થોડાક પ્રેમપત્રો – ગુણવંત શાહ
[યુવાવર્ગ માટે ઉપયોગી તેમજ લગ્નપ્રસંગે ભેટ આપવા લાયક પુસ્તક ‘મનનાં મેઘધનુષ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે આદરણીય શ્રી ગુણવંતભાઈ શાહનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 265 2340673 ]
[1] મહાત્મા ગાંધીનો પત્ર કસ્તૂરબાને (તા. 09-11-1908)
તારી તબિયત વિષે શ્રી વેહરે આજે તાર કર્યો છે. મારું મન ટુકડે ટુકડા થઈ રહ્યું છે, પણ તારી ચાકરી માટે પહોંચી શકું એ શક્ય નથી. સત્યાગ્રહની લડાઈમાં મેં બધું જ અર્પિત કરી દીધું છે. હું ત્યાં આવી જ નહિ શકું. દંડ ભરી દઉં તો જ આવી શકું, પણ દંડ તો કદી નહિ ભરી શકું ! તું હિંમત રાખજે. નિયમિત ખાઈશ તો સારી થઈ જઈશ. છતાંય મારા નસીબમાંથી જઈશ જ, એવું થશે તો હું તને એટલું જ લખું છું કે તું વિયોગમાં, મારા જીવતે જીવતા મરી જઈશ તો ખરાબ નહિ કહેવાય. મારો સ્નેહ તારા પર એટલો બધો છે કે મરવા છતાં તું મારા મનમાં જીવિત જ રહીશ. તું મરી જઈશ તો પાછળથી હું બીજી પત્ની કરવાનો નથી, એટલું નિશ્ચયપૂર્વક કહું છું. આવું મેં તને એક-બે વાર કહ્યું પણ છે. તું ઈશ્વર પર આસ્થા રાખીને પ્રાણ છોડજે…
તું મરી જઈશ, તો એ પણ સત્યાગ્રહને માટે અનુકૂળ થશે. મારું યુદ્ધ માત્ર રાજકીય નથી, એ ધર્મયુદ્ધ છે, અર્થાત અતિ સ્વચ્છ છે. એમાં મર્યા તો પણ શું અને જીવિત રહ્યા તો પણ શું ? તું પણ આવું જ સમજીને તારા મનમાં જરાય ખરાબ નહિ લગાડે એવી મને આશા છે. તારી પાસે આ મારી માગણી છે.
મો. ક. ગાંધી
(દક્ષિણ આફ્રિકા)
. વધુ આગળ વાંચો »
આખા ને આખા માણસની કેળવણી – ગુણવંત શાહ
[‘જનકલ્યાણ’માંથી સાભાર. આદરણીય શ્રી ગુણવંતભાઈનો (વડોદરા) આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 265 2340673 ]
ગાંધીજનોની કોઈ નાત કે જમાત નથી હોતી, કારણ કે સત્યની કોઈ ખાસ જાતિ કે સંસ્થા નથી હોતી. રાવણની લંકામાં પણ વિભીષણ હોઈ શકે છે અને રામની અયોધ્યામાં પણ કૈકેયી હોઈ શકે છે. ગાંધી નામની ઘટના કોઈ સ્થાનવિશેષ, જૂથવિશેષ, વાદવિશેષ કે વ્યક્તિવિશેષની ઓશિયાળી નથી કારણ કે એ સત્ય સાથે જોડાયેલી છે. જ્યાં પણ કોઈ સામાન્ય જણાતો માણસ સત્યના પાલન માટે જાત સાથે મથામણ કરતો હોય ત્યાં મહાત્મા ગાંધીની સૂક્ષ્મ હાજરી પણ વરતાય છે.
સન 1915માં ગાંધીજી રવીન્દ્રનાથ ટાગોરને મળવા શાંતિનિકેતન ગયેલા. બે મહામાનવોનું એ પ્રથમ મિલન હતું. કાકાસાહેબ કાલેલકરે એનું વર્ણન ‘બાપુની ઝાંખી’ પુસ્તિકામાં કર્યું છે : ‘રવિબાબુ એક મોટા કોચ ઉપર બેઠા હતા તે ઊભા થઈ ગયા. રવિબાબુની ઊંચી, ભવ્ય મૂર્તિ, સફેદ વાળ, લાંબી દાઢી અને ભવ્યતામાં વધારો કરનાર ઝભ્ભો, બધું પીઢ અને સુંદર હતું. તેમની સામે ટૂંકું ધોતિયું, પહેરણ ને કાશ્મીરી ટોપી પહેરીને ગાંધીજી ઊભા રહ્યા ત્યારે જાણે સિંહની સામે ઉંદર ઊભો હોય તેવું લાગ્યું.’ આવી પ્રભાવહીન પર્સનાલિટી ધરાવતા ગાંધીજીના પ્રચંડ પ્રભાવનું રહસ્ય શું ? ગાંધીજીના પ્રભાવનું રહસ્ય એમની સત્યસાધનામાં પડેલું છે. સત્ય પણ એક પ્રકારની ઊર્જા છે. જ્યારે જ્યારે આપણે જૂઠું બોલીએ છીએ ત્યારે આપણી પ્રાણઊર્જા ક્ષીણ થાય છે. જૂઠો માણસ પ્રભાવહીન જણાય છે. આજના સમયમાં સીધીસાદી નિખાલસતા પણ અદશ્ય થતી જાય છે. ગાંધીજી નિખાલસ હતા કારણ કે તેમને કશુંય છુપાવવાનું ન હતું. એમનું જીવન ખુલ્લી કિતાબ જેવું હતું. આપણું એવું નથી. કરવું શું ?
