આમ આદમીની વાત – સંકલિત

[ 'અરધી સદીની વાચનયાત્રા'માંથી સાભાર.]

[1] મુંબઈનો માળો – સુરેશ દલાલ

મુંબઈ જેવું વિશાળ શહેર, એમાં ભરચક લત્તાઓ, એમાં એક નાનકડી સાંકડી ગલી, એમાં એક ચાર મજલાનું મકાન, મકાનની લગોલગ લગનની વાડી, વાડીમાં પીપળાનું ઝાડ, પીપળાના ઝાડમાં ભેરવાયેલા ફાટેલા પતંગો અને ચાર માળ પર રહેતા માણસોનો બબ્બે ઓરડીઓમાં સચવાયેલો સંસાર….

મકાનને દાદરે બેસી વાડીમાં ઘણી વાર જોયા કર્યું છે. લગ્નની મોસમમાં દરરોજ નવો માંડવો… સવારના પહોરથી વાતાવરણમાં સાડીશેલાંના રંગ….ધોતિયું, કફની, સફેદ ટોપી અને સફેદ ચંપલ… વાજાંવાળાઓ… લાઉડસ્પીકર…. વરઘોડો આવે ત્યારે મુકાતી લગભગ એક જ રેકર્ડ ‘ઘૂંઘટકા પટ ખોલ રે, તોહે પિયા મિલેંગે…’ પછી રાતનો સમય, બત્તીઓ…. અને પછી કન્યાવિદાય… આંસુઓ…. શિખામણો…… શણગારેલી મોટર અને….. આમ ને આમ સંસારની શરૂઆત…. ફલેટમાં કે ઓરડીમાં…. વાડીમાં પીપળો એમ ને એમ ઊભો છે. કેટલાંયે લગ્ન… જમણ…રિસેપ્શન… નાનામોટા ઝઘડા… માણસનાં નાનાં મન… એની ઈર્ષાઓ… એની પ્રદર્શનવૃત્તિ, રોશની અને એ પછીનો અંધકાર…. ધામધૂમ અને એ પછીનો સૂનકાર….

ચાર માળના મકાનના પગથિયે પગથિયે શૈશવે કૂદકા-ભૂસકા માર્યા છે, કિશોરાવસ્થાએ તંબૂ તાણ્યા છે. પ્રત્યેક ઓરડીનો જુદો જુદો સંસાર જોવા મળ્યો છે – તો આખા માળાનું સામૂહિક જીવન પણ જાણવા મળ્યું છે. દાદરની વચ્ચેની જગામાં, છૂટક કામ કરતા ઘાટીઓ પણ પોતાના એશઆરામની પળોને પાનતમાકુથી લાલમલાલ કરી મૂકતા કે બીડીનાં ઠૂંઠાંથી તેજીલી કરતા જોયા છે. પ્રત્યેક ઓરડીનું વ્યક્તિત્વ જુદું. બહારથી બધી જ સમાન લાગે એ તો માત્ર આભાસ. કોઈકને ઘેર-આંગણે તોરણ લટકે. તોરણના પોપટ બોલકા લાગે અને ઓરડીના માણસો મૂંગા. કોઈકનાં બારણાં બાંડાં જ હોય. ઊંબરા તો પ્રત્યેક ઓરડીના પૂજાય. સામેના પીપળાને કંકુના છાંટા નિયમિત મળે.
વધુ આગળ વાંચો »

કેટલીક બાળવાર્તાઓ – સંકલિત

[1] જીવનનું ધ્યેય – સાંકળચંદ પટેલ

(‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.)

Picture-102કોઈ એક ગામમાં અજરામ નામનો એક ભાટ રહેતો હતો. તે આળસુનો પીર હતો. ખાવુંપીવું અને ઊંઘવું એમાં એ આખો દિવસ પસાર કરતો હતો. એ સિવાય એને બીજું કાંઈ કામ નહોતું. એ મોટો થયો ત્યાં સુધી એના પિતાએ એનું પોષણ કર્યું. એના પિતાએ કામધંધો કરવા એને ઘણું સમજાવ્યો પરંતુ એ માન્યો નહિ. એ તો આળસુ જ રહ્યો. એના પિતાના મરણ પછી એની કફોડી સ્થિતિ થઈ. ઘરમાં જે ધન હતું તે બધું ખરચાઈ ગયું.

