બૅટર-હાફ : ગુજરાતી ફિલ્મોનો નવો વળાંક – મૃગેશ શાહ
દરેક સમયને પોતાની સમસ્યાઓ હોય છે. કોઈ યુગ એમાંથી બાકાત નથી. જે-તે સમયમાં જીવતો માનવી એ સમસ્યાઓથી ઘેરાતો હોય છે અને પીડાતો હોય છે. એ સંઘર્ષનો સામનો કરવા સતત મથામણ કરતો જ રહે છે. આ બાબત પુરુષ અને સ્ત્રી એમ બંનેને એક સરખી રીતે લાગુ પડે છે. કોઈ એક જમાનામાં સ્ત્રીઓ શોષણનો ભોગ બની રહી હતી ત્યારે પુરુષોને ગુલામીપ્રથા અને વિદેશી આક્રમણોનો ભોગ બનવું પડતું હતું. બંને પક્ષે સમાંતરે આ મુશ્કેલીઓ સામે ઝઝૂમવું પડયું છે. કાળના પ્રવાહમાં ડૂબકી મારીને આપણી પાછળની એક-બે પેઢીઓને જોઈશું તો આપણને અનેક લોકોના સંઘર્ષમય જીવનની ગાથાઓ જાણવા મળશે. સમય બદલાય તેમ સંજોગો બદલાય છે પરંતુ એથી કંઈ સમસ્યાઓનો અંત નથી આવી જતો. હા, ફક્ત એનું સ્વરૂપ બદલાઈ જતું હોય છે. તેથી આજના સમયમાં અદ્યતન સાધનો, બંગલો, ગાડી અને ઉચ્ચપદની નોકરી મેળવ્યા પછી એમ સાબિત નથી થઈ જતું કે આપણે જીવનની તમામ વિકટ પરિસ્થિતિઓને પાર કરી ગયા છે ! સંઘર્ષ અને સમસ્યાઓ જીવનનો એક ભાગ છે તેથી તે આપણી સાથે રહેવાના જ. ફરક એટલો છે કે તેનું સ્વરૂપ હવે કંઈક અલગ પ્રકારનું બન્યું છે.
સમસ્યા મોટી છે કે નાની તે મહત્વનું નથી. અગત્યની વાત એ છે કે તેનું મૂળ શું છે, તેનું નિવારણ શું છે અને તેમાંથી આપણને ઉગારે એવા સાધનો ક્યા ક્યા છે. જ્યારે આપણે સાધનો વિશે વાત કરીએ તો એમ કહેવાનું મન થાય કે દરેક સમયમાં જે-તે પ્રકારની સમસ્યાનું નિવારણ કરવા માટે જે-તે સમયને અનુરૂપ સાધનો ઉપલબ્ધ હોય જ છે. મહાભારત જેવી મોટી સમસ્યા હોય તો ખુદ કૃષ્ણ ઉપસ્થિત હોય છે. આઝાદીની સમસ્યા માટે ગાંધી પ્રગટ થાય છે. સામાન્ય માનવીની વ્યક્તિગત સમસ્યાઓ માટે કુદરતે સાહિત્ય, સંગીત, કથા-વાર્તા જેવી મબલખ કળાઓ આપણી સામે ખુલ્લી મૂકી આપી છે. આ સંદર્ભમાં આજના સમયમાં ફિલ્મોનો ફાળો પણ નાનો સૂનો નથી. ભલે તે એક મનોરંજનનું માધ્યમ હોય પણ ક્યારેક તો એ માનવીને એવી અનુભૂતિ કરાવી દે છે કે ‘અરે ! આ તો મારી જ વાત !’ જમાનો હવે ‘વિચારપ્રધાન’ ફિલ્મોનો છે. યુવાવર્ગ તેમાં પોતાનું પ્રતિબિંબ ઝંખે છે. કલ્પનાની રંગબેરંગી વાતો કરતાં વાસ્તવિક જીવનના સંઘર્ષની વાતો તેને વધારે સ્પર્શે છે. સમય અભાવે સાહિત્ય-કલાથી દૂર હોવાને લીધે ક્યારેક અજાણતાં જ તે ફિલ્મોને પોતાના જીવનની સમસ્યાના સાધન રૂપે જોતો થઈ જાય છે. તેની આ અભિલાષા પૂરી કરે તેવી તાજેતરમાં રજૂ થયેલી ગુજરાતી ફિલ્મ છે : ‘બૅટર-હાફ’.
