<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>ReadGujarati.com &#187; સુરેશ દલાલ</title>
	<atom:link href="http://www.readgujarati.com/tag/%e0%aa%b8%e0%ab%81%e0%aa%b0%e0%ab%87%e0%aa%b6-%e0%aa%a6%e0%aa%b2%e0%aa%be%e0%aa%b2/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://www.readgujarati.com</link>
	<description>Read Gujarati Literature Online</description>
	<lastBuildDate>Thu, 09 Feb 2012 02:02:11 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.3.1</generator>
		<item>
		<title>સંબંધોની વિદ્યા – સુરેશ દલાલ</title>
		<link>http://www.readgujarati.com/2011/12/30/sambandh-vidhya/</link>
		<comments>http://www.readgujarati.com/2011/12/30/sambandh-vidhya/#comments</comments>
		<pubDate>Fri, 30 Dec 2011 01:21:29 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[નિબંધ]]></category>
		<category><![CDATA[સુરેશ દલાલ]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1690</guid>
		<description><![CDATA[[રીડગુજરાતી પર નવી સુવિધાઓ ઉમેરવાનું કાર્ય અંતિમ તબક્કામાં હોઈને આજે માત્ર એક જ લેખ પુનઃપ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેવા વિનંતી. આ લેખ ‘ઝલક નવરંગ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે.] સાચના સંબંધો બહુ ઓછા હોય છે. મોટા ભાગના આપણા સંબંધો કાચના હોય છે, એને નંદવાઈ જતાં વાર લાગતી નથી. આપણે નથી ઊંડે જોતા કે [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[રીડગુજરાતી પર નવી સુવિધાઓ ઉમેરવાનું કાર્ય અંતિમ તબક્કામાં હોઈને આજે માત્ર એક જ લેખ પુનઃપ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેવા વિનંતી. આ લેખ ‘ઝલક નવરંગ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે.]</p>
<p>સાચના સંબંધો બહુ ઓછા હોય છે. મોટા ભાગના આપણા સંબંધો કાચના હોય છે, એને નંદવાઈ જતાં વાર લાગતી નથી. આપણે નથી ઊંડે જોતા કે નથી ઊંચે જોતા. આપણે આપણી જાત સાથેનો સંબંધ પણ કેટલો બટકણો છે. કોઈ દિવસ નિરાંત જીવે મનગમતું એકાંત મેળવીને આપણે કદીય આપણી જાત સાથે વાત કરવાનો મોકો મેળવ્યો છે ખરો ?</p>
<p>માણસ જન્મે છે ત્યારથી એની ઈચ્છા હોય કે ન હોય એ સંબંધોની માયાજાળમાં ફસાયો છે. પ્રત્યેક સંબંધ સુવર્ણમૃગ છે. જો જાત સાથે સંબંધ કેળવીએ તો એ સંબંધ કસ્તૂરીમૃગ થાય. કસ્તૂરીમૃગની પાસે પોતાની સુવાસ હોય છે. જે માણસ પાસે પોતાનું કશુંક હોય એને બહારના કશાય પર ઝાઝો મદાર બાંધવો નથી પડતો. સંબંધની પારની પણ એક સૃષ્ટિ હોઈ શકે. જ્યારે બધા જ સંબંધો પોકળ અને પામર પુરવાર થાય અથવા ન થાય તો પણ માણસે ક્યારેક તો સંબંધની પાર જવું જોઈએ. શા માટે માણસોના સંબંધો વણસે છે ? આગ્રહ બરાબર છે. દુરાગ્રહ ખોટો છે. અભિવ્યક્તિ બરાબર છે, પણ એમાં કટુતા હોય તો પડવા જેવું નથી. સત્ય