Aug 03
2010

પ્રેમની પરિપકવતા – અવંતિકા ગુણવંત

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર. આપ અવંતિકાબેનનો (અમદાવાદ) આ નંબર પર +91 79 26612505 સંપર્ક કરી શકો છો.]

ઈના ઓગણીસ વર્ષની ઉંમરે એના સહાધ્યાયી શ્રેણીક સાથે પરણી. પણ આ શું ? અભ્યાસ દરમ્યાન જે શ્રેણીકનો એને પરિચય થયો હતો એના કરતાં આ પતિ થયેલો શ્રેણીક સાવ જુદો જ નીકળ્યો. અભ્યાસ દરમ્યાન શ્રેણીક બુદ્ધિશાળી, ખૂબ ઉત્સાહી, સ્ફૂર્તિવાળો અને મહેનતુ લાગતો હતો; પરંતુ લગ્ન પછી એનો એ તરવરાટ, થનગનાટ ક્યાં ગયા એની ઈનાને ખબર પડી નહિ.

શ્રેણીકના પપ્પાને કાપડનો ધંધો હતો. પપ્પાની દુકાને જઈને કામ કરવાના બદલે એ ઘેર બેસી રહેતો. નિવૃત્ત વૃદ્ધ માણસની જેમ આખો દિવસ એની રૂમમાં પડી રહેતો અને સાંજે ફરવા જવાનો પ્રોગ્રામ બનાવતો. શ્રેણીક કોઈ ઉદ્યમ કરવાના બદલે આવી રીતે પડી રહે તેથી શ્રેણીકના પિતા અવાનવાર એને ટોકતા, વઢતા ત્યારે શ્રેણીક પિતાની સલાહ સાંભળવાના બદલે ઝઘડો કરતો. ઉત્પાત મચાવતો. દીકરાએ અભ્યાસ પૂરો થાય પછી પપ્પાને ધંધામાં સહયોગ આપવો જોઈએ, પપ્પાના હાથ નીચે તૈયાર થવું જોઈએ એના બદલે શ્રેણીક કેમ ઘરમાં જ પડી રહે છે એ કોઈને સમજાતું નહિ. શ્રેણીકના આવા બેજવાબદાર વર્તન માટે એના માબાપ ઈનાને દોષી ઠરાવીને ઠપકો આપતાં, એનો તિરસ્કાર કરતાં. તેઓ માનતાં કે ઈના સાથે લગ્ન કરવાથી શ્રેણીક આવો થયો છે. શ્રેણીકની આવી નફફટ નિષ્ક્રિયતા અને સાસરિયાંનાં વર્તનથી અકળાઈને ઈના શ્રેણીક સાથે ઝઘડો કરતી, સખત ઝઘડો કરતી. શ્રેણીક પણ ઘાંટાઘાંટ કરી મૂકતો. ક્યારેક બે વચ્ચે મારામારી પણ થઈ જતી, અને ઈના રિસાઈને પિયર જતી રહેતી.
વધુ આગળ વાંચો »

Jun 18
2010

જિંદગી કેમ ખોવાઈ જાય છે ? – અવંતિકા ગુણવંત

[દામ્પત્યજીવનની વિવિધ સમસ્યાઓનું સુંદર સમાધાન મળી રહે તેવા અનુપમ લેખોનો સંચય ‘કુર્યાત સદા મંગલમ’ પુસ્તકમાં થયો છે. ‘જનકલ્યાણ’ સામાયિકમાં નિયમિતરૂપે પ્રકાશિત થતા આ લેખો સંગ્રહિત થઈને આ પુસ્તકરૂપે પ્રકાશિત થયા છે. અવંતિકાબેનનો (અમદાવાદ) આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 79 26612505. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

શર્વિલ અને વાસવીનાં લગ્નને એક મહિનો પૂરો થયો. છલકાતા હૈયે આતુરતાથી વાસવીએ શર્વિલને પૂછ્યું : ‘તને ખબર છે આજે કયો દિવસ છે ?’
‘શુક્રવાર.’ શર્વિલ સરળતાથી બોલ્યો.
‘બસ, એક મહિનામાં બધું જ ભૂલી ગયો ?’ વાસવી ચિડાઈને બોલી.
‘ઓહ, આજે તો અઢારમી તારીખ, આપણો લગ્નદિવસ ! અરે, ભાઈ મેની મેની હૅપી રિટર્નસ ઑફ ધીસ ડે.’ સ્નિગ્ધ કંઠે શર્વિલ બોલ્યો.
‘બોલ, આજે શું પ્રોગ્રામ બનાવીશું ?’ થનગનતા સૂરે વાસવીએ કહ્યું.
‘કંઈક સરસ રાંધી નાખ.’ પૂર્ણપણે ખીલી ઊઠતાં શર્વિલ બોલ્યો.
‘તને તો જમવા સિવાય બીજું કંઈ સૂઝતું નથી. આપણે ક્યાંય ફરવા નહીં જવાનું ?’ રોષ અને રીસથી વાસવી બોલી.
‘જઈશું, જઈશું. હું સાંજે આવું પછી જઈશું.’