વધુ આગળ વાંચો »
સદભાવનાનું સહચિંતન (ભાગ-1) – મૃગેશ શાહ
[ ગત માસમાં મહુવા ખાતે યોજાયેલા ‘સદભાવના પર્વ-2’નો આ વિશેષ લેખ છે. સાહિત્ય, કલા, શિક્ષણ, રાજકારણ, ફિલ્મ, અર્થશાસ્ત્ર સહિત અનેક વિષયો પર આ પર્વમાં પ્રશ્નોત્તરી સહિત સહચિંતન કરવામાં આવ્યું હતું. અહીં રજૂ થયેલા તમામ વક્તવ્યો સમાજની સાંપ્રત પરિસ્થિતિનો સ્પષ્ટ ચિતાર રજૂ કરે છે અને તેથી આમાં આપને એવી ઘણી બાબતો વિશે જાણવા મળશે જે આપે અગાઉ ક્યારેય નહીં સાંભળી હોય. રીડગુજરાતીના તમામ વાચકમિત્રોની આ લેખ માટે વિશેષ એકાગ્રતા ચાહું છું. કુલ 62 પાનનો આ લેખ, અહીં બે ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. હંમેશની જેમ, જેઓ પ્રિન્ટ કાઢીને વાંચવા ઈચ્છે છે તે વાચકો માટે PDF ડાઉનલોડની સુવિધા બીજા ભાગને અંતે આપવામાં આવી છે. આ વિસ્તૃત અહેવાલના વાંચન-મનન માટે આપને સમય મળી રહે તે હેતુથી રીડગુજરાતી પર તા. 29 અને તા. 30 જૂન (મંગળવાર અને બુધવાર)ના રોજ રજા રહેશે. તા. 1 જુલાઈની સવારે નવા બે લેખો સાથે ફરી મળીશું. આપના પ્રતિભાવોની અપેક્ષા સહ, આપ સૌને પ્રણામ – તંત્રી.]

સામાન્યતઃ આજનો માનવી દોડધામમાં વ્યસ્ત રહે છે. એ દોડાદોડ આર્થિક દષ્ટિએ બે છેડા ભેગા કરવાની હવે નથી રહી પરંતુ તેનો ઉદ્દેશ મહત્તમ ભૌતિક સુવિધાઓ મેળવવાનો હોય છે. આપણે સહુ આ દોડમાં સામેલ છીએ. ‘સ્વ’થી આગળ વધીને લગભગ અન્ય કોઈ બાબતો આપણને સ્પર્શતી નથી તેથી સમાચારો ફક્ત ‘જોવા માટે’ આપણે જોતાં હોઈએ છીએ. આપણી આસપાસના સમાજમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો વધારેમાં વધારે આપણે બે-ચાર સલાહસૂચનો કરીને આઘાં ખસી જતાં હોઈએ છીએ. પરંતુ આપણી જ વચ્ચે એવા લોકો પણ વસે છે જેઓ ફક્ત શિખામણના ચાર શબ્દો કહીને બેસી જતાં નથી. તેમને સમાજની નિસ્બત છે. સમાજમાં બનતી દુઃખદ ઘટનાઓ માટે તેઓને ચિંતા છે. છેવાડાના માનવીની પીડા તેમને સ્પર્શે છે અને તેઓ એમને માટે કંઈક કરી રહ્યા છે. સમાજમાં સંવાદ દ્વારા સંવાદિતતાનું વાતાવરણ રચાય એ તેમનો મુખ્ય ઉદ્દેશ છે. અહિંસા-શાંતિ અને કોમી સંવાદિતતા બાબતે તેમનું સહચિંતન સતત ચાલતું રહે છે. આ પ્રકારના વિચારવાન અને જાગૃત નાગરિકોનું એક સંગઠન છે જેનું નામ છે ‘સદભાવના ફોરમ’
આ ફોરમ વર્ષ દરમિયાન સમાજના વિવિધ ક્ષેત્રોમાં સદભાવનાનું કાર્ય કરે છે. ‘સદભાવના’ શબ્દના અર્થને બરાબર પામીને આ સદકાર્યને વધારે તેજસ્વી બનાવી શકાય એ માટે તેઓએ પ્રતિવર્ષ ‘સદભાવના પર્વ’ યોજવાનું નક્કી કર્યું છે. આ વિચાર હેઠળ પૂ.મોરારિબાપુના સાનિધ્યમાં કૈલાસ ગુરુકૂળ, મહુવા ખાતે પહેલું ‘સદભાવના પર્વ’ 25 થી 27 ફેબ્રુઆરી, 2009માં યોજાયું હતું જેને આપણે લેખસ્વરૂપે અહીં માણ્યું હતું. બરાબર એ જ રીતે ચાલુ વર્ષે પણ 16 થી 18 મે, 2010 દરમિયાન ‘સદભાવના પર્વ – 2’નું આયોજન કરવામાં આવ્યું હતું. વિશેષરૂપે આ પર્વમાં, સદભાવના સમાજના વિવિધ ક્ષેત્રોમાં કઈ રીતે પોતાની ભૂમિકા ભજવી શકે તેના વિશે વ્યાપક સહચિંતન કરવામાં આવ્યું હતું. જેમ કે શિક્ષણ, વિકાસ, સમુહમાધ્યમો જેવા ક્ષેત્રોમાં સદભાવના શું કરી શકે તેના પર મહાનુભાવોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ વિચારગોષ્ઠીમાં મને પણ ભાગ લેવાનું સદભાગ્ય મળ્યું અને જે કંઈ શીખવા-જાણવા મળ્યું તેનો શક્ય એટલો સારાંશ વક્તાઓની જ બોલીમાં રજૂ કરવાનો પ્રયાસ કરું છું. આશા છે કે આપણા જેવા સામાન્ય નાગરિકો માટે વિચારની એક નવી દિશા ખુલશે અને આપણે પણ આપણી આસપાસની સામાજિક સમસ્યાઓને સમજીને, આપણી ક્ષમતા પ્રમાણે સૌને મદદરૂપ થવા પ્રયાસ કરતાં થઈશું.