પણ સારી રીતે કહી શકાય છે. તમે ગમે એટલા આખાબોલા કે સાચાબોલા હો પણ કોઈને વાગે એ રીતે વાત ન કરાય. શરીરનું ખૂન કરીએ તો ખૂની, પણ શબ્દ દ્વારા કોઈ જીવને દૂભવીએ તો એની શિક્ષા અંતે તો આપણને ક્યારેક ને ક્યારેક થતી હોય છે. એનો અર્થ એવો નથી કે માણસે શબ્દોથી લોકોને પંપાળવા. જ્યાં આપણા સત્યની જરૂર હોય ત્યાં જ વાત કરી શકાય. સત્ય કે આંસુઓ સસ્તાં ન કરી શકાય. કોઈના અહમને હાથે કરીને શું કામ હડફેટમાં લેવો ? ઘવાયેલા અહમવાળો માણસ પશુ થઈને વીફરે અને વકરે.<br />
<span id="more-1690"></span></p>
<p>આપણે મોટે ભાગે અભિપ્રાયો ઓકતા હોઈએ છીએ. આપણે જ્યારે અભિપ્રાય વ્યકત કરીએ છીએ ત્યારે આડકતરી રીતે એવું પુરવાર કરવા માગીએ છીએ કે આના કરતાં મને વધુ આવડે છે. કોઈનું પ્રવચન સાંભળીને તરત એમ કહી દેવું કે તારી વાતમાં કશો દમ ન’તો, એમાં સત્ય હોય તોપણ એને જુદી રીતે કહી શકાય. જ્યારે સામા માણસનું રિસીવિંગ સેન્ટર સાઉન્ડ હોય, એની ગ્રહણશક્તિ સતેજ હોય ત્યારે શાંતિથી એને કહી શકીએ કે એ દિવસે તારું જે પ્રવચન હતું એ જોઈએ એટલું જામ્યું નહીં. તો પેલી વ્યક્તિ પણ પોતે તે દિવસે પ્રવચનમાં કેમ ન જામી શકી એના વિશે વિચાર કરશે અને કદાચ પોતા પાસેથી સાચો ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરશે. સાચું બોલવું ને સારું બોલવું એ એક કળા છે, પણ માણસજાત એકમેકને સુખી કરવા સર્જાઈ નથી. જ્યાં સુધી એકમેકને દુ:ખ ન આપે ત્યાં સુધી માણસને ચેન પડતું નથી. જેમ સંબંધ ગાઢ તેમ દુ:ખી કરવાની ગૂઢ વિદ્યા પ્રબળ. જે ક્ષણે આપણા સુખનો આધાર બીજાના દુ:ખ પર આધાર રાખતો થયો તે ક્ષણથી આપણું મનુષ્ય તરીકેનું પતન શરૂ થયું અને ઉડ્ડયન પૂરું થયું. મહેણાં-ટોણાં, વાતવાતમાં મોઢું ચઢાવવું, ત્રાગાં કરવાં, હવે તો તારી બાબતમાં નહીં જ બોલું એમ કહીને તોબરો ચઢાવવો – આ બધી સામી વ્યક્તિને યાતના આપવાની અનેક પદ્ધતિઓ છે.</p>
<p>લૂલા અને આંધળાની વાત તો જાણીતી છે, પણ રજનીશજીએ આ વાતને એક નવો વળાંક આપ્યો છે. આપણા તમામ સંબંધો લૂલા અને આંધળા જેવા છે. બંનેને એકમેકની જરૂરિયાત છે. બંને અંદરથી તો ભિખારી છે. લંગડા પાસે પગ નથી, આંધળા પાસે આંખ નથી. કમાઈ શકવાની તાકાત નથી અને એક જાપાની કહેવત કહે છે એ પ્રમાણે ભિખારીના ધંધામાં હંમેશાં નફો હોય છે. આ બંને ભિખારીએ ધંધામાં ભાગીદારી રાખી. આમ તો બંને વચ્ચે સમજણ હતી છતાં એક દિવસ ભીખના પૈસાને કારણે બંને વચ્ચે ઝઘડો થયો. ભિખારી હોય કે ઉદ્યોગપતિ હોય છેવટે તો બધા સાથે રહે છે કે છૂટા પડે છે તે કેવળ પૈસાને કારણે. બંને એટલું ઝઘડ્યા કે મારપીટ પર પહોંચ્યા. બંનેને એકમેકની જરૂર તો હતી જ તોપણ બંને ખૂબ ઝઘડ્યા.</p>