સાંજ થતાં વાસવી કાળજીપૂર્વક સુંદર રીતે તૈયાર થઈને રાહ જોતી બેઠી, શર્વિલ ઘેર આવ્યો, બોલ્યો : ‘વાહ ! તું તો તૈયાર થઈને બેઠી છે ! ચાલ ઝટ ઝટ જમી લઈએ.’
‘આજેય ઘેર જ જમવાનું છે ? મેં તો રસોઈ નથી કરી.’ વાસવી ખીજવાઈ ઊઠી. શર્વિલ પર વાસવીની ચીડની કોઈ અસર ના થઈ. એ બોલ્યો :
‘તો લાવને અથાણું ને ખાખરા, સાથે ફર્સ્ટ કલાસ ચા બનાવી લાવ.’
આ સાંભળ્યું ને વાસવી એકદમ અકળાઈ ઊઠી, છતાં સંયમ રાખીને પૂછ્યું : ‘આપણે પિકચરમાં જઈશું ?’
‘જોઈએ ક્યાંક ટિકિટ મળે તો….’ શર્વિલ બોલ્યો. વાસવીને ગુસ્સો આવી ગયો, પણ એ દિવસ બગાડવા નહોતી માગતી તેથી બોલી : ‘ચાલોને ગમે ત્યાં ફરવા જઈએ…’
‘હા, ચાલ તારી બાના ઘરે જઈએ.’
આ સાંભળ્યું ને વાસવી એકદમ ઉશ્કેરાઈને ઊંચા અવાજે બોલી : ‘તારામાં તો કોઈ રસિકતા જ નથી. આજે તો કોઈ રોમાંચ જોઈએ. તું તો સાવ વેદિયો જ છે, નવજીવનનો કોઈ ઉલ્લાસ નથી. આપણા મિલનનું તારા માટે કોઈ મહત્વ નથી. મને તો કેટલી હોંશ હતી, અરમાન હતા પણ…..’ વાસવી બોલે જતી હતી, પરંતુ શર્વિલ તો સાવ ચૂપ છે. એ મૂંઝાય છે કે વાસવી કેમ આટલી બધી અકળાય છે, પોતે શું ખોટું કર્યું છે, એ કહે છે એમ કરવા તો હું તૈયાર છું. મારા જીવનમાં એ આવી ને એનો મને આનંદ છે પણ એના તો કંઈ ઢોલ નગારાં પીટવાનાં હોય ?
વધુ આગળ વાંચો »

May 30
2010

જાતે કરવા દો – અવંતિકા ગુણવંત

[‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર.]

મૃગા દીકરા આલાપનું દફતર ગોઠવતી હતી. એ જોઈને નિશાંતભાઈ બોલ્યા : ‘મૃગા, આલાપને એનું દફતર એની જાતે ગોઠવવા દે.’
‘હું એનું દફતર ગોઠવું એમાં તમને કોઈ વાંધો છે ?’ મૃગા તાડૂકી.
‘હા, વાંધો છે. તું એનું દફતર ગોઠવીને એને પાંગળો બનાવી દે છે. એનું કામ એને જાતે કરવા દે. દીકરો તને વહાલો છે એમ મને પણ વહાલો છે. મા તરીકે તને એને લાડ લડાવવાનું ગમે, એક રાજકુંવરની જેમ દીકરો વૈભવભર્યું લાલનપાલન પામે એ તને ગમે એ સાવ સ્વાભાવિક વાત છે, દીકરાને લાડ કરવાનું મનેય ગમે પણ એનું લાલનપાલન કરવામાં એક મર્યાદા રાખવાની અત્યંત જરૂરી છે. દીકરો એનું કામ જાતે કરે એવી ટેવ પાડવી જોઈએ. આપણે એનાં કામ કરી લઈએ તો એને શેઠાઈ કરવાની ટેવ પડશે. નિશાળે જવાની ઉંમર છે એવું આપણે માનીએ છીએ, તો એની સ્કૂલબેગ એ જાતે ગોઠવે એવો આપણે આગ્રહ રાખવો જોઈએ. એની સ્કૂલબેગ એ જાતે ગોઠવે તો એને ખ્યાલ આવે કે નિશાળમાં જરૂર પડે એવી કોઈ વસ્તુ એ ભૂલી તો નથી રહ્યો ને ! અને ઘરે પાછો આવે ત્યારે એની બધી વસ્તુઓ સાચવીને લાવે. નિશાળમાં કોઈ વસ્તુ ભૂલીને ન આવે. અત્યારથી એ આવી નાની જવાબદારી નિભાવે તો એનામાં ચોકસાઈ આવે અને પોતાનું કામ પોતે જાતે કર્યું એનો આનંદ એને મળે.’