વધુ આગળ વાંચો »
સદભાવનાનું સહચિંતન (ભાગ-2) – મૃગેશ શાહ
[ ભાગ-1 થી હવે આગળ... ]
[બીજો દિવસ : પ્રથમ બેઠક]
[વિષય : સામાજિક સદભાવના અને વિકાસ.]
‘સદભાવના પર્વ-2’ના બીજા દિવસની પ્રથમ બેઠકની શરૂઆત સવારે નવ કલાકે થઈ હતી. આ બેઠકનો વિષય હતો : ‘સામાજિક સદભાવના અને વિકાસ’. બેઠકનું સંચાલન શ્રી ડંકેશભાઈ ઓઝાએ કર્યું હતું. તેમના પ્રારંભિક વક્તવ્ય બાદ આંતરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અર્થશાસ્ત્રી શ્રી. વાય.કે. અલઘ તથા પીઢ રાજપુરુષ અને અર્થશાસ્ત્રી શ્રી સનતભાઈ મહેતાએ આ વિષયના સંદર્ભમાં પોતાના વક્તવ્ય રજૂ કર્યાં હતાં. ચાલો, આપણે આ મહાનુભાવોની નજરે સદભાવના અને વિકાસની વાતોને તેમના શબ્દોમાં સમજીએ.
(વક્તા : શ્રી વાય. કે અલઘ)

આપ સૌને મારા પ્રણામ. મારે ‘વિકાસ અને સદભાવના’ની વાત કરવાની છે એ એક મોટું ધર્મસંકટ છે કારણ કે વિકાસ તો રૂપિયાની વાત છે, અંગત સાહસની વાત છે. આપણે સૌ સદભાવનાની વાત કરીએ એ સારી વસ્તુ છે પરંતુ આ દરવાજાની બહાર પણ એક દુનિયા છે. એનો પોતાનો અલગ દષ્ટિકોણ હોવાનો. એ લોકો જે સવાલ પૂછે એનો જવાબ આપવો પણ જરૂરી છે. કદાચ બધાને મારી આ વાત યોગ્ય ન લાગે પરંતુ હું પ્રોફેસર તરીકે નિવૃત્ત થયેલો છું અને પ્રોફેસર તો પોતાની વાત હંમેશા રજૂ કરતાં હોય છે.
વધુ આગળ વાંચો »
સજ્જનોના સંગે – મૃગેશ શાહ
[1] અભાવમાં સદભાવ
હમણાં થોડાક દિવસો અગાઉ પાસેના ગામમાં એક માસીને અનાયાસ મળવાનું થયું. સિત્તેરેક વર્ષની તેમની ઉંમર. ગામડાનાં જૂનાં ખખડધજ ઘરમાં એમના દિયરને સહારે તેઓ એકલાં જીવનની સંધ્યા પસાર કરી રહ્યાં હતાં. એકાદ વર્ષ અગાઉ તેમના પતિનું અવસાન થયું હતું. નિઃસંતાન હોવાથી વૃદ્ધાવસ્થાની વેદના તેમના માટે ભારે વિષમ બની રહી હતી. કરોડરજ્જુના ઑપરેશનની મોટી માંદગી બાદ આ ગરીબ કુટુંબની સમસ્યામાં ઔર વધારો થયો હતો કારણ કે હવે છ મહિના પલંગમાંથી નીચે ઊતરવાનું નહોતું. દિયરની નાદુરસ્ત તબિયતને કારણે નાનો એવો ધંધો પણ પડી ભાંગ્યો હતો. આવકનાં કોઈ સાધનો ન હોવાથી રેશનકાર્ડ પર મળતો વધારાનો લોટ વેચીને તેઓ અન્ય ઘરખર્ચ કાઢી લેતાં. સગાંવહાલાં સૌ માંદગીની બાબતે સહાય કરવા તૈયાર હતાં પરંતુ રોજેરોજની આર્થિક ભીડને સમજવા તેઓની દષ્ટિ ટૂંકી પડતી હતી. આખું જીવન અત્યંત સંઘર્ષમય પસાર કરવા છતાં એ માસીના મોં પર અત્યારની પરિસ્થિતિ બાબતે કોઈ ફરિયાદ કે ચિંતા નહોતી. જે કોઈ આવે તેની સાથે પથારીમાં સૂતાં સૂતાં તેઓ હસીને વાત કરી લેતાં.