એક દિવસે એની પત્નીએ એને કહ્યું : ‘આમ આળસુ થઈને ક્યાં સુધી બેસી રહેશો ? ઘરનું બધું ધન ખાવાપીવામાં વપરાઈ ગયું છે. હવે શું ખાશો. ધ્યેય વગરનું જીવન નકામું છે. જીવનમાં કોઈ ને કોઈ લક્ષ્ય હોવું જોઈએ. લક્ષ્ય વગરનું જીવન સુકાન વગરના વહાણ જેવું છે. ગમે તે બાજુ તણાઈ જાય ! બધા લોકો પોતાના જીવન સાથે કંઈક લક્ષ્ય રાખીને જીવે છે. જ્યારે તમારે તો લક્ષ્ય જેવું કંઈ છે જ નહિ. હજુ કંઈ બગડી ગયું નથી. જીવનમાં કંઈક લક્ષ્ય રાખશો તો સુખી થશો.’

અજરામ આળસુ હતો તેથી જીવનમાં મોટું લક્ષ્ય તો તેનાથી પળાય એમ હતું જ નહિ. છતાં કંઈક લક્ષ્ય તો હોવું જ જોઈએ એવું તેને લાગવા માંડ્યું હતું અને પત્ની પણ આખો દિવસ દબાણ કર્યા કરતી હતી. જીવનમાં જેનાથી ઓછી મુસીબત પડે એવું લક્ષ્ય રાખવાનો અજરામે નિર્ણય કર્યો. પત્નીને બોલાવીને તેણે કહ્યું : ‘તારી ઈચ્છા હોવાથી આજથી મેં મારા જીવનનું ધ્યેય નક્કી કરી દીધું છે. આજથી હું આપણા પાડોશી ધનજી કુંભારના ગધેડાના કાન પકડીને પછી જ ખાઈશ. જ્યાં સુધી કાન નહિ પકડું ત્યાં સુધી ખાઈશ નહિ.’ અજરામની પત્નીને અજરામની આવી પ્રતિજ્ઞા સાંભળીને હસવું આવ્યું, પરંતુ તેણે મનમાં વિચારીને કહ્યું : ‘ભલે, જીવનમાં કશું ધ્યેય ન હોય એના કરતાં કંઈક પણ ધ્યેય હોય એ સારું છે.’
વધુ આગળ વાંચો »

આકાશગંગા – સંકલિત

[1] સમજદાર – અરુણભાઈ ભટ્ટ

એકવાર હું ટ્રેનમાં જઈ રહ્યો હતો. મારી સીટની સામે બારી પાસે એક માતા તેના નાનકડા બાળકને લઈને બેઠી હતી. બાળક કદાચ બે-એક વર્ષનું હશે. તે બેઠાં બેઠાં બિસ્કીટનું પેકેટ હાથમાં પકડીને બિસ્કીટ ખાતું હતું. ક્યારેક આમ-તેમ નજર ફેરવીને પાછું પોતાની ધૂનમાં મગ્ન થઈ જતું. ખૂબ વ્હાલું લાગે એવા તેના હાવભાવ હતા. બિસ્કીટનો ટૂકડો મોઢામાં મૂકતાં અચાનક એણે મારી સામે જોયું. મેં તેની સાથે આંખ મેળવીને સ્મિત કર્યું. થોડીક વાર અમારા બંનેનો મુક સંવાદ ચાલ્યો. એ બસ મારી સામે જોયા કરે અને હું એની સામે જોઈને હસું. થોડી વારમાં તો અમારા બંનેની મૈત્રી થઈ ગઈ ! એણે પણ મારી સામે જોઈને સ્મિત કર્યું. અમારી દોસ્તી મજબૂત થઈ એટલે મેં જરાક મારી તરફ આવવા એને વ્હાલથી ઈશારો કર્યો. એ તો ફટાફટ સીટ પરથી ઊતરીને એક જ ફલાંગમાં મારી પાસે ખોળામાં આવી ગયું. એની માતાને આ જોઈને કંઈક સંકોચ થયો. એણે મારી માફી માગતાં કહ્યું : ‘સોરી હોં, એ સમજતો નથીને એટલે કોઈની પણ પાસે જતો રહે છે….’