‘અરે, શું આનંદ મળે, ખબર છે તમને, કાલે છેલ્લી ઘડીએ બેગ ગોઠવવા બેઠો, મોડું થઈ ગયું હતું, એની રિક્ષા આવી ગઈ અને એ દોડ્યો તો પડી ગયો અને એનો ઢીંચણ છોલાઈ ગયો.’
‘બાળક તો પડે, એક વાર એ પડે, વાગે તો એને ભાન પડે કે બેગ વહેલાસર ગોઠવી દેવી જોઈએ. પડતાં આખડતાં બાળક જિંદગીના પાઠ શીખે. જિંદગીમાં આવા તો કેટલાય ચડાવ-ઉતરાવ ભવિષ્યમાં આવશે, તકલીફો આવશે એ વખતે કદાચ આપણે એની પાસે ન હોઈએ તો એનામાં સૂઝ અને હિંમત ખીલ્યાં હશે તો એ મુશ્કેલીમાંથી એનો માર્ગ કાઢી શકશે, ગભરાયા વગર આગળ વધી શકશે. આવી તાલીમ એને અત્યારથી જ મળવી જોઈએ.’
વધુ આગળ વાંચો »

Apr 08
2010

સંવાદ જોડે છે – અવંતિકા ગુણવંત

[‘એક દૂજે કે લિએ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે અવંતિકાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે : avantika.gunvant@yahoo.com અથવા આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 79 26612505 - તંત્રી ]

વિવાહ પછી માધવી અને પરંતપ હોટલ કે પિક્ચરમાં જવા કરતાં કોઈ પાર્કમાં કે બીચ પર જવાનું વધારે પસંદ કરતાં હતાં. કુદરતના સાંનિધ્યમાં તેઓ કલાકો સુધી વાતો કરતાં. ખૂબ પ્રામાણિકતા અને નિખાલસતાથી પોતાના વિશે વાતો કરતાં. માધવીની બહેન રીમા માધવીને ચીડવતી, ‘તારો વર તો કંજૂસ છે. તને જુદાં જુદાં સ્થળે ફરવા નથી લઈ જતો કે સિનિયર સિટીઝન્સની જેમ એક જગાએ બેસાડીને તને પટાવે છે. આ ઉંમરના લોકો તો કેટલું રખડે ને મજા કરે. આ તો જિંદગીનો સોનેરી સમય કહેવાય.’

માધવી કહેતી : ‘તારી વાત સાચી છે. આ સમય જિંદગીનો સોનેરી સમય કહેવાય, માટે તો અમે એની ક્ષણેક્ષણ એન્જોય કરીએ છીએ. એને ભરપૂર માણીએ છીએ.’
‘કેવી રીતે ? એકબીજાના મોં જોઈને ?’ રીમાએ પૂછ્યું, ‘માત્ર મોં જોઈને નહીં, દિલની વાતો કરીને રીમા. આનંદ માટે અમારે રખડપટ્ટી કરવાની જરૂર નથી. અંતરમાં ઊઠતા ભાવો વ્યક્ત કરવાનો આનંદ જુદો હોય છે. અમે અલકમલકની વાતો કરીએ છીએ.’
‘તું ય તારા વર જેવી વેદિયણ થઈ ગઈ છે.’ રીમા બોલી.
‘હા, હું મારા વર જેવી થઈ ગઈ છું. તને ખબર છે, અમે અમારા વિશે એટલી બધી વાતો કરી છે, ખુલ્લા મનથી કશુંય છુપાવ્યા વગર કે મને એવું લાગે છે જાણે હું પરંતપને કેટલાંય વરસોથી ઓળખું છું, અને હુંય એને ચિરપરિચિત લાગું છું. એકબીજાના જીવનમાં બનેલા બનાવો જ નહીં પણ એકબીજાના હૃદયના ખૂણેખૂણાથીય અમે પરિચિત છીએ. એકબીજાની ભૂલો, નબળાઈઓ અને મર્યાદાઓ પણ અમે જાણીએ છીએ. આખું જીવન જો એક સાથે જીવવાનું હોય તો એકબીજાને ઓળખવા તો જોઈએને ! એ ઓળખવાનો સમય અત્યારે છે, એ સમય નાટક, સિનેમા કે પિકનિક પાર્ટીમાં જઈને વેડફવામાં અમે નથી માનતા. હા, કોઈક ખરેખર સારું પિક્ચર કે નાટક હોય તો અમે જોઈએ છીએ.