<p>આ ઝઘડો જોઈને, (કોઈકે હમણાં કહ્યું’તું કે ઈશ્વરનો વિડિયો તો કાયમ ચાલે જ છે) સાંભળીને ઈશ્વરને દયા આવી. એ પોતે પ્રગટ થયા. એમને એમ કે આ બંનેનો આશીર્વાદ આપું અને એમને કહું કે તમને જે જોઈએ તે માગો, પણ આ ગઘડો ખતમ કરો. ભગવાનને એમ કે આંધળો આંખ માગશે, લંગડો પગ માગશે પણ એ લોકોએ જે માગ્યું એનાથી પરમાત્માને ભોંઠપ લાગી. એટલું જ નહીં, એમની આંખમાં પણ આંસુ આવી ગયાં. આંધળાએ કહ્યું કે મારે કશું જ જોઈતું નથી, પણ આ લંગડાને આંધળો કરી દો અને લંગડાએ ઈશ્વરને કહ્યું કે આ આંધળાને લંગડો કરી દો.</p>
<p>વેર લેવું એ માણસજાતનું વ્યસન છે. પ્રેમ પર છેકો મૂકે છે અને વેરના સરવાળા ગણે છે. માણસે પોતાના કાદવમાંથી બહાર નીકળીને વેણીભાઈ પુરોહિતની બે પંક્તિ યાદ કરવી જોઈએ :</p>
<p>ઊંચે નજર કરો, જરા ઊંચે, હજી ઊંચે,<br />
આકાશ છાબ છે અને તારા ગુલાબ છે.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2011/12/30/sambandh-vidhya/feed/</wfw:commentRss>
		<slash:comments>3</slash:comments>
		</item>
		<item>
		<title>ઝરણું વહે છે તો વહેવા દો – સુરેશ દલાલ</title>
		<link>http://www.readgujarati.com/2011/10/31/zarnu-vahe/</link>
		<comments>http://www.readgujarati.com/2011/10/31/zarnu-vahe/#comments</comments>
		<pubDate>Mon, 31 Oct 2011 01:44:56 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[નિબંધ]]></category>
		<category><![CDATA[સુરેશ દલાલ]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1347</guid>
		<description><![CDATA[[‘ઝલક-પુષ્પો’ પુસ્તકમાંથી સાભાર.] અમદાવાદના ઍરપૉર્ટ પર થોડા વખત પહેલાં એક બહેન મળ્યાં. વય કદાચ પાંસઠની આસપાસ. ગોરો દેહ. જાજરમાન વ્યક્તિત્વ. શરીરમાં ક્યાંય સ્થૂળતા નહીં. ચહેરા પર શાંત પ્રસન્નતાનો વૈભવ. વ્યક્તિત્વમાં આમદાની અને ખાનદાની બંને. અવાજમાં એક પ્રકારની ઊંડી નિસબત. વાતોમાં ભરપૂર વાચનની ઝલક. સ્વામી આનંદ, મકરન્દ દવે, હરીન્દ્ર દવે, દલાઈ લામાની વાતોની લહેરખી વહ્યા કરે. [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[‘ઝલક-પુષ્પો’ પુસ્તકમાંથી સાભાર.]</p>
<p>અમદાવાદના ઍરપૉર્ટ પર થોડા વખત પહેલાં એક બહેન મળ્યાં. વય કદાચ પાંસઠની આસપાસ. ગોરો દેહ. જાજરમાન વ્યક્તિત્વ. શરીરમાં ક્યાંય સ્થૂળતા નહીં. ચહેરા પર શાંત પ્રસન્નતાનો વૈભવ. વ્યક્તિત્વમાં આમદાની અને ખાનદાની બંને. અવાજમાં એક પ્રકારની ઊંડી નિસબત. વાતોમાં ભરપૂર વાચનની ઝલક. સ્વામી આનંદ, મકરન્દ દવે, હરીન્દ્ર દવે, દલાઈ લામાની વાતોની લહેરખી વહ્યા કરે. ભગવદગીતાનો પણ ઊંડો અભ્યાસ નીખર્યા કરે. વાતો સહજપણે કરે. ક્યાંય આંજવાની વૃત્તિ નહીં. વચ્ચે વચ્ચે અંગ્રેજી વાક્યો આવ્યા કરે. ઉચ્ચાર પરથી ખ્યાલ આવે કે બહેન કદાચ વિદેશ વસતાં હશે અને એ અટકળ સાચી પડી.</p>