આ પરિસ્થિતિમાં પણ જીવનની મધુર ક્ષણોને વાગોળવાનું તેમણે ચાલુ રાખ્યું હતું. હું એમને મળ્યો ત્યારે વાતવાતમાં તેમણે મને કહ્યું કે : ‘બેટા, આમ તો આખી જિંદગી અમારી સ્થિતિ કોઈની મદદ લેવી પડે તેવી રહી છે. તારા માસા જીવતાં હતાં ત્યારે એમને ક્યારેક ઉછીના લેવા પડતાં પરંતુ એ દિવસોમાં પણ અમને કોઈને કંઈક આપવાનો ઉમંગ થતો. તેથી જ્યારે તારા માસા વહેલી સવારે નાહી-ધોઈને શાક લેવા જાય ત્યારે હું એમના ખિસ્સામાં પાંચ રૂપિયા મૂકીને કહેતી કે પેલા મજૂર-ચોકમાં કોઈ મજૂર દેખાય તો એને એકાદ કપ ગરમ ચા પીવડાવી દેજો.’
આ માસીને મળીને મને પેલી પ્રસિદ્ધ ગુજરાતી પંક્તિ યાદ આવી કે : ‘મોટાઓની નાનાઈ જોઈને થાક્યો, હવે નાનાઓની મોટાઈ જોઈને જીવું છું.’
વધુ આગળ વાંચો »
માણસનું મધ્યબિંદુ – મૃગેશ શાહ
આ દુનિયાના સૌથી જટિલ કામોમાં જેની નોંધ લઈ શકાય એવું એક કામ છે અને તે છે માણસને ઓળખવાનું. ક્યારેક સૌથી નિકટ રહેતા વ્યક્તિને પણ સમજવાનું મુશ્કેલ થઈ પડે છે. સ્નેહ કે લાગણીના બંધને જોડાયા હોવા છતાં એકમેકના મનનો તાગ પામી શકાતો નથી. કોણ-ક્યારે-કેવા પ્રકારનું વર્તન કરશે તે કળવું મુશ્કેલ છે. ખાસ કરીને એવું બને છે કે જેની પાસે સદાચારની અપેક્ષા રાખી હોય તે અણીના સમયે સદંતર વિરુદ્ધ ભાવ પ્રદર્શિત કરે અને જેને દુર્જન માની બેઠા હોઈએ તેમાં ન ધારેલો ગુણ જોવા મળે. આવા સમયે આપણા મનમાં સતત એક વિચાર ઘૂમ્યા કરે કે હું એ માણસને ઓળખી કેમ ન શક્યો ? એને સમજવામાં ક્યાં થાપ ખાઈ ગયો ?
હકીકતે માણસ ખૂબ જ પારદર્શક છે. તે પોતાના મનના ભાવોને ધારે તો પણ છુપાવી શકતો નથી. એનાં શબ્દો, વાણી, વર્તન અને તેનાં હાવભાવ વગેરે ઘણી બધી ન કહેવાયેલી વાતો સતત કહેતાં હોય છે. પરંતુ સમસ્યા એ છે કે જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ એ ન કહેવાયેલી વાતોને સમજવાની વિદ્યા લુપ્ત થતી જાય છે. આપણું મનુષ્ય પ્રતિનું દર્શન સમગ્રતાનું રહ્યું નથી. આપણે તેનો જેટલો ભાગ આપણે માટે કામનો હોય એટલો જ ધ્યાનમાં લઈએ છીએ. એના વ્યક્તિત્વના અન્ય પાસાઓને આપણે જોતાં નથી. આથી, વ્યક્તિને સમજવામાં થાપ ખાઈ જઈએ છીએ. કોઈ માણસ રસ્તામાં કાગળનો ડૂચો ફેંકે ત્યારે એમ વિચારીએ છીએ કે ‘હશે, આપણા આંગણામાં ક્યાં ફેંક્યો છે ?’ આપણે તેનો એટલો જ અર્થ લઈએ છીએ જેટલો આપણને તાત્કાલિક ઉપયોગી હોય. આપણે એમ વિચારતા નથી કે એ વ્યક્તિ પોતાના આ સ્વભાવ પ્રમાણે અન્ય કામ પણ આ રીતે બેજવાબદારપણે કરી શકે છે.
