Aug 27
2010

સાધના વિના સિદ્ધિનો અધિકાર ન હોય – ડૉ. ઊર્મિલા શાહ

[‘જનકલ્યાણ’માંથી સાભાર.]

‘અરે ! આવ આવ આદિત્ય ! શું રિઝલ્ટ આવ્યું ? ઉષાબેન, કેમ આદિત્ય આમ ઢીલો લાગે છે ? તબિયત સારી નથી કે શું ? કેટલા માર્કસ આવ્યા ? બોલ તો ખરો.’
‘બેન બાણું ટકા….’
‘ત્હોય તમને સંતોષ ન થયો ઉષાબેન ? દીકરો આટલા સારા માર્કસ લાવ્યો હોય તો તો માનો હરખ સમાતો ન હોય તેને બદલે તમે મા અને દીકરો બંને જાણે થાકેલાં થાકેલાં ને નિરૂત્સાહી કેમ લાગો છો ? શું થયું એ તો કહો ? પંચાણું ટકા ધાર્યા હતા ને બાણું આવ્યા ? બધું તો ધાર્યું ક્યાંથી પાર પડે ? આટલા સારા માર્કસ આવ્યાં ત્હોય તમારું મ્હોં ઉમંગભર્યું ને હસતું ન હોય એ કેમ ચાલે ! ના ના આવું ન ચાલે… ઉષાબેન…. છોકરાઓને સફળતાનોય આનંદ તો માણવા દેવો પડે ને ! આપણે માબાપોએ તેમાં સામેલ થવું પડે… પણ આપણા માબાપોનીય મહાત્વાકાંક્ષાને ક્યાં મર્યાદા હોય છે ! છોકરાંઓને તો બિચારાને હંફાવી દઈએ છીએ….’

‘બેન ! એવું કંઈ નથી. આદિત્યને બાણું ટકા માર્કસ આવ્યાં એનો અમને બધાંને ખૂબ આનંદ અને સંતોષ થયો છે પણ વાત એવી બની કે ગઈકાલે રાતે એના ટ્યુશનવાળા સાહેબનો ફોન આવ્યો : ‘આદિત્ય, તારા નેવ્યાશી ટકા માર્કસ છે. કોન્ગ્રેચ્યુલેશન્સ.’ અને આદિત્યને ખૂબ ઘેરો આઘાત લાગ્યો. બેન, એ નાનો હતો ત્યારથી એને એક્કેય પરીક્ષામાં નેવું ટકાની નીચે તો માર્કસ આવ્યાં જ નથી અને એસ.એસ.સી.નાય પેપર્સ એવા તો ખરાબ ગયાં જ નહોતાં કે નેવુંની નીચે ટકાવારી જાય એટલે એના ટ્યુશનના સાહેબના આ સંદેશાથી એને એવો તો આઘાત લાગ્યો…. અરે ! સાંજે જમ્યો નહીં…. જઈને રૂમમાં ભરાઈ ગયો…. મને ને એના પપ્પાને તો એવી બીક લાગી કે આ છોકરો આ શોકમાં કંઈ ન કરવાનું તો કરી નહીં બેસે ને ? રડે રડે…. કંઈ રડે… કેમેય કરીને શાંત જ ન રહે…
વધુ આગળ વાંચો »

May 05
2010

પ્રવાસનું તાત્પર્ય – ડૉ. ઊર્મિલા શાહ

[‘સાંવરી’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.]

‘બહેન ! અમારા વર્ગ માટે પ્રવાસ ક્યારે નક્કી થશે ? હવે તો પરીક્ષા પતી ગઈ છે.’
‘કેમ તને ખબર નથી ? સત્તરમીએ પ્રવાસ છે જ. બધું જ નક્કી થઈ ગયું છે. આજે એ અંગેની સૂચના આવી જશે. પણ હવે માત્ર એ દિવસનું મેનુ નક્કી કરવાનું છે. તમે વિદ્યાર્થીઓ નક્કી કરીને થોડાં સૂચનો આપો કે નાસ્તામાં અને જમવામાં શું શું રાખવાનું છે.’ અને વિદ્યાર્થીઓએ તો ઉત્સાહભેર લાંબુંલચક વાનગીઓનું લિસ્ટ લખી દીધું. સવારે નાસ્તામાં બ્રેડ બટર, ફ્રુટ જ્યુસ, આલુ-પરાઠા, પૂરી-શાક, ઈડલી-સંભાર. જમવામાંય રેસ્ટોરામાં જમવા જઈને મેનુ હોય એટલી વાનગીઓ લખીને લઈ આવ્યાં. મને જોઈને આશ્ચર્ય થયું. મારાથી પૂછાઈ ગયું : ‘તમે પ્રવાસમાં જવાના છો કે કોઈ મોટી રેસ્ટોરાંમાં જમવા ? કે પછી લગ્નના જમણવારમાં ?’
‘બહેન ! મજા કરવા જઈએ છીએ તો ખાવાનું તો સારું જોઈએ જ ને ! ખાવાપીવા માટે તો આટલા પૈસા ખરચીએ છીએ.’ અને મને આ સાંભળીને એક ઘેરો આઘાત લાગ્યો.