<p>વર્ષોથી એ બૉસ્ટન રહે છે. આપમેળે વાતો ઊઘડતી આવી. વર્ષો પહેલાં મુંબઈ રહેતાં હતાં. પોતાનું મકાન હતું. મકાન વેચી નાખ્યું અને મુંબઈના શ્રીમંત વિસ્તારમાં ખાસ્સો મોટો ફલૅટ પણ લીધો. પણ પછી દુર્ઘટનાઓ બનવા માંડી. પતિનું મરણ. થોડાક સમય બાદ જુવાનજોધ દીકરાનું મરણ. હતાશાની ખીણમાં એ ઊંડે ને ઊંડે જતાં ગયાં. ન કોઈ સાથે બોલે. કોઈને પણ મળે નહીં. જીભ રહી ને સ્વાદ ગયો. હતાશાની વાત કરતાં કરતાં કહે કે ભાઈ, મારા અનુભવ પરથી કહું કે આ ડિપ્રેશનમાં ડૉક્ટર તો અમુક હદ સુધી મદદ કરે. આપણે જ આપણને મદદ કરવાની હોય છે. જીવનમાં કશું જ ગમતું નથી. અને એક દિવસ મારા બીજા દીકરાએ કહ્યું કે મા, તારો એક દીકરો ગયો. પણ હું તો છું ને ? આ વાક્યથી હું ચોંકી ઊઠી. મને થયું કે મારે મારા બીજા દીકરાની પ્રસન્નતા માટે, એના આનંદ માટે પણ આંસુ લૂછી નાખવાં જોઈએ. આંખનો અને આંસુનો સંબંધ કાપી નાખવો જોઈએ. હું ખીણમાંથી બહાર આવી. મારો બીજો દીકરો અમેરિકામાં બહુ મોટા હોદ્દા પર છે. અમેરિકાનું જીવન તો જાણો છો. માણસ પાસે બધું જ હોય, પણ ફુરસદ ન હોય. જેમ હોદ્દો મોટો તેમ જવાબદારી વધુ. એક જમાનામાં મારો દીકરો સિડનહામ કૉલેજમાં ભણતો હતો ત્યારે સરસ કવિતા લખતો હતો. એ કવિતા લખતો એ મને ગમતું. આજે પણ કવિતા વાંચવાની તક કે કવિતા સાંભળવાની તક હું ગુમાવતી નથી. હા, મારો દીકરો ક્યારેક ક્યારેક ચિત્રો દોરે છે. સરસ મજાનાં ચિત્રો દોરે છે. એની પીંછીમાંથી પ્રકૃતિના રંગો, મોસમના મિજાજો આબાદ નીખરી આવે છે. પણ મને તો કવિતાનો શબ્દ વધુ ગમે.<br />
<span id="more-1347"></span></p>
<p>હું એમની વાતોને સાંભળતો રહ્યો. મારા મનમાં એક બીજો પ્રસંગ રમવા લાગ્યો. વર્ષો પહેલાં હું બૅંગલોર ગયો હતો. બૅંગલોરમાં એક શ્રીમંત – એમના ઘરે મારો ઉતારો હતો. એમનો દસ-બાર વર્ષનો દીકરો. દીકરાએ મને પોતાની લખેલી કવિતાઓ વંચાવી. કવિતા પરથી લાગતું હતું કે જો આનું લખવાનું સાતત્ય રહે તો કદાચ આપણને કોઈ સારો કવિ મળે. એ કવિતા વંચાવતો હતો ત્યારે બાપના ચહેરા પર એક પ્રકારની ચીડ હતી, સૂગ હતી. દીકરો સહેજ આઘોપાછો થયો ત્યારે દીકરાના બાપે મને કહ્યું કે તમે એને સહેજે ઉત્તેજન ન આપતા. એ કવિતા લખશે તો મારો ધંધો કોણ સંભાળશે ? મારો કારોબાર બહુ મોટો છે. મેં દલીલ ખાતર કહ્યું કે તમારે તો બીજા પણ ત્રણ દીકરા છે. એને જે કરવું હોય તે કરવા દો ને. એમણે જવાબ આપ્યો કે આપણે ગુજરાતી છીએ. આપણો છોકરો વેપારી કે ઉદ્યોગપતિ થાય. કલામાં કે કશામાં પડવા જેવું નથી. મને સતત એમ થયા કરે છે કે આ બંને પ્રસંગો કેવા છે ! એક વ્યક્તિને એનો દીકરો કવિતા લખતો નથી એનું દુઃખ છે અને બીજી વ્યક્તિને તેનો દીકરો કવિતામાં પડ્યો એનો ત્રાસ છે. પછી તો મેં સાંભળ્યું એ પ્રમાણે દીકરાની કવિતાની નોટબુક ફાડી નાખી. હવે એ દીકરો ધંધામાં જોડાઈ ગયો છે. કવિતામાં રસ લે છે કે નહીં તેની ખબર નથી.</p>