હું જરાક હસીને મનમાં બોલ્યો કે, ‘સમજતો નથી એટલે જતો રહે છે કે સમજ છે એટલે જાય છે ? હકીકતે સમજ કોને નથી ?’ માણસ સમજતો થાય એમ તો સંકોચાતો જાય છે. સમજદાર ને તો આખું વિશ્વ જ પોતાનું કુટુંબ !

[2] ખાવામાંથી ખાવાની વૃત્તિ – અનિલ શાહ

લગ્નની મોસમ આવે એટલે ઘણીવાર તો અમારે એવું થાય કે સળંગ ત્રણ-ચાર દિવસ સુધી રસોડાને તાળું મારવું પડે. એક પછી એક જમણવાર ચાલ્યા કરે. કોઈને ના પડાય નહીં એટલે દરેક લગ્નમાં હાજરી આપવી ફરજિયાત ! કોઈકવાર તો એક સરખી વાનગીઓ ખાવાનો વારો આવે. હમણાં થોડાક દિવસ પહેલાં રવિવારનો દિવસ હતો એટલે મેં મારી પત્નીને કહ્યું કે જરા બાસુંદી બનાવ. રજાનો દિવસ હતો એટલે સારી રીતે બાસુંદીની વાટકીઓ ઝાપટી ! ત્રણ-ચાર વાટકી તો આરામથી સમાઈ જાય. હવે થયું એવું કે બીજે દિવસે સોમવારે જ્યાં લગ્ન હતાં ત્યાં પણ રસોઈમાં બાસુંદી નીકળી ! પણ મારા આશ્ચર્ય વચ્ચે હું ત્યાં એક વાટકી બાસુંદી માંડ ખાઈ શક્યો. મને ખૂબ નવાઈ લાગી. મનમાં વિચાર આવ્યો કે નક્કી આની પાછળ કોઈક રહસ્ય છે. મેં મારા કેટરીંગનું કામકાજ કરતાં મિત્રને આ પ્રશ્ન પૂછ્યો કે આવું કેમ ? ઘરની બાસુંદી આરામથી ત્રણ વાટકી ખાઈ શકાય અને લગ્નપ્રસંગોમાં એક વાટકી બસ થઈ જાય !
વધુ આગળ વાંચો »

હાસ્યમેવ જયતે – સંકલિત

[1] વહતા ભાભા – ગિજુભાઈ બધેકા

નાનું એવું ગામડું હતું. એમાં બધીય વસ્તી અજડ; કંઈ સમજેય નહિ ને સુણેય નહિ. એકેય ચીજને ઓળખેય નહિ ને કોઈને કોઈનું નામેય ન આવડે. એક વખત ચોમાસામાં એક મહોલ્લામાં દેડકું આવ્યું. જન્મારામાં દેડકું કોઈએ દીઠેલું નહિ, એટલે આખા ગામના માણસો એકઠા મળ્યા. સૌ વાંકા વળીને નીરખી નીરખીને જોવા લાગ્યા. એ શું હશે તે કોઈ કળી ન શક્યું. ત્યારે બહુ વારે એક બોલ્યો : ‘આ તે શું હશે માળું ?’
ત્યારે બીજો કહે : ‘અરે ભાઈ ! એ તો બગલું હશે, બગલું ! તમને શી ખબર પડે ?’ ત્યાં વળી ત્રીજો કહે, ‘અરે ભાઈ ! વગર વિચાર્યે કાં બોલો ? એ તો ભાઈ શિયાળ હશે શિયાળ ! ચોમાસું છે એટલે વગડામાંથી આવી ચડ્યું હોય !’
ત્યાં તો એકે કહ્યું : ‘અરે ભાઈ ! બોલાવો ને આપણા વહતા ભાભાને ! જેવું હશે એવું કહેશે. એ ઘરડું માણસ છે. એમણે ઘણાં ચોમાસાં જોયાં છે. એમણે બધું જોયુંજાણ્યું હશે. આપણે તો શું સમજીએ ? એમને જ પૂછીએ.’