વધુ આગળ વાંચો »

Mar 11
2010

સુખ અંદરથી આવે છે – અવંતિકા ગુણવંત

[‘અભરે ભરી જિંદગી’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રીમતી અવંતિકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26612505 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

અસીમા ને શિખા કૉલેજમાં સાથે ભણતાં હતાં. અભ્યાસ પૂરો થયા પછી છૂટાં પડ્યાં તે છેક આજે મળ્યાં છે. લગભગ બત્રીસ વરસે. આ બત્રીસ વરસમાં તો ઘણું ઘણું બન્યું છે. બેઉ પરણ્યાં. સંતાનો થયાં. એમનાંય લગ્ન થયાં ને અલગ સંસાર રચાયા છે. બેઉ ખૂબ ઉમળકાથી એકબીજાને મળે છે ને ઉત્કટતાથી ખબરઅંતર પૂછે છે. શિખા બોલી :
‘મારે એક દીકરો છે. એ ડૉક્ટર છે ને મદ્રાસના દવાખાનામાં સર્વિસ કરે છે. દીકરી પરણી છે. એનો વર બૅન્કમાં છે. હાલ એ સૂરતમાં છે. તારે શું સંતાનો છે ?’
‘મારે દીકરો નથી, ચાર દીકરીઓ છે. ચારે પરણી છે ને સુખી છે.’ અસીમા બોલી.

અસીમાના મોં પર સુખ ને સંતોષની આભા જોઈને શિખાને થયું નક્કી એના જમાઈઓ ખૂબ પૈસાદાર હશે તેથી જ આટલા આનંદથી વાતો કરે છે. શિખાનો જમાઈ બૅન્કમાં નોકરી કરતો હતો, એણે પોતાનો ફલૅટ લીધો હતો, ધીરે ધીરે બધી સગવડો વસાવી હતી છતાં દીકરી મળે ત્યારે ફરિયાદ જ કરતી હોય, બબડતી હોય, ‘આ તે કંઈ જીવન છે ? પૈસો પૈસો કરીને બચત કરવી પડે છે. એક વસ્તુ વસાવવી હોય તો આખું વરસ કરકસર કરવી પડે છે, કંઈ કેટલાય ઠેકાણે કાપ મૂકો તો એક ચીજ ખરીદાય ! લોકો કેટલા એશારામથી જીવતા હોય છે. મને તો બજારમાં નીકળું ને સારી સારી વસ્તુઓ જોઉં ને જીવ બળી જાય છે. ટી.વી.માં જાહેરખબર જોઉં ને મન એવું ચચરે કે આ બધું હું ક્યારે વસાવીશ ?’
વધુ આગળ વાંચો »

Jan 27
2010

ધનસંપત્તિ – અવંતિકા ગુણવંત

[‘હલચલ’ સામયિકમાંથી સાભાર. આપ શ્રીમતી અવંતિકાબેનનો આ નંબર પર +91 79 26612505 સંપર્ક કરી શકો છો.]

ટેકરા પાસેની ઝૂંપડપટ્ટીને ખસેડીને એ ખાલી જગ્યામાં પાયા ખોદાતા હતા ત્યારથી ત્વિષા એ બાંધકામ જોતી આવી છે. શરૂઆતમાં એને હતું કે એપાર્ટમેન્ટની કોઈ સ્કીમ હશે. પણ બાંધકામ શરૂ થયું ને એને ખ્યાલ આવવા માંડ્યો કે આ કોઈ હાઈરાઈઝ બિલ્ડિંગ નહિ પણ કોઈનો બંગલો બને છે. ‘ઓહોહો, આવી વિશાળ જગ્યામાં એક જ કુટુંબનો નિવાસ ! કેવાં ભાગ્યશાળી હશે આ બંગલામાં રહેનારાં !’ ત્વિષાથી બોલાઈ ગયું. બંગલો ક્રમશ: આકાર લેતો ગયો – વિશાળ ઓરડાઓ, મોટાં મોટાં બારણાં ને બારીઓ, કમાન અને ઝરૂખા, કોતરણીવાળી જાળીઓ અને કલાત્મક સ્તંભો – બધું જ અનુપમ, કલાના ઉત્કૃષ્ટ નમૂના જેવું.