માણસના વ્યવહારોનું જગત એટલું બધું સંકુલ છે કે એના એક કામની અસર તેના બીજા અનેક કામો પર પડતી હોય છે. કોઈ એક બાબત પ્રત્યેનું તેનું વર્તન કે સ્વભાવ, અન્ય બાબતોમાં પણ ઓછે-વધતે અંશે કામ કરી જાય છે. વ્યક્તિનું વ્યક્તિત્વ જુદા જુદા ખંડમાં વિભાજિત ન હોઈ શકે. એ સંપૂર્ણપણે એક જ છે અને તે કયા પ્રકારનું છે એ જ્યાં સુધી ખબર ન પડે, ત્યાં સુધી આપણી વ્યક્તિ પ્રત્યેની સમજ અધૂરી જ રહેવાની. શાખાઓ બધી જુદી જુદી દિશામાં વિસ્તરેલી અને રૂપ, રંગ અને આકારમાં જુદી જુદી દેખાય છે પણ તેમ છતાં એ બધી એક જ થડમાંથી નીકળેલી છે. જો એ થડ હાથમાં આવી જાય તો શાખાઓનો આ વ્યાપ સમજી શકાય. માણસના કેન્દ્રમાં તેનો ક્યો સ્વભાવ છે તે બરાબર પરખાઈ જવો જોઈએ. જો એ સમજાઈ જાય તો માણસ પૂરેપૂરો ઓળખાઈ જાય. એ પછી ભલે તેમાં અનેક નવી શાખાઓ ફૂટે પરંતુ થડ ક્યારેય બદલાવાનું નથી. સમય વીતવાની સાથે માણસ કદાચ બાહ્ય દષ્ટિએ બદલાયેલો લાગશે પણ એના પાયામાં જે તત્વ પડેલું હશે એ તો વર્ષો બાદ પણ એમ જ રહેવાનું છે. એને આપણે સ્વભાવ કે મૂળ પ્રકૃતિ કહી શકીએ. સ્વભાવને ઓળખવાની કળા હસ્તગત થઈ જાય તો માણસને આત્મસાત કરવાનું સરળ બની જાય.
વધુ આગળ વાંચો »
અસ્મિતાપર્વનો અહેવાલ (ભાગ-1) – મૃગેશ શાહ
[‘અસ્મિતાપર્વ’થી આપણે સહુ કોઈ પરિચિત છીએ. મહુવા ખાતે યોજાતા આ પર્વનો અહેવાલ પ્રતિવર્ષ આપણે રીડગુજરાતી પર માણીએ છીએ. અસ્મિતાપર્વની તમામ બેઠકોનો આપ સર્વાધિક આનંદ લઈ શકો તે માટે ચાલુ વર્ષે યોજાયેલા આ પર્વનો વિશેષ અહેવાલ અહીં શક્ય એટલો વિસ્તારથી આપવાની કોશિશ કરી છે. આ અહેવાલ કુલ ત્રણ ભાગમાં એટલે કે ત્રણ લેખ સ્વરૂપે (કુલ પાન : 66) પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ ત્રણેય ભાગ અહીં એક સાથે પ્રકાશિત કરવામાં આવ્યા છે. જેમને પ્રિન્ટ લઈને વાંચવાની આદત હોય તેઓ માટે ત્રીજા ભાગને અંતે PDF FILE DOWNLOAD ની સુવિધા પણ આપવામાં આવી છે. સમગ્ર પર્વના ફોટોગ્રાફ્સ આપ ત્રીજા ભાગને અંતે આપેલા ‘સ્લાઈડ-શૉ’ દ્વારા માણી શકો છો. આ વિસ્તૃત અહેવાલના વાંચન-મનનનો આપને સમય મળી રહે તે હેતુથી, હંમેશની જેમ રીડગુજરાતી પર તા. 28 અને તા. 29 એપ્રિલ (બુધવાર અને ગુરુવાર)ના રોજ રજા રહેશે. તા. 30 એપ્રિલને શુક્રવારે નવા બે લેખો સાથે ફરી મળીશું. આપના પ્રતિભાવોની અપેક્ષા સહ આપ સૌને પ્રણામ – તંત્રી, રીડગુજરાતી ]

જેની આખા વર્ષ દરમિયાન કાગડોળે વાટ જોવી ગમે તેવું સુંદર સાહિત્યિક પર્વ એટલે કે અસ્મિતાપર્વ. તાજેતરમાં આ પર્વ તા. 27મી માર્ચ થી 30મી માર્ચ, 2010 સુધી મહુવા ખાતે યોજાઈ ગયું. શ્રી હરિશ્ચંદ્રભાઈ જોશી તેમજ શ્રી વિનોદભાઈ જોશીના સંચાલન હેઠળ, પૂ. મોરારિબાપુના સાનિધ્યમાં, પ્રતિવર્ષ હનુમાન જયંતીના ઉપલક્ષ્યમાં યોજાતા અસ્મિતાપર્વનું આ 13મું વર્ષ હતું. ‘મહાકુંભ’ના દિવસોમાં યોજાયેલું આ પર્વ જાણે સાહિત્યનો ‘મહાકુંભ’ બની રહ્યું હતું; જેમાં અનેક ભાવકોએ વૈચારિક શાહીસ્નાનનો આનંદ માણ્યો હતો. માલણ નદીને તીરે, કૈલાસ ગુરુકૂળના રમણીય પરિસરમાં આ પર્વ અંતર્ગત જુદા જુદા વિષયો પર કુલ પાંચ સંગોષ્ઠિ અને એક કાવ્યાયનની બેઠક યોજવામાં આવી હતી. રાત્રી કાર્યક્રમોમાં સંગીત અને નૃત્યના વિવિધ કલા ઉપાસકોએ પોતાની કલા પ્રસ્તુત કરી હતી. પર્વના અંતિમ દિવસે એટલે કે હનુમાન જયંતીના દિવસે શાસ્ત્રીય સંગીત અને લલિતકલાની આજીવન સેવા કરનાર વિદ્વાનોને ‘હનુમંત એવોર્ડ’ અને ‘કૈલાસ લલિતકલા એવોર્ડ’ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પર્વમાં સહભાવક બનીને મેં જે કંઈ માણ્યું તેનો વિસ્તૃત અહેવાલ અત્રે પ્રસ્તુત કરું છું.