એક જણ વહતા ભાભાને બોલાવવા દોડ્યો. વહતા ભાભા તો રાડો નાખતા આવ્યા : ‘અલ્યાઓ, હવે તો કંઈ શીખો ! આખો જન્મારો હું કંઈ બેસી રહેવાનો છું. તે તમને બધું કહ્યા કરીશ ? જીવીજીવીને હું હવે કેટલું જીવવાનો ? એદીપણું મૂકી દો. કંઈ શીખો.’
પછી દેડકાને જોઈ વહતા ભાભા બોલ્યા : ‘ઓહો ! આમાં તે શું ? નાખો ને ચપટી દાણા; ચણે તો ચકલું, નહિ તો મોર તો ખરો !’
વધુ આગળ વાંચો »

પુષ્પવાટિકા – સંકલિત

[1] તમે છેલ્લે ક્યારે ખડખડાટ હસ્યા છો ? – નિકેશ દેસાઈ

[રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે નિકેશભાઈનો (ટોરન્ટો) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે desainikesh@yahoo.ca અથવા આ નંબર પર +001 416 916 6960 સંપર્ક કરી શકો છો.]

હસવું એ વર્તમાનયુગની પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે. એક નાના વેપારીથી માંડીને પ્લેનમાંની એરહોસ્ટેસ સુધી હાસ્ય વેરાયેલું જોવા મળે છે. કેમેરાની ફ્લેશ પણ હાસ્ય વગર ઝાંખી પડી જાય છે. સામેની વ્યક્તિને આકર્ષવા માટે કે ચહેરાને ખુબસૂરત બનાવવા માટે હાસ્ય જરૂરી બની ગયું છે. હાસ્ય જાણે કે આજના યુગનું બિઝનેસ પ્રોફાઈલ છે ! પરંતુ માત્ર હસવું અને ખડખડાટ હસવું એ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. જોબ માટે ઈન્ટરવ્યૂ આપવા જઈએ ત્યારે માત્ર હસીએ છીએ. એરહોસ્ટેસનું હાસ્ય, હોટેલના મેનેજરનું કે વેઈટરનું હાસ્ય, ટીવી પરની કોઈ સેલીબ્રીટીનું હાસ્ય એ માત્ર સ્ટેટ્સ હાસ્ય છે, એમાં ક્યાંય ખડખડાટ હાસ્ય જોવા નહિ મળે.

ખડખડાટ હાસ્ય આપણી વચ્ચેથી લુપ્ત થઈ રહ્યું છે. એ મેળવવા અન્ય રસ્તાઓ શોધવા પડ્યા છે. જેવા કે ખડખડાટ હાસ્ય માટે કોમેડી ફિલ્મ, કોમેડી નાટક, કોમેડી સીરિયલ જોવી પડે છે અથવા તો કોઈક કોમેડી કલાકારને સાંભળવા પડે છે. તમે છેલ્લે ખડખડાટ ક્યારે હસ્યા છો ? – એવો કોઈ સવાલ પૂછે તો યાદ કરવું પડે છે. ફિલ્મો, ટીવી કે સ્ટેજ-શૉમાં ખડખડાટ હાસ્ય મળે છે પરંતુ એ તરત ભુલાઈ જાય છે. ખરેખર જોવા જઈએ તો ખડખડાટ હાસ્ય આપણા રોજિંદા જીવન વચ્ચે છુપાયેલું છે. ઊંચી એડીના સેન્ડલ પહેરીને જતા કોઈ બેન અચાનક લપસી પડે તો ખડખડાટ હસી પડાય છે ! કોઈ નેતાની કારને પંચર પડે, સડસડાટ જતી બાઈક વચ્ચે અચાનક કૂતરું આવી જાય, વરસાદ પડે ત્યારે જ છત્રી ન ખૂલે, સરસ પ્રોગ્રામ ચાલતો હોય ને અચાનક સ્ટેજ તૂટી પડે…. આવી અનેક ઘટનાઓમાં ખડખડાટ હાસ્ય છુપાયેલું છે. એ જોવા માટે નજર ટૂંકી પડે છે. નજરને કેળવવાની જરૂર હોય છે.
વધુ આગળ વાંચો »