ત્વિષા એ બંગલાને પસાર કરીને દૂર જાય પછીય એના ચિત્તમાં એ બંગલો રમ્યા કરે. એની નજર આગળથી એ બંગલો ખસે જ નહિ. એ વિચારે – આજકાલ તો કુટુંબો મોટાં હોતાં નથી, માંડ ચાર-છ માણસનું કુટુંબ હોય, બાકી હોય નોકરોનો કાફલો. એ કુટુંબના નોકરોનેય કેવા આલીશાન બંગલામાં રહેવાનું મળશે ! એ લોકોએય પુણ્ય કર્યા હશે, અને અરેરે, અમે કેવાં પાપ કર્યાં હશે તો બે ઓરડીના ફલેટમાં રહેવું પડે છે. જિંદગી આખી વૈતરું કરીશું તોય બે ઓરડીમાંથી ત્રણ ઓરડીઓ નહિ થાય.

ત્વિષા પોતે નોકરી કરતી હતી, એનો પતિ અરીલ પણ નોકરી કરતો હતો. સીમિત એમની આવક હતી. આજ સુધી ત્વિષા પોતાની જિંદગીથી ખુશ હતી. એને કોઈ અભાવ-અછત નડ્યાં ન હતાં. કોઈની સંપત્તિએ એને બેચેન નહોતી બનાવી. સ્નેહ, સમજ અને સંસ્કારને એ પોતાની સંપત્તિ માનતી. એ બોલતી, ‘મનથી હું મહારાણી જેવું જ ગૌરવ અનુભવું છું.’ પરંતુ એણે આ બંગલો બંધાતો જોયો છે ત્યારથી એનામાં અસંતોષ જાગ્યો છે. એનું હૈયું ચચર્યા કરે છે કે, ‘અમે ગમે એટલી મહેનત કરીએ તોય વૈભવ નહિ પામી શકીએ. અમારે લમણે તો કરકસર જ લખાઈ છે. બે રૂપિયા અને પાંચ રૂપિયાના સરવાળા-બાદબાકી કરતા રહીશું.’
વધુ આગળ વાંચો »

Dec 21
2009

પ્રેમથી થાય પરિવર્તન – અવંતિકા ગુણવંત

[દામ્પત્યજીવનની વિવિધ સમસ્યાઓનું સુંદર સમાધાન મળી રહે તેવા અનુપમ લેખોનો સંચય ‘કુર્યાત સદા મંગલમ’ પુસ્તકમાં થયો છે. ‘જનકલ્યાણ’ સામાયિકમાં નિયમિતરૂપે પ્રકાશિત થતા આ લેખો સંગ્રહિત થઈને તાજેતરમાં પુસ્તકરૂપે પ્રકાશિત થયા છે. સામાયિકના આજીવન સભ્યોને તે વિનામૂલ્યે મોકલવામાં આવ્યું છે. અવંતિકાબેનનો આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 79 26612505. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 036શિયાળાની બપોર છે. બધાં શાંતિથી પોતપોતાના રૂમમાં આરામ કરે છે. ત્યારે નવપરિણીતા નિતલે જોયું કે એનાં સાસુ અરૂપાબહેન રસોડામાં કંઈક ઉદ્યમ કરી રહ્યાં છે.
‘અત્યારે શું કરો છો ?’ નિતલે સંવેદનાહીન અવાજે કહ્યું.
‘નાસ્તો બનાવું છું.’ ઉત્સાહથી અરૂપાબહેને કહ્યું.
‘પણ આ તો તમે રોટલી લઈને બેઠાં છો.’
‘હા, બૂરુ ખાંડ, સહેજ ચોખાનો લોટ અને પાણીને મિક્સ કરીને પેસ્ટ બનાવી છે, તેને આ વધેલી રોટલી પર લગાડી વીંટો વાળીને તળી લઈશ, બિસ્કિટ જેવું લાગશે, હમણાં ચા બનાવીશું ત્યારે ખાઈશું.’