<p>આના સંદર્ભમાં મને એક ત્રીજો પ્રસંગ યાદ આવે છે. દિલ્હીમાં એક તુંડમિજાજી બિનગુજરાતી બહેન મળ્યાં હતાં. એમણે મને કહ્યું કે ગુજરાતીઓ પાસે પૈસો છે, પણ સંસ્કાર કે સંસ્કૃતિ નથી. આ મહેણું મારાથી સહન ન થયું. મેં એનો વળતો જવાબ આપ્યો કે કોઈ પણ પ્રજા કે કોમ વિશે આવાં છીછરાં નિરીક્ષણો ન કરાય. દરેક ગુજરાતી અંબાણી નથી. દરેક પારસી ટાટા નથી કે દરેક મરાઠી કિર્લોસ્કર નથી. ગુજરાત પાસે ઉત્તમ કવિતા, નિબંધો, નવલકથા ઈત્યાદિ બધું જ છે. હા, ગુજરાત પાસે રંગભૂમિ છે, પણ મોટે ભાગે નાટકો દત્તક લેવાં પડે છે. એમનો સૂર એક અંતિમનો હતો. પણ આપણે જો આત્મનિરીક્ષણ કરીએ તો એમની પાસે સમગ્ર સત્ય નહોતું, પણ સત્યનો અંશ હતો. આપણી પાસે ટાગોર નથી કે નથી સત્યજિત રે. આપણી પાસે લતા મંગેશકર કે સચીન તેન્ડુલકર નથી. ગાંધીજી તો સમગ્ર વિશ્વના. એમને ગુજરાતી કહીને સીમિત ન કરી શકીએ, પણ એક હકીકત તો છે જ. ગાંધીજી ગુજરાતી, વિક્રમ સારાભાઈ ગુજરાતી, જ્યોતીન્દ્ર દવે કે પન્નાલાલ પટેલ ગુજરાતી. જોકે મને વ્યક્તિગત રીતે આવા હાંસિયા પાડીને વાત કરવી ગમતી નથી. પણ આ વાત તો આપણા સૌની વિચારણા માટે મૂકી છે. દરેક પ્રજા પાસે એની પોતાની લાક્ષણિકતા હોય છે. પ્રજાએ પોતે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આ બધી વાતનો સાર એટલો છે કે મા-બાપ જો સંતાનના શૈશવમાં કશુંક અનન્ય પારખી લે તો એના ગુણવિશેષને વિકસાવવો જોઈએ. કોઈકની કન્યા સરસ ગાતી હોય તો કોઈ સારા સંગીતકાર પાસે મૂકો તો ભવિષ્યની ઉત્તમ કલાકાર થઈ શકે. કોઈનો છોકરો ક્રિકેટમાં ગળાબૂડ હોય અને તેને યોગ્ય માર્ગદર્શન મળે તો ભવિષ્યમાં સારો ક્રિકેટર થઈ શકે. બાળકમાં પડેલા પ્રતિભાબીજની માવજત કરવાની હોય છે. જો એ બીજની માવજત ન કરીએ તો એમાંથી કદી વૃક્ષ પાંગરશે નહીં. કોઈ ફૂલ પાસેથી એની ફોરમ છીનવી લેવાનો આપણને અધિકાર નથી. કોઈ પંખીના ટહુકાને ગૂંગળાવવાનો આપણને અધિકાર નથી. માણસને એની રીતે વિકસવા દેવો જોઈએ. ઝરણું વહે છે તો વહેવા દો. એને રૂંધવું શા માટે ?</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2011/10/31/zarnu-vahe/feed/</wfw:commentRss>
		<slash:comments>5</slash:comments>
		</item>
		<item>
		<title>કહો, કોની પરવા ? – સુરેશ દલાલ</title>
		<link>http://www.readgujarati.com/2011/07/03/koni-parva/</link>
		<comments>http://www.readgujarati.com/2011/07/03/koni-parva/#comments</comments>
		<pubDate>Sun, 03 Jul 2011 01:52:25 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[કાવ્ય અને પદ્યસાહિત્ય]]></category>
		<category><![CDATA[સુરેશ દલાલ]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=669</guid>
		<description><![CDATA[શરીર સાબૂત હોય કે સાબૂત ન પણ હોય પણ મન આ મજબૂત હોય તો ડરવાનું શું ને પછી કોની પરવા ? જીવવાનું હોય યા મરવાનું હોય તો ડરવાનું શું ને પછી કોને પરવા ? તનના તંબુમાં મરણનો આરબ એના ઊંટ સાથે હોય પણ આપણા આ હોઠ સામે અમરતના ઘૂંટ હોય આનંદ લખલૂંટ હોય પછી કોને [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>શરીર સાબૂત હોય<br />
કે સાબૂત ન પણ હોય<br />
પણ મન આ મજબૂત હોય<br />
તો ડરવાનું શું ને પછી કોની પરવા ?<br />
જીવવાનું હોય<br />
યા મરવાનું હોય<br />
તો ડરવાનું શું ને પછી કોને પરવા ?</p>
<p>તનના તંબુમાં<br />