ચાલુ વર્ષે અસ્મિતાપર્વની પૂર્વસંધ્યાએ એટલે કે તા. 26મે સાંજે સાત વાગ્યે, એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુપ્રસિદ્ધ લોકવાર્તાકાર શ્રી કાનજી ભુટા બારોટની લોકહૈયામાં વસેલી વાર્તા ‘જીથરોભાભો’નું રાજકોટના શ્રી ભરત યાજ્ઞિક દ્વારા નાટ્ય રૂપાંતર અને પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ગામડાઓમાં રહેલી અંધશ્રદ્ધા, ભૂત-ભુવા અને દોરા-ધાગાની વાતો સામે આ નાટક લોકજાગૃતિનો સંદેશ આપનારું હતું. તમામ કલાકારોએ સુંદર અભિનય કરીને તેને જીવંત બનાવ્યું હતું. નાટકના અંતે તમામ કલાકારોનું પૂ. મોરારિબાપુએ શાલથી સન્માન કર્યું હતું.
વધુ આગળ વાંચો »
અસ્મિતાપર્વનો અહેવાલ (ભાગ-2) – મૃગેશ શાહ
[બીજો દિવસ : સાહિત્યસંગોષ્ઠિ-3]
અસ્મિતાપર્વના બીજા દિવસનો પ્રારંભ સંગોષ્ઠિ-3થી થયો હતો. આ સંગોષ્ઠિનો વિષય હતો ‘કવિકર્મપ્રતિષ્ઠા અને કાવ્યપાઠ’; જેમાં શ્રી સુરેશ દલાલની કવિતા વિશે શ્રી ભગીરથ બ્રહ્મભટ્ટે તેમજ શ્રી હરીશ મીનાશ્રુની કવિતા વિશે શ્રી અજિત ઠાકોરે વિસ્તારપૂર્વક વાત કરી હતી. બંને મહાનુભાવોના વક્તવ્યબાદ ક્રમશ: શ્રી સુરેશ દલાલ અને શ્રી હરીશ મીનાશ્રુએ કાવ્યપઠન કર્યું હતું. સંગોષ્ઠિનું સંચાલન આદરણીય સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીએ કર્યું હતું.
સુરેશ દલાલની કવિતા વિશે વાતનો પ્રારંભ કરતાં શ્રી ભગીરથ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે : ‘સૌ શબ્દના બંદાઓને પ્રણામ. સિમેન્ટ કોંક્રેટના જંગલમાં રસ્તાની ધારે એક વૃક્ષ ઊભું છે. એ કઠોર ભૂમિમાં એ વૃક્ષના મૂળિયા એની વય જેટલી વ્યાપ્તિ પામ્યા નથી. એની ડાળે ડાળે શબ્દો હિંચે છે. એના પાને પાને પ્રાસ રચાયો છે. વાહનોની અવરજવર એ વૃક્ષની નોંધ લેતું નથી ત્યારે એ વૃક્ષ ડૂસકાં નાંખે છે. એની છાયાને પડછાયો માની યાત્રિકો એના ખોળામાં નિરાંતે બેસતા નથી ત્યારે વૃક્ષને વ્યથા થાય છે. શબ્દોની દીપમાલા લઈને બેઠેલાં વૃક્ષની નીચે હું થોભ્યો તો મારા ઉપર થોડી શબ્દવૃષ્ટિ થઈ. રંગ, ગંધ અને રૂપથી મઢ્યા એ શબ્દો મેં જોયા તો એમાં હતું આકાશ, એકલતા, પ્રેમ, માણસ-ફાનસ, દંભ, નગર, મીરાં, હરણાં-તરણાં અને ઝરણાં. મેં ઊંચે જોયું. એ વૃક્ષ પર પંખી હતાં. મોર-પોપટ-કોયલ હતા. પરદેશી પંખી પણ હતા. એ બધા સાથે મળીને માળો કરતા હતા. મેં આંખો બંધ કરી તો મારા કાનમાં લય વૃષ્ટિ થઈ. મને સંભળાયું કે ‘તરણાંની જેમ મને ફૂટે છે ગીત અને ઝરણાંની જેમ જાય વહેતાં…’ ફરી મેં આંખો બંધ કરી તો મને એ વૃક્ષનું સરનામું દેખાયું : “કવિતા, જન્મભૂમિ ભવન, મુંબઈ.” અને વૃક્ષનું નામ હતું સુરેશ દલાલ !