જીવનનાં મૂલ્યો કેટલાં બધાં બદલાતાં જાય છે. આપણે દિવસે અને દિવસે વધુ સુસંસ્કૃત થતાં જઈએ છીએ, એવા જ ખ્યાલમાં રચ્યા કરીએ છીએ. હા, સાયન્સ અને ટેકનોલોજી હરણફાળે આગળ વધી રહ્યાં છે અને એટલે માણસ પાસે ભૌતિક સુવિધાઓ કૂદકે ને ભૂસકે વધી રહી છે પણ એ બધી સુવિધાઓ પ્રાપ્ત કરવાની સાથે માણસ ભલે સુખ-ચેનથી તેની જરૂરિયાતો માણી શકતો હશે પણ એના જીવનની વિપુલતા તેના હૃદયમાં ભાવના, તેના ઘડતરમાં, તેના જીવનનાં મૂલ્યોમાં એની પ્રગતિ દેખાય છે ખરી ? એના સાચા વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય છે ખરો ?
વધુ આગળ વાંચો »

Jul 03
2009

સાધના વિના સિદ્ધિ નથી – ડૉ. ઊર્મિલા શાહ

[‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર.]

‘બહેન ! આજે મારે વહેલા ઘરે જવું છે… મારે ટુર્નામેન્ટ રમવાની છે…’ સાત જ વર્ષના સમીરે મને વાત કરી અને હું આશ્ચર્ય પામી ગઈ.
‘બેટા, ટુર્નામેન્ટ ? આ ઉંમરે ? શાની ?’
‘બહેન, મારે ચેસની ટુર્નામેન્ટ છે.’
‘ચેસ ? ઓહ, એ તો ઘણી બુદ્ધિ ચલાવવાની રમત છે. તું કેટલા વર્ષથી ચેસ શીખે છે ?’
‘બે વર્ષથી…’ ને મને આશ્ચર્ય થયું. હજી તો સમીર સાત વર્ષનો છે, બે વર્ષથી તે ચેસ શીખે છે… એટલે કે પાંચ વર્ષની ઉંમરથી તેણે ચેસ શીખવાનું શરૂ કર્યું હશે. બાળકની પાંચ વર્ષની ઉંમર એટલે તો થનગનાટની ઉંમર. ખેલે, કૂદે, નાચે, દોડે…. ભાગ્યે જ પગ વાળીને બેસી શકે. તેને બદલે આ ઉંમરે એ ચેસ આટલા બધાં એકધ્યાને કેવી રીતે રમી શકતો હશે ? ખરેખર તો આટલી નાની ઉંમરનાં બાળકમાં કઈ શક્તિઓ પડેલી છે ને તેનામાં કઈ વસ્તુ માટે કે કઈ પ્રવૃત્તિ માટે અભિરૂચિ છે એ શોધવું જ મુશ્કેલ હોય છે, ત્યારે આટલા નાના સમીરમાં આ શક્તિ પારખી તેને માટેની યોગ્ય તાલીમ આપવી એ નાનીસૂની વાત ન હતી. મને તેનાં માતાપિતા માટે માનની લાગણી થઈ.

આજના શિક્ષિત માબાપો તેમના સંતાનનાં અભ્યાસ માટે તો ઘણાં સજાગ બન્યા જ છે અને વધુમાં વધુ માર્ક્સ આવવા જોઈએ તે માટે તેઓ સતત જાગૃતિ સેવે છે. બધી જ બાજુ પ્રયત્નો કરે છે પણ પોતાનાં સંતાનમાં જે અભિયોગ્યતા પડેલી છે તેને પારખવી, તેને પિછાણવી ને તેને પાંગરવા માટેનું વાતાવરણ ઊભું કરવું એ નાનીસૂની વાત નથી. પેલો કાર્તિક સાવ નાનો હતો, ત્યારથી કરાટે શીખતો હતો. શીખતો ગયો તેમ આગળ ને આગળ વધતો ગયો… ને એમ કરતાં તો રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી ગયો. આટલી નાની ઉંમરમાં આટલી બધી સિદ્ધિ ? એને માટે વારંવાર બહારગામ જવાનું થાય. રોજેરોજ એનું કોચીંગ લેવા માટે જવું પડે. આટલું નાનું બાળક તો નિજાનંદની મસ્તીમાં મહાલતું હોય, એને રમવાનું મન થયું હોય અને એ જ વખતે કોચિંગ કલાસમાં જવાનું હોય… ક્યારેક એને સમજાવીને પટાવીને એ તરફ વાળવો પડે. આ બધી તો રોજેરોજની વાત બની રહે. ને તેય એક-બે દિવસની નહીં, વર્ષો સુધીની…. બાળક માટે તો તે સાધના છે જ પણ માબાપ માટે ય સાધના છે.
વધુ આગળ વાંચો »