અત્તરનાં પૂમડાં – સંકલિત

[1] ભવિષ્યમાં શું થશે તેની ચિંતા કરવાનો કંઈ અર્થ નથી. સારું ભવિષ્ય છે તેમ કહેશો તો લોકો એની આશામાં કોઈ કામ નહીં કરે. ભવિષ્યમાં સારું નથી તેમ કહેશો તો કંઈ પણ કરવાનો અર્થ નથી એમ કહીને બેઠા રહેશે. તેથી આની ચર્ચા કરવાને બદલે વર્તમાનમાં આપણી સહાયથી સારામાં સારી રીતે કરીએ પછી પરિણામ જે આવવાનું હોય તે આવે. આપણી નજર વર્તમાન પર જ સ્થિર રાખીએ. – અજ્ઞાત

[2]
હેતને ન હોય કોઈ હેતુ
સંબંધના બાંધવાના હોય સદા સેતુ
મનની મહોલાત બધી છલકાવી દઈએ
થાય પછી લાગણીની લહાણ
મબલખ આ માનવીના મેળામાં
કોઈ રહે, કોઈથી ન છેટું – સુન્દરમ

[3] છોકરામાં માબાપની આકૃતિનો વારસો જેમ ઊતરે છે તેમ તેમના ગુણદોષનો વારસો પણ ઊતરે જ છે. તેમાં આસપાસના વાતાવરણને કારણે અનેક પ્રકારની વધઘટ થાય છે ખરી, પણ મૂળ મૂડી તો બાપદાદા ઈત્યાદિ તરફથી મળેલી હોય છે તે જ ખરી. એવા દોષોના વારસામાંથી કેટલાંક બાળકો પોતાને બચાવી લે છે એમ મેં જોયું છે. એ આત્માનો મૂળ સ્વભાવ છે, તેની બલિહારી છે. – ગાંધીજી
વધુ આગળ વાંચો »

વાનગી વૈવિધ્ય – સંકલિત

paratha

[1] મેથીના પરોઠા

સામગ્રી :
3 ઝૂડી મેથી,
400 ગ્રામ ઘઉં લોટ,
10 કળી લસણ,
લીલાં મરચાં,
કોથમીર, ધાણાજીરું,
મીઠું, મરચું,
તેલ, દહીં.

રીત:
સૌપ્રથમ મેથીને કાળજીપૂર્વક ધોઈ, સારી રીતે વાટી, લીલાં મરચાં અને લસણ છૂંદી નાખો. વાટેલી મેથી, કોથમીર, મરચાં અને લસણ બધું ભેગું કરીને કથરોટમાં મૂકીને બધો મસાલો કરો. હવે તેની અંદર લોટ ઉમેરતા જાવ અને દહીં પણ ઉમેરી દો. આ રીતે તૈયાર થયેલી કણક એકદમ લીલા કલરની થશે. ત્યારબાદ તેના લુઆ કરીને, વણીને પરોઠા શેકી લો. આ પરોઠામાંથી 1500 કૅલેરી મળે છે. તેમાં મેથીનું પ્રમાણ વધુ હોવાથી કબજિયાત દૂર કરનાર અને આંખો માટે પણ ઉપયોગી છે.

વધુ આગળ વાંચો »

શ્રેષ્ઠ ન્હાનાલાલ – સંપાદન

[કવિવર શ્રી ન્હાનાલાલના સમગ્ર સાહિત્યમાંથી ચયન કરીને તેમના સુંદર વક્તવ્યો, કાવ્યો, પત્રસાહિત્ય તેમજ અનેક પ્રકારના લેખોનું સંપાદન શ્રી નિરંજન ભગત, શ્રી ચિમનલાલ ત્રિવેદી અને શ્રી ભોળાભાઈ પટેલે તાજેતરમાં ‘શ્રેષ્ઠ ન્હાનાલાલ’ રૂપે કર્યું છે. 600પાનના આ દળદાર પુસ્તકમાંથી પ્રકરણ નહીં, પરંતુ કેટલાક ચૂંટેલા વિચારમોતીઓ અહીં એક લેખ રૂપે પ્રકાશિત કરાયા છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 045[1] પ્રજાશરીરનો ઘસારો કે નવપલ્લવતા ?