આ કવિ 80 વર્ષે પહોંચવા આવ્યા છે. લગભગ છ દાયકાથી કવિતાને પ્રેમ કરે છે. એમની વય વધવા છતાં એમની પ્રેમની માત્રામાં કોઈ ઘટાડો નથી થયો. કવિતાને આટલી તીવ્રતાથી અને આટલો લાંબો સમય બહુ ઓછા ચાહકોએ પ્રેમ કર્યો હશે. એવા આ કવિને આજે આપણે એમની રચનાઓ દ્વારા માણીએ. આ કવિની બધી જ રચનાઓમાંથી પસાર થતા મને એમ લાગે છે કે આ કવિ એ કેટલા બધા કાવ્યસંગ્રહો આપણને આપ્યા છે. ‘એકાંત’ રચ્યું ત્યાંથી શરૂ કરીને ‘દ્રશ્ય-અદશ્ય’ સુધી એમના કાવ્યસંગ્રહો અઢી ડઝન ઉપરાંત છે ! અને સંપાદનો અને એ બધું ઉમેરીએ તો એમની વય જેટલી સંખ્યા થાય ! ‘હસ્તાક્ષર’, ‘રોમાંચ’, ‘જળનાં પગથિયાં’, ‘જલસાગર’ વગેરે. પણ આ બધું જોઈએ છીએ ત્યારે કવિની મુદ્રા, કવિને આપણે ક્યા ખંડના કવિ તરીકે ગણીશું ? એવો એક પ્રશ્ન સામે આવે છે. ત્યારે મને કહેવું છે કે આ કવિ પરંપરાનો કવિ છે. આ કવિ આધુનિકતાનોય કવિ છે અને આ કવિ અનુઆધુનિકતાનોય કવિ છે. એણે પરંપરાને પણ ઝીલી છે અને પચાવી છે. અનુઆધુનિકતાનો અને આધુનિકતાનો પ્રભાવ પણ એમણે ઝીલ્યો છે. આ કવિની એક મોટી વિશેષતા હોય તો આ કવિ શ્રદ્ધાનો કવિ રહ્યો છે. એણે પ્રારંભથી આજ સુધી શ્રદ્ધા ગુમાવી નથી. આધુનિક કવિઓમાં શ્રદ્ધા ડગી ગઈ હતી એ વખતે પણ આધુનિક કવિતા લખતી વખતે તેઓ શ્રદ્ધા સાથે લખતા હતા.’
વધુ આગળ વાંચો »
અસ્મિતાપર્વનો અહેવાલ (ભાગ-3) – મૃગેશ શાહ
[ત્રીજો દિવસ : સાહિત્યસંગોષ્ઠિ-5]
અસ્મિતાપર્વના ત્રીજા દિવસે બરાબર નવ વાગ્યે સંગોષ્ઠિ-5નો આરંભ થયો હતો. આ સંગોષ્ઠિનો વિષય હતો ‘ગુજરાતી બાળસાહિત્ય’. અસ્મિતાપર્વમાં આ નૂતન વિષયને પ્રથમવાર સ્થાન આપવામાં આવ્યું હતું. આ સંગોષ્ઠિમાં વાર્તાઓ વિશે શ્રદ્ધા ત્રિવેદીએ, કાવ્યો વિશે ઈશ્વર પરમારે અને જીવનચરિત્રો વિશે યશવંત મહેતાએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું; જેનું સંચાલન જાણીતા સાહિત્યકાર હરિકૃષ્ણ પાઠકે કર્યું હતું.