નિતલ કંઈ બોલી નહિ. એને સાસુની આવી પ્રવૃત્તિમાં જરાય રસ ન પડ્યો. અરૂપાબહેન સવારના છ વાગ્યે ઊઠે ત્યારથી કંઈ ને કંઈ કર્યા જ કરે. ઘરનું ફર્નિચર જુદી રીતે ગોઠવે. આંગણામાં ગોઠવેલાં કુંડાં અને ક્યારામાં ગોડ કરે ને કંઈક વાવે ને કાપે અને રસોડું તો જાણે એમના માટે સ્વર્ગ. એનાં એ જ લોટ, દાળ, શાક અને મસાલા હોય પણ એમાંથી રોજ નવી નવી વાનગી બનાવે. ભાણામાં નવા રૂપરંગ સ્વાદવાળી વાનગીઓ પીરસાય. અમીય એની મમ્મીના આ ગુણનો પૂજારી હતો. પરંતુ નિતલને સાસુની આ રીત ના ગમે. એ રસ ના લે, મદદ ના કરે પણ બેધડક બોલે, ‘મમ્મીને તો જીવતાં જ નથી આવડતું. આખો દિવસ કામ કામ ને કામ. મને એમને જોઈને થાક ચડી જાય છે.’ અમીય ક્યારેય અરૂપાબહેનને કહેતો : ‘મમ્મી, નિતલને તારી પાસે બેસાડીને બધું શીખવને.’
વધુ આગળ વાંચો »

Nov 18
2009

સોનામાં સુગંધ – અવંતિકા ગુણવંત

[‘સહજીવનનું પ્રથમ પગથિયું’ પુસ્તકમાંથી સાભાર. શ્રીમતી અવંતિકાબેનનો (અમદાવાદ) આપ +91 79 26612505 પર સંપર્ક કરી શકો છો.]

‘મમ્મી, લે આ તારા માટે.’ કહીને અર્પણે સોનાની ચાર બંગડીઓ સંતોષબહેનના હાથમાં પહેરાવવા માંડી. સંતોષબહેન નવીનકોર ઝગારા મારતી બંગડીઓ મૂંઝવણથી જોઈ રહ્યાં. એમણે પૂછ્યું, ‘આ નવી બંગડીઓ મને કેમ પહેરાવે છે ? હવે તો તારે આકાંક્ષાને દાગીના ઘડાવી આપવાના હોય, મને નહીં. તારે એની હોંશ પૂરી કરવાની હોય.’
‘મમ્મી, આ હું એની જ હોંશ પૂરી કરું છું. જ્યારે એણે જાણ્યું કે અમારાં લગ્ન વખતે એની બંગડીઓ ઘડાવવા તેં તારી બંગડીઓ ઉતારી આપી હતી ત્યારે જ એણે કહ્યું હતું કે મમ્મીને આપણે વહેલામાં વહેલી તકે નવી બંગડીઓ કરાવી આપવી જોઈએ. એથી તો લગ્ન પછી અમે માથેરાન ફરવા જવાનાં હતાં એ કેન્સલ કર્યું. એ પૈસા બચ્યા અને લગ્ન પહેલાં આકાંક્ષા જોબ કરતી હતી એની એ બચત ઉપરાંત આકાંક્ષાએ લોન લીધી અને આ ચાર બંગડીઓ ઘડાવી.

સંતોષબહેન તો આભાં જ બની ગયાં. દીકરાને પોતાની માને બંગડીઓ ઘડાવી આપવાનું મન થાય પરંતુ વહુ એમાં પોતાનો સાથ સહકાર આપે ! વહુએ તો હજી હમણાં જ આ ઘરમાં પગ મૂક્યો છે; એને મારો શું પરિચય ? તોય એણે એની પોતાની બચતના પૈસા કાઢ્યા ને ઉપરાંત લોન લીધી અને હનીમૂન પર ના ગયાં. આખી જિંદગીમાં હવે ફરીવાર હનીમૂન પર જવાની તક આવવાની નથી. દામ્પત્યજીવનના આરંભના એ દિવસો કેવા વિસ્મય કુતૂહલ અને રોમાંચથી ભરપૂર હોય ! બેમાંથી એક થવાની એ અનન્ય અદ્દભુત અનુભૂતિ કુદરતના સાંનિધ્યમાં માણવાની એ તક મને બંગડીઓ ઘડાવી આપવા ખાતર જતી કરી.
વધુ આગળ વાંચો »

Page 1 of 212