શરીર જેમ ઊભું રાખનાર હાડપિંજર છે અને તે હાડપિંજરને ઘોરી નાડીઓ ને ઝીણી શિરાઓની વેલમાળા છવાયેલી છે તેમ જ તે સર્વની સાથે રહી સર્વમાં સમાયેલા જ્ઞાનતંતુના વેલવિસ્તારનાં ડાળીપાંદડાં પણ છે. એ જ્ઞાનતંતુઓ આરોગ્ય ને ઊઘડતાં હોય તો રોગની ટક્કર ઝીલવાનું તેમ જ સમસ્ત દેહવૃક્ષના ખિલાવનું ચેતન ઉલ્લાસવંતું રહે છે. આ નિયમો વ્યક્તિઓના તેમ જ પ્રજાઓના શરીરબંધારણનાયે છે. તો સંસારશાસ્ત્રનો એક મહત્વનો પ્રશ્ન એ ઊઠે છે કે પ્રજાશરીરના જ્ઞાનતંતુઓ આજ આરોગ્ય છે કે અનારોગ્ય ?

આ પ્રશ્ન અધ્યાત્મજ્ઞાનનો નથી તેમ જ સ્થૂલ દેહનો નથી; પણ જડચેતનના સીમાડા જ્યાં મળે છે ત્યાંનો છે. નથી આત્મજ્ઞાનની ફિલસૂફીનો આ સવાલ કે નથી દેહના રોગોનો, પણ સર્વ જ્ઞાનને શક્ય કરનાર તે સર્વ દેહને વ્યાધિ વિરુદ્ધ થવાનું બળ આપી ટકાવી રાખનાર જ્ઞાનશિરાઓનો છે. મર્મરેખાઓની આ વિચારણા પ્રજાશરીરના મર્મજ્ઞોના ચિંતનને કાજે છે.

વિજ્ઞાનવાદીઓ કહે છે કે પ્રત્યેક શરીરમાં નિરંતર બે ક્રિયાઓ ચાલે છે : ભાંગવાની ને ફરીથી બંધાવાની. વિજ્ઞાનની શાસ્ત્રીય ભાષા અળગી રાખતાં પહેલી ક્રિયા એવી રીતે સમજાવી શકાય કે ચિંતા, સ્પર્ધા, વિચારભાર, ત્રિવિધ તાપ, જીવન નિભાવવા ને દરરોજનું કુટુંબપોષણ કરવા કાજેના ચાલુ પ્રયત્નો : એ અને એવાં કારણોને લીધે જ્ઞાનતંતુઓ ઘસાય છે ને નબળા પડે છે. ફરીથી બંધાવાની વાત એમ સમજાવી શકાય કે રમતો, વિનોદો, મેળા, ઉજાણીઓ, ઘડીક વિચારપાઘડીઓ વેગળી મૂકી આનંદનાં મારેલાં ગપ્પાં, એકાંતમાં કે મિત્રમંડળમાં મન મોકળું મૂકી ગાયેલું ગીત. ખડખડાટ હસવું એ અને એવાં કારણોથી હૈયાના ભાર હળવા થાય, ઉરમાં ઉમળકા આવે, નાડીઓમાં લોહી ધડાકાબંધ દોડે, સ્ફૂર્તિ વધે ને સુકાતા વૃક્ષની ડાળીઓમાં રસ વહી રહેતાં જેમ તે નવપલ્લવે, કોળે, તેમ ઉપર કહેલો ઘસારો મટી જઈ સુકાતાં શરીર તેમ જ મંદ પડતાં ચેતન નવપલ્લવે પલ્લવી રહે છે. ઘસારાની ને નવપલ્લવની આ બન્ને ક્રિયાઓ પ્રત્યેક શરીરમાં નિરંતર ચાલુ છે. સ્ત્રી, બાળક અને પુરુષ : પ્રત્યેક વ્યક્તિને મારો એ પ્રશ્ન છે કે તમારા જીવનમાં એ ઘસારો વધારે છે કે એ નવપલ્લવતા ?
વધુ આગળ વાંચો »

Page 4 of 8« First...23456...Last »