અરવિંદનો (પૂર્વાશ્રમના શ્રી અરવિંદ ઘોષનો) તેમની પત્ની મૃણાલિનીને 1905માં લખાયેલો પત્ર માણીએ. આ પત્રનો અનુવાદ શ્રી રણધીર ઉપાધ્યાયે કર્યો છે. પત્રની ગહનતા સહેજે સ્પર્શે તેવી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

પ્રિયતમા મૃણાલિની,

તમારો 24મી ઑગસ્ટનો પત્ર મળ્યો. તમારાં માતા-પિતા ઉપર ફરી પાછું એ જ દુઃખ આવી પડ્યું છે એ જાણી મને ખેદ થયો છે. ક્યા પુત્રનું અવસાન થયું છે એ તમે લખ્યું નથી. તમારાં માતા-પિતાના જીવનમાં દુઃખનો પ્રસંગ આવી પડ્યો છે, પણ એમાં શું થાય ? આપણે જીવનમાં સુખની શોધમાં નીકળીએ છીએ. એ સુખમાં જ દુઃખ રહેલું દેખાય છે. દુઃખ તો સદા સુખની સાથે જોડાયેલું હોય છે. આ નિયમ માત્ર પુત્ર વિશેની કામનાઓને જ લાગુ પડે છે એવું નથી. જીવનની બધી કામનાઓને એ લાગુ પડે છે. આનો એકમાત્ર ઉપાય છે – ધીર ચિત્તે સઘળાં સુખ અને દુઃખ ભગવાનનાં ચરણોમાં અર્પણ કરી દેવાં.

મેં વીસ રૂપિયાને બદલે દસ રૂપિયા વાંચેલા. એટલે જ મેં એમ લખેલું કે હું દસ રૂપિયા મોકલીશ. પંદરની જરૂર હશે તો પંદર પણ મોકલી શકીશ. આ મહિનામાં સરોજિનીએ તમારા માટે દાર્જિલિંગમાં જે સાડી ખરીદી છે તેના પૈસા મેં તેને મોકલી આપ્યા છે. ત્યાં તમે ઉછીના પૈસા લીધા છે તેની ખબર મને શી રીતે પડે ? જે પંદર રૂપિયા ખર્ચાયા છે તે મોકલ્યા છે. હજી બીજા ત્રણચાર રૂપિયાની જરૂર હશે તો આવતે મહિને મોકલી આપીશ.
વધુ આગળ વાંચો »

કહો, કોની પરવા ? – સુરેશ દલાલ

શરીર સાબૂત હોય
કે સાબૂત ન પણ હોય
પણ મન આ મજબૂત હોય
તો ડરવાનું શું ને પછી કોની પરવા ?
જીવવાનું હોય
યા મરવાનું હોય
તો ડરવાનું શું ને પછી કોને પરવા ?

તનના તંબુમાં
મરણનો આરબ
એનો ઊંટ સાથે હોય
પણ આપણા આ હોઠ સામે
અમરતના ઘૂંટ હોય
આનંદ લખલૂંટ હોય
પછી કોને પરવા ને કોની પરવા ?

આપણે તો મરજી-વા
ડૂબવા નીકળ્યા
ને જળની કેડી પર નીકળ્યા ફરવા
હવે કોને પરવા ને કોની પરવા ?

રોજ રોજ ડૂબવાનું
રોજ રોજ તરવાનું
રોજ રોજ ઊગવાનું
ને આપણે આથમવાનું:
ફરી પાછું ઊગવાનું:
કાંઈ નહીં પૂછવાનું:
સ્મિત નહીં લૂછવાનું:
કહો, કોને પરવા ?
કહો, કોની પરવા ?