મરણનો આરબ<br />
એના ઊંટ સાથે હોય<br />
પણ આપણા આ હોઠ સામે<br />
અમરતના ઘૂંટ હોય<br />
આનંદ લખલૂંટ હોય<br />
પછી કોને પરવા ને કોની પરવા ?</p>
<p>આપણે તો મરજી-વા<br />
ડૂબવા નીકળ્યા<br />
ને જળની કેડી પર નીકળ્યા ફરવા<br />
હવે કોને પરવા ને કોની પરવા ?</p>
<p>રોજ રોજ ડૂબવાનું<br />
રોજ રોજ તરવાનું<br />
રોજ રોજ ઊગવાનું<br />
ને આપણે આથમવાનું:<br />
ફરી પાછું ઊગવાનું:<br />
કાંઈ નહીં પૂછવાનું:<br />
સ્મિત નહીં લૂછવાનું:<br />
<span style="color: #ffffff;">&#8230;.. </span>કહો, કોને પરવા ?<br />
<span style="color: #ffffff;">&#8230;&#8230; </span>કહો, કોની પરવા ?</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2011/07/03/koni-parva/feed/</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>સ્ત્રી – સુરેશ દલાલ</title>
		<link>http://www.readgujarati.com/2011/04/17/stree-poem/</link>
		<comments>http://www.readgujarati.com/2011/04/17/stree-poem/#comments</comments>
		<pubDate>Sun, 17 Apr 2011 02:02:29 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[કાવ્ય અને પદ્યસાહિત્ય]]></category>
		<category><![CDATA[સુરેશ દલાલ]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=243</guid>
		<description><![CDATA[[‘મૌનનો ચહેરો’ પુસ્તકમાંથી સાભાર.] ટ્રેનની રાહ જોતી પ્લૅટફૉર્મ પર ઊભેલી એક સ્ત્રી ટ્રેન આવી ન આવી ત્યાં તો ચડી ગઈ ડબ્બામાં બિલ્લીની ઝડપે પહોંચી સીધી ઑફિસમાં. કોઈ મળે એટલે આપમેળે હોઠ પર ગોઠવાઈ જાય સ્મિત અને સ્મિતમાંથી પ્રકટી ઊઠે ઍરકન્ડિશન્ડ ઑફિસમાં ઠંડાગાર શબ્દો : ‘ગુડમૉર્નિંગ’. સાંજે ફરી પાછું એનું એ જ ચક્ર. ટ્રેનની રાહ જોતી [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[‘મૌનનો ચહેરો’ પુસ્તકમાંથી સાભાર.]</p>
<p>ટ્રેનની રાહ જોતી<br />
પ્લૅટફૉર્મ પર ઊભેલી એક સ્ત્રી<br />
ટ્રેન આવી ન આવી ત્યાં તો<br />
ચડી ગઈ ડબ્બામાં બિલ્લીની ઝડપે<br />
પહોંચી સીધી ઑફિસમાં.<br />
કોઈ મળે એટલે આપમેળે<br />
હોઠ પર ગોઠવાઈ જાય સ્મિત<br />
અને સ્મિતમાંથી પ્રકટી ઊઠે<br />
ઍરકન્ડિશન્ડ ઑફિસમાં<br />
ઠંડાગાર શબ્દો : ‘ગુડમૉર્નિંગ’.</p>
<p>સાંજે ફરી પાછું<br />
એનું એ જ ચક્ર.<br />
ટ્રેનની રાહ જોતી<br />
પ્લૅટફૉર્મ પર ઊભેલી એ સ્ત્રી.<br />
ટ્રેન આવી ન આવી ત્યાં તો<br />
ચડી ગઈ ડબ્બામાં બિલ્લીની ઝડપે<br />
પહોંચી સીધી ઘેર.</p>
<p>બાળકો તરફ જોયું ન જોયું<br />
અને રસોડાની સોડમાં લપાઈ ગઈ.<br />
સૌને જમાડ્યાં, જમી.<br />
જિંદગી ઊગી અને આથમી<br />
અને કોઈને પણ<br />
‘ગુડ નાઈટ’ કહ્યા વિના<br />
સૂઈ ગઈ.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2011/04/17/stree-poem/feed/</wfw:commentRss>
		<slash:comments>15</slash:comments>
		</item>
	</channel>
</rss>