આપણે ભલે આપણી બધી નબળાઈઓ જાહેર ન કરીએ, પરંતુ સાધુ હોવાનો ડોળ ન કરીએ તોય ઘણું ! આપણા કેટલાય ‘ન પકડાયેલા ગુના’ ભલે છુપાવીએ, પરંતુ તેવા ગુના કોઈ બીજો માણસ કરે ત્યારે તેની નિંદા ન કરીએ તોય ઘણું ! આજની પેઢી ખાસી નિખાલસ છે. તે આપણા સઘળા દોષો માફ કરવા તૈયાર છે, પરંતુ આપણો દંભ સાંખી લેવા તૈયાર નથી. જે સદગુણ આપણામાં નથી તે સદગુણનો દાવો શા માટે કરવો ? જે ક્ષણે આપણે સામા માણસને ન છેતરવાનો સંકલ્પ કરીએ છીએ તે જ ક્ષણથી આપણી પ્રાણઊર્જા વધવા લાગે છે. આજે કેટલાય સેવકોનો પ્રભાવ કેમ નથી પડતો ? શું એમાં સમાજનો વાંક છે ? લોહચુંબક જ્યારે પોતાનું ચુંબકત્વ ગુમાવી બેસે ત્યારે પાસે પડેલી ટાંકણી પણ એના તરફ ખેંચાતી નથી. એમાં ટાંકણીનો શો વાંક ? ચુંબકત્વ ખતમ થાય ત્યારે કહેવાતું લોહચુંબક કેવળ લોઢાનો ટુકડો બની રહે છે.
વધુ આગળ વાંચો »
e -મેઈલ – ગુણવંત શાહ
[પુસ્તકોના અનેક પ્રકાર પૈકી એક પ્રકાર છે ‘કૉફી-ટેબલ-બુક’ કે જેમાં જે તે લેખકની વિશિષ્ટ તસ્વીરો અને તેમના લેખનના વિશિષ્ટ વિષય વૈવિધ્યનો સમાવેશ કરાતો હોય છે. ગુજરાતી ભાષામાં આ પ્રકારનું સૌ પ્રથમ પુસ્તક બન્યું છે ‘e –મેઈલ’ કે જેનું તસ્વીર અને સંપાદન સુપ્રસિદ્ધ ફોટોગ્રાફર શ્રી સંજયભાઈ વૈદ્યે કર્યું છે. આપણી ભાષાના સમર્થ વિચારક અને આદરણીય સાહિત્યકાર એવા શ્રી ગુણવંતભાઈ શાહના મૌલિક વિચારો (સંજયભાઈની ભાષામાં કહીએ તો ‘પવિત્ર પજવણી’ કરતા રહે તેવા વિચારો !)ના આ પુસ્તકનું આજે આપણે થોડુંક આચમન કરીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ આદરણીય શ્રી ગુણવંતભાઈ શાહનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 265 2340673]
[1]
એક મજાની ઘટના બની ગઈ.
મુંબઈની ડબલડેકર
કોઈ નાના બસસ્ટેન્ડ પર
થોડીક પળો માટે થંભી ગઈ. ઉપરની
બારીમાંથી
પાસેના વૃક્ષની
એક નાનકડી ડાળખી
સંકોચપૂર્વક
અંદર દાખલ થઈ ગઈ.
ત્રણ મજાનાં
લીલાં પાન
મારી છાતી આગળ
આવીને ગોઠવાઈ ગયાં
ત્રણેને
બસ ઊપડી
ત્યાં સુધી પંપાળી લીધાં.
ત્રણે વગર બોલ્યે કંઈક કહી ગયાં.
કોઈ જૂનો મિત્ર
વર્ષો પછી ક્યાંક મળી જાય
અને
ટોણો મારે તેમ એ લોકોએ કહ્યું :
‘કેમ,
શહેરમાં ગયા પછી
અમને ભૂલી ગયો ને ?’
વધુ આગળ વાંચો »