વાર્તાઓ વિશે વાતની શરૂઆત કરતાં શ્રદ્ધાબેને જણાવ્યું હતું કે : ‘મિત્રો અને વડીલો, સૌપ્રથમ ગુજરાતી બાળસાહિત્યના સર્જકોવતી હું અસ્મિતાપર્વના આયોજકોને તથા મોરારિબાપુને અભિનંદન આપું છું કે તેરમે વર્ષે તો તેરમે વર્ષે પણ બાળસાહિત્યની એક આખી બેઠક અહીં રાખવામાં આવી. સામાન્ય રીતે ડોકટર પાસે દર્દી જાય તો દર્દી કહે એ પ્રમાણે ડોકટર સમજીને દવા આપે પણ જ્યારે બાળકને ડોક્ટર પાસે લઈને જવાનું હોય ત્યારે એની માતા કહે એ પ્રમાણે અને બાકીનું ડોકટરે જાતે સમજીને દવા કરવાની હોય છે. એટલે કે સામાન્ય ડોકટર કરતાં બાળકોના ડોકટર પાસે નિદાનની વધારે અપેક્ષા રહે છે. બાળસાહિત્યના સંદર્ભમાં પણ આ વાત લાગુ પાડી શકાય. બીજી એક વાત સતત મારા મનમાં રહેલી છે તે એ કે બાળસાહિત્યકાર લેખિકા હોય કે ભાઈ હોય, પણ દરેક સ્ત્રી જ્યારે માતા બને છે અને એ પછી બાળક જ્યારે બોલતું થાય ત્યારે વાર્તા કહેવા માંડે છે ત્યારે એક અર્થમાં દરેક માતા સાહિત્યકાર જ છે. બાળકને ખવડાવતી વખતે તરંગ તુક્કાઓથી જે વાતો કરે છે એ બહાર આવતી નથી પણ એ બાળકનું ઘડતર તો એ રીતે જ તે કરતી હોય છે.
આટલી પૂર્વભૂમિકા પછી મને સોંપાયેલા વિષય ‘ગુજરાતી બાળસાહિત્ય’ વિશે વાત કરીશ. ગુજરાતી બાળવાર્તાનો લાંબો ઈતિહાસ છે. તે ખૂબ વ્યાપક છે. બાળસાહિત્યની વિભાવના, બાળવય વિશે અને બાળવાર્તાના સ્વરૂપ વિશે તથા વાર્તાના પ્રયોજન વિશે એકાદ વાત ઉદાહરણથી અહીં રજૂ કરીશ. બાળકોનું શરીર નાનું છે પણ કમાલ તો જુઓ કે માનવજીવનના જીવનકાળ દરમિયાન જો ઉત્તમ ગ્રહણશક્તિ હોય તો તે બાળપણમાં હોય છે. આ તેનો સર્વશ્રેષ્ઠ કાળ છે. શીલના ઘડતર માટે બાળવય ઉત્તમ સમય છે અને બાળસાહિત્ય તેનું ઉત્તમ સાધન છે. ભારતીય સંસ્કૃતિમાં ‘શિશુ દેવો ભવઃ’ની ભાવના રહેલી છે. બાળકૃષ્ણ, બાળરામ, બાળગણેશ, બાળહનુમાનના ચરિત્રો સ્મરણીય છે. બાળકમાં બીજરૂપે રહેલા ગુણોને વિકસીત કરવાના અનેક માર્ગો છે તેમાંનો એક માર્ગ છે તેને ઉત્તમ બાળસાહિત્ય વાંચતો કરવો તે. શ્રી રવિશંકર મહારાજ કહે છે તેમ બાળકોને અક્ષરજ્ઞાન તો આપવાનું જ છે પણ ખરું કામ તો બાળકોમાં રહેલા સુસંસ્કારોને વિકસાવવાનું છે. બાળસાહિત્ય બાળકના અને એ રીતે સમાજના ઘડતરનું મોટું સાધન છે. બાળસાહિત્ય બાળકને આંખ અને પાંખ આપવાનું કાર્ય કરે છે. શિક્ષણ ભલે તેનો ઉપયોગ કરે પણ તેનું છેવટનું મૂલ્યાંકન કલા તરીકે થવું જોઈએ. તેનું પ્રયોજન આનંદ આપવાનું છે.’ એમ કહીને તેમણે ‘મુંબઈની કીડી’ નામની બાળવાર્તાનું પઠન કર્યું હતું. વાતના અનુસંધાનમાં શ્રદ્ધાબેને આગળ જણાવ્યું હતું કે, ‘બાળકને પોતાનું આગવું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. બાળસાહિત્યનો સર્જક ભલે બાળક ન હોય પણ બાળક શું ચીજ છે એનો તેને સ્વાનુભવે ખ્યાલ હોય જ. આથી બાળસાહિત્યનું સર્જન કરવા તે જ્યારે પ્રેરાય છે ત્યારે તે પોતાના શૈશવકાળમાં પાછો ફરતો હોય એવો ભાવ અનુભવે છે. રમણલાલ સોની કહે છે તેમ, ‘ઉતારી નાખેલી કાંચળીમાં સાપ પુન:પ્રવેશ કરે તેવી આ પ્રક્રિયા છે.’ બાળકને વય અનુસાર સાહિત્ય આપવું જોઈએ. 0 થી 18 સુધી બાળ અને કિશોર અવસ્થા ગણાય છે. આમાં ગર્ભાવસ્થાનો સમય પણ ઘડતરકાળ માટે અગત્યનો સમય છે. આ અવસ્થામાં પડતા સંસ્કાર કેવા હોઈ શકે એ માટે ભાગવતમાં આવતી મદાલસાની વાત ધ્યાનમાં રાખવા જેવી છે.
વધુ આગળ વાંચો »

સાહિત્યકાર